Opinion Magazine
Number of visits: 9736338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝૂપડપટ્ટી

હિતેશ એસ. રાઠોડ|Opinion - Short Stories|13 January 2026

‌હિતેશ એસ. રાઠોડ

ZoopadPatti

ઝૂપડપટ્ટી

ગઈકાલે સરકારી ખાતાવાળા આવ્યા અને રોડની બાજુ પર ગેરકાયદે વસેલ ઝૂપડપટ્ટી જમીનદોસ્ત કરીને જતા રહ્યા. 

પત્ની અને પાંચ સંતાનો તેમ જ રહીસહી ઘરવખરી લઈ કરસને પાકી સડકથી થોડેક દૂર બીજી જગ્યાએ ફરી ઝૂપડૂં બાંધ્યું. 

સવારે કામે જતા પહેલા પાંચ સંતાનોમાંના વચલા દીકરાને સલાહ આપતા કરસન બોલ્યો : પવા, આજ નેહાળ જાજે પાસો. કાલની જેમ ઘેર ના રેતો. ભૂંડા તું તો ભણ હરખું!

તે હેં બાપુ ભણીને હું મળે? પવાએ સામે પ્રશ્ન કર્યો. 

લે હું મળે તે સરકારી ખાતામાં નોકરી મળે ને ઝાઝા રૂપિયાનો પગાર મળે, કરસને જવાબ વાળ્યો. 

ના બાપુ, તો હું નેહાળ નઈ જાઉં હવે. 

કાં, કરસને પૂછ્યું. 

બાપુ, પસી મારે ય ને તે આમ ગરીબ માણહનાં ઝૂપડા પાડી નાખવા પડે ને!!

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

વિભાજન 

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|13 January 2026

કોર્ટરૂમમાં આજે રોજ કરતાં વધારે માણસો બેઠાં હતાં. જજસાહેબની કોર્ટમાં એક ન માની શકાય એવો કેસ ચાલવાનો હતો. બરોબર અગિયાર વાગે જજ ભટ્ટસાહેબ કોર્ટરૂમમાં દાખલ થયા, બધાંએ ઊભા થઈને જજસાહેબનું અભિવાદન કર્યું.

જજસાહેબે વાદીના વકીલ શ્રી બૂચને પૂછ્યું, “મિસ્ટર બૂચ, કેસની વિગત શું છે? તમારા અસીલે ક્યાં ન્યાય માટે દાવો કર્યો છે?”

“માનનીય જજસાહેબ, બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી માટેનો દાવો છે. મારા અસીલને પિતાની તરફથી પિતાની બધી જ મિલકત વારસામાં મળી છે. તેમાંથી અડધોભાગ એ તેના મોટાભાઈને આપવા માંગે છે. મારા અસીલના મોટાભાઈને મારા અસીલના માતાપિતાએ દત્તક લીધા છે. આજે એ પોતાના પાલક માતાપિતાનાની ઇચ્છાનો આદર કરવાં માટે મિલકતમાંથી અડધોભાગ લેવાની ના કહે છે; તેમનું કહેવું છે કે તેમને પાલક માતાપિતાએ ખૂબ આપ્યું છે; હવે વારસાઈ ભાગમાંથી કંઈ  જોઈતું નથી.”

“મિસ્ટર બૂચ, વિચિત્ર વાત છે. મારી કોર્ટમાં ભાગ માંગવા માટેના કે ભાગ નહીં આપવા માટેના કેસ આવ્યા છે. પણ,અહીંયા તો નાનોભાઈ કે જે સગો પુત્ર છે એ મોટાભાઈ કે જે દત્તકપુત્ર છે તેને પોતાને મળેલી મિલકતમાંથી અડધોભાગ આપવા માંગે છે; ખરેખર ઉમદા વિચાર છે. આવા બનાવો સમાજમાં બહુ જૂજ બને છે. તમે બંને વકીલ મારી ચેમ્બરમાં આવીને મને વાતની પૂરી માહિતી આપો, પછી બંને ભાઈઓને બોલાવીને હું વાત કરીશ.” વકીલ બૂચસાહેબે વાત કરી એ આ પ્રમાણે હતી.

અરુણભાઈ અને રેખાબહેનના સામાજિક રુઢિ પ્રમાણે એકબીજાની પસંદગીથી લગ્ન થયાં હતાં. અરુણભાઈ એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતા. અત્યારે નિવૃત્ત થઈને બંને પુત્રો સાથે રહે છે. બંને પુત્રો હજી અપરણિત છે અને સારી જોબ કરે છે. જ્યારે રેખાબહેન ગૃહિણી છે. બંનેનો સુખી સંસાર હતો. આમને આમ લગ્નજીવનનાં પાંચ વર્ષ વિતી ગયાં. શરૂઆતમાં બાળકની ઇચ્છા ન હોવાથી તે પ્રમાણે પ્લાનિંગ કર્યું, પણ,પછી જ્યારે બાળક માટે પ્લાનિંગ કર્યું તો મેડિકલી પ્રોબ્લેમ આવ્યો અને અરુણભાઈ, રેખાબહેનનું સ્વપ્ન રોળાઈ ગયું. ઘણાં ડોક્ટરોની સલાહ લીધી. ડૉક્ટરોનું એવું કહેવું હતું કે બંનેમાં એવો કોઈ શારીરિક પ્રોબ્લેમ નથી, છતાં બાળક માટે સફળતા કેમ નથી મળતી એ સમજાતું નથી. અંતે ઘણા પ્રયત્ન પછી, બાળકને દત્તક લેવા માટેની વિચારણા શરૂ થઈ. પહેલાં કુટુંબમાંથી બાળક દત્તક લેવું એવી વાત વિચારાઈ; પણ રેખાબહેનનું મન માનતું નહોતું. ઘણી સમજાવટ પછી અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેવું એવું નક્કી થયું; અને સારો દિવસ જોઈને અનાથાશ્રમમાંથી રાજને દત્તક લેવા માટેની જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કરીને દત્તકપુત્ર તરીકે લીધો. રાજ, અરુણભાઈ અને રેખાબહેન ખુશખુશાલ હતાં. ત્રણેયની જિંદગી ધીર ગંભીર સરિતાની જેમ વહી રહી હતી.

પણ નિયતિએ પાસું બદલ્યું. રેખાબહેન નાતંદુરસ્ત તબિયતને કારણે તેમના લેડી ડોક્ટરને બતાવવા ગયાં. લેડી ડોક્ટરે તપાસ કરીને હસતાં હસતાં કહ્યું, ‘રેખાબહેન તમારા આંગણે બીજું ફૂલ ખીલવાની તૈયારીમાં છે.’ આશ્ચર્ય સાથે રેખાબહેને પૂછ્યું, ‘એ કેવી રીતે શક્ય બને? તમે જ કહ્યું હતું કે મને બાળક થવામાં મુશ્કેલી છે, જે તમને ત્યારે નહોતી સમજાઈ. ના ના તમારી કંઈક ભૂલ થતી લાગે છે તમે ફરી ચેક કરો.’ ‘રેખાબહેન, મારી કોઈ જ ભૂલ નથી થતી. તમે ખરેખર માતૃત્વ ધારણ કર્યું છે. આપણે તમારા સંતોષ માટે રિપોર્ટ કરાવીએ.’ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રેખાબહેનના ચહેરા પર ખુશી ચમકી ગઈ અને કહ્યું, ‘ડોક્ટરસાહેબ, તમારી વાત મેં ખોટી સાબિત કરી દીધી.’’ ના રેખાબહેન, આ કુદરતનો ચમત્કાર છે. તમે રાજને દત્તક લીધો અને `મા` તરીકે તેનો ઉછેર કર્યો. આ હકીકતથી તમારા રહેલી માતૃત્વની સરવાણી ફૂટી નીકળી તેનું આ પ્રમાણ છે. મેં આવા ઘણાં કિસ્સા જોયા છે.’ પછી તો રેખાબહેન આવનાર મહેમાનને આવકારવા માટે વ્યસ્ત થઈ ગયાં. કોઈ પણ જાતની શારીરિક મુશ્કેલી વગર અનુજનો જન્મ થયો. અનુજ અને રાજ વચ્ચે ત્રણ વરસનો ફરક હતો. બંને સાથે મોટા થતા ગયા. રેખાબહેન પહેલાં રાજ ઉપર ધ્યાન આપતા હતા, એ ઓછું થતું ગયું અને અનુજ તરફ ઢળતા ગયાં. ક્યારેક વાંક અનુજનો હોય તો પણ ઠપકો રાજને સાંભળવો પડતો. રેખાબહેનના વ્યવહારમાં રાજ પ્રત્યેની બેદરકારી વધતી ગઈ. રાજ અને અનુજને ઘણી વખત રેખાબહેનનું વર્તન સમજાતું નહોતું.

અરુણભાઈ રેખાબહેનના રાજ પ્રત્યેના બદલાતા વર્તનથી વ્યથિત હતા. તેમણે રેખાબહેનને ઘણી વખત આ બાબતે ટકોર પણ કરી હતી. અરુણભાઈ કહેતા આપણે ત્યાં અનુજનો જન્મ થયો; મને તારી જેટલી જ ખુશી થઈ છે; પણ એમાં રાજનો શું વાંક; રાજ તો સામે ચાલીને આપણા ઘરે નથી આવ્યો; આપણે તેને લેવા ગયાં હતાં. તને સાચું કહું, અનુજનો જન્મ જ રાજ આપણા ઘરે આવ્યો એટલે થયો છે. બાકી તો આપણે બંનેએ જિંદગીમાં સંતાનસુખ નથી એમ માની લીધું હતું. તારે તો ખુશ થવું જોઈએ કે તારે એક પણ સંતાન નહોતું થવાનું ત્યાં બે-બે દીકરાની `મા` છો. રેખાબહેન ઘણી વખત વિચારતા કે વાત તો સાચી છે. જો રાજને દત્તક ન લીધો હોત તો મારું માતૃત્વ મુરઝાઈ જાત અને કદાચ `મા`નું સુખ પણ ન મળત. પણ રેખાબહેન અનુજ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ રાજ પ્રત્યે બેદરકાર અને અનુજમય બનતા ગયાં. રાજ ક્યારેક `મા`ના આવા વર્તાવથી દ્વિધામાં પડી જતો, પણ પછી વિચારતો; મને, અનાથ બાળકને દત્તક લઈને `મા`એ જે પ્રેમ આપ્યો છે એ બીજું કોઈ ન આપત. અનુજ નાનો છે એટલે સ્વાભાવિકપણે `મા`ને તેના પ્રત્યે મમતા રહે. અનુજ હંમેશાં રાજને મોટાભાઈ તરીકેનું માન-સન્માન આપતો. બંને ભાઈઓને તો ઘણા સમય સુધી એ પણ ખબર નહોતી કે બંને સગા ભાઈઓ નથી. આ વાત પણ હિતશત્રુઓ દ્વારા જાણવા મળી હતી. છતાં બંનેના ભાઈપણામાં કોઈ ફરક પડ્યો નહોતો.

એક દિવસ રેખાબહેને અરુણભાઈને કહ્યું,`આપણા બંને દીકરા સંસ્કારી છે. આપણી ઉમર થઈ રહી છે. આપણા જીવતા આપણી બધી મિલકત દીકરાને નામે કરી દઈએ.` `દીકરાને નામે કરી દઈએ એટલે તું શું કહેવા માગે છે?`

‘દીકરાને નામે એટલે અનુજના નામે કરી દઈએ. રાજને આપણે ઘણું આપ્યું છે. રાજની જોબ પણ સારી છે. રાજ સંસ્કારી દીકરો છે તેને કોઈ વાંધો નહીં હોય.`

`રાજને વાંધો હોય કે ન હોય હું એવું ન કરી શકું. રાજ આપણો દત્તકપુત્ર છે. તેનો કાયદેસરનો મારી મિલકત પર હક છે. એક પિતા તરીકે હું આવું નહી કરું. તારા મનમાં આવો વિચાર આવ્યો જ કેવી રીતે?`

અનુજને ખબર પડતાં તેણે પણ રેખાબહેનની વાતનો વિરોધ કર્યો અને કહ્યું, `મમ્મી, પપ્પાની મિલકત પર પહેલો હક રાજભાઈનો છે. એ આ ઘરના જેષ્ઠપુત્ર છે. મારી ઇચ્છા તો પપ્પાની બધી જ મિલકત રાજભાઈના નામે કરી દેવાની છે.`

રાજને ખબર પડતાં રાજે કહ્યું, `પપ્પા, મારી સારી જોબ છે. અનુજ નાનો છે અને મમ્મીની ઇચ્છા તમારી બધી જ મિલકત અનુજને આપવાની છે તો એમાં વાંધો શું છે? પપ્પા, તમારે મમ્મીનું માન રાખવું જોઈએ.` આ વાતને રેખાબહેને પકડી લીધી અને અરુણભાઈની ઇચ્છા ન હોવા છતાં અરુણભાઈને અનુજના નામે બધી જ મિકલત કરી દેવી પડી.

`જજસાહેબ, એક ભાઈ મિલકતમાં ભાગ દેવા માંગે છે. બીજો ભાઈ મમ્મીની ઇચ્છાને માન આપીને લેવા નથી માંગતો, એટલે કાયદાકીય રસ્તો લીધો છે જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય.`

`મિસ્ટર બૂચ, તમારી વાત સાંભળ્યા પછી મને બંને ભાઈઓ વચ્ચેની ભાવુકતા સમજાઈ ગઈ છે. મારે એ બંને સાથે વાત કરવી પડશે. કાયદાકીય રાહ લીધો છે એટલે બંને ભાઈ પોતાના ઇરાદામાં મક્કમ છે. મારી દૃષ્ટિએ આ કેસનું સમાધાન કાયદાકીય નહીં, પણ બીજી રીતે શોધવું પડશે. આખાય પ્રશ્નનું મૂળ ભાવુકતા છે કોઈ લડાઈ કે ઝગડો નથી.`

જજ ભટ્ટસાહેબે બંને ભાઈઓને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા, અને કહ્યું, `મેં મિસ્ટર બૂચ પાસેથી તમારી ભાતૃભાવનાને જાણી. રાજ, મારે તારી પાસેથી મિલકતમાં ભાગ નહીં લેવાનું કારણ જાણવું છે. તારો તારા પપ્પાની મિલકતમાં કાયદેસરનો હક છે.` `સાહેબ, હું અનાથ હતો. મારા મમ્મીપપ્પાએ મને દત્તક લઈને તેનાં નામ સાથે મને ઓળખ આપી. મારી મમ્મીએ મારી પાછળ ખૂબ જ ભોગ આપ્યો છે. અત્યારે હું જે કંઈ છું એ તેમના આશીર્વાદ અને સખત પરિશ્રમનું પરિણામ છે. જ્યારે મારી મમ્મીએ મારા માટે, એક અનાથ બાળક માટે આટલું બધું કર્યું હોય તો મારી તેમની ઇચ્છાને માન આપવાની ફરજ છે. તેમ જ મારા અનુજને મિલકત મળે છે તેની ખુશી છે.`

`અનુજ તારું શું કહેવું છે ?’ ‘`જજસાહેબ, હું ભાઈની વાત સાથે સહમત છું; પણ જો મારો જન્મ જ ન થયો હોત; તો પપ્પાની બધી મિલકત રાજભાઈને મળત. કદાચ મારો જન્મ પણ રાજભાઈનું ઋણ ચૂકવવા માટે થયો હોય. હું તો બધી મિલકત રાજભાઈને આપી દેવા ઇચ્છું છું. રાજભાઈ જેવો ભાઈ હોય પછી મારે શું કામ કોઈ ચિંતા કરવી જોઈએ.` જજસાહેબ બંને ભાઈઓના વિચાર જાણીને વિચારમાં પડી ગયા કે એક જોતા બંને ભાઈઓ પોતપોતાની રીતે સાચા છે. આ કોઈ કાયદાકીય પ્રશ્ન તો છે નહીં. આમ વિચારતા હતા ત્યાં પ્યુને આવીને કહ્યું, `સાહેબ, અરુણભાઈ અને રેખાબહેન આપને મળવા માંગે છે.` જજસાહેબે રાજ અને અનુજને બેસી રહેવાનું, કહી પ્યુનને બંનેને અંદર મોકલવા કહ્યું.

`જજસાહેબ, તમે બંને ભાઈઓને તમારી ચેમ્બરમાં બોલાવ્યા એટલે રેખાએ મને કહ્યું આપણે પણ જજસાહેબને મળીએ. હું મારી ભૂલને સુધારી લેવા માંગુ છું.`

જજસાહેબે કહ્યું, `રેખાબહેન તમારા બંને દીકરા કોહીનુરના હીરા છે. હવે, તમે શું કહેવા માંગો છો?`

`સાહેબ, મેં જીવનગણિતનો દાખલો જ ખોટો ગણ્યો હતો. હું અનુજ પ્રત્યે વધુ ભાવુક થઈ ગઇ હતી. હકીકતમાં રાજ અમારા જીવનનો પાયો છે. તે આવ્યો તો પાછળ પાછળ અનુજ આવ્યો. અમારા જીવનમાં સંતાનસુખ નથી, એવું ભવિષ્ય હતું ત્યાં મારી ડાબે-જેમણે દીકરા ઊભા છે. એવું સુખ તો ભાગ્યશાળીને જ મળે. હું અનુજની વાત સાથે સહમત છું અને રાજને કહું છું કે આ તારી મમ્મીની બીજી ઇચ્છાને પહેલી ઇચ્છની જેમ વધાવી લે.` રાજે નમન સાથે હકારમાં માથું હલાવ્યું.

જજસાહેબ સાથે બધાંના મુખ પર ખુશીની ચમક ઝળહળી ઊઠી.

(ભાવનગર)
E.mail : Nkt7848@gmail.com

Loading

એક તરફ અપડેટ રહેવાની ફરજ પડે ને બીજી તરફ અપડેટ રહેવાનું નિરર્થક લાગે, તો ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 January 2026

રવીન્દ્ર પારેખ

ટેકનોલોજીના ઘણા ફાયદા છે, તે નિર્વિવાદ છે, પણ તેણે સંવેદનશીલ માણસની શાંતિ હરી લીધી છે. એમાં પણ AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની બાબતમાં અનેક તર્કવિતર્ક થતા આવ્યા છે. AIના આવવાથી અનેક સમસ્યાઓ સર્જાશે, એમ કહેવાય છે, તો તેનાથી સગવડો ઊભી થશે, એમ પણ કહેવાય છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે હ્યુમન બ્રેઈનથી ચડિયાતું જગતમાં બીજું કંઇ નથી. એમાં કોઈ શંકા નથી કે AI અન્ય ટેકનોલોજીની જેમ માણસની મદદ માટે જ છે, તેના લાભ દેખાઈ પણ રહ્યા છે, પણ તેના ગેરલાભ પણ છે જ ! સૌથી વધારે હાઉ અત્યારે નોકરીઓ જવાનો છે. આમ તો AIને લીધે નવી નોકરીઓ પણ સર્જાઈ છે, છતાં નોકરીઓ જવાનો ડર સાવ પાયા વગરનો નથી. એવું બનવાનું કે બધા જ ઇચ્છા છતાં, ટેકનોલોજીથી અપડેટ ન હોય, એ સ્થિતિમાં નોકરીઓ પર જોખમ ઊભું થવાનું. એ સંજોગોમાં જે સ્કિલ્સથી અપડેટ હશે, તેની નોકરી રહેશે ને જે અપડેટ નથી, એમની નોકરીઓ જશે. એ જળવાય એની ખાતરી નથી.

એ પણ છે કે બધા, બધી જ વાતે અપડેટ ન પણ હોય. એવું હોત તો બધા જ વકીલ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, સાયન્ટિસ્ટ હોત, પણ એવું નથી. બધાં જ નંબર વન હોત તો બીજા નંબરની જરૂર જ ના હોત. બધા જ સફળ હોત, તો ‘નિષ્ફળ’ જેવા શબ્દનું અસ્તિત્વ પણ ન હોત ! હાલ નોકરી કરતા ઘણાં નોકરિયાતો AIને લીધે નોકરી ગુમાવશે, એથી વધુ નિષ્ફળતા બીજી કઈ હોવાની હતી? બને છે એવું કે પક્ષપાતી વલણને કારણે ઘણાંને AI દ્વારા નોકરી ખવાઈ જશે એમ લાગે છે, તો એટલા જ ‘ઘણાં’ને કારણે નવી નોકરીઓનું સર્જન થશે, એવું પણ લાગે છે. એ હકીકત છે કે AIને કારણે 2025માં અમેરિકામાં 549 કમ્પનીઓમાં 1,50,00૦થી વધુએ નોકરીઓ ગુમાવી છે. નોકરીઓ નવી સર્જાશે એ ખરું, પણ 1,50,00૦ લોકોએ હાલ તુરત તો નોકરી ગુમાવી જ છે ને એટલી નોકરી નવી ઊભી થઈ છે એવી કશી જાહેરાત નથી.

તે સાથે જ એક ઓપન AI કમ્પનીના સી.ઈ.ઓ. સેમ ઓલ્ટમેને એવી ખુશ ખબર પણ આપી કે આવનારાં વર્ષોમાં નોકરીઓમાં ક્રાંતિકારી ફેરફારો આવતા, નોકરીઓ જશે, પણ 2035 સુધીમાં કેટલાં ય સેક્ટર્સમાં પગાર આકાશને આંબશે. એ પણ છે કે જે નોકરી ચાલુ હશે, ત્યાં પણ ડિગ્રી નહીં, પણ AI સ્કિલ્સ જ જરૂરી બનશે. ટૂંકમાં, નોકરીઓ, ડિગ્રીઓની કિંમત નહીં રહે. લાખો નોકરીઓને ભોગે, AI સ્કિલ્સનું જ વર્ચસ્વ રહેશે. એ સ્કિલ્સ માટે ડિગ્રીઓની જરૂર રહેશે કે કેમ, તેનો ફોડ પડ્યો નથી, હા, એ જાણનારનો પગાર આકાશને આંબતો હશે એ નક્કી !

ઘણાંને નોકરી વગરના કરી, થોડા જાણકારોને આકાશ આંબતો પગાર આપીને, બાકીનાઓને જીવવા લૂંટ ચલાવવી પડે એવી વ્યવસ્થાનો કદાચ કોઈને જ વાંધો નથી. ભારતમાં તો આમે ય લાખો ડિગ્રીધારીઓ નોકરીની રાહ જોવામાં ઉંમર ખુટાડી રહ્યા છે, ત્યાં AIનું આક્રમણ તેમને કયું આશ્વાસન પૂરું પાડશે એ પ્રશ્ન જ છે. જે આવે છે તે અપડેટ રહેવાનું જ સૂચવે છે. અપડેટ રહેવાથી મેળવવાનું શું છે, તો કે આકાશ આંબતો પગાર ! એ વિદેશમાં હશે કદાચ, પણ ભારતમાં પગારને નામે આકાશ જ હાથમાં આવે એવી શક્યતાઓ વધારે છે. પ્રશ્ન તો એ રહે કે આટલા બધા અપડેટ રાખીને આપણે ત્યાં તેનો કોઈ અર્થ રહે એમ છે? અપડેટ હોવું નોકરીના ચાન્સ વધારે કદાચ, પણ તેથી નોકરીની સલામતીની કોઈ ખાતરી મળતી નથી.

ઘણાં ક્ષેત્રોમાં નોકરિયાતોને અપડેટ રાખવાના ગંભીર પ્રયત્નો થાય છે, એ રીતે બધા અપડેટ રહેવા મથે પણ છે, પણ સવાલ એ છે કે એમ અપડેટ રહેવાનો કોઈ અર્થ જ ન રહેતો હોય તો શું કરવાનું? ગયા ગુરુવારના જ સમાચાર છે કે DEO કચેરી, સુરતમાં ‘ઉચ્ચ શિક્ષણના પડકારો અને ગુણવત્તા’ એ વિષય પર 5 યુનિવર્સિટીના કુલપતિઓની એક બેઠક મળી. એમાં શું થયું તે તો નથી ખબર, પણ શિક્ષણનું ભલું કરવા અંગે, અપડેટ રહેવા અંગે વાતો થઇ હશે એમ કલ્પી શકાય. એકતરફ અપડેટ રહેવાનું સૂચવાય ને બીજી તરફ ઇન્ટર્નશિપ અંગે ગુજરાત યુનિવર્સિટી પાસે, વ્યવસ્થાનો પૂરતો સમય હોવા છતાં 8 જાન્યુઆરી સુધી તો દોડાદોડી અને અરાજકતાનો જ માહોલ જોવા મળ્યો છે. નવી એજ્યુકેશન પોલિસીમાં ઇન્ટર્નશિપનો આગ્રહ 2020થી રખાયો હોવા છતાં, કેટલીક યુનિવર્સિટીઓમાં જે ઉદાસીનતા જોવા મળી છે તે પોલિસીની ધરાર અવગણનાથી વિશેષ કંઇ નથી. નવી પોલિસી પ્રમાણે જેમણે પહેલાં સેમેસ્ટરમાં પ્રવેશ લીધો હતો, તેઓ હવે ત્રીજા સેમેસ્ટરમાં આવી ગયા છે ને નિયમ પ્રમાણે છેલ્લા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ ફરજિયાત છે ને તેને અંગે યુનિવર્સિટીની કોઈ ગંભીરતા ન જણાતી હોય તો અપડેશન મજાક જ બની રહે કે બીજું કંઇ?

એવી જ રીતે સુરતની 210 સરકારી તેમ જ ગ્રાન્ટેડ શાળાના આચાર્યો માટે 6થી 8 જાન્યુઆરી દરમિયાન તાલીમનું આયોજન થયું. તાલીમમાં આચાર્યો સબળ નેતૃત્વ કઈ રીતે પૂરું પાડી શકે એની વાત થવાની હતી, પણ શિક્ષકો BLOની કામગીરીમાં મહિનાઓથી સ્કૂલોમાં જ જઈ શકતા ન હોય ને બેત્રણ વર્ગના બાળકોને ભેગા કરીને આચાર્યે જ ભણાવવું પડતું હોય ત્યાં નેતૃત્વ કોનું ને શાનું કરવાનું? રાજ્યની ધોરણ ૩થી 8ની ત્રિમાસિક પરીક્ષા 2 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત થઈ હતી, પણ શિક્ષકો 13 ફેબ્રુઆરી સુધી BLOની કામગીરીમાંથી જ પરવારે એમ નથી, તો પરીક્ષા લેવાશે કે કેમ તે સ્પષ્ટ નથી. પરીક્ષા સ્થગિત કરવાની માંગ હતી, પણ આગળ શું થયું તેની વિગતો જાહેર થઈ નથી. મતદાર યાદી સુધારણાને લીધે પરીક્ષા મોકૂફ રહે એમ બને. ધારો કે મોકૂફ ન રહે ને પરીક્ષા લેવાય, તો તે ભણાવ્યા વગર જ લેવાની થશે, કારણ વર્ગ શિક્ષણ તો લગભગ થયું જ નથી.

કોરોના પછી, વર્ગ શિક્ષણની ગંભીરતા ઘટી છે ને પરીક્ષા લેવાય કે ન લેવાય, માસ પ્રમોશન કે અન્ય રીતે વિદ્યાર્થીનું વર્ષ ન બગડે એની કાળજી રખાય છે, એનું પરિણામ એ આવ્યું છે કે 8માં સુધીના વિદ્યાર્થીનું વાચન, ગણન નબળું રહી જવા પામ્યું છે. આમાં તાલીમ અને અપડેશનનો કોઈ અર્થ રહે છે? આખું પ્રાથમિક શિક્ષણ પોકળ થઇ ગયું છે. બહારથી બધી ટાપટીપ ચાલે છે, સાધન સામગ્રી પણ પૂરાં પડે છે, પણ જે વિદ્યાર્થીઓ માટે એ થાય છે, એ તો જેવા આવ્યા છે એવા જ કોરા ઘરે પાછા જાય છે. આ તો સ્કૂલ બંધ હોય, વિદ્યાર્થીઓ ગોંધાયેલા હોય, બહારથી શૈક્ષણિક સામગ્રી પણ અંદર પહોંચવા ઉત્સુક હોય, પણ પહોંચાડનારાઓ જ બહારથી અંદર જવાને બદલે, બીજી કામગીરીઓમાં રોકાયેલા હોય તે યોગ્ય છે? ખર્ચ, ઢગલો થાય છે, પણ વિદ્યાર્થીઓ તેનો લાભ લે એવી વ્યવસ્થા લગભગ રહી નથી.

સુરતની શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનાં નવાં ભવન તૈયાર થઇ રહ્યાં છે, આધુનિક પ્રયોગશાળાઓ, ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ … વગેરેમાં અઢળક ખર્ચ થાય છે. છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો ખર્ચમાં 80 ટકાનો વધારો થયો છે. શૈક્ષણિક વર્ષ 2021-’22માં વિદ્યાર્થી દીઠ 31,902નો ખર્ચ થતો હતો તે વધીને હવે 55,383 રૂપિયા થયો છે. ટૂંકમાં, પાંચ વર્ષમાં વિદ્યાર્થી દીઠ ખર્ચ 23,50૦ વધ્યો છે. એની સામે બાળકોની શૈક્ષણિક ગુણવત્તા ખાડે ગઈ છે. બધું હોય ને વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકો જ ન હોય તો બધો ખર્ચ ખાતર પર દિવેલ જ થાય કે બીજું કંઇ? ગુજરાત જ કદાચ એવું રાજ્ય છે કે બેકારીમાં માસ્તરો પાસે નોકરી નથી ને સ્કૂલમાં બાળકો પાસે શિક્ષકો નથી. શિક્ષણ તો એક ઉદાહરણ તરીકે લીધું, પણ અન્ય ક્ષેત્રોમાં પણ ઉજવણાં ને ઉઠમણાં સમાંતરે ચાલે છે. શિક્ષિત બેકારોની સ્થિતિ એવી દયનીય છે કે AI બીજી કેટલી નોકરીઓ ભરખી જશે તે ચિંતાનો વિષય છે. અપડેટ થાવ કે આઉટડેટેડ થઇ જાવ એવા દિવસો આવ્યા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જાન્યુઆરી 2026

Loading

...102030...47484950...607080...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved