Opinion Magazine
Number of visits: 9871025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેલા ત્રીસ દિવસ… થોભો અને રાહ જુઓ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 June 2014

– પહેલા ત્રીસ દિવસ … થોભો અને રાહ જુઓ

– પ્રજાકીય સંકલ્પ : 'સુશાસન વાટે બંધારણીય સંસ્થાઓને મજબૂત કરીએ તો આવા 'કાળા દિવસ’ જોવા વેળ ન આવે’

સૌજન્ય : "ધ હિન્દુ" 28 જૂન 2014

૧૯૭પમાં દાખલ કરાયેલી કટોકટીનાં ૩૯ વરસ, અને નવી સરકારના ત્રીસ દિવસ : આ જોગાનુજોગના સંદર્ભમાં ત્યારના નવા સવા સંઘ પ્રચારક અને અત્યારના એવા જ નવા સવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું વિચારતા હશે એ જાણવાનું કૌતુક સ્વાભાવિક જ હતું. આ કૌતુકને તીવ્રતાનો વળ અને આમળો હમણેના દિવસોમાં એ કારણે પણ ચઢતો રહ્યો છે કે મનમોહનસિંહને હટાવ્યા પછી પણ નવી દિલ્હીમાં મૌનીબાબા બેઠા છે કે કેમ એવુંયે વિસ્મય થતું રહ્યું છે.

જો કે ૨૬મી જૂનના ઉપલક્ષ્યમાં મૌનભંગ તો નથી થયો પણ નમોના બ્લોગબોલ જરૂર સંભળાયા છે. એક વેળાના ભૂગર્ભ કાર્યકરથી માંડી ભાવિના ગર્ભમાં રહેલ વડાપ્રધાનપદ લગીની એમની યાત્રાન્તે જો કોઈ મંથનનવનીત જન સાધારણ જોગ સુલભ થયું હોય તો તે આ છે : લોકોએ દેશમાં સારા શાસન વાટે મજબૂત બંધારણીય સંસ્થાઓ સરજવાનો સંકલ્પ કરવો જોઈએ જેથી ફરીને આવા 'કાળા દિવસો’ જોવાવારો ન આવે.

કાળા દિવસો, બંધારણીય સંસ્થાઓ અને સુશાસન એ જે ત્રણ વાનાં અહીં લોક જોગ અધોરેખિત કરીને મુકાયાં છે એને જો અત્યારના દિવસોના સંદર્ભમાં મૂકીને જોઈએ તો?

નરેન્દ્ર મોદીને તહેદિલથી ફરિયાદ છે કે સામાન્ય રીતે કોઈ પણ સરકારને અપાય છે એવો 'હનીમુન’નો રાહતકાળ અમને નથી મળ્યો. અલબત્ત, એ નહીં મળવાના મૂળમાં એમણે બેબાક પ્રચારમારાથી જગવેલી અતિરેકી અપેક્ષાઓ પણ છે. પરંતુ, અત્યારે એમાં નહીં જતાં માત્ર એટલું જ નોંધીશું કે બંધારણીય સંસ્થાઓ અને સુશાસનના મુદ્દે આ ક્ષણે તો એમની બ્લોગકારી ખાલી ખાલી ખખડે છે.ઈન્દિરા ગાંધીએ ન્યાયતંત્ર પરત્વે એક આપ મુખત્યારી રવૈયો દાખવ્યો હતો એ જાણીતી વાત છે.

મોરારજી દેસાઈના નેતૃત્વમાં સત્તારૂઢ થયેલી જનતા સરકાર હસ્તક પાર પડેલું એક મોટું કામ લોકશાહી સંસ્થાઓના પુન:સંસ્થાપનનું હતું, અને મર્યાદાઓ છતાં ન્યાયતંત્રના દૃઢીકરણનું- કમ સે કમ, એનું ધોવાણ અટકાવવાનું – હતું. ન્યાયધીશોની નિમણૂકમાં સરકારી વહાલાંદવલાંવાદ યથાસંભવ ટાળી શકાય તે માટેની કોશિશ આ ગાળામાં ઓછેવત્તે અંશે રહી પણ છે. તે વિશે ફરિયાદ નથી, અને હજુ સુધારાવધારાને અવકાશ નથી એવું અલબત્ત નથી.

ગમે તેમ પણ, આ દિવસોમાં એક કાળના સોલીસીટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ‌યદે નહીં પહોંચવા દેવાનો સરકારી બેત જો કોઈ એક વાત સૂચવતો હોય તો તે એ છે કે સરકારને પોતાની શેહમાં ન આવી શકે એવી સ્વતંત્ર પ્રતિભાનો ખપ નથી. સુબ્રમણ્યમ બાબતે બીજા ગમે તે અને ગમે તેટલા મુદ્દા ઉછાળાય, જે એક ઘૂંટડો હાલની સરકાર કેમે કરીને ગળે ઉતારી નથી શકી તે એ છે કે ગુજરાત મોડલના બહુ ગાજેલા સોરાબુદ્દીન પ્રકરણમાં રાજ્ય સરકારની સંદિગ્ધ ભૂમિકા અને મંત્રી અમિત શાહની સંડોવણીને કાનૂની તપાસના દાયરામાં લાવવામાં એમનો નિર્ણાયક ફાળો હતો.

દેખીતી રીતે જ, જેમ તમે અને હું તેમ સુબ્રમણ્યમ પણ એક માત્ર માણસ છે. પણ એ મરી મરીને જીવનાર જણ નથી અને એણે સોરાબુદ્દીન ઉર્ફે ગુજરાત મોડલ પ્રકરણમાં પોતાની હયાતીનો પુરાવો આપ્યો છે. એમનું આ જમા પાસું એમને હાલના રાજકીય આકાઓની નજરમાં ગેરલાયક ઠરાવવા માટે પૂરતું છે. ગુજરાતમાં જસ્ટિસ આર.એ. મહેતાને લોકાયુકત પ્રકરણમાં 'ચલ ઉડ જા રે પંછી કે યહ દેસ હુઆ બેગાના’ જેવો વિષાદ અને વિરકિતનો ભાવ જગવ્યો હતો તે હજી તાજો ઇતિહાસ એટલે કે દૂઝતો જખમ છે.

હવે સી.બી.આઈ. / આઈ.બી. આદિ મારફતે પ્રેરિત પ્રચાર ચેષ્ટાઓ એવો જ એક માહોલ સરજે છે જ્યારે સ્વમાની સુબ્રમણ્યમ પોતે જ ન્યાયમૂર્તિ‌પદ માટેની પ્રક્રિયામાંથી હટી જવું પસંદ કરે. વસ્તુત: ન્યાયતંત્ર સાથે ઇન્દિરાઈ જે રીતે પણ પેશ આવી હતી એની વિગતો તેમ જ કટોકટીરાજ લગીની આખી પ્રક્રિયા જાણવાસમજવા જોગ છે. ઇન્દિરા ગાંધીના પુનરાગમ સાથે રફેદફે કરાયેલ શાહ તપાસ પંચના હેવાલ પછીની પેઢી, અને એ પરંપરામાં આવેલાં મોટી ઉંમરનાં બાળકો, તે દિવસો વિશે સુમાહિ‌તગાર નથી.

ગમે તેમ પણ એ 'કાળા દિવસો’ હતા અને અમે એકમાત્ર 'રૂપેરી કોર’ હતા એવો એક કેસ ઊભો થઈ રહ્યો છે. ઇતિહાસ જેમ 'કાળા દિવસો’ની નોંધ લેશે તેમ આ એકમાત્ર 'રૂપેરી કોર’ને પણ માપમાં મૂકી આપશે. જો કે, ન્યાય ખાતર કહેવું જોઈએ કે ઊગતા સૂરજને પૂજવાની ધાટીએ આપણાં માધ્યમો પશ્ચાદ્વર્તી ધોરણે મહિ‌મામંડન કરવામાં શૂરાંપૂરાં છે. ઇતિહાસ એમનો પણ ન્યાય કરશે. દરમિયાન, આપણે આ સૌ કટોકટી વિરોધના દાવેદારોની હાલની નીતિરીતિ તે મૂલ્યોની કસોટીએ તપાસવાનો નાગરિક ધર્મ બજાવતા રહેવું જોઈશે.

આ રીતે જોઈએ તો દેશનો વડો સત્તાપક્ષ, નાગપુરની દેખીતી સહમતિ સહ, પ્રમુખપદે જે નામ લગભગ ફાઈનલ કરી ચૂક્યાના હેવાલો છે એમાંથી સોડાતાં શીલ અને શૈલી 'હેબિયસ ર્કોપસ’ની એસી કી તેસીની તરજ પર ચાલતા કટોકટીવાદથી કઈ રીતે જુદાં છે તે કાબિલે તપાસ છે. ખરું જોતાં, જો કે, ૧૯૭પના જનતા મોરચા જનાદેશ અને ૧૯૭૭ના જનતા જનાદેશથી એના લાભાર્થી એવા ભાજપ અને બીજા પક્ષો કઈ હદે ભટકી ગયા છે એવી સમગ્ર તપાસ વગર આપણી વિકલ્પખોજને વિરામ નથી. દરમિયાન, હમણાં તો, બંધારણીય સંસ્થાઓને મજબૂત કરવા વાસ્તે નાગરિક છેડેથી શાસનસંભાળ લઈએ તો પણ ઘણું … વકટલેંડનો વૈભવ તો આપણો તે આપણો જ !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28 જૂન 2014

Loading

હરખ હવે તું હિન્દુસ્તાન

અાશા બૂચ|Opinion - Opinion|28 June 2014

હાશ ! છેવટ ભારતની જનતાએ ચોખ્ખી બહુમતીથી એક પક્ષને પોતાના દેશનો વહીવટ કરવાને માટે વરમાળા પહેરાવી દીધી. હવે નિરાંત. સરકાર માઈ બાપનું ભલું થાજો. હવે એઈને સહુને રોટલો, મીઠું માત્ર નહીં પણ માથે ઘી અને ગોળનો દડબું અને ડુંગળી પણ ખાવા મળશે. વળી, બધાયને એયને મજાનું રહેવાને ઘર અને હરવા ફરવાને એક એક વાહન પણ મળી જાશે પછી શેની ચિંતા ? કહું છું, હરખ હવે તું હિન્દુસ્તાન. જો કે અત્યાર સુધીમાં કેટલીક હકીકતો વાંચવામાં અને સંભાળવામાં આવી છે એનું સ્મરણ થતાં આ હરખને ગ્રહણ લાગ્યા વિના નથી રહેતું.

ભારત દેશમાં અંદાજે લગભગ 23 જેટલા કરોડાધિપતિઓ છે જેનો આનંદ થવો જોઈએ જેને આ હકીકત સામે મૂકી જુઓ : દેશની 25%થી પણ વધુ જનસંખ્યા ગરીબીની રેખા નીચે જીવે છે એટલે કે તમારા જ ચાર બાળકોમાંથી એક ભૂખ્યું, નાગું, ઘર વિનાનું, શિક્ષણ અને તબીબી સારવાર વિનાનું રઝળે છે. આઝાદીના સાડા છ દાયકા વીત્યા છતાં નિરક્ષરતા અને નબળું સ્વાસ્થ્ય એ મોટો પડકાર છે જેનાથી પેલા કરોડાધિપતિઓનાં સુંવાળા જીવનના તેઓ ભાગીદાર નથી બની શકતા.

વાઈબ્રન્ટ ગુજરાતના મોડેલનો ઉપયોગ હવે સમગ્ર દેશના વિકાસ માટે કરવાના આયોજનો થવા લાગ્યાં છે. પરિણામે વિદેશી કંપનીઓ લાખો-કરોડો ડોલર ખર્ચીને ભારતમાં ઉદ્યોગ-ધંધાઓ ચલાવશે અને આપણે માલેતુજાર થવાની ઝંખનામાં એ કંપનીઓમાં રોજી મેળવતા થઇ જઈશું. તો હવે આ હકીકત તપાસીએ : વિકાસ માટેની આ દિશા પકડવાને કારણે દેશી ઉદ્યોગ-ધંધાઓ પડી ભાંગશે અને કારીગરો તથા વેપારીઓ વિદેશી માલિકીના કારખાનાંઓ અને બહુ રાષ્ટ્રીય વેપારી કંપનીઓમાં વાણોતર તરીકે જિંદગી પૂરી કરશે જેમાં તેમના કાર્ય કૌશલ અને કુનેહનો ઉપયોગ ક્યાંથી થાય ? ગ્રામ્ય વિસ્તારના અને નાનાં શહેરના લોકોના રોજગારની તકો લૂંટી લઈને તેમને ‘અમે રોજગારીની નવી તકો આપીશું’ એમ કહીને શહેર ભણી જવા લલચાવે પણ છેવટ એ લોકોની તનતોડ મહેનતને કારણે ભારતના કેટલાક મેનેજર અને વિદેશી કંપનીઓના ડાયરેક્ટરના ખિસ્સાં દેશના કારીગરોના પગાર કરતાં સેંકડો ગણા પગારથી ભરાય તેનું શું ?

ભારતના ફેશન ડિઝાઈનરોનાં તૈયાર થયેલ કપડાં વિદેશમાં ખપે છે. દર વર્ષે કરોડો ડોલરની કિંમતનું કાપડ નિકાસ થાય છે. ગુચી, લુઈ વીટોં, શનેલ અને જ્યોર્જિયો આર્માની જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ  ધરાવતા સ્ટોર્સની શાખાઓ ભારતમાં ખુલવા માંડી છે. હવે આ સિદ્ધિને સામે પલ્લે એક બીજી સત્ય હકીકત મુકીને તપાસીએ : કરોડો ડોલરનું કાપડ નિકાસ થાય છે તો ભારતના જ લાખો લોકો ચીંથરેહાલ કાં ફરે ? અત્યંત મોંઘા દાટ સ્ટોર્સમાંથી ખરીદી કરનારા લાખોપતિ કોની ક્માઈનું ખાય છે ?

ગુજરાત આધુનિક ઉદ્યોગ-ધંધાઓ જેવા કે પેટ્રોલ, સિમેન્ટ હીરા વગેરેના વધતા જતા પ્રસાર માટે માત્ર દેશમાં જ નહીં બલકે પૂરા વિશ્વમાં સુવિખ્યાત બને છે. આ ઉપલબ્ધિની સામે બીજી એક સચ્ચાઈ જોઈએ : હવે ગુજરાતે મોહન (ભગવાન શ્રી કૃષ્ણ) અને મોહન (મો.ક. ગાંધી) બનાવવાનું બંધ કરીને આતંકવાદીઓ બનાવવાનું શરુ કર્યું છે તેનું શું ?  

બેંગ્લોર આઈ.ટી. અને કોલ સેન્ટર માટે જગ વિખ્યાત બન્યું છે તો એ સફળતાની સામે એક હકીકત જાણી લઈએ : કર્ણાટકના 27 જિલ્લાઓના રહેવાસીઓ એચ.આઈ.વી. એઈડ્સથી પીડાય છે. એક અંદાજ મુજબ હાલ પાંચથી દસ લાખ લોકો તેના શિકાર બન્યા છે. જો આ ભયાનક રોગ રોકવાનું કામ યુદ્ધના ધોરણે નહીં લેવામાં આવે તો આંકડો વીસથી પચીસ લાખ સુધી પહોંચી જવાની વકી છે.

હવે કેટલીક માનવ બુદ્ધિ અને સમજ શક્તિની વક્રતાઓ પણ જોઈએ. ભારતમાં અણુ શક્તિની સાથે અણુશસ્ત્રોના ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થાય છે. એક અણુ શસ્ત્રના વોર હેડનું  ‘સ્માઈલિંગ બુદ્ધ’ એવું નામાભિધાન કર્યું. અહિંસાના પરમ ઉપાસકનું નામ હિંસાના ચરમ વિનાશક શસ્ત્ર સાથે કેવી રીતે જોડી શકાય ? એવી જ રીતે યુ.એન.નું શાંતિદળ કે જે સશસ્ત્ર સેનાનું જ બનેલ હોય છે એ કહેવાતા શાન્તિ દળમાં ભારતનું પ્રદાન બીજા નંબરનું છે; આશરે 10,000 સૈનિકોનું. શાબ્બાશ ભારત દેશના સુકાનીઓ ! કદાચ તમે વિસરી ગયા હશો કે આ ભૂમિએ ગૌતમ બુદ્ધ, મહાવીર અને ગાંધી જેવા અહિંસાના પ્રબોધકો વિશ્વને ચરણે ધર્યા છે. મુંબઈ વાણિજ્ય, વેપાર, ક્રિકેટ અને હિન્દી ફિલ્મ માટે જગ વિખ્યાત બન્યું છે. સાથે સાથે દુનિયાનું પાંચમાં નંબરનું ગીચ વસ્તી ધરાવનાર શહેર છે અને ગંદકી તથા લાંચ રૂશ્વતનું પણ થાણું છે. ઇ.સ. 2005માં ભારતમાં લગભગ 13000 નવા લખપતિ થયા હોવાનું નોંધાયું જેમાંના મોટા ભાગના મુંબઈવાસી છે અને છતાં ધારાવી જેવી વિશ્વની સહુથી મોટી ઝુંપડપટ્ટી પણ ત્યાંની જ ઉપજ છે.

ભારતના 1.25 અબજ નાગરિકો એ વાતનો જરૂર હરખ કરી શકે કે અંબાણી જેવા ઉદ્યોગપતિઓ, લીકર અને એરલાઈનના માલિકો, તાતા ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ જેવી આઈ.ટી. કંપનીઓ, સાનિયા મિર્ઝા જેવા રમતવીરો, મીરા નાયર જેવા ફિલ્મ  નિર્માતાઓ, નામાંકિત હાર્ટ સર્જનો, સુનીલ મિત્તલ જેવા ટેલીકોમના રાજા જેવાઓના નામ પશ્ચિમી ઉદ્યોગ અને વેપારી જગતને થથરાવે છે. અરે એટલે જ તો બ્રિટન અને અમેરિકા આપણા દેશના માનવ અધિકાર ક્ષેત્રે અતિ શરમજનક ઇતિહાસ સામે આંખ આડા કાન કરીને પણ વેપારી કરારો કરવા સદા તત્પર રહે છે અને હસતું મોઢું રાખીને હસ્તધૂનન કરે છે. અફસોસ માત્ર એટલો જ છે કે આદિવાસીઓ, સ્ત્રીઓ, બાળકો, લઘુમતી કોમ અને ગ્રામવાસીઓ આ વિકાસ યાત્રાનું પુણ્ય મળે તેની રાહ છેલ્લા છ દાયકાથી જુએ છે એમની ધીરજ ખૂટી લાગે છે.

આ નવી સરકારને માથે ઉપર ગણાવી તે બધી સિદ્ધિઓનો હરખ તમામ નાગરિકોને થાય એવો વહીવટ આપવાની જવાબદારી આવી પડી છે. છે કોઈની પાસે જાદુઈ છડી ?

e.mail : 71abuch@gmail.com

Loading

નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ

સનત મહેતા|Opinion - Opinion|26 June 2014

– નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ

– વોરન બફેટ; ત્રેસઠ કંપનીઓનું અજબ ઢબે સંચાલન કરે છે, પ૦ વરસથી ત્રણ બેડરૂમના મકાનમાં રહે છે

ઉદારીકરણ અને નવતર મૂડીવાદના વ્યાપક ફેલાવા પછી ખાસ કરીને એશિયાઈ રાષ્ટ્રોમાં 'ક્રોની કેપિટાલિઝમ’ (સહભાગી મૂડીવાદ) શબ્દ અને પ્રથા બહુ વ્યાપક બન્યા છે. એના વિવિધ અર્થઘટન જોવા મળે છે. ઘણાને મૂડીવાદ, નવતર મૂડીવાદ અને સહભાગી વચ્ચેનો ભેદ સમજાતો નથી. વિકાસના મુખ્ય ક્ષેત્રો જેવા કે, માળખાકીય સગવડો, વીજ ઉત્પાદન, રાષ્ટૃીય ઘોરીમાર્ગ, ખનીજ આધારિત મોટા ઉદ્યોગો તેમ જ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં ખાનગીક્ષેત્રના પ્રવેશ પછી ઔદ્યોગિક વિકાસ અને સુવિધા માટે સરકાર પર આધાર રાખવો પડે છે.

પરિણામે સત્તા પરના રાજકીય નેતાઓને ઉદ્યોગના અવિધિસરના ભાગીદાર બની જવાની તક મળે છે. જમીન, ખનીજ, પાણી જેવી જરૂરિયાતો આવા સહભાગી કે ભાગીદારી મૂડીવાદને આસાનીથી મળે છે અને ધીમે ધીમે આવા મૂડીવાદીઓ પોતાને લાભ થાય એવા નીતિ વિષયક નિર્ણયો કરાવી કરોડ કે અબજપતિ બની જાય છે. પરિણામ એ આવે છે કે સીધી લીટી પર ચાલનારા કુશળ ઉદ્યોગોને પણ હરીફાઈમાં ટકવું મુશ્કેલ બને છે. આવા મૂડીવાદને ક્રોની અથવા સહભાગી મૂડીવાદ કહેવાય છે.

ભ્રષ્ટાચાર ફેલાવવામાં આ મુખ્ય ભાગ ભજવે છે. બીજી તરફ આવા હવામાનમાં પોતાની શકિત અને બુદ્ધિથી વિશ્વકક્ષાના ઉદ્યોગપતિ કે અબજોપતિ બનનારા પણ થોડા સાહસિકો છે. આમાં આજે વિશ્વમાં સૌથી મોટું નામ અમેરિકાના વોરન બફેટનું છે. વોરન બફેટ આજે વિશ્વના બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. એણે પોતાની જાત કમાણીમાંથી ૩,૧૦૦ કરોડ ડોલર એટલે ડોલરના ભાવ રૂ.૬૦ ગણીએ તો ૧,૮૬,૦૦૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. વોરને અગિયાર વરસની ઉંમરે જિન્દગીનો પહેલો શેર ખરીદ્યો હતો.

તો ય બફેટને લાગ્યું કે એણે આવી શરૂઆત મોડી આરંભી. અખબારના ફેરિયાની કામગીરી કરતાં કરતાં કરેલી બચતમાંથી ૧૪ વરસની ઉંમરે વોરને એક નાનું ખેતર ખરીદ્યું; કારણ, વોરન જાણતા હતા કે નાની બચતમાંથી મોટા કામ શક્ય બને છે. આ વાતને વરસો વીતી ગયાં પણ વોરન આજે પણ અમેરિકાના ઓમાહા નામના નાના શહેરમાં એ જ ત્રણ બેડરૂમના મકાનમાં રહે છે. જે એણે પ૦ વરસ પહેલાં એના લગ્ન થયા ત્યારે ખરીદ્યું હતું. વોરનને એની જરૂરિયાતો આ મકાન પૂરી પાડે છે.

એ કહે છે કે તમારી ખરેખર જરૂર હોય એટલું ખરીદો. એટલું જ નહીં વોરન બફેટ આજે પણ પોતાની ગાડી પોતે જ ચલાવે છે. ન એમની પાસે ડ્રાઇવર છે ન સિક્યુરીટીના માણસો. વોરન પાસે વિશ્વનું સૌથી મોટું જેટ વિમાન છે. પણ એ કદી ખાનગી જેટ વિમાનમાં મુસાફરી કરતા નથી. વોરન માને છે. પોતાની જરૂરિયાત કરકસરપૂર્વક મેળવી લેવી જોઇએ. વોરન બફેટની કંપની 'બર્કશાયર હાથવે’ ત્રેસઠ જેટલી કંપનીઓની માલિકી ધરાવે છે. વોરન પોતાની કંપનીઓના મુખ્ય સંચાલકોને દર વરસે માત્ર એક જ પત્ર લખે છે અને એ પત્રમાં વરસના લક્ષ્યાંક નક્કી કરી આપે છે.

એ એમની સાથે ન બેઠકો યોજે છે, ન નિયમિતપણે એમને સાથે ચર્ચા યોજે છે. એ માને છે કે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય કામ સોંપવું એ જ મુખ્ય સાચો માર્ગ છે. પોતાની ત્રેસઠ કંપનીઓના મુખ્ય સંચાલકો માટે વોરને બે નિયમ અમલ માટે નક્કી કર્યા છે. નિયમ નંબર : (૧) તમારા શેરધારકોનાં નાણાં ગુમાવશો નહીં. (૨) ઉપરનો પહેલો નિયમ કદી ભૂલવો નહીં. તમારા લક્ષ્યાંકો નક્કી કરો અને પછી સંચાલકો એના પર ધ્યાન કેન્દ્રિ‌ત કરો અને એની કાળજી રાખો. વોરન ઉચ્ચ કક્ષાનાં ટોળાં સાથે હળતા મળતા નથી.

એના ઘેર પહોંચ્યા પછી નવરાશ વેળાએ એ પોતાના માટે 'પોપ ર્કોન’ બનાવે છે અને ટીવી જુએ છે. તેઓ ન મોબાઇલ રાખે છે, ન એના ટેબલ પર કોમ્પ્યુટર હોય છે. પાંચ-છ વરસ પહેલાં, વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ બિલગેટ્સ પહેલીવાર વોરનને મળ્યા. બિલગેટને પોતાની અને વોરન વચ્ચે બહુ મેળ નહોતો ખાતો એટલે એણે અડધા કલાકની મુલાકાત માંગી : પણ બિલગેટ્સ વોરનથી એટલા પ્રભાવિત થયા કે અડધા કલાકની બેઠક ૧૦ કલાક ચાલી અને બિલગેટ્સ વોરનના અનુયાયી બની ગયા.

વોરન યુવકોને સલાહ આપે છે કે, ક્રેડિટ કાર્ડથી (બેંક લોનથી) દૂર રહો : તમારા પોતાનામાં જ રોકાણ કરો અને યાદ રાખો કે – નાણાં માનવીને પેદા નથી કરતાં પણ માનવીએ જ નાણાં પેદા કર્યા છે. શક્ય તેટલું સાદગીભર્યું જીવન જીવો. બીજા કહે એમ કરવાને બદલે એને ધ્યાનથી સાંભળો અને એમાંથી તમને સારું લાગે તેટલું સ્વીકારો. બજારની બ્રાન્ડવાળાં કપડાં પાછળ ન દોડો, પણ તમને જેવા સગવડભર્યું લાગે એ પહેરો. બિનજરૂરી ચીજો પાછળ નાણાં ન વેડફો, જેની ખરે જ જરૂરિયાત હોય તેમાં નાણાં ખર્ચો.

બીજા લોકોને તમારું જીવન નક્કી ન કરવા દો. જેની પાસે જીવનની બધી શ્રેષ્ઠ બાબતો હોય એ જ સૌથી વધુ સુખી હોય એવું હોતું નથી. ટૂંકમાં ક્રોની મૂડીવાદીઓ, કે અબજોપતિઓ કે મેનેજમેન્ટ ગુરુ કહેવરાવતા તજ્જ્ઞો કરતાં વોરન બફેટ અત્યંત સાદું જીવન જીવે છે. એની કંપનીઓનું સંચાલન એ સાવ અલગ રીતે કરે છે. બજારના શેરધારકોના નાણાંની પોતાના નાણાં જેટલી જ કાળજી લે છે. મોબાઇલ, ખાનગી જેટ વિમાન કે મોટા મહાલયોમાં રહેવા કરતાં પોતાના મકાનમાં વરસોથી રહે છે.

વિશ્વના શ્રીમંતોમાં વોરન બફેટ બીજા નંબરના સ્થાને પહોંચ્યા છતાં દાનમાં પાછળ પડતા નથી. દર વરસે વિશ્વના નામી અબજોપતિઓની બેઠક યોજી જાહેર કાર્યમાં દાન એકઠા કરે છે. અમેરિકા વૈશ્વિકમંદી સપડાયું ત્યારે પોતે સામે ચાલીને શ્રીમંતો પર વધુ કર નાંખવાની તરફેણ કરી હતી. વોરન બફેટના જીવનમંત્રને સમજીએ તો ક્રોની – એટલે સામાન્ય માનવી મૂડીવાદ વચ્ચેના પલભરમાં સાચા ખોટાનો ભેદ પામી શકે.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 26 જૂન 2014

Loading

...102030...4,0374,0384,0394,040...4,0504,0604,070...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved