દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ગાંધીજી જેલ ભોગવીને પાછા ફિનિક્સ આશ્રમમાં આવ્યા અને તરત એમણે સાથીઓ આગળ પોતાનું મનોમંથન રજૂ કર્યું :
હજારો ભોળા નિરક્ષર લોકો મારા કહેવાથી મારી ઉપર શ્રદ્ધા રાખી લડાઈના દાવાનળમાં કૂદી પડ્યા અને દેખ્યું ન જાય એવું દુ:ખ એમણે વેઠયું છે. એમનાથી વેગળો હું કેમ રહું ? મારે એમનામાંના એક બનીને રહેવું જોઈએ. મારે કામ પ્રસંગે ગોરાઓને મળવું પડે કે રાજધાનીમાં જવું પડે તો પણ આ સત્યાગ્રહની લડત ચાલે છે ત્યાં સુધી કોટ-પાટલૂન ને નેકટાઈ હું નહિ પહેરું. નાનકડા સમાજમાંના એક બનીને જીવવામાં મને રસ નથી આવતો. મારે તો આ હજારો ગિરમીટિયાઓમાંના એક બનીને જીવવું છે. લડતને કારણે વિધવા બનેલી બહેનનાં આંસુ લુછવા માટે મારે આટલું તો કરવું જ જોઈ એ. આવતી કાલથી એક લુંગી અને સાદું પહેરણ એ મારો પોશાક રહેશે. ખપની વસ્તુઓ રાખવા એક બગલથેલો રાખીશ.
દલીલ થઈ : લુંગી કરતાં ધોતિયું સારું નહિ ! હરવું ફરવું વિશેષ ફાવશે. આપણો મૂળ પહેરવેશ પણ એ જ છે ને ?
ગાંધીજી : ખરું, પણ અત્યારે પ્રશ્ન ગિરમિટિયાઓનો છે. એમનો મોટો ભાગ મદ્રાસીઓનો છે. માટે લુંગી જ પહેરું. મારી લુંગી ચીંથરેહાલ નહિ હોય એટલો ફરક રહેવાનો. તેઓ માથે કંઈક ને કંઈક બાંધે છે. પણ આપણે તો માથે પહેરવાનું છોડ્યું છે, એટલે હવે નવું ફરી શરૂ કરવું નથી. શહીદોનો શોક પાળવા મૂછનું મુંડન કરવું જરૂરી છે. અને પગમાં સેન્ડલ પણ રાખવાં નથી. અસંખ્ય ગિરમીટિયાઓને પગમાં ક્યાં કંઈ હોય છે ?
ચંપલ છોડવાની વાતથી સૌ ચોંક્યા. એક જણે વિનંતી કરી : આપના પગ કસાયેલા નથી. ચાલવાનું આખો દિવસ રહેશે.
બાપુ દૃઢ નિરધારથી બોલ્યા : સાચું છે. મારા પગનાં તળિયાં વધુ આળાં છે. પણ લોકોને દુઃખમાં હોમું ત્યારે મારેયે કંઈક તો ખમવું જોઈએ ના ? ઘણું થશે તો થોડું ધીમું ચલાશે એ જ ના ?
બાપુએ લાકડીનો સાથ પણ એ દિવસોથી સ્વીકાર્યો.
[‘ગાંધીકથા’]
નોંધ : 1915માં આજના દિવસે પૂ. બાપુ દક્ષિણ આફ્રિકાની લડતમાં વિજયી બનીને પાછા ભારત પધાર્યા હતા. એ પુણ્યસ્મૃતિમાં આજનો દિવસ બિનનિવાસી ભારતીય દિન તરીકે ઉજવાય છે.
09 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 206
![]()




મહાદેવકાકાને કંઈક આવા આવા વિચારોમાં ઊંઘ આવતી નહોતી. રાત્રે ત્રણ વાગ્યે બંને મિત્રોએ કશોક ખખડાટ થતો સાંભળ્યો. એ લોકો બહાર બગીચામાં આવ્યા. બહાર પોલીસ વાન ઊભી હતી. મહાદેવકાકાનો ભય સાચો ઠર્યો. ધૂંધળા ભાવિની અને બાપુજીની ચિંતામાં મહાદેવકાકા ધ્રૂજી ઊઠ્યા. એમણે દબાતે પગલે જઈને બાપુજીને જગાડ્યા. બાપુજી તો નિર્વિકાર પ્રસન્ન ચિત્તે ઊઠ્યા અને તેમણે કહ્યું : ‘આમંત્રણ આવી ગયું?” બાપુજી તૈયાર થઈ ગયા. દાદી પણ જાગી ગયાં. તૈયાર થઈને બધાં બહાર આવ્યાં. પોલીસ અધિકારીએ વૉરંટ બતાવ્યું. બાપુજી અને મહાદેવકાકાનાં નામનું વોરંટ હતું. દાદી માટે વોરંટ નહોતું.
સાંજે દાદી જાહેર સભામાં ગયાં. આ વૃદ્ધ કે જે આજીવન પતિની છાયા થઈને જ રહી, જેણે ક્યારે ય મોં ખોલ્યું જ નહોતું તેણે આજે મુંબઈની જાહેર સભાના મંચ પરથી પોતાનાં સંતાનો જેવા પ્રજાજનોને એક માતાના અંતરની તૂટીફૂટી પણ પ્રેમ નીતરતી વાણીમાં સંબોધન કરતાં કહ્યું, ‘મારા પતિ(આપણા બાપુજી)ને તો સરકાર ઉપાડી ગઈ. ક્યાં એની મને ખબર નથી. પણ આપણો માર્ગ સ્પષ્ટ છે. આપણે આઝાદી માટે કશુંક કરવું પડશે. છેવટે મોતને ભેટીશું. હવે પાછા વળવાનો તો પ્રશ્ન જ નથી. મને શ્રદ્ધા છે કે તમે સહુ બાપુજીના સંદેશાનું પાલન કરશો. મરવું જ છે તો પછી કોઈ વાતનો ડર શાનો? ભગવાન જે ગુજારશે તે સહી લઈશું પણ સમાધાન તો કરવું જ નથી.’