Opinion Magazine
Number of visits: 9736339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોબેલ પુરસ્કાર લહાણી કરવાની ચીજ નથી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 January 2026

રવીન્દ્ર પારેખ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક અરાજકતાનું ઉત્તમ ઉદાહરણ છે. એવો એક દિવસ નથી જતો જેમાં ટ્રમ્પે ટેરિફ અને ધમકીની વાતો ના ઉચ્ચારી હોય. તેઓ ન બોલે તો વૈશ્વિક શાંતિ વહેલી સ્થપાય, પણ કમનસીબે તેવું થતું નથી. બોલવાનો, તોછડાઈનો રોગ હોય તે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વર્તે છે. ભારતને મિત્ર ગણીને ટેરિફની ધમકી આપવાનું પણ તેઓ ચૂકતા નથી. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ ટ્રમ્પ વગર શક્ય જ ન હતો એવો પ્રલાપ તેઓ એકથી વધુ વખત કરી ચૂક્યા છે. બાકી, હતું તે ગઈ કાલના સમાચારમાં જ ટ્રમ્પે કહ્યુ કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવીને તેમણે લાખો લોકોના જીવ બચાવ્યા છે. એ સાથે જ એમ પણ ઉમેર્યું કે અમે એક વર્ષ કરતાં ઓછા સમયમાં 8 શાંતિ સમજૂતી કરાવી છે. એ પણ ગણાવ્યું કે ઉત્તર કોરિયા સાથેના સંવાદ, મધ્યપૂર્વમાં અબ્રાહમ એકોર્ડ્સ અને આતંકવાદ વિરોધી પગલાં માટે પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર એકથી વધુ વખત મળવો જોઈએ, એવો દાવો અને પ્રચાર ખુદ ટ્રમ્પે કરવામાં કોઈ કસર રાખી નથી. દાવો તો ઠીક, પણ નોબેલની તેમણે રીતસરની ઉઘરાણી જ કાઢી હતી. જો કે, તેમના દુર્ભાગ્યે, ટ્રમ્પને 2025નું નોબેલ પીસ પ્રાઈઝ ન મળ્યું ને તે વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને મળ્યું. ટ્રમ્પ નોબેલ કમિટી પર ગિન્નાયા પણ ખરા, તે કમિટી પક્ષપાતી છે, એવો આરોપ મૂકવાથી પણ ન ચૂક્યા.

આ સાથે જ તેમનો ઉપદ્રવ તો ચાલુ જ છે. 8 યુરોપિયન દેશોને 10 ટકા ટેરિફની ધમકી આપતાં તેમણે રોકડું પરખાવ્યું કે સમજૂતી નહીં થાય તો 1 જૂનથી ટેરિફ 25 ટકા થશે. ગ્રીનલેન્ડ ખરીદીને કબજે લેવાની ધમકીને કારણે ભયંકર ઠંડી વચ્ચે લોકોએ રેલી કાઢી ને સ્પષ્ટ કર્યું કે ગ્રીનલેન્ડ વેચવા માટે નથી. ડેન્માર્કમાં પણ અનેક રેલીઓ નીકળી. ટ્રમ્પના 8 વખત શાંતિ પ્રયાસોની વાત સાચી માનીએ તો પણ, કોઈ દેશની ખરીદ-વેચાણની વાતે કે ટેરિફની ધમકીઓથી શાંતિ ડહોળાય છે, એવું નહીં? સુપ્રીમ લીડર ખોમેનેઈએ કહ્યું કે ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા છે, તો, ટ્રમ્પ જવાબમાં કહે છે કે ઈરાન સરકાર થોડા દિવસની જ મહેમાન છે. ઈરાની પ્રદર્શનકારીઓનું માનવું છે કે ટ્રમ્પે અમને દગો કર્યો છે. સૌથી વધુ જરૂર હતી ત્યારે જ ટ્રમ્પે સમર્થન પાછું ખેંચ્યું ને તેનું પરિણામ 5,000 લોકોનાં મોતમાં આવ્યું છે. આ બધી વાતો અને શાંતિ સમજૂતી વચ્ચે કેવળ માનસિક અસ્થિરતા જ કેન્દ્રમાં આવી રહે છે.

આની સમાંતરે ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું ચૂપચાપ અપહરણ કરી વેનેઝુએલામાંથી સરમુખત્યારશાહી ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. આ માન્યતા મારિયા મચાડોની છે. એ જે હોય તે, નિકોલસ માદુરો સરમુખત્યાર જ કેમ ન હોય, ટ્રમ્પને કોઈ હક નથી કે તેઓ માદુરોને તેમના દેશમાંથી ઉપાડીને અમેરિકા ખેંચી જાય. એ ખરું કે મચાડો વિપક્ષી નેતા છે. તેમણે જોયું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ થયું છે ને ટ્રમ્પને વહાલા થવાથી વેનેઝુએલામાં સત્તા મળે એમ છે, તો તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ(કે દાન?)માં આપી દીધો. ‘TO  PRESIDENT DONALD J. TRUMP’ લાઈન સાથે મચાડોએ નોબેલ પુરસ્કાર અર્પણ કર્યો. ટ્રમ્પ તો નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટાંપીને બેઠા જ હતા, ત્યાં ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. મચાડોને પુરસ્કાર જાહેર થયો ત્યારે ટ્રમ્પ તેમનાથી નારાજ હતા, એ પછી નોબેલ પુરસ્કાર સામેથી પોતાને આંગણે આવે તો ના કેમ પાડે?

જરા પણ સંકોચ વગર રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુરસ્કાર સ્વીકારતો ફોટો મચાડો સાથે પડાવી લીધો. મચાડોએ એમ પણ કહ્યું કે આજનો દિવસ વેનેઝુએલાના લોકો માટે ઐતિહાસિક છે. આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર વિશ્વાસ કરી શકીએ. કોઈનું ઇનામ પોતે સ્વીકારી લેવું કોઈ રીતે યોગ્ય નથી. તેમાં આ તો નોબેલ પુરસ્કાર ! દુનિયા જાણે છે કે 2025નો શાંતિ પુરસ્કાર મચાડોને મળ્યો છે. તે પોતાને નામે ચડાવવાનો રાષ્ટ્રપતિ જેવાને સંકોચ ન થાય એ બેશરમીની પરાકાષ્ટા છે. ઉપરથી ટ્રમ્પ ખુશ થઈને મચાડો માટે સોશિયલ મીડિયા પર લખે છે કે મચાડો એક હિંમતવાન અને અદ્દભુત મહિલા છે. મચાડોને નોબેલ પુરસ્કાર મળ્યો, ત્યારે તે હિંમતવાન અને અદ્દભુત મહિલા લાગ્યાં ન હતાં. તેઓ તો મચાડોને પુરસ્કાર મળ્યો, એ વાતે નારાજ હતા, પણ જેવું મચાડોએ ઇનામ ટ્રમ્પને પધરાવ્યું કે મચાડો અદ્દભુત ને હિંમતવાન મહિલા થઈ ગયાં ! માત્ર રાજકીય લાભ ખાટવા મચાડો જેવાં વિપક્ષી નેતા નોબેલ પુરસ્કારનું ગૌરવ જાળવવાને બદલે તેની લહાણી કરવા નીકળે એ પણ એટલી જ શરમજનક ઘટના છે.

હવે નોબેલ પારિતોષિક આપતી કમિટીને પણ થતું હશે કે તેણે કેવાં સન્નારીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કર્યાં છે ! મચાડો બધી શંકાથી પર, વેનેઝુએલામાં લોકશાહીની જ્યોત પ્રગટાવી રાખવા માટે જે જોખમો વચ્ચે ટકી રહ્યાં છે, તે કાબિલે દાદ છે. એ રીતે નોબેલ પુરસ્કાર માટે તેમની પસંદગી બધી રીતે ઉચિત છે, પણ તેમણે જે હરકત નોબેલનું દાન કરવાની કરી છે, તે અક્ષમ્ય છે. એમ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને આપવાથી એ સિદ્ધ થઈ શકશે કે નોબેલ પુરસ્કાર મચાડોને અપાયો નથી? ન તો આ પુરસ્કાર અર્પણવિધિથી દુનિયા એમ માનશે કે પુરસ્કાર મચાડોને નહીં, પણ ટ્રમ્પને મળ્યો છે? જો એ શક્ય જ નથી તો પારિતોષિક અર્પણવિધિનો આ આખો વેપલો રાજકીય સ્ટંટથી વિશેષ કંઇ નથી. અલબત્ત ! ટ્રમ્પે મારિયા મચાડોને રાજકીય નેતા તરીકેનું સમર્થન આપ્યું નથી, પણ મચાડો નિસ્વાર્થ ભાવે નોબેલની લ્હાણી કરીને ચૂપચાપ બેસી રહે એવાં સન્નારી તો નથી જ !

વેનેઝુએલાની અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધુ રાજકીય લાભ ખાટવાની તકો મચાડો પાસે છે ને એ નોબેલ દાન કરવાથી હાથવગી હોય તો મચાડો એ ન જ ગુમાવે એ સમજી લેવાનું રહે. આમાં સૌથી વધુ ચલણી તત્ત્વ દાખલ પડી જાય એવું કંઇ હોય તો તે નોબેલની ગરિમા ન જળવાવાનું. નોબેલમાં મોટી રકમ મેડલની સાથે અપાય છે. એથી વધુ રકમ ઘણાં ધરાવતા હોય એ શક્ય છે. એવી સાધન સંપન્ન કોઈ વ્યક્તિ વધુ રકમ આપીને નોબેલ ખરીદવા નીકળે કે વધુ રકમની લાલચે કોઈ નોબેલ વેચવા નીકળે તો તેને રોકવાનું મુશ્કેલ બને. ટ્રમ્પને નોબેલ અર્પણ વિધિની મચાડોની ચેષ્ટાથી આવો નવો ધારો પડે તે મોટું ભયસ્થાન આ ઘટના/દુર્ઘટનાનું છે.

બહુ યોગ્ય રીતે જ આ ભયસ્થાન પારખીને નોબેલ કમિટીએ કેટલીક સ્પષ્ટતાઓ કરવી પડી છે. મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાનું બિરુદ બદલી શકાતું નથી. ટૂંકમાં, નોબેલ પુરસ્કાર કોઈને ટ્રાન્સફર કરી શકાતો નથી, વહેંચી શકાતો નથી કે રદ્દ કરી શકાતો નથી, એટલે આ પુરસ્કાર મચાડો પાસે જ રહેશે. નોબેલ કમિટીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે નોબેલ વિજેતાની પસંદગી સંપૂર્ણપણે સ્વતંત્ર છે ને તે કોઈ રાજકીય દબાણને વશ નથી. ટ્રમ્પે નોબેલ સ્વીકારતો ફોટો તો પડાવ્યો છે, પણ મચાડો પાસે જોઈએ તેટલાં પ્રમાણમાં સમર્થન નથી, એટલે મચાડો વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હોવાની કલ્પના કરી બેઠાં હોય તો તેમાં છક્કડ ખાવાની તૈયારી પણ રાખવાની રહે.

કોઈ રાજકીય દાવપેચમાં ન પડીએ, તો પણ વૈશ્વિક કક્ષાનો નોબેલ શાંતિ પુરસ્કાર તેની ગરિમા ગુમાવે એ રીતનું વર્તન મારિયા મચાડોએ કરવા જેવું ન હતું. એવી પણ ચર્ચા છે કે મારિયા મચાડોને આ પુરસ્કાર અમેરિકાને, એટલે કે ટ્રમ્પને ઈશારે મળ્યો છે, જેથી વાયા મચાડો તે ટ્રમ્પ સુધી પહોંચે. આ સેટિંગ હોય તો તે નોબેલ કમિટીની નિષ્પક્ષતા પર પણ પ્રશ્નાર્થચિહ્ન લગાવે છે. જો કે, અત્યારે તો આ પુરસ્કારને દુનિયાએ નોબેલ કમિટીની નિષ્પક્ષતા સંદર્ભે જ જોવાનો રહે, એટલે નોબેલ કમિટીને ટ્રમ્પ વધુ યોગ્ય જણાયા હોત, તો એ પુરસ્કાર તેમને જ અપાયો હોત, પણ તેમ ન થતાં મચાડો વધુ લાયક ઉમેદવાર લાગ્યા ને પુરસ્કાર તેમને અપાયો. હવે નોબેલની નિર્ણાયક કમિટીની ઉપરવટ જઈને મારિયા મચાડો એ પુરસ્કાર ટ્રમ્પને એનાયત કરે એમાં પારિતોષિકની અવમાનના છે, એટલું જ નહીં, નોબેલ કમિટીનું પણ એમાં અપમાન છે ને એ નોબેલ પારિતોષિક વિજેતાને હાથે થાય એ તો વધુ ગંભીર ઘટના છે.

કમ સે કમ નોબલ પુરસ્કાર આટલો સસ્તો તો તેના વિજેતા દ્વારા ન જ થવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જાન્યુઆરી 2026

Loading

આર્કટિક કસોટી : ગ્રીનલેન્ડ – યુ.એસ.એ.ના સંજોગો આપણી કેન્દ્ર સરકારને ભવિષ્યના સત્તા-સંઘર્ષ વિશે શું શીખવે છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 January 2026

ચિરંતના ભટ્ટ

જ્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર, ખુલ્લેઆમ, તેના જ ‘નાટો’ (NATO) સહયોગી એવા પ્રદેશ પર બળજબરીથી નિયંત્રણ મેળવવાની વાત કરે, ત્યારે તે કોઈ એકલદોકલ કે અવગણવાની ઘટના નથી; તે આવનારા સમયની બ્લુપ્રિન્ટ છે. ગ્રીનલેન્ડ, બરફથી ઢંકાયેલો એવો ટાપુ જેને નકશામાં શોધવામાં પણ મોટાભાગના ભારતીયોને મુશ્કેલી પડે, પણ આ ટાપુ અત્યારે સ્પષ્ટ રીતે બતાવી રહ્યો છે કે આવનારા દાયકાઓમાં મહાસત્તાઓ ખરેખર કેવું વર્તન કરશે. પછી ભલે દુનિયા ‘નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા’નાં બણગાં ફૂંકે.

જાન્યુઆરીમાં, યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ હસ્તગત કરવાનો વિચાર વહેતો મૂક્યો, અને આ વખતે તેમણે લશ્કરી કે આર્થિક દબાણનો ઉપયોગ કરવાની શક્યતા નકારી નહોતી. જવાબમાં યુરોપીયન સાથીઓએ આ ટાપુ પર સૈનિકોની નાની ટુકડીઓ મોકલી; જે એક ચેતવણી સંકેત પણ હતો અને સાથે જ એ સ્વીકૃતિ પણ કે ડેનમાર્ક એકલા હાથે આ વિશાળ પ્રદેશનું રક્ષણ કરી શકે તેમ નથી. બીજી તરફ, ગ્રીનલેન્ડના નેતાઓ સ્પષ્ટ હતા : આ ટાપુ “વેચાણ માટે નથી”.

આ માત્ર ટ્રમ્પની વ્યક્તિગત ધૂન નથી. ગ્રીનલેન્ડ અત્યારે વૈશ્વિક સત્તાને નવી દિશામાં વાળતા ત્રણ પરિબળોના ટકરાવના કેન્દ્રમાં છે : આબોહવા પરિવર્તનથી બદલાતું ભૂગોળ, સપ્લાય-ચેઈન પર નિયંત્રણ માટેનો સંઘર્ષ અને મહાસત્તાઓની ‘ડિનાયલ સ્ટ્રેટેજી’ – એટલે પ્રતિસ્પર્ધીને વ્યૂહાત્મક જગ્યા મળવા ન દેવાની રણનીતિ. ભારત માટે આ એક અસ્વસ્થ કરનારો બોધપાઠ છે, જેને અવગણવાની લક્ઝરી આપણી પાસે નથી : જટિલ જિઓ-પોલિટિકલ વ્યૂહાત્મક પ્રદેશ અંતે તેનો જ હોય છે જે તેને સુરક્ષિત રાખી શકે.

ગ્રીનલેન્ડ માટેનો જંગ શા માટે મહત્ત્વનો છે?

ગ્રીનલેન્ડનું મૂલ્ય લાગણીશીલ નથી; તે એક ગણતરી છે. અમેરિકાને મામલે એ કહેવત યાદ રાખવી જોઈએ, “લાલો લાભ વગર લોટે નહીં.”

લશ્કરી ભૂમિતિ (Military Geometry) 

અમેરિકા ગ્રીનલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં ‘પિટુફિક સ્પેસ બેઝ’ (Pituffik Space Base—અગાઉનું થુલે એર બેઝ) ચલાવે છે, જે મિસાઈલ વોર્નિંગ અને સ્પેસ સર્વેલન્સ માટેનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. યુરેશિયા અને ઉત્તર અમેરિકા વચ્ચેના ઘણા ટ્રાન્સપોલર મિસાઈલ હુમલાના સૌથી ટૂંકા માર્ગો સીધા આર્કટિક પરથી પસાર થાય છે. હાઈપરસોનિક શસ્ત્રોના યુગમાં, જ્યારે નિર્ણય લેવા માટે મિનિટોનો જ સમય હોય છે, ત્યારે ‘ફોરવર્ડ સેન્સર’ હોવા એ કોઈ વિકલ્પ નથી, તે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનિવાર્ય છે.

GIUK – ગેપ 

ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ અને યુ.કે. (UK) વચ્ચેનો આ કોરિડોર આર્કટિકના પાણીને ઉત્તર એટલાન્ટિક સાથે જોડતો વ્યૂહાત્મક માર્ગ છે. શીતયુદ્ધ દરમિયાન, સબમરીન વિરોધી યુદ્ધ માટે આ કેન્દ્ર હતું. આજે, રશિયન સબમરીનની પ્રવૃત્તિઓ ફરી વધી રહી છે ત્યારે, આ GIUK – ગેપ ફરીથી મહત્ત્વનો બની ગયો છે. જે આ માર્ગને નિયંત્રિત કરે છે તે સમગ્ર એટલાન્ટિક થિયેટરને નિયંત્રિત કરે છે.

ક્રિટિકલ મિનરલ્સ 

જો કે આ મુદ્દો પરંતુ સામાન્ય રીતે સમજાય છે તેવા કારણોસર અગત્યનો છે તેમ નથી. ગ્રીનલેન્ડમાં અંદાજે ૧૫ લાખ મેટ્રિક ટન રેર-અર્થ ખનીજોના ભંડાર છે. આ આંકડો પશ્ચિમી નીતિ ઘડનારાઓને આકર્ષે છે, પરંતુ વાસ્તવિકતા કઠોર છે. અહીં ખાણકામ મોંઘું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે અને પ્રોસેસિંગ ક્ષમતામાં ચીન હજુ પણ વર્ચસ્વ ધરાવે છે. એટલે તાત્કાલિક ઉદ્દેશ ઉત્પાદનનો નથી.

અસલી રમત ‘ડિનાયલ’ની છે : ચીન કે રશિયા ગ્રીનલેન્ડના સંસાધન ક્ષેત્રમાં કે રાજકીય વ્યવસ્થામાં પગપેસારો ન કરી શકે તેની તકેદારી રાખવી. મહાસત્તાઓ ખાણો તૈયાર થાય તેની રાહ જોવામાં માનવાની નથી. તે તો ભવિષ્યના લાભ માટે આજથી જ સોગઠાં ગોઠવી દે છે.

ક્લાઇમેટ ચેન્જ માત્ર બેકગ્રાઉન્ડ નથી પણ ટ્રિગર છે

ગ્રીનલેન્ડ અત્યારે જ કેમ કટોકટીનું કેન્દ્ર બન્યું? કારણ કે બરફ ઓગળી રહ્યો છે.

જેમ જેમ આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, આ પ્રદેશ થીજેલા અવરોધમાંથી નેવિગેબલ (વહાણવટા યોગ્ય) જળમાર્ગમાં પરિવર્તિત થઈ રહ્યો છે. નોર્ધન સી રૂટ (Northern Sea Route) જેવા માર્ગો હવે સૈદ્ધાંતિક નથી રહ્યા; ભવિષ્યમાં તે યુરોપ અને એશિયા વચ્ચેનું અંતર સુએઝ કેનાલની સરખામણીમાં ઘણું ઘટાડી શકે છે. આ ક્યારે થશે તેની સમયરેખા અસ્પષ્ટ છે, પરંતુ દિશા નક્કી છે.

આ માત્ર ગ્લેશિયર પીગળવાની વાર્તા નથી. આ એક નવા સમુદ્રી ક્ષેત્રના ઉદ્દભવની વાત છે; જે વેપાર, ઊર્જા પ્રવાહ, અંડર-સી કેબલ્સ અને લશ્કરી ટ્રાફિકનું વહન કરી શકશે. 

આ દૃષ્ટિએ જોવામાં આવે તો, વોશિંગ્ટનનો ગ્રીનલેન્ડ પ્રત્યેનો રસ જમીન ખરીદવાની ઇચ્છાથી ઓછો અને આર્કટિક પૂરેપૂરું ખૂલે તે પહેલાં તેનું શું થશે તેના પરિણામો નક્કી કરવાની વ્યૂહરચનાથી વધુ છે. ડેનિશ સબસિડી પર નિર્ભર અને બરફ ઓગળતાંની સાથે વ્યૂહાત્મક રીતે ખુલ્લું પડતું ગ્રીનલેન્ડ એક નબળી કડી બને છે; એવી જગ્યા જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ, સંસાધન કરાર અને રાજકીય દબાણ દ્વારા પ્રભાવ સ્થાપિત થઈ શકે.

અમેરિકાનું પગલું ‘પ્રિ-એમ્પટિવ પોઝિશનિંગ’ છે : ઉદ્દેશ માત્ર માલિકીનો નથી, પરંતુ જ્યારે આર્કટિક સક્રિય બને ત્યારે ત્યાં પશ્ચિમનો પ્રભાવ અડગ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

ડેનમાર્કની દ્વિધા ભારત માટે પ્રિવ્યૂ છે

ડેનમાર્કની સમસ્યા વિચારધારાની નહીં, પરંતુ માળખાકીય છે. ગ્રીનલેન્ડ જાહેર સેવાઓ અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે ડેનમાર્કની બ્લોક ગ્રાન્ટ પર મોટાપાયે નિર્ભર છે. તાજેતરનાં વર્ષોમાં ડેનમાર્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય ક્ષેત્રે વધારાનું રોકાણ પણ જાહેર કર્યું છે. આમ કરવા પાછળ વ્યૂહાત્મક ચિંતા અને ઘરઆંગણે જવાબદારી બંનેનો સમાવેશ થાય છે.

ભારતીય વાચકો માટે આ પેટર્ન જાણીતી લાગશે. મર્યાદિત આર્થિક ક્ષમતા ધરાવતો વ્યૂહાત્મક પ્રદેશ મહાસત્તાઓના આકર્ષણનું કેન્દ્ર બને છે—યુદ્ધ દ્વારા નહીં, પણ નિર્ભરતા અને વાટાઘાટો દ્વારા.

ત્રણ બોધપાઠ જેની ભારત અવગણના ન કરી શકે

પહેલો : નિયમો આધારિત વ્યવસ્થા શરતી હોય છે. 

જ્યારે કોઈ અમેરિકી પ્રમુખ નાટોના સહયોગી પર દબાણની વાત કરે છે, ત્યારે તેનો સંદેશ સ્પષ્ટ છે : આંતરરાષ્ટ્રીય નિયમો ત્યાં સુધી જ માન્ય છે જ્યાં સુધી તે વ્યૂહાત્મક જરૂરિયાતોની આડે નથી આવતા. ભારતે આઘાત પામવાનું નાટક કરવાની જરૂર નથી. દક્ષિણ ચીન સમુદ્ર, ક્રિમિયા અને આપણા પડોશમાં પણ આ જ તર્ક કામ કરે છે. બોધ નિરાશાનો નથી, પરંતુ વાસ્તવવાદનો છે.

બીજો : ભૂગોળનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેને સૈન્યબળથી સુરક્ષિત કરવામાં આવે.

ગ્રીનલેન્ડ અમૂલ્ય પ્રદેશ છે, પરંતુ તેની સ્વ-રક્ષણ ક્ષમતા મર્યાદિત છે. તેથી જ યુરોપીયન સાથીઓ ત્યાં હાજરી મજબૂત કરી રહ્યા છે, માત્ર પ્રતીકાત્મક એકતા માટે નહીં, પરંતુ વ્યૂહાત્મક શૂન્યાવકાશ ભરવા માટે.

ભારત પાસે તેનું પોતાનું ગ્રીનલેન્ડ છે : આંદામાન અને નિકોબાર ટાપુઓ.

જેમ પિટુફિક (Pituffik) આર્કટિક પર નજર રાખે છે, તેમ નિકોબારના દક્ષિણ છેડે આવેલું ‘INS બાઝ’ (INS Baaz) મલક્કા સ્ટ્રેટ પર નજર રાખે છે; જે ઇન્ડો-પેસિફિકનું સૌથી વ્યસ્ત ચોકપોઈન્ટ છે અને જ્યાંથી પૂર્વ એશિયાનો મોટાભાગનો વેપાર અને ઉર્જા પસાર થાય છે. રણનીતિકારો લાંબા સમયથી આ ટાપુઓને ભારતનું “અનસિંકેબલ એરક્રાફ્ટ કેરિયર” (ડૂબે નહીં તેવું જહાજ) ગણાવે છે, પરંતુ માત્ર રનવે હોવાથી દુ:શ્મન ડરતો નથી.

આર્કટિકનો પાઠ ગંભીર છે : કાયદાકીય માલિકી અને વ્યૂહાત્મક નિયંત્રણ એક જ વસ્તુ નથી. ચીનની કહેવાતી “સ્ટ્રિંગ ઓફ પર્લ્સ” એ ભારત જે ભૂગોળ પર કુદરતી પ્રભુત્વ ધરાવે છે તેને બાયપાસ કરવાનો પ્રયાસ છે. જો વ્યૂહાત્મક પ્રદેશને ઓછી સુરક્ષામાં રાખવામાં આવે, તો તે હરીફને આમંત્રણ મળી જાય છે.

ત્રીજો : ક્રિટિકલ મિનરલ્સ એ સાર્વભૌમત્વનો મુદ્દો છે, કોમોડિટી નહીં.

ભારત હજુ પણ તેની રેર-અર્થ જરૂરિયાતો માટે ચીન પર નિર્ભર છે. ગ્રીનલેન્ડ બતાવે છે કે ખનીજો કેટલી ઝડપથી બજારના તર્કમાંથી વ્યૂહાત્મક સંઘર્ષમાં ફેરવાઈ જાય છે. સાચી સુરક્ષા માત્ર ખાણકામથી નહીં, પણ રિફાઇનિંગ, બેટરી ટેક્નોલોજી અને સપ્લાય ચેઇનની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવાથી આવશે.

હવે શું થશે?

ગ્રીનલેન્ડમાં રાતોરાત ધ્વજ બદલાય તેવી શક્યતા ઓછી છે. વધુ શક્યતા એ છે કે ત્યાં અમેરિકાનો પ્રભાવ ધીમે ધીમે વધશે : પિટુફિક બેઝનો વિસ્તૃત ઉપયોગ, ગુપ્તચર સંકલન અને ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં અમેરિકન કંપનીઓને અગ્રતા. આ “માલિકી સિવાય બધું જ” – everything-but-ownership – એ પ્રકારનું મોડલ છે.

ડેનમાર્ક કદાચ આ સ્વીકારી લેશે. યુરોપિયન સાથીઓ થોડો વિરોધ કરશે, પછી સ્વીકારશે. કારણ કે યુ.એસ.એ.નો વિકલ્પ એટલે કે ચીનનો પગપેસારો, વધુ ખરાબ સ્થિતિ ઊભી કરી શકે છે.

પરંતુ મહત્ત્વનું એ છે કે ગ્રીનલેન્ડ એક જીવંત ઉદાહરણ બની ગયું છે કે આર્કટિક હવે એક હરીફાઈનું મેદાન છે.

દિલ્હીએ શા માટે ચિંતા કરવી જોઈએ?

ભારતે ગ્રીનલેન્ડ પર નજર રાખવી જોઈએ, એટલા માટે નહીં કે આપણે આર્કટિકમાં પ્રભાવ જમાવવો છે, પરંતુ એટલા માટે કે ત્યાં જે રમત રમાઈ રહી છે—આગોતરી પોઝિશનિંગ, નાના દેશો પર દબાણ અને સાથીદારોની કસોટી—તેનો પડઘો ઇન્ડો-પેસિફિકમાં પણ પડશે.

બાય ધી વે : 

ભવિષ્યની સ્પર્ધા માત્ર સરહદો પર નહીં, પણ અંડર-સી કેબલ્સ, સેટેલાઇટ ઓર્બિટ્સ અને દરિયાઈ માર્ગો પર થશે. ગ્રીનલેન્ડનો પીગળતો બરફ માત્ર ખનીજો જ ખુલ્લા નથી કરતો. તે યુદ્ધ પછીના સંયમનું ધોવાણ અને જૂના તર્કનું પુનરાગમન દર્શાવે છે : જે મહત્ત્વનું છે તેના પર નિયંત્રણ રાખો, પ્રતિસ્પર્ધીને રોકો અને જ્યારે દાવ મોટો હોય ત્યારે કાયદાકીય વિવેકને વચ્ચે ન આવવા દો.

કોઈ બીજું આપણો નકશો નક્કી કરે તે પહેલાં ભારતે આ પાઠ ધ્યાનથી ભણી લેવો જોઈએ. કોઈ બીજું આપણો નકશો નક્કી કરે તે પહેલાં, ભારતે આ સંજોગોમાંથી જરૂરી બોધપાઠ ધ્યાનથી શીખી લેવા જોઈએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18  જાન્યુઆરી 2026

Loading

નહીં આવન, નહીં જાવન : એક  મનન 

મૂળ કવિ : થિચ ન્હાત હન્હ (વિએટનામી સંત) • [અનુવાદ : ભદ્રા વડગામા]|Poetry|18 January 2026

જાણે કે મરણની મોસમ બેઠી ન હોય ! … કેટકેટલાં સ્નેહીમિત્રોની વિદાયના સમાચાર સામે આવી ખડકાય છે; અને પરિણામે, મૃત્યુ અંગેના વિચારોમાં ખોવાતી રહી છું. અને તેથીસ્તો, વિએટનામી સંત કવિ થિય ન્હાત હન્હ[Thich Nhat Hanh]ની આ કવિતાએ અનુવાદ કરવા મને ધક્કો માર્યાનો અનુભવ કરું છું.

− ભદ્રા વડગામા

થિચ ન્હાત હન્હ

આ શરીર હું નથી
આ શરીરથી હું બંધાયેલો નથી.
હું સીમાવિહીન જીવન છું
હું કદી જન્મ્યો નથી કે નથી મૃત્યુ પામ્યો.

સમુદ્ર અને તારાથી ચમકતા ગગન તરફ જુઓ
મારા સાચા મનની એ અભિવ્યક્તિ છે.
સમયના આરંભ પહેલાંથી હું મુક્ત રહ્યો છું.

જન્મ અને મરણ એ તો ફક્ત દરવાજાઓ છે,
જેની વચ્ચેથી આપણે પસાર થઈએ છીએ.
એ આપણી મુસાફરીના પવિત્ર ઉંબરા છે;
જન્મ અને મરણ તો સંતાકૂકડીની રમત માત્ર છે.

એટલે મારી સાથે હસો,
મારો હાથ પકડો,
આપણે એકબીજાને ‘આવજો’ કહી
ફરી મળવાનું વચન આપીએ.

આજે આપણે મળ્યાં છીએ
કાલે ફરી મળશું .
આપનાર દરેક ક્ષણે સ્રોત પર મળશું
જૂજવા રૂપે આપણે એકબીજાને ફરી મળશું.

17/01/2026
•

This body is not me.
I am not limited by this body.
I am life without boundaries.
I have never been born,
and I have never died.

Look at the ocean and the sky filled with stars,
manifestations from my wondrous true mind.

Since before time, I have been free.
Birth and death are only doors through which we pass,
sacred thresholds on our journey.
Birth and death are a game of hide-and-seek.

So laugh with me,
hold my hand,
let us say good-bye,
say good-bye, to meet again soon.

We meet today.
We will meet again tomorrow.
We will meet at the source every moment.
We meet each other in all forms of life.

e.mail : bv0245@googlemail.com

Loading

...102030...43444546...506070...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved