Opinion Magazine
Number of visits: 9457076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—257

દીપક મહેતા|Opinion - Opinion|20 July 2024

મરાઠી રંગભૂમિ પર ગાજેલા નાટક પરથી પડ્યું એક મકાનનું નામ

ગયે શનિવારે વાતની શરૂઆતમાં તેમ જ અંતે મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક અજરામર નાટક સંતુ રંગીલીને યાદ કરેલું. નાટક મુંબઈનું, પણ આઈ.એન.ટી.ના આ નાટકનો પહેલો પ્રયોગ થયેલો અમદાવાદમાં, ૧૯૭૩ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે. આ નાટક સરિતા જોશી અને પ્રવીણ જોશીએ પોતાના ખભા પર ઉપાડી લીધેલું. રૂપાંતર કરેલું આપણા જાણીતા લેખક મધુ રાયે. નાટકનાં મૂળ બર્નાડ શોના નાટકમાં. ‘પિગમેલિયન’ નામે ૧૯૧૩માં સ્ટેજ પર ધૂમ મચાવેલી. તેના પરથી બનેલું મ્યુઝિકલ પ્લે ૧૯૫૬માં ભજવાયું. તેના પરથી બનેલી ફિલ્મ ‘માય ફેર લેડી’ ૧૯૬૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે ન્યૂ યોર્કના ક્રાઈટેરિયન થિયેટરમાં રીલીઝ થઈ અને લાગલાગટ ૮૭ અઠવાડિયાં ચાલી. આ નાટક અને ફિલ્મ પરથી રૂપાંતર કરીને ગુજરાતી અને મરાઠીમાં નાટક ભજવવાનું આઈ.એન.ટી.એ નક્કી કર્યું. ગુજરાતી રૂપાંતર મધુ રાયે કર્યું તો મરાઠી રૂપાંતર કર્યું મરાઠીભાષીઓના અત્યંત લાડકા એવા ‘પુ.લ.’એ. અટક દેશપાંડે. પણ એ ન બોલો તો ય લોકો ‘પુ.લ.’થી જ ઓળખે. આપણે વિશેષણપ્રિય પ્રજા છીએ. મરાઠીઓ ક્રિયાપદપ્રધાન. એટલે વિશેષણોના હારડા નહિ. પુ.લ. માટે સૌથી વધુ મોટું વિશેષણ વાપરે તે ‘એકમેવ.’ આવા પુ.લ.એ કરેલા મરાઠી અવતારનું નામ ‘તી ફુલરાણી.’ (એક આડવાત: મરાઠી જોડણી, જેને ‘શુદ્ધલેખન’ કહેવાય છે, તેના નિયમો ગુજરાતી કરતાં ઘણા જુદા છે. એટલે ગુજરાતીમાં ‘ફૂલ’ લખાય તે મરાઠીમાં લખાય ‘ફુલ.’) તેનો પહેલો પ્રયોગ ૧૯૭૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈના રવીન્દ્ર નાટ્યમંદિરમાં થયો. જે ગુજરાતીમાં સંતુનું પાત્ર, તે મરાઠીમાં ‘મંજુળા.’ (આ પણ મરાઠીની એક વધુ ખાસિયત – ‘મંજુલા’ નહિ, ‘મંજુળા.’ અને એ પાત્ર રંગભૂમિ પર ભજવ્યું રેડિયો, ટી.વી., ફિલ્મ, અને રંગભૂમિનાં અભિનેત્રી ભક્તિ બર્વે-ઇનામદારે, ૧.૧૦૦ કરતાં વધુ પ્રયોગોમાં! અને જેમ ગુજરાતીમાં સંતુ એટલે સરિતા, એમ મરાઠીમાં મંજુળા એટલે ભક્તિ એવું નાટ્યપ્રેમીઓના મનમાં વસી ગયું. 

પુલના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ અને તેમનું નાટક ‘તી ફુલરાણી’

મરાઠીભાષીઓ નાટકને માત્ર જુએ નહિ, એને દિલ ફાડીને ચાહે. લોકો કેટલી હદે નાટક ઘેલા એની બે વાત પણ પુ.લ. અને તેમની આ ‘તી ફુલરાણી’ સાથે જોડાયેલી છે. ૧૯૧૯ના નવેમ્બરની આઠમીએ જન્મેલા પુ.લ.નું ઈ.સ. ૨૦૦૦ના જૂનની ૧૨મી તારીખે પુણેમાં અવસાન થયું. આખા મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ. પુણેમાં જાહેરાત કરવામાં આવી કે પુ.લ.ના અંતિમ સંસ્કાર વખતે થોડા ગણ્યાગાંઠ્યા આપ્તજનો સિવાય કોઈને હાજર રહેવા નહિ દેવાય. તેમના પાર્થિવ દેહને બંધ (કાચ વગરની) એમ્બ્યુલન્સમાં ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમમાં લઈ જવાશે. અને છતાં અંતિમ સંસ્કાર વખતે એ ક્રેમેટોરિયમની બહાર ૨૫,૦૦૦ લોકો શાંતિથી, શિસ્તબદ્ધ રીતે ઊભા હતા. બંધ એમ્બ્યુલન્સને પણ પાછલે બારણેથી લઈ ગયા. જ્યારે લોકોને આ કહેવાયું ત્યારે પણ ત્યાંથી ખસ્યા નહિ. ચીમનીમાંથી સફેદ ધૂમાડો નીકળતો દેખાયો પછી તેને હાથ જોડીને લોકો વિખરાયા. 

૨૦૦૧ના ફેબ્રુઆરીની ૧૧મીનો દિવસ. સાતારા જિલ્લાના વાઈ ગામે ‘પુ.લ., ફુલરાણી આણી મી’ નામનું એકપાત્રી નાટક ભજવવા ભક્તિ બર્વે ગયેલાં. શો પછી પુણે થઈને મોટરમાં મુંબઈ આવવા નીકળ્યાં. વાઈના આયોજકોએ કહેલું કે આટલી મોડી રાતે ન જાવ. સવારે જજો. પણ નીકળી ગયાં. સવારે પોણા ત્રણ વાગે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પરની ‘ભાટણ’ ટનલના પ્રવેશદ્વાર સાથે મોટર અથડાઈ અને એ જ ઘડીએ ભક્તિનું મૃત્યુ થયું. થોડી વારે હાઈવે પેટ્રોલની વેન ત્યાં પહોચી. અકસ્માત જોઈને પોલીસ અફસર ગાડી રોકીને નીચે ઉતર્યો. અકસ્માતમાં કોનું મૃત્યુ થયું છે એ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. અભિનેત્રીના મૃતદેહને જોઈને પોલીસ અફસર આ રીતે રડે એ કદાચ મહારાષ્ટ્રમાં જ બને.

મંજુળા અને સંતુ બનેલાં ભક્તિ બર્વે અને સરિતા જોશી

અને વિધિની વિચિત્રતા તો જુઓ! છેલ્લાં કેટલાંક વરસોમાં આ લખનારનો ‘ફુલરાણી’ સાથે નિકટનો સંબંધ બંધાયો છે. એ વળી કઈ રીતે? છેલ્લાં કેટલાંક વરસોથી જ્યાં રહેવાનું થયું છે એ મકાનનું નામ છે ‘ફુલરાણી.’ અને આ નામ પડ્યું છે પુ.લ.ના નાટક ‘તી ફુલરાણી’ પરથી. વાંદરા ઈસ્ટમાં આવેલી સાહિત્ય સહવાસ કોલોનીનાં નવેનવ મકાનનાં નામ કોઈ ને કોઈ મરાઠી પ્રશિષ્ટ કૃતિ કે સાહિત્ય સ્વરૂપ પરથી પાડેલાં છે : ઝપુર્ઝા, આનંદવન, અભંગ, વાગ્વૈજયંતી, ઉષ:કાલ, રાગિણી, જ્ઞાનદેવી, અને શાકુન્તલ. આ કોલોની (અહીંના રહેવાસીઓ ‘સોસાયટી’ને બદલે ‘કોલોની’ તરીકે ઓળખવાનું પસંદ કરે છે.) બંધાઈ ત્યારથી આજ સુધી એક શરત બહુ આગ્રહપૂર્વક પાળી રહી છે. માત્ર લેખકો કે સાહિત્યકારો જ અહીં ફ્લેટ ખરીદી શકે, બીજા નહિ. અલબત્ત, લેખકના ઉત્તરાધિકારીઓ પણ લેખક હોય એવું બહુ ઓછું બને. એટલે વારસદાર તરીકે બિન-લેખક કોલોનીનું સભ્યપદ મેળવી શકે. પણ કોઈએ પણ ફ્લેટ વેચવો હોય તો કોઈ લેખકને જ વેચવો પડે. અને એક જમાનામાં કેવા કેવા મહારથી લેખકો અહીં વસતા હતા! જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ-વિવેચક વિંદા કરંદિકર, મરાઠી ટૂંકી વાર્તાની દિશા અને દશા બદલી નાખનારા ગંગાધર ગાડગીળ, અનંત કાણેકર, હાસ્યકાર વ.પુ. કાળે, મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગના અધ્યક્ષો માધવરાવ અને ઉષા દેશમુખ, હિન્દી સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિને અજવાળનાર ધર્મવીર અને પુષ્પા ભારતી અને સત્યદેવ દુબે, પ્રખ્યાત મ્યુઝિકોલોજિસ્ટ અશોક રાનડે, વિવેચક અભ્યાસીઓ કે.જે. પુરોહિત, ધનંજય અને ગિરીજા કીર, શાંતા શેળકે, ય.દી. ફડકે, પ્રા. રમેશ તેંડુલકર. તેમના દીકરાએ જિંદગીની પહેલી બાઉન્ડ્રી મારેલી સાહિત્ય સહવાસની વચ્ચોવચ આવેલી ક્રિકેટ પીચ પર. એ દીકરો તે સચિન તેંડુલકર.

પણ હવે આજના લખાણના શબ્દોની બાઉન્ડ્રી આવી ગઈ છે. એટલે આ ‘કોલોની’ વિશેની વધુ વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 20 જુલાઈ 2024]

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર … (3) 

સુમન શાહ|Opinion - Literature|20 July 2024

સુમન શાહ

સાહિત્ય અને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર તેમ જ સંગીત – એ પાંચેય લલિત કલાઓ સર્જનનો વિષય છે.

જ્યારે, માનવઅનુભવો, વિચારસરણીઓ, ઇતિહાસો વગેરેની સાગમટે વાત કરનારાં વૃત્તાન્તો તર્ક અને તદનુસારી વિચારશક્તિનો વિષય છે.

વૃત્તાન્તો લિખિત હોય; વ્યવહારુ ધોરણે જિવાતાં હોય ત્યારે લિખિત ન પણ હોય, પ્રજાજીવનમાં રસબસ થઈ ગયાં હોય.

વૃતાન્તોને હવે ‘નૅરેટિવ’ કહેવાય છે કેમ કે એક વાર્તાની જેમ એમાં બધું નૅરેટ થયા કરતું હોય છે, વળી, એમાં ઉમેરા થયા કરતા હોય છે. પણ આ નૅરેટિવ્ઝને નૅરેટિવ લિટરેચર સમજવાની ભૂલ ન કરાય, કેમ કે એ વૃતાન્તો કોઈ એક મનુષ્ય વડે સરજાતાં નથી હોતાં, અનેક મનુષ્યો વડે, બસ, જિવાતાં હોય છે.

તેમ છતાં, વૃતાન્ત અને સર્જન એકબીજાને ક્યાં અડે-નડે છે, તેનો આધુનિક અને અનુ-આધુનિક સાહિત્યકલાઓ સાથે શો સમ્બન્ધ છે, એની વાત ક્યારેક કરીશ.

પણ એ પહેલાં સમજી લેવાની જરૂર છે કે ગ્રાન્ડ નૅરેટિવ શું છે અને લિટલ નૅરેટિવ શું છે.

ગ્રાન્ડ અને લિટલ નૅરેટિવ્ઝમાં ‘નૅરેટિવ’ -નો અર્થ છે, વૃત્તાન્ત. ગ્રાન્ડ, મહા વૃત્તાન્ત અને લિટલ, લઘુ વૃત્તાન્ત.

ગ્રાન્ડ નૅરેટિવના અર્થસંકેતની સીમા વિસ્તૃત હોય છે, એ ઘણી બધી, લગભગ સર્વવ્યાપી, સંજ્ઞા છે.

દાખલા તરીકે, વિજ્ઞાન અને ટૅક્નોલૉજિથી થયેલી માનવીય પ્રગતિનું મહા વૃતાન્ત.

દાખલા તરીકે, ઇતિહાસને વર્ગવિગ્રહ રૂપે ઓળખાવતું માર્ક્સવાદી દૃષ્ટિબિન્દુ.

ગ્રાન્ડ નૅરેટિવ્ઝ પાછળનો હેતુ છે, માનવ-અનુભવ, ઇતિહાસ કે જ્ઞાનનું શક્યતમ સ્પષ્ટીકરણ.

લિટલ નૅરેટિવના અર્થસંકેતની સીમા કેન્દ્રીકૃત – ફોકસ્ડ – અને વિશિષ્ટ હોય છે.

દાખલા તરીકે, કોઈ એક ઘટનાનું – જેમ કે, દેશના ભાગલાનું વૃતાન્ત.

દાખલા તરીકે, કોઈક ઐતિહાસિક વિશિષ્ટ યુદ્ધ કે સંગ્રામનો સિલસિલાબંધ ઇતિહાસ – જેમ કે, બીજા વિશ્વયુદ્ધનો સવીગત ઇતિહાસ; જેમ કે, ભારતીય સ્વાતન્ત્ર્ય સંગ્રામનો ઇતિહાસ.

લિટલ નૅરેટિવ્ઝ પાછળનો હેતુ છે, વિશિષ્ટ ઘટના કે અનુભવનું સ્પષ્ટીકરણ.

બન્ને વૃત્તાન્ત વચ્ચે ચાવીરૂપ જે ફર્ક છે, તે સ્કેલનો છે. ગ્રાન્ડ નૅરેટિવ્ઝ સાર્વત્રિક અને સર્વવ્યાપી બનવાની દિશામાં વિકસતાં હોય છે, જ્યારે લિટલ નૅરેટિવ્ઝ સ્થાનીય અને વિશિષ્ટ સંદર્ભોમાં વિકસતાં હોય છે.

ક્રમશ:
(20 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (14)

દીપક મહેતા|Opinion - Opinion|20 July 2024

૧૪

એ જમાનાના ગુજરાતના સાહિત્ય અને સંસ્કારો ઉપર રાસમાળાનો જે પ્રભાવ પડ્યો હતો તેનો ખ્યાલ આજના વાચકને આવવો મુશ્કેલ છે. ૧૮૫૬ સુધી ગુજરાતનો સર્વગ્રાહી ઇતિહાસ લખવાનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન થયો હતો. ન તો કોઈ અંગ્રેજ લેખકે આવો પ્રયત્ન કર્યો હતો, કે ન તો કોઈ સ્થાનિક અભ્યાસીએ આવો પ્રયત્ન કર્યો હતો. આજે આપણને રાસમાળામાં ઘણાં દોષો અને ઊણપો હોવાનું લાગે, પણ ગુજરાતનો ઇતિહાસ લખનાર ફાર્બસ પહેલા લેખક હતા, અને તે પણ મુખ્યત્વે સ્થાનિક સાધનોને આધારે. રાસમાળામાંથી પ્રેરણા લઈને ઘણા લેખકોએ ગુજરાતીમાં નવલકથા, વાર્તા, નાટક વગેરે લખ્યાં હતાં. મૂળ અંગ્રેજી પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેને એક સીમાચિહ્નરૂપ ગ્રંથ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. પણ તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો તે પછી તે વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શક્યું હતું. ‘કરણઘેલો’ (૧૮૬૬) નવલકથા લખતી વખતે નંદશંકર મહેતા રાસમાળાના પ્રભાવ તળે આવ્યા હતા. જો કે આવા પ્રભાવની વાત નંદશંકરે પોતે કરી નથી, પણ તેમના સમકાલીન મહીપતરામ નીલકંઠે કરી છે. મહીપતરામે પોતે લખેલી બે ઐતિહાસિક નવલકથા ‘સધરા જેસંગ’ (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) પર પડેલા ‘રાસમાળા’ના પ્રભાવની નિખાલસતાથી કબૂલાત ‘વનરાજ ચાવડો’ને અંતે મૂકેલા લખાણમાં કરી છે. તેઓ કહે છે : “એ.કે. ફાર્બસસાહેબે મનોરંજક રાસમાળા રચી પ્રસિદ્ધ કરી ત્યાર પહેલાં ગુર્જર રાજ્યનો ઇતિહાસ વાંચવામાં આવતો નહિ … ભાટ લોક એ રાજાઓને છેક ભૂલી ગયા ન હતા, પણ આપણા કવિઓએ કશી તજવીજ કરેલી જણાતી નથી. અંતે ગુજરાતના મિત્ર ફાર્બસસાહેબે આપણા જૂના આર્ય, આપણા સ્વદેશી, સ્વજાતી રાજપૂત રાજ્યની ખોળ કરી આપણા ઉપર મોટો ઉપકાર કર્યો. આ ભલા વિદ્વાને આપણા દેશનું ધન ખોદી કાઢી ગુર્જરોને વાપરવા આપ્યું. કરણઘેલાના અને વીરમતી નાટકના કર્તાઓએ એમાંથી થોડું દ્રવ્ય લઈને તેમાં પોતાની કલ્પનામાંથી ઉમેરો કરી રસિક ગ્રંથો રચ્યા. આ પુસ્તકમાં પણ એમ કર્યું છે … ભૂવડ, જયશિખર, સુરપાળ, રૂપસુંદરી, વનરાજ, શીલગુણસુરી, વગેરે સંબંધી રાસમાળામાં છે તે લીધું છે, અને બાકીનું સઘળું કલ્પેલું છે.”

ફાર્બસની ‘રાસમાળા‘થી પ્રભાવિત બે નવલકથાકારો : નંદશંકર મહેતા અને મહીપતરામ નીલકંઠ 

ઓગણીસમી સદીમાં પ્રગટ થયેલી બીજી કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પર પણ વધતે ઓછે અંશે રાસમાળાનો પ્રભાવ જોવા મળે છે. આવી કેટલીક નવલકથા : રાજપૂત વીરરસ કથા (૧૮૭૮) લે. રુસ્તમ ઈરાની, રાણકદેવી (૧૮૭૮) લે. અનંતપ્રસાદ વૈષ્ણવ, શૂરવીર જયમલ (૧૮૮૭) લે. નારાયણ બારથી ગોસાઈ,  જયદેવ પરમાર (૧૮૯૩) લે. હરિવલ્લભદાસ ભાઈદાસ, સોરઠી સોમનાથ (૧૮૯૩) લે. ભવાનીશંકર કવિ, યશસ્વી ખતરી પુત્ર જગદેવ પરમાર (૧૮૯૫) લે. મહાશંકર ભટ્ટ, મહારાજા રાવ નવઘણ (૧૮૯૭) લે. અમૃતલાલ વકીલ અને ડાહ્યાભાઈ દવે, સોમનાથની પવિત્ર મૂર્તિ (૧૮૯૮) લે. જીજીભાઈ કાપડિયા, અને સિદ્ધપુરની રાજકુમારી (૧૯૦૦) લે. રામચંદ્ર બલવન્તરાય. ઓગણીસમી સદીના અંત સુધીમાં તો ઐતિહાસિક નવલકથા એ લેખક-પ્રિય તેમ જ વાચક પ્રિય સાહિત્ય પ્રકાર બની ગયો. ઓગણીસમી સદીમાં આ બધી નવલકથાઓએ જે પાયો નાખ્યો તેના પર કનૈયાલાલ મુનશીએ પોતાની ઐતિહાસિક નવલકથાઓની ભવ્ય અને સમૃદ્ધ ઈમારત રચી. ‘વિરમતી’ નાટકના લેખક નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ પણ નિખાલસતાથી કહ્યું છે કે તેમનું નાટક રાસમાળામાંની જગદેવ પરમારની કથા પર આધારિત છે. 

જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના જે અંક (JBBA No. XXIII)માં ફાર્બસને અપાયેલી અંજલિઓ પ્રગટ થઇ હતી તે જ અંકમાં ફાર્બસનો Puttun Somnath (પાટણ સોમનાથ) નામનો ઠીક ઠીક લાંબો લેખ પણ પ્રગટ થયો હતો. અગાઉ ૧૮૬૪ના એપ્રિલની ૧૪મી તારીખે ફાર્બસે આ લેખ સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. સોમનાથ પાટણની મુલાકાત દરમ્યાન ફાર્બસે પોતે લીધેલા કેટલાક ફોટા પણ લેખને અંતે મૂકવામાં આવ્યા છે. પોતે પાટણની મુલાકાત દરમ્યાન મંદિર અને તેની આસપાસના પરિસરનો અભ્યાસ કર્યો હતો અને પછીથી તેને આધારે આ લેખ લખ્યો હતો. તેઓ કહે છે :

“થોડા વખત પહેલાં આ સ્થળની મુલાકાત લેવાની મને તક મળી હતી. અલબત્ત, તેના નિરીક્ષણ માટે હું પૂરતો સમય મેળવી શક્યો નહોતો, કારણ ડુંગરોમાંના (વાઘેરોના) બળવાને કારણે અને તળેટીમાંના (રાજાઓના) કાવાદાવાને કારણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને નિરાંતનો ઝાઝો વખત મળે તેમ નહોતું. છતાં મારા બે પુરોગામીઓ (ટોડ અને કિટ્ટો)એ ત્યાંના સ્થાપત્યનો જેટલો અભ્યાસ કર્યો હતો તેના કરતાં વધુ અભ્યાસ હું કરી શક્યો હતો. આથી તેમણે જે કહ્યું છે તેમાં હું ભલે થોડો, પણ ઉમેરો કરી શકું એમ છું એમ કહું તો તેને આપવડાઈમાં નહિ ખપાવવામાં આવે એવી આશા રાખું છું.”૩૧     

સોમનાથના મંદિરનો ફાર્બસે લીધેલો ફોટો

લેખની શરૂઆતમાં ફાર્બસ મંદિરની આસપાસના પરિસરનું વર્ણન કરે છે. પાટણ શહેર અને વેરાવળ બંદર પોતે જેવાં જોયાં તેવાં તેમણે વર્ણવ્યાં છે. સોમનાથ પાટણને તેમણે ખંડેરો અને કબરોના શહેર તરીકે ઓળખાવ્યું છે. શહેરને વિંટળાઈને રહેલા કિલ્લાનું પણ તેમણે વર્ણન કર્યું છે. (આજે એ કિલ્લો હયાત નથી.) ત્યાર બાદ તેમણે સોમનાથના મંદિરનું વિગતવાર વર્ણન આપ્યું છે. આ વર્ણન વધુ મહત્ત્વનું એટલે બની રહે છે કે આજે એ મંદિર રહ્યું નથી. ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો તે પછી જે નવું મંદિર બંધાયું તેને માટે જગ્યા કરવા એ જૂના મંદિરને તોડી પાડવામાં આવેલું. હિંદુ તેમ જ મુસ્લિમ શિલ્પ-સ્થાપત્યની પરંપરા દર્શાવી તેના પ્રકાશમાં એ મંદિરને જોયા પછી ફાર્બસ આવા તારણ પર આવે છે : 

“આજે ખંડેર રૂપે આ જે મંદિર હયાત છે તેની મહંમદે મુલાકાત લીધી હોય તે સંભવિત નથી. એ મંદિર અહીંના સ્થાનિક લોકો જે જગ્યાને હીરા કોટ તરીકે ઓળખે છે તે જગ્યાએ હોય એવો સંભવ વધુ છે. જો કે મને એ જગ્યા જોવાની તક મળી નહોતી.”૩૨  

મંદિરના સ્થાપત્યની પણ ફાર્બસે વિગતવાર ચર્ચા કરી છે અને તેને આધારે પોતાના કેટલાક પુરોગામીઓના તારણોનું તેમણે ખંડન કર્યું છે. ફાર્બસ કહે છે : 

“ગુજરાતમાંની હિંદુ કલાના સુવર્ણયુગ સમાન સોલંકી વંશના સમયનું આ મંદિર છે એમાં શક નથી. તેમાંનાં સુશોભનો સમૃદ્ધ તેમ જ નાજુક છે. અગાઉના સ્થાપત્યના નમૂનાઓની સાદાઈ અહીં જોવા મળતી નથી. તેમ જ આ શૈલીની અવદશા થઇ તે વખતે જે ખરબચડાપણું પ્રવેશ્યું હતું તે પણ અહીં જોવા મળતું નથી.”૩૩  

આબુ અને કુંભારિયાનાં મંદિરોની મુલાકાત લઈને અને તેના ફોટા લઈને તેની સાથે સોમનાથના મંદિરના સ્થાપત્યની તુલના કરવાની ફાર્બસ હિમાયત કરે છે. તેવી જ રીતે સિદ્ધપુર, મોઢેરા, ડભોઇ વગેરેમાં જોવા મળતી ઇમારતો સાથે પણ આ મંદિરની તુલના કરવી જોઈએ એમ ફાર્બસ કહે છે. અંતે ફાર્બસ કહે છે : 

“સુલતાન મહંમદે જે મંદિર ભાંગ્યું હતું તે આ મંદિર નથી. પણ એ મંદિર ભાંગ્યા પછી ભીમદેવ પહેલાએ જે મંદિર બંધાવ્યું હતું તે આ મંદિર. પાછળથી સુલતાન મુઝફ્ફર પહેલાએ આ મંદિર ભાંગ્યુ હતું.”૩૪ 

આ લેખ જેટલો મહત્ત્વનો છે તેટલા જ મહત્ત્વના તેને અંતે છપાયેલા આઠ ફોટા પણ છે. આ બધા ફોટા ફાર્બસે મુલાકાત દરમ્યાન લીધા હતા. પછીથી તોડી પડાયેલા એ મંદિરના બહુ ઓછા ફોટા આજે ઉપલબ્ધ છે તેથી આ આઠ ફોટા સવિશેષ મહત્ત્વના બની રહે છે. અહીં તેમાંનો એક ફોટો મૂક્યો છે.

(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com

Loading

...102030...493494495496...500510520...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved