Opinion Magazine
Number of visits: 9663567
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|11 December 2025

ગ્રંથયાત્રા – 20

માર્ગરેટ મિચલ

અંગ્રેજીમાં જેને એક્સિડન્ટ-પ્રોન કહે છે તેવી હતી એ સ્ત્રી. ત્રણ ત્રણ વખત મોટર એક્સિડન્ટનો ભોગ બની. બે વખત હાડકાં-પાંસળાં ભાંગ્યાં, લાંબો વખત પથારીવશ રહી. પણ ૧૯૪૯ના ઓગસ્ટની ૧૧મી તારીખે જે ત્રીજો મોટર અકસ્માત થયો તે જીવલેણ નીવડ્યો. પાંચ દિવસ બેભાન રહ્યા પછી ઓગસ્ટની ૧૬મી તારીખે તેનું અવસાન થયું. એ સ્ત્રીનું નામ માર્ગરેટ મિચલ. પણ તેના જીવનમાં સૌથી મોટો અને સુખદ અકસ્માત બન્યો તે તો ૧૯૩૬ના જુલાઈની ૩૦મી તારીખે. તે દિવસ સુધી તે એક અનામી, અજાણી સ્ત્રી હતી. તે દિવસ પછી તેનું નામ અમેરિકામાં ઘરે ઘરે જાણીતું થઇ ગયું, તેણે લખેલી નવલકથા ‘ગોન વિથ ધ વિન્ડ’ને કારણે. એક અકસ્માતમાં ઘૂંટણ ભાંગ્યો અને લાંબો વખત પથારીમાં સૂઈ રહેવું પડ્યું ત્યારે સ્થાનિક લાયબ્રેરીમાં એટલાન્ટાના ઇતિહાસ અંગેનાં હતાં તેટલાં પુસ્તકો વાંચી નાખ્યાં. પતિએ કહ્યું કે હવે નવું પુસ્તક વાંચવું હોય તો તે તારે જ લખવું પડશે. બસ, આટલી અમથી ટકોર, ને માર્ગારેટે ‘ગોન વિથ ધ વિન્ડ’ નવલકથા લખવાનું શરૂ કર્યું. પૂરાં દસ વર્ષ તેણે આ નવલકથા પર કામ કર્યું. નવા લેખકોની શોધમાં નીકળેલો મેકમિલન પ્રકાશક કંપનીનો હેરોલ્ડ લેથામ નામનો પ્રતિનિધિ ૧૯૩૫માં માર્ગારેટને મળ્યો. અચકાતાં અચકાતાં પોતાની હસ્તપ્રત માર્ગરેટે તેને આપી. પછી એ વાત પણ એ તો ભૂલવા આવી હતી. ત્યાં જ અચાનક ૨૧મી જુલાઈએ મેકમિલન તરફથી તાર મળ્યો : ‘તમારું પુસ્તક પ્રગટ કરશું. પહેલી દસ હજાર નકલ પર દસ ટકા અને પછીની નકલો પર પંદર ટકા રોયલ્ટી આપશું. તારથી જવાબ મોકલો એટલે કોન્ટ્રેક્ટ મોકલીએ.’  

આપણે ત્યાં તો લેખક જે, જેવું, જેટલું લખી મોકલે તે તેમનું તેમ પ્રકાશકો છાપી નાખે. પણ યુરપ-અમેરિકામાં ભલભલા લેખકો પણ પ્રકાશકના એડિટરનાં સૂચનો પ્રમાણે ફેરફાર કરવા તૈયાર રહે. ત્યારે આ તો હતી સાવ નવી લેખિકા. પ્રકાશકના એડિટરની સૂચના પ્રમાણે માર્ગરેટે કેટલાક ફેરફાર કર્યા. કેટલોક ભાગ ફરી લખ્યો. પ્રકાશકના એડિટરે કથાના મુખ્ય પાત્ર ‘પેન્સિ’નું નામ બદલવા કહ્યું અને તેનું નામ છેવટે પડ્યું સ્કાર્લેટ ઓહારા. ફરી આખી હસ્તપ્રતમાં નામ બદલવાનું કામ માર્ગરેટે કરવું પડ્યું. પુસ્તક પ્રગટ થાય તે દિવસે ન્યૂ યોર્કમાં હાજર રહેવાનું પ્રકાશકનું આમંત્રણ નબળી તબિયતને કારણે માર્ગરેટે નકાર્યું એટલે પછી એટલાન્ટા લાયબ્રેરી ક્લબમાં પ્રકાશકે માર્ગરેટનું ભાષણ ગોઠવ્યું. પુસ્તક પ્રગટ થતાંવેંત લેખિકા રાતોરાત સેલિબ્રીટી બની જશે એની પ્રકાશકને ખાતરી હતી. એટલે પ્રકાશકે પુસ્તકની એક લાખ નકલ છાપીને તૈયાર રાખેલી. પુસ્તક પ્રગટ થયું તે દિવસે માર્ગરેટ એટલાન્ટાની ડેવિડ સન્સ નામની પુસ્તકોની દુકાને ગઈ અને પોતાની નવલકથા ખરીદવા માટે લોકો જે રીતે પડાપડી કરી રહ્યા હતા તે જોઈ આભી જ બની ગઈ. વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા પ્રગટ થઇ ચૂકી હતી. આજ સુધીમાં તેની ત્રણ કરોડ નકલ વેચાઈ ચૂકી છે. માર્ગરેટને ૧૯૩૭નું પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું અને નવલકથા પરથી ફિલ્મ બનાવવાના હક્ક પચાસ હજાર ડોલરમાં વેચાયા. અગાઉ આટલી મોટી રકમ બીજા કોઈ લેખકને આ માટે ચૂકવાઈ નહોતી. ૧૯૩૯ના ડિસેમ્બરની ૧૫મી તારીખે ‘ગોન વિથ ધ વિન્ડ’ ફિલ્મ રીલીઝ થઇ અને તેને પણ રાતોરાત અસાધારણ સફળતા મળી. ૧૯૪૦માં બેસ્ટ ફિલ્મ સહિતના કુલ આઠ ઓસ્કર એવોર્ડઝ આ ફિલ્મને મળ્યા. 

આ નવલકથામાં લેખિકાએ અમેરિકાનાં ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચેના આંતરવિગ્રહની વાત અત્યંત કુશળતાથી વાણી લીધી છે. ‘સોળ વરસની કન્યા આળસ મરડે રે’ એવી સ્કાર્લેટને આપણે કથાના આરંભમાં જોઈએ છીએ, એક સાથે બે પુરુષ સાથે ફલર્ટ કરતી. પણ તે ચાહે તો છે એશલે નામના એક ત્રીજા જ યુવકને. પણ એશલે ચાહે છે મેલોની નામની છોકરીને. પાર્ટીમાં બધા પુરુષો આવી રહેલા આંતરવિગ્રહની ચર્ચા કરતા હોય છે અને ગુલામી તરફી દક્ષિણનાં રાજ્યો જીતી જશે એમ કહેતા હોય છે. ત્યારે રેહટ બટલર નામનો એક પુરુષ સાવ જુદો જ અભિપ્રાય વ્યક્ત કરે છે. અને અહીથી જ પ્રેમ, દ્વેષ, ઈર્ષાની કથા સાથે લેખિકા આંતરવિગ્રહને સાંકળી લે છે. સંકોચને આઘો મૂકીને સ્કાર્લેટ એશલેને કહે છે કે હું તને ચાહું છું ને તારી સાથે લગ્ન કરવા માગું છું. પણ એ માટીડો તો આપણા સરસ્વતીચન્દ્રનો ભાઈ નીકળે છે. એ કહે છે કે મને પણ તારા માટે પ્રેમ છે, પણ એક ભાઈને તેની બહેન માટે હોય તેવો! પણ સ્કાર્લેટ કાંઈ અલકકિશોરી નહોતી, એટલે જવાબમાં આપે છે ગાલ પર સણસણતો તમાચો. ઓરડામાં છુપાયેલો બટલર આ બધું જુએ છે અને એશલેના ગયા પછી સ્કાર્લેટ સામે પ્રગટ થાય છે ત્યારથી બંને વચ્ચે લવ-હેટનો સંબંધ શરૂ થાય છે. ચાર્લ્સ હેમિલ્ટન નામનો એક યુવક લગ્નની દરખાસ્ત રજૂ કરે છે અને માત્ર એશલેને જલાવવાના હેતુથી સ્કાર્લેટ તેની સાથે પરણી જાય છે. પણ લગ્ન પછી ચાર્લ્સ આંતરવિગ્રહમાં લડવા જાય છે અને મરાય છે. તે પછી સ્કાર્લેટ અને રેહટ એકબીજાંની નજીક આવે છે. એટલાન્ટા પર દુશ્મનનો હુમલો થતાં શહેર ખાલી થવા લાગે છે. એ જ વખતે એશલેની પત્ની મેલોનીને પ્રસૂતિની પીડા ઉપડે છે. કોઈ ડોક્ટર ન મળતાં સ્કાર્લેટ તેની સુવાવડ કરાવે છે, અને પુત્રનો જન્મ થાય છે. પહેલાં જ્યાં રહેતાં હતાં તે તારા પ્લાન્ટેશન જવા માટે સ્કાર્લેટ, રેહટ, મેલોની, અને તેનું બાળક ગાડીમાં નીકળે છે. પીછેહઠ કરતા દક્ષિણના લશ્કરે ધીખતી ધરા કરવાના હેતુથી લગાડેલી આગમાંથી બધાં પસાર થાય છે. પછી લૂંટારાઓના હુમલાનો ભોગ બને છે. પણ છેવટે બધાં તારા પહોંચે છે. બધાંને મૂકીને રેહટ લડાઈમાં જોડાવા જાય છે. 

તારા ખાતે બધું ખેદાનમેદાન થઇ ગયું છે, સ્કાર્લેટની મા મૃત્યુ પામી છે, પિતા ચિત્તભ્રમની અવસ્થામાં છે. ઘર લૂંટાઈ ગયું છે. ગુજરાન ખાતર સ્કાર્લેટ ખેતરમાં કપાસ વીણવાનું કામ કરે છે. આંતરવિગ્રહ પૂરો થતાં એશલે ઘરે પાછો ફરે છે. આંતરવિગ્રહ પછીના નવા વ્યવસ્થાતંત્રમાં તારા પ્લાન્ટેશનને માથે ૩૦૦ ડોલરનો ટેક્સ ભરવાનો આવે છે. આ રકમ મેળવવા ખાતર સ્કાર્લેટ ફ્રેન્ક કેનેડી નામના પુરુષને પરણી જાય છે. થોડા વખત પછી એક ધીંગાણામાં એશલે ઘવાય છે અને ફ્રેંક કેનેડીનું મૃત્યુ થતાં સ્કાર્લેટ બીજી વાર વિધવા બને છે. થોડા વખત પછી રેહટની દરખાસ્ત સ્વીકારી સ્કાર્લેટ તેની સાથે પરણી જાય છે. બંનેને એક દીકરી થાય છે, બોની. પણ સ્કાર્લેટના મનમાંથી હજી એશલે ખસ્યો નથી એટલે ધૂવાંપૂવાં થયેલો રેહટ દીકરીને લઈને લંડન ચાલ્યો જાય છે. પણ બોનીને ત્યાં ગમતું નથી એટલે સ્વદેશ પાછો આવી સ્કાર્લેટ સાથે રહેવા લાગે છે. સ્કાર્લેટ ફરી સગર્ભા થાય છે, પણ દાદર પરથી પડી જતાં બાળકને ગુમાવે છે. ઊંચેથી કૂદવાનો અખતરો કરવા જતાં બોની પણ મા-બાપની નજર સામે જ મૃત્યુ પામે છે. હવે સ્કાર્લેટને ખ્યાલ આવે છે કે હકીકતમાં તે ક્યારે ય એશલેને ચાહતી નહોતી. પણ એશલેએ તેની અવગણના કરી તેથી તે તેની પાછળ પડી હતી. પોતે ખરેખર તો રેહટને જ ચાહે છે એમ તેને લાગે છે, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. સ્કાર્લેટને છોડીને ચાર્લ્સટન જવાનો નિર્ણય રેહટે લઇ લીધો છે. સ્કાર્લેટ તેને પૂછે છે : ‘હવે હું ક્યાં જઈશ? હવે હું શું કરીશ?’ અને ત્યારે આખી નવલકથામાંથી સૌથી વધુ જાણીતા થયેલા વાક્ય દ્વારા રેહટ જવાબ આપે છે : ‘માય ડિયર, આઈ ડોન્ટ ગીવ અ ડેમ!’ 

XXX XXX XXX

10 ડિસેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

‘વંદે માતરમ્’નું વરવું રાજકારણઃ કોમી ધ્રુવીકરણનું અનર્થકારણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 December 2025

બહસ –

નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો

રાષ્ટ્રીય ગાન તરીકે ‘વંદે માતરમ્‘નો મહિમા ઇતિહાસદર્જ હતો, છે અને રહેશે. એમાં પાછળથી થયેલા ઉમેરાને ધોરણે નહીં વિચારતાં એના મૂળ સ્વરૂપને વળગી રહેવું તે ઇષ્ટ લેખાશે.

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રગીત જનગણમનની સમકક્ષ મહત્ત્વ ધરાવતું રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ આઝાદીની લડતની તવારીખમાં એક પ્રેરણાસ્રોત તરીકે હંમેશ મહિમામંડિત રહ્યું છે. એની સાર્ધ શતાબ્દી જેમ દેશમાં ઠામોઠામ મનાવાય તેમ સંસદમાં પણ એના પડછંદા પડે, તે કોને ન ગમે. 

મુશ્કેલી જો કે એ છે કે વર્તમાન સત્તાપક્ષની ‘વંદે માતરમ્’ પરત્વેની ભાવોર્મિ છેક જ સરળ, સહજ ને સ્વચ્છ નથી. કશોક રાજકીય એજન્ડા, કંઈક ભળતીસળતી સમજનો અને ધ્રુવીકરણનો એને વણછો લાગેલો છે. 

લોકસભામાં વડા પ્રધાને તો રાજ્યસભામાં ગૃહ પ્રધાને ચર્ચાનો ઉધાડમોરચો સંભાળી બેટિંગ તો બરોબરની કીધી, પણ એમની માંડણીએ એક તબક્કે લગભગ અધવચ જે મરોડ આપ્યો એમાં સાર્ધ શતાબ્દીના ગૌરવ કરતાં વધુ તો પક્ષીય રાજકારણ સોડાતું હતું. 

જેમના નેતૃત્વમાં કાઁગ્રેસે ‘વંદે માતરમ્’ના પહેલા બે અંતરા જાહેર જીવનમાં રાષ્ટ્રીય ગાનના દબદબા ને દરજ્જાભેર ખપમાં લેવાનો નિર્ણય લીધો એ અલબત્ત પક્ષપ્રમુખ જવાહરલાલ હતા, અને કેમ કે એ જવાહરલાલ હતા, સંઘ પરિવારને નિશાન સારુ સદૈવ સુલભ ખલનાયક એમનાં સિવાય બીજું કોઈ હોય પણ ક્યાંથી. બંને ગૃહોમાં ચાલેલી ચર્ચામાંથી જે વિગતો ઊપસી આવી તે ક્રમબદ્ધ બિલકુલ પગથિયે પગથિયે દર્જ કરી સમજમાં કંડારવા જોગ છે. 

પહેલું તો એ કે આ નિર્ણય જવાહરલાલનો એકતરફી નહોતો. એમના પછી જે કાઁગ્રેસપ્રમુખ થવાના હતા તે સુભાષબાબુના સૂચનથી જવાહરલાલે રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વ મૌલાના આઝાદ અને આચાર્ય નરેન્દ્રદેવ સહિતના સમિતિ સભ્યો વગેરે જોડે મળીને કરેલો એ નિર્ણય હતો કે પહેલા બે અંતરા ખપમાં લેવાશે. બંધારણ સભામાં એ જ ધોરણે નિર્ણય લેવાયો. ભા.જ.પ.ના પૂર્વ અવતાર જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જી સહિતના નેહરુ પ્રધાનમંડળની એના પર મહોર વાગી હતી.

જે અંતરા પડતા મુકાયા, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની ચિત્રાત્મક ભાષા પ્રમાણે ‘વંદેમાતરમ્‌’નું જે વિભાજન થયું એણે ભારતના ભાગલાનો પથ પ્રશસ્ત કર્યો, કેમ કે એમાં મુસ્લિમ તુષ્ટીકરણ રહેલું હતું. ઉલટ પક્ષે, સિલસિલાબંધ તવારીખ શું કહે છે? જે રચનાવર્ષ, 1875ને ધોરણે આજે સાર્ધ શતાબ્દી મનાવાય છે ત્યારે બંકિમચંદ્રે કરેલી રચના માત્ર પહેલા બે અને પહેલા બે જ અંતરાની હતી. જેને પૂર્ણ ‘વંદે માતરમ્’ કહેવામાં આવે છે તે બાકીના નવા અંતરા સહિતની રચના એ મૂળમાં ઉમેરા સાથે બંકિમબાબુની ‘આનંદમઠ’ નવલકથામાં મોડેથી પ્રગટ થઈ છે. 

‘આનંદમઠ’ નવલકથાની વિવેચના કે વિવરણમાં લાંબે નહીં જતાં એટલું જ કહેવું બસ થશે કે એમાંની સામગ્રી અને નવલકથામાં ‘વંદે માતરમ્’નું સ્થાન સામાન્યપણે જેને હિંદુ-મુસ્લિમ તનાવ ને અથડામણ કહીએ તે રીતનું છે. બંગભંગ વખતે ‘વંદે માતરમ્’ ઊંચકાયું એ સાચું છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ જેમ આઝાદીનો નારો હશે તેમ ‘વંદે માતરમ્’ અને ‘અલ્લાહોઅકબર’ હિંદુ-મુસ્લિમ રમખાણોમાં સામસામેના નારા તરીકે વપરાવા લાગ્યા હતા. જે અનુશીલન સમિતિનું નામ બંગાળની ક્રાન્તિકારી ચળવળમાં આદરથી લેવાય છે. એમાં આ હિંદુ પ્રતિજ્ઞાવશ મુસ્લિમોને પ્રવેશ નહોતો તે પણ ગૃહની ચર્ચાઓ દરમિયાન બહાર આવેલી વિગત છે. 

તો, નવા ઉમેરાને બાદ રાખી મૂળના બે પ્રથમ અંતરાને બહાર રાખવામાં તુષ્ટીકરણ ક્યાંથી આવ્યું, એ શોધ્યું સમજાતું નથી. ગૃહમાં કોઈકે ઇતિહાસવસ્તુ તરીકે ઠીક જ યાદ આપી કે મુસ્લિમ લીગના પ્રમુખ ઝીણાએ જૂનાનવા સઘળા અંતરા સમેતનું ‘વંદે માતરમ્’ પડતું મૂકવાની માગણી કરી હતી. પણ કાઁગ્રેસ પ્રમુખ જવાહરલાલે ‘વંદે માતરમ્’ની ઐતિહાસિક અપીલનો મુદ્દો આગળ કરીને એ નકારી કાઢી હતી. દેખીતી રીતે જ,  કિસ્સો તુષ્ટીકરણનો તો નથી. 

ગમે તેમ પણ, ‘વંદે માતરમ્’નું પાવન સ્મરણ રાષ્ટ્રીય અર્ધ્ય તરીકે થયું તેનો આદરપૂર્વક સ્વીકાર-પુરસ્કાર કરીને હાલના સત્તાપક્ષે હિંદુ વિ. મુસ્લિમના કોમી ધ્રુવીકરણની માનસિકતાને રૂખસદ આપી વેળાસર એથી ઊંચે ઊઠવાની ખાનદાની દાખવવી ઘટારત છે. તેમ કરવાથી એક વિજયી તરીકેનું તેમનું ગૌરવ પણ અક્ષુણ્ણ રહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 ડિસેમ્બર 2025

Loading

યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો

સોનલ પરીખ|Opinion - Opinion|10 December 2025

યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
મૈં ગમ કો ખુશી કૈસે કહ દૂં, જો કહતે હૈ ઉનકો કહને દો …

યે ફૂલ ચમન મેં કૈસા ખિલા, માલી કી નઝર મેં પ્યાર નહીં
હંસતે હુએ ક્યા ક્યા દેખ લિયા, અબ બહતે હૈ આંસુ બહને દો …

એક ખ્વાબ ખુશી કા દેખા નહીં, દેખા જો કભી તો ભૂલ ગયે
માંગા હુઆ તુમ કુછ દે ન સકે, જો તુમને દિયા વો સહને દો …

ક્યા દર્દ કિસીકા લેગા કોઈ, ઈતના તો કિસીમેં દર્દ નહીં
બહતે હુએ આંસુ ઔર બહે, અબ ઐસી તસલ્લી રહને દો …

ધર્મેન્દ્રની ચિરવિદાયથી ફરી એક વાર સિનેચાહકોને ભાગ્યે જ પુરાય એવી ખોટ પડી. એની ફિલ્મો, એના સંવાદોથી માધ્યમો ધમધમે છે અને એના ચાહકો એનામાં મસ્ત થવાનો અને એની વિદાયને પચાવવાનો એવો સુખ-દુ:ખ મિશ્રિત અનુભવ કરી રહ્યા છે. ધર્મેન્દ્રની વિદાય તાજી છે અને તેનો જન્મદિન પણ નજીક છે ત્યારે વાત કરીએ એની શરૂઆતની ફિલ્મોમાંની એક ક્લાસિક ફિલ્મ અને એના એક ક્લાસિક ગીતની.

ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર બંનેનો જન્મદિન એક જ દિવસે છે : ૮ ડિસેમ્બર. ધર્મેન્દ્ર ૧૯૩૬માં અને શર્મિક ૧૯૪૪માં. ૧૯૬૬થી ૧૯૮૪ સુધીમાં આ જોડીની દસેક ફિલ્મો આવી, જેમાંની પહેલી ‘અનુપમા’ અને ત્રીજી ‘સત્યકામ’ તેમની જ નહીં, ફિલ્મોના ઇતિહાસની પણ નોંધપાત્ર ફિલ્મો છે. એનું કારણ આ બંને ફિલ્મોના સર્જક, ગહન સંવેદનોને રડમસ કે ડ્રામેટિક થયા વિના વ્યક્ત કરવામાં માહિર હૃષીકેશ મુખર્જી પણ ખરા. આ ત્રણેની હજી એક ફિલ્મ ‘ચુપકે ચુપકે’ને પણ અહીં યાદ કરવી જોઈએ. આજે માણીએ ‘અનુપમા’ ફિલ્મનું હૃદયસ્પર્શી ગીત ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ શબ્દો કૈફી આઝમી, સંગીત હેમંતકુમાર.

અતિવ્યસ્ત બિઝનેસમેન મોહન શર્મા (તરુણ બૉઝ) પ્રમાણમાં મોટી ઉંમરે પરણ્યા છે અને પત્ની અરુણા(સુરેખા પંડિત)ને ખૂબ ચાહે છે. કમનસીબે દીકરી ઉમા(શર્મિલા ટાગોર)ને જન્મ આપતાં અરુણાનું મૃત્યુ થાય છે. દીકરીને જોતાં જ મોહનને સ્મૃતિઓ એવી ઘેરી વળે છે કે એ એનાથી દૂર જ રહેવા માંડે છે અને પોતાની જાતને કામમાં ડુબાડી દે છે. અણગમો ક્યારેક ક્રોધ અને ધિક્કારનું રૂપ પણ ધારણ કરે એવું બનતું રહે છે. હૃષિકેશ મુખર્જીએ પોતાના પરિવારમાં આવી એક ઉપેક્ષિત, ઉદાસ દીકરી જોઈ હતી. એની કથનીમાં બીજા રંગ પૂરી એમણે જ ફિલ્મની વાર્તા લખી હતી.

એક આદર્શવાદી અને એટલે સંઘર્ષરત એવો લેખક આલોક (ધર્મેન્દ્ર) આ મૌન, ભીરુ અને પોતાને ગોપનીય રાખતી રહેતી ઉમાને ચાહે છે ને એના પર પુસ્તક લખવું શરૂ કરે છે. ઉમાએ આંખોથી એના હૃદયનો ભાવ ઝીલ્યો છે. ઉમાની એક પ્રેમાળ, ચુલબુલી ને તોફાની સહેલી(શશીકલા)ના જન્મદિનની પાર્ટીમાં આલોકને ગાવાનું કહેવામાં આવે છે. એ દિવસે ઉમાનો પણ જન્મદિન છે, કોઈએ એને ઉજવ્યો નથી. એને મળીને આલોક પાર્ટીમાં આવ્યો છે. આલોકનું મન દુ:ખી છે, કઇંક ક્રોધિત પણ છે. એ કહે છે, ‘મારી પાસે તો લોહી, આંસુ અને સંઘર્ષની કવિતા છે. અહીં નહીં શોભે.’ છતાં આગ્રહ ચાલુ રહે છે અને એ ‘યા દિલ કી સુનો’ ગાય છે. ગીત નિમિત્તે એનો ગુસ્સો, એની તકલીફ, એનો સ્નેહ – એના હૃદયભાવની જ રજૂઆત થઈ જાય છે.

આમ જુઓ તો આ ગીતને પાર્ટી સૉંગ કહી શકાય. ફિલ્મોમાં સુખનાં, દુ:ખનાં, રોમાન્સનાં પાર્ટી સૉંગ્સ પુષ્કળ છે, પણ આ ગીત જુદું એટલે પડે છે કે તેમાં નાયક ખુદની વેદના વ્યકત કરવાને બદલે એના દુ:ખની વાત કરે છે જે કદી પોતાના મોંએ કશું કહેવાની હિંમત કરવાની નથી. ગીત ઉદાસ છે. કરુણતાની છાંટ પણ ખરી, છતાં મેલોડ્રામેટિક બિલકુલ નહીં. સુંદર શબ્દો, સંયમિત અભિનય અને હેમંતકુમારના કંઠ અને સંગીતનું જાદુ. હીમેન બન્યા પહેલાનો શાંત, સોહામણો ધર્મેન્દ્ર આ ગીતનું મુખ્ય આકર્ષણ છે. પ્રણયગીત ન હોવા છતાં આ ગીતમાં રોમાન્સ છે – જિંદગી પ્રત્યેનો અજબ ઉદાસ રોમાન્સ. ‘એક ખ્વાબ ખુશી કા દેખા નહીં, દેખા જો કભી તો ભૂલ ગયે, માંગા હુઆ તુમ કુછ દે ન સકે, જો તુમને દિયા વો સહને દો …’

આ બાજુ ઉમાનાં લગ્ન એના પિતાએ એક યુવાન (દેવેન વર્મા) સાથે નક્કી કર્યા છે, પણ એ યુવાન અને ઉમાની સહેલી (શશીકલા) પરસ્પર વધારે અનુરૂપ છે અને એકમેકને ચાહવા લાગે છે. ઉમાના હતાશ પિતા બીજા શ્રીમંત પરિવારમાં ઉમાનો સંબંધ ગોઠવે છે. ઉમા એ સંબંધ સ્વીકારે છે? આલોક ઉમાના પિતાને ખાસ પસંદ નથી – એનું શું થાય છે? ઉમા પોતાના મનની વાત કોઈને કરી શકે છે? – આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી પડે.

એક સુંદર ફિલ્મ હોવા ઉપરાંત ‘અનુપમા’ અનેક કારણોસર હિંદી સિનેમાના અભ્યાસીઓએ પણ જોવા જેવી છે. આ ફિલ્મ બિમલ રૉયને સમર્પિત કરાઈ છે. મોટા ભાગની ટીમ બિમલદાની જ છે. હૃષિદાની શૈલી પણ એમની યાદ અપાવે તેવી છે. ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોરે ખૂબ સંયમિત પણ સંવેદનસમૃદ્ધ અભિનય કર્યો છે. શશીકલા, ડૅવિડ, દેવેન વર્મા અને સગી દીકરી માટે પ્રેમ અને ધિક્કાર જેનામાં એકસાથે વસે છે તેવા પિતા તરીકે તરુણ બૉઝનો અભિનય સુંદર છે.

સિનેમેટોગ્રાફી, પટકથા, એડિટિંગ, સંગીત અને અભિનય આ પાંચ ફિલ્મની કસોટી છે. એ દરેક કસોટીમાંથી ‘અનુપમા’ ખરી ઊતરી છે. કલાવિવેચકો આ ફિલ્મને ‘ધ બ્લૅક એન્ડ વ્હાઈટ ક્લાસ ડ્રામા ધૅટ સો સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ ઇંડિયન પોપ્યુલર સિનેમા ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા’ કહે છે તે યોગ્ય જ છે. ‘સત્યકામ’માં ધર્મેન્દ્રની ભૂમિકા સત્યપ્રિય અને આદર્શવાદી યુવાનની હતી જેની અંગત અને વ્યાવસાયિક બંને જિંદગી બંને જોખમમાં મુકાતી રહેવા છતાં એ સત્યને છોડતો નથી. આ પણ ધર્મેન્દ્રની કારકિર્દીની ઉત્તમ ફિલ્મોમાંની એક હતી.

હેમંતકુમારનો કંઠ વાઈબ્રન્ટ, પેટર્નમાં ન બંધાય, સ્ટીરિયોટાઈપ્ડ ન થાય તેવો હતો. દેવ આનંદના 66મા જન્મદિને જ 69ની ઉંમરે હેમંતકુમારનું મૃત્યુ થયું ત્યારે દેવ આનંદે કહ્યું,‘મારા રોમાન્ટિસિઝમને હેમંતકુમારના જવાથી મોટો ફટકો પડ્યો છે.’ પીલુ રાગ પર આધારિત ‘યા દિલ કી સુનો’ સાંભળતાં લાગે કે ધર્મેન્દ્ર પર પણ હેમંતકુમારનો કંઠ બિલકુલ બંધ બેસે છે. પણ આ બંનેનાં ગીતોની સંખ્યા સાવ ઓછી છે. આવું એક જ ગીત મળે છે – ‘ખામોશી’નું તુમ પુકાર લો’. પણ એમાં ધર્મેન્દ્રની પીઠ જ દેખાય છે. એ ગાતો નથી, ગીત બેકગ્રાઉન્ડમાં છે એમ લાગે છે. ‘અનુપમા’નાં અન્ય ગીતો ‘ધીરે ધીરે મચલ’, ‘કુછ દિલ ને કહા’ અને શશીકલા પર ફિલ્માવેલાં ‘ભીગી ભીગી ફઝા’, ‘ક્યોં મુઝે ઇતની ખુશી દે દી’ આજે પણ સાંભળવાં – ગણગણવાં ગમે.

સાહિર, કૈફી અને જાંનિસાર અખ્તરે સ્વાતંત્ર્યોત્તર ન્યૂ વૅવ સિનેમામાં ગીતોની કાયાપલટ કરી નાખી એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કૈફી આઝમીએ પચાસ વર્ષની યાત્રામાં પચાસેક ફિલ્મોનાં ગીતો લખ્યાં. એમના ઘણા સમકાલીનોએ આટલાં સમયમાં આનાથી ઘણાં વધારે ગીતો આપ્યાં છે, પણ ગુણવત્તામાં કૈફી આઝમી એમાંના મોટા ભાગના કરતાં ઘણા વધારે આગળ હોય છે. ‘અનુપમા’ને અને તેનાં ગીતોને કૈફીની ગહનતાનો સુંદર સ્પર્શ મળ્યો છે. ‘અનુપમા’નું અન્ય ગીત ‘ઐસી ભી બાતેં હોતી હૈ, કુછ દિલ ને કહા, કુછ ભી નહીં’ પણ એમના કવિત્વનો ઉત્તમ નમૂનો – ઊનાળાની શાંત રાત્રે લેવા જેવો અનુભવ છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 28 નવેમ્બર 2025

Loading

...102030...45464748...607080...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved