Opinion Magazine
Number of visits: 9663638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 December 2025

ચંદુ મહેરિયા

અખબારી ભાષામાં કદાચ એમ કહેવાય કે ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતીઓની એક કરોડ કિલો ચરબી ઉતરી જશે ! અહીં ચરબી ઉતારવાનો અર્થ મિથ્યા અભિમાન કે ખોટી દાદાગીરીનો નથી. લિટરલી ગુજરાતીઓની ચરબી કહેતાં શરીરનો મેદ ઘટાડવાની આ તો વાત છે. મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ, આહાર અને આયુર્વેદના નિયમનથી આ મહિનાના અંત સુધીમાં દસ લાખ મેદસ્વી લોકોના શરીર પરનું એક કરોડ કિલો વધારાનું વજન ઘટશે.

તબીબી પત્રિકા લાન્સેટના આંકડાઓ પ્રમાણે ૨૦૨૧માં દુનિયામાં ૨.૧૧ અબજ લોકો મેદસ્વી હતા. તેમાં ૧૦૦ કરોડ પુરુષો અને ૧૧૧ કરોડ સ્ત્રીઓ હતી. ચાળીસ વરસો(૧૯૮૦ થી ૨૦૨૦)માં સ્થૂળતા દર ૬.૪ ટકાથી વધીને ૧૨ ટકા જેટલો બમણો થયો છે. ભારતમાં સાડા ત્રણ દાયકામાં સ્થૂળતા પાંચ ગણી વધી છે. ભારતમાં ૨૧.૮ કરોડ પુરુષ અને ૨૩.૧ કરોડ મહિલા મેદસ્વી છે. કુલ ૨૭ લાખ ગુજરાતીઓ મેદસ્વી છે. જેમાં મહિલાઓ ૫૮ ટકા અને પુરુષો ૪૨ ટકા છે. હાલના દરે મેદસ્વિતામાં વધારો થતો રહેશે તો ૨૦૫૦ સુધીમાં સામ્યવાદી ચીનમાં પચીસ વરસથી વધુ વયના સૌથી વધુ ૬૨.૭ કરોડ, લોકતાંત્રિક ભારતમાં ૪૫ કરોડ અને મૂડીવાદી અમેરિકામાં ૨૧.૪ કરોડ લોકો મેદસ્વી હશે. વૈશ્વિક સ્થૂળતામાં ભારતનો ક્રમ ચીન પછી બીજો છે. રાષ્ટ્રીય કક્ષાએ મેદસ્વી રાજ્યોમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે. 

બોડી માસ ઈન્ડેક્ષ(બી.એમ.આઈ.)થી શરીરમાં કેટલી ચરબી વધારે છે તે જાણી શકાય છે. તેના આધારે અલ્પ, મધ્યમ અને તીવ્ર સ્થૂળતા નક્કી થાય છે. વિશ્વના અઢાર વરસથી ઉપરના ૪૩ ટકા લોકો વધુ વજન ધરાવે છે પરંતુ તેમાંથી ૧૬ ટકા મેદસ્વી છે. દર પાંચે એક વ્યક્તિ બાહ્ય દેખાવમાં શારીરિક રીતે સ્વસ્થ લાગે છે પરંતુ અંદરથી ખોખલો હોય છે. વિશ્વના પુખ્ત વયના ૨૦ ટકા લોકોના બી.એમ.આઈ. સામાન્ય છે પણ તેમના પેટનો ઘેરાવો વધુ હોય છે કે પેટની આસપાસ ચરબી જમા થયેલી હોય છે. વિસરલ ફેટ તરીકે ઓળખાતી પેટની ચરબી શરીરના અંદરના અંગોમાં પણ જમા થયેલી હોય છે. વ્યક્તિનું ઉપસેલું, બહિર્ગોળ કે વધુ ઘેરાવો ધરાવતું પેટ મેદસ્વિતાનું લક્ષણ છે અને તે ખતરનાક છે. 

પુખ્ત વયની વ્યક્તિઓ જ નહીં બાળકો અને કિશોરોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. દેશનો દર દસમો કિશોર વધુ વજનનો છે. પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ પાંચથી ઓગણીસ વરસના પચીસ ટકા બાળકો અને કિશોરો સ્થૂળતાનો ભોગ બનેલા છે. ગુજરાતમાં ૨.૭૩ લાખ બાળકો સામાન્ય કરતાં વધુ વજનના છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દુનિયામાં ૩૪ કરોડ બાળકો સામાન્ય કરતાં ઘણું વધારે વજન ધરાવતા હોવાનું નોંધે  છે. 

મેદસ્વિતા, સ્થૂળતા, ઓબેસિટી કે ચાલુ ભાષામાં કહેવાતું જાડિયાપણું ખરાબ જીવન શૈલી, મીઠાં પીણાં, વધુ કેલેરીવાળા ફાસ્ટ ફૂડ, બેઠાડુ જીવન પ્રવૃત્તિ, અનિયમિત ઊંઘ અને આહાર, એકલતા, વધુ સ્ક્રીન ટાઈમ, આનુવંશિક પરિબળો, તણાવ જેવાં કારણોથી જોવા મળે છે. શહેરોની તુલનામાં ગામડાંના લોકો સપ્રમાણ શરીર ધરાવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારની ચોથા ભાગની વસ્તી પણ મેદસ્વી છે. 

શરીરમાં ચરબીનું વધુ કે અતિ પ્રમાણ અનેક જોખમો નોતરે છે. ટાઈપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ, સાંધાનો ઘસારો, પ્રોસ્ટેટ કેન્સર, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર, નસોમાં લોહીના ગઠ્ઠા, માનસિક અસ્થિરતા, પિત્તાશયની પથરી, ચામડીના રોગો અને લીવર સીરોસીસ જેવી બીમારીઓ મેદસ્વિતાના કારણે થઈ શકે છે. સ્થૂળ વ્યક્તિઓ વધુ માંદી પડે છે અને તેમનું મરણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ જાડા શરીરની વ્યક્તિઓને વીમો આપવા ઈન્કાર કરે છે કે વધુ પ્રિમિયમ માંગે છે. એકાદ વિમાન કંપનીએ જાડા પેસેન્જરને વધુ એક સીટ બુક કરવાનું કહ્યાનું સાંભળ્યું છે. મેદસ્વિતાની આર્થિક અસરો પણ છે. તેલની આયાત વધે છે. દેશ વરસે ૧૩૦ લાખ ટન તેલ આયાત કરે છે. મેદસ્વિતાના કારણે  દેશના આર્થતંત્ર પર ૨૦૧૯માં રૂ. ૨.૪ લાખ કરોડનો આર્થિક બોજ પડ્યો હતો. જે ૨૦૩૦ સુધીમાં વધીને રૂ. ૬.૭ લાખ કરોડ અને ૨૦૬૦માં ૬૯.૬ લાખ કરોડ  થઈ શકે છે. 

વૈશ્વિક સમસ્યા મેદસ્વિતાથી ભારતને મુક્ત કરવા વડા પ્રધાનની હાકલ પછી વ્યક્તિ, સમાજ અને સરકાર તે દિશામાં સક્રિય થયા છે.  સ્વસ્થ આહાર અને આહાર નિયંત્રણ, પૂરતી ઊંઘ, યોગ્ય જીવન શૈલી, તણાવ મુક્ત જીવન, બેઠાડુ જીવન પ્રવૃત્તિનો ત્યાગ, યોગ, પ્રાણાયામ, ઓછી કેલેરી, ઓછી ચરબીનો અને રેસાયુક્ત ખોરાક તથા કસરત જેવા  ઉપાયોથી મેદસ્વિતામાંથી મુક્ત થઈ શકાય છે. દવાઓ અને સર્જરી પણ તેના ઉપાય છે. વડા પ્રધાને લોકોને પોતાના ખોરાકમાં દસ ટકા તેલનો વપરાશ ઘટાડવા આહ્વાન કર્યું છે. સી.બી.એસ.સી.એ શાળાઓને તેલ અને સુગરના વધુ ઉપયોગના જોખમો સંબંધી બોર્ડ મુકવા સૂચના આપી છે. 

વિરોધાભાસોથી ભરેલા આપણા દેશમાં અતિ જાડા લોકો છે તો સાવ સુકલકડી જ નહીં, માયકાંગલા લોકો પણ છે. મેદસ્વી લોકો છે તો કુપોષિત પણ છે. એ તે કેવી વિડંબના કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. તેમાં કુલ બાળકોના ૧/૩ કુપોષિત છે. એટલે કે તેમને પર્યાપ્ત ખાવાનું મળતું નથી. ૨૦૨૦ થી ૨૦૨૨ વચ્ચે ૭૪ કરોડ લોકો અલ્પપોષિત હતા. સરકારનો દાવો છે કે તે કોરોનાકાળથી દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને નિ:શુલ્ક પૂરક અનાજ પૂરું પાડે છે. તે બધા પણ નાનામોટા કુપોષણનો ભોગ બનેલા જ હશેને?

પાંચમા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે અનુસાર દેશના ૧૦ જિલ્લા સૌથી વધુ કુપોષિત છે. તેમાં ગુજરાતના ચાર આદિવાસીબહુલ જિલ્લા, પંચમહાલ, દાહોદ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યના કેટલાક વિકસિત જિલ્લાના તાલુકાઓમાં પણ કુપોષિત લોકો છે. સંકલિત બાળ વિકાસ યોજના, મધ્યાહ્ન ભોજન યોજના અને અન્નસુરક્ષાના કાયદા છતાં કુપોષણને ખાળી શકાયું નથી. 

આજે મેદસ્વિતા સરકારના રાજકીય એજન્ડાનો વિષય બન્યો છે. તેમ જો કુપોષણ પણ બને અને ગરીબી, ભૂખ, કુપોષણ જે સામાજિક-રાજકીય કારણોનું પરિણામ છે તેની નાબૂદીની દિશામાં જાગ્રત થઈએ તો બહિર્ગોળ પેટની જેમ અંતર્ગોળ પેટની સમસ્યા પણ નિવારી શકાય. કાગળ પરની ગરીબી નાબૂદીની યોજનાઓ ધરાતલ પર ઉતરે, કુપોષણ મુક્તિ લોક આંદોલન બને તો ચરબીથી વધી ગયેલા પેટની સાથે ભૂખથી અંદર ઉતરી ગયેલા પેટની સમસ્યા પણ ઉકલે. સરવાળે નહીં અદોદળા, નહીં માયકાંગલા એવા ગુજરાતી, ભારતીય અને અને વિશ્વનાગરિક  જોવા મળે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

કક્કો ઘૂંટ્યો …

દેવિકા ધ્રુવ|Poetry|10 December 2025

કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
સ્વરો સઘળા સંગે લઈને, વ્યંજનોમાં ઘૂમ્યો.

રેતી, માટી, પથ્થર માફક, અક્ષર વળગે સજ્જડ,

એકમેકની સંગ મળીને રચે ઈમારત ફક્કડ..

હરે, ફરે ને ખેલે ખેલ, અંદર જાણે મેજીક મહેલ,
માત્રાઓની સહેલ માણતો, પાક્કો પાયો કરતો ચાલ્યો,

કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.


બારાખડીની બારી ખોલી, હવા-ઉજાસ તો પહોંચે છેક,
શબ્દ રૂમઝૂમ નાચે લયબદ્ધ, પાંચે તત્ત્વો કેવાં નેક!

તેજપુંજથી પલળું રોજ, અર્થ-નીરથી નીતરું રોજ,
મનને હશે શેની આ ખોજ!! કે રુંવેરુંવે ઝુમ્યો, ના તૂટ્યો.

કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના  છૂટ્યો.

e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com

Loading

સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|10 December 2025

હિતેશ રાઠોડ

લોકશાહી શાસનમાં લોક કલ્યાણની મૂળ વિભાવનાને સાવ વિસરી જઈ સરકારો હવે સતત ઇલેક્શન મોડમાં કામ કરે છે. સરકાર રચાય એને માંડ બે-અઢી વર્ષ પૂરાં થાય ત્યાં તો આવનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. જેમના માટે અને જેમના મતથી સરકાર ચૂંટાય છે એ  “આમજનતા” જ સરકારની પ્રાથમિકતામાંથી બાદ થઈ જાય છે. શરૂઆતનાં બે-અઢી વર્ષ સરકાર મસમોટા આયોજનો અને જાહેરાતો કરવામાં પસાર કરે પણ કામગીરી બાબતે તદ્દન નિષ્ક્રિય. બે-અઢી વર્ષ પૂરાં થાય એટલામાં આવનાર ચૂંટણીની ચિંતાઓ સરકારને સતાવવા લાગે. લોકોના કામ કરવામાં સરકાર જેટલું ધ્યાન આપતી નથી એનાથી વધુ ધ્યાન એ આગામી ચૂંટણીની તૈયારી કરવામાં આપે છે. લોકોની સમસ્યાઓ અને ચિંતાઓનું જે થવું એ થાય, ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાશ રહી ન જાય એ માટે સરકાર બરાબર તકેદારી રાખે છે. પાંચ વર્ષની મુદ્દતમાં છેલ્લાં દોઢ-બે વર્ષ જ સરકાર થોડાં કામો કરે છે જેમાં લોકોનું હિત ઓછું એમનું અંગત હિત વધુ હોય છે.

જોતજોતામાં સરકારની પંચવર્ષીય મુદ્દત પૂરી થાય, ચૂંટણી જાહેર થાય, ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થાય, ચૂંટણી આવે, ચૂંટણી પ્રક્રિયા આરંભાય, ચૂંટણી યોજાય, ગણતરીના અપવાદોને બાદ કરતાં મોટા ભાગે ફરીથી એના એ જ પક્ષની ‘નવી સરકાર’ રચાય અને ફરીથી બધું રાબેતા મુજબ ચાલવા માંડે. એમ લાગે કે ચૂંટણીનાં પરિણામોમાં કે નવી બનતી સરકારોમાં એમના કામોમાં લોકોને હવે કોઈ રસ રહ્યો નથી. સરકારી કાર્યોમાં સરકારી ખર્ચે ભીડ ભેગી કરવામાં આવે છે, લાભાર્થીને પાંચ હજારનો ચેક આપવા બીજા પચાસ હજારનો ખર્ચ કરવામાં આવે છે. લોકોને પણ આ બધું જાણે કે કોઠે પડી ગયું છે. લોકશાહીનું જે થવું હોય એ થાય સૌ પોતપોતાનામાં મસ્ત છે! 

સરકાર ભલે નવી બનતી રહે પણ સરકારમાં બેઠેલાઓના વિચારો, માનસિકતા, શાસનશૈલિ અને કાર્ય પદ્ધતિ એની એ જ જૂની ઘરેડની. દૂરંદેશીતાનો અભાવ, સંકુચિત માનસિકતા, જૂના વિચારો, ખોટી ભ્રમણાંઓ, કોરા-ફોગટ વચનો, એની એ જ જૂની-પુરાણી વિકાસની ઠાલી વાતો, લોભામણા નામવાળી યોજનાઓની મોટીમોટી જાહેરાતો (નામ બડે ઔર દર્શન છોટે), અબજો-કરોડોનો ખર્ચ, અમલવારીમાં ઠાગાઠૈયા, લોકલાભ નહિવત, વાતો શિષ્ટાચારની પણ પ્રોત્સાહન ભ્રષ્ટાચારને, પ્રજાએ નાનાં-નાનાં કામો માટે પણ ધરમના ધક્કા ખાવા પડે, નીચેથી ઉપર સુધી કામનો તુમાર જ તુમાર, હાડમારીઓની વધતી જનફરિયાદો પણ નિરાકરણ નામે શૂન્ય, જનપ્રતિનિધિઓનો પ્રજા સાથેનો નાતો કેવળ મત મેળવવા પૂરતો, મત લઈ લીધા પછી તું કોણ અને હું કોણ, એક વાર મત આપીને પ્રજાએ કાયમ માટે શાસન સોંપી દીધું હોય એવો રૂઆબ ……, ગમે તેટલી વાર નવી સરકાર આવે આ બધાનો જાણે કોઈ અંત જ દેખાતો નથી! દૂર ક્ષિતિજમાં પણ આશાનું કોઈ કિરણ ચમકતું દેખાતું નથી. વળી, સમાજના સજ્જનો, બુદ્ધિજીવીઓ અને કર્મઠોની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા પણ આ સ્થિતિને વધુ ઘેરી બનાવે છે.

લોકો પર શાસન કરતા કહેવાતા જનપ્રતિનિધિઓનાં માનસ પર હુકમશૈલી રાજ કરે છે. તેઓ માને છે કે હુકમો આપવા સિવાય એમણે કંઈ નક્કર કાર્ય કરવાનું નથી, અને હુકમો આપવામાં ય વળી આગળ-પાછળનો કે પરિણામોનો જરા ય વિચાર નહિ કરવાનો! શાસનમાં શીર્ષસ્થ સ્થાને બિરાજતી વ્યક્તિમાં નવા વૈચારિક આયામો, પ્રગતિશીલ વિચારો, લોકહિતને કેન્દ્રમાં રાખતા નિર્ણયો, સમસ્યા નિવારણ અભિગમ, લોકો માટે સાનુકૂળ વહીવટ, ઉપરી સત્તાધિશોને સાચી વાત કહેવાની કે તેમની સમક્ષ જમીની હકીકત રજૂ કરવાની હિંમત આ બધાને જાણે કોઈ અવકાશ જ નથી રહ્યો. શાસકો અને અમલદારો લોકો માટે નહિ પણ તેમના ઉપરી નેતાઓ અને તેમના પક્ષ માટે જ કામ કરતા હોય એ રીતે વર્તે છે. એમના માટે લોકહિત ગૌણ અને પક્ષહિત મુખ્ય હોય એવું એમની કામગીરી પરથી લાગે છે. અને આ બધામાં સૌથી ગંભીર વાત એ છે કે શાસકો અને અમલદારો એક વાતે નિશ્ચિંત થઈ ગયા છે કે હવે તેમને કોઈ પ્રશ્ન કરી શકશે નહીં અને આ નિશ્ચિંતતા તેમની વહીવટી વર્તનને વધુ બેજવાબદાર બનાવે છે. સરકારી શિથિલતા કે ગાફેલિયતને કારણે પ્રજાએ પીડાવું પડ્યું હોય અથવા લોકોએ જીવ ગુમાવવા પડ્યા હોય એના અનેક દાખલા મોજૂદ છે, છતાં આજ દિન સુધીમાં કોઈ શાસક કે અમલદારને દૃષ્ટાંતરૂપ સજા થઈ હોવાના એકલદોકલ કિસ્સા પણ ધ્યાનમાં આવતા નથી. અંધેરી નગરી અને ગંડુ રાજાની જેમ બધું ચાલે છે અને સુજ્ઞ નાગરિકો મૂક દર્શક બની આ બધો તમાશો નિહાળી રહ્યા છે!

નવી બનતી સરકારના વચનો, વાતો કે કામોમાં સામાન્ય લોકો માટેની ચિંતા, ફિકર, કાળજી, પરવા કે નિસબત ક્યાં ય દેખાતા નથી. સરકાર ગમે તેની આવે લોકો માટે નવી દિશા, નવી આશા કે નવા વિચારો દૂર ક્ષિતિજ સુધી ક્યાં ય ડોકાતા નથી. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાની ઘેલછામાં લોકોના ભલા માટે, તેમની હાડમારીઓ ઓછી કરી તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે શું કરી શકાય એ દિશામાં નવા વિચારોનો જાણે કે શૂન્યાવકાશ સર્જાયો છે. હાથે હાથે ગુલાલ નાખી રૂપાળા દેખાવાની શેખચલ્લી મનોવૃત્તિ, વ્યક્તિ-પૂજા અને વ્યક્તિ-પ્રશંસાની આંધળી પ્રથાએ લોકહિત, લોકકલ્યાણ અને લોકવિકાસની પરગજુ રાજનીતિનો સત્યાનાશ વાળી દીધો છે. 

વિકાસની દિશામાં આગેકૂચ કરતા ભારત જેવા દેશ માટે આ સ્થિતિ બહુ સારી ન કહેવાય. કોઈપણ પક્ષની સરકાર બને, જૂના-નવા મંત્રીઓ સાથે નવું પ્રધાનમંડળ બને, નવી નીતિઓ બને, નવા કાયદા ઘડાય, નવી યોજનાઓ બને પણ લોકોની પરેશાનીઓ, વ્યથાઓ, મુશ્કેલીઓ, હાડમારીઓ કે સમસ્યાઓ ઠેરની ઠેર છે, એમાં તસુભાર જેટલો પણ ઘટાડો થયો નથી. પરિવર્તનના જે દૃષ્ટાંત પ્રયાસપૂર્વક લોકોને દેખાડવામાં આવે છે એ હકીકતમાં સુગર કોટેડ દૃષ્ટાંત હોય છે, વાસ્તવિક સ્થિતિ એનાથી તદ્દન વિરુદ્ધની હોય છે. સરકારના સુશાસન, વિકાસ પ્રક્રિયા કે વિકાસના ફળ ચાખવામાં આમજનતા ક્યાં છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. સરકારના આંકડા સમર્થિત દાવા પ્રમાણે જો દેશમાં વિકાસ થઈ રહ્યો હોય, રોજગારી વધી રહી હોય, મોંઘવારી ઘટી હોય તો આમજનતાની રોજિંદી પરેશાનીઓ, મુશ્કેલીઓ, આર્થિક અને બીજી સમસ્યાઓ અને હાડમારીઓ કેમ ઓછી થવાનું નામ લેતી નથી! 

પ્રજા જ્યાં સુધી દીર્ઘ તંદ્રામાંથી જાગશે નહિ અને આ દિશામાં કંઈક નક્કર પ્રયાસો કરવા સક્રિય નહિ થાય ત્યાં સુધી આ સ્થિતિમાં કોઈ ફેર નહિ પડે. લોકોએ હવે નક્કી કરવું પડશે કે ક્યાં સુધી તેઓ આ બધું સહન કર્યા કરશે અને આ સ્થિતિ બદલવા તેઓ શું કરી શકે એમ છે. અન્યથા આ સ્થિતિનો કદાપિ અંત આવશે પણ નહીં, એટલું જ નહિ આગળ જતા આ સ્થિતિ આનાથી પણ વધુ વિકટ બની શકે છે. પ્રગતિશીલ વિચારધારાને વરેલી લોકશાહી શાસનપ્રણાલિ માટે આ સ્થિતિ લોકો માટે કપરી અને સત્તા માટે પ્રાણઘાતક બની શકે છે. લોકશાહી શાસનમાં લોકોની જવાબદારી માત્ર મત આપવા સુધી સીમિત નથી, પરંતું વખત આવ્યે એ મતની તાકાતનો પરચો પણ તેમણે બતાવવો પડશે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...46474849...607080...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved