Opinion Magazine
Number of visits: 9750782
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાઇબ્રન્ટનાં ઢોલત્રાંસાં વચ્ચે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

૧૮મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં લેખાનુદાન પ્રસ્તાવ રજૂ કરતી વેળાએ જે સત્તાવાર આંકડો અપાયો તે પ્રમાણે ૨૦૦૮-૦૯ ના નાણાકીય વરસના અંતે ૨૫૮૩.૮૬ કરોડ રૂપિયાની ખાધ રહેશે. બને કે ૩૧મી માર્ચે આ અંદાજનેય અતિક્રમી જવાય! ગમે તેમ પણ, અગાઉ અંદાજેલ ૮૭૬.૨૦ કરોડની ખાધ આમ સહેજે ત્રણ ગણી કે એથી વધુ થવા જાય તો એનો અર્થ એ થયો કે વાઇબ્રન્ટનાં ઢોલત્રાંસાં વચ્ચે વાસ્તવિકતા કંઈક જુદી છે. એમઓયુનો અંજાપો, બને કે, ઇંદિરા ગાંધીની 'નઈ રોશની'ના કૂળનો હોય. વીસ રત્ન કલાકારોની આત્મહત્યાની સત્તાવાર સ્વીકૃતિ કે ગ્લોબલ સમિટના હૉર્ડિંગ્ઝ પાછળ ૭.૩૯ કરોડ રૂપિયાનો ધૂમ ખર્ચો : લેખાનુદાન પ્રસ્તાવ સાથે જ બહાર આવેલી આ બધી વિગતોની સહોપસ્થિતિ થકી જે ચિત્રસંકેત મળે છે તે પોતે પણ વાસ્તવિકતા વિશે પૂરતું મુખર હોઈ શકે છે.

પણ હમણાં નિર્દેશી એવી બધી સહોપસ્થિતિઓથી હટીને જો એક લાંબા પટ ઉપર વિચારીએ તો, બને કે, વાસ્તવિક /વૈકલ્પિક/ સમાંતર ગુજરાત વિશેની આપણી સમજ અને એમાંથી ફલિત થતા અભિગમવ્યૂહને આપણે ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં મૂકી શકીએ.

એક તો વિકાસની વાર્તા કે મિથક. પહેલી વિગત, ખાસ તો, વિકાસવાર્તાને નમો શાસનની વિશેષ લબ્ધિ ગણાવવા સંદર્ભે. રમેશ. બી. શાહે આ મુદ્દો ચર્ચતાં ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્રે અભ્યાસી લેખે સુપ્રતિષ્ઠ જયનારાયણ વ્યાસને આબાદ ટાંક્યા છે: "૧૯૬૦ના ઔદ્યોગિક ગુજરાતનું ચિત્ર રાજ્યની સ્થાપનાની સાથે સાથે જ એકદમ ઝડપથી પરિવર્તિત થવા માંડે એવી જબરજસ્ત ઘટના લગભગ રાજ્યની રચના સાથે જ આકાર લઈ ચૂકી હતી. આ ઘટના એટલે વડોદરા નજીક કોયલી ખાતે ગુજરાત રિફાઈનરીની સ્થાપના." આ પ્રક્રિયા ગુજરાતને ક્યાં લઈ ગઈ એ વિશે જયનારાયણ વ્યાસની ટિપ્પણી છે : "એવું કહેવાય છે કે હજીરાનું ગંજાવર મૂડીરોકાણ આવ્યું ત્યાં સુધી વડોદરાથી નંદેસરી સુધીની પટ્ટીમાં જે ઔદ્યોગિક રોકાણ થયું તે દર ચોરસ કિલોમીટરે ભારતમાં તો સૌથી વધારે હતું, પણ જાપાનને બાદ કરતાં એશિયાના કોઈ દેશમાં આટલું મોટું રોકાણ થયું નહોતું."

આગળ ચાલતાં, ગુજરાત રસાયણ રાજ્ય તરીકે વિકસ્યું. ૧૯૯૧માં મનમોહન સિંહની નવી આર્થિક નીતિએ દેશનાં રાજ્યોમાં ઔદ્યોગિક મૂડીરોકાણોની  દૃષ્ટિએ ગુજરાતને કદાચ સર્વાધિક 'બુસ્ટર ડોઝ' આપ્યો. રાજ્યમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પણ વિકાસ તો ચાલુ જ રહ્યો. રમેશ બી. શાહને સંભારીને કહીએ તો "ગુજરાતમાં મૂડીરોકાણ ન કરે તે ઉદ્યોગપતિ મૂર્ખ ગણાય એ સત્ય રતન તાતાને છેક ૨૧મી સદીના પ્રથમ દસકામાં લાધ્યું, પણ દેશના અને ગુજરાતના ઘણા ઉદ્યોગપતિઓને તો એ સત્ય વીસમી સદીના છેલ્લા દસકામાં જ લાધી ચૂક્યું હતું.

ઉલટ પક્ષે, ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી આવકો વચ્ચેની અસમાનતા વધી છે. ગ્રામવિસ્તારમાં માથાદીઠ વપરાશ ખર્ચનો હિસાબ મૂકીએ તો કેરળ, હરિયાણા અને પંજાબ કરતાં ગુજરાત પાછળ છે. સ્ત્રીઓના સરેરાશ આયુષ્યમાં કેરળ (૭૬), પંજાબ (૭૦), કરતાં ગુજરાત (૬૫) પાછળ છે. બાળ મૃત્યુદરમાં કેરળ(૧૫), મહારાષ્ટ્ર (૩૫), બંગાળ (૩૭) કરતાં ગુજરાત (૫૩) આગળ એટલે કે પાછળ છે.

વળી જ્યાં સુધી રોકાણો અને રોજગાર વચ્ચેના સંબંધનો સવાલ છે, ગુજરાત સરકારે પ્રકાશિત કરેલ 'સ્ટેસ્ટિકલ આઉટલાઈન, ૨૦૦૭'ના ઉજાસમાં રોહિત શુક્લે દર્શાવ્યું છે તેમ આપણે 'જૉબલેસ ગ્રોથ' તરફ જઈ રહ્યા છીએ. ઘટતી રોજી, ઘટતાં દામ અને વધતાં કામની ફોર્મ્યુલા અમલમાં છે.

આ ચર્ચાનો સાર એ કે જેને વિકાસ કહેવાય છે તે નમો શાસનની વિશેષતા નથી. પણ એથી અગત્યનો મુદ્દો આ વિકાસવાર્તાનું જે મથક છે તે છે. હમણાં ઉતાવળે જે અન્ય વિગતો આપી તેના પરથી એવા તારણને અવકાશ છે કે સિત્તેર ટકા ગુજરાતીઓ આ વિકાસલાભથી વંચિત છે. તો, રાજ્ય વિધાનસભામાં રજૂ થયેલ લેખાનુદાન પ્રસ્તાવ પ્રમાણે ૨૦૦૮-૦૯ની અંદાજિત ખાદ્ય ત્રણ ગણી કે વધુ થઈ જવાની હોય એ વિગત અલપઝલપ પોઇન્ટ સ્કૉર કરવામાં ખપ આવે એમ હોય તોપણ સીમાન્ત ગુજરાતની – જે બહુમતીમાં છે પણ મધ્ય પ્રવાહમાં નથી, તેની – વાસ્તવિકતા તો ક્યાંય ભેંકાર છે. 

Loading

પદ્મપુરસ્કાર સમારંભઃ દિલ્હી દરબારની દેશી આવૃત્તિ?

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

થોડા વખત પહેલાં પદ્મપુરસ્કાર એનાયત કરવાના સમારંભનો ભાગ બીજો યોજાઇ ગયો. હવે દેશનાં મંત્રીમંડળોની જેમ પદ્મપુરસ્કૃતોની સંખ્યા એટલી વધી ગઇ છે કે જનરલ નોલેજમાં તેમનાં નામ ગોખાતાં નથી. કેટકેટલાં યાદ રાખવાં! જેને પૂરતા પ્રમાણમાં જાહેરખબરો મળતી હોય એવાં છાપાં પુરસ્કારવિજેતાઓની આખી યાદી સુદ્ધાં છાપતાં નથી. આ એક વાત.

બીજી અને મુખ્ય વાતઃ ‘પદ્મભૂષણ’થી સન્માનિત અને દિલ્હીના સમારંભમાં ઉપસ્થિત રહીને સન્માન સ્વીકારનાર વડોદરાના મ્યુઝિકોલોજિસ્ટ આર.સી.મહેતાને બીજા દિવસે બીરેન (કોઠારી) મળ્યો હતો.

મહેતાસાહેબનું નામ પદ્મ-યાદીમાં જાહેર થયું ત્યારની પોસ્ટ

http://urvishkothari-gujarati.blogspot.com/2009/01/blog-post_9911.html

તેમની સાથેની વાતચીતમાંથી બીરેનને જાણવા મળ્યું કે પદ્મપુરસ્કારોનો સમારંભ યોજાય તેના આગલા દિવસે આખા સમારંભનું ‘ડ્રેસ રીહર્સલ’ યોજાય છે. (‘ડ્રેસ રીહર્સલ મારો શબ્દ છે) તમામ પુરસ્કાર-વિજેતાઓએ ફક્ત સમારભમાં જ નહીં, રીહર્સલમાં આવવું પણ ફરજિયાત છે. તેમાં ગેરહાજર રહેવા માટે ઘણા સમય પહેલાં અને યોગ્ય કારણ આપીને જાણ કરવી પડે. નકલી સમારંભમાં સન્માનનીય પુરસ્કૃતોને શીખવવામાં આવે છે કે રાષ્ટ્રપતિ સમક્ષ કેવી રીતે પેશ આવવું, ક્યાંથી ચાલીને જવું, ક્યાં વળવું… નકલી સમારંભમાં રાષ્ટ્રપતિની જગ્યાએ બીજો કોઇ અફસર બેઠો હોય.

બાકાયદા સન્માનિતોનાં નામ જાહેર થાય, બ્યુગલ વાગે, રાષ્ટ્રપતિની જગ્યાએ બેઠેલા ‘ડુપ્લીકેટ’ અસલી મેડલની પ્રતિકૃતિ સન્માનિતોને પહેરાવે…(રીહર્સલમાં વપરાતી મેડલની પ્રતિકૃતિનો ફોટો આ સાથે મુક્યો છે) આ બધી નાટકબાજી ‘વ્યવસ્થા અને આયોજન’ના તથા રાષ્ટ્રપતિની ગરીમા જાળવવાના નામે!

દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ આદરણીય છે, પણ એ રાજા કે વાઇસરોય નથી. એ પ્રભુના નહીં, પ્રજાના પ્રતિનિધિ છે. તેમની ગરીમાની આટલી બધી ચિંતા હોય, તો પોતાના પ્રદાન બદલ સન્માનિત થવા આવેલા લોકોની ગરીમાનું શું? રાષ્ટ્રપતિ સમક્ષ કેમ લળવું ને કેમ વળવું એ શીખવ્યા વિના તેમને જરૂરી હોય એટલી સૂચનાઓ અંગત રીતે કે ફોન પર આપીને સીધા સમારંભમાં બોલાવી ન શકાય?

અંગ્રેજોના જમાનામાં મોટે ભાગે લોર્ડ કર્ઝને ૧૯૦૫માં દિલ્હી દરબાર ભર્યો હતો ત્યારે આવા બધા નિયમો હતાઃ વાઇસરોય સામે કેવી રીતે જવું, કેવી રીતે લળવું, કેવી રીતે પાછા ફરવું, પીઠ ન દેખાડવી…અંગ્રેજો ગયા, પણ સન્માન પાછળની માનસિકતા, કમ સે કમ સમારંભના મુદ્દે બદલાઇ હોય એવું લાગતું નથી.

Loading

મહેન્દ્ર મેઘાણી, મનમોહન સિંઘ અને મોદી

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

મિત્ર સંજય ભાવે થકી જાણવા મળ્યું કે ૮૬ વર્ષના મહેન્દ્રભાઇ મેઘાણી ગઇ કાલે અમદાવાદમાં યોજાયેલી વડાપ્રધાન મનમોહન સિંઘની ચૂંટણીસભામાં ગયા હતા અને એ વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને તેમણે એક પત્ર પણ લખ્યો છે.

સમાચાર ચટપટી જગાડે એવા હતા. મહેન્દ્રભાઇને ચૂંટણી વિશે, સભા વિશે, મનમોહનસિંઘ વિશે, અમદાવાદ વિશે અને ઇન્ડિયન એક્સપ્રેસ વિશે શું કહેવાનું હશે, એવી અનેકવિધ જિજ્ઞાસા સાથે કશા સત્તાવાર પ્રયોજન વિના ફક્ત એમને મળવા માટે હું ગયો. એ વખતે અનાયાસે ઓફિસે આવેલા મિત્ર ચંદુ મહેરિયા પણ સાથે થયા.

બે-ત્રણ અઠવાડિયાં ભાવનગર જઇ આવ્યા પછી અમદાવાદમાં મંજરીબહેનને ઘેર રહેતા મહેન્દ્રભાઇ ઉનાળાને અનુરૂપ, ફક્ત લેંઘો પહેરીને કમરની ઉપરના ઉઘાડા ડીલે બેઠા હતા. (એ દૃશ્ય જોઇને મને ગાંધી-સરદાર-મહાદેવભાઇનો એક ફોટો યાદ આવ્યો, જેમાં ફક્ત સરદારે જ પહેરણ પહેર્યું છે અને બાકીની બન્ને મૂર્તિઓ પહેરણ વિના ફક્ત ધોતીભેર બેઠેલી છે.)

ગઇ કાલની સભા વિશે મહેન્દ્રભાઇને પૂછપરછ કરી એટલે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને લખી મોકલેલો પત્ર વાંચી સંભળ્યાવ્યો. તેનો સાર એ હતો કે ચૂંટણીની અથવા બીજી સભામાં મોડા આવવું એ રાજકારણીઓએ અફર નિયમ બનાવી દીધો છે. વડાપ્રધાન મનમોહન સિંઘ બીજા રાજકારણીઓ કરતાં જુદા અને સારા છે. છતાં એ પણ કાલની ચૂંટણીસભામાં ૭૫ મિનિટ મોડા આવ્યા. ‘૮૬ વર્ષના પત્રકાર તરીકે હું તેમાં હાજર હતો’ એવી પોતાની ઓળખ આપીને મહેન્દ્રભાઇએ લખ્યું કે સિંઘ જેવા સુજ્ઞ માણસે આ રીતે પોતાના દેશવાસીઓનો હજારો માનવકલાકનો સમય ન વેડફાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.

મારા માટે પહેલી નવાઇ તો એ કે મહેન્દ્રભાઇએ સવા કલાક સુધી મનમોહન સિંઘના આવવાની રાહ જોઇ! એ વિશે પૂછ્યું એટલે મહેન્દ્રભાઇ કહે,‘હું નક્કી કરીને ગયો હતો કે મનમોહન સિંઘને સાંભળીને જ આવીશ. નહીંતર તરત પાછો આવી ગયો હોત.’

એમને ચૂંટણી કે રાજકારણમાં રસ નથી. કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’નું એક પ્રકરણ ટાંકીને મહેન્દ્રભાઇ પ્રજાને કૂવા સાથે અને રાજકારણીઓને હવાડા સાથે સરખાવે છે અને કહે છે,‘હું કૂવો સાફ કરવાના કામમાં છું.’

મહેન્દ્રભાઇ નેહરૂ-ઇન્દિરા ગાંધી સહિત નેતાઓને સાંભળી ચૂક્યા છે, પણ યુવાવસ્થામાં તેમની પર વક્તા તરીકે સૌથી વઘુ અસર સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની પડી હતી. મુંબઇમાં સાંભળેલાં યુસુફ મહેરઅલીનાં પ્રવચનો તેમને ‘કન્વીન્સિંગ’ અને બરાબર યુવા નેતાનાં હોય એવાં લાગ્યાં હતાં. ઇન્દિરા ગાંધી હતાં ત્યાં સુધી રાજકારણમાં મહેન્દ્રભાઇનો રસ રહ્યો.

ઈંદિરાઘોષિત કટોકટીકાળમાં મહેન્દ્રભાઇ સંપાદિત ‘મિલાપ’માં કટોકટીના વિરોધમાં આવતા લેખો કરતાં તરફેણમાં આવતા લેખોનું પ્રમાણ વધી જવાને કારણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ નારાજ થઇ ગયા હતા. તેમણે મહેન્દ્રભાઇને કહી દીઘું હતું કે ‘હવેથી મિલાપમાં મારા લેખ છાપવા નહીં.’ આ વાત પણ મહેન્દ્રભાઇ તેમની રાબેતા મુજબની, મુક્ત હાસ્યના છંટકાવ સાથેની શૈલીમાં જ કહે છે. કટોકટી વિશે મહેન્દ્રભાઇની માન્યતા વિનોબા ભાવે સ્કૂલની હતી. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવી હતી.

જોકે, અત્યારે મહેન્દ્રભાઇ કહે છે કે એ ઉપમા યોગ્ય ન હતી. ‘મોટામાં મોટી (રશિયાની) ક્રાંતિ પણ સિત્તેર વર્ષમાં ભાંગી પડી અને રશિયા હવે બમણા જુસ્સાથી મૂડીવાદી બની રહ્યું છે. કારણ કે રશિયાની ક્રાંતિ લોહીથી સિંચાયેલી હતી. એટલે લોકશાહી વિના ઉદ્ધાર નથી, એવી મહેન્દ્રભાઇની દૃઢ માન્યતા છે.

નરેન્દ્ર મોદીને ભયંકર માણસ ગણાવીને મહેન્દ્રભાઇએ કહ્યું કે મોદી આખા ગુજરાતને પોતાની તરફેણમાં કરી શકશે, તો પણ એક માણસ (મ.મેઘાણી પોતે) તેની સામે બાકી રહેશે. મોદીની સાથે જોડાતા મુસ્લિમો વિશે તેમણે કહ્યું કે,‘એવી તસવીરો જોઇને ઘણી વાર મને થાય છે કે મુસ્લિમ એ છે કે હું છું? મુસ્લિમ એટલે ધર્મની રીતે નહીં, પણ અત્યાચારનો ભોગ બનનાર.’

મેં માનસશાસ્ત્રમાં સ્થાન પામેલા મનોવલણ ( સ્ટોકહોમ સિન્ડ્રોમ?) ની વાત કરી, જેમાં અપહૃત વ્યક્તિ કે સમુદાય અપહરણકર્તામાં પોતાના તારણહારનાં દર્શન કરે અને તેને સાચવી લઇશું તો પોતાની સલામતી જળવાઇ રહેશે એવું વિચારવા લાગે.

એક સમયે મહેન્દ્રભાઇ કલકત્તાથી નીકળતું ‘સ્ટેટ્સમેન’ દૈનિક લવાજમ ભરીને પોસ્ટમાં મંગાવતા હતા. ‘હવે મારા મત પ્રમાણે એનું ધોરણ પહેલાં જેવું નથી રહ્યું’ એમ કહેતા મહેન્દ્રભાઇ સ્ટેટ્સમેન મંગાવતા નથી. ‘હિંદુ’માં વાંચવા જેવું ઘણું આવે છે, પણ ફક્ત વાંચીને બેસી રહેવાનું મહેન્દ્રભાઇથી બનતું નથી. ‘સારૂં વાંચું તે બીજાને વહેંચું નહીં ત્યાં સુધી ચેન ન પડે.’ એટલે અત્યારે મહેન્દ્રભાઇ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચે છે અને ‘દિવ્ય ભાસ્કર’ ઘરે આવે છે એટલે જોઇ લે છે.

ગુજરાતનાં પખવાડિક ‘પોતાને વિચારપત્ર કહેવડાવતાં સામયિકો’ વિશે મહેન્દ્રભાઇએ કહ્યું કે ત્રણ સામયિકો પખવાડિક તરીકે નીકળતાં હોય અને મર્યાદિત- એના એ જ વર્તુળમાં ઓછી સંખ્યામાં જતાં હોય, એને બદલે એ ત્રણે ભેગા થઇને એક અઠવાડિક કાઢીને તેની ૫૦ હજાર નકલ કેમ ન છાપે?

૪ મેના રોજ અમેરિકા જતા મહેન્દ્રભાઇનો મત ભાવનગરમાં છે. એટલે ૩૦મી તારીખે ફક્ત મત આપવા માટે એ ભાવનગર જવાના નથી. ‘મતદાન પવિત્ર ફરજ છે’ વગેરે આદર્શો મેં સહેજ રમૂજ સાથે યાદ કરાવતાં મહેન્દ્રભાઇએ કહ્યું,‘એક મતથી એવો કંઇ ફેર પડતો નથી.’ ચંદુભાઇએ ઉમેર્યું,‘ભાવનગરમાં એવા કોઇ ઉમેદવાર પણ નથી, જેને મત આપવા આટલી દોડાદોડ કરવાનું મન થાય.’

Loading

...102030...4,2394,2404,2414,242...4,2504,2604,270...

Search by

Opinion

  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved