Opinion Magazine
Number of visits: 9736560
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—324

દીપક મહેતા|Opinion - Opinion|17 January 2026

આજે આપણે બધાએ જવાનું છે મુંબઈની કંપની સરકારની જેલમાં  

 મુંબઈની જેલોની વાત કર્યા પછી ગુનેગારોને થતી સજાઓની થોડી વાત.

૪ મે ૧૮૦૧ : આર્થર ફોર્બ્સ મિશેલ, બાવીસ વરસનો આશાસ્પદ યુવાન. ૧૯ વરસનો હતો ત્યારે મલબારમાં હતો. સરકારને અને ત્યાંના અંગ્રેજોને ઘણી રીતે મદદરૂપ થતો. પછી એ જમાનાની ખૂબ જાણીતી ફોર્બ્સ એન્ડ કંપનીમાં ભાગીદાર બનીને મુંબઈ આવ્યો. જ્યોર્જ બ્રિજિસ બેલાસિસ નામના લશ્કરના લેફ્ટનન્ટે તેનું ખૂન કર્યું. તેના પરનો ખટલો લશ્કરી અદાલતમાં ચાલ્યો. ૧૪ વરસ માટે તડીપાર થયો. એ વખતે તડી પાર થયેલા બ્રિટિશ ગુનેગારોને પૂર્વ ઓસ્ટ્રેલિયા મોકલી દેતા. પણ બેલાસિસની પહોંચ ઠેઠ બ્રિટિશ રાજના તાજ સુધી. તેની પત્ની રૂપ રૂપનો અંબાર. ‘મિસ કિંગ’ બનેલી. બંને પતિપત્ની સિડની પહોચ્યાં. બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહે પોતાના જન્મ દિવસે માફી આપી દીધી. બેલાસિસ અને પત્ની તરત હિન્દુસ્તાન પાછાં આવ્યાં. બેલાસિસે અંગ્રેજોના દુ:શ્મન પેશ્વા દરબારને સાધ્યા. તેમના લશ્કરમાં જોડાઈ ગયો. વખત જતાં પેશ્વાના લશ્કરની તોપચી સેનાનો વડો બન્યો!

૧૮૦૪ : ચોરીના ગુનામાં કસૂરવાર ઠરેલા જેમ્સ પેનિકોને ત્રણ મહિનાની કેદ. દર મહિને એક દિવસ તેને સતત ચાબૂક ફટકારતાં ફટકારતાં એપોલો ગેટથી બજાર ગેટ સુધી ચલાવીને લઈ જવાનો.

૧૮૦૪ : કોર્ટમાં જુઠ્ઠી જુબાની આપવાના ગૂના સબબ ઈસ્માઈલ શેખને પાંચ વરસની કેદ. એ દરમ્યાન દર વરસે પહેલી ઓક્ટોબરને દિવસે કોર્ટ હાઉસની બહાર આવેલી ‘પીલરી’ પર આખો દિવસ ઊભા રહેવાની સજા. 

મુંબઈ પોલિસ ૧૮૫૫–૧૮૬૨નો યુનિફોર્મ +-

હા, જી. આપ પૂછશો કે અ ‘પીલરી’ એટલે વળી શું? ગ્રેટ બ્રિટન સહિત યરપના ઘણા દેશોમાં ૧૯મી સદી સુધી આ ઘાતકી સજા પ્રચલિત હતી. કોઈ જાહેર જગ્યાએ – કોર્ટની બહાર, બજારમાં, મોટા ચોકમાં, લાકડાની પીલરી કાયમ માટે ખોડી રખાતી. બે મજબૂત લાકડાં. એક ઊભું, બીજું તેના પર આડું. ગુનેગારનું માથું અને હાથના બે પંજા બહાર રહે એવાં ત્રણ બાકોરાં. એ રીતે ગુનેગારને ઊભો રાખીને તેની પાછલી બાજુએ તેવાં જ બે ઊભાં-આડાં લાકડાં જડી દેવામાં આવે. એમ કર્યા પછી ફક્ત માથું અને હાથના પંજા સિવાય ગુનેગાર તેના શરીરનું કોઈ અંગ સહેજ પણ હલાવી ન શકે. ટાઢ, તડકો કે વરસાદ હોય તો પણ સજાનો અમલ તો થાય જ. આ રીતે ઊભા રખાયેલા ગુનેગાર પર ત્યાંથી પસાર થતા લોકો સડેલાં ઈંડાં કે ટમેટાં કે નાના પથરા નાખતા જાય, ગુનેગારને ગાળો દેતા જાય. 

ડેનિયલ ડેફો

હા. ગ્રેટ બ્રિટનના ઇતિહાસમાં એક જ એવો કિસ્સો નોંધાયેલો છે કે જ્યારે આ રીતે ઊભા કરાયેલા ગુનેગાર પર લોકોએ ઈંડાં, ટમેટાં કે પથરા નાખવાને બદલે ફૂલ-હાર નાખ્યા હતા. એ ગુનેગારનું નામ ડેનિયલ ડેફો (૧૬૬૦-૧૭૩૧). નવલકથા રોબિન્સન ક્રૂઝોને કારણે જગવિખ્યાત બનેલો લેખક. કહેવાય છે કે બાઈબલ પછી જો કોઈ પણ પુસ્તકના સૌથી વધુ ભાષામાં અનુવાદ થયા હોય તો તે રોબિન્સન ક્રૂઝોના. પણ લેખક ઉપરાંત ડેફો વેપારી, રાજકારણી, અને છૂપો જાસૂસ પણ હતો. ૧૬૯૨માં વેપારમાં ખોટ ગઈ. સાત સો પાઉન્ડનું દેવું થયું. એ વખતે ગ્રેટ બ્રિટનમાં, (અને એટલે હિન્દુસ્તાનમાં પણ) દેવાદારને બહુ આકરી સજા થાય તેવા કાયદા હતા. અને જેલમાં રહીને ગુનેગાર ગમે તે રીતે દેવું ભરપાઈ કરી દે તો પણ લેણદાર ‘હા’ પાડે નહિ ત્યાં સુધી ગુનેગારને છોડવામાં આવે નહિ. જેલમાં પુરાયેલા ડેફો પાસે વિરોધ પક્ષનો એક નેતા ગયો અને કહ્યું : ‘હું તમારું સાત સો પાઉન્ડનું દેવું ભરી દેવા તૈયાર છું’. ડેફોએ પૂછ્યું : ‘બદલામાં મારે શું કરવાનું?’ ‘તમારા પક્ષની દરેકે દરેક છૂપી-ખાનગી વાત મને પહોંચાડવાની.’ ડેફો કબૂલ થયો અને જેલમાંથી છૂટ્યો. પણ તે પહેલાં તેનં જાહેરમાં પીલરી પર ઊભો રાખવામાં આવ્યો ત્યારે કેટલા ય લોકોએ તેના પર પથરાને બદલે પુષ્પો વરસાવેલાં અને ગળામાં હારતોરા પહેરાવેલા – એવી હતી લેખક ડેફોની લોકપ્રિયતા! ગ્રેટ બ્રિટનમાં કાયદા દ્વારા ૧૮૩૭માં પીલરીની સજા નાબૂદ કરવામાં આવી. છતાં છેક ૧૮૭૨ સુધી ક્યારેક ક્યારેક તેનો અમલ થતો હોવાના દાખલા મળતા રહે છે. બ્રિટનમાં આ સજા નાબૂદ્દ થયા પછી હિન્દુસ્તાનમાંથી પણ ધીમે ધીમે તેનો ઉપયોગ બંધ થયો. પણ કાયદેસર રીતે આ સજા છેક ૧૯૦૯માં નાબૂદ કરવામાં આવી. 

પ્રખ્યાત લેખક ડેનિયલ ડેફોને થયેલી પીલરીની સજા  

૧૮૦૬ : હવે પાછા આવીએ મુંબઈ. ઘડિયાળની ચોરી કરનાર એક માણસને બે વરસ સુધી મુંબઈની ગોદીમાં મજૂરી કરવાની સજા કરવામાં આવી. તો બીજા એક વેપારીને ચોરીના ગુના સબબ તેની જ દુકાનની બહાર પીલરીની સજા કરવામાં આવી. 

સર મેકિનટોશ

એશિયાટિક સોસાયટી ઊભી કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવનાર જેમ્સ મેકિનટોશ વિષે આપણે અગાઉ વાત કરી છે. ૧૮૦૬માં તેમનું ખૂન થયું હોવાની અફવા મુંબઈમાં ફેલાઈ ગઈ. જો કે ખૂન થયું નહોતું, પણ ખૂન કરવાનો પ્રયત્ન થયો હતો. મેકિનટોશ રેકોર્ડર્સ કોર્ટના ચીફ જજ હતા. કંપની સરકારના લશ્કરના બે ગોરા લેફ્ટનન્ટ પર મેકિનટોશની અદાલતમાં કેસ ચાલતો હતો. ખટલો ચાલુ હતો તે દરમ્યાન એક દિવસ બંને આરોપી એક મોટું લાકડાનું ખોખું સાથે લઈને અદાલતમાં આવ્યા. કહે કે અમારા બચાવમાં રજૂ કરવાના દસ્તાવેજો આ ખોખામાં લાવ્યા છીએ. પણ કોર્ટના રખેવાળોને શંકા ગઈ એટલે ખોખુ ઉઘાડ્યું તો અંદરથી નીકળી કારતૂસ ભરેલી ચાર પિસ્તોલ! તેમની યોજના હતી પહેલાં મેકિનટોશનું ખૂન કરવું, અને પછી તરત આપઘાત કરવો! આ કાવતરું પકડાયા પછી મેકિનટોશે ઠંડે કલેજે અદાલતમાં એટલું જ કહ્યું : ‘જો આ કાવતરું સફળ થયું હોત તો જે ન્યાયાસન પર બેસીને ન્યાય તોળતો હોય તેને પોતાના લોહીથી રંગનાર હું પહેલવહેલો ન્યાયાધીશ બન્યો હોત!’ એટલું જ નહિ, ૧૮૨૪ના નવેમ્બરની છઠ્ઠી તારીખે એ લશ્કરી અધિકારીઓને એક પત્ર લખીને મેકિનટોશે માફી આપી હતી! (ગૂનો બહુ ગંભીર ન હોય તો એ વખતે આ રીતે માફી આપી શકાતી.)

૧૮૧૦ : સરકારી ટ્રેઝરી કહેતાં, તોષાખાનું, તિજોરી. તેનો વડો હતો જ્યોર્જ કમિંગ ઓસબોર્ન. અગાઉ મુંબઈના ગવર્નરનો પ્રાઈવેટ સેક્રેટરી હતો. પછી ફોરેન એન્ડ પોલિટિકલ ડિપાર્ટમેન્ટનો સેક્રેટરી. તેનું ખૂન કરવાનો આરોપ ત્રણ માલેતુજાર શખ્સો પર મૂકાયો. ત્રણે ટ્રેઝરીમાં કામ કરતા. ત્રણેને પાંચ-પાંચ વરસની કેદની સજા. દર વરસે એક દિવસ પીલરી પર વિતાવવાનો. દર વરસે બે વાર બજારમાં તેમને હન્ટરથી ફટકા મારવાના. અને લટકામા દસ હજાર રૂપિયાનો દંડ. એ ન ભરી શકે તો જેલમાંથી છૂટકારો થાય નહિ. 

ચાર્લ્સ જોસેફ બ્રિસકો નામનો એક અંગ્રેજ. ત્રણ ગુનેગારો પાસેથી લાંચ લીધી – સજામાંથી બચાવવાની લાલચ આપીને. વાત ફૂટી ગઈ. ચાર્લ્સ ભાઈ પર કેસ ચાલ્યો. ત્રણ જ દિવસમાં અદાલતે ફેંસલો આપ્યો: મુંબઈની જેલમાં ત્રણ વરસ માટે કેદ. 

આ બધી વાતો તો કેટલાક મોટા ખટલાની થઈ, જે રેકોર્ડર્સ કોર્ટ સુધી પહોંચેલા. પણ સાધારણ ગુનાઓ – ચોરીચપાટી, મારામારી, વ્યક્તિ કે સમૂહ પરના હુમલા, વગેરેના કેસ ચલાવવાની સત્તા સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલિસ(પછીથી પોલિસ કમિશનર)ને આપવામાં આવી હતી. ગુનેગારને પકડીને તેની ઓફિસમાં લાવવામાં આવે કે તરત જ તે પોતે તેના પર ખટલો ચલાવે. અને સજા પણ કરે જેનો અમલ એ જ વખતે તેની ઓફિસમાં જ કરવામાં આવે. અલબત્ત આ બધું ‘નિયમસર’ થતું. પણ ૧૭૫૩થી ૧૮૦૭ સુધી જે ‘નિયમો’ હેઠળ આ કારવાઈ થતી હતી તેને ન તો બોમ્બે ગવર્નમેન્ટે મંજૂર કરેલા કે ન તો લંડનમાં બેઠેલા કંપની સરકારના ડિરેક્ટરોએ. એટલે મેકિનટોશના વડપણ હેઠળની રેકોર્ડર્સ કોર્ટે આ નિયમોને ‘ગેરકાનૂની’ ઠરાવ્યા હતા. તેવી જ રીતે ૧૮૦૭થી ૧૮૧૧ દરમ્યાન ઘડાયેલા ‘નિયમો’ને પણ આ જ અદાલતે ગેરકાનૂની’ ઠરાવ્યા કારણ એ નિયમો અદાલતમાં રજિસ્ટર કરાવવામાં આવ્યા નહોતા. મેકિનટોશને મતે આ ‘પોલીસ અદાલત’ની કારવાઈ ‘ગેરકાયદેસર’ની હતી. ૧૮૦૮ના ફેબ્રુઆરીની ૨૮મીથી ૧૮૦૯ના જાન્યુઆરીની ૩૧મી સુધીમાં પોલિસ અદાલતે ૨૧૭ ‘ગુનેગાર’ને તડીપાર કર્યા હતા અને ૬૪ને મુંબઈની ગોદીમાં મજૂરી કરવાની સજા કરી હતી. તો બીજી બાજુ ઘણી વાર, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સવારે ગુનેગારને સજા કરતા અને સાંજે તેમને ‘માફી’ આપીને છોડી મૂકતા! (આ રીતે ‘માફી’ મેળવવા માટે પોલીસને શું આપવું પડતું હશે એ સુજ્ઞ વાચકોને જણાવવાની જરૂર ન હોય.)  કાયદો અને ન્યાયનાં મૂલ્યોમાં અપાર શ્રદ્ધા ધરાવનાર મેકિનટોશ આ પદ્ધતિથી સદંતર વિરુદ્ધ હતા. છેવટે ૧૮૦૮માં મુંબઈ પોલીસ અંગેનો નવો કાયદો ગ્રેટ બ્રિટનમાં પસાર કરવામાં આવ્યો. પરિણામે પોલીસ વ્યવસ્થાના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાનું જરૂરી બન્યું. એ ફેરફારોની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 જાન્યુઆરી 2૦૨6

Loading

મુખોમુખ

રૂપાલી બર્ક|Poetry|17 January 2026

ક્યારેક બે અલગ ભાષાઓ, દેશ, સમયકાળમાં એવાં કાવ્યો જડે છે કે એમાં વિષયનું સામ્ય જોવા મળે, જાણે મુખોમુખ થવા ઇચ્છતા હોય અને એકબીજા સાથે આપ-લે કરવા માગતા હોય.

— રૂપાલી બર્ક

– 1 –

ઍન સૅક્સટન

મારા જીવનનો ઓરડો

કવયિત્રી :  ઍન સૅક્સટન [અંગ્રેજી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]

અહીં,
મારા જીવનના ઓરડામાં
ચીજો બદલાતી રહે છે.
આંસુ સારવા માટે ઍશ ટ્રે,
પીડા સહન કરતો લાકડાની દીવાલોનો ભાઈ,
ટાઇપ રાઈટરની અડતાલીસ ચાંપો,
પ્રત્યેક એવો આંખનો  બંધ ન થતો ડોળો,
પુસ્તકો, એમાં દરેક સૌંદર્ય સ્પર્ધાનું સ્પર્ધક,
કાળી ખુરશી,
નુગહાઈડની બનેલી કૂતરાની શબપેટી
મધમાખીની ગુફાઓ સમા પ્રતિક્ષા કરતા
દીવાલ પરના સૉકૅટ
સોનેરી પાથરણું
એડી અને અંગૂઠાની ગોઠડી
તાપણું
કોઈ ઉઠાવે એની રાહ જોતું ચપ્પુ
વેશ્યાના પરિશ્રમથી થાકેલો સોફો,
ટેલિફોન,
એની ઉરુસંધિમાં મૂળ નાખતાં બે ફૂલ,
બારણાં
દરિયાઈ છીપની માફક ખુલતાં બંધ થતાં,
બત્તિઓ
મને ભોંકાતી
જમીન અને હાસ્ય બન્નેને પ્રકાશતી.
બારીઓ,
ભૂખીડાંસ બારીઓ
વૃક્ષોને મારી છાતીમાં ખીલીઓની માફક
ઠોકી બેસાડતી.
દરરોજ હું બહાર દુનિયાને ખવડાવું છું
પંખીઓનો ડાબે અને જમણે વિસ્ફોટ થાય છે
તેમ છતાં.
અંદરની દુનિયાને પણ ખવડાવું છું
મેજને કૂતરાના બિસ્કિટ આપું છું.
આમ છતાં, હોવું જોઈએ એવું કશું જ નથી.
મારી વસ્તુઓ સપનાં જુએ છે અને નવાં વસ્ત્રો ધારણ કરે છે,
જાણે મારા હાથમાં રહેલાં તમામ શબ્દો
અને મારા કંઠમાં અથડાતા દરિયાને લીધે ના હોય.

*

– 2 –

જાવેદ અખ્તર

એ ઓરડો યાદ આવે છે

કવિ : જાવેદ અખ્તર [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]

જ્યારે પણ હું
જિંદગીના બળબળતા તડકામાં તપીને
જ્યારે પણ
અન્યોના અને પોતાના જૂઠથી થાકીને
બધાંથી લડીને ખુદથી હારીને
હું જ્યારે એ ઓરડામાં જતો
હળવા અને ઘેરા કથ્થઈ રંગનો એ ઓરડો
ખૂબ મહેરબાન એ ઓરડો
એની નરમ મુઠ્ઠીમાં મને એવો છુપાવી લેતો
જાણે કોઈ મા
બાળકને પાલવથી ઢાંકીને
વહાલથી ઠપકો આપતી હોય
આ તે કેવી આદત છે
ભર બપોરે બેફામ ફર્યા કરવાની
એ ઓરડો યાદ આવે છે
મજબૂત અને ખાસ્સો ભારે
ઘણી મુશ્કેલીથી ખુલતો એ અબનૂસનો દરવાજો
જાણે કોઈ અક્કડ બાપ
પોતાની છાતીમાં
કરુણાનો દરિયો છુપાવી બેઠો હોય
એ ખુરશી
અને એની સાથે એની જોડિયા બહેન
એ બન્ને
મારી દોસ્ત હતી
પેલો આયનો, ઢીઠ, મોંફટ,
પણ દિલનો સારો
ખૂણામાં ઊભેલી
પેલી બેડોળ તિજોરી
ઘરડી દાઈની માફક
આયનાને ચેતવતી
પેલી ફૂલદાની
નાની શી
ખૂબ તોફાની
વિતેલા દિવસો પર હસતી
બારી
જાણે સમજદારીભર્યું એક સ્મિત
અને બારી પર ઝૂકેલી એ વેલ
જાણે લીલીછમ ગુસપુસ
ગોખલામાં અને અભરાઈ પર
ગંભીર શિક્ષિકા બની બેઠેલાં
પુસ્તકો
પરંતુ પ્રતિક્ષા એ વાતની કરતા
કે હું એમને કંઈક પૂછું
માથાની તરફ
ઊંઘનો સાથી
થાકનો ચિકિત્સક
ઋજુ હૃદયનો તકિયો
જેના ખોળે માથું રાખી
છાપરું નિહાળતો
છાપરાના મોભ પર
કેટકેટલાં ય કિસ્સાઓની વળીઓ
પેલી નાની મેજ પર ગોઠવેલી
અને સામે દીવાલ પર
લટકતી છબીઓ
પોતાપણાથી અને ભરોસાથી મને જોતી
અને હસતી
એમને શંકા પણ નહોતી
એક દિવસ
હું એમને આ રીતે છોડીને જતો રહીશ
હું એક દિવસ આ રીતે પણ જતો રહીશ
કે ફરી પાછો કદી ના જઈશ

હાલ જે ઘરમાં રહું છું
ખૂબ જ સુંદર છે
પરંતુ ઘણી વખત મૌન બેઠો વિચારું છું
એ ઓરડો વાત કરતો હતો.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

નરેન્દ્ર મોદી રજા મૂક્યા વિના જલસા કરે છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 January 2026

હેમન્તકુમાર શાહ

એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે રજા ભોગવતા નથી અને રોજના ૧૮ કલાક કામ કરે છે. 

પરંતુ એ ઉજ્જૈન, કાશી, કેદારનાથ, સોમનાથ વગેરે જેવાં ધાર્મિક સ્થળોએ પૂજા કે આરતી કરવા જાય એને શું કહેવાય?

આવાં ધાર્મિક સ્થળોની મુલાકાત નરેન્દ્ર મોદી લે છે અને તે સમયે આમ જુઓ તો તેઓ દેશના વડા પ્રધાન હોવા છતાં વડા પ્રધાન હોતા નથી એમ કહેવાય. એનું કારણ એ છે કે મંદિરોમાં દર્શન કરવાં કે દરગાહ પર ચાદર ચડાવવી એને દેશની શાસન વ્યવસ્થા કે વહીવટ સાથે કશો સંબંધ નથી. 

મંદિરોમાં દર્શન કરવાં, ટીલાંટપકાં કરવાં કે આરતીઓ કરવી કે ધજા ચડાવવી કે અજમેર જઈને દરગાહ પર ચાદર ચડાવવી વગેરે એમનું અંગત ધાર્મિક કૃત્ય છે કે જેને  દેશના વહીવટ સાથે કશી લેવાદેવા છે જ નહીં. એને એમની ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ છે એટલું જ.

આટલા સવાલ નરેન્દ્ર મોદીનાં આવાં ધાર્મિક કૃત્યોમાંથી ઊભા થાય છે :

(૧) ધર્મસ્થાનોની મુલાકાતે જવું એ એમનો અંગત મામલો છે અને તેને દેશના વહીવટ સાથે કશો સંબંધ નથી તો આવી મુલાકાતોનો ખર્ચ સરકારી તિજોરીમાંથી નહીં, પણ એમના અંગત પગારમાંથી થવો જોઈએ કે નહીં? 

(૨) એવો બધો ખર્ચ જો સરકારી તિજોરીમાંથી થતો હોય તો એ એક ધર્મનિરપેક્ષ દેશમાં કેટલું યોગ્ય છે? 

(૩) નરેન્દ્ર મોદી ધર્મસ્થાનોની મુલાકાતે જાય તો તેમણે કોઈ સરકારી કામ કર્યું એવું તો ન જ કહેવાય. તો તેમણે એ દિવસે રજા પાળી કહેવાય કે નહીં? એવી છાપ ઊભી કરવામાં આવી છે કે મોદી કોઈ રજા લેતા નથી. તો આવું બધું કર્યા કરે તો એ રજા પાળી ન કહેવાય તો શું કહેવાય? 

(૪) નરેન્દ્ર મોદી આવી રીતે અંગત ધાર્મિક યાત્રાઓ કરે તેનો ખર્ચો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની તિજોરીમાં પડે એ કેટલું યોગ્ય કહેવાય? નરેન્દ્ર મોદી આરતી કર્યા કરે એનો ખર્ચ લોકોના ટેક્સમાંથી નીકળે તે કેટલું ઉચિત છે? નાગરિકોએ એનો વિરોધ કરવો જોઈએ કે નહીં? 

(૫) વડા પ્રધાન ધર્મસ્થાનોમાં જઈને દર્શન કરે, આરતી કરે કે ચાદર ચડાવે તેનાથી દેશને શો ફાયદો થાય? એનાથી વહીવટમાં કઈ ગુણવત્તા ઊભી થાય?

(૬) નરેન્દ્ર મોદી રોજના ૧૮ કલાક કામ કરે છે એવો પ્રચાર કરવામાં આવ્યો છે. પણ એમાં એમની એવી ધાર્મિક ક્રિયાઓ કરવાના કલાકો અને તેને માટે થતા પ્રવાસના કલાકો બાદ કરવા જોઈએ કે નહીં?

(૭) મોદીના આવા ધાર્મિક પ્રવાસો માટે રાજ્ય સરકારોએ ઘણો બધો સલામતી ખર્ચ કરવો પડે છે. એ રાજ્ય સરકારોના બજેટમાંથી થાય છે. એ ખર્ચ એમના અંગત પગારમાંથી વસૂલ થવો જોઈએ કે નહીં? વળી, એને માટે સરકારી કર્મચારીઓ અને પોલિસના અનેક કલાકો બરબાદ થાય છે. એ બધા કલાકો પેલા ૧૮ કલાકમાંથી બાદ કરવામાં આવે તો મોદી માટે કેટલા કલાકો બાકી બચે?

(૮) મોદી આવી રીતે ધર્મસ્થાનોમાં જાય તો તેમણે રજા પાળ્યા વિના જલસા કર્યા કહેવાય કે નહીં? 

અને હા, દેશનાં જંગલોમાં મોદી સિંહ કે ચિત્તો કે પોપટ જોવા જાય એ પણ રજા પાળ્યા વગર જલસા કરવા ગયા એમ કહેવાય કે નહીં? 

તા.૧૫-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...44454647...506070...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved