Opinion Magazine
Number of visits: 9553044
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—313 

દીપક મહેતા|Opinion - Opinion|1 November 2025

ક્યાં ખોવાઈ ગયાં મુંબઈના ફોર્ટમાં આવેલાં એ ટેંક, ટેંક બંદર, ટેંક બેસ્ટિયન?    

ગુજરાતી અનુવાદકોએ જેનું નામ જુલે વર્ન પાડ્યું છે તે ફ્રેંચ લેખક ઝૂલ વર્ન (૧૮૨૮-૧૯૦૫) એટલે વિજ્ઞાન કથાઓનો આદિ પુરુષ. એક પછી એક વિજ્ઞાન કથા ફ્રેન્ચમાં લખતો ગયો અને દરેકનો અંગ્રેજી અનુવાદ બે-ત્રણ વરસમાં તો થઈ જ જાય! આપણે ત્યાં મૂળશંકર મો. ભટ્ટે તેની કેટલીક વિજ્ઞાન કથાના અનુવાદ કર્યા. પછી બીજા કેટલાકે પણ કર્યા. એક નવલકથાના અંગ્રેજી અનુવાદનું નામ છે Journey to the Centre of the Earth. મૂળ ફ્રેંચ કથા પ્રગટ થઈ ૧૮૬૪માં, બીજી આવૃત્તિ ૧૮૬૭માં, તેનો અંગ્રેજી અનુવાદ ૧૮૭૪માં. પૃથ્વીના પેટાળમાં ઊતરીને તેના કેન્દ્રબિંદુ સુધી જવાનું આપણું ગજું નહિ. પણ આપણે તો પ્રયત્ન કરી રહ્યા છીએ આમચી મુંબઈના મધ્યબિંદુ પર પહોંચીને તેની આસપાસ લટાર મારવાનો. ગયે અઠવાડિયે આપણે પહોચ્યાં હતાં મુંબઈનું કેન્દ્રબિંદુ મનાતા સેન્ટ થોમસ કેથીડ્રલ સુધી. 

એક જમાનામાં કોટ વિસ્તારમાં અંગ્રેજ ગવર્નર રહેતા તેમ અંગ્રેજ લશ્કરના વડા પણ અહીં જ રહેતા. તેમનું રહેઠાણ એડમિરલ્ટી હાઉસ તરીકે ઓળખાતું. મુંબઈના પહેલવહેલા એડમિરલ્ટી હાઉસનો ઉલ્લેખ છેક ૧૭૭૩માં પ્રગટ થયેલા એક પુસ્તકમાં મળે છે. વ્યવસાયે ડોક્ટર અને બ્રિટિશ લશ્કરમાં કામ કરતા તેના લેખક એડવર્ડ ઇવ્ઝ ૧૭૫૫થી ૧૭૫૭ સુધી બ્રિટિશ લશ્કર સાથે હિન્દુસ્તાનમાં ઘણે ઠેકાણે ફર્યા હતા. તેમણે પોતાની મુસાફરી આધારિત પુસ્તક From England to India લખ્યું જે ૧૭૭૩માં પ્રગટ થયું હતું. આ પુસ્તકમાં તેઓ નોંધે છે કે બ્રિટિશ લશ્કરના એડમિરલ અને તેમનાં પત્ની ‘ટેન્ક હાઉસ’ નામના મકાનમાં રહેતાં હતાં. આ હતું મુંબઈનું પહેલવહેલું એડમિરલ્ટી હાઉસ. 

બોમ્બે મિન્ટ સામે આવેલું ટેંક કહેતાં તળાવ (ચિત્ર)

૧૮૬૫માં મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો તોડી પડાયો તે પહેલાં કોટમાં મુખ્યત્વે અંગ્રેજોની વસતી. થોડા માલેતુજાર પારસી વેપારીઓ પણ ખરા. બીજી બધી સગવડોનું તો સમજ્યા, પણ કોટમાં રહેતા આ લોકો પીવાનું પાણી ક્યાંથી લાવતા? નળના પાણીની શરૂઆત તો થઈ છેક ૧૮૬૦માં. તો જવાબ એ છે કે કોટની અંદર નાના મોટા કૂવા ઉપરાંત એક મોટું ટેંક કહેતાં તળાવ આવેલું હતું. કોટની અંદર રહેતા લોકોની પાણીની જરૂરિયાત આ કૂવા અને ટેંક પૂરી પાડતાં. ૧૮૨૪માં બોમ્બે મિન્ટનું મકાન બંધાઈ રહ્યું તેની બરાબર સામે આ ટેંક કહેતાં તળાવ આવેલું હતું. મુંબઈના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજને જુદાં જુદાં નામ આપવામાં આવેલાં. આ તળાવ નજીક આવેલા બેસ્ટિયનનું નામ હતું ‘ટેન્ક બેસ્ટિયન.’ આ ટેંક હાઉસ ૧૬૮૬ થી ૧૬૯૦ સુધી મુંબઈના ડેપ્યુટી ગવર્નર રહેલા સર જે. વાયબર્ને બાંધ્યું હતું. મુંબઈના કલેકટરની ઓફીસમાંના એક દસ્તાવેજ પ્રમાણે આ મકાનની પૂર્વ દિશામાં બંદર તરફ જતો રસ્તો હતો, પશ્ચિમે કોટન ગ્રીન આવેલું હતું, ઉત્તરે લુહારોની દુકાનો આવેલી હતી, અને દક્ષિણે નામદાર સરકારનું બંદર આવેલું હતું. 

આ ટેંક હાઉસની એક વાત મરાઠીભાષીઓ કહે તેમ ગમ્મતભરી છે. ૧૭૧૫ના ફેબ્રુઆરીમાં તેના માલિક જોન હિલ પાસેથી કંપની સરકારે આ મકાન ત્રણ હજાર રૂપિયામાં ખરીદ્યું અને ૧૭૧૯માં એ જ મકાન, એ જ જોન હિલને પાછું વેચી દીધું હતું, ફક્ત રૂપિયા એક સો ને એંસીમાં! (આપણા આજના રાજકારણીઓએ શીખવા જેવું, નહિ?) આ મકાન બંધાયું ત્યારે એની આસપાસ દીવાલ જ નહોતી. પણ પછી પાસેના ટેંકમાં નહાવા અને ઢોર ચારવા આવતા લોકો બહુ ગંદકી કરે છે એમ જણાવી તેની આસપાસ કંપાઉન્ડ વોલ બાંધવામાં આવી. ૧૭૫૧માં પ્રગટ થયેલા Voyage to the East Indies પુસ્તકમાં આપેલા નકશામાં પણ ટેંક હાઉસ આ જ જગ્યાએ હોવાનું બતાવ્યું છે. 

૧૮૯૩માં પૂણે ખાતે તૈયાર થયેલા નકશામાં બતાવેલું ટેંક કહેતા તળાવ

જ્યારે મુંબઈમાં કોઈ એડમિરલ ન હોય ત્યારે આ જ મકાન મુંબઈના ગવર્નરના રહેઠાણ તરીકે વપરાતું. ૧૭૫૦ના નવેમ્બરની ૧૭મી તારીખે સવારે ૧૧ વાગ્યે આ જ ટેંક હાઉસમાંથી નીકળીને નામદાર ગવર્નર વિલિયમ વેક બંદરે ગયા હતા. નિવૃત્ત થતા આ ગવર્નરને વિદાયમાન આપવા સરકારમાં ઊંચો હોદ્દો ધરાવતા અમલદારો તથા શહેરના આગેવાન નાગરિકો હાજર હતા. બોમ્બે ફોર્ટની રાંગ પરથી વિદાય થતા ગવર્નરને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. 

પણ મુંબઈના ગવર્નર માટે કાયમી રહેઠાણ હોય જ નહિ એ સરકારને યોગ્ય જણાતું નહોતું. એટલે ૧૭૫૭ અને ૧૭૫૮માં મુંબઈ સરકારે લંડનમાં બેઠેલા હાકેમોને એક વધુ મકાન ખરીદવા માટે અરજી કરી. મિસ્ટર જોન સ્પેન્સરનું મકાન ૧૫,૧૬૧ રૂપિયામાં મળી શકે તેમ છે એમ પણ જણાવ્યું. બીજી બાજુ નેવીના એડમિરલોને પણ હવે ટેંક હાઉસ માફક આવતું નહોતું. એડમિરલ સેમ્યુઅલ કોર્નિશે સરકારને પત્ર લખી જણાવ્યું કે આ મકાનની આસપાસની ગંદકીની બહુ માઠી અસર મારી તબિયત પર થઈ રહી છે. વળી આ મકાન મારા મોભાને છાજે એવું પણ નથી. એટલે આપને મારી વિનંતી છે કે એડમિરલને રહેવા માટે એક નવું મકાન ખરીદવામાં આવે. આ નવા રહેઠાણ માટે મને મિસ્ટર ચાર્લ્સ વ્હાઈટહિલ્સનું મકાન બધી રીતે યોગ્ય લાગે છે. એક તો એ ડોકયાર્ડની નજીક આવેલું છે. બીજું, ત્યાંથી ઘણો લાંબો દરિયા કિનારો જોઈ શકાય છે. એટલે એડમિરલ જો ત્યાં રહેતા હોય તો તેની નજર આખા દરિયા કિનારા પર રહી શકે. પણ મિસ્ટર વ્હાઈટહિલ્સ એ મકાન વેચવા તૈયાર નહોતા, પણ ભાડે આપવા તૈયાર હતા. મુંબઈ સરકાર મહીને ૩૫૦ રૂપિયા ભાડું આપવા તૈયાર થઈ. ઉપરાંત એ મકાનમાં જે કાંઈ સમુંનમું કરવું પડે, રંગરોગાન કરવાં પડે, તે બધું જ સરકારે પોતાને ખર્ચે કરાવવાનું. પણ મુંબઈ સરકારે જ્યારે આ દરખાસ્ત લંડન મોકલી ત્યારે ત્યાં બેઠેલા હાકેમોને મહીને ૩૫૦ રૂપિયાનું ભાડું ઘણું વધારે લાગ્યું. અને તેમણે દરખાસ્ત નામંજૂર કરી. પણ વ્હાઈટહિલ્સનું આ મકાન આવેલું ક્યાં? તો કહે પેલા ટેંક પર. હેં? ટેંક પર? હા. વ્હાઈટહિલ્સે પોતાને ખર્ચે એ તળાવ પૂરાવીને તેના પર પોતાનું મકાન બાંધ્યું હતું!

કોલાબાનું કોટન ગ્રીન (ચિત્ર)

નેવીના એડમિરલ માટે વ્હાઈટહિલ્સનું મકાન ભાડે રાખવાની મંજૂરી લંડનના બડેખાંઓએ આપી નહિ. પણ ૧૭૬૪ના મે મહિનાની ૧૩મી તારીખે એડમિરલ અને કમાન્ડર મલબાર કિનારા અને મદ્રાસ તરફ જવા રવાના થયા પછી થોડા જ દિવસોમાં, ૧૭૬૪ના ઓક્ટોબરમાં મુંબઈ સરકારે વ્હાઈટહિલ્સનું મકાન અને તેની બાજુમાં આવેલું જોન હન્ટરનું મકાન પણ ખરીદી લીધાં! અને કેટલીક સરકારી ઓફિસો અને સેક્રેટરીએટ ઓફિસ એ મકાનોમાં ખસેડી! 

આ બંને મકાનો એલ્ફિન્સ્ટન સર્કલના ઉત્તર-પશ્ચિમ ખૂણા પર આવેલાં હતાં. ૧૮૨૯માં સરકારી ઓફિસો બીજે ખસેડાયા પછી આ બે મકાનો લશ્કરના ઉપયોગ માટે ફાળવવામાં આવ્યાં. અમેરિકન સિવિલ વોર વખતે મુંબઈની બધી બજારોમાં અભૂતપૂર્વ તેજી આવી ત્યારે આ બે મકાનોના પાંચ નાના ભાગ પાડી ૧૮૬૪ની પહેલી ઓગસ્ટે મુંબઈ સરકારે જુદી જુદી વ્યક્તિઓને તે વેચી નાખ્યા!  આ પાંચ ભાગ ખરીદનાર હતા : દાદાભાઈ હોરમસજી કામા, બમનજી એદલજી, મેરવાનજી ફરામજી પાંડે, અને માણેકજી એદલજી હાંસોટિયા (તેમણે બે ભાગ ખરીદેલા). આ વેચાણમાંથી સરકારને કુલ આવક થઈ ૬,૬૪,૧૩૮ રૂપિયા! 

હવે આપણે મુંબઈના એક જૂનામાં જૂના મકાન પાસે આવી ગયા છીએ. પણ તેની વાત આવતા અઠવાડિયા પર મુલતવી રાખીને અમારા માનવંતા વાચકોની એક-બે શંકા દૂર કરવા તરફ વળવું પડશે.

ખોલાસો : અમારા કેટલાક બાજ-નજર વાચક-વાચીકાએ અમને સવાલ કર્યા છે. 

સવાલ ૧. અમે તો સાંભળ્યું છે કે ‘કોટન ગ્રીન’ કોલાબામાં હતું, અને તમે કહો છો કે આજે જ્યાં સેન્ટ થોમસ કથીડ્રલ ઊભું છે એ વિસ્તારમાં કોટન ગ્રીન આવેલું હતું. સાચું શું? 

જવાબ : બંને સાચા. પહેલું કોટન ગ્રીન હતું ફોર્ટની અંદર, જે પછીથી બન્યું એલ્ફિન્સ્ટન સર્કલ, અને પછી બન્યું હોર્નીમન સર્કલ. ૧૮૩૮માં કોલાબા કોઝ વે બંધાઈ રહ્યો ત્યાં સુધી કોલાબાનો ટાપુ બીજા ટાપુઓથી અલગ હતો. હોડી કે મછવા સિવાય ત્યાં જવા માટે બીજું કોઈ સાધન નહોતું. ૧૮૩૮ પછી કોલાબા વિસ્તારનો વિકાસ ઝડપથી થયો. ત્યારે કોટનની નિકાસ માટેનું કેન્દ્ર, કોટન ગ્રીન, કોલાબા ખસેડાયું. છેક ૧૯૧૦ સુધી કોલાબાથી કોટનની નિકાસ થતી હતી. ૧૮૭૫માં સાસૂન ડોક બંધાયા પછી આયાત-નિકાસ માટે કોલાબાનું મહત્ત્વ ઘણું વધ્યું. 

હાર્બર લાઈન પરનું કોટન ગ્રીન સ્ટેશન

સવાલ ૨ : સેન્ટ્રલ રેલવેની હાર્બર બ્રાંચ પર આવેલા એક સ્ટેશનનું નામ ‘કોટન ગ્રીન’ હતું. એ સ્ટેશનને અને ફોર્ટમાં આવેલા કોટન ગ્રીન વચ્ચે કશો સંબંધ ખરો?

જવાબ : ના, જી. જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેના દફતરમાં સચવાયેલી માહિતી પ્રમાણે હાર્બર લાઈન પરનો ટ્રેન વ્યવહાર મુસાફરો માટે ૧૯૧૧ના ફેબ્રુઆરીની પહેલી તારીખે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે એ લાઈન પર આટલાં જ સ્ટેશન હતાં : ટેંક બંદર (પેલા તળાવ કહેતાં ટેંક પાસે આવેલા બંદરનું નામ. પછીથી બન્યું રે રોડ), શિવરી (કામચલાઉ) અને શિવરી (કાયમી), અને કોળી વાડા (પછીથી જી.ટી.બી. નગર.) આ લાઈન પર કોટન ગ્રીન સ્ટેશન તો છેક ૧૯૨૩માં બંધાયું અને એ વરસના નવેમ્બરની પહેલી તારીખે ખુલ્લું મૂકાયું. આ સ્ટેશન નજીક કોટન એક્સચેન્જનું લીલા રંગનું મકાન આવેલું હતું તેના પરથી સ્ટેશનનું નામ પડ્યું કોટન ગ્રીન. તેને ફોર્ટ કે કોલાબાના કોટન ગ્રીન સાથે કશી લેવાદેવા નથી. ૨૦૨૪માં મુંબઈનાં કેટલાંક રેલવે સ્ટેશનનાં નામ બદલાયાં ત્યારે કોટન ગ્રીનનું નામ બદલીને ‘કાલાચોકી’ રાખવામાં આવ્યું છે. આશા છે, અમારા ચતુર-સુજાણ વાચકોને હવે સંતોષ થયો હશે. 

મુંબઈનાં જૂનામાં જૂનાં મકાનોમાંના એક મકાન પાસે આવીને આજે આપણે ઊભા છીએ. એ મકાનના ભૂતકાળના દરવાજામાં દાખલ થશું આવતે શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 નવેમ્બર 2025 

Loading

પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !

રમેશ સવાણી|Opinion - Opinion|1 November 2025

રમેશ સવાણી

WHO-વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ગાઢ સંકલનમાં કામ કરતી અને આબોહવા પરિવર્તનના વિકસતા આરોગ્ય પ્રોફાઇલ પર દેખરેખ રાખવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય “ધ લેન્સેટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ”, દ્વારા 29 ઓક્ટોબર 2025ના રોજ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. 71 શૈક્ષણિક સંસ્થાઓ અને UN એજન્સીઓના 128 નિષ્ણાતો દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયેલ છે. 

આ અહેવાલ કહે છે કે “2022માં ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 1.718 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જે 2010ની તુલનામાં 38% વધુ છે. 2022માં બહારના વાયુ પ્રદૂષણને કારણે અકાળ મૃત્યુથી ભારતને $ 339.4 બિલિયન(આશરે 30 લાખ કરોડ રૂપિયા)નું આર્થિક નુકસાન થયું હતું, જે દેશના GDPના 9.5 % છે. ભારતમાં સરેરાશ દરરોજ 4,700થી વધુ લોકો શ્વાસ લેવાથી મૃત્યુ પામે છે. દિલ્હીની હવા શ્વાસમાં લેવી એ દરરોજ 10 સિગારેટ પીવા જેટલું જોખમી બની ગયું છે. આ 17.18 લાખ મૃત્યુમાંથી 7.52 લાખ (44%) સીધા અશ્મિભૂત ઇંધણ(કોલસો અને લિક્વિફાઇડ ગેસ)ના દહનને કારણે થયા હતા.”

30 ઓક્ટોબર, 2025ની સવારે, દિલ્હી NCR-National Capital Region(જેમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પડોશી રાજ્યોના નજીકના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ફરીદાબાદનો સમાવેશ થાય છે)ના રહેવાસીઓ ફરી એકવાર ગાઢ ધુમ્મસથી જાગી ગયા. CPCB-સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, આનંદ વિહારમાં AQI 409 પર પહોંચ્યો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. લોધી રોડ અને ઇન્ડિયા ગેટ પર અનુક્રમે 325 અને 319 AQI નોંધાયા. 21 ઓક્ટોબરના રોજ, ઘણા સ્ટેશનો પર AQI 900ને વટાવી ગયો. આનંદ વિહારમાં, તે 627(રાત્રે 11 વાગ્યા)થી વધીને 656 (સવારે 4 વાગ્યા) થયો. અશોક વિહારમાં, તે 892, આયા નગરમાં 964 અને મથુરા રોડ પર 959 પર પહોંચ્યો – આ બધું ‘ખતરનાક’ શ્રેણીમાં છે.

AQI-Air Quality Index સ્કેલ સમજીએ. 0-50ને સારું, 51-100 સંતોષકારક, 101-200 મધ્યમ, 201-300 નબળું, 301-400 ખૂબ નબળું અને 401-500 ગંભીર માનવામાં આવે છે. 409 એટલે કે સ્વસ્થ લોકો માટે પણ હવા જોખમી છે.

લેન્સેટ રિપોર્ટ 2022ના ડેટા પર આધારિત છે, જેમાં 2025માં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

PM2.5 (particulate matter with a diameter of 2.5 micrometers or less-2.5 માઇક્રોમીટર વ્યાસ કરતાં નાના કણો) પ્રદૂષણે ભારતમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આ કણો એટલા નાના છે કે તે ફેફસાંમાં પ્રવેશ કરે છે અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે, જેના કારણે હૃદય રોગ, ફેફસાંનું કેન્સર, ડાયાબિટીસ અને ડિમેન્શિયા જેવા રોગો થાય છે.

જુલાઈ 2024માં, પર્યાવરણ મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે “હવા પ્રદૂષણ મૃત્યુનું સીધું કારણ છે તે સાબિત કરવા માટે કોઈ નક્કર ડેટા ઉપલબ્ધ નથી.” આવા અભ્યાસોમાંથી આપણી સરકાર બોધપાઠ લઈ અટકાતી પગલાં લેવાને બદલે અહેવાલને રદિયો આપે છે. મોદી-ભક્તો અવતારી સરકારને બદનામ કરવાનું કાવતરું કહે છે !

5 જૂન, 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીજીએ’માતાના નામે એક વૃક્ષ’ ઝૂંબેશ શરૂ કરી હતી. ‘અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ’નો ઉદ્દેશ્ય ગુજરાત / રાજસ્થાન / હરિયાણા / દિલ્હીમાં પથરાયેલ 700 કિલોમીટર લાંબી અરાવલી પર્વતમાળાને ફરીથી લીલીછમ કરવાનો છે. પરંતુ ‘અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ પણ અન્ય પ્રોજેક્ટની માફક માત્ર પ્રચારનો રહી ગયો છે. 2001 અને 2023 વચ્ચે, ભારતમાં કુલ 2.33 મિલિયન હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું હતું, જેમાંથી 1,43,000 વૃક્ષો ફક્ત 2023માં જ ગુમાવ્યા હતા. જો કે ‘climate change’ અંગે મોદીજીનું જ્ઞાન જ અદ્દભુત છે. 5 સપ્ટેમ્બર 2014ના રોજ શાળાના બાળકોને સંબોધન કરતા કહ્યું હતું : “ક્લાયમેટ ચેન્જ નહીં હુઆ હૈ, હમ ચેન્જ હો ગયે હૈ !”

WHO-વિશ્વ આરોગ્ય સંગઠને વ્યક્તિગત સ્તરે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે 7 સરળ રીતોની ભલામણ કરી છે :

[1] ચાલો કે સાયકલ ચલાવો : વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પેટ્રોલ વાહનોનો ઉપયોગ કરવાને બદલે ચાલો કે સાયકલ ચલાવો એ શ્રેષ્ઠ રસ્તો છે. દર વખતે જ્યારે તમે પેટ્રોલ કાર કે વાહનો છોડી દો ત્યારે તમે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને વાયુ પ્રદૂષણમાં ફાળો આપતા કણો જેવા હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટાડી શકો છો. ઉપરાંત, ચાલવાથી / સાયકલ ચલાવવાથી તમારાં સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

[2] ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરો : LED બલ્બ અને ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણો પસંદ કરો. રૂમની બહાર નીકળતી વખતે લાઇટ બંધ કરો. ઉપરાંત, તે બિલ બચાવે છે ! કારણ કે વીજળી ઉત્પન્ન અશ્મિભૂત ઇંધણને બાળી નાખે છે. તમારા ઘર અથવા ઓફિસમાં બધા વિદ્યુત ઉપકરણોની નિયમિત તપાસ કરાવો.

[3] કચરાનો જવાબદારીપૂર્વક નિકાલ કરો : પ્લાસ્ટિક અને કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ બંધ કરો. રિસાયક્લિંગ અને પુનઃઉપયોગનો અભ્યાસ કરો. ખુલ્લી જગ્યામાં કચરો બાળવાનું ટાળો, કારણ કે તે ઝેરી ધુમાડો છોડે છે જે પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પર્યાવરણને સ્વચ્છ અને સલામત રાખવા માટે કચરાનું વિભાજન, રિસાયક્લિંગ અને ખાતર બનાવવું એ મહત્ત્વપૂર્ણ રીતો છે જેના દ્વારા કચરાનો નિકાલ કરી શકાય છે.

[4] Renewable energy-નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરો : સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરવાથી તમારા વાયુ પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. કોલસો અને તેલ જેવા ઉર્જા સ્રોતો વાતાવરણમાં મોટી માત્રામાં કણો, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છોડે છે. જે ઘટાડી શકાય.

[5] સ્વચ્છ રસોઈ પદ્ધતિઓ અપનાવો : લાકડું, કોલસો અને કેરોસીન જેવા પરંપરાગત બાયોમાસ ઇંધણને બદલે એલ.પી.જી., બાયોગેસ અને સૌર જેવા સ્વચ્છ રસોઈ વિકલ્પો વાપરવાથી એકંદર વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય છે.

[6] વૃક્ષો વાવો : વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો અને છોડ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, ધૂળ અને પ્રદૂષકોને અટકાવે છે અને સ્વચ્છ ઓક્સિજન છોડે છે. ઉપરાંત, હરિયાળી પૃથ્વી હંમેશાં તમારી ઇન્દ્રિયોને વધુ શાંત રાખશે.

[7] જાહેર પરિવહન અથવા ઇલેક્ટ્રિક વાહનો પસંદ કરો : જેટલા વધુ લોકો ઇલેક્ટ્રિક બસો અથવા વાહનોનો ઉપયોગ કરવાનું પસંદ કરે તેટલું જ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને particulate matter-કણો (PM2.5)નું ઉત્સર્જન, જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે, તે આપમેળે ઘટે છે. 

31 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા

નેહા શાહ|Opinion - Opinion|1 November 2025

નેહા શાહ

સંસાધનો મર્યાદિત હોવાને કારણે એને ક્યાં અને કેવી રીતે વાપરવા એ આર્થિક નીતિ ઘડતી વખતે હંમેશાં એક પેચીદો પ્રશ્ન બની રહે છે. એ સંજોગોમાં નાણાંની ફાળવણી નિર્ણયકર્તાની સમજ અને હેતુ અગ્રતા પર રહે છે. આઝાદી પછી દેશના મોટા ભાગના રાજ્યોએ જ્યારે ઔદ્યોગિક વિકાસને પ્રાધાન્ય આપી એમાં રોકાણ કર્યું, ત્યારે કેરાલા માનવ સંસાધાનમાં રોકાણ કરવાની નીતિને વળગી રહ્યું. પરિણામે માનવ વિકાસના સૂચકાંકમાં કેરાલાની પ્રગતિ હંમેશાંથી સૌથી સારી રહી છે. શિક્ષણ, આરોગ્ય, અને આયુષ્ય જેવાં સૂચકાંકમાં વર્ષોથી એ મોખરે જ રહ્યું છે. અને આજે અતિશય ગરીબીને નાબૂદ કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. પહેલી નવેમ્બરે – કેરાલા દિનના દિવસે એની સત્તાવાર જાહેરાત સાથે ઉજવણી થશે. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય અને ચીન પછી વિશ્વનું બીજું ક્ષેત્ર બનશે.

અતિશય ગરીબી એટલે શું? ગરીબીની વ્યાખ્યા માત્ર આવક સાથે જ સંકળાયેલી નથી. સંયુક્ત રાષ્ટ્રએ કરેલી પરિભાષા પ્રમાણે ખોરાક, પીવા લાયક પાણી, આરોગ્યની સુવિધા, સ્વચ્છતાની સુવિધા, ઘર, શિક્ષણ અને માહિતી જેવી મૂળભૂત માનવ જરૂરિયાતોનો ગંભીર અભાવની પરીસ્થિતિ એટલે અતિશય ગરીબી. વૈશ્વિક માપદંડ પ્રમાણે માથાદીઠ ૧૮૦ રૂપિયાથી ઓછી દૈનિક આવક સાથે જીવતી વ્યક્તિ અતિશય ગરીબ ગણી શકાય. ભારતમાં એનું પ્રમાણ સરેરાશ ૧૧.૨ ટકા છે. કેરાલામાં ગરીબીનું પ્રમાણ આમ પણ નીચું જ છે – કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા અને ડાબેરી વિચારસરણીના પ્રભુત્વની અસરનું પરિણામ છે. નીતિ આયોગનાં આંકડા પ્રમાણે ૨૦૨૩માં કેરાલામાં માત્ર ૦.૫૫ ટકા લોકો અતિશય ગરીબ હતા, જે દેશના બધા રાજ્યો કરતાં સૌથી ઓછા છે. આ પ્રમાણને શૂન્ય સુધી લઇ આવવા માટે કેરલા સરકારે ૨૦૨૧માં અત્યંત ગરીબી નાબૂદી પ્રોજેક્ટ શરૂ કર્યો. ચાર વર્ષના અંતે લક્ષ્યાંક હાંસલ થયાનો દાવો કેરાલા સરકાર કરી રહી છે. 

ચાર વર્ષની પ્રક્રિયા ખૂબ રસપ્રદ છે – જે સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને જમીન પર કામ કરતા કાર્યકરો વચ્ચેના સંકલિત પ્રયાસ બતાવે છે. અતિશય ગરીબ લોકો સુધી પહોંચવા માટે સૌથી પહેલા તો એમને ઓળખવા જરૂરી છે. તેઓ દેખીતી રીતે સરકારી કલ્યાણકારી યોજનાઓની સુરક્ષા જાળની બહાર રહી ગયા હતા એટલે સરકારી રેકોર્ડ માંથી અદૃશ્ય હતા. સૌથી પહેલા અતિશય ગરીબ વ્યક્તિઓ અને પરિવારોને ઓળખવામાં આવ્યા. એ માટે પંચાયતોની મદદ લેવામાં આવી. આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, કુદુમ્બશ્રી (મહિલા નેટવર્ક) કાર્યકર્તા જૂથોના સભ્યો અને રહેણાંક સંગઠનો જેવાં જમીની સ્તરે કામ કરતાં આશરે 14 લાખ લોકોનાં પ્રયત્નોથી ડેટા સંકલિત કરવાનું કામ થયું. ગ્રામ અને વોર્ડ સભામાં સખત ફિલ્ડ વેલિડેશન, સુપર ચેક અને અંતિમ પુષ્ટિ પછી, 64,006 પરિવારોના કુલ 1,03,099 વ્યક્તિઓને અતિશય ગરીબીમાં જીવતાં લોકો તરીકે ઓળખવામાં આવ્યા. પ્રારંભિક તબક્કામાં, રાજ્યએ દરેક ઓળખ કરાયેલા પરિવારને ખોરાક અને આરોગ્ય સંભાળ પૂરી પાડવાની પ્રાથમિકતા આપી. તેમને આરોગ્ય વીમો અને સામાજિક સુરક્ષા પેન્શનની પહોંચ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે યુ.ડી.આઇ.ડી. કાર્ડ જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો આપવામાં આવ્યા. દરેક પરિવાર માટે કસ્ટમાઇઝ્ડ માઇક્રો-પ્લાન (સૂક્ષ્મ યોજના) બનાવાઈ – એટલે કે જેને જે જરૂર હતી એ સગવડ પૂરી પાડવા તેમને પંચાયતની પેટા યોજના સાથે સંકલિત કરવામાં આવ્યા. આશરે ૩,૯૦૦ ઘર વિહોણા પરિવારોને સરકારી યોજના અંતર્ગત ઘર આપવામાં આવ્યા, આરોગ્યની સમસ્યાવાળા લોકોને સીધી તબીબી સુવિધા અપાઈ, જો બાળક શાળાએ ન જતું હોય તો એમનો શાળા પ્રવેશ કરાવાયો, બેરોજગાર લોકોને તાલીમ આપી આજીવિકાના સાધનો ઊભા કરાયા. તમામ સૂક્ષ્મ યોજનાઓ ડિજિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ પર અપલોડ કરવામાં આવી હતી, જેથી દરેક સેવા યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એની પર નજર રાખી શકાય. સંબંધિત વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા દરેક પરિવારની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કરતી હતી.

આ આખી વાત પ્રભાવશાળી લાગતી હોય તો પણ જ્યાં રાજકીય દાવા હોય ત્યાં દૂરથી દેખાતી બધી વાત હરિયાળી નથી હોતી. વાયનાડ જિલ્લાના આદિવાસીઓ સુધી જરૂરી અન્ન, રહેઠાણ કે પ્રાથમિક તબીબી સવલતો પહોંચતી નથી, એવી ટીકા ત્યાંના આદિવાસી નેતાઓ અને આશા કાર્યકરોએ કરી છે. આ ઉપરાંત એ પણ સમજવું જરૂરી છે કે ગરીબીની રેખા કોઈ જાદુઈ રેખા નથી. એની ઉપર ઉઠેલા લોકોનાં જીવન કોઈ નાટ્યાત્મક રીતે બદલાઈ નથી જતા. ખરી કસોટી તો તેમને ગરીબીની રેખા ઉપર ટકાવી રાખવામાં છે. એક માંદગી કે એક પૂરમાં તણાઈ જતા ઘરને કારણે એક કુટુંબ ક્ષણભરમાં પાછું ગરીબી તરફ ધકેલાઈ શકે છે. આ પરિવારો ફરીથી અતિશય ગરીબીમાં ન જાય તે સુનિશ્ચિત કરવા માટે કલ્યાણ, આજીવિકાની યોજનાઓ અને સામાજિક સુરક્ષાની સતત દેખરેખની જરૂર પડશે. પણ, કેરાલા એના લક્ષ્યાંકની નજીક છે અને એના મોડેલે એટલું તો સાબિત કર્યું કે જો સરકારી તંત્ર યોજનાઓનું યોગ્ય સંકલન કરે, અને યોજનાના અમલીકરણમાં લોકોને ભાગીદાર બનાવાય જેમ કુટુમ્બશ્રીની બહેનો જોડાઈ તો અઘરા લાગતા ઘણાં લક્ષ્યાંકો પાર પાડી શકાય છે. જરૂર હોય છે રાજકીય ઈચ્છા શક્તિની.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...44454647...506070...

Search by

Opinion

  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved