Opinion Magazine
Number of visits: 9953769
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કસ્તૂરબા 

કાકાસાહેબ કાલેલકર|Gandhiana|17 March 2025

પ્રથમ દર્શન 

બાને પહેલવહેલાં મેં ઈ.સ. 1915માં શાંતિનિકેતનમાં જોયાં હતાં. બાપુ તે વખતે જ દક્ષિણ આફ્રિકાથી હિંદ આવ્યા હતા. શાંતિનિકેતનમાં મને કેટલીક મહાન વ્યક્તિઓ – રવીન્દ્રનાથ ટાગોર, દીનબંધુ એન્ડ્યૂઝ, મિ. પિયર્સન, બા, બાપુ, મગનલાલભાઈ(મગનલાલ ગાંધી)ને મળવાનું સદ્ભાગ્ય મળ્યું; તેથી મારે માટે શાંતિનિકેતન એક અત્યંત પુણ્ય ભૂમિ બની ગયું છે.  જ્યારે બા અને બાપુ ત્યાં આવ્યાં ત્યારે હું ત્યાં જ રહેતો હતો. શાંતિનિકેતને મને હૃદયથી બંગાળી બનાવી દીધો હતો. 

બા-બાપુની સ્વાગત વ્યવસ્થામાં મને પૂરતી તક આપવામા આવી હતી. બાનો સાક્ષાત્કાર થયો તે પહેલાં મેં તેમને વિષે ઘણું સાંભળ્યું હતું. મગનલાલભાઈ પાસે તેમનું વર્ણન સાંભળીને પહેલેથી જ તેમના પ્રત્યે મને પૂજ્યભાવ હતો. ભારતવાસીઓ સ્વભાવથી જ માતૃપૂજક છે. હું તો ભગવાનને માતાના રૂપમાં જ ઓળખવા મથું છું . મારું માનસિક બંધારણ જ કંઈક એવી વૃત્તિથી થયું છે; અને એમાં મને કશું અનુચિત નથી લાગતું. માતા પાસેથી જ આપણને બધાં સંસ્કારનો પાયો મળ્યો છે. તેની પાસેથી મેળવેલા જન્મ, બાળપણના સંસ્કાર તથા ચારિત્ર્યની છાપ છેવટ સુધી આપણા જીવન પર પોતાનો પ્રભાવ રાખે છે. માતા પાસેથી જે મળે છે તે અંત સુધી રહે છે.

બા–બાપુ

શાંતિનિકેતનમાં બા અને બાપુનાં મને જે દર્શન થયાં તેની મારા હૃદય પર ખૂબ અસર થઈ. બા અને બાપુ પતિ – પત્ની હોવા છતાં પણ ભાઈ-બહેનની જેમ રહેતા હતાં. કોઈ કોઈ વાર તો બાપુ તદ્દન બાળક બનીને માની જેમ જોતા અને વ્યવહાર કરતા. પાછળથી ગાંધીજીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે વિકાર દૂર થાય છે ત્યારે સ્ત્રી-પુરુષનો સંબંધ અદ્વિતીય બની જાય છે. તેમાં પુત્રી, બહેન, મા, સખી, પત્ની, સૌનો એક પવિત્ર સંયોગ થાય છે. બાપુ પોતાની પત્નીને ‘બા’ કહીને બોલાવતા અને કસ્તૂરબા ગાંધીજીને ‘બાપુ’ કહીને બોલાવતાં. આ પવિત્ર ભાવના જોઈને હું કૃતાર્થ થઈ ગયો. આ મહાન સાધનાને સફળ કરવામાં બાનો પૂરેપૂરો ફાળો હતો. 

શાંતિનિકેતનમાં પહેલી રાતની પ્રાર્થના પછી બા-બાપુ ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયાં અને અમે તેમનાં બાળકોની જેમ તેમની ચારે બાજુ સૂતા. તે પવિત્ર રાત્રીએ હું એકી વખતે બન્નેનો થઈ ગયો.

•••

સ્વાભાવિકતા

હું માતૃપૂજારી છું. અંધભક્ત થવું મને પસંદ નથી. પરંતુ ભાવનાશૂન્ય તર્કસિદ્ધ થવા કરતાં હું માતૃભક્તિમાં અંધ બનવાનું વધારે પસંદ કરીશ. જે શિક્ષણ અને અનુભવો મેં મેળવ્યાં તેને કારણે હું અંધભક્ત ન બની શક્યો. મારામાં હંમેશાં ચિકિત્સકની દૃષ્ટિ રહી છે. જીવનભર શિક્ષકનું કામ કર્યા પછી આજે હું કહું છું કે ચારિત્ર્યનું શિક્ષણ જ મુખ્ય આધાર છે. નિશાળના શિક્ષણનું જીવનમાં બહુ ઓછું મહત્ત્વ છે. 

મને ચારિત્ર્યની જે સ્વાભાવિકતા અને સમૃદ્ધિ બાના જીવનમાં દેખાઈ તે અદ્ભુત હતી. આવી સ્વાભાવિકતા તો બાપુમાં પણ નહોતી. બાપુની સાથે બાળકો વીંટળાયેલાં રહેતા. જ્યારે તેઓ એમને રમાડતા ત્યારે તેમને સભાનતા રહેતી કે હું ક્યાંક મારાં સંબંધીઓના મોહમાં તો ફસાઈ નથી રહ્યો ને! 

એક વાર બાપુ ભોજન કરી રહ્યા હતા. કુમારી મનુ, જે તે વખતે તદ્દન નાની હતી, રમતી રમતી ત્યાં આવી પહોંચી અને બાપુએ પોતાની થાળીમાંથી એક દ્રાક્ષ તેને ખવડાવી. પણ પછીથી તેઓ વિચારવા લાગ્યા કે મેં આ યોગ્ય કર્યું ? મારા પુત્રની દીકરી હોવાને કારણે તો મેં પક્ષપાત નથી કર્યો ને? 

ભાવનગર ખાતે હરિજન બાળકોની વચ્ચે કસ્તૂરબા

પણ બામાં આવી વસ્તુ નહોતી. તેઓ પોતાના વહેવારમાં તદ્દન સ્વાભાવિક સાદાઈથી વર્તતાં હતાં. તેઓ સમજતાં હતાં કે સૌનાં બાળકો પર પ્રેમ કરવો સ્વાભાવિક છે; અને પોતાનાં બાળકો

સામે પોતાની જાતને ભૂલી જવી એ પણ સ્વાભાવિક છે. પણ આ ભેદને માનતા છતાં બીજાંનાં બાળકો પ્રત્યે તેમને પ્રેમ અતૂટ અને અખંડ હતો. જે ભેદ હતો, તે સ્વાભાવિક હતો.

બાપુ તો નિયમોનું પાલન કરાવવામાં કઠોર હતા. તેઓ આશ્રમના નિયમોનુ પાલન નાનાં બાળકો પાસે પણ કરાવતા અને જ્યારે બાળકો તે ન પાળી શકતાં ત્યારે તેઓ તેમને સમજાવતા. બાને આ બધું ગમતું નહિ. તેમનો વાત્સલ્યભાવ એનો વિરોધ કરતો હતો. 

એક દિવસ બા બાળકો માટે કંઈક સારું ખાવાનું બનાવી રહ્યાં હતાં. બાપુએ આ મોહનો વિરોધ કર્યો ત્યારે બા લડ્યાં. કહેવા લાગ્યાં; “બાળકો પર તમારો કાંઈ એકલો અધિકાર નથી.” બાપુને તે દિવસોની યાદ દેવડાવી જ્યારે તેઓ પોતાના સ્વાદની વસ્તુઓ બનાવવા માટે બાને કહ્યા કરતા. અને બોલ્યા, “આ બાળકોનું દિલ પણ એવું જ છે જેવું તમારું હતું.” આવે પ્રસંગે બાપુની હાર જ થતી. બાનું માતૃહૃદય સભર રહેતું. તેની સામે બાપુને પરાસ્ત થવું પડતું. 

એક બાજુથી તો આ હાર હતી, પણ બીજી બાજુ એ પૂજા પણ હતી. બાપુ જાણતા હતા કે માતૃત્વના આ સ્રોતથી કોઈનું પણ નુકસાન થવાનું નથી. બાનો આ વાત્સલ્યભાવ બધાં પર હતો. નહેરુ, એન્ડ્રુઝ, શ્રીનિવાસ શાસ્ત્રી વગેરે પ્રત્યે પણ તેમનો એ જ ભાવ હતો. જ્યારે આ લોકો આશ્રમમાં આવતા અને કોઈ વાતમાં બાપુ તેમની કડક ટીકા કરતા; ત્યારે બા આશ્વાસનમાં કહેતાં, “My husband not good!” આવા ભાંગ્યાતૂટ્યાં અંગ્રેજી શબ્દો દ્વારા પણ તેઓ પોતાની ભાવના ખૂબ પ્રગટ કરતા. એન્ડ્રુઝ તો બા જોડે કલાકો સુધી વાતો કર્યા કરતા. વાતચીતમાં એન્ડ્રુઝ સરળમાં સરળ શબ્દોનો પ્રયોગ કરતા, અને બા પોતાનો પૂરો અંગ્રેજી શબ્દભંડાર ઉપયોગમાં લેતાં. દીનબંધુ અને વિશ્વમાતાના વાર્તાલાપનું આ દૃશ્ય ખૂબ જ પવિત્રતાથી ભરેલું છે.

•••

અભણ છતાં જ્ઞાની

બા સારી રીતે ભણ્યાં નહોતાં . મોટા મોટા અક્ષરોવાળું રામાયણ વાંચતાં. મારી પાસે કેટલી ય વાર ગીતા શરૂ કરાવરાવી હશે. તેમને અર્થ સાથે કામ નહોતું. તેઓ તો ભાવનાનાં ઉપાસક હતાં. પોતાની આંતરિક ભક્તિને કારણે ગીતા અને રામાયણથી તેમને પરમ આનંદ પ્રાપ્ત થતો. બા વર્તમાનપત્રો પણ વાંચતાં. તેમની જિજ્ઞાસા બાપુની ક્રિયાશીલતા સમજવા બાબતે હતી. વર્તમાનપત્રો દ્વારા તેઓ જાણી લેતાં કે બાપુનાં કાર્યોની ક્યાં કેવી અસર થઈ રહી છે. બા માટે એ જાણવું આવશ્યક હતું, કારણ કે બાપુ ક્યારે શું કરી બેસે તેનો થોડો ખ્યાલ તો તો તેમને આવી જાય.

બા – બાપુ

જ્યારે 1922-23માં બાપુ જેલમાં ગયા ત્યારે બા બહાર હતાં. રાજકીય પરિષદોમાં કોઈ કોઈ વાર તેમને પ્રમુખ પદ માટે લઈ જવામાં આવતાં ત્યારે તેઓ તેનો સ્વીકાર કરી લેતાં. તેમનામાં આત્મવિશ્વાસ ઘણો હતો. શરૂઆતનું ભાષણ આપવું તે તેમનું કામ હતું. તેઓ ક્યારેક મને કહેતાં, “તમે ભાષણ લખી આપો.” પણ હું એવું કરતો નહીં. હું કહેતો, “બા, વિચાર તમારા, ભાષા મારી.” તેઓ પછી મનમાં વિચારતાં અને બોલતાં. કઈ વાત કહેવી જરૂરી છે, શેના પર વધારે ભાર દેવા જેવો છે તે બધું વિચારતાં અને ધીરે ધીરે ભાષણ તૈયાર કરાવતાં. 

સત્યાગ્રહના સાચા સિદ્ધાંતોની બાને સ્વાભાવિક રીતે જ ખબર હતી. તે સિદ્ધાંતો જ તેમના ભાષણનો આત્મા બનતા. આ પરિષદો ત્રણ-ચાર દિવસ સુધી ચાલતી. છેવટે ફરી પ્રમુખનું સમાલોચનાત્મક ભાષણ થતું. એમાં હું તેમને કશી મદદ કરી શકતો નહોતો. આ ભાષણમાં ચાર દિવસની કાર્યવાહીને બધો નિચોડ આવી જવો જોઈએ. એમાં બાની સાચી પરીક્ષા થતી. પણ તેમાં તેઓ સફળ થતાં. બધી વાતોને યાદ કરી તેમાંથી તેઓ સાર કાઢી લેતા અને સૌ સમક્ષ તેને પોતાની ભોળી, સરળ ભાષામા મૂકી દેતાં. આવો અનુભવ મને ચાર વાર થયો : આણંદમાં, પુષ્કરમાં, અને બે વાર દહેરાદૂનમાં.

•••

બાના ગુણ

બાના મૃત્યુ પ્રસંગે ચક્રવર્તી રાજગોપાલાચારીએ કહ્યું, “Ba was born to be a queen” (બાનો જન્મ રાણી બનવા માટે થયો હતો.) વસ્તુતઃ તેમનામાં રાણીના જેવું નિર્ભયપણું, આત્મસમ્માનની ભાવના અને બીજાની દેખરેખ તથા આદર સત્કાર કરવાના ગુણ હતા.

તેમનામાં મુખ્ય ગુણ એ હતો કે તેઓ કદી આળસ કરતાં નહિ. મેં ત્રીસ વરસ સુધી તેમને ધ્યાનથી જોયાં, પણ તેમનામાં આળસનુ નામ ન જોયું. કામ વિના બેસી રહેવાનું તેમનાથી થઈ જ શકતુ નહોતું. રસોડામા તેમનું એકછત્રી રાજ્ય રહેતું. જેમણે તેમના હાથ તળે રસોઈનું કામ કર્યું છે તેઓ જાણે છે કે એ કામ કેટલું ભય ભરેલું હતું, સહેજ પણ ભૂલ થતાં સાંભળવું પડતું. અને તેમનું કામ બરાબર તેમની જ રીતે કરવું પડતું હતું. જેમ માલિક નોકર પાસેથી કામ લે છે તેવી જ રીતે તેઓ પોતાની પ્રેમથી પણ પોતાની ઈચ્છા મુજબ જ કામ કરાવતાં. અમારામાંથી કેટલાકને એનો સ્વાદ મળ્યો છે.

કેટલીક વાતમાં બા અને બાપુમાં વિરોધ પડતો. એક વાર બા બોલ્યાં, “કાકાસાહેબ, તમે તો બાપુના પક્ષના છો.” મેં કહ્યું, “બા! બાપુ સામે મારું કશું ચાલતું નથી, પણ હૃદયથી તો હું તમારા પક્ષનો છું.” 

બાપુ કોઈ પણ વ્યક્તિ પાસે તેમની શક્તિ બહારનું કામ લઈ લેતા હતા. તેઓ વ્યક્તિની અશક્તિનું મા૫ તેના જ હાથમાં સોંપી દેતા અને પછી વીણાના તાર એટલા તંગ કરતા જતા કે ચઢાવતાં ચઢાવતાં તે તાર તૂટી જાય. તેઓ કહેતા : “પોતાની મર્યાદા જાતે જ ઓળખી લો. જ્યાં સુધી તમે મને ના નથી પાડતા ત્યાં સુધી હું તો તમને આગળ વધારવાનો જ છું.” બાની રીત જુદી હતી. તેઓ વ્યક્તિની શક્તિ – અશક્તિ ઓળખીને તે પ્રમાણે તેમને કામ દેતાં. આમાં મારી સમજ પ્રમાણે તેમને કામ દેતાં. આમાં મારી સમજ પ્રમાણે તેઓ બાપુ કરતાં વધારે સાચાં હતાં.

કેટલી ય વાતો બાપુ બા પાસેથી શીખ્યા. બાના મૃત્યુ પછી ઐતિહાસિક તેમ જ રાજનૈતિક દ્દૃષ્ટિએ જે મહત્ત્વપૂર્ણ પત્રો બાપુએ વાઈસરૉયને લખ્યા હતા તેમાં તેમણે એ કબૂલ કર્યું છે કે મારું સત્યાગ્રહનું શિક્ષણ મને મારી પત્ની પાસેથી મળ્યું છે. આવાં મહાન બાને અલ્પશિક્ષિત હોવાને કારણે કમ માનવાં તે આપણા હૃદયનું ઓછાપણું છે.

કસ્તૂરબા કેન્દ્રોમાં હું વારંવાર કહું છું કે લગભગ અભણ હોવા છતાં પણ બા કેટલાં ચારિત્ર્યવાન હતાં, એમાંથી પાઠ લો. હિંસાના યુગમાં પુરુષનું નેતૃત્વ અપરિહાર્ય છે, પરંતુ અહિંસાના ક્ષેત્રમાં સ્ત્રી જ નેતૃત્વ કરશે. મેં એવી સ્ત્રીઓ જોઈ છે જેમણે પતિના ક્રોધાગ્નિને પોતાની શાન્તિ દ્વારા શાંત પાડ્યો હોય. જગતનું ખરું નેતૃત્વ એક સુશિક્ષિત સ્ત્રી જ કરી શકશે. એકાંગિતા દૂર કરીને એવું સાચું શિક્ષણ મળવું જોઈએ, જેમાં ઉજ્જ્વળ ચારિત્ર્યનું નિર્માણ થાય.

કસ્તૂરબાએ આપણી સંસ્કૃતિનો સાચો વારસો તેના મૂર્ત રૂપમાં પ્રગટ કર્યો, અને છેવટે તે વારસો આપણને સોંપીને ચાલ્યાં ગયાં. પાંજરાનાં પક્ષીની જેમ આગાખાન મહેલમાં તેઓ ઝૂરતાં રહ્યાં. માત્ર એક જ સંતોષ હતો કે બાપુ સાથે છે. પણ સ્વતંત્ર પક્ષી ચિંતામાં જ મરી ગયું. સારું થયું બા વહેલાં ગયાં, નહિ તો બાપુના પ્રેમને કારણે તેઓ તેમનું બલિદાન ન સહી શકત. બાપુ કહેતા કે, “બામાં અદ્ભુત શક્તિ હતી.” આપણે બાનું પવિત્ર સ્મરણ કરીએ અને તેઓ આપણાં હૃદયમાં વિરાજમાન થઈ આપણું જીવન કૃતાર્થ કરે.

14 – 17 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 254 – 255 – 256 – 257  

Loading

નવી શિક્ષણ નીતિ 2020 પેચીદો વિષય : પરિવર્તનશીલ કે રાજકીય શતરંજની એક ચાલ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 March 2025

શિક્ષણ મેળવવાને મામલે અત્યારે જે અસમાનતાઓ છે તે દૂર કરવી અને રાજ્યોના શિક્ષણ સંસ્થાનોની સ્વાયત્તતા ન જોખમાય તે રીતે જો કામ કરાશે તો લોકશાહી અભિગમનું પાલન થયું તેમ કહી શકાશે

ચિરંતના ભટ્ટ

જુલાઈ 2020માં ભારત સરકારે નેશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020 જાહેર કરી. છેલ્લા ત્રણ દાયકામાં શિક્ષણને મામલે જાહેર કરાયું હોય તેવું આ બહુ મોટું પરિવર્તન છે, જે સર્વાંગી છે. 1986માં છેલ્લે નેશનલ એજ્યુકેશન પૉલિસી જાહેર કરાઈ હતી જેને બદલીને આ નવી નીતિના અમલીકરણની દિશામાં કામ શરૂ કરાયું. સરકારનો દાવો છે કે નવી નીતિ આધુનિક તો છે જ પણ સાથે વધારે ફ્લેક્સિબલ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાતમક છે. 

ધરમૂળથી પરિવર્તનની વાત કરતી આ નીતિમાં સૌથી પહેલાં તો બાર વર્ષના શાળાકીય શિક્ષણને 5+3+3+4 મોડલમાં બદલવાની વાત કરાઇ જેમાં ઉચ્ચ શિક્ષણને મામલે મલ્ટી ડિસ્પિનરી એટલે કે બહુવિધ-શાખાકીય શક્યતાઓ લાગુ કરવા પર ભાર મુકાયો. વળી પ્રાથમિક શિક્ષણ પ્રાદેશિક ભાષાઓને પણ અગ્રિમતા આપવાની વાત આ નીતિનો મોટો હિસ્સો છે. આ નીતિને તબક્કાવાર લાગુ કરાઈ તેને ત્રણ વર્ષ થયાં હોવા છતાં પણ તેની આસપાસ ચર્ચાનું વાદળ યથાવત્ છે. એક વર્ગ છે જેમના મતે આ અનિવાર્ય ફેરફારો છે તો એક વર્ગને લાગે છે કે તેમાં શિક્ષણનું કેન્દ્રીકરણ અને ખાનગીકરણ કરવાનો છુપો એજન્ડા છે. 

છેલ્લા કેટલાક વખતથી ખાસ કરીને દક્ષિણી રાજ્યોએ આ નીતિ સામે પોતાના વાંધા રજૂ કર્યા છે. દક્ષિણી રાજ્યોને મતે આ નીતિ થકી કેન્દ્ર સરકાર ભાષા આધારિત નિયંત્રણ લાદવાની પેરવીમાં છે અને શિક્ષણ તંત્રમાં સંસ્થાનોની સ્વાયત્તતા પર આ સીધો પ્રહાર છે. આ ચર્ચાઓ ઉગ્ર અને તીવ્ર બની રહી છે ત્યારે આપણને પણ સવાલ થાય કે શું ખરેખર નેશનલ પૉલિસી 2020 ખરેખર વિદ્યાર્થીઓનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશથી બની છે કે પછી નીતિને માધ્યમ બનાવીને શિક્ષણને કેન્દ્રના નિયંત્રણનું અને વ્યાપારીકરણનું સાધન બનાવવાનો ઇરાદો છે? 

પહેલી નજરે તો નેશનલ એજ્યુકેશન પૉલિસી ખરેખર જ સુધારાવાદી અને ખાસ્સી મહત્ત્વાકાંક્ષી લાગે તેવી છે જે દેશના અર્થતંત્રને નૉલેજ ડ્રિવન એટલે કે જ્ઞાન સંચાલિત બનાવશે. સરકારના મતે જૂની શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાં માહેર બનાવનારી હતી જ્યારે નવી નીતિ તેમનામાં વિવેચનાત્મક વિચાર અને કૌશલ્ય આધારિક તાલીમ કે શિક્ષણનો ઉમેરો કરશે. જો આમ થશે તો તેઓ ઉદ્યોગ અને વ્યવસાયી ક્ષેત્રની માગ અનુસાર તૈયાર થશે. સરકારનો દાવો છે કે નવી નીતિ શરૂઆતી શિક્ષણની શૈલીમાં ફેરફાર લાવશે, ડિજિટલ લર્નિંગ વધારશે અને કૌશલ્ય આધારિત – વોકેશનલ તાલીમને મહત્ત્વ આપશે જેથી સ્કૂલમાં ભણતર સાથે જ વિદ્યાર્થીઓ બદલાઈ રહેલી દુનિયા સાથે તાલ મેળવવા તૈયાર થશે. 

શૈક્ષણિક તંત્ર અને સંસ્થાઓમાં સરકારનો હસ્તક્ષેપ વધે છે ત્યારે તેનું પરિણામ સારું નથી જ આવતું તેનાથી આપણે અજાણ નથી. ભૂતકાળમાં પણ કોમન યુનિવર્સિટી એક્ટને લઈને થયેલા ઊહાપોહથી આપણે વાકેફ છીએ. નવી નીતિમાં સૂચન છે કે એક જ ઉચ્ચ શિક્ષણ નિયમનકાર – એટલે કે સિંગલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટર અને ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ – હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઇન્ડિયા – એમ બે માળખા હોવા જોઇએ. જો આ બન્ને માળખા ખડા થાય તો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન – યુ.જી.સી. અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન – AICTEનું કોઈ મહત્ત્વ જ ન રહે. દેખીતી રીતે આ ફેરફાર વહીવટને સરખો કરવા માટે દેખાય છે, પણ નવી નીતિને સવાલ કરનારાઓનું માનવું છે કે આ ફેરફારને કારણે યુનિવર્સિટીઝ પર કેન્દ્ર સરકારની પકડ વધુ મજબૂત થશે અને જે તે રાજ્યનો પોતાની શિક્ષણ નીતિ ઘડવામા જે ફાળો હશે તે મર્યાદિત થઇ જશે. 

તામીલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોના શૈક્ષણિક મોડલ સારી પેઠે વિકસેલા છે. બધાને એક જ લાકડીએ હાંકવાનું કેન્દ્ર સરકારનું વલણ આ રાજ્યોને મંજૂર નથી, તેમનું માનવું છે કે પ્રાદેશિક જરૂરિયાતોને જે ગણતરીમાં જ ન લેતું હોય તેવું એક સરખું માળખું કંઇ કામનું નથી. કેન્દ્રની નીતિ સર્વાંગી નથી અને આ નીતિ રાજ્યો પાસેથી પોતાની સંસ્થાઓનું સંચાલન કરવાની સ્વતંત્રતાનો છેદ ઊડાડી દેશે. 

વળી સૌથી વધારે રાજકીય ભડકો થયો છે ત્રણ ભાષાના ફોર્મ્યુલાને લીધે. નવી નીતિ અનુસાર વિદ્યાર્થીએ ત્રણ ભાષા શીખવી જોઈએ જેમાંથી બે ભારતીય ભાષાઓ હોવી જોઇએ. આમાં કઈ બે ભારતીય ભાષા શીખવી તેનો નિર્ણય લેવાની છૂટ છે. તામીલનાડુ જેવા રાજ્યોએ આ પહેલાં પણ આ ત્રિભાષી ફોર્મ્યુલાનો વિરોધ નોંધાવ્યો છે. 1937માં જ્યારે મદ્રાસ સરકાર હતી અને તેના વડા સી. રાજગોપાલાચારીએ શાળાઓમાં હિંદી ફરજિયાત કરી હતી ત્યારે પણ જસ્ટિસ પાર્ટી અને પેરિયાર જેવા દ્વવિડ નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. 1940માં આ નીતિ પાછી ખેંચી લીધી હોવા છતાં હિન્દી વિરોધી ભાવના યથાવત્ રહી. 1968માં જ્યારે ત્રિભાષી ફોર્મ્યુલાની પહેલીવાર રજૂઆત થઇ ત્યારે તામિલનાડુએ હિંદીને આગળ કરવાના પ્રયાસ તરીકે તેનો વિરોધ કર્યો અને પોતે દ્વિભાષી ફોર્મ્યુલા જ લાગુ કર્યો. આ ફોર્મ્યુલા મુજબ અહીં સ્કૂલોમાં માત્ર તામિલ અને અંગ્રેજી ભાષા શીખવવામાં આવી. તામીલનાડુ એક માત્ર એવું રાજ્ય છે જેણે ક્યારે ય ત્રિભાષી ફોર્મ્યુલા લાગુ ન કર્યો અને હિંદી કે અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની પસંદગી ન કરી. નેશનલ એજ્યુકેશન પૉલિસી 2020 લાગુ કરવાને મામલે તામીલનાડુને ત્રણ ભાષા શીખવવા વાળા નિયમ સામે વાંધો છે. આ વિરોધને પરિણામે સમગ્ર શિક્ષા અભિયાનના રૂ. 573 કરોડની મદદ કેન્દ્ર સરકારે અટકાવી રાખી છે. ભંડોળ જોઇએ તો રાજ્યએ ફરજિયાત નેશલન એજ્યુકેશન પૉલિસી 2020 લાગુ કરવાની રહેશે.

દક્ષિણી રાજ્યોનું રાજકારણ પણ પ્રાદેશિક પક્ષોના જોર પર જ ચાલે છે. તેમને કેન્દ્ર સાથે રહેવાનો કોઇ ટળવળાટ નથી. તામીલાનાડુનો આ વિરોધ ભાષા અંગેનો નથી પણ સંઘવાદ ને પોતાની ઓળખ પર સરકારી પકડ અંગેનો પણ છે, તેમ તેમનું કહેવું છે. ઉચ્ચ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારી વગેરે મેળવવા માટે અંગ્રેજીનું મહત્ત્વ ટાળી શકાય તેમ નથી. બિન-હિન્દી રાજ્યોમાં રહેતા વાલીઓ પણ પોતાના સંતાનોને પ્રાદેશિક નહીં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવાનું પસંદ કરે છે. 

ભા.જ.પ.ની કેન્દ્ર સરકારે આમ તો એમ કહ્યું છે કે પોતે હિંદી ભાષાને ફરજિયાત નથી કરતા પણ માત્ર બહુ ભાષીવાદને પ્રોત્સાહન આપે છે. છતાં પણ પક્ષે અત્યાર સુધી જે રીતે સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય એકીકરણના વાદને આગળ ધર્યો છે તે જોતાં રાજ્યોને આ વાત ગળે નથી ઉતરી રહી. તેમને લાગે છે કે આ નીતિ પાછળ રાષ્ટ્રીય ઓળખ એકરૂપ બનાવવાનો કેન્દ્રનો એજન્ડા છે.

વળી નેશનલ એજ્યુકેશન પૉલિસી 2020 ભલે સાર્વત્રિક પહોંચની વાત કરે પણ અમુક ફેરફારો શિક્ષણના કોર્પોરેટાઇઝેશન તરફનાં કદમ લાગે છે. કૉલેજનાં અફિલિએશન એટલે કે અમુક યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજની પ્રથાને દૂર કરવાની પહેલ એ ડિગ્રી આપનારી સ્વાયત્ત યુનિવર્સિટીઝીની વાત કરે છે. દેખીતી રીતે આ સારો ફેરફાર લાગે પણ તેનાથી ખાનગીકરણ અને ખાનગી યુનિવર્સિટીઝનું વ્યાપારીકરણ થવાની શક્યતાઓ પણ વધે છે. ખાનગી યુનિવર્સિટીઝની ફી તોતિંગ હોય છે અને તેમાં ભણવું અમુક જ વર્ગના વિદ્યાર્થીઓને પોસાય છે. નવી નીતિમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી માટે એક્ઝિટના અનેક વિકલ્પો છે એટલે કે એક વર્ષ પછી સર્ટિફિકેટ, બે વર્ષ ભણ્યા હોય તો ડિપ્લોમા અને ત્રણ કે ચાર વર્ષ પછી ડિગ્રી આપવાની વાત છે. વિદ્યાર્થીઓ માટે સુગમ લાગતો આ બદલાવ શિક્ષીત ફાલની નસલ નબળી પાડી શકે છે. વળી વંચિત વર્ગના વિદ્યાર્થીઓ ભંડોળ ન હોય તો અડધેથી ભણવાનું છોડી દઇ શકે છે કારણ કે તેમને ડિગ્રી નહીં તો કંઇકને કંઇક તો મળી જ જશે. જો સારામાં સારી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ અહીં કેમ્પસ ખોલશે તો ઉચ્ચ શિક્ષણમાં સારા વિકલ્પો વધશે પણ તવંગર ખાનગી શિક્ષણ સંસ્થાનોની પકડ મજબૂત થશે. જાહેર યુનિવર્સિટીઝની ઉપેક્ષા થશે. 

કેન્દ્ર સરકારે શિક્ષણને સવલત આપવી જોઇએ, હુકમનું પાલન કરવાની ફરજ ન પાડવી જોઇએ. શિક્ષણ મેળવવાને મામલે અત્યારે જે અસમાનતાઓ છે તે દૂર કરવી અને રાજ્યોના શિક્ષણ સંસ્થાનોની સ્વાયત્તતા ન જોખમાય તે રીતે જો કામ કરાશે તો લોકશાહી અભિગમનું પાલન થયું તેમ કહી શકાશે. પ્રાદેશિક પક્ષોનું જ્યાં શાસન છે તે રાજ્યોને ભા.જ.પ.ની નવી નીતિ પર ભરોસો નથી અને તેમને ડર છે કે શિક્ષણ માર્ગે અન્ય પાસાઓ પર પણ આ રીતે ભા.જ.પા. પોતાનું નિયંત્રણ જમાવશે.

બાય ધી વેઃ 

ભારતમાં કોઈપણ નીતિ રાજકીય ઉદ્દેશ વિનાની હોય એવું શક્ય નથી, વળી તે કોઈ પણ પક્ષની સરકાર હોય. ભા.જ.પા. સરકારે પ્રગતિશીલ પગલાં તરીકે આગળ કરેલી શિક્ષણ નીતિમાં વિપક્ષો અને અન્ય પક્ષ શાસિત રાજ્યોને કાબૂની પકડ વધારવાની અને ચોક્કસ વૈચારિક દૃષ્ટિકોણને આગળ કરવાની બૂ આવે છે. સંઘવાદ, કેન્દ્રીકરણ, ખાનગીકરણ અને સ્વાયત્તતા પર જોખમ લાગતી આ નીતિ સામે વિરોધો ચાલુ છે. નીતિને સફળ બનાવવી હોય તો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સાથે રાખીને કામ કરવું પડશે, નહીંતર વિરોધના વંટોળમાં ઉદ્દેશ જ ઊડી જશે અને ભોગવવાનું વિદ્યાર્થીઓને આવશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 માર્ચ 2025

Loading

આપણે કયો માર્ગ પસંદ કરશું?

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|16 March 2025

આશા બૂચ

સમસ્ત વિશ્વમાં હિંસા દ્વારા અશાંતિ, અનિશ્ચિતતા અને સંહાર ફેલાવતા બનાવો વધતા જાય છે ત્યારે ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ મંત્રમાં માનનારા સત્તાધારી નેતાઓ એક તરફ આક્રમણનો ભોગ બનેલા દેશોને વિનાશની ગર્તામાંથી બચાવવા વધુ ને વધુ શસ્ત્રો અને આધુનિક સંચાર માધ્યમોની કુમક મોકલવા કટિબદ્ધ થયા છે, તો બીજી તરફ ‘અહિંસા પરમોધર્મ’ મંત્રમાં શ્રદ્ધા ધરાવનારાઓ તેનો વિકલ્પ શોધવા સબળ પ્રયાસ કરવા દૃઢ સંકલ્પ થયા છે. જોઈએ, માનવ જાત આખર કયો માર્ગ અપનાવશે.

હિંસા આચરવી એ કંઈ માનવ જાતનો જન્મજાત સ્વભાવ નથી, છતાં વિવિધ કારણોસર લડાઈ છેડવી એ પણ તેની આદત રહી છે. તેમાં 20મી સદી સહુથી વધુ લોહિયાળ સાબિત થઇ, એમ કેટલીક હકીકત દર્શાવે છે. બે વિશ્વયુદ્ધો, હિટલરની ગેસ ચેમ્બર્સ, ભારતના ભાગલા, કોરિયાનું યુદ્ધ, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ, ઈરાન-ઇરાકની લડાઈ, અમેરિકા-વિયટનામની લડાઈ, રશિયા-અફઘાનિસ્તાનની લડાઈ અને એશિયા તથા આફ્રિકામાં ખેલાયેલા આંતરિક યુદ્ધોમાં અગણિત લોકોએ જાન ગુમાવ્યા. અધૂરામાં પૂરું યુરોપના મોટા ભાગના દેશો અને તેનાં સંસ્થાનો જાતિભેદના વિષમય વાતાવરણમાં ડૂબેલા હતા. વળી ફાસિસ્ટ અને માર્ક્સસીસ્ટ વિચારધારાએ જર્મની, ઇટલી, રશિયા અને ચીન જેવા દેશોને પકડમાં લઇ લીધા. માર્ક્સનું વિધાન હતું, “નવજીવન રૂપી બચ્ચા સાથે સગર્ભા હોય તેવા પુરાણા સમાજ માટે હિંસા તેની દાઈનું કામ કરે છે.” જ્યારે આવી વિચારધારાનો પ્રસાર થયો હોય ત્યારે શાંતિમય સહઅસ્તિત્વની સંભાવના લુપ્ત થાય તેમાં શી નવાઈ?

વીસમી સદીના મધ્યકાળમાં બબ્બે વિશ્વયુદ્ધોમાં બરબાદ થયા બાદ કંઈક શાંતિનો પગરવ સંભળાયો, ત્યાંતો 21મી સદીમાં ફરી એ જ હિંસાની જ્વાળા ભડકવા લાગી છે. ‘મહાસત્તાઓ’ અને તેની સામે એક થવા મથતા યુરોપના બીજા દેશો આ સમસ્યાનો ઉકેલ ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ના એ જ પુરાણા મંત્રને અનુસરીને કેસરિયા કરવા નીકળી પડ્યા છે એ જોઈને વિચાર આવે કે ખરેખર આ હિંસક માર્ગનો કોઈ વિકલ્પ નથી?

પાસ્કલ અલાન નાઝરથ

તાજેતરમાં નિવૃત્ત રાજદૂત, બહુ સુશ્રુત અને વિચારક પાસ્કલ આલન નાઝરથનો Gandhi’s Vital Pertinence to India and the Contemporary World લેખ વાંચવામાં આવ્યો અને વિક્ષુબ્ધ હૃદયને શાતા વળી.

આ લેખની શરૂઆતમાં જ એમણે સવાલ કર્યો છે, “ગાંધીનો જન્મ 19મી સદીમાં થયો, મોટા ભાગનું તેમનું કાર્ય 20મી સદીમાં થયું, તો મારો સવાલ એ છે કે આજે 21મી સદીમાં એમના વિચારોની વ્યાપક ઉપયુક્તતા શા માટે અનુભવાય છે?” એનો ઉત્તર પી.એ. નાઝરથે જ આ શબ્દોમાં આપ્યો, “હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ નાખવામાં આવ્યા કે તરત આલ્બર્ટ આઈન્સ્ટાઈને વ્યથિત હૃદયે કહેલું, ‘અણુશક્તિનો ઉપયોગ કરવાની સાથે જ તમામ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે; સિવાય કે આપણી વિચારવાની પદ્ધતિ; આથી જ આપણને કલ્પનામાં પણ ન આવે એવા વિનાશ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. જો માનવ જાતને જીવિત રહેવું હશે તો નવી વિચાર પદ્ધતિ અપનાવવી પડશે.’ ગાંધીએ આ ‘નૂતન વિચાસરણી’ના શ્રી ગણેશ માંડ્યા અને તેથી જ આ લોહિયાળ સદીમાં એમની ભારત તેમ જ સમગ્ર વિશ્વમાં પ્રસ્તુતતા અખંડિત રહી છે.”

આજે તમામ દેશના વડાઓને અને કદાચ પ્રજાજનોને પણ યુક્રેઇનને રશિયાના અને પેલેસ્ટાઇનને ઈઝરાયેલના આક્રમણથી બચવા માત્ર સામ પક્ષને દુ:શ્મન માનીને વધુ વિનાશક શસ્ત્રો દ્વારા પરાસ્ત કરવાનો જ માર્ગ દેખાય છે કેમ કે ગાંધીએ ચિંધેલ કદી નાશ ન પામે તેવી અહિંસાની શક્તિના સિદ્ધાંતમાં તેમને શ્રદ્ધા નથી અથવા તો તેનો અમલ કરવા જેટલી હિંમત આપણા કોઈમાં નથી. ખરું જોતાં જુલમી શાસક સામે પોતાના સમગ્ર આત્મબળના સહારે ન્યાયી લડત આપીએ તો ગમે તેવા સશક્ત સામ્રાજ્યને પણ શિકસ્ત આપી શકાય, એમ ગાંધીજી માનતા હતા અને એનો પુરાવો તેમણે 1893થી 1915 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં અને ત્યાર બાદ 1917થી 1947 દરમિયાન ભારતમાં અનેક સત્યાગ્રહો કર્યા તેમાંથી મળે જ છે. તે ઉપરાંત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન માંડેલાએ પણ એ શસ્ત્રની ઉપયોગિતા સાબિત કરી બતાવી. અસહકાર અને સત્યાગ્રહ એવાં સાધનો છે, જે સરકારી દમન સામે ન્યાય મેળવી શકે, સામ્રાજ્યની ઝડ ઉખેડી નાખે, રૂઢિચુસ્ત ભેદભાવ યુક્ત સમાજને સમથળ બનાવી શકે અને માર્યાદિત અધિકારો ધરાવતા ગુલામ દેશને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર પણ બનાવી શકે. ભારત અહિંસક માર્ગે આઝાદ થયું. વિદેશી ધૂંસરી ફગાવી દેવાની સાથે સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ઉત્થાન થવાને પરિણામે જ ત્યાં એક મહિલા વડા પ્રધાન પદ પર આવ્યાં, આઝાદીને 19માં અને 50માં વર્ષે ‘અછૂત’ ગણાતા વર્ગની વ્યક્તિઓ પોતાની ગુણવત્તાને આધારે રાષ્ટ્રપતિ બન્યા, એટલું જ નહીં, એ દેશે બે મુસ્લિમ રાષ્ટ્રપતિ, બે મહિલા રાષ્ટ્રપતિ અને એક શીખ વડા પ્રધાન પણ આપ્યા. જ્યારે પણ કોઈ સંઘર્ષનો નિવેડો શાંતિમય માર્ગે આવે ત્યારે તેના પરિણામો લાંબા સમયના શાંતિપૂર્ણ શાસન અને સમગ્ર પ્રજાની ઉન્નતિ લાવે તેની આ સાબિતી.

ભારતની આઝાદીને પગલે ઈ.સ. 2000 સુધીમાં એશિયા અને આફ્રિકાના સોએક જેટલા સંસ્થાનો વિદેશી શાસનથી મુક્ત થયા, પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદી આપખુદશાહીનો અંત આવ્યો અને અમેરિકા તથા દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ નાબૂદ થઇ, એટલું જ નહીં, એ બંને દેશોમાં અશ્વેત ઉમેદવારો રાષ્ટ્રપતિ પદે પણ ચૂંટાયા. શ્રી લંકા અને ચીલી જેવા દેશોમાં પણ મહિલાઓએ રાષ્ટ્રપતિ પદ શોભાવ્યા. બોલિવિયામાં તો એક આદિવાસી કોમની વ્યક્તિ સર્વોચ્ચ સાથે પહોંચી. જર્મનીની દીવાલ તૂટી, રશિયાના સામ્રાજ્યનો અંત આવ્યો અને મોટા ભાગના દેશોમાં લોકશાહીનાં પગરણ થયાં. આ તમામ પરિવર્તનો નિ:શસ્ત્ર ચળવળ મારફતે આવ્યા એ શું પુરવાર કરે છે? આટલી સાબિતીઓને અંતે પણ પ્રેમ અને શાંતિનો કે નફરત અને હિંસાનો એ બેમાંથી કયો માર્ગ લેવો એ નક્કી નહીં કરીએ?

આજે દુનિયાના ઘણા દેશોમાં રાષ્ટ્રવાદને નામે જમણેરી વિચારધારા પ્રસાર પામતી જોવા મળે છે, જેને કારણે શરણાર્થીઓ અને લઘુમતી કોમ માટે નફરતની લાગણી જ્વાળામુખીની માફક વિનાશકારી પરિણામો લાવવા માંડી છે. ભારતની વાત કરીએ તો આપણા રાજ્ય બંધારણ મુજબ સરકાર સમાન માનવ અધિકારો અને ધર્મનિરપેક્ષતાની સુરક્ષા કરવા વચનબદ્ધ હતી અને રહેવી જોઈએ. તેને બદલે સત્તાના મદમાં અંધ બનેલી સરકાર લઘુમતી કોમને નામશેષ કરીને ભારતને માત્ર હિન્દુ રાષ્ટ્ર બનાવી કાઢવા તત્પર બની છે. શું આ ગાંધી અને તેમના સાથી સ્વાતંત્ર્ય વીરોનાં સ્વપ્નનું સ્વતંત્ર ભારત છે?

છેલ્લા બે દાયકાના વિશ્વ પ્રવાહોનો અભ્યાસ કરતાં જણાશે કે હવે યુદ્ધો બે દેશના સૈન્યો વચ્ચે નથી ખેલાતાં. ધર્મને નામે આતંકવાદીઓના જૂથ અન્ય ધર્મીઓ અને પોતાનાથી અલગ માન્યતા ધરાવતા દેશો પર આતંકી હુમલા કરીને વિનાશ વેરે છે. બીજા શબ્દોમાં આધુનિક ટેકનોલોજી સુલભ બનતાં યુદ્ધનું ખાનગીકરણ થઈ ગયું. આથી જ તો 11 સપ્ટેમ્બર 2001ના અમેરિકાના ટ્વીન ટાવર પરના હુમલાથી શરૂ કરીને પાંચેય ખંડમાં અનેક આતંકી હુમલાઓ થયા, જે 7મી ઓક્ટોબરના ઇઝરાયેલના કિબુત્ઝ સુધી આવીને અટક્યા છે. હવે આનો અંત આવશે ક્યારે?

આંતરિક સંઘર્ષો પાછળ બે સંપ્રદાયો વચ્ચે સત્તાની સાઠમારી, બીજા દેશ પરના આક્રમણ માટે સામ્રાજ્ય વિસ્તારની લાલસા અને અન્ય દેશોના વિખવાદ વચ્ચે લશ્કરી સહાય આપવા પાછળ પશ્ચિમી દેશોના લોકશાહીનો પ્રસાર કરવાની મહત્ત્વાકાંક્ષા જેવા પરિબળો કારણભૂત સાબિત થયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે 1980થી 1995ના ગાળામાં અમેરિકાએ ભૂમધ્ય પ્રદેશના 17 દેશોમાં સશસ્ત્ર સંઘર્ષમાં સાથ આપ્યો હતો અને ‘95 બાદ બીજા સાત દેશોમાં  અન્ય મિત્ર રાજ્યોના સહકારથી યુદ્ધ દ્વારા વિનાશ વહોરવામાં સહાય કરી. એ બધા દેશો મુખ્યત્વે ઈસ્લામિક દેશો છે, એ શું સૂચવે છે? જો યુદ્ધો અને આતંકી હુમલાઓ કાયમ માટે અટકાવવા હોય તો આગળ ઉલ્લેખ કર્યો છે એ ત્રણેય પ્રેરક પરિબળોને નાથવા અનિવાર્ય છે. યુ.એન. જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસ કરતા આવ્યા છે. કેટલે અંશે સફળ થયા ગણાય?

હાલમાં બે યુદ્ધો તાત્કાલિક ઉકેલ માંગે તેવા છે; યુક્રેન પર રશિયાની ચડાઈ અને ઇઝરાયેલની પેલેસ્ટાઇનને ખતમ કરવાની ચાલ. 1938માં પેલેસ્ટાઇનની ભૂમિ પર જુઇશ પ્રજાને ઇઝરાયેલની રચના કરીને માદરે વતન બનાવવાની યોજના સમયે ગાંધીજીએ કહેલું, “જુઇશ પ્રજા પ્રત્યેની મારી સહાનુભૂતિ મને ન્યાય પ્રત્યે અંધ નથી બનાવતી. જુઇશ લોકોને આરબ લોકો પર લાદવા એ તદ્દન ખોટું છે, અમાનવીય છે. તેનો ઉમદા માર્ગ તો એ છે કે તેઓ જ્યાં જન્મ્યા અને ઉછર્યા હોય ત્યાં તેમના પ્રત્યે ન્યાયી વ્યવહાર થાય તેનો આગ્રહ સેવવો. દરેક દેશ તેમનું વતન છે, પેલેસ્ટાઇન સુધ્ધાં; પરંતુ એ બળજબરીથી પચાવી પડેલું નહીં, પ્રેમથી મેળવેલું હોવું જોઈએ.”  ગાંધીજીની આ સલાહ ઇઝરાયેલની રચના કરનારા દેશોએ ન ગણકારી. પરિણામ? પેલેસ્ટાઇનના ભાગલા થયા, 7,00,000 જેટલા પેલેસ્ટીનિયન્સને તડીપાર કર્યા અને ત્યાં મુખ્યત્વે પૂર્વ યુરોપ તથા રશિયાથી આવેલા જુઇશ લોકોની વસાહત ઊભી કરી. 1947માં થયેલા ભારતના વિભાજન સાથે આ ઘટના સરખાવી શકાય. બે દેશો વચ્ચે કાયમી દુ:શ્મનાવટ કેવી રીતે ઊભી કરી શકાય એ પૂરી દુનિયાએ જાણ્યું.

ઇઝરાયેલનાં કેટલાંક પગલાંઓને પડકાર આપનાર ત્યાંના જ એક ઇતિહાસવિદ ટોમ સેગેવનો મત નોંધનીય છે. મૂળ વતન વિહોણી પ્રજા માટે પેલેસ્ટાઇન એક પ્રજા વિનાનો દેશ છે એવી માન્યતા જે પેલેસ્ટાઈનને યહૂદીઓનો મુલક બનાવવાની યોજનાના સમર્થકોની છે એ બિનપાયાદાર છે તેમ તેઓ માને છે. તો પછી બ્રિટિશ જનરલ વોલ્ટર કોન્ગ્રેવે કહેલું તેમ ઇંગ્લેન્ડ ઈટલીની માલિકી છે એમ જાહેર કરી શકાય કેમ કે એક સમયે રોમન પ્રજાએ તેના પર રાજ્ય કરેલું, તો શું એ યોગ્ય ગણાશે? 1993માં શાંતિ કરાર થયા. ઇઝરાયેલે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઈઝેશનને પેલેસ્ટાઇનનું પ્રતિનિધિત્વ કરનાર સંગઠન તરીકે માન્યતા આપી, તો સામે પક્ષે પેલેસ્ટાઇને ઇઝરાયેલનું એક રાજ્ય તરીકેનું અસ્તિત્વ સ્વીકાર્યું અને બંને દેશોએ હિંસક હુમલા અને આંતકવાદને પૂર્ણવિરામ આપવા સહમતી સાધી. બંને દેશની પ્રજાએ હિંસા મુક્ત ભાવિની કલ્પના કરતાં માંડ શ્વાસ હેઠો મૂક્યો ત્યાં એક પાગલ યુવકે ‘ઈશ્વર દત્ત ભૂમિ આપી દેવા’ બદલ ઇઝરાયેલના વડા પ્રધાન યીટઝાક રબીનની 1995માં હત્યા કરી. એક ખુન્નસથી પ્રેરાયેલા યુવકના અવિચારી પગલાથી માત્ર પેલેસ્ટાઇન, ઇઝરાયેલ અને એશિયા માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ભયાનક કરુણ પરિસ્થિતિ સર્જાઈ. ખૂબી એ વાતની છે કે આટલા બધા સંહારના અનહદ દુઃખદ પરિણામો ભોગવવા છતાં મુસ્લિમ દેશો પેલેસ્ટાઇનના આતંકવાદી જૂથોને અને અમેરિકા સહિત લોકશાહી ધરાવતા દેશો ઈઝરાયેલને શસ્ત્રો પૂરા પાડીને યુદ્ધની સ્થિતિને જ કાયમ કરી રહ્યા છે. ‘સુરક્ષાની વાડ’ બાંધવા 700 કિલોમીટર લાંબી અને બર્લિનની દીવાલ કરતાં બમણી ઊંચાઈ વાળી 15 ફૂટ ઊંચી દીવાલ બાંધીને ઇઝરાયેલે વેસ્ટ બેન્કની ત્રણ મિલિયન પ્રજાને 16 મુલ્કના પ્રતિબંધિત વિસ્તારમાં પૂરી દીધા. તેમાં અને દક્ષિણ આફ્રિકાના રંગભેદી રાજ્યના ‘બાન્ટુનીસ્તાન’માં શો ફર્ક? રાવણને દસ માથાં હોવાનું મનાય છે, તો હામાસને પાંચ હશે જ. આતંકવાદીઓને નિર્મૂળ કરવાના ઉમદા હેતુથી ઇઝરાયેલે માંડેલ યજ્ઞ ગાઝા, લેબેનોન, ઇરાક અને યમનમાં હામાસના માસિયાઈ જૂથો સામે લડાઈ કરવા છતાં પૂરો નથી થયો. કારણ? હિંસા પ્રતિ હિંસા કરવાથી સમસ્યા હલ ન થાય એ સોનેરી નિયમનું પાલન નથી થતું.

તાજેતરમાં દુનિયા ભરના કરોડો લોકો અને યુ.એન.ના 153 દેશોના પ્રતિનિધિઓએ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામ કરવા ઠરાવ કર્યો, પણ યુ.એસ.એ. તેના વિરુદ્ધ વીટો વાપર્યો. અહીં એ નોંધવું જરૂરી છે કે 1945થી 2023 સુધીમાં યુ.એન.ના સલામતીના ઠરાવોમાંથી અમેરિકાએ 89 ઠરાવો સામે પોતાનો વીટો વાપર્યો છે, જેમાં મોટા ભાગના ઇઝરાયેલના પેલેસ્ટાઇન સામેના આક્રમણ અંગે હતા. અને છતાં યુક્રેઇન અને હવે તો પોલેન્ડ પણ અમેરિકાની શસ્ત્ર સહાય માટે પોતાના દેશની પ્રજાનું આત્મ સમ્માન હોડમાં મુકવા તૈયાર છે.

પાસ્કલ અલાન નાઝરથ

માનવતામાં વિશ્વાસ ધરાવનારા આપણે સહુ જાણીએ છીએ કે આખર આ યુદ્ધોનો અંત આવશે જ, શાંતિ સ્થપાશે જ. સવાલ એ છે કે યુક્રેઇન-રશિયા અને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે સંબંધો કેવા રહેશે? પરસ્પર વૈમનસ્ય કાયમ રહેશે કે દક્ષિણ આફ્રિકાની માફક ‘રેઈનબો નેશન’ રચાશે? સ્પેનમાં આશરે 800 વર્ષ સુધી અને ઓટોમન સામ્રાજ્યમાં 1500-1920 સુધી મુસ્લિમ અને જુઇશ પ્રજા હળીમળીને રહેતી અને સુમેળથી કામ કરતી, એટલે પેલેસ્ટાઇન અને ઇઝરાયેલને પોતે અમનથી જીવવા અને બીજાને પણ શાંતિથી જીવવા દેવાની તક આપવાની શક્યતાઓ વધુ છે. પણ એ માટે ધીરજ ધરવાનું કહેવું આપણા માટે સહેલું છે, લડાઈની સંહારક શક્તિનો ભોગ બનેલાઓ માટે એ કઠિન છે. એવે સમયે પાસ્કલ નાઝરથે ટાંકેલા ગાંધીજીના વચનને દોહરાવું : “જ્યારે નિરાશા ઘેરી વળે ત્યારે મને એ હકીકત યાદ આવે કે ઇતિહાસ દર્શાવે છે કે પ્રેમ અને સત્યના માર્ગનો હંમેશાં વિજય થાય છે. જુલ્મી અને ખૂની ઘણા થઇ ગયા, અને થોડા સમય માટે તેઓ અજેય લાગે, પરંતુ અંતે તો હંમેશ તેમનું પતન થતું જ હોય છે.”

ધર્મ અને વેપારને નામે આવી રહેલા રાજ્યવિસ્તારના ઘોડાપૂરને ખાળવા અને તેને પગલે આચરવામાં આવતી હિંસાને રોકવા આપણે સાચો માર્ગ લેવો રહેશે. વધુ એક ક્રાંતિનો સમય પાકી ગયો લાગે છે. હિંસક માર્ગની વિફળતા પુરવાર કરવા વધુ લોહી રેડવાની જરૂર નથી. ગાંધી ચિંધ્યા અહિંસક માર્ગને અપનાવીએ તો આવતી પેઢી આપણો ઉપકાર માનશે.

પ્રોફેસર યોહાન ગૅલ્ટન્ગ ગાંધીને યોગ્ય અંજલિ આપતાં લખ્યું, “ગાંધી ખરેખર એક ક્રાંતિકારી હતા, પશ્ચિમના ક્રાંતિકારીઓ, કે જેમણે બુર્ઝવા, સમાજવાદી અને નારીવાદી ક્રાંતિ આણી તેમના કરતાં પણ મોટા ક્રાંતિવીર હતા. ગાંધીએ ખુદ ક્રાંતિમાં જ ક્રાંતિ લાવી દીધી.”

e.maill : 71abuch@gmail.com

Loading

...102030...431432433434...440450460...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved