Opinion Magazine
Number of visits: 9456867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્સ એજ્યુકેશન અને વસ્તીવધારો

સોનલ પરીખ|Opinion - Opinion|6 October 2024

બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી. જિંદગીનાં સુંદર રહસ્યો પછી બાળક વિકૃત રીતે જાણે છે. પોતાના કે અન્યના શરીરનો આદર કરતાં શીખતા નથી. સંતાનને મિત્ર બનાવીએ અને તેના મિત્ર બની શકીએ તો ખાનાખરાબી ઓછી થાય. ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’નું એક લક્ષ્ય સેક્સ એજ્યુકેશન અને પ્રજનન આરોગ્ય પણ છે

સોનલ પરીખ

ફરી એક વાર વિશ્વ જનસંખ્યા દિન આવ્યો ને ગયો. 1987માં વિશ્વની વસ્તી 5 અબજ થઈ ત્યારે થોડા ડર સાથે ફાઇવ બિલિયન ડે ઉજવાયો હતો. બે વર્ષ પછી ચેતવણીના સૂર સાથે વર્લ્ડ પોપ્યુલેશન ડે એટલે કે વિશ્વ જનસંખ્યા દિનની ઊજવણી શરૂ થઈ. આજે વિશ્વની વસ્તી 8.2 અબજ થઈ છે. આઝાદી મળી એ વખતે 34 કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં 2022ની વસ્તીગણતરી મુજબ 144 કરોડ લોકો થયા છે. 2050માં વિશ્વની વસ્તી 10 અબજ હશે અને તેમાં ભારતના 166 કરોડ લોકો હશે. આ આંકડા ચોંકાવનારા છે. સ્રોતોનો આડેધડ વપરાશ, આબોહવામાં ખતરનાક ફેરફારો અને વધતી ગુનાખોરી જેવાં મોટાં દૂષણો આની પાછળ ડોકાય છે.

એક મત એવો છે કે સેક્સ એજ્યુકેશન અને વસ્તીવધારાને સીધો સંબધ છે. સેક્સ એજ્યુકેશન અને સેક્સ ક્રાઇમ વચ્ચે પણ સીધો સંબધ છે. વિશ્વ જનસંખ્યા દિનની વિવિધ થીમ સમાનતા, સેક્સ એજ્યુકેશન, પ્રજનન આરોગ્ય, વસ્તીના વધારા સાથે વસ્તીના અજ્ઞાન અને અનારોગ્યને પણ તાકે છે. લાખો સગર્ભા સ્ત્રીઓ કુપોષણનો શિકાર છે. દોઢ કરોડ સ્ત્રીઓ 15થી 18 વર્ષની ઉંમરે મા બને છે. રોજની 800 સ્ત્રીઓ પ્રસૂતિને લીધે મૃત્યુ પામે છે. પરિવાર આયોજન, જાતીય શિક્ષણ, માનવ અધિકાર, પ્રજનન આરોગ્ય, બાળઉછેર, સ્ત્રીપુરુષ સમાનતા, બાળલગ્નો, ગર્ભનિરોધકોનો ઉપયોગ, જાતીય રોગો વગેરે વિષે જાગૃત થવું એ વિશ્વ જનસંખ્યા દિનનો હેતુ છે.

જો યોગ્ય સેક્સ એજ્યુકેશન અપાય તો આમાંના ઘણા પ્રશ્નો આપમેળે ઊકલી જાય. તેની અનિવાર્યતાને બધા સમજે છે, પણ એના વિષે ખૂલીને, વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વાત કરવા માબાપો કે શિક્ષકો કોઈ તૈયાર નથી. બીજી બાજુ કિશોરો અને તરુણોના હાથમાં એક ક્લિકે ખૂલી જાય તેવો વિકૃતિઓનો ખજાનો છે. ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા સવાચાર કરોડ છે એટલે કે નજીકના ભવિષ્યના સવાચાર કરોડ કુટુંબો. શરીરસંબંધો વિષેના આડેધડ આચારવિચાર એમને ક્યાં લઇ જશે?

વિચાર કરવા પ્રેરે એવી બે ફિલ્મો યાદ આવે છે. એક તો છે મરાઠી ‘બાલક-પાલક’ અને બીજી ‘ઓએમજી-2’

અવિનાશ, ડોલી, ભાગ્યેશ અને ચિઉ. મુંબઈની એક ચાલીમાં સાથે રમતાં અને એક જ શાળામાં એક જ વર્ગમાં ભણતાં આ બારતેર વર્ષનાં તોફાની બારકસોએ એક વાર વડીલોને મોઢે ચાલીની છોકરીએ ‘મોં કાળું કર્યું’ એવું સાંભળ્યું. વડીલોએ સરખા જવાબ ન આપ્યા એટલે એના અર્થની શોધ એમને ચાલીના જ ભણવામાં ઢ પણ બીજી બાબતોમાં ‘જ્ઞાની’ વિશુ પાસે લઇ ગઈ. વિશુએ એમને શરીરસંબંધો વિષે કહ્યું અને બ્લ્યૂ ફિલ્મ પણ બતાવી. ફિલ્મ બેત્રણ મિનિટની જ હતી ને તેમાં અધકચરાપણું ને વિકૃતિ સિવાય કઈં ન હતું. પણ આ ચારે સામે એક અજાયબ વિશ્વ ખૂલી ગયું. એક તરફ એ જોવા માટે એકાંત મેળવવાની ને છૂપું રાખવાની મુશ્કેલી અને બીજી તરફ મન પર કબજો કરી બેઠેલું અદમ્ય આકર્ષણ ને કુતૂહલ – આ બંને એમની પાસે જે ધમાલ, કારસ્તાન, ગોટાળા અને છબરડા કરાવે છે તે પ્રેક્ષકોને હસાવે તો છે, પણ હસતાંકૂદતાં તોફાનમસ્ત બાળકો નાની ઉંમરે નિર્દોષતા ગુમાવી અકાળે પુખ્ત થઈ જાય છે તેની કરુણતા પણ પ્રેક્ષકોને સ્પર્શે છે. બાળકોને પોતાને પણ ખ્યાલ આવે છે કે જે જાણતાં નહોતાં તે ખોટી રીતે જાણવા ગયાં તો બાળપણ, નિર્દોષતા અને મસ્તી ખોઈ બેઠાં. એ કદી પાછાં નહીં આવે. આ હતી ‘બાલકપાલક’ની કથા.

‘બાલક-પાલક’ 2013ની ફિલ્મ હતી અને ‘ઓએમજી-2’ 2023ની. એક દાયકામાં એક સાદી જેટલું પરિવર્તન આવી જાય એવા ઝડપી યુગમાં આપણે જીવીએ છીએ, પણ સેક્સ એજ્યુકેશનના મામલામાં બધું જ્યાં હતું ત્યાં જ છે. ‘ઓએમજી-2’માં એક છોકરો વિવેક સ્કૂલમાં બેભાન થઈ જાય છે. કારણ? રાતભર કરેલું હસ્તમૈથુન. તેણે કેમ એવું કર્યું? ‘સાઇઝ’ વધારવા. સ્કૂલના રેસ્ટરૂમમાં હસ્તમૈથુન કરતા વિવેકનો વીડિયો વાઇરલ થાય છે ને ઘર-પાડોશીઓ-શિક્ષકો સુધી પહોંચે છે. સ્કૂલ વિવેકને કાઢી મૂકે છે. ગામ છોડવા તૈયાર થયેલા શિવભક્ત પિતા સામે શિવનો દૂત આવે છે અને કહે છે કે અપરાધી વિવેક નથી. અપરાધી તો એની સ્કૂલ છે, જે સેક્સ એજ્યુકેશન આપતી નથી. પિતા કેસ ફાઇલ કરે છે અને સ્કૂલને અને પિતા તરીકે પોતાને દોષી સાબિત કરે છે. વિષય અત્યંત સંવેદનશીલ છે, પણ હાસ્યને મધ્યમ બનાવીને સરળ રીતે છતાં અસરકારકતાથી છેડાયો છે. તરુણ સંતાનનાં માતાપિતાની મૂંઝવણ અને નવી બાબતોને જાણવાની અને એનો અનુભવ લેવાની તરુણ માનસની જીદ આ બંને સમસ્યાઓ દરેક કુટુંબની છે.

આપણા દેશની સ્થિતિ એવી છે કે એક તરફ અસ્તિત્વ ટકાવવાની મુશ્કેલી છે, બીજી તરફ કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તી એ મુશ્કેલીમાં વધારો કરે છે, ત્રીજી તરફ રિપ્રોડક્ટિવ હેલ્થ અંગેનું હળાહળ અજ્ઞાન પ્રવર્તે છે. પરિણામે કિશોરવસ્થામાં જાતીય હિંસાનો ભોગ બનતી દર ત્રણમાંની એક કિશોરી, નાની ઉંમરે લગ્ન ને કુપોષિત સગર્ભાવસ્થા. ભારતમાં દર વર્ષે પોણાબે લાખ કિશોરો યુવાનીમાં પ્રવેશે છે. આમાંના 30 ટકા લગભગ અભણ છે. 50 ટકાએ રિપ્રોડક્ટિવ હેલ્થ જેવો શબ્દ સાંભળ્યો નથી. શિક્ષિત કિશોરો પણ હેરાન છે કેમ કે સેક્સ એજ્યુકેશન આજે પણ ભડકામણો અને પ્રતિબંધિત શબ્દ છે. શરીરમાં થતાં અજબ પરિવર્તનો હેરાન કરે છે. ઘરમાં કે શાળામાં વાત થઈ શકતી નથી. મિત્રો સમજ-અણસમજમાં ગોથાં ખાય છે. નઠારી માહિતીઓ ગોટાળે ચડાવે છે. ઈન્ટરનેટ નામની જાદુઇ ચાવી હાથવગી છે. એક જ ક્લિકથી ઢગલો પોર્ન સાઇટો ખૂલે છે. માતાપિતા આધુનિક હોય કે પરંપરાબદ્ધ, એ જ નિષેધોમાં અટવાય છે જે નિષેધોમાં એમનાં માતાપિતા અટવાતાં હતાં.

બંને ફિલ્મોએ એક બોલ્ડ વિષયને બહુ સતર્કતાથી છેડ્યો છે અને હસતાંરમતાં વાતની ગંભીરતા સમજાવી છે. ‘બાલક-પાલક’ની શરૂઆતમાં એક બારેક વર્ષના છોકરાના રૂમમાંથી નગ્ન તસવીરો મળે છે ત્યારે તેનો પિતા તેના પર હાથ ઉપાડે છે, ‘તને સગવડ આપવા ને સારું ભણાવવા અમે આટલું કરીએ છીએ અને તું આવું બધુ જુએ છે?’ ફિલ્મના અંતે આ છોકરાના પિતા એની માતાને કહે છે કે બાળકે ખોટું કર્યું તેમ તો આપણે કહીએ છીએ, તેને સજા પણ કરીએ છીએ, પણ શું સાચું છે તે કહેતા નથી.’ ફિલ્મના અંતે એક કાકા બહુ દુ:ખ સાથે કહે છે કે બાળકોએ જિંદગીનું કેટલું સુંદર રહસ્ય કેટલી વિકૃત રીતે જાણ્યું! માબાપને મિત્રો બનાવી શકાયા હોત તો આવી ખાનાખરાબી ન થાત.

મારી મિત્ર સીમા કહે છે, ‘મેં મારાં સંતાનોને કહ્યું છે કે મા-છોકરાં તો એક જ કહેવાય. કોઈ વાત ખરાબ છે, ન પુછાય એવું ન વિચારવું. પૂછી લેવું. કહેવા જેવું હશે તો હું કહીશ. પણ જો હું રાહ જોવાનું કહું તો તમારે રાહ જોવાની પણ આડાઅવળા ખાંખાખોળા નહીં કરવાનાં. સમય આવશે ત્યારે તમારે જાણવા જેવું મારી મળે કહીશ, ચોક્કસ કહીશ. ત્યાં સુધી ભણવાનું ને મઝા કરવાની.’

હૃદય પર હાથ મૂકીને એક ખાતરી કરી લેવા જેવી છે, આપણે આપણા સંતાનના મિત્ર છીએ ને?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 જુલાઈ  2024

Loading

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષઃ વિરોધી અને સમાવેશી દેશો વચ્ચે રસાકસી અને વૈશ્વિક રાજકારણનો અઘરો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 October 2024

ઇરાન માટે ઈઝરાયલને બતાડી દેવું એક જ ધ્યેય છે જ્યારે ઈઝરાયલને વૈશ્વિક સ્તરે સંબંધો સુધારી વિકાસ કરવો છે પણ ઈરાનના પ્રતિનિધિ આતંકી જૂથોની દાદાગીરી પણ નથી ચલાવવી

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે ઇઝરાયલ પર ઈરાને 180થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહના લીડર્સનો ખાત્મો બોલાવ્યો તેના જવાબમાં ઈરાને આ હુમલો કર્યો. તહેરાન, ઈરાનની રાજધાનીના, આ હિંસક પ્રત્યાઘાતથી ઘણાં લોકો ચોંકી પણ ગયા. આ તરફ ઇઝરાયલનો ચોખ્ખો હિસાબ છે, જે અમારી પર હુમલો કરશે, અમે તેમની પર હુમલો કરીશું. અત્યારે મધ્ય પૂર્વ પ્રદેશોમાં એટલો બધો તણાવ છે કે એક છમકલું થશે અને યુદ્ધના પડઘમ વાગવા માંડશે. આમ પણ ત્યાં પ્રાદેશિક યુદ્ધ છેડાઇ જ ગયું છે.

ઇઝરાયલના બચાવી હુમલા

ઇઝરાયલ અને લેબનાનના આતંકી જૂથ હિઝબુલ્લાહ વચ્ચે લાંબો સમયથી સંઘર્ષ ચાલે છે. હિઝબુલ્લાને તહેરાન, ઈરાનનો ટેકો છે. ઈરાન, ઇઝરાયલ, હમાસ, હિઝબુલ્લાહ અને હૌથીઝ – આ બધું એકબીજા સાથે બહુ જટિલ રીતે સંકળાયેલું છે. ઇઝરાયલમાં વિશ્વના સૌથી વધુ યહૂદીઓ – જ્યૂઝ વસે છે. ઇઝરાયલની સરહદ પરના જે દેશો છે તેની સાથે ઇઝરાયલને બહુ બનતું નથી, વળી જેરુસલામ અને વેસ્ટ બેન્કના હિસ્સાઓ, ઇઝરાયલે અરાજકતા ફેલાવીને કબજામાં લીધા છે – અહીં પેલેસ્ટીની આરબો વસે છે. ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યો તેને પણ લગભગ એક વર્ષ થવા આવ્યું અને લેબનાન સાથે યુદ્ધ વિરામની વાતચીત ચાલુ હતી ત્યાં ઇઝરાયલે ક્લસ્ટર બોમ્બ ઝીંકીને લેબનાનમાં હિઝબુલ્લાહના વડા મથકનો ખાત્મો બોલાવી દીધો. ઈરાન અને ઇઝરાયલ બને ત્યાં સુધી એક બીજા પર સીધો હુમલો કરવાનું ટાળતા આવ્યા છે પણ હવે સંજોગો બદલાઇ ગયા છે. ઇઝરાયલે પેજર અને વૉકીટૉકીમાં ધડાકા કર્યા, 37ના મોત થયા અને હિઝબુલ્લાહે જવાબ વાળ્યો.

ઈરાનના વતી લડતા હિઝબુલ્લાહ, હૌથીઝ, હમાસ

હિઝબુલ્લાહ લેબનાનનું સૌથી શક્તિશાળી સશસ્ત્ર આતંકવાદી જૂથ છે અને તે ઈરાનનું ટેકેદાર છે, તેના જે હમાસ જેવા પેલેસ્ટીની જૂથને ટેકો આપે છે. વળી ઈરાનના પ્રોક્સિમાં યમનના હૌથીઝ પણ છે. ટૂંકમાં હૌથીઝ, હિઝબુલ્લાહ અને હમાસ – ત્રણેય ઈરાનના ટેકેદાર – તેની અવેજીમાં અથવા તેના વત્તી લડી લે એવા આતંકી જૂથ – ઈરાનના પ્રતિનિધિઓ (પ્રોક્સીઝ) છે. હમાસે ઇઝરાયલમાં ગયા વર્ષે હુમલા કર્યા અને ઇઝરાયલે તેનો જવાબ વાળવાનું શરૂ કર્યું. મધ્ય પૂર્વ એશિયામાં ઇઝરાયલ અને મેડિટરેનિયન સમુદ્ર અને ઇજિપ્તની વચ્ચે સેન્ડવીચ થયેલી ગાઝા પટ્ટી જ બધા સંઘર્ષનું મૂળ છે. હમાસ, 2006ની પેલેસ્ટીનની ચૂંટણી જીત્યા બાદ ગાઝા પટ્ટી પર શાસન કરે છે અને યુનાઇટેડ કિંગ્ડમ સહિતના ઘણા દેશોએ હમાસને આતંકી જૂથ જ ગણાવ્યું છે. ગાઝા પટ્ટી પર રહેતા પેલેસ્ટીનીઓનો ઇઝરાયલ સાથે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો આવ્યો છે. ઇઝરાયલે જ્યારે જ્યારે હુમલા કર્યા છે ત્યારે આતંકી જૂથોને ટાર્ગેટ કર્યા છે અને એ બધા ઈરાનના ટેકેદાર હોવાથી તેઓ પોતાની રીતે સામે જવાબ વાળતા રહે છે. જેમ કે યમનના હૌથીઓએ રાતા સમુદ્રમાં શિપિંગ પર હુમલા કર્યા અને કહ્યું કે તેઓ ઇઝરાયલ અને તેને ટેકો આપનારા પશ્ચિમી દેશો પર દબાણ લાવવા માગે છે.

ચીન, રશિયા, યુ.એસ. અને ઇરાન–ઇઝરાયલ સંઘર્ષ

ઈરાનના હુમલાઓ માત્ર ઇઝરાયલ નહીં પણ તેના પશ્ચિમી ટેકેદારો સાથેના સંઘર્ષની શક્યતાઓ પણ ખોલી નાખે છે. ઈરાન અને તેને ટેકેદારોને રશિયા અને ચીનનો ટેકો છે તો ઇઝરાયલને યુ.એસ.નો ટેકો છે. મોસ્કોએ ઈરાનને ફાઇટર જેટ્સ મોકલવાનું વચન આપ્યું છે કે તો ઇઝરાયલને અમેરિકાએ લશ્કરી અને રાજદ્વારી ટેકો પૂરો પાડ્યો છે. મોસ્કોએ યુક્રેઇન પર જે હુમલો કર્યો તેમાં ઇરાની શસ્ત્રો ખરીદાયા અને આમ ઈરાનને આર્થિક ટેકો મળ્યો.

ઇઝરાયલે અત્યારે એક કરતાં વધુ મોરચે લડે છે – ગાઝામાં સંઘર્ષ ચાલુ છે, ઇરાની શસ્ત્રો અને લોકલ આતંકીઓના ટેકાથી વેસ્ટ બેંકમાં થઇ રહેલા આતંકી હુમલાઓને નાથવા ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ કામે લાગેલી છે. ઈરાનના બીજા પ્રોક્સી જૂથો – શિયા આતંકીઓ ઇરાક અને સીરિયામાં તો હૌથીઓ યમનમાં ઇઝરાયલ પર હુમલા કરી રહ્યા છે જ્યાં યુ.એસ.ના ટેકાથી ઇઝરાયલે જવાબ આપ્યો છે.

ઈરાને લીધેલું જોખમ અને લેબનાની લોકો

આ તમામમાં ગાઝા, લેબનાનમાં જે થઇ રહ્યું છે તે અગત્યનું છે, ગયા વર્ષે હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને 200 ઇઝરાયલીઓનું અપહરણ કરીને હિઝબુલ્લાહની સાથે મળીને ઇઝરાયલને રંજાડ્યું. ઇઝરાયલે તેનો જવાબ આપ્યો છે. હવે જ્યારે ઈરાને હુમલો કર્યો છે ત્યારે ઇઝરાયલ તેનો જવાબ કેવી રીતે આપશે એ જોવું રહ્યું. ઈરાને પોતાના શાસક – જે પ્રમુખ નથી પણ ઉચ્ચ નેતા છે એવા આયાતોલ્લાહ ખોમાનીને સલામત સ્થળે ખસેડી દીધા છે કારણ કે તેમની હત્યા થશે તો ઈરાનમાં અંદરોઅંદર જ ભારે અફરાતફરી મચી જશે. ઈરાન હુમલા કરે છે પણ તેને ડર છે કે ઇઝરાયલ ચાહે તો યુ.એસ. સાથે મળીને ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, આર્થિક સંસ્થાનો, ન્યુક્લિઅર તંત્ર અને તેલના ભંડારોને નિશાને લેશે તો તેમનું આવી બનશે. ઈરાનને આ ચિંતા છે તો ઇઝરાયલ માટે એકથી વધુ મોરચા ખૂલી ગયા હોવાનું દબાણ છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નાસરઅલ્લાહને પતાવી દીધો એમાં ઈરાનનો દબદબો ઘટ્યો અને લેબનાન અને આરબ વર્લ્ડના લોકો આનાથી ખુશ છે કારણ કે હિઝબુલ્લાહે લેબનાનમાં અસ્થિરતા ફેલાવી હતી, હવે લેબનાનનો જે હિસ્સો હિઝબુલ્લાહના કબ્જામાં છે તેને ત્યાંનું સૈન્ય પોતાના તાબામાં લઇને શાંતિ સ્થાપી શકે. તેઓ ગાઝા જેવું લેબનાનમાં થાય તે નથી ઇચ્છતા.

વૈશ્વિક પરિપ્રેક્ષ્ય – સમાવેશી અને વિરોધી જૂથ

ખરેખર તો યુક્રેન, ગાઝા અને લેબેનનની સ્થિતિને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવી જરૂરી છે. યુક્રેનને રશિયાની કક્ષામાંથી છૂટીને યુરોપિયન યુનિયનમાં જવું હતું. સાઉદી અરેબિયા અને ઇઝરાયલ મધ્ય પૂર્વમાં સંબંધો સારા કરીને તેમનો મોટા મંચ પર, વૈશ્વિક સ્તરે સ્વીકાર થાય તે દિશામાં કામ કરતા હતા. રશિયા નહોતું ઇચ્છતું કે યુક્રેઇન NATOનો – પશ્ચિમી જૂથનો હિસ્સો બને તો ઇઝરાયલ સાઉદી અરેબિયા સાથે સંબંધ સુધારે એવું ઈરાન, હમાસ અને હિઝબુલ્લાહ નહોતા ઇચ્છતા. યુક્રેઇન યુરોપમાં જોડાય તો રશિયા એકલું પડે અને ઇઝરાયલ સાઉદી સાથે સારાસારી કરી લે તો ઈરાન હાંસિયામાં ધકેલાઇ જાય. વૈશ્વિક રાજકારણમાં બે ભાગલા છે, એક છે કોએલિશન ઑફ ઇન્ક્લુઝન –એટલે કે યુ.એસ. સાથે આર્થિક વિકાસ અને ક્લાઇમેટ ચેન્જ જેવા પડકારો માટે જોડાવા માગતા દેશો. બીજી માનસિકતા છે કોએલિશન ઑફ રેઝિસ્ટન્સ – જેના સુકાની છે રશિયા, ઈરાન, નોર્થ કોરિયા જે યુ.એસ.ના સંગઠનનો વિરોધ કરે છે, સરમુખત્યાર શાહીને ટેકો આપે છે અને સૈન્યની તાકતને ન્યાયી ગણે છે. ચીન આ બન્ને વચ્ચે ભેરવાયો છે કારણ કે આર્થિક રીતે તે ઇન્ક્લુઝન – સમાવેશ વાળા જૂથ સાથે છે પણ સરમુખત્યાર મૂલ્યોને મામલે તે રેઝિસ્ટન્સ – વિરોધના જૂથ તરફી છે. નેતન્યાહુએ સમાવેશ અને વિરોધી જૂથ વચ્ચેની ખાઇ દર્શાવીને, ઈરાન અને તેના આતંકી સાથી પ્રતિનિધિ (પ્રોક્સી) જૂથો જ બધી સમસ્યાઓનું મૂળ છે એમ કહેવાનો પ્રયાસ પણ કર્યો. જો ઇઝરાયલી અને પેલેસ્ટીની સંઘર્ષ વાટાઘાટથી ઉકેલાઇ જાય તો ઈરાન અને વિરોધી જૂથો ઓર નબળા પડે. આ તરફ  હિઝબુલ્લાહના ખાત્માને પોતાની સફળતા ગણી નેતન્યાહુ પેલિસ્ટીનીઓ સાથે શાંતિ માટે વાટાઘાટ કરે તો ઇઝરાયલના જમણેરી ટેકેદારોને વાકું પડે એ ચોક્કસ પણ રશિયા, ઈરાન, હમાસ, હિઝબુલ્લાહને ચોક્કસ ફટકો પડે.

ઈરાનમાં આંતરિક મતભેદ

ઈરાન માટે ઇઝરાયલ સામે લડવું તેની રાજકીય ઓળખ છે, યુ.એસ. અને ઇઝરાયલનો વિરોધ ઈરાનના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. ઈરાન પર ધર્મગુરુઓ અને સૈન્યની મિલી ભગતનું શાસન છે. ત્યાંના સામાન્ય માણસોને આ તાયફાઓમાં રસ નથી, તેમને લોકશાહી અને વિકાસ જોઇએ છે. ત્યાંના લોકો બની બેઠેલા ઠેકેદારોના યુ.એસ. વિરોધી વલણને પડકારે છે. પણ એ માટે પ્રતિનિધિ આતંકી જુથોને કાબૂમાં લેવા જરૂરી છે જે સૈન્ય-ધર્મનું શાસન નહીં થવા દે. ઈરાને આ મિસાઇલ્સનો હુમલો ન કર્યો હોત તો વિરોધની ધરી – એક્સિસ ઑફ રેઝિસ્ટન્સમાં તેને કોઇ ગણકારત નહીં. ઈરાનના નવા પ્રમુખ માસુદ પેઝશ્કિયનને પશ્ચિમ સાથે સંબંધો સુધારવા છે પણ આંતરીક પ્રાદેશિક સંઘર્ષ, ઇઝરાયલ – હમાસ યુદ્ધમાં ઈરાનનું જોડાઇ જવું આમ થવા નથી દેતું. આ તરફ ઈરાન હવે ઇઝરાયલ સાથે લડી લેશે એમ બતાડે છે અને જો એમ થયું તો તે યુ.એસ.ના નેવલ એસેટ્સને નિશાને લેશે જેની અસર વ્યાપાર અને સલામતી પર પડશે તે પણ વૈશ્વિક સ્તરે. ઇઝરાયલ ઈરાનના હુમલાનો કચકચાવીને જવાબ વાળશે જ એ ઈરાન જાણે છે. આ તરફ ઇઝરાયલનો એજન્ડા છે કે યુ.એસ.માં સરકાર બદલાય એ પહેલાં આ યુદ્ધ અડધે પહોંચી જાય તો સારું કારણ કે જે સરકાર આવશે એ પ્રમાણે ઇઝરાયલે વલણ બદલવું પડશે. વળી યુ.એસ.માં સરકાર બદલાશે તેના આધારે પુતિનની આગલી ચાલ નક્કી થશે.

ઇઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસને નબળા પાડ્યા હોવાથી તે પૂરી રીતે લડી લેવાના ઝોનમાં છે પણ હિઝબુલ્લાહ પોતાનું જોર બતાડવા પ્રયાસ કરે એવી વકી છે. આવામાં ઈરાન અને ઇઝરાયલ બન્નેએ વાટાઘાટોની શક્યતા પાંખી રાખી છે, યુ.એસ.નું યોગદાન શાંતિ સ્થાપવા માટે અગત્યનું સાબિત થઇ શકે છે.

બાય ધી વેઃ  

આ બધાંની વચ્ચે આપણે, ભારતે તલવારની ધારે ચાલવાનું છે. આતંકી જૂથો પર ઇઝરાયલ હુમલો કરે તો ભારતને કંઇ ફેર નથી પડતો એ સ્પષ્ટ છે છતાં પણ પેલેસ્ટીન અને ઇઝરાયલ સાથે સંતુલિત સંબંધો રાખવા પણ જરૂરી છે. ઈરાને ઇઝરાયલ અને હિઝબુલ્લાહના ઝગડામાં સીધું ઝંપલાવ્યું છે એટલે ભારત માટે રાજદ્વારી પડકારો ખડા થયા છે. પશ્ચિમ એશિયામાં 9 મિલિયન ભારતીયો રહે છે અને તેમની સલામતીની જવાબદારી તો ભારત સરકારે લેવી જ પડે. પૂર્વ એશિયા પર ભારતનો તેલ અને ગેસ માટે આધાર છે પણ આ સંઘર્ષને પગલે જો એ પુરવઠો મેળવવામાં ઘોંચ પડી તો ભારતને ઊર્જા સલામતીના પ્રશ્નો થશે અને ક્રૂડ ઓઇલના ભાવ પણ વધી જશે. પશ્ચિમ એશિયા સાથે જોડાયેલા આતંકી હુમલાઓમાં ભારત પહેલાં પણ વગર વાંકે સંડોવાયું છે, જેમ કે 2012માં ઇઝરાયલી ડિપ્લોમેટનાં પત્ની પર દિલ્હીમાં હુમલો થયો હતો. આવું ફરી ન થાય તેની કાળજી ભારતે રાખવી જ રહી. અત્યારે તો ભારતે કોઇ પ્રતિક્રિયા આપી નથી પણ ભૂતકાળમાં વધતા તણાવ અને હિંસાને ડામવા પગલાં લેવા જોઇએ એમ કહ્યું છે. અત્યારે ભારત કઇ રીતે વાટાઘાટ કરીને બન્ને બાજુ સંબંધ સાચવી શકે છે તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2024

Loading

માણસ બનો, નાગરિક બનો

રમેશ ઓઝા|Opinion - Opinion|6 October 2024

રમેશ ઓઝા

આ લેખ લખવા પાછળનો હેતુ કોઈને ઊંચા કે નીચા દેખાડવાનો નથી. એ જ રીતે આ લેખ લખવા પાછળનો હેતુ પશ્ચિમ એશિયામાં એક વરસથી ચાલી રહેલા યુદ્ધનું સમર્થન કે નિંદા કરવાનો પણ નથી. નિંદા તો દરેક યુદ્ધની કરવી જોઈએ, પણ લોકો સ્વબચાવના નામે યુદ્ધનું સમર્થન કે બચાવ કરતા હોય છે જે રીતે અમેરિકા ઇઝરાયેલનો બચાવ કરે છે. આ લેખ લખવા પાછળનો હેતુ ભારતનાં હિંદુ અને મુસલમાનોને જગતની અને માનવ સભ્યતાની કોરી વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનો છે, જેથી એ કશુંક શીખવા ઈચ્છતા હોય તો શીખી શકે. મારા વાચકોને મારાં લખાણો વાંચીને એટલું તો ધ્યાનમાં આવ્યું હશે કે મારો ઉદ્દેશ હંમેશાં માણસની અંદર રહેલી માણસાઈને જગાડવાનો હોય છે અને માણસાઈ ધર્મ કે બીજી કોઈ પણ ઓળખથી નિરપેક્ષ છે. હું કાઠિયાવાડી ભાષામાં કહું તો પાથીએ પાથીએ તેલ નાખતો રહું છું. તેની કોઈ અસર થાય છે કે નહીં, રામ જાણે.

ઇઝરાયેલ સાથેનું યુદ્ધ શરૂ થયું તેને સાતમી ઓકટોબરે એક વરસ પૂરું થશે અને તમે જુઓ છો કે જય કે પરાજય કોઈનો ય થયો નથી. અહીં એ નિમિત્તે આપણે શું ધડો લેવો જોઈએ એની વાત કરવી છે.

યહૂદીઓ પર શું વીત્યું એ તમે જાણો છો, એટલે તેની વિગતોમાં જવાની જરૂર નથી. બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલ નામના યહૂદીઓ માટેના રાષ્ટ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. યહૂદીઓ સદીઓથી પોતાનાં મૂળ વતનમાં જઇને વસવા ઝૂરતા હતા અને અમેરિકા અને યુરોપના ખ્રિસ્તીઓ યહૂદીઓથી પોતાનો પીંડ છોડાવવા માગતા હતા. યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે અણગમો અને અથડામણનો લાંબો ઇતિહાસ છે. વિજેતા રાષ્ટ્રો વિજેતા હતા, સમૃદ્ધ હતા અને પોતાને વિશ્વમાં સૌથી વધુ સભ્ય ગણાવતા હતા એટલે પેલેસ્ટાઇનનું પેટ ચીરીને તેની અંદર ઇઝરાયેલની સ્થાપના કરવામાં પેલેસ્ટાઇનનાં લોકોની મરજી કે રાજીપાની ચિંતા કરવાની જરૂર તેમને નહોતી લાગી. જો એવી થોડી તસ્દી લીધી હોત તો છેલ્લાં ૭૫ વરસથી બન્ને બાજુએ લોહી રેડાઈ રહ્યું છે એ કદાચ નિવારી શકાયું હોત.

પણ સંખ્યાની, લશ્કરી કે આર્થિક શક્તિની તાકાત ધરાવનારાઓ એટલા મુશ્તાક હોય છે કે તેમને આવી કોઈ જરૂર લાગતી નથી. કોઈને વિશ્વાસમાં લેવા જેટલી સાદી માણસાઈજન્ય સભ્યતા દાખવવી એ તેમને નબળાઈ લાગે છે. તેઓ દાદાગીરીને મર્દાનગીમાં ખપાવે છે જેની કિંમત દાયકાઓ સુધી સામાન્ય લોકો ચૂકવે છે.

૧. અહીં ભારતનાં હિંદુઓ માટે એક ધડો :

કેટલાક હિંદુઓ ભારતમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગે છે. જે લોકો ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે તેમણે સો વરસમાં ક્યારે ય વિધર્મીઓ સાથે સંવાદ કર્યો કે તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર કેવું હશે અને તેમાં વિધર્મીઓનું શું સ્થાન હશે? શા માટે તેમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા? આનું કારણ સંખ્યાની ખુમારી હોય તો એ ખોટી ખુમારી છે. એક તો એ કે દરેક હિંદુ હિંદુ રાષ્ટ્રનો પુરસ્કર્તા નથી. તેના સમર્થકો કરતાં વિરોધ કરનારા હિંદુઓ વધારે છે. બીજું એ કે કોઈને કાયમ માટે દબાવીને રાખી શકાતા નથી, પછી એ બહુમતીમાં હોય કે લઘુમતીમાં. ઇઝરાયેલ અત્યંત શક્તિશાળી દેશ છે પણ ઇઝરાયેલમાં ભાગ્યે જ કોઈ યહૂદી ભય વિના જીવતો હશે. બીજી બાજુ ઇઝરાયેલમાં જેટલી યહૂદીઓની વસ્તી છે તેનાં કરતાં તેનાં અસ્તિત્વને નકારનાર પડોશી મુસ્લિમ દેશોની મળીને મુસ્લિમ વસ્તી અનેક ગણી છે. નથી મુસલમાનોની સંખ્યા નિર્ણાયક વિજય અપાવતી કે નથી ઇઝરાયેલની લશ્કરી અને આર્થિક તાકાત નિર્ણાયક વિજય અપાવતી.

તો તાકાત ક્યાં છે? તાકાત માણસાઈમાં છે. એકબીજાને સાંભળવામાં છે, સમજવામાં છે, સંવાદ કરવામાં છે, વિશ્વાસમાં લેવામાં છે, આપ-લે કરવામાં છે, સહઅસ્તિત્વની સંભાવનાઓ શોધવામાં છે. આ નબળાઈ નથી. તમે જોઈ રહ્યા છો કે પશ્ચિમ એશિયામાં દરેક પ્રકારની તાકાત નિષ્ફળ નીવડી છે. કોઈ શાંતિથી જીવી નથી શકતું. આની જગ્યાએ પેલેસ્ટેનીઓને વિશ્વાસમાં લીધા હોત તો?

હવે બીજી વાત :

૨૦૧૯નાં આંકડા મુજબ ઇઝરાયેલની કુલ વસ્તી ૯૮ લાખ છે જેમાં યહૂદીઓની સંખ્યા ૬૭ લાખ છે. ૩૦ લાખ મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય કબીલાઈ પ્રજા છે જેમાંથી મુસ્લિમ અને કબીલાઈઓને ખદેડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલની સ્થાપના જ્યાં કરવામાં આવી છે એ પશ્ચિમ એશિયામાં મુસલમાનોની કુલ વસ્તી ૩૫ કરોડની છે. કેટલી? ૩૫ કરોડ. ક્યાં ૬૭ લાખ અને ક્યાં ૩૫ કરોડ! આ સિવાય ખનીજ તેલની આવકને કારણે એ દેશો આર્થિક રીતે પ્રમાણમાં સમૃદ્ધ છે. ટૂંકમાં પશ્ચિમ એશિયામાં મુસ્લિમ અને યહૂદી વસ્તીનું પ્રમાણ અનુક્રમે ૯૮:૨ છે. આમ છતાં ય આપણે જોઈએ છીએ કે મુસ્લિમ દેશો ઇઝરાયેલને પરાજિત કરી શકતા નથી. અત્યાર સુધીમાં દસેક નાનાં-મોટાં યુદ્ધો થયાં છે જેમાં મુસ્લિમ દેશોનો એક પણ વાર વિજય થયો નથી.

બહુ સંક્ષેપમાં જણાવી દઉં કે શું ચાલી રહ્યું છે. ઇઝરાયેલની સ્થાપના થઈ એ પછીથી લગભગ ૧૯૯૦ સુધી આરબ-ઇઝરાયેલ અથડામણ સુન્ની મુસ્લિમ દેશો અને ઇઝરાયેલ વચ્ચે ચાલતી હતી. શિયાઓની વસ્તી ધરાવતું ઈરાન યુદ્ધમાં તો જોડાતું નહોતું, ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધ ધરાવતું હતું. ઈરાનમાં પહેલવી વંશના છેલ્લા રાજા મહમ્મદ રઝા શાહનું શાસન હતું અને તે અમેરિકાના ખોળામાં હતો. ૧૯૭૯માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને આયાતોલ્લાહ ખોમૈની(શિયા ધર્મગુરુ)નું શાસન આવ્યું. ઈરાનની અમેરિકા સાથે અથડામણ શરૂ થઈ અને ખૌમેનીએ અમેરિકા અને ઇઝરાયેલને શેતાનનાં રાષ્ટ્ર જાહેર કર્યાં અને તેને નકશામાંથી મિટાવી દેવાનો સંકલ્પ જાહેર કર્યો.

૧૯૯૦ પછી જગત બદલાવા લાગ્યું. અમેરિકાની મધ્યસ્થીથી પહેલાં ઇઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે સમજૂતી થઈ અને ૧૯૯૩માં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન લીબરેશન ઓર્ગેનાઈઝેશન વચ્ચે સમજૂતી થઈ. સામ્યવાદી દેશોનું પતન થયું અને વૈશ્વિક રાજકારણમાં સ્વાર્થની નવી રેખાઓ ખેંચાવા લાગી, નવાં સમીકરણો રચાવા લાગ્યાં. રશિયા, ચીન અને ઈરાન અલગ અલગ અને ક્યારેક અનૌપચારિક રીતે મળીને અમેરિકાને પરેશાન કરવા માંડ્યા. આ ત્રણ મળી જાય એવી પણ અમેરિકાને અને ઇઝરાયેલને ફાળ છે. ઈરાને ધીરે ધીરે ઈરાક, સિરિયા, યમન, લેબેનોન, પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીમાં શિયા મુસલમાનોની ધરી રચી જે એક્સીસ ઓફ રેઝિસ્ટન્સ તરીકે ઓળખાય છે. અહીં દરેક જગ્યાએ હમાસ, હિજબુલ્લાહ, હોથિસ જેવા ત્રાસવાદી અથવા મીલીશિયા જૂથોને ઈરાન મદદ કરે છે અને કદાચ વાયા ઈરાન રશિયા પણ મદદ કરે છે. ઈરાને અક્ષરસઃ ઇઝરાયેલને ઘેરી લીધું છે.

પણ એ પ્રદેશના સુન્ની દેશો શું કરે છે? પહેલા ઈરાન તમાશો જોતું હતું અને અત્યારે સુન્ની દેશો તમાશો જોઈ રહ્યા છે. શિયા અને સુન્નીઓ ઇઝરાયેલ અને યહૂદીઓ સામે જેટલી દુશ્મની અને નફરત ધરાવે છે એનાં કરતાં ઘણી વધુ પરસ્પર ધરાવે છે. શિયાઓને સુન્ની દીઠ્યા ગમતા નથી અને સુન્નીઓને શિયા દીઠ્યા ગમતાં નથી.

૨. અહીં ભારતનાં મુસલમાનો માટે એક ધડો :

ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે, સંપૂર્ણ ધર્મ છે, જગત ઇસ્લામમાં માનનારાઓ અને નહીં માનનારાઓ વચ્ચે વહેંચાયેલું છે અને બાકીની બધી ઓળખ ગૌણ છે, નહીં માનનારાઓની ભૂમિ દારુલ હર્બ છે ને તેને દારુલ ઇસ્લામ(ઇસ્લામમાં માનનારાઓની ભૂમિ)માં પરિવર્તિત કરવી એ પ્રત્યેક મુસલમાનની ફરજ છે, ઇસ્લામ અને મુસ્લિમ હોવા સિવાયની દરેક ઓળખ ગૌણ છે, મુસલમાન ભૌગોલિક રાષ્ટ્રીયતા નથી ધરાવતા વૈશ્વિક રાષ્ટ્રીયતા (પાન ઇસ્લામીઝમ) ધરાવે છે અને જગતના તમામ મુસલમાનો એક છે (વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ) વગેરે જે દાવા કરવામાં આવે છે તેનું શું થયું? ૩૫ કરોડ મુસલમાન ૬૭ લાખ યહૂદીઓને પરાસ્ત નથી કરી શકતા! ક્યાં ગયાં વૈશ્વિક રાષ્ટ્રીયતા, વૈશ્વિક બંધુત્વ અને મુસ્લિમ એકતા? ભારતનાં મુસલમાનોએ આ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ. ભારતથી અલગ થયા પછી માત્ર પચીસ વરસમાં પાકિસ્તાનનાં બે ફાડિયાં થયાં અને બન્ને બાજુ મુસલમાન હતા.

જે એકતા ઇતિહાસમાં ક્યારે ય સિદ્ધ થઈ નથી તેની વાતો કરીને ભારતનાં મુસલમાનો હિંદુ કોમવાદીઓને ઝૂડવા માટે હથિયાર આપે છે. પેગંબરના અવસાન પછી માત્ર ત્રણ દાયકામાં શિયા અને સુન્ની એમ બે ભાગલા પડ્યા હતા અને તેમાં પેગંબરના વારસોનું લોહી રેડાયું હતું. ક્યા છે એકતા? ક્યારે હતી એકતા? એક તો ઉદાહરણ બતાવો. હિંદુ કોમવાદીઓ પણ આ હકીકત સુપેરે જાણે છે, પણ કેટલાક મુસલમાનો વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ(ઉમ્મા)ની વાતો કરીને મુસલમાનોની વફાદારી વિષે શંકા કરવાની હિંદુ કોમવાદીઓને તક આપે છે. હિન્દુત્વનું આખું રસાયણ મુસલમાનોની દેશબહારની વફાદારી પર રચવામાં આવ્યું છે. આવો બકવાસ બંધ કરશો તો હિન્દુત્વનો ફૂગો એની મેળે ફૂટી જશે.

૩. અને એક ધડો દરેક ભારતીય માટે :

ઓળખ આધારિત એકતા ઝાંઝવાનાં જળ જેવી છે. જગતમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ યુગમાં કોઈ પણ ઓળખ આધારિત એકતા સધાઈ નથી. એક ઉદાહરણ શોધી કાઢો. બીજું, દરેક દેશ, દરેક શાસક અને દરેક પ્રજા પોતાની સામેનાં સ્થળ અને કાળના સંદર્ભમાં પોતાનો સ્વાર્થ જોઇને નિર્ણયો લે છે. પશ્ચિમ એશિયામાં આ જ બની રહ્યું છે. ૧૮૫૭ના વિદ્રોહ વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. હિંદુ હોય કે મુસલમાન, કેટલીક રિયાસતોએ અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો હતો અને કેટલીકે અંગ્રેજોને મદદ કરી હતી. દરેકે પોતાનો સ્વાર્થ જોયો હતો. નહોતી એમાં રાષ્ટ્રભક્તિ કે નહોતો એમાં રાષ્ટ્રદ્રોહ. માટે ઇતિહાસમાં બનેલી ઘટનાઓને ત્રાજવે જે તે પ્રજાને કે ઈતિહાસ પુરુષોને તોળવાનો ધંધો બંધ કરવો જોઈએ. આ બધી આજકાલની પરિભાષામાં ટૂલકીટ છે. ઓજાર છે. ઓળખ અને ઇતિહાસ બન્ને શાસકો તેમ જ ધર્મગુરુ માટે ટૂલકીટ છે. ઘડીભર આ વિષે વિચારો.

તો ઉપાય શું? માણસ બનો, નાગરિક બનો, સર્વાંગીણ વ્યાપક હિતનું ધ્યાન રાખો, સૃષ્ટિનું પણ ધ્યાન રાખો. આમાં વ્યાપક બનવું પડે એમ છે અને એ અઘરું પડે એ હું જાણું છું. પણ કોઈના હાથનું હથિયાર ન બનવું હોય તો બીજો વિકલ્પ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2024

Loading

...102030...402403404405...410420430...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved