Opinion Magazine
Number of visits: 9871025
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેળાપી મૂડીવાદ સર્જશે ‘રિચીસ્તાન’ ?!

ભરત મહેતા|Opinion - Opinion|17 September 2014

જેમની જન્મશતાબ્દી મનાવી રહ્યા છીએ તે દર્શકદાદાએ કટોકટીની આસપાસ જ ‘સૉક્રેટિસ’ નવલકથાનું સર્જન કરેલું. જેમાં કેટલાક વેપારીઓ યુદ્ધની સંભાવના ન હોવા છતાં યુદ્ધ ઊભું કરવાની કોશિશ કરે છે. જો એમ થાય તો નૌકાઓનો કૉન્ટ્રેક્ટ મળે! વળી, આ વેપારીઓ રાજ્યના કર્તાહર્તાના જન્મદાતા પણ છે. વર્ષો પૂર્વેના ગણતંત્રની વાત કરતી વેળાએ પણ આ રીતે દર્શકે ઉદ્યોગપતિઓ અને એમના દલાલ જેવા રાજ્યકર્તાઓની વાત છેડી હતી. આજે આપણે મરણાસન્ન મૂડીવાદના યુગમાં છીએ, જેમાં જનઆંદોલન સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. કેન્દ્રો હો કે રાજ્ય, આવા દલાલોથી ચિક્કાર છે. એમને પાછા વળવાની વાત કરનાર એકાદ કનુભાઈ કલસરિયા જેવા વિભીષણ પણ આ ભીષણ દિવસોમાં છે પણ બારમાથાળા રાવણો એમની વાત સાંભળતા નથી! મુરારિબાપુના મહુવાના આ યાદગાર કાર્યકરે મેળાપી મૂડીવાદને પડકાર્યો છે.

આ મેળાપી મૂડીવાદ હિંદુસ્તાન કે પાકિસ્તાન નહીં પણ ‘રિચીસ્તાન’નું સર્જન કરશે. અમેરિકાના અર્થતંત્રને ઝીણી નજરે તપાસનાર રૉબર્ટ ફ્રેંકે ૨૦૦૭માં એક ગ્રંથ આપ્યો છે, જેનું નામ જ છે ‘રિચીસ્તાન’ ! મેળાપી મૂડીવાદ અને રિચીસ્તાન વિશે આ વૈશ્વિકીકરણના માહોલમાં જાગૃત નાગરિકોએ જાણવું જ પડશે, નહિતર ઊંઘતા ઝડપાઈ જઈશું.

‘ક્રોની’ શબ્દ ૧૮મી સદીમાં પ્રચલનમાં આવ્યો, જે ગ્રીક શબ્દ ‘ક્રોનિયસ’ પરથી બનેલો છે. જેનો અર્થ હતો દીર્ઘાયુષ્ય ધરાવનાર. પરંતુ મૂડીવાદ સાથે એ વિશેષ રૂપે જોડાતા એ શબ્દની પડતી શરૂ થઈ ! ‘કારસેવા’ જેવા પવિત્ર શબ્દની પણ જે હાલત થઈ ગઈ છે, તેવી રીતે અહીં ‘ક્રોની’નો અર્થ એવો થવા માંડ્યો કે રાજકારણમાં પડેલો એવો મિત્ર કે જે પોતાના ‘મિત્રો’ને (એમને વળી મિત્રો થોડા હોય! ચમચાઓને) યોગ્યતા વગર રાજ્ય લૂંટવાનો પરવાનો આપે! એવા મૉડેલનું હમણાં – હમણાં ભારતમાં નામ છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બસ તમારી ડ્રાઇવર અમારો, બસસ્ટૅન્ડ તમારું જગ્યા અમારી, રેલવે તમારી વહીવટ અમારો, ઍરોડ્રામ તમારું વહીવટ અમારો. અમે તમને અબજોનું ચૂંટણીફંડ આપીશું. તમે અમને માત્ર દરિયો આપો, નદીઓ આપો, લગડી જેવી જમીન આપો. લખનૌના નવલકથાકાર અખિલેશની નવી નવલકથાનું નામ  છે, જે રસિકોની જાણ સારું.

આનાં દુષ્પરિણામો સમાજે ભોગવવા પડે છે. મોટા ભાગના લોકોની રોજગારીની તકો આ મૉડલથી છીનવાઈ જાય છે. ‘અચ્છે દિન આને વાલે હૈ, મહંગાઈ લાનેવાલે હૈ’ એમ સૂત્ર ચૂંટણી પછી બદલાઈ જાય છે. ખાંડની કિંમતમાં ભાવવધારો થયો તો રામવિલાસ પાસવાને (ખાદ્યમંત્રીશ્રી) જાહેર કર્યું કે સટ્ટાબજારનું પરિણામ છે. આમાં સરકારની જવાબદારી નથી! રાજનેતાનાં ખિસ્સાં ગરમ કરનાર ઉદ્યોગપતિઓ સમાજને ચારે બાજુથી લૂંટે છે. ઇ.સ. ૧૯૯૮થી જાહેર સાહસો પાણીનાં દામે વેચાઈ રહ્યાં છે. છેલ્લી ચૂંટણીમાં મેળાપી મૂડીવાદનું સ્વરૂપ ખુલ્લેઆમ જોવા મળ્યું છે. રેલવેના ખાનગીકરણની શરૂ થયેલી વાતો એનું તાજું ઉદાહરણ છે. અરુણ શૌરીના મંત્રાલયનું કામ જ આ હતું કે જાહેર સાહસો લાગતાવળગતા એવા માણસોને આપવાં કે જેમાંથી લખલૂટ પૈસા મળે. કોલસો, ખાણઉદ્યોગ, તેલ, બૅંકિંગ અને સંદેશાવ્યવહારનું ક્ષેત્ર એમને માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ઘણાં વર્ષો પહેલાં રિઝર્વ બૅંકના હાલના ચૅરમેન રઘુરામ રાજને બૉમ્બે ચેમ્બર્સ ઑફ કૉમર્સમાં આપેલ ભાષણમાં વનસંપદા અને ખનીજઉદ્યોગમાં ઉદ્યોગપતિ અને રાજકારણીઓની મિલીભગતનો સદૃષ્ટાંત ઉલ્લેખ હતો. બ્રિટિશ સાપ્તાહિક ‘ધ ઇકોનૉમિસ્ટ’માં પણ કર્ણાટકના ખાણમાફિયાઓના કિસ્સાઓમાં સરકારી અમલદારો અને રાજનેતાઓ હોવાથી તેઓ અબજોપતિ બન્યાનાં ઉદાહરણો નોંધાયાં હતાં. એકવીસમી સદીમાં આગળ આવેલા ઉદ્યોગપતિઓને તો વિશેષ શંકાની નજરથી જોવાની જરૂર છે. રઘુરામ રાજને આ અર્થમાં જ કહ્યું હતું કે ‘અનેક જૂથો માત્ર સરકારની નજીક હોવાથી વધુ ધનિક બન્યાં છે.’

રેલવેભાડામાં થયેલો ૧૪.૨ ટકા જેટલો વધારો દાયકાનો ઐતિહાસિક વધારો છે અને એ અંગે ઊહાપોહ પણ થયો. જ્યારે રેલવેની માલવાહનગાડીઓમાં થયેલો ૬.૫ ટકા વધારો વધુ ભયાનક છે. એના કારણે બધી જ જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થાય છે. રાંધણગૅસના ભાવવધારા પાછળ પણ કંપનીઓને લાભ આપવાની સીધી ગણતરીઓ છે. હજુ આ તો નવી સરકારની ‘હનીમુન ગિફ્ટ’ જ છે ! ખરો ખેલ જી.ઈ.ઢ.નો હવે આવવાનો છે. ‘આપ’ના અરવિંદ કેજરીવાલે તો ગૅસના ભાવવધારા માટે મોદી-અંબાણી મૈત્રીને જ જવાબદાર ગણાવી છે. સરદાર ડેમની ઊંચાઈ ૧૬.૭૬ મીટર વધવાની વધાઈમાં આ વાતો દબાઈ જશે ! સરદાર ડેમની આ ઊંચાઈ બીજાં ૨૪૫ ગામડાંઓને ડુબાડશે એની કોઈ વાત નથી કરતું, એનું કારણ પણ આપણે માનવતાહીન વિકાસગ્રસ્ત થઈ ગયા છીએ, એ છે.

આની વચ્ચે જ કોઈક ઉદયવીરસિંહ જેવા કર્મચારીની જરૂર છે, જેણે યદુરપ્પા વિરુદ્ધ ૨૫૦૦૦ પૃષ્ઠનો અહેવાલ તૈયાર કર્યો છે કે કઈ રીતે આ પાર્ટી, પરિવારવાદવાળી પાર્ટી ભ્રષ્ટાચારગ્રસ્ત છે. વર્તમાન સરકાર સાથેની એમની નિકટતા પણ જરા ય ઓછી નથી.

‘રિચીસ્તાન’ પુસ્તકમાં આવા જ ધનિકોની વાત છે. અમેરિકામાં ૧૯૮૦ પછી એક દેશમાં બે દેશ થઈ જાય છે. વંચિતો અને સમૃદ્ધોની અલગ દુનિયા. મૂડીવાદના પ્રારંભથી જ આના અણસાર હશે. બેન્જામિન ડિઝરાયલીની નવલકથા ‘સિવિલ’નું ઉપશીર્ષક જ ‘ટુ નૅશન’ હતું. એમિલ ઝોલાની નવલકથા જે પૅરિસ, રોમ પર આધારિત છે. તેમાં ય આ મળે છે. ઇંગ્લૅન્ડમાં ચાર્લ્ચ ડિકન્સની નવલકથામાં આ જોવા મળ્યું છે. ભારતીય સાહિત્યકારે આ બે રાષ્ટ્રો ઓળખવાની જવાબદારી લેવી પડશે. નવ ધનાઢ્ય જૂથો જે રાજનીતિ પર ઝળુંબી રહ્યાં છે, તે ‘રિચીસ્તાન’ના નાગરિકો છે. જે કેવળ આર્થિક જ નહીં, સાંસ્કૃિતક ભેદભાવ પણ ઊભો કરશે. મલ્ટિપ્લેક્ષમાં ફિલ્મ જોનારો, રાજધાનીમાં કે વૉલ્વોમાં પ્રવાસ કરનારો એક વર્ગ અને ખખડધજ બસમાં પ્રવાસ કરતો બીજો વર્ગ. રિચીસ્તાનના નાગરિકને ખર્ચ કરવા ખાતર ખર્ચ કરવામાં રસ નથી, બીજાને બતાવવામાં રસ છે કે પોતે ખર્ચ કરી શકે છે. ગાડી ખખડધજ ન હોય, તોયે વેચી જ દેવાની, જેથી નવા મૉડેલમાં વટ પડે. રિચીસ્તાનનો આ સાંસ્કૃિતક પ્રભાવ આપણા મધ્યમવર્ગ પર પડ્યો છે. બધા પાસે હોય એ જ એને નથી જોઈતું, બધાથી વિશિષ્ટ, મોંઘું જોઈએ છે. ખાસ કરીને જેનો ઉપયોગ જનસાધારણ કરતો હોય, તે તો નહીં જ નહીં. તેથી એને ચિત્રની સમજ ન હોય તો ય ઘરમાં મોટા કળાકારનાં ચિત્રોથી સજાવટ કરે છે! આ સાંસ્કૃિતક ભારત પર કંપનીઓની ઝીણી નજર છે, તેથી એમને રિચીસ્તાની નાગરિકોનું બજાર ઝડપભેર પોતાનું કરી લેવા રાજકીય મિત્રોની અત્યંત જરૂર હોય છે. ભલે પછી ચૂંટણીમાં પોતાનાં વિમાનો એમને થોડા દિવસ ભાડે આપવાં પડે ! થોડા દિવસ એ રાજનેતાને હવામાં તરતા રાખે છે. પછી રાજનેતા સંસદને વંદન કરીને સંસદમાં પ્રવેશે છે. વંદન પછીના ક્રમે ચંદન જે ટાટા, અંબાણી, અદાણીને કરવામાં આવ્યા છે. આવા વેંતિયા દલાલ નેતાઓ માટે રઘુવીર સહાયે એક કવિતા ‘મેરા પ્રતિનિધિ’ લખેલી. જેમાં એમણે લખેલું –

‘સિંહાસન બડા હૈ
સભાધ્યક્ષ છોટા હૈ …’

આઝાદીના દિવસોમાં ભારતની લખલૂટ સંપત્તિ બ્રિટિશસત્તા કઈ રીતે ઓહિયા કરી રહી છે, તે રમેશચંદ્ર દત્ત અને દાદાભાઈ નવરોજીએ બતાવેલું. દાદાભાઈએ એનું નામ ‘ડ્રેનેજ થિયરી’ આપેલું. આજે ભારતના મજૂરોના પરસેવાની મલાઈ ખાનારા મૂડીવાદી ઉદ્યોગપતિઓની ‘ડ્રેનેજ થિયરી’ નવા અર્થશાસ્ત્રીઓએ બતાવવી પડશે.

વ્યક્તિગત આવકની દૃષ્ટિએ ભારતનો વિશ્વમાં ૧૩૩મો નંબર છે. (વળી, એનું અર્થશાસ્ત્ર ય જબરું છે. ટાટાની અને મજૂરની આવકની સરેરાશ કાઢવાની !) સામા પક્ષે ભારતમાં અબજોપતિ ઝડપભેર વધી રહ્યા છે. નવમાં દાયકામાં ડૉલર અબજોપતિઓ બે જ હતા. જ્યારે દસમા દાયકામાં એની સંખ્યા છ ની થઈ અને ૨૦૧૪ સુધી આવતા-આવતા એમની સંખ્યા ૫૮ની થઈ છે. જે સંખ્યા અમેરિકા, ચીન, રશિયા અને જર્મની પછીના પાંચમાં ક્રમે આવે છે. આ છે આજની ‘ડ્રેનેજ થિયરી’. અબજોપતિમાં પાંચમાં ક્રમે આવતા ભારતમાં દારુણ ગરીબી કેમ છે? સ્પષ્ટ છે કે દેશનાં નાણાં ક્યાં જાય છે! રાજકર્તાઓ કેવળ દલાલની ભૂમિકામાં આવી ગયા છે.

૨૦૦૩માં ભારતની કુલ સંપત્તિના ૧.૮ ટકા આ ડૉલર અબજપતિઓનો હિસ્સો હતો. કેવળ પાંચ વર્ષમાં, ૨૦૦૮માં આ ટકાવારી ૨૬ની થઈ! એટલે કે ૧૨૦ કરોડની વસ્તીવાળા દેશની આવકનો એક ચતુર્થાંશ ભાગ ભારતના ૫૦-૫૫ પરિવારો પાસે છે. આ પરિવારવાદ સામે કૉંગ્રેસને કે સંઘપરિવારને કોઈ વાંધો હોય તેવું ક્યારે ય દેખાતું નથી. ભારત સૌથી વધુ ગરીબ અને તીવ્ર અસમાનતાવાળા દેશોમાંનો એક દેશ છે. ભારતના પ્રમુખ રાજકીય પક્ષોની ચિંતાનો આ વિષય જ નથી. બલકે આ સ્થિતિ ઊભી કરવામાં, વધુ વકરાવવામાં એમની ભૂમિકા છે.

જો કે વિશ્વમાં આર્થિક સંમેલન, જે જાન્યુઆરી, ૨૦૧૪માં દેવોસ(સ્વિટઝર્લેન્ડ)માં મળ્યું, એમાં જે દેશોમાં વિકાસશીલ નવી આર્થિક વ્યવસ્થાની પ્રગતિ ગણાવી છે, તેમાં અસમાનતા ઘટવાના બદલે વધી છે, એ ચેતવણી અપાઈ છે. આમ, આ મેળાપી, સહભાગી, મળતિયા કે યારાના મૂડીવાદે ‘વિકાસ’ને અસમાનતાજનક બનાવ્યો છે. જે દેશમાં સાચેસાચ ભ્રષ્ટાચાર ઓછો હોય એ દેશોમાં પણ યારાના મૂડીવાદનો આતંક ઓછો નથી. જાપાનની કૂકુશિમા દુર્ઘટનાના કારણે ત્યાં લોકો પરમાણુવીજની વિરુદ્ધ હતા. પૂર્વપ્રધાનમંત્રી પણ પરમાણુવીજના પૂરા પ્રતિબંધના પક્ષમાં હતા છતાં પરમાણુલૉબી એટલી મજબૂત હતી કે નવા પ્રધાનમંત્રીએ પરમાણુવીજ જ ચાલુ રાખવાની જ વાત કરી રહ્યા છે ! યારાના મૂડીવાદની આવી ઘણી બધી ‘સત્યકથાઓ’ ટાટા, મિત્તલ, ઝિંદાલ, વેદાંત, જે.પી., અંબાણી, અદાણીજૂથની પણ છે. ‘કર લો સરકાર મુઠ્ઠી મે’નું સૂત્ર અંબાણીનું છે. અંબાણીજૂથના યારાના મૂડીવાદની રસપ્રદ વાતો હવે પછી …

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 04-05

Loading

તારા જેવી આંખ અને પંખી જેવી પાંખ ધરાવતા લેખક

દીપક મહેતા|Opinion - Literature|16 September 2014

એક ચૌદ-પંદર વરસનો છોકરો. જૂનાગઢની નિશાળમાં નાપાસ થઈને ભાવનગરની દક્ષિણામૂર્તિ નામની અનોખી શિક્ષણ સંસ્થામાં ભણવા આવ્યો છે. એ સંસ્થાના પ્રાર્થના મંદિરની અગાસી ઉપર એકલો બેઠો છે. સાંજ ઢળવા આવી છે. આકાશમાં દેખાતા શુક્રના તારા તરફ પેલો છોકરો તાકી રહ્યો છે. અર્ધ સભાન, અર્ધ અભાન એવી અવસ્થામાં ગણગણવા લાગે છે :

તારા! તારા! તારા જેવી
મીઠી મીઠી આંખ દે!
પંખી મીઠા! તારા જેવી,
ચેતનવંતી પાંખ દે.
સાત સમંદર વિંધી જાઉં,
હસતી આંખે જોતો જાઉં.

પછી તો સડસડાટ આખી કવિતા લખી નાખે છે અને બીજે દિવસે ગુજરાતીના શિક્ષક ગિરીશભાઈને બતાવે છે. તેને કહ્યા કારવ્યા વગર ગિરીશભાઈ એ કવિતા ‘કુમાર’ માસિકના તંત્રીને મોકલી દે છે. એ જમાનામાં જાણીતા કવિ માટે પણ પોતાની કવિતા ‘કુમાર’માં છપાય એટલે ધન ઘડી ને ધન ભાગ ગણાય. અને આ છોકરડાની પહેલવહેલી કવિતા ‘કુમાર’માં છપાય છે. તારા જેવી આંખ અને પંખી જેવી પાંખ મળે તેવી અભિલાષા પ્રગટ કરનાર આ વિદ્યાર્થી તે કૃષ્ણલાલ શ્રીધરાણી.

માગીએ છીએ તો આપણે બધા, પણ માગેલું બધાને મળતું નથી. પહેલી જ રચનામાં શ્રીધરાણીએ તારા જેવી મીઠી આંખ માગી અને તેમને તે મળી. તારાના તેજ જેવી તેજસ્વી કવિતાનું અવતરણ તે સાંજે થયું તે પછી જીવનના અંત સુધી એ પ્રવાહ ચાલતો રહ્યો – હા, વચમાં કેટલાંક વર્ષ તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો, પણ સૂકાઈ ગયો નહોતો. પહેલો કાવ્ય સંગ્રહ ‘કોડિયાં’ પ્રગટ થયો ત્યારે શ્રીધરાણીની ઉંમર હતી માત્ર ૨૩ વર્ષ.

શ્રીધરાણીની બીજી અભિલાષા હતી પંખી જેવી ચેતનવંતી પાંખ મળે તેની. આવી પાંખ મળે તો સાત સમંદર વિંધી જવાની અને સમંદર પારના મુલક હસતી આંખે જોવાની મુરાદ હતી. એ પણ ફળી. ૧૯૩૪માં એક બાજુ ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, અને બીજી બાજુ દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ, અને શાંતિનિકેતનમાં ભણ્યા પછી વધુ અભ્યાસ માટે શ્રીધરાણી અમેરિકા ગયા. ત્યાં ભણી એમ.એ., પીએચ.ડી. થયા. આજે આપણને આ વાતની નવાઈ ન લાગે, પણ ૧૯૩૪માં હજી અમેરિકા ગુજરાતનો એક જિલ્લો બન્યું નહોતું. બાર વર્ષ અમેરિકામાં રહી ગાંધીજીની વિચારણા, હિન્દુસ્તાનની આઝાદી માટેની લડત, વગેરે વિષે અમેરિકન લોકોને લખાણો અને ભાષણો દ્વારા ઢંઢોળીને જાગૃત કર્યા. વોર વિધાઉટ વાયોલન્સ, માય ઇન્ડિયા, માય અમેરિકા, વોર્નિંગ ટુ ધ વેસ્ટ, ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ, ધ બીગ ફોર ઓફ ઇન્ડિયા, જેવાં પુસ્તકો લખ્યાં. તેમાંનું માય ઇન્ડિયા, માય અમેરિકા જેવું અફલાતૂન પુસ્તક તો આજ સુધી અમેરિકામાં ફરી ફરી છપાતું રહ્યું છે. એક કનૈયાલાલ મુનશીને બાદ કરતાં બીજા કોઈ ગુજરાતી લેખકે અંગ્રેજીમાં આટલાં પુસ્તકો લખ્યાં નહિ હોય.

૧૯૪૬માં સ્વદેશ પાછા આવી શ્રીધરાણી દિલ્હીવાસી બન્યા. અમેરિકા-વાસનાં બાર વર્ષ કવિતાએ દેશવટો લીધો હતો. ૧૯૪૮માં ભારતમાં કવિતા અને શ્રીધરાણીનું પુનર્મિલન થયું. ૧૯૫૭માં ‘કોડિયાં’ની સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરી. સ્વદેશ આગમન પછીનાં બાર વર્ષમાં લખાયેલાં કાવ્યોનો સંગ્રહ ‘પુનરપિ’ શ્રીધરાણીએ તૈયાર કરી રાખેલો, પણ તે પ્રગટ થયો ૧૯૬૧માં. ૧૯૬૦ના જુલાઈની ૨૩મી તારીખે માત્ર ૪૯ વર્ષની વયે શ્રીધરાણીનું અકાળ અવસાન થયું, તે પછી. 

૧૯૩૪માં ‘કોડિયાં’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તે પહેલાં ૧૯૩૧માં શ્રીધરાણીનું નાટક ‘વડલો’ પ્રગટ થયું હતું. તે પછી ઠેઠ ૧૯૫૨માં આ નાટક વિષે શ્રીધરાણીએ લખેલું : “ઉંમર વધતી જાય તેમ તેમ આપણને પહેલાં લખેલું સુધારવાનું મન થાય. પણ ‘વડલો’ મારી એક એવી કૃતિ છે કે એમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થતા અનુભવું છું.” તે પછી પણ તેમણે પીળાં પલાશ, મોરનાં ઈંડાં, પદ્મિની, પિયો ગોરી, સોનાપરી, જેવાં નાટક-એકાંકી આપ્યાં, તો ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો જેવી કથાકૃતિઓ પણ આપી.

પંખી જેવી ચેતનવંતી પાંખ ઝંખનાર શ્રીધરાણી સતત વધુ વ્યાપક અને વિશાળ આકાશમાં ઊડતા રહ્યા. ૧૯૧૧ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે ભાવનગર પાસેના ઉમરાળામાં જન્મ, ભણ્યા ભાવનગર, ઘડાયા ગુજરાત વિદ્યાપીઠમાં, ખીલ્યા શાંતિ નિકેતનમાં, ખુલ્યા અમેરિકામાં. સ્વદેશ પાછા આવીને અમદાવાદ કે મુંબઈવાસી નહિ, પણ દિલ્હીવાસી બન્યા. ગાંધીજી, ગુરુદેવ ટાગોર, પંડિત જવાહરલાલ નેહરુ, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઇન્દિરા અને ફિરોઝ ગાંધી, જેવી રાષ્ટ્રીય કક્ષાની અગ્રણી વ્યક્તિઓ સાથે શ્રીધરાણીને ઘરોબો હતો. વિશ્વવિખ્યાત ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ સાથે જાહેર ચર્ચા કરી શકે એવી તેમની હેસિયત હતી. ધાર્યું હોત તો આઝાદી પછીની સરકારમાં માનમોભાભર્યું સ્થાન મેળવવાનું અઘરું નહોતું. એવી ઓફર આવેલી પણ ખરી. પણ પોતાની સ્વતંત્રતાને આંચ ન આવે એટલા ખાતર તેમણે પત્રકારનો વ્યવસાય સ્વીકારેલો અને અંગ્રેજીના પત્રકાર તરીકે પણ ઉજળો હિસાબ આપેલો. શ્રીધરાણીના અવસાન પછી અંજલિ-લેખમાં ગગનવિહારી મહેતાએ લખેલું : “કોઈ પર દ્વેષ-ભાવ રાખતા નહિ, અંગત હુમલા કરતા નહિ, અમુક વ્યક્તિ માટે પ્રચાર કરતા નહિ. એમના લેખો દિલ્હીનાં મંત્રીમંડળોમાં, પરદેશી રાજદૂતોના કાર્યાલયોમાં, અમલદાર વર્ગમાં, તેમ જ લોકસભા અને રાજ્યસભામાં ધ્યાનથી વંચાતા.” આવા એક અનોખા લેખક અને પત્રકારને જન્મ દિવસ નિમિત્તે આ નાનકડી આદરાંજલિ.

સૌજન્ય : ‘ટ્રિબ્યૂટ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2014

Loading

ગુજરાતી પુસ્તકોની પહેલવહેલી સૂચિ

દીપક મહેતા|Opinion - Opinion|16 September 2014

ગુજરાતી મુદ્રણ, અખબારો, સામયિકો અને પુસ્તકો માટે ૧૮૬૭નું વર્ષ મહત્ત્વના સીમાચિહ્નરૂપ છે. કારણ આ વર્ષે ધ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ ઍકટ (25 of 1867) ૨૨મી માર્ચથી અમલમાં આવ્યો. આ કાયદો ઘડવા પાછળ બ્રિટિશ સરકારની નહોતી કોઈ રાજકીય લાભની ગણતરી કે નહોતો આ આડકતરી સેન્સરશિપ લાદવાનો પ્રયાસ. આ કાયદા પાછળનો મુખ્ય હેતુ બ્રિટિશ ઇન્ડિયામાં પ્રગટ થતાં પુસ્તકો, સામયિકો વગેરેની જાળવણી અને નોંધણી કરવાનો હતો.

આવો કાયદો ઘડવા માટેની હીલચાલ ૧૮૬૩માં ધ રોયલ એશિયાટિક સોસાયટી ઑફ ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડના અધિકારીઓએ શરૂ કરી હતી. હિંદુસ્તાનમાં સંસ્કૃત અને બીજી ભાષાઓમાં પ્રગટ થતાં પુસ્તકોની વ્યવસ્થિત અને નિયમિત સૂચિઓ તૈયાર કરાવવાની તેમણે હિમાયત કરી હતી. વળી બ્રિટનમાં પ્રગટ થતા દરેક પુસ્તકની પાંચ નકલ બ્રિટનની પાંચ અગ્રણી લાયબ્રેરીઓને મોકલવાની ફરજ પાડતો કાયદો હતો પણ તે બ્રિટિશ ઇન્ડિયાને લાગુ નહોતો પડતો. એથી બ્રિટિશ ઇન્ડિયા માટે પણ તેને મળતો આવે એવો કાયદો ઘડવાની માગણી પણ તેમણે કરી હતી. આ માગણીના અનુસંધાનમાં આ ૧૮૬૭નો ૨૫મો કાયદો પસાર કરવામાં આવ્યો. પ્રગટ થતા પ્રત્યેક પુસ્તક કે સામયિકની ત્રણ નકલ વિનામૂલ્યે સરકારને મોકલવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. અલબત્ત, આ કાયદો  દેશી રાજયોને લાગુ પડતો નહોતો. કાયદો પસાર થયો પછી તરત ૧૮૬૭ના જુલાઈની પહેલીથી નવાં પ્રગટ થયેલાં પુસ્તકોની ત્રૈમાસિક સૂચિઓ સરકાર દ્વારા પ્રગટ થવા લાગી. વળી સરકારને મળતી ત્રણ નકલોમાંથી એક-એક નકલ બ્રિટનની ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરીને તથા બ્રિટિશ મ્યુિઝયમને મોકલવામાં આવતી પણ ૧૮૬૭ પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકોનું શું? એ પુસ્તકોની સૂચિ તૈયાર કરવા શિક્ષણ ખાતાને સરકારે હુકમ કર્યો. તે વખતના ડિરેકટર ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશન સર એલેકઝાન્ડર ગ્રાન્ટે આ સૂચિ બનાવવાનું કામ માથે લીધું. ૧૮૬૪ના ડિસેમ્બરની ૩૧મી સુધીમાં મુંબઈ ઈલાકામાં પ્રગટ થયેલાં ગુજરાતી, મરાઠી તથા અન્ય ભાષાનાં પુસ્તકોની સૂચિ તેમણે તૈયાર કરી અને સરકારે તે પ્રગટ કરી. જો કે તેમાં ઘણી ભૂલો રહી ગયેલી એટલે તેની સુધારાવધારા સાથેની બીજી આવૃત્તિ ૧૮૬૭માં પ્રગટ થઈ.

પણ ગ્રાન્ટની સૂચિમાં ૧૮૬૫-૧૮૬૭ના સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકોનો સમાવેશ થયો નહોતો. એવાં પુસ્તકોની સૂચિ સરકારે તે વખતના ડાયરેકટર ઑફ એજયુકેશન સર જેમ્સ બી. પીલ પાસે તૈયાર કરાવી ૧૮૬૯માં પ્રગટ કરી. ગ્રાન્ટ અને પીલની આ સૂચિઓમાંથી કુલ ૮૬૫ ગુજરાતી પુસ્તકો અને સામયિકોની માહિતી મળે છે. અલબત્ત, આ બંને સૂચિની મર્યાદા એ છે કે બધાં પુસ્તકો જોઇ- ચકાસીને સૂચિ તૈયાર કરી નથી. બીજેથી મળેલી માહિતીનો પણ તેમાં ઉપયોગ કર્યો છે. આથી ઘણીવાર માહિતી અધૂરી કે ખોટી હોય કે બેવડાઈ હોય એવું બન્યું છે. છતાં ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં ગુજરાતી પુસ્તકોની માહિતી આપતું બીજું કોઇ સાધન આપણી પાસે નથી એટલે આ બંને સૂચિઓ અત્યંત મહત્ત્વની બની રહે છે.

ગ્રાન્ટ અને પીલની સૂચિઓને અંતે મુંબઈ ઈલાકામાં કામ કરતાં છાપખાનાંની વિગતવાર યાદી આપી છે. આ યાદીઓ પ્રમાણે ૧૮૬૭ના જૂન સુધીમાં મુંબઈ ઈલાકામાં કુલ ૧૪૩ છાપખાનાં કામ કરતાં હતાં. તેમાંનાં ૫૧ છાપખાનાં તો કેવળ મુંબઈ શહેરમાં હતાં. મુંબઇનાં ઘણાંખરાં છાપખાનાં એક કરતાં વધારે ભાષાનું છાપકામ કરતાં હતાં. ૫૧ માંથી ૩૦ જેટલાં છાપખાનાં ગુજરાતીનું છાપકામ કરતાં હતાં. આજના ગુજરાત રાજયના વિસ્તારમાં ૫૦ છાપખાનાં કાર્યરત હતાં. તેમાંનાં ૨૨ અમદાવાદમાં હતાં. સુરતમાં ૧૪ પ્રેસ હતાં. તે ઉપરાંત ભરૂચ(૪ છાપખાનાં), ખેડા(૩), ભાવનગર(૨), હાલાર(૨), દમણ(૧), રાજકોટ(૧), નવા નગર(૧)માં બધું મળીને ૧૪ છાપખાનાં હતાં. આની સામે મુંબઈ સિવાયના મરાઠીભાષી વિસ્તારોમાં માત્ર ૩૧ છાપખાનાં હતાં, જેમાંનાં ૧૩ પૂણે શહેરમાં હતાં. મુંબઈ ઈલાકાના અન્યભાષી પ્રદેશોમાં કુલ ૧૧ છાપખાનાં હતાં, જેમાનાં ૮ કરાચીમાં હતાં. આ આઠમાંનાં ત્રણ છાપખાનાં બીજી ભાષાઓ સાથે ગુજરાતી છાપકામ પણ કરતાં હતાં. આ આંકડા જોતાં એક વાત સ્પષ્ટ થાય છે. મુંબઈની સરખામણીમાં ગુજરાતી મુદ્રણ ગુજરાતીભાષી પ્રદેશમાં ભલે મોડું શરૂ થયું, પણ પછી તેનો વિકાસ મરાઠીભાષી વિસ્તારો કરતાં ય વધુ ઝડપથી થયો. જો કે મરાઠીમાં છપાયેલાં પુસ્તકો અને સામયિકોની સંખ્યા ગુજરાતી (૮૬૫) કરતાં વધારે છે, ૧૦૦૯.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2014   

Loading

...102030...3,9863,9873,9883,989...4,0004,0104,020...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved