Opinion Magazine
Number of visits: 9456872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ [1] 

સુમન શાહ|Opinion - Literature|17 September 2024

સુમન શાહ

આપણને સૌને ખબર છે, યાદ પણ છે, કે આકાશમાં ઊડતું એક પંખી ‘વિટુઇ વિટ્ વિટુઇ વિટ્’ કરતું જતું હોય છે. એ પક્ષીના સંદર્ભનું રાજેન્દ્રભાઈએ એક કાવ્ય કરેલું, હાઇકુના કદનું, નાનું કાવ્ય; મેં એ નાનકડા કાવ્યનો દીર્ઘ આસ્વાદ લખેલો, વરસો વીતી ગયાં. એ આસ્વાદલેખ કોઈક સામયિકમાં પ્રકાશિત થયેલો, કયા સામયિકમાં, યાદ નથી.

અમે રૂબરૂ મળ્યા ન્હૉતા. કપડવણજ એમનું વતન. ૧૯૬૬-થી ૭૨ દરમ્યાન હું કપડવણજ કૉલેજમાં પ્રૉફેસર હતો. એમના એ વતનના ઘરે મળવાનું થયેલું. મળ્યા ત્યારે કહે, સુમન, હું તમને મળવા કેટલો આતુર હતો, મેં કહેલું કે હું પણ. ત્યારે એ કાવ્યાસ્વાદલેખની પણ ચર્ચા થયેલી. એમની દીકરી મારા ક્લાસમાં ભણતી’તી. મેં રાજેન્દ્રભાઈને હમેશાં સફેદ લૅંઘા-ઝભ્ભામાં જોયા છે. સાહિત્યના રાજકારણથી સદા મુક્ત જોયા છે. હમેશાં મને પ્રેમાળ અને ચિરપરિચિત સજ્જન સમા લાગ્યા છે. મૂળની અને ધરમૂળની જાણવા જેવી ખૂબ વાતો કરે.

મુમ્બઇના ઘરે પણ હું અને જયન્ત પારેખ એક વાર નિરાંતે મળેલા. રાજેન્દ્રભાઈ વાત માંડે પછી તમારે બોલવાનો વારો આવે ખરો પણ સમય એકાદ પ્રશ્ન કરવા જેટલો જ મળે. કહે, કાવ્ય સીધું મારા ચિત્તમાં આવે છે, પછી ઉતારી લેવાનું જ બાકી હોય છે. પ્રાસ, છન્દ કે લય એથી જુદાં નથી હોતાં.

મોરારિ બાપુની કેન્યામાં રામકથા હતી, ત્યારે અમે સાથે ગયેલા – કહે, સુમન, મારી સાથે રહેજો.

એક વાર, સાહિત્ય અકાદમી, દિલ્હીની ઍડવાઇઝરી બૉર્ડની મીટિન્ગમાં, મુમ્બઇમાં, નિરંજન ભગતનાં કાવ્યોના સમ્પાદનનો મુદ્દો આવેલો. નિરંજનભાઈનાં કાવ્યો, એ સમ્પાદનની અમુકથી અમુક સાલની નિયત મર્યાદામાં બેસે એવાં ન્હૉતાં. એટલે અમારા સૌની ના હતી. પણ સમ્પાદકના મિત્ર મોટાભા હતા તે કહે, નિરંજનનાં કાવ્યો કોઈપણ સમ્પાદનમાં લેવાવાં જોઈએ. રાજેન્દ્રભાઈએ ધરાર ના પાડેલી, ઘાંટો પાડીને બોલેલા – મારો મિત્ર છે છતાં કહું છું કે એનાં કાવ્યો એ સમ્પાદનમાં ન હોઈ શકે.

એક વાર પૂનામાં એક કાર્યક્રમમાં, કે. શિવરામ કારન્થ, ગુલાબદાસ બ્રોકર અને રાજેન્દ્ર શાહના સાન્નિધ્યમાં સાહિત્યની વાતો કરવાની મને ખૂબ મજા આવેલી.

એક વાર એમના ‘શાન્ત કોલાહલ’ કાવ્ય વિશે મારા ‘ખેવના’ સામયિકમાં પરિચર્યા પ્રકાશિત કરેલી, છ-સાત મિત્રોએ એ એક જ કાવ્ય વિશે પોતપોતાના દૃષ્ટિબિન્દુથી રસપ્રદ સમીક્ષાઓ લખેલી. (‘ખેવના’ -ના બધા જ અંક હવે “એકત્ર ફાઉન્ડેશન” પર ઑનલાઈન ઉપલબ્ધ છે.)

રાજેન્દ્રભાઈનો જન્મ ૧૯૧૩-માં, અવસાન ૨૦૧૦-માં; ૯૭ વર્ષનું આયુષ્ય. ઍમ.ઍસ. યુનિવર્સિટી, વડોદરાથી ફિલૉસૉફી સાથે બીએ થયેલા. વડોદરામાં બંગાળી ભાષા કોઈ પાડોશી પાસેથી શીખેલા.

રાજેન્દ્રભાઈ ૧૯૩૦-માં, ૧૭ વર્ષની વયે, મૅટ્રિકનું ભણવાનું છોડીને દાંડીકૂચમાં જોડાયેલા! બહુ ઓછાઓને ખબર છે કે આઝાદી પૂર્વે, રાષ્ટ્રધ્વજ ફરકાવવા કપડવણજના ટાવરે ચડી ગયેલા અને જુલમી પોલીસ સામે ત્યાંથી ભૂસકો મારેલો! તેઓ સ્વાતન્ત્ર્ય સૈનિક પણ હતા, કારાવાસ પણ ભોગવેલો.

વેપારધંધામાં ખાસ ફાવટ નહીં આવેલી. અમદાવાદમાં કરિયાણાની દુકાન કરી. પછી મુમ્બઈ ગયા. ત્યાં લાકડાંનો વેપાર કરનારાને ત્યાં નોકરી કરી, ત્યારે થાણાનાં વનવિસ્તારમાં જવા-આવવાનું બહુ બનેલું. એ પછી મુમ્બઇમાં પ્રિન્ટિન્ગ પ્રેસ શરૂ કર્યું -‘લિપિની પ્રિન્ટરી’. ત્યાં દર રવિવારે કવિમિત્રો મળતા ને સાહિત્યકલાની વાતો થતી. એમના જાણીતા સામયિક ‘કવિલોક’-નો પ્રારમ્ભ ત્યાંથી થયેલો. એક દિવસ એ પ્રેસમાં આગ લાગેલી …

૨

જ્ઞાનપીઠ

૨૦૦૧-માં એમને દેશનો સર્વોચ્ચ સાહિત્યિક ઍવૉર્ડ ‘જ્ઞાનપીઠ’- અપાયો હતો. ત્યારે, હિન્દી ‘સહારા સમય’-ના ખબરપત્રીએ એમની મુલાકાત લીધેલી. એ મુલાકાત પછી બકવાસ જેવી ચર્ચા ચાલેલી, એટલે લગી વાત ચગેલી કે – આ ઍવૉર્ડ ખોટી વ્યક્તિને અપાયો છે. કારણ? કારણ એ કે ગોધરા-કાણ્ડ વિશે કવિ તટસ્થ રહેલા. ‘સહારા સમયે’ ઇન્ટ્રો બાંધીને લખેલું -“આખું ગુજરાત જ્યારે કોમી દાવાનળની આગમાં સળગતું હતું ત્યારે કવિ રાજેન્દ્ર શાહ જ્ઞાનપીઠ પુરસ્કારની પ્રતીક્ષામાં પ્રેમની કવિતાઓ રચતા હતા.” — આથી હલકટ અને મૂર્ખતાભર્યું પત્રકારત્વ મેં આજ દિન લગી જોયું નથી. દુખદાયી આશ્ચર્યની વાત એ છે કે દેશના નામી-અનામી અનેક સાહિત્યકારો એમાં જોડાયેલા, મહાશ્વેતા દેવી પણ. ‘સમકાલીન’ દૈનિક અને ‘નિરીક્ષક’ પખવાડિક એ બકવાસની વીગતવાર માહિતી આપણે ત્યાં લાવેલા, જેથી આપણ સૌ ગુજરાતીઓને એની ખબર પડેલી. 

એવું સનસનીખેજ પત્રકારત્વ બાલિશ રાષ્ટ્રભક્તિ દાખવતું હોય છે અને કિન્નાખોરીથી લખતાં ખંચકાતું નથી. એવા સાહિત્યકારો પણ જાગ્રત પ્રજાજન હોવાનો દાવો કરતા હોય છે. પણ એ દાવો જેટલો વાચામાં હોય છે એટલો કદી કર્મમાં હોતો નથી. રેલો નીચે આવે ત્યારે ઉંદરડાની જેમ દરમાં પૅસી જતા હોય છે.

સર્જકની સમ્પ્રજ્ઞતા, પ્રતિબદ્ધતા કે સમાજાભિમુખતાનાં લેખાંજોખાં અમુક જાતના ખબરપત્રીઓનાં ગંદાં કાટલાંથી ન જોખાય. કાટલાં ગંદાં એટલા માટે કે મોટાભાગનાં છાપાં સરકારોની કુરનિશ બજાવતાં હોય છે. 

એ ‘સહારા સમય’ સંદર્ભે ૨૦૦૩-માં ‘રાજેન્દ્રભાઈની એ મુલાકાત નિમિત્તે’ શીર્ષકથી મેં લેખ કરેલો. એ વર્ષમાં, ‘મૂર્ધન્ય ગુજરાતી-ભારતીય કવિ રાજેન્દ્ર શાહ’ શીર્ષકથી ૧૯ પાનનો બીજો લેખ કરેલો. બન્ને લેખ મારા “નિસબતપૂર્વક” (૨૦૧૧) પુસ્તકમાં સંઘરાયા છે.

(ક્રમશ:)
(16 Sep 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૮)  

સુમન શાહ|Opinion - Literature|16 September 2024

(‘આત્માનાં ખંડેર’ વિશે, અહીં પૂરું.)

ઉમાશંકર : 1937 : વય : 26

હવે કાવ્યનાયક ભ્રાન્તિમુક્ત છે, સ્વ-સ્થ છે. હવે નથી ગાંધી કે નથી નિશીથ. કહે છે, ‘ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપા ય ના’. એટલું જ નહીં, કોઈ ‘પ્રબલ સત્ત્વ’ પાસે ‘શક્તિની યાચના’ પણ નથી. એને આદર્શોની અસલિયત પણ પરખાઈ ગઈ છે; એટલે કહે છે, ‘ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની’, કેમ કે, હવે એને સમજાયું છે કે એ તો ‘રમ્ય ભ્રાન્તિતણા’ ‘અસત્યચક્ર રચી’ ‘ભમાવતી’ હોય છે. વળી, હવે ‘દુરિતલોપ’-ની ‘વાંછના’ ય નથી રહી’; ‘સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની’ ‘ધગશ’ પણ નથી રહી, અને, ‘ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસતી’, તો, શાન્તિ માટેનાં, એટલે કે ‘ચિત્તસૌખ્ય’ માટેનાં, ‘મંથન’ પણ હવે નથી ‘ડ્હૉળવાં’. હવે, ‘બસ સમજ્યે જવું છે’. અને તે કેવા પ્રકારે? કહે છે, ‘સમજવું રિબાઇય તે’.

યથાર્થને સમજવા નીકળેલાને રીબામણ ઓછી ન હોય. રીબાવું તે સમજનો જ એક ભાગ. સમજની જ છટા. સમજનું પરિણામ પણ. એવું સમજવું તે અખૂટ અવિરામ તિતિક્ષા, અને તે, કાવ્યનાયક યુવકને લગીર આધુનિક દર્શાવે છે.

જીવનના યથાર્થનો સ્વીકાર બરાબર, પણ જ્યાં લગી એ સ્વીકાર ‘હું’-ના અધ્યાત્મની આકરી કસોટીમાંથી પસાર નથી થતો, ત્યાંલગી એ સ્વીકાર શ્રદ્ધા-આશા અને ભાવનાઓના આદર્શોથી ઘુંટાયા કરે છે. કશી અન્તિમ આધ્યાત્મિકતા વિના, સમષ્ટિ કાજેનો સમર્પણભાવ, સંભવ છે કે કશી ઘેલછાની કોટિએ જ અટકી પડતો હોય.

આ સૉનેટમાળામાં, ચિન્તનની પરિભાષા પરમ્પરાગત છે, કાવ્યપ્રકાર કાવ્યમાધ્યમ કાવ્યબાની પણ પરમ્પરાદત્ત છે, તેમછતાં, કાવ્યનું વસ્તુ અને તેનું સત્ત્વ આધુનિક છે; તેની દાર્શનિક પીઠિકા વ્યક્તિવાદી છે, જેનું પ્રમાણ છે, કાવ્યનાયકના આત્માને વાચા આપતો ‘હું’; કહો કે, ‘પ્રથમ પુરુષ કથનકેન્દ્ર’-થી નિરૂપણ પામેલી પોતાને વિશેની અભિવ્યક્તિ.

સંસ્કૃતિદત્ત સત્ય અહીં વૈયક્તિક સત્ય બને છે. કાવ્યનો રચનાપટ સત્યના એ રૂપાન્તરની પ્રક્રિયા બને છે. કાવ્ય આપણને દર્શાવે છે કે મનુષ્ય-આકાંક્ષા અને આકાંક્ષાની અશક્યતાના ભાનને કારણે છેવટે તો માનવનિયતિનું જ્ઞાન પ્રગટે છે.

મને કાવ્યનાયક યુવક ડહાપણને વરેલો, સમજુ વરતાયો છે – પણ એટલે જ કદાચ ધીમે ધીમે તૂટતો, નિર્ભ્રાન્ત થતો, અને છેલ્લે પોતાના અધિકૃત – ઑથેન્ટિક – અસ્તિત્વની શોધમાં વ્યસ્ત જણાયો છે. એવું ભાસે છે કે એ આધુનિકતાશીલ પ્રૅડિકામૅન્ટમાંથી ગુજર્યો છે.

આવા વસ્તુને કે કવિની વૈયક્તિક વેદનશીલતાને એકમાત્ર ધૉરણ ગણી લઈએ, તો એમ કહેવાનો વારો આવે કે આધુનિક ગુજરાતી કવિતાનો ઉઘાડ નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’-થી નહીં, પણ ઉમાશંકર જોશીના ‘આત્માનાં ખંડેર’ -થી થયો હતો.

પ્રકૃતિ અને સંસ્કૃતિ વિશેનો ઉમાશંકરનો લગાવ, મને લાગે છે કે શરૂઆતનાં વર્ષોમાં દ્ન્દ્વાત્મક રહ્યો છે, પછી એમાં દ્વિધા સ્ફુરી છે, અને તે પછીનાં વર્ષોમાં, એમાં મનુષ્ય અને મનુષ્યકૃતિવિષયક એક-ચિત્ત ધ્યાન પ્રગટ્યું છે. તેમછતાં જણાશે કે ઝઘડો સદાનો રહ્યો છે. કવિ અને અદકા મનુષ્ય વચ્ચેના એ નિત્યના ઝઘડાનું બીજ આ સૉનેટમાળા છે. એમાં એ ઝઘડાનો અન્ત કે ઉકેલ એ છે, જેને યથાર્થમૂલ સમજ કહી શકાય, એવી સમજ કે જેમાંથી સમ્પ્રજ્ઞતાની સ્થિરદ્યુતિજ્યોત પ્રગટે, જે આધ્યાત્મિક સમર્પણનો અધિકૃત પાયો બની શકે.

મનુષ્યકલ્યાણને વિશેના પોતાના આવેશને કાવ્યનાયકે ખાળ્યો છે. સૃષ્ટિરચનામાં પોતાનો હસ્તક્ષેપ વિઘાતક પુરવાર ન થાય એ ચિન્તાથી એ સાવધ છે. ‘અકિંચન’-માં, એણે પોતાનું બધું ખોવાની તૈયારી બતાવી છે. હતું ‘અણબોટ ઉર’, પણ જગતથી ચંચુપ્રહારની એને ભીતિ છે. છતાં, આપણે જોઈ શકીએ છીએ કે પોતાના ખરા વિત્તનો પરચો તો એ આપે જ છે. એની પાસે અણબોટાયેલું ઉર છે તેમ ભાવનાનાં મોતીની લૂમ છે. પણ એને પોતાની મર્યાદાનો અને કદાચ લાચારીનો અહેસાસ છે, તેથી નમ્રતાથી કહે છે : ‘દેજો ક્ષમા, નવ ગૂંથી જ શક્યો હું માલા’. પોતે ભાવનાઓને સૂત્રબદ્ધ ન કરી શક્યો તેમાં પણ વિવેક અને નમ્રતાથી દોરવાયો છે :

‘શોચ્યું -થશે ટપકતાં મુજ અંગુલિથી

એ પુષ્પ સુરભિહીણ વિવર્ણ મ્લાન’. (૨૩૫).

ઇતિહાસમાં થઈ ગયેલા વિજેતાઓથી એ, આમ, જુદો દીસે છે. લાગશે કે આત્મસત્યને વિશેની એની એવી અહિંસક બુદ્ધિ એને ગાંધીયુગનું સન્તાન ઠેરવીને રહે છે. આ ભૂમિકાએ ગાંધી અને તે કોટિ સમેતના સૌ નાયકો સમષ્ટિ-પ્રતિબદ્ધ છતાં નિરામય સંવિત્તિનો પરચો આપે છે. એવા કોઈ સત્ત્વ વડે જ દ્વન્દ્વો અને દ્વિધાઓના જગતમાં સમતુલા પ્રગટી આવે. ઉમાશંકરની કવિતા જેને તાકે છે, તે છે, પ્રતિબદ્ધ છતાં નિરામય સંવિત્તિનો પ્રસાર. 

સંવિત્તિનો લુપ્ત થઈ રહેલો ‘ફાઇબર’ કોઈપણ સમયના કોઈપણ કલાકારની પહેલી અને છેલ્લી ચિન્તા છે. 

આઠમા, નવમા અને દસમા સૉનેટમાં જોઈ શકાય છે કે નાયકને પોતાના જીવનકાર્ય અંગે દૃષ્ટિ સાંપડી છે, એમાં એને છે કે પોતાની સીમિતતાનો ‘સંતોષ’ ઠર્યો છે : 

‘દેશકાલ વિધિવક્રતા ભાંડવી

તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું’. (૨૩૬). 

‘અનંત ક્ષણ’-માં, એ સંતોષ વિસ્તર્યો છે. ‘સમયતૃષા’-માં, નાયક એ સમજ અને એ સંતોષનો હિસાબ આપે છે. એ એમ માનતો અને મનાવતો લાગે છે કે પોતાની કાર્યરીતિનું આત્મનીતિ સાથેનું સાતત્ય તૂટ્યું નથી, બલકે સમયમાં એનો શુદ્ધ પ્રસાર થઈ શક્યો છે : 

‘ફરી ક્યહીંયથી ઊગી જોતો નવી કો ઉષા,

ફરી સમયની હૈયે જાગે અદમ્ય ચિરંતૃષા’. (૨૩૭).

તેમછતાં, ઊંડે ઊંડે વંચના અને આત્મવંચનાની ભાત બચી જ હોય છે. ‘આશાકણી’-માં, મનુષ્યના એ ‘બૅડ ફેઇથ’-નો દર્દસભર નિર્દેશ કરતાં કાવ્યનાયક યુવક કહે છે : 

‘અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો;

મૃત્યુથી ત્રાસતાં તો યે જિંદગી અર્ક મૃત્યુનો’. (૨૩૭).

“વિશ્વશાન્તિ”-કાળની ઉદ્ગીતિથી જુદી જ સાંકેતિકતામાં ઠરતી આ વાસ્તવદર્શી અભિવ્યક્તિ ઉમાશંકરના કાવ્યનાયકનો ચૈતસિક વિકાસ સૂચવે છે. એના મૃત્યુચિન્તન અને આત્મહત્યાચેષ્ટાની નિરૂપણા કરતી બારમી અને તેરમી રચનાઓ પૂર્વોક્ત પ્રક્રિયામાં સંભવેલી પરાકાષ્ઠારૂપ અવશ્યંભાવિ અને સમુચિત ઘટનાઓ છે. એ વિનાનો ચિન્તનવ્યાપાર અધૂરો ભાસત, નાયક કહે છે તેવા અસત્ આનન્દની મદિરા બની રહેત. 

જે પ્રકૃતિમૈયાને હક્કપૂર્વક પયઘૂંટ માટે પ્રાર્થી હતી તે કેવી ક્રૂર કે તટસ્થ છે તેની પ્રતીતિ કાવ્યનાયક યુવકને ત્યારે થઈ જ્યારે એને ફગાવી દેવાયો, હડસેલી દેવાયો – એવું કહીને કે 

‘જા રે તારે જગ, ઉભયથી કૈં ન સંબંધ મારે’. (૨૩૮). 

મનુષ્યને વિશેનું કુદરતનું એ ‘ઇન્ડિફરન્સ’ તીવ્રતાથી અનુભવતો એ હવે નિર્ભ્રાન્ત છે. મનુજ એને ‘બિચારો’ લાગે છે; કહે છે, એ ‘વિધિની રેત’ અમથો નિચોવે છે, ‘મૃગજળની રમ્ય ભ્રમણા’ ખુવે છે. આત્માનુભૂતિનું બળ પ્રસરતાં, એની સંવિત્તિ એને મનુષ્યની અકાટ્ય સ્થિતિનું દર્શન કરાવે છે. 

એ દર્શન આહાર્ય, પૂર્વદૃષ્ટ કે પૂર્વશ્રુત નથી, વિભૂતિમત્ કે ઊર્જિતને વિશેના ઉદ્રેકનું પરિણામ પણ નથી, એ અદૃષ્ટપૂર્વ અશ્રુતપૂર્વ છે, કેમ કે એ નિતાન્તપણે વૈયક્તિક છે. એવી વૈયક્તિક દર્શનાના દૃષ્ટાઓ રૂપે બુદ્ધ, ઇસુ કે ગાંધીનો હવાલો ભલે આપી શકાય, પણ આ તો એક અદનો આદમી છે જેને સામ્પ્રત સમયોની ભીંસ વચ્ચે પોતાની સંવિત્તિના પ્રતાપે આ દર્શન લાધ્યું છે. એ આપણા જમાનાનો અ બ ક સ્વરૂપ વેદનશીલ મનુષ્ય છે; વિજય નહીં પણ લાક્ષણિક પરાજય એની નિયતિ છે; એટલે તો એને ‘દૃગજલ’ ‘ભલાં’ દીસે છે. 

‘ભલે શોકપ્રેર્યાં દૃગજલ યથાર્થે વિહરતાં’ – એવો ઉપસંહાર ઉચ્ચારતા કાવ્યનાયકે અહમ્-ના નિર્લોપનની ‘ના’ પાડીને, મને લાગે છે કે એણે પોતાના અધિકૃત અસ્તિત્વનું મમત્વ પ્રગટાવ્યું છે. એને કારણે, ખણ્ડેર અને એવા અનેકશ: યથાર્થ સંદર્ભોની લબ્ધિને વિશે એ પાત્ર ઠર્યો છે. હવે એનામાં સ્વીકાર, સમજ અને સમતાને પામવાની સજ્જતા આવી ગઈ છે. એ તટસ્થ છે; છતાં એનું તાટસ્થ્ય જડતા નથી, સમજનિહિત સમ્પ્રજ્ઞ એવી સ્વીકૃતિ છે; એ સ્વીકૃતિ પાસે પૂર્ણવિરામ નથી, નવપ્રસ્થાનની તૈયારી છે.

(ક્રમશ:)
(15 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વડા પ્રધાન મોદી અને CJI ચંદ્રચૂડ પર વિપક્ષોની નાગચૂડ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 September 2024

રવીન્દ્ર પારેખ

ત્રીજી વખત લોકસભાની ભા.જ.પ.ની સીટ અપેક્ષા કરતાં ઘટી ને વિપક્ષો થોડી વધારે સીટ સાથે પ્રકાશમાં આવ્યા, પણ એ પ્રકાશ બહુ પચ્યો હોય એવું લાગતું નથી, તે એટલે કે વિપક્ષો બેફામ બોલવા ને વર્તવા લાગ્યા છે. કાઁગ્રેસના અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં ભારતના વડા પ્રધાન વિષે ‘મન કી બાત’ કરવામાં જરા ય સંકોચાયા નથી, તો અન્ય વિપક્ષી નેતાઓ પણ તક મળતાં વરસ્યા વગર ભાગ્યે જ રહે છે. વિપક્ષોએ એ ન ભૂલવું જોઈએ કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે સૌથી વધુ સીટ તો  ભા.જ.પ.ને જ મળી છે. એ જુદી વાત છે કે તેણે એન.ડી.એ.નો સાથ સરકાર બનાવવા લેવો પડ્યો છે, છતાં ત્રીજી વખત વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ સત્તારૂઢ થયા છે તે હકીકત છે.

12 સપ્ટેમ્બરે પ્રિન્ટ મીડિયામાં એક સમાચાર ફોટા સાથે પ્રગટ થયા, જેમાં વડા પ્રધાન મોદી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા – CJI – ધનંજય ચંદ્રચૂડને ઘરે ગણપતિની આરતી ઉતારતા દેખાય છે. એક તરફ CJI હાથ જોડીને ઊભા છે ને બીજી તરફ તેમના પત્ની કલ્પના દાસ છે. એમની વચ્ચે મરાઠી સફેદ ટોપીમાં વડા પ્રધાન મોદી આરતી ઉતારતા દેખાય છે. વાત આટલી જ હતી, પણ કાઁગ્રેસ, આર.જે.ડી. અને અન્ય વિપક્ષોએ વાતનું વતેસર કર્યું. ન્યાયતંત્રની અખંડિતતા, સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવાયા. વિપક્ષો તો વિપક્ષો, સુપ્રીમના વકીલોએ પણ પસ્તાળ પાડી. વડા પ્રધાન અને CJI અંગત રીતે મળી જ ન શકે એવી માનસિકતા વિપક્ષો ધરાવતા હોય તેમ શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સંવિધાનના રક્ષક નેતાઓ મળે છે તો લોકોનાં મનમાં શંકા ઊઠે છે. રાઉતે તો ત્યાં સુધી કહ્યું કે CJI ચંદ્રચૂડે તો શિવસેના અને એન.સી.પી. સાથે સંકળાયેલ કેસમાંથી પોતાને અલગ કરી લેવા જોઈએ, કારણ CJIના ચુકાદાઓ વડા પ્રધાનની મુલાકાતથી પ્રભાવિત થઈ શકે એમ છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ પણ સાફ શબ્દોમાં કહ્યું કે CJIનું આમંત્રણ આપવું અને પી.એમ.નું સ્વીકારવું બંને ખોટું છે. જો કે, અન્ય વકીલ પિંકી આનંદે એની તરફેણ કરી છે. સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે તો વડા પ્રધાનને CJIએ પોતાને ત્યાં આવવાની મંજૂરી આપી એ બાબતે જ વાંધો પાડ્યો છે. આમ પણ વડા પ્રધાન પ્રશાંત ભૂષણની ગુડ બુકમાં નથી. હવે ચીફ જસ્ટિસે વડા પ્રધાનને આવકાર્યા એટલે એ પણ ભૂષણ માટે ‘આભૂષણ’ નહીં રહે એમ બને. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે પણ કહ્યું કે CJIની સ્વતંત્રતા પરથી પૂરો ભરોસો ઊઠી ગયો છે. આર.જે.ડી.ના નેતા મનોજ ઝાએ એમ કહીને ટીકા કરી કે કોઈ પણ સંસ્થાની સ્વતંત્રતા કેવળ સૈદ્ધાંતિક જ નથી હોતી, તે દેખાવી પણ જોઈએ. કાઁગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ કહ્યું કે સર્વોચ્ચ પદો પર બેઠેલા લોકોએ અંગત આયોજનનો પ્રચાર ન કરવો જોઈએ. કોઈએ પોતાને એવી સ્થિતિમાં ન મૂકવા જોઈએ કે લોકો સંસ્થા પર શંકા કરવા લાગે. એન.સી.પી.નાં નેતા અને લોકસભા સદસ્ય સુપ્રિયા સુલેને એ જાણીને ધક્કો લાગ્યો કે વડા પ્રધાન CJIને ત્યાં પહોંચ્યા ! પણ સુલેએ રાઉતની જેમ CJIનાં નિર્ણય પર શંકા ન કરતાં એટલું કહ્યું કે મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે ને CJIએ સમજી-વિચારીને જ વડા પ્રધાનને નિમંત્રણ આપ્યું હશે.

CJIએ આમંત્રણ આપ્યું એવું મનાય છે, તો એવું પણ નોંધાયું છે કે વડા પ્રધાન એમ જ એમને ત્યાં જઈ ચડ્યા. આરતીના ફોટા CJIએ જાહેર કર્યા તો વડા પ્રધાને પણ ટ્વિટ કરીને જાહેર કર્યા એવું પણ છે. ટૂંકમાં, આ વાત અંગત ન રહે એવું બંને મહાનુભાવો ઇચ્છતા હતા. વડા પ્રધાનનો મરાઠી પોષાક CJI મરાઠી છે એટલે કર્યો કે મહારાષ્ટ્રની ચૂંટણી નજીક છે એટલે, એ અંગે પણ વિપક્ષોએ પોતાને અનુકૂળ અર્થો કાઢ્યા છે. વિપક્ષોને વાંધો એ મુદ્દે પણ છે કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના વડાઓ અંગત રીતે એકબીજાને મળ્યા. વિશ્લેષકોનું માનવું છે કે બંધારણમાં ક્યાં ય એવું લખ્યું નથી કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના વડા એકબીજાને મળી ન શકે. એ અપેક્ષિત છે કે સ્વસ્થ લોકશાહી માટે આ બંને સ્તંભ વચ્ચે અંતર રહે, પણ બંને વચ્ચે એકબીજાનાં મોઢાં જોવા જેવું જ ન રહે તો બંને પરસ્પર સંકળાયેલા છે, એવું કઈ રીતે બને?

આવું કૈં થાય તો ભા.જ.પ. બચાવમાં ન કૂદે તો જ આશ્ચર્ય ! ભા.જ.પી. નેતા શહજાદ પૂનાવાલાએ X પર 2009માં પૂર્વ પ્રધાન મંત્રીએ મનમોહનસિંહની ઇફ્તાર પાર્ટીમાં CJI કે.જી. બાલકૃષ્ણનનો ફોટો શેર કરતાં લખ્યું કે એ સેક્યુલર છે અને ન્યાયતંત્ર સુરક્ષિત છે, પણ પી.એમ. મોદી CJI ચંદ્રચૂડને નિવાસે ગણેશ પૂજા માટે જાય તો ન્યાયતંત્ર ભ્રષ્ટ થઈ જાય છે ! શિવસેનાના રાજ્યસભા સભ્ય મિલિન્દ દેવરાએ કહ્યું કે ચુકાદો વિપક્ષની તરફેણમાં આવે છે તો તે સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરે છે ને વાત વિરુદ્ધ જાય છે તો વિપક્ષ દાવા કરે છે કે ન્યાયતંત્રથી સમજૂતી કરવામાં આવી છે. ભા.જ.પ.ના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રોકડું પરખાવ્યું કે સી.જે.આઈ.ને વડા પ્રધાન મળે તો વાંધો, પણ રાહુલ ગાંધી અમેરિકામાં ભારત વિરોધી ઇલ્હાન ઓમરને મળે તો તેનો વાંધો નથી.

વિપક્ષોની ટીકાઓ અને તેના ભા.જ.પી. નેતાઓ દ્વારા અપાતા જવાબો જોઈએ તો કોઈ એક જ સાચું છે એવું કહી શકાશે નહીં. આમ છતાં કેટલુંક તો કહેવાનું થાય જ છે, ભલે એ કોઇને ગમે કે ન ગમે. એક વાત સ્પષ્ટ છે કે વડા પ્રધાન અને CJI પૂરતા પરિપક્વ છે ને જે તે ક્ષેત્રના પૂરતા અનુભવી છે. એટલું છે કે દરેક વખતે CJIએ નરેન્દ્ર મોદીને આરતી માટે બોલાવ્યા નથી. બને કે નિવૃત્તિ પહેલાં CJIને માનવ સહજ ઈચ્છા વડા પ્રધાનને ગણેશ પૂજા નિમિત્તે ઘરે બોલાવવાની થઈ હોય તો એ એવું કૃત્ય નથી કે ન્યાયતંત્ર જોખમમાં આવી પડે. બીજું, કે CJIએ આપેલા ચુકાદાઓ પણ જોવા જોઈએ તો ખબર પડે કે તેઓ વડા પ્રધાનથી પ્રભાવિત છે કે કેમ?

CJI ચંદ્રચૂડે ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂકો માટે નામોને નકારી કાઢવાની સરકારની પ્રથાની ટીકા કરી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું કે કોલેજિયમની ભલામણો સરકાર દ્વારા અનિશ્ચિત સમય માટે રોકી ન શકાય અને પસંદ કરાયેલા ન્યાયાધીશોનાં નામોને મંજૂરી મળે. ઇલેકટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોદી સરકાર ખાસી વગોવાઈ હતી. એ કેસમાં CJI ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી કહ્યું હતું કે કેન્દ્ર સરકારની 2018ની ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય છે ને બંધારણની કલમ 19(1)(a) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ આખી યોજના કલમ 14 હેઠળ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. CJI ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સીલ બંધ કવર હેઠળ આપવામાં આવેલાં સૂચનોને પણ ફગાવી દીધાં હતાં ને પરખાવ્યું હતું કે એમાં પારદર્શિતા નથી.

આ અને આવા ચુકાદાઓ પછી પણ CJI અને વડા પ્રધાન ગણેશ પૂજાને નિમિત્તે એકબીજાને પ્રભાવિત કરવા મળ્યા એમ માનવું યોગ્ય છે? એ અપેક્ષિત ખરું કે જે તે ક્ષેત્રના મહાનુભાવો એકબીજાના ક્ષેત્રને અભડાવે નહીં, પણ તેનો અર્થ એવો નથી કે વડા પ્રધાન અને CJIએ સ્પર્ધા કે શત્રુતા જ નભાવવી જોઈએ. વડા પ્રધાને પૂજાનું નિમંત્રણ નકારવું જોઈએ, એવું તો કેમ કહેવાય અને એવો અવિવેક વડા પ્રધાનને શોભે ખરો? કે વડા પ્રધાન આવે તો CJIએ બારણાં બંધ કરી દેવા જોઈએ એમ માનવું પણ બરાબર નથી. ઇફ્તાર પાર્ટીમાં જઈ શકાય ને ગણેશ પૂજામાં ન જવાય, એવો તો નિયમ નથી, તો વિપક્ષોને ખરેખર વાંધો શેનો છે તે સમજાતું નથી. વડા પ્રધાન CJIને કે તેમના ભાવિ ચુકાદાઓને પ્રભાવિત કરવા પધાર્યા હતા એવું અર્થઘટન કોઈ કરતું હોય તો એને CJIનો ભરોસો જ નથી એમ માનવાનું રહે. એ સાથે જ એ પણ સમજી લેવાનું રહે કે CJIની નિયુક્તિમાં સરકારનો કોઈ હાથ હોતો નથી, જે ભૂતકાળમાં હતો ને વડા પ્રધાન ઈચ્છે તેને CJI તરીકે નિયુક્ત કરી શકતા હતા. એટલે નિયુક્તિ બદલ આભારની લાગણી વ્યક્ત કરવા CJIએ વડા પ્રધાનને ગણેશ પૂજા કરવા નિમંત્ર્યા હોય એવી તો શક્યતા જ નથી. આટલી તકેદારી ઉપરાંત, બંનેએ પદની ગરિમા જાળવી હોય, પછી પણ એક જ દેશના સામાન્ય નાગરિક તરીકે મળવું હોય તો બહાર મળાય ને ઘરમાં ન મળાય, એ કેવું? દરેકને પોતાનું અંગત જીવન હોય તો CJI કે વડા પ્રધાન જ તેનાથી વંચિત રહે, એવું? CJIએ ધાર્યું હોત તો વડા પ્રધાનનો આરતી ઉતારતો ફોટો તેઓ અંગત રાખી શક્યા હોત કે વડા પ્રધાન પણ ટ્વિટ કરવાથી દૂર રહી શક્યા હોત, પણ તેવું ન કરતાં, બંનેએ ફોટા મીડિયા સુધી જવા દીધા, તે ન્યાયતંત્ર પર આરોપ આવે એટલે?

વડા પ્રધાનના CJIને ત્યાં આરતી ઉતારવાને મુદ્દે વિવાદ કરીને વિપક્ષોએ સંકુચિત મનોદશાનો જ પડઘો પાડ્યો છે. કોઈને પણ આટલા સાંકડા મનના હોવાનો અધિકાર ન હોવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 સપ્ટેમ્બર 2024

Loading

...102030...431432433434...440450460...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved