Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક પિતાના માનસિક સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે?  

સોનલ પરીખ|Opinion - Opinion|9 August 2025

આધુનિક પિતાઓ, પિતૃત્વની જૂની–પ્રચલિત ફરજોથી ક્યાં ય આગળ નીકળી ગયા છે. એમને ઘર અને બાળકોનાં અનેક કામોમાં તો જોડાવાનું થાય જ છે; સાથે ઘર–વાહનનું મેઈન્ટેનન્સ અને પોતાનાં વ્યાવસાયિક કાર્યક્ષેત્રને પણ ન્યાય આપવાનો હોય છે. કમાતી અને ઘર અને બાળકોને સંભાળી લેતી સ્ત્રીની મલ્ટિટાસ્કિંગની અખૂટ શક્તિ એમને હવે સમજાય છે, પણ તેનાથી તેમનું સ્ટ્રેસ ઓછું નથી થતું. આધુનિક પિતાઓનાં કથળી રહેલા માનસિક સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે? 

સોનલ પરીખ

પરિણીત દીકરા-દીકરીને ત્યાં જતાંઆવતાં દીપ્તિબહેન જોતાં કે બન્ને ઘરમાં, સવારે ઊઠીને તરત પતિપત્ની કામે લાગી જાય છે. ઘરની સફાઈ, રસોઈ, ડબ્બાઓ ભરવાનું પતાવ્યા પછી બાળકને ઊઠાડે છે. એને બ્રશ કરાવવું, પોટી સાફ કરવી, ખવડાવવું, નવડાવવું, સ્કૂલ જવા માટે તૈયાર કરવું, એનાં દફતર-લંચબૉક્સ-પાણીની બૉટલ તૈયાર કરવાં અને સ્કૂલે મૂકવા જવું – આ બધી જવાબદારીઓ પણ પતિ-પત્ની વચ્ચે વહેંચાયેલી છે. 

સાંજે પણ આ જ ક્રમ. રોજ પતિ-પત્ની બન્ને નક્કી કરેલું પોતપોતાના હિસ્સાનું કામ પતાવે જ. જો બેમાંથી એક એમ ન કરી શકે કે કશું ચુકાઈ જાય તો નાનાં છમકલાં થઈ જાય. શનિરવિમાં આરામ, આઉટિંગ કે મનોરંજન સાથે ઘર કે ઑફિસનાં વધારાનાં કામો પતાવવાનાં હોય એમાં પણ બન્નેની ભાગીદારી. દીપ્તિબહેન મદદ કરવાની કોશિશ કરે, તો બન્ને જગ્યાએ દંપતી – ખાસ કરીને સ્ત્રી એટલે કે દીકરી કે વહુ એમને દખલ ન દેવાનું કહી દે – ‘થેંક્યુ, મમ્મી. પણ તમે ચાલ્યા જશો પછી અમારે ફરીથી બધું ગોઠવવું પડશે. તમે આરામ કરો.’ 

સોફા પર બેસી રહીને ઘરમાં ચાલતી દોડધામ નીરખતાં દીપ્તિબહેન જોતાં કે બન્ને ઘરના યુવાન પુરુષો એટલે કે દીકરો અને જમાઈ ઘરકામ, બાળક, ખરીદી અને ઑફિસની વચ્ચે સારા એવા ખેંચાયેલા રહે છે. એમને ચિંતા થતી કે આમાં પતિપત્નીના સંબંધો કે માનસિક નરવાઈ પર અસર નહીં થતી હોય – પણ એ સમજદાર હતાં, કશું બોલતાં નહીં – આ નવી પેઢી સાથે ચર્ચા કરાય નહીં. કોઈ સાંભળે પણ નહીં, માને પણ નહીં.

નાનાં શહેરો કે ગામોમાં ઘરમાં વડીલો હોય છે અથવા ગૃહિણી પત્ની ઘર-બાળકનો મોરચો સંભાળી લેતી હોય છે. પણ આપણાં મોટાં શહેરોમાં પિતાનો રોલ અને એના પડકારો વધારે મુશ્કેલ બની ગયાં છે. યુરોપ કે અમેરિકાના યુવાન પિતાઓ એકી અવાજે કહે છે કે એક કે બે નાનાં બાળકની સંભાળ સાથે ઘરકામ અને વ્યાવસાયિક કામો રોજ સંભાળવામાં ખૂબ શ્રમ અને માનસિક તાણનો સામનો કરવો પડે છે. પોતાના માટે સમય ત્યારે જ મળે છે જ્યારે ઘરના બધા સભ્યો સૂઈ ગયા હોય – એટલે કે મોડી રાત્રે અથવા વહેલી સવારે. ઘર અને પત્ની-બાળકો માટે મહેનત કરવી નથી ગમતી એવું નથી, પણ એમાં ખૂબ ખર્ચાવું પડે છે એ પણ હકીકત છે. ત્યાં તો નવા બનેલા પિતાઓનાં મંડળો બન્યાં છે જે એકબીજાને હિંમત આપે, સ્ટ્રેસ મેનેજ કરવાના નવા આઈડિયાઝ આપે. 

માનસિક સ્વાસ્થ્ય એ આજકાલ દરેકની ચિંતા અને નિસબતનો વિષય બની ગયો છે, પછી એ ઘર હોય કે વ્યવસાય-સ્થળ. છતાં એક મોટું, અંદર અંદર ખળભળી રહેલું ક્ષેત્ર માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતોના ધ્યાન બહાર છે કે પછી થોડું ઉપેક્ષિત રહી ગયું છે અને એ છે આધુનિક યુવાન પિતાઓનું માનસિક સ્વાસ્થ્ય. આજે વધુ ને વધુ યુવાનો બાળઉછેરને લગતાં રોજનાં નાનાંમોટાં કામોમાં સક્રિય થતા જાય છે. એક સંશોધન મુજબ શહેરોમાં રહેતા 80 ટકાથી વધુ યુવાનો ઘર અને બાળકોને લગતાં કામોમાં થોડા કે વધુ કે પૂરેપૂરા જોડાયેલા છે. આગલી પેઢીઓમાં પિતાની જે ભૂમિકા હતી તે ઝડપથી બદલાતી જાય છે. નાનાં શહેરોમાં અને પત્ની ગૃહિણી હોય ત્યાં પણ ઘરકામ અને બાળઉછેર માત્ર સ્ત્રીઓનાં ક્ષેત્ર નથી રહ્યાં. પતિપત્ની બન્ને ઘરકામ અને બાળકોનો ઉછેર સાથે મળીને કરતાં હોય એવાં દૃશ્યો ઓછાવત્તા પ્રમાણમાં બધે જ દેખાય છે. 

પુરુષના માનસિક આરોગ્ય પર અને વ્યાવસાયિક કાર્યક્ષમતા પર આ પરિવર્તનની અસર દેખાવા લાગી છે, કેમ કે વ્યવસાયના સ્થળે ઘરમાં આવ્યો છે એટલી ઝડપથી બદલાવ આવ્યો નથી. સંશોધનો કહે છે કે 45 ટકા યુવાનોની કાર્યક્ષમતા, ઘર-ઑફિસના બેવડાં કામોને લીધે જોખમમાં મુકાઈ છે. સામે 23 ટકા યુવાનો એવા પણ છે જે કહે છે કે ઘર-ઑફિસ બન્ને જગ્યાએ સક્રિય રહેવાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધર્યું છે. 

સ્ત્રી હોય કે પુરુષ – તરુણાવસ્થામાં થતાં શારીરિક અને માનસિક પરિવર્તનો પછીનું સૌથી મોટું પરિવર્તન તે બાળકની પ્રાપ્તિ પછી આવતું પરિવર્તન છે. મોટા ભાગના આરોગ્યનિષ્ણાતો બાળકના જન્મ પછી માતાના શરીર-મન પર શી અસરો પડે છે તેનો અભ્યાસ કરે છે, સંશોધન કરે છે, માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડે છે. પણ આધુનિક પિતાને પણ મદદની જરૂર છે એવું બહુ ઓછા નિષ્ણાતોએ વિચાર્યું છે. 

બાળજન્મ સાથે પુરુષના શરીરમાં હોર્મોન્સને લગતા ફેરફારો થાય છે એવું કોઈ કહે તો માનવામાં ન આવે, પણ સંશોધનો કહે છે કે બાળજન્મના થોડા મહિના અગાઉ પુરુષના શરીરમાં ટેસ્ટોટેરોન હોર્મોનનો સ્રાવ ઓછો થાય છે અને પ્રોલેક્ટિન, વેસોપ્રેસિન અને અન્ય હૉર્મોન વધારે સક્રિય થાય છે, જેનાથી પુરુષનું મગજ પિતૃત્વ માટે ‘રિ-રાઈટ’ થાય છે. ઉપરાંત, બાળકના જન્મ પછીના એક વર્ષમાં હૉર્મોન ફેરફારોથી મગજનો એક આખો હિસ્સો વિકસે છે જેનાથી પુરુષ વધારે સંવેદનશીલ, અન્યની જરૂરિયાત પ્રત્યે વધારે નિસબત ધરાવનારો અને લાગણીભર્યા સંબંધો બાંધવા વધુ સક્ષમ બને છે. 

આધુનિક પિતાઓ, પિતૃત્વ અને પુરુષત્વની જૂની-પ્રચલિત ફરજોથી ક્યાં ય આગળ નીકળી ગયા છે. એમને કપડાં ધોવાં, ઘર સાફ કરવું, બાળકોને સાફ રાખવાં, ડાયપર-લંગોટ બદલવા, રસોઈ, રસોડા માટેની ખરીદી, બાળકોને રમાડવાં-હોમવર્ક કરાવવું એવાં અનેક કામોમાં તો જોડાવાનું થાય જ છે, સાથે ઘર-વાહનનું મેઈન્ટેનન્સ અને પોતાનાં વ્યાવસાયિક કાર્યક્ષેત્રને પણ ન્યાય આપવાનો હોય છે. તેઓ નવાઈ પણ પામે છે કે અત્યાર સુધી સ્ત્રીઓ કમાતી હોય તો પણ ઘર અને બાળકોને પોતે જ સંભાળી લેતી હતી, એ કેવી રીતે શક્ય બન્યું હશે? આ બધામાં કેવું મલ્ટિટાસ્કિંગ ને કેવી અખૂટ શક્તિ જોઈએ તે એમને હવે સમજાય છે, પણ તેનાથી તેમનું સ્ટ્રેસ ઓછું નથી થતું. 

હકીકત એ છે કે આધુનિક પિતાઓનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે અને તેની ઉપેક્ષા થઈ રહી છે. તેની અસર સંબંધો પર, કારકિર્દી પર, પારિવારિક સ્થિરતા પર પડે છે. માનસિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા પિતાઓ પાસે ઉછરેલાં બાળકોમાં પોતાની લાગણીઓ, સંવેગો અને વર્તનને ‘મેનેજ’ કરવાની ક્ષમતા ઓછી હોય છે એ પુરવાર થઈ ચૂક્યું છે એટલે છેવટે સામાજિક સ્વાસ્થ્ય સુધી વાત પહોંચે છે. 

એટલે હવે પિતાઓએ પોતે, એમની પત્નીઓએ અને નિષ્ણાતોએ બધાએ આ સ્થિતિને હાથમાં લેવાનો સમય આવી ગયો છે. નવી ફરજોમાંથી એમને મુક્ત કરી દેવા એ તો શક્ય જ નથી, યોગ્ય પણ નથી. પુરુષત્વના પુરાણા ખ્યાલોમાંથી હવે બહાર આવવું જોઈશે. ઉછરતી વયમાં જ છોકરાઓને શીખવાય છે કે તેણે પરિસ્થિતિ પર શાસન કરવાનું છે અને લાગણીઓ વ્યક્ત કરવી એ નિર્બળતાની નિશાની છે. યુવાન પિતામાં પણ આ ગ્રંથિ છે જ. તે પોતાની લાગણીઓ વિષે સ્પષ્ટ થતાં, તેને મેનેજ કરવામાં મુશ્કેલી અનુભવે છે અને તેને વ્યક્ત કરતા અચકાય છે. ‘મારે મદદની જરૂર છે’ એવું તે નથી પત્નીને કહી શકતો, નથી ડૉક્ટરને કહી શકતો. એક યુવાન પિતાએ બીજા યુવાન પિતાઓ માટે મૂકેલો સંદેશ યાદ રાખવા જેવો છે: ‘તમારામાં, તમારા હાથમાં ઉછરતી ભાવિ પેઢીમાં મહાન પરિવર્તનો કરવાની ક્ષમતા છે. તમે આજે જે પણ પૉઝિટિવ કે નેગેટિવ નિર્ણય લેશો, તે પરથી તમારા સંતાનો તમને મૂલવશે – તો ઉદાહરણરૂપ બનો. મદદની જરૂર હોય તો કહો. લાગણીઓની ઉપેક્ષા ન કરો. આમ કરવાથી તમારા પુરુષત્વ પર કોઈ આંચ આવવાની નથી.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 જુલાઈ  2025

Loading

મત ચોરી શા માટે જરૂરી છે?

રમેશ સવાણી|Opinion - Opinion|9 August 2025

હેમન્તકુમાર શાહ

તમે મત ચોરી કહો છો, અમે તેને ભગવાન દ્વારા બનાવેલ શાસન કહીએ છીએ. જુઓ, જરા વિચારો :

[1] ભગવાન રામનું મંદિર અડધું બંધાયેલું છે. તમે દર્શન કરો અને આશીર્વાદ મેળવો. મત ચોરીની ચિંતા કરશો નહીં.

[2] તમને યાદ છે? રાત્રે લગભગ 2:30 વાગ્યે, ઉત્તર પ્રદેશ પોલીસે એક પીડિત યુવતીના શરીરને બાળી નાખ્યું. તમે મત ચોરીની ચિંતા કેમ કરો છો? આ માટે, મત ચોરી કરવી પડે છે, ખરું ને?

[3] જુઓ, બધા મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ખૂબ ડરાવી દીધા છે. શું તેઓ બધા ચૂપ છે કે નહીં? એટલે અમે મત ચોરીએ છીએ !

[4] જુઓ, ભાગ્યે જ કોઈને સરઘસ કાઢવા દેવાય છે, ધરણા પર બેસવા દેતા નથી. ખેડૂતોને માર મારી ભગાડ્યા કે નહીં? શું લગભગ 750 ખેડૂતોના જીવ લીધા કે નહીં? જો અમે મત ચોરી ન કરી હોત તો આ કેવી રીતે શક્ય બન્યું હોત?

[5] જુઓ, આજકાલ કોર્ટો મોટાભાગે અમે જે કહીએ છીએ તેના આધારે ન્યાય આપે છે. અમે જ સાચા ભારતીય છીએ. આને હિન્દુ રાષ્ટ્ર કહેવાય છે. સમજો, તમે કેમ નથી સમજતા? એટલા માટે અમારે મત ચોરી કરવી પડી છે.

[6] અને હા, આપણે મીડિયાને કેવી રીતે આપણા ખોળામાં રાખ્યું છે! ઘણા અખબારોએ આજે મત ચોરીનો મામલો પણ પ્રકાશિત કર્યો નથી. અને જો તેઓએ કર્યું હોય તો પણ, તેઓએ તેને મહત્ત્વ આપ્યું નથી. તમે થોડું સમજો, અમે મીડિયાને અમારા ખિસ્સામાં રાખ્યું છે. તે હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં ઘણી મદદ કરી રહ્યું છે.

[7] અને જુઓ, ચીને અરુણાચલ પ્રદેશ કે લદ્દાખમાં શું કર્યું છે તે વિશે વિચારશો નહીં. તમે ઓપરેશન સિંદૂરની ઉજવણી કરો. આપણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું તેની ચિંતા અમે કરીએ છીએ, તમે ન કરો. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેના ભાઈઓ સાથે લડવાનું કહ્યું હતું. આપણે સમજીએ છીએ કે પાકિસ્તાનમાં આપણા કોઈ સગાં નથી. એટલે અમે વધુ યુદ્ધો કેવી રીતે કરી શકીએ? 

[8] મત શું છે? લોકો જે વિપક્ષી સભ્યોને મત આપે તેમને જ અમે છડેચોક ચોરી લઈએ છીએ ! આને ચોરી ન કહેવાય. તમે સમજો. આને ચાણક્ય નીતિ અને વિદુર નીતિ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્દ ગીતામાં આપણને આ ઉપદેશ આપેલ છે. 

[9] આજકાલ, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસરો ફક્ત સરકારી ગીતો ગાય છે. જો આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગતા હોઈએ તો આવું જ થવું જોઈએ. મત ચોરી આ માટે કરવામાં આવી છે, જેથી શિક્ષકોને યોગ્ય શિક્ષણ અમે આપી શકીએ. 

[10] તમે ગણતરી પણ કરી શકતા નથી કે અમે હિન્દુ રાષ્ટ્રના કેટલા ય વિરોધીઓને જેલમાં મોકલ્યા છે. મત ચોરી એટલા માટે કરવી પડી કે આવા દેશદ્રોહી લોકોને અમારે મારવા હતા અથવા જેલમાં ધકેલવા હતા. કાયદો એ લોકો માટે છે. અમે તો સારા હિન્દુ છીએ, તેથી જ અમે સાચા ભારતીય છીએ, અમે જ દેવદૂત છીએ.

[11] અમે આટલા બધા દેશોની મુલાકાત કેમ લીધી, અમે દિવસમાં 18 કલાક કેમ કામ કરીએ છીએ, અમે ફક્ત મન કી બાત કેમ કરીએ છીએ, તમારા મન કી બાત અમે કેમ સાંભળતા નથી? આ બધું ફક્ત હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે કરવામાં આવ્યું છે. મત ચોરી તેથી જરૂરી છે. જો તે ન કર્યું હોત, તો અમે આ બધાં પવિત્ર કાર્યો કેવી રીતે કરી શક્યા હોત? 1925થી સો વર્ષ સુધી અમે જે ધર્મ યજ્ઞ કર્યા છે તેમાં, આ મત ચોરી ખૂબ જ નાની બાબત છે !

જુઓ, સારા હેતુ માટે, સાધન શુદ્ધ હોવા જોઈએ તેવું મહાત્મા ગાંધી માનતા હતા. અમે નથી માનતા. તેઓ એક હોશિયાર વાણિયા હતા, અમે નથી. તેઓ હોશિયાર હતા પણ પાગલ હતા. તેથી જ આપણે નાથુરામ ગોડસે અને તેમના ગુરુ, માફી વીર વિનાયક સાવરકરની પૂજા કરીએ છીએ.

અમે ધર્મોક્રસીમાં માનીએ છીએ, ડેમોક્રસી જાય નરકમાં ! જો ધર્મોક્રસી હશે તો જ હિન્દુ રાષ્ટ્ર બનશે, અને આપણે વિશ્વગુરુ બનીશું.

મત ચોરી દેખાડનારા અને જોનારા બંને દેશદ્રોહી છે, અર્બન નક્સલ છે. અને હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ ચોરીમાં અમારી સાથે છે, તે આ રીતે હિન્દુ રાષ્ટ્ર બનાવવા સંપૂર્ણ સમર્થન કરે છે. તમે શું ઉખાડી લેભ? સેના અને પોલીસ અમારી પાસે છે, અને અદાણી જેવા ધનવાન લોકો પણ અમારી સાથે છે. મત ચોરી કરીને અમે જે હેતુ પ્રાપ્ત કરી રહ્યા છીએ તે છે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના. અમારી આ જ વિભાવના છે.

જુઓ, ચૂંટણી હોય, તો મત ચોરી કરવી એ અમારી ધાર્મિક ફરજ છે. બંધારણ જ ખોટું બનાવવામાં આવ્યું છે. તેમાં ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જો તે ન થયું હોત, તો અમારે મત ચોરી કરવી જ ન પડત. અમને તક મળશે, તો બંધારણમાંથી ચૂંટણીઓ કાઢીને રાજાશાહી લાવીશું. શક્ય તેટલી મત ચોરી કરવાની અમને તક આપો. પછી જુઓ કે રાજા તરીકે અમે તમારા માટે શું કરીએ છીએ?

જુઓ, આ મત ચોરીથી બનનાર હિન્દુ રાષ્ટ્રની વિરુદ્ધ જે કોઈ આવશે, અમે તેમને ED, CBI, આવકવેરા, પોલીસ, સેના, UAPA હેઠળ સાફ કરીશું. શું જેલમાં જવું છે? અને ત્યાં મરવું છે?  બોલો, ભારત માતા કી http://xn--7dc2b.rs/ 

[સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ, 8 ઓગસ્ટ, ક્રાંતિ દિવસ, 2025]
08 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
મૂળ અંગ્રેજી લખાણ :

https://www.facebook.com/profile.php?id=100008214734262

Loading

ઇલા કાવ્યો : ભગિનીપ્રેમનું ઉપનિષદ 

દીપક મહેતા|Opinion - Literature|9 August 2025

ગ્રંથયાત્રા – 8

ઇલા! સ્મરે છે અહીં એક વેળા

આ ચોતરે આપણ બે રમેલાં;

દાદાજી વાતો કરતા નિરાંતે,

વહેલા જમીને અહીં રોજ રાતે.

આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! … પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”

અહી ‘સ્મારક’ શબ્દ નોંધ્યો? ભાઈ-બહેનના સંબંધનાં કાવ્યો ઇલા કાવ્યોમાં છે, પણ તેમાંનાં ઘણાખરાં બહેનના અવસાન પછી લખાયેલાં છે. એટલે વિશાદ, અવસાદ એ આ કાવ્યોનો મુખ્ય સૂર છે. કવિ ભૂતકાળનાં સ્મરણો વાગોળે છે તેમાં આનંદ-ઉલ્લાસ, મજાક-મશ્કરી, રિસામણાં-મનામણાં એ બધું છે જરૂર, પણ છેવટે સંભળાય છે તે તો કવિનો દઝાડતો નિઃશ્વાસ – તે હિ નો દિવસાઃ ગતાઃ. સંગ્રહનું પહેલું કાવ્ય છે ‘અર્પણ.’ તેની પહેલી બે પંક્તિઓ જુઓ :

પ્રિયમ્ – અહહ! નામ એ ન ઉચ્ચરાય હાવાં પૂરું,

અને હૃદયમાં ભર્યું પૂરણ, ઓસરે ના જરી.

પહેલી પંક્તિમાં બહેનનું નામ પણ પૂરું નથી ઉચ્ચારી શકતા કવિ, નામ બોલતાં ગળે ડૂમો બાઝે છે, કંઠ રૂંધાય છે. હૈયે તો સદાનું જડાયેલું છે એ નામ, પણ હોઠે નથી લાવી શકતા કવિ. પણ પોતાના શોક પર કાબૂ મેળવી શ્લોકની રચના ન કરી શકે તો એ કવિ શાનો? ચૌદ પંક્તિના સોનેટની છેલ્લી પંક્તિ સુધી પહોંચતાંમાં કવિ જાત પર અંકુશ મેળવી લે છે, અને કહે છે : ‘છો તૂટે ઉર પ્રિયંવદા! ઓ ઇલા!’ 

ચન્દ્રવદન મહેતાનો જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ‘ઇલા કાવ્યો’ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં. એટલે કે એ વખતે કવિની ઉંમર માંડ બત્રીસ વર્ષની. અને બહેનનું અવસાન તો તે પહેલાં થઈ ચૂક્યું છે. એટલે અહીં જે કાવ્યો સંગ્રહાયાં છે તેમાંનાં ઘણાંમાં કિશોર અવસ્થાના ભાવ, પ્રસંગ, વિચાર, તરંગ જોવા મળે છે. ‘દેવબાલ’ નામના કાવ્યમાં કવિ કહે છે :

ઇલા! કદિ હોત હું દેવબાલ!

તારા ભરી આપત એક થાળ,

એના વડે કૂકડી દાવ સાથે 

બંને રમ્યાં હોત અહો નિરાંતે.

આવું, સપના જેવું, બાળપણ શું વીતી જશે? શું ક્યારેક મૃત્યુ પણ સામે આવીને ઊભું રહેશે? ‘ઓળખ’ નામના કાવ્યના આરંભે કવિ કહે છે :

કેવો મજેનો સુખી બાલ્યકાળ!

આ મસ્તી, તોફાન, જવું નિશાળ;

ઇલા! થશે શું અતિ દિવ્ય એવું 

નિર્દોષ આ જીવન સ્વપ્ન જેવું?

અહીં મોટા ભાગનાં કાવ્યો ભાઈની બહેનને સંબોધીને થતી વાત રૂપે રજૂ થયાં છે, પણ ક્યારેક બહેનની ઉક્તિ રૂપે પણ જોવા મળે છે. જેમ કે :

આજે મને એક થઈ છ હોંશ,

તે ભાઈ તારો નકી જોઉં જોશ;

જન્મોત્રી તારી અહીં લાવ વારુ,

એમાં ગણીને કહું ભાવી તારું.

‘જન્મોત્રી’ નામના આ કાવ્યમાં પછી તો બહેન મજાકમાં આમ પણ કહે છે :

એથી મને જો કંઈ દાન થાય,

તો નક્કી આજે ગ્રહ શાંતિ થાય.

ગાંધી યુગના આપણા બે કવિઓ સુન્દરમ (૧૯૦૮) અને ઉમાશંકર (જન્મ ૧૯૧૧) કરતાં ઉંમરમાં અને કાવ્ય લેખનની બાબતમાં પણ ચંદ્રવદન થોડાક આગળ. સુન્દરમને જ સહજ એવી નિખાલસતાથી તેમણે તેમના શકવર્તી ગણાયેલા ગ્રંથ ‘અર્વાચીન કવિતા’માં કહ્યું છે : “જ્યારે ચંદ્રવદન મહેતાએ ‘યમલ’માં પૃથ્વી છંદનો ચોટદાર પ્રયોગ કર્યો ત્યારે સુંદરમને એ છંદનું જ્ઞાન ન હતું, અને સુન્દરમે જ્યારે ઠીક ઠીક કાબૂથી એ છંદ વાપરવા માંડ્યો ત્યારે ઉમાશંકર જોશી એ ‘પ્રભુત્ત્વ’થી આશ્ચર્ય મુગ્ધ થઈને પોતાની એવા છંદ લખવાની અશક્તિથી દિલગીર થયા હતા.” અલબત્ત, પછીથી કવિતા નહિ પણ નાટક એ ચંદ્રવદનભાઈ માટે અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ બની રહ્યું. 

ગાંધી યુગના આપણા બે લેખકો પૂરેપૂરા આખાબોલા અને કડવાબોલા. તેને કારણે વિવેચકો અને અભ્યાસીઓ તરફથી તેમને ખાસ્સું વેઠવું પડ્યું. તેમાંના એક ચંદ્રવદન અને બીજા મનસુખલાલ ઝવેરી. એટલે ઇલા કાવ્યોને માથે પણ કેટલાકે પસ્તાળ પાડેલી. કોઈ કહે કે આ ઇલા સાચી છે કે ખોટી? કોઈ પૂછે કે ઇલા એક છે કે એક કરતાં વધારે? કોઈએ તો ત્યાં સુધી પણ કહી નાખ્યું કે આ કાવ્યોમાં ભાઈ-બહેનના પ્રેમની નહિ, સ્ત્રી-પુરુષના પ્રેમની ગંધ આવે છે. સંગ્રહની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈએ લખ્યું હતું : “ઇલા કલ્પિત નથી; જીવંત વ્યક્તિ છે. ઘણાના જીવનમાં ઘણી વ્યક્તિઓ વણાએલી હોય છે, એમ એ મારા જીવનમાં વણાએલી છે. વળી ઇલા એક નથી, ત્રણ છે. ત્રણમાંની બે મને મૂકીને ચાલી ગઈ.” છતાં, કવિની વાત માને તો એ વિવેચક શાના? જે ત્રણ વ્યક્તિઓને એકરૂપ કરીને કવિએ ‘ઇલા’ નામ આપ્યું છે તે ત્રણે વ્યક્તિઓને અંગત રીતે ઓળખનાર એક વયોવૃદ્ધ સાક્ષરે જાહેરમાં લખ્યું કે ઇલા કાલ્પનિક વ્યક્તિ છે. એટલે પછી ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ત્રણ વ્યક્તિઓનાં નામ ચન્દ્રવદનભાઈએ જાહેર કર્યાં. હકીકતમાં કાવ્યકૃતિનું સર્જન થઈ જાય તે પછી વાસ્તવિકતાની ભૂમિ સાથેનો તેનો સંબંધ જ કપાઈ જાય છે – જેમ બાળકનો માતા સાથેનો નાળ-સંબંધ જન્મ પછી કપાઈ જાય છે તેમ. એટલે ઇલા વાસ્તવિક કે કાલ્પનિક, ઇલા એક કે ત્રણ, ઇલામાં બહેન નજરે પડે છે કે પછી … આવા સવાલો જ અસ્થાને છે. એક-બે દાખલાથી વાત સ્પષ્ટ થશે. પહેલી પત્નીના અવસાન પછી રામનારાયણ વિ. પાઠકે એક અદ્ભુત હૃદય સ્પર્શી સોનેટ લખ્યું – ‘ધમાલ ન કરો, જરી ન નેણ ભીનાં થશો’ એ પંક્તિથી શરૂ થતું. થોડા વખત પછી તેમણે બીજું લગ્ન કર્યું. પણ તેથી કાંઈ પેલા કાવ્યની હૃદયસ્પર્શિતા ઓછી થતી નથી. દેશવટાના સંભવે અમદાવાદ છોડવું પડે એવી શક્યતા ઊભી થઈ ત્યારે આદિલ મન્સૂરીએ ‘નદીની રેતમાં રમતું નગર’ કૃતિ રચી. થોડાં વર્ષો પછી તેઓ સ્વેચ્છાએ ભારત છોડી અમેરિકાવાસી થયા. પણ તેથી કાંઈ પેલી ગઝલનું દર્દ ઓછું થતું નથી. વાસ્તવિક જીવનમાં ઇલા હોય કે ન હોય, એક હોય કે એક કરતાં વધારે હોય, તેને આધારે ‘ઇલા કાવ્યો’ને મૂલવવાનાં ન હોય. આપણી કવિતામાં – અને ગદ્ય લખાણોમાં પણ – જે સંબંધની વાત ઘણી ઓછી થઈ છે તે ભાઈ-બહેનના સંબંધને ઉજાગર કરતાં આ કાવ્યો આજ સુધી અનોખાં રહ્યાં છે. ‘ઇલા કાવ્યો’ એટલે ભગિની-પ્રેમનું ઉપનિષદ

08 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...47484950...607080...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved