Opinion Magazine
Number of visits: 9456260
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“ઇગલ અને ડ્રેગન વચ્ચે ભારતનું સંતુલન : નવી વૈશ્વિક વ્યવસ્થામાં રાજકીય કુશળતા”

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 August 2025

વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.

ચિરંતના ભટ્ટ

વૈશ્વિક વ્યવસ્થાની ચાકીઓ ફરી રહી છે, રાષ્ટ્રીય સત્તાઓના સ્તર, તેમની તાકાત, તેમની નીતિઓ – બધું જ બદલાઈ રહ્યું છે. ફેરફાર આવી રહ્યા છે અને લીલા ભેગું સૂકું બળે એવો ઘાટ પણ થઇ રહ્યો છે.  એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્થિતિ ઓછે વત્તે અંશે બધા જ દેશો માટે છે. આપણે માત્ર આપણા દેશની દૃષ્ટિએ વાત કરીએ તો રાજકીય ભૌગોલિક સંજોગો એવા રચાયા છે કે અમેરિકન ઇગલ અને ચાઈનીઝ ડ્રેગન સાથે આપણો ભારતીય હાથી સંતુલન કરવા માટે જાણે દોરડા પરનું તરકટ કરતો હોય એવી રીતે સંતુલન બનાવી રહ્યો છે.

ટ્રમ્પની ભૂલભરેલી વ્યૂહરચના

ડોનાલ્ડ ટ્રમ્પને યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ તરીકે બીજીવારની ઇનિંગના આઠ મહિના પૂરા થયા છે. આટલા વખતમાં તેણે ભારત-યુ.એસ.ની આટલાં વર્ષોની વ્યૂહાત્મક ભાગીદારીને ભૂતકાળ બનાવી દીધી હોય એવું લાગે છે. અમેરિકા ફર્સ્ટ – એ ટ્રમ્પનો નારો હતો. પોતાના આ એજન્ડાને લઈને વિચાર્યા વગર આગળ વધેલા ટ્રમ્પે એશિયા પેસિફિકના તેના સૌથી સારા સાથી રાષ્ટ્ર પર આર્થિક શસ્ત્રોનો હુમલો કર્યો.

પરિણામ? ભારતે આ અઠવાડિયે 3.6 બિલિયન ડૉલર્સની બોઈંગ P-8I મેરિટાઈમ સર્વિલિયન્સ એરક્રાફ્ટના સોદાને અટકાવી દીધો છે. ટ્રમ્પે 25 ટકા (અમુક કિસ્સામાં 50 ટકા સુધી) ટેરિફ ઝીંક્યાનો આ સીધો જવાબ છે. 1998માં ભારત અને યુ.એસ.એ. વચ્ચેના સંબંધોમાં ન્યુક્લિયર ટેસ્ટને કારણે નાટ્યાત્મક તિરાડ પડી હતી. તે પછી એ પ્રકારના સંજોગો અત્યારે ખડા થયાં છે.

આ પરિસ્થિતિમાં વિરોધાભાસ દેખીતો છે. ટ્રમ્પ, જેણે ચીનને કાબૂમાં રાખવાની ઝુંબેશ ચલાવી, તેણે પોતાના સાથી ગણાતા રાષ્ટ્ર ભારતને જાણે પોતાના હરીફ ચીનના હાથમાં ધકેલ્યો. આને ભૌગોલિક રાજકીય કૂટનીતિ નહીં પણ રાજદ્વારી આત્મહત્યા કહેવાય. ટ્રમ્પ ભારત સાથે જે વહેવાર કરે છે તે અતાર્કિકતા અને અસંગતતાનો માસ્ટર ક્લાસ છે. જાન્યુઆરી 2025થી ટ્રમ્પે ટેરિફના ગાણાં ગાયાં હતા અને આખરે તેણે ધાર્યું કર્યું પણ.

ભારતીય આઈ.ટી. સેવાઓ અને ફાર્માસ્યુટિકલ્સની અમેરિકા તરફથી તોતિંગ માંગ છે જે સરપ્લસમાં છે. યુ.એસ.એ. સાથેના આ વ્યાપારનો ભારતને હંમેશાંથી લાભ મળતો આવ્યો છે. હવે જેટના મામલે જે રીતે સોદો અટક્યો છે તે બતાડે છે કે ટ્રમ્પની લેવડ-દેવડની કૂટનીતિ સાવ ઢંગ ધડા વગરની છે.

2021માં 2.42 બિલિયન ડૉલર્સમાં મંજૂર થયેલો આ સોદો આમે ય પુરવઠાની ચેઈનમાં આવેલા અવરોધો અને ફુગાવાને કારણે 3.6 બિલિયન ડૉલર્સ પર પહોંચ્યો હતો. ટ્રમ્પના ટેરિફના દાવને કારણે એરક્રાફ્ટ ભારતના સુરક્ષા બજેટ માટે બહુ મોંઘા થઈ ગયા. ભારતીય નૌકા દળ બાર P-8I એરક્રાફ્ટ ઓપરેટ કરે છે અને તે ઈન્ડો-પેસિફિક સર્વેલિયન્સ માટે અનિવાર્ય છે. હવે ભારતીય નૌકાદળે નવા અને સ્વદેશી વિકલ્પો શોધવા પડશે. અમેરિકા તરફથી સુરક્ષા માટેના સંસાધનોના નિકાસકારો માટે આ સ્થિતિ બહુ આવકાર્ય નથી.

ટ્રમ્પનો આ વહેવાર સાબિત કરે છે કે તેને મિત્રો અને શત્રુઓ વચ્ચેનો ભેદ પારખતા નથી આવડતું. આ એ જ પ્રેસિડન્ટ છે જેણે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચી લીધું અને ભાગીદાર દેશોને પણ ગણતરીમાં ન લીધા. જોવાનું એ છે કે ટ્રમ્પને એવી અપેક્ષા છે કે પોતાની આ દાદાગીરી અથવા તો આર્થિક દંડને ભારતે ચૂપચાપ વેઠી લઈને ચીન સામેનું પોતાનું વિરોધાભાસી વલણ યથાવત રાખે. રાજદ્વારી સ્તરનું આવું આંધળુકિયું વલણ હાસ્યાસ્પદ સાબિત થઈ શકે છે એવું ટ્રમ્પ સમજે તો સારું.

ચીનનો તકવાદી અભિગમ

આ તરફ ભારતે જેટનો સોદો અટકાવ્યો તેની સાથે બેઈજિંગ સાથે રાજદ્વારી વાતચીત પુનર્જીવિત કરી. ચીને જે વ્યૂહાત્મક ધીરજ દાખવી છે જે ટ્રમ્પમાં ક્યાં ય વર્તાતી નથી. 2020માં ગલવાનમાં થયેલા સંઘર્ષ અને સરહદ પરના તણાવ છતાં બેઈજિંગે બહુ સિફતથી અમેરિકાની ભૂલનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. તાજેતરમાં જ્યારે ચીન-ભારતના સૈન્ય વચ્ચે થયેલા સંવાદને પગલે સમયાંતરે પૂર્વ લદાખમાંથી લશ્કરી ટૂકડીઓનું વિસર્જન થયું, તે અચાનક થયેલી ઘટના નથી પણ બહુ ગણતરીપૂર્વકનો તકવાદ છે. ચીનની ઉદારતા નથી પણ હોંશિયારી છે. જે રીતે ટ્રમ્પની આડોડાઈને કારણે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન જેવા દેશોએ ચીન સાથે સંબંધો સુધાર્યા છે, તે જ દિશામાં ભારત પણ કદમ માંડે એવો વખત આવ્યો છે.

વડા પ્રધાન મોદીએ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં હાજરી આપી તે પણ એક વૈચારિક પગલું હતું. જ્યારે તમારા કૂટનૈતિક ભાગીદાર તમને આર્થિક શત્રુ તરીકે જોતા હોય ત્યારે તમારા પરંપરાગત શત્રુ સાથે સંબંધો હળવા કરવાની પહેલ ભૌગોલિક-રાજકીય સ્તરે તાર્કિક પગલું જ ગણાય.

ભારતનો પડકાર – “સંતુલન!”

જો કે ભારતે ચીન સાથેની દોસ્તીમાં ચેતતા રહેવું પડશે તે જરૂરી છે. દિલ્હી અને બેઈજિંગ વચ્ચે વિશ્વાસની અછત તો સરહદના સંઘર્ષો કરતાં ઘણી ઊંડી છે. પાકિસ્તાન માટે ચીનનો સતત ટેકો અવગણી ન શકાય.

વળી મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ગુપ્ત માહિતીની આપ-લેમાં ચીનનો હાથ હોવાનો અહેવાલ પણ છે. કોઈપણ વ્યૂહાત્મક દોસ્તીની, ભાગીદારીની કે સહયોગની આગવી મર્યાદાઓ હોય છે. ભારત-અમેરિકા વચ્ચેના તણાવને બેઈજિંગ ભારતની સ્વાયત્તતાને મર્યાદામાં રાખવાની તક તરીકે જુએ છે, ખરેખર દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે નહીં.

અત્યારે આપણી સરકાર એક સંકુલ પરિસ્થિતિમાં છે. એક તરફ આર્થિક વ્યવહાર માટે આપણે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. બીજી તરફ વ્યૂહાત્મક વાસ્તવિકતા માટે હિંદ મહાસાગર અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન પોતાનો પ્રસાર ન કરે, પકડ ન જમાવે તેની પણ પૂરી કાળજી રાખવાની જરૂર છે.

ટ્રમ્પના ટેરિફના તાંડવ સામે ભારતે બહુ માપી-જોખીને મક્કમ જવાબ આપ્યો છે. બોઈંગના સોદાને અટકાવીને આપણે ચોખ્ખો સંદેશ આપ્યો છે કે જો આર્થિક દબાણ કરાશે તો સામે આર્થિક ખોટ જાય એવાં પગલાં જ લેવાશે. જો કે સરકારે બેઈજિંગ તરફ વધુ પડતો ઝુકાવ રાખવાની લાલચ ટાળવી જોઈએ. ચીન પણ પોતાનો સ્વાર્થ જ જુએ છે, ચીનને ભારત સાથે વ્યૂહાત્મક સ્તરે સારાસારી કરીને સરળતાની કોઈ ચાહ ન હોય એ આપણે ન ભૂલવું જોઈએ. આપણો પડકાર છે વોશિંગ્ટન હોય કે બેઈજિંગ હોય – કોઈની ય શરણાગતિ સ્વીકાર્યા વિના વ્યૂહાત્મક સ્વાયત્તતા સચવાયેલી રહે.

સરકારની ભૂલો અને સુધારાની અનિવાર્યતા

હવે ટ્રમ્પે ટેરિફના નામે અરાજકતા ફેલાવી છે તો આપણી સરકારે પણ કંઈ બહુ શાલીનતા નથી જાળવી. ભારતને વિશ્વ ગુરુ ગણાવવાની કેન્દ્ર સરકારની ઘેલછાને કારણે સત્તાના રાજકારણનું સત્ય ઢંકાઈ ગયું છે. આપણે યુ.એસ.એ. સાથેની દોસ્તી જાહેરમાં અનેકવાર ઉજવી છે. આપણને તેની સ્થાનિક રીતે જરૂર હતી ત્યારે પણ આપણે અમેરિકા પાસેથી આપણી કેટલી અપેક્ષાઓ પૂરી થઈ શકે છે તેનું અવાસ્તવિક ચિત્ર આપણે ખડું કરી ચૂક્યા છીએ. વધુ મુશ્કેલ બાબત એ છે કે ભારતની સંરક્ષણ સંપાદનની કામગીરી ધીમી તો છે જ પણ અમુક વાર અપારદર્શક પણ હોય છે. બોઈંગના સોદાની કિંમતનો વધારો એ તંત્ર સ્તરે કાર્યક્ષમતાનો અભાવ દર્શાવે છે. આ કારણે જ આપણે બાહ્ય આર્થિક દબાણોમાં સપડાવા માટે સંવેદનશીલ રાષ્ટ્ર બનીએ છીએ.

આપણે સંરક્ષણના મામલે સ્વદેશીકરણની વાત ત્યારે જ કરીએ છીએ જ્યારે ટ્રમ્પના કારણે આપણું નાક દબાય છે. આપણે પ્રો-એક્ટિવ થવાની જરૂર છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવામાં કોઈ સાર નથી. આપણી સુરક્ષાના મામલે આપણું સ્વદેશીકરણ કાયમી વ્યૂહરચનાનો હિસ્સો બને એ રીતે તેને વેગ આપવો જોઈએ.

હવે આગળ શું?

આપણે ઘણી મહત્ત્વપૂર્ણ ગણતરીઓ કરવી પડે તેમ છે. પહેલાં તો ભારતે અમેરિકન સિસ્ટમોથી આગળ વધીને ઓપરેશનલ પ્રભાવમાં કોઈપણ સમાધાન કર્યા વિના સંરક્ષણના સંસાધનો મેળવવાં જોઈએ.

સ્વદેશી વિકલ્પો કદાચ વ્યૂહાત્મક રીતે મજબૂત ન હોય – તે રાતોરાત ખડાં પણ ન થઈ શકે. પણ અમેરિકા નહીં હોય તો આપણે સંરક્ષણના મામલે કાચા રહી જઈશું એવું અન્ય રાષ્ટ્રો ન માની લે તે જરૂરી છે.

બીજું એ કે નવી દિલ્હીએ અમેરિકા-ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે ફ્રાન્સ, જર્મની અને જાપાન જેવા રાષ્ટ્રો સાથે સંબંધ બહેતર કરવા જોઈએ.

ભારતે ચીન સાથેના સંબંધોને કાયમી દોસ્તી માની લેવાની ભૂલ તો કોઈ કાળે ન કરવી જોઈએ. બેઈજિંગની અત્યારે મધ્યસ્થી તરીકેની માનસિકતા અમેરિકન દબાણ અને ભારતીય લાભનું પ્રતિબિંબ છે. જો ટ્રમ્પની આડોડાઈ ભારતને નબળો પાડે તો ચીનનું વર્તન જેવું હતું એવું ફરી થઈ જ શકે છે.

રશિયન તેલ પર આપણી વધુ પડતી નિર્ભરતાથી વોશિંગ્ટન બુરાશે. ભારતનો તર્ક ટ્રમ્પને માફક નહીં આવે એ આપણે યાદ રાખવું જોઈએ. ચીન પર બહુ આધાર રાખીશું તો આપણે તેની મહત્ત્વાકાંક્ષાઓનો ભોગ બનીએ એમ તો બને જ પણ અન્ય વૈશ્વિક સાથીઓને પણ ચિંતા થઈ જશે.

મોદીએ ટ્રમ્પને દોસ્તીના નામે બહુ માથે બેસાડ્યા હતા તેની ટીકા પણ ચોમેર છે એટલે આવા જોખમો આપણે ટાળીએ એ પણ જરૂરી છે.

બાય ધી વે: 

આપણે ઈગલ અને ડ્રેગન વચ્ચેથી પસંદગી કરવામાં સમય બગાડવા કરતાં સ્વતંત્ર કાર્યવાહી માટે આપણું સ્થાન મજબૂત કરવામાં સમય અને બળ વપારવા જોઈએ. આ માટે આર્થિક વૈવિધ્ય, સુરક્ષાના મામલે સ્વદેશીકરણ અને અમેરિકા-ચીન સાથેના સંબંધોમાં કાળજી અને સાવચેતી રાખવાની જરૂર છે. આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતા ત્યારે મજબૂત બનશે જ્યારે આપણે સમજદારી વાપરીશું. અન્ય લોકશાહી રાષ્ટ્રોની તાકાત અને આવડત આપણને કઈ રીતે કામ લાગી શકે છે તે વિચારીને આગળ વધવું પડશે. અમેરિકાના દબાણ અને ચીનના પ્રલોભનનો પ્રતિકાર કરવાની આપણામાં આવડત હોય તે અનિવાર્ય છે. અત્યારે સંજોગો આકરા હોવા છતાં હંમેશાં આપદામાંથી અવસર કરનારા આપણા વડા પ્રધાને અત્યારે પણ એ કરી બતાડવું જોઈએ. ટ્રમ્પે અમેરિકા માટે રાષ્ટ્રીય હિતોની વાત કરી પણ પોતાનું જોર બતાડવામાં ચીનને પ્રભુત્વ મળે એવી પરિસ્થિતિ બનાવી દીધી. આજના જમાનામાં ભારતની મજબૂતાઈ પસંદગીમાં નહીં પણ સ્વતંત્ર નિર્ણયની ક્ષમતામાં છે. ટ્રમ્પે ચીનને મહાસત્તા બનાવવાનું કામ અજાણ્યે કર્યું છે. ભારતે આ પરિસ્થિતિમાં પોતાની ગરિમા અને હિતોને સાચવીને આગળ વધવું જ પડશે. અમેરિકાના નાટકમાં હિસ્સો લીધા વિના, આપણી ગરિમા જાળવી આપણે નુકસાનથી દૂર રહી તાકાત ખડી કરીએ તે જ જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2025

Loading

ટૂંકું અજંપ જીવન, રંગસમૃદ્ધ ભવ્ય ચિત્રો : અમૃતા શેરગિલ 

સોનલ પરીખ|Opinion - Opinion|10 August 2025

અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે …

અમૃતા શેર-ગિલ

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. 2021માં સેફ્રોનેટ ઑક્શન હાઉસે એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું હતું. 2023માં આ જ હાઉસે એનું બીજું પેઈન્ટિંગ ‘ધ સ્ટોરી ટેલર’ 61.8 કરોડમાં વેચ્યું અને તે વિશ્વભરના સૌથી ‘એક્સ્પેન્સીવ’ કલાકારોમાં ગણાઈ. તેની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે. 

મહારાજા રણજિતસિંહની પૌત્રી એક યુરોપયાત્રા દરમિયાન એક હંગેરિયન યહૂદી ઓપેરા સિંગર મેરી ઍન્તૉનિયેતને મળી અને પોતાની સાથે ભારત લાવી. સિમલામાં પંજાબી રાજકુળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને ઍન્તૉનિયેત પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 1913માં ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં અમૃતાનો જન્મ થયો.

આઠેક વર્ષ પછી શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી – એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી. 

મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટસ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહનરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી. 

તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. મારું મન પોતાને શું જોઈએ છે તે જાણે છે અને બહારની અસરને સ્વીકારવાનો વિરોધ કરે છે.’ તેનાં પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો થોડો પ્રભાવ ખરો, પણ તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’ 

1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મુગેરિન મળ્યો. તેણે બનાવેલું માલ્કમનું પેઈન્ટિંગ દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે. 

સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં.  

1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી, પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે – ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા મારે ચિત્રિત કરવી છે.’ 

1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. 1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. પતિપત્ની ભારત આવ્યાં અને પિતાની જાગીર સરાયામાં જઈને રહ્યાં. ‘બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’ 

‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ ચિત્રો તેણે અહીં કર્યાં. તે ખૂબ કામ કરતી. કહેતી, ‘સમય નથી.’ એક જાતનો અજંપો તેને ઘેરતો. 

1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને બે દિવસમાં મૃત્યુ પામી. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે. 

અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18.69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું. 

પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.

અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું. 

કલા-વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુ લખે છે, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? તેનામાં જે કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 જુલાઈ  2025

Loading

અત્યારની ઊઘાડી દાદાગીરી અને ભૂતકાળના ઢોંગ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2025

રમેશ ઓઝા

લંડનથી પ્રકાશિત થતા ‘ગાર્ડિયન’ નામના અખબારમાં એક ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત થયો છે. ચોંકાવનારો એટલા માટે કે એ જગતના અત્યંત સભ્ય દેશોમાં ગણના ધરાવતા બ્રિટન અંગેનો છે અને વિષય ન્યાય આધારિત સભ્ય સમાજની રચના છે. પ્રારંભમાં જ જણાવી દઉ કે સભ્ય દેશ એ કહેવાય જ્યાં લોકતંત્ર હોય, કાયદાનું રાજ હોય, સ્વતંત્ર ન્યાયતંત્ર હોય, દરેક પ્રકારના નાગરિક અધિકારો સુરક્ષિત હોય, પ્રજા વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ કરવામાં ન આવતા હોય, શાસકો પ્રજાને જવાબદાર હોય, માણસાઈની કેટલીક મર્યાદા જળવાતી હોય, માણસાઈના કેટલાક માપદંડો અફર હોય અને માનવીય ગરિમા રાષ્ટ્રજીવનના કેન્દ્રમાં હોય. સભ્ય સમાજના આ કેટલાક માપદંડો છેલ્લી એક-બે સદીમાં વિકસ્યા છે અને જે દેશ જેટલા પ્રમાણમાં તેને અપનાવે એ પ્રમાણે તેને સભ્યતાના ગજથી માપવામાં આવે છે. બ્રિટન આ બાબતે ઉચ્ચાંક ધરાવતા દેશોમાંનો એક છે. 

હવે ‘ગાર્ડિયન’નો અહેવાલ શું કહે છે એ જોઈએ. ‘ગાર્ડિયન’ના ત્રણ પત્રકારોએ એક અભ્યાસ હાથ ધર્યો કે સભ્ય સમાજની દિશામાં લઈ જતી બ્રિટનની યાત્રા કઈ રીતની છે. સંપૂર્ણ આદર્શ સમાજ (જેને આપણે રામરાજ્ય કહીએ છીએ) તો હોતો નથી અને હોવાનો નથી, પણ એ દિશામાં ઉત્તરોત્તર આગળ વધી શકાય છે અને એ રીતે માણસાઈને સમૃદ્ધ કરી શકાય છે. અનુભવે જે જે ક્ષતિઓ નજરે પડે એ દૂર કરતા જવું જોઈએ. સમયે સમયે સુધારા થતા રહેવા જોઈએ. પણ એ સુધારા શેને આધારે થાય? જવાબ દેખીતો છે; જે તે બાબતે કરવામાં આવતા અભ્યાસો, અહેવાલો, ભલામણો વગેરેના આધારે. એ ભલામણો ક્યારેક નાગરિક સમાજ કરતો હોય છે, ક્યારેક જે તે વિષયના નિષ્ણાતો કરતા હોય છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરતી હોય છે, સરકારી સંસ્થાઓ કરતી હોય છે, સરકાર દ્વારા નિયુક્ત અભ્યાસ કે તપાસપંચો કરતા હોય છે અને પ્રસંગ આવ્યે અદાલત કરતી હોય છે. આપણે ત્યાં પણ આ બધું થાય છે જેની સુજ્ઞ વાચકને જાણ હશે. આ રીતે ક્રમશઃ માનવીય સમાજ આકાર પામતો હોય છે.   

‘ગાર્ડિયન’ના ત્રણ પત્રકારોએ ૧૯૮૧થી અત્યાર સુધી આ દિશામાં કરવામાં આવેલા અભ્યાસો અને ભલામણોની એક યાદી બનાવીને તપાસ કરી કે આના અમલની સ્થિતિ શી છે? યાદ રહે આમાં માત્ર એ જ અહેવાલો અને ભલામણોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો સરકારે સ્વીકાર કર્યો હતો અને અમલ કરવાનું વચન આપ્યું હતું. એમાં એવા અહેવાલો / ભલામણોનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે જે સરકારે પોતે પંચ રચીને મંગાવ્યા હતા. ‘ગાર્ડિયન’નો અહેવાલ કહે છે કે સરકાર દ્વારા સ્વીકારેલી ભલામણોમાંથી માત્ર ત્રીજા ભાગની ભલામણોનો સંપૂર્ણ અમલ થયો છે અને બીજી ત્રીજા ભાગની ભલામણોનો બિલકુલ અમલ કરવામાં નથી આવ્યો. બાકી રહેલી ત્રીજા ભાગની ભલામણોનો અડધોપડધો અમલ કરવામાં આવ્યો છે. રંગભેદ દૂર કરવા અંગેના એક અહેવાલમાં કરવામાં આવેલી ભલામણોમાંથી માત્ર પાંચ ટકા  ભલામણોનો અમલ કરવામાં આવ્યો છે. સૌથી વધુ ઉદાસીનતા રંગભેદની બાબતે જોવા મળે છે. અને આ બ્રિટનની વાત છે જે સભ્ય દેશોમાં અગ્રેસર છે. 

આ એ સમયની વાત છે જ્યારે જગતમાં જમણેરી જુવાળ હજુ શરૂ નહોતો થયો. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં આપણે સર્વશ્રેષ્ઠવાળી સર્વોપરિતાનું ગાંડપણ નહોતું શરૂ થયું. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં ઓળખ આધારિત ઝનૂની બહુમતી રાષ્ટ્રવાદનો યુગ નહોતો બેઠો. આ એ સમયની વાત છે જ્યારે જગતમાં ટ્રમ્પકુળના શાસકો બહુ ઓછા હતા. પણ તો પછી બ્રિટનમાં આવું કેમ? અને જો બ્રિટનમાં સ્થિતિ આવી હોય તો ભારત જવા દેશોનું તો પૂછવું જ શું! ભારતમાં તો બે-ચાર અપવાદોને છોડીને મીડિયા પણ ‘ગાર્ડિયન’ની કક્ષાનું પત્રકારત્વ કરતા નથી. 

દેખીતું કારણ છે ઢોંગ. અત્યારની ઊઘાડી નાગાઈ અને ભૂતકાળના ઢોંગ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. અત્યારે નાગા થઈને કોઈકની પાસેથી કશુંક છીનવી લેવામાં આવે છે અથવા વંચિત રાખવામાં આવે છે તો ત્યારે વાયદા કરવામાં આવતા હતા, આશ્વાસન આપવામાં આવતાં હતાં, સામેવાળાની વાત એ કહે એના કરતાં પણ અસરકારક રીતે કહેવામાં આવતી હતી અને એવો દેખાવ કરવામાં આવતો હતો કે જો આને અપનાવવામાં ન આવે તો આપણે સભ્ય કહેવડાવવાને લાયક નથી. પણ અમલ કરવામાં નહોતો આવતો અને જો અમલ કરવામાં આવતો હતો તો અરધોપરધો કરવામાં આવતો હતો. 

પણ શા માટે? પહેલું કારણ છે લોકશાહી. લોકશાહી વ્યવસ્થાની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં પ્રજાના સાથની જરૂર પડે છે. પ્રજા મત આપે ત્યારે સત્તા મળે છે અને એટલે પ્રજાને રાજી રાખવી પડે છે. પ્રજાના મત મેળવવા માટે વચનો આપવામાં આવે છે અને આપેલાં વચન પ્રત્યે ગંભીર હોવાનો દેખાવ કરવામાં આવે છે. 

બીજું કારણ છે માનવ સ્વભાવ. જે ઉપર છે તેને નીચે ઉતરવું નથી, હાથમાં છે એ છોડવું નથી, બીજાને પોતાની પંક્તિમાં બેસવા દેવો નથી, ફાયદો કરાવી આપનારી પ્રસ્થાપિત વ્યવસ્થાને બદલવા દેવી નથી, વગેરે. એ તો દેખીતી વાત છે કે સહિતો રહિતો કરતાં વધારે તાકાતવાન હોવાના. તેઓ પરિવર્તનને રોકીને જૈસે થે સ્થિતિ જાળવી રાખવા માટે લોબિંગ કરશે. રાજકીય પક્ષોને અને તેના નેતાઓને ચૂંટણી લડવા પૈસા આપશે, ન્યાયતંત્રને પ્રભાવિત કરવા જજોને, મીડિયાને પ્રભાવિત કરવા પત્રકારોને, વહીવટીતંત્રને પ્રભાવિત કરવા અમલદારોને એક કે બીજી રીતે ફાયદો કરાવી આપશે કે જેથી તેઓ પરિવર્તનને અવરોધે. સામ્યવાદના પતન પછી શરૂ થયેલા મૂડીવાદના વર્તમાન યુગમાં સ્થાપિત હિતોનો પ્રભાવ વધ્યો છે. વધ્યો નહીં, અનેક ગણો વધ્યો છે. 

ત્રીજું કારણ એ છે કે શાસકો, અમલદારો, જજો કે પત્રકારો દરેક અંતે તો જે તે સમાજના સભ્ય છે. તેઓ તેમને ગળથૂથીમાં મળેલા સંસ્કારો છોડી શકતા નથી. ગળથૂથીમાં મળેલાં સંસ્કારોથી ઉપર ઊઠીને માનવીય સંસ્કાર અપનાવવા એ અઘરું છે. અનેક લોકો એમ કહે છે કે ગાંધીજી પણ આ કરી શક્યા નહોતા. ચોથું કારણ છે હમ ભી ડીચ વાળો સિનારિયો. ઔદીચ બ્રાહ્મણોની નાતના જમણવારમાં દરેક જણ વાડીના દરવાજે પોતાની ઔદીચ ઓળખ આપીને અંદર જમવા જતો હતો. એક માણસ દૂરથી આ જોતો હતો અને તેને કાને ડીચ ડીચ અવાજ આવતો હતો, થોડી વાર પછી તેણે પણ સાહસ કરીને હમ ભી ડીચ કહીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. આવી સ્થિતિ વિશ્વસમાજની પણ છે. સભ્યતામાં અમે કોઇથી પાછળ નથીએ બતાવવા સારુ હમ ભી ડીચની માફક સભ્યતાના માપદંડો અપનાવવા માંડ્યા, પણ કહેવા પૂરતા. પ્રજાને માનસિક રીતે તૈયાર કર્યા વિના, નાગરિકને નાગરિકતાનો ધર્મ સમજાવ્યા વિના, જરૂરી વ્યવસ્થાકીય સુધારાઓ કર્યા વિના સભ્યતાનો દેખાડો શરૂ થયો. અને પછી તો હિંમત વધતી ગઈ. કરો દાવા અને કરો દેખાડા. 

પાંચમું કારણ છે દરેક પ્રજાસમૂહના પંચકતારિયા. આ પણ માનવીય સ્વભાવ છે. હાંસિયામાં રહેલા સમાજમાંથી જો કોઈ માણસ આગળ આવે તો પહેલું કામ એ માણસ પોતાના સમાજથી દૂર જવાનું કરશે. એને પોતાના જ સમાજના લોકોથી અને જીવનશૈલીથી શરમ આવશે. તે એ લોકો જેવો થવાનો પ્રયાસ કરશે અને એ લોકો સાથે ભળવાનો પ્રયાસ કરશે જેણે તેને સદીઓથી દૂર રાખ્યો હતો. ટૂંકમાં સભ્ય વ્યવસ્થાના લાભાર્થીઓ પોતાના સમાજના લોકોને લાભ પહોંચાડવાની જગ્યાએ એની સાથે ભળી જશે જે વ્યવસ્થા બદલવા માગતા નથી. ૧૯મી સદીમાં  અંગ્રેજી શિક્ષણનો લાભ લીધેલા અનેક ભણેલાગણેલા અને સુધરેલા સવર્ણો અંગ્રેજોને વફાદાર હતા. 

છઠું કારણ છે પરિવર્તનની માગણી કરનારાઓની ભાષા અને વ્યવહારમાં અતિરેક. જેમ કે દલિત નેતાઓની ભાષા અને વર્તણૂક. તેઓ પોતાના સમાજના હિતોને ફાયદા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે. જે લોકો વ્યવસ્થાપરિવર્તનને અવરોધવા માગે છે તેઓ આવા લોકોનો લાભ લે છે. 

આ અને આવાં હજુ બીજાં કેટલાંક કારણોને લઈને સાચુકલા પરિવર્તનો થઈ શક્યાં નહીં, માનવીય ગરિમાયુક્ત સભ્ય સમાજની રચનાની દિશામાં આગળ વધી શકાયું નહીં અને તેની જગ્યા દેખાવ અને ઢોંગે લેવા માંડી. આજે જે સ્વાર્થ, નીચતા, દાદાગીરી જોવા મળી રહ્યાં છે અને તેમાં વધારો થઈ રહ્યો છે એ આ દેખાવ અને ઢોંગનું પરિણામ છે.

જો બ્રિટનની આવી સ્થિતિ હોય તો ભારતનું તો પૂછવું જ શું!  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2025

Loading

...102030...45464748...607080...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved