Opinion Magazine
Number of visits: 9456872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વોટ કટવાઓ ભારતીય રાજકારણનું બીજું ગ્રહણ

રમેશ ઓઝા|Opinion - Opinion|10 October 2024

રમેશ ઓઝા

હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર એમ બન્ને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે. ૨૦૧૪ પછી પહેલી વખત એવું જોવા મળ્યું હતું કે નરેન્દ્ર મોદી / ભા.જ.પ.ના વિરોધીઓ અને સમર્થકો તેમ જ થોડી સ્વસ્થા જાળવીને તટસ્થતાપૂર્વક સામાજિક-રાજકીય પ્રવાહો પર નજર રાખનારા લોકો એક મત ધરાવતા હતા કે હરિયાણામાં ભા.જ.પ.નો પરાજય નિશ્ચિત છે. એક્ઝીટ પોલમાં પણ અપવાદ વગર દરેકે આમ કહ્યું હતું. ઊલટું એક્ઝીટ પોલવાળાઓએ તો આક્કાઓને માઠું ન લાગે એ માટે કાઁગ્રેસને થોડી બેઠકો ઓછી આપી હતી અને પછી બીજા દિવસે (એટલે કે મતગણતરીના આગલા દિવસે) અલગ અલગ ટી.વી. ચેનલો અને યુટ્યુબરોની ચેનલો પર જઇને કહ્યું હતું કે કાઁગ્રેસને અમે કહી છે એ કરતાં પણ વધુ બેઠકો મળે તો આશ્ચર્ય નહીં પામતા. આમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ લોકસભાની ચૂંટણી વખતે ગયેલી આબરૂ પાછી મેળવવાનો હતો. ફલાણાફલાણાં પરિબળો કાઁગ્રેસની તરફેણમાં અને ફલાણાં ભા.જ.પ.ની વિરુદ્ધમાં જોવાં મળી રહ્યાં છે. ભા.જ.પ.ના નેતાઓ વિજય મળશે એવી વાતો તો કરતા હતા, પરંતુ એમાં આત્મવિશ્વાસનો રણકાર નહોતો. જમ્મુ અને કાશ્મીરમાં સર્વસાધારણ મત એવો હતો કે ત્યાં કાઁગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બહુમતીથી દૂર રહેશે.

પ્રત્યક્ષ પરિણામ ધારણા કરતાં જૂદાં આવ્યાં છે. આવું કેમ બન્યું? રાજકીય સમીક્ષકો સંભવનાઓ માટે જે દલીલો કરે છે એ દેખીતી રીતે સંભવના કરતાં અલગ સામે આવેલા પ્રત્યક્ષ માટે નથી કરી શકતા. એ પછી તેઓ પ્રત્યક્ષ પાછળની સંભાવનાઓ શોધવા લાગે છે. મંગળવારે તમને આ જોવા મળ્યું હશે. ભારતીય સમાજ એટલો બધો સંકુલ છે કે આ લખનાર પરિણામોની સંભાવના વિષે લખતો નથી. ખોટા પડવાનો ડર રહે છે અને ભલભલાને ખોટા પડતા આ લખનારે જોયા છે. આ વખતે યેગેન્દ્ર યાદવ પણ ખોટા પડ્યા જેમની સ્વસ્થતા અને પ્રામાણિકતા માટે મને માન છે.

આમ કેમ બન્યું?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને હરિયાણામાં ૩૪.૭ ટકા મત સાથે ૭ બેઠકો મળી હતી, પરંતુ એ પછી તરત જ યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ૩૩.૨ ટકા મત સાથે ૪૭ બેઠકો મળી હતી. લોકસભાની તુલનામાં મતનું પ્રમાણ પણ ઘટ્યું હતું અને લોકસભાની બેઠકોને જો વિધાનસભાની બેઠકોમાં પરિવર્તિત કરવામાં આવે તો બેઠકો પણ ઘટી હતી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બી.જે.પી.ને અધધધ કહી શકાય એમ ૫૮.૨ ટકા મત સાથે લોકસભાની દસમાંથી દસ બેઠકો મળી હતી, પણ એ પછી તરત યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૨૦૧૪ કરતાં સાત ઓછી, ૪૦ બેઠકો મળી હતી. બી.જે.પી.ને બહુમતી નહોતી મળી. તેને મળેલા મત(૩૬.૪૯ ટકા)ના પ્રમાણમાં બાવીસ ટકાનો ઘટાડો થયો હતો. એ પરિણામ પણ આ વખતનાં પરિણામ જેટલાં જ ચોંકાવનારાં હતાં. ગઈ સામાન્ય ચૂંટણીમાં ભા.જ.પ.ને હરિયાણામાં દસમાંથી પાંચ બેઠકો મળી હતી. તેને ૪૬.૧૧ ટકા મત મળ્યા હતા જે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં ૧૨ ટકા ઓછા હતા.

લોકસભામાં બી.જે.પી.ને વિજય અને ભવ્ય વિજય અપાવવાનો, પણ પછી તરત જ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને અંકુશમાં રાખવાની કે હરાવવાની હરિયાણવીઓની સફર છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં આમ બન્યું હતું. તો પછી ૨૦૨૪માં એવું શું બન્યું કે આગલા બે વખતના અનુભવ કરતાં અલગ પરિણામ આવ્યાં? સમીક્ષકો થાપ થઈ ગયા એ પાછળનું એક મુખ્ય કારણ હરિયાણાનો દસ વરસનો રાજકીય અનુભવ પણ છે. થાપ ખાવાનું એક કારણ એ પણ હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને ૪૭.૬૧ ટકા મત મળ્યા હતા જે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં ૧૮.૭૪ ટકા વધુ હતા અને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં ૧૯ ટકા વધુ હતા. આ સ્થિતિમાં કોઈ કહી શકે કે કાઁગ્રેસનો પરાજય થશે? ગોદી મીડિયા અને ગોદી પોલ્સટરો પણ કાઁગ્રેસ પરાજીત થશે એમ કહેવાની હિંમત નહોતા કરી શક્યા. પણ હરિયાણામાં જે અનુભવ બી.જે.પી.ને ૨૦૧૯માં થયો હતો એ જ અનુભવ કાઁગ્રેસને ૨૦૨૪માં થઈ રહ્યો છે.

કારણ શું એ લાખ રૂપિયાનો સવાલ છે. લોકો ચૂંટણીપંચ અને ઈ.વી.એમ. પર શંકા કરવાના છે. ચૂંટણીપંચ તટસ્થ નથી એ આખી દુનિયા જાણે છે, પણ ઈ.વી.એમ.માં મોટા પ્રમાણમાં ગડબડ કરવી મુશ્કેલ છે એમ જાણકારો કહે છે. આમાં શાસક પક્ષ અને ચૂંટણીપંચ માટે ધડો એ છે કે મથરાવટી મેલી હોય તો લોકોને શંકા કરવાની તક મળે.

ભા.જ.પ.ના વિજય કે કાઁન્ગ્રેસનાં પરાજયનું કારણ પક્ષપાતી ચૂંટણીપંચ કે ઈ.વી.એમ. નથી, પણ જમીન પરનું ગણિત છે. સન્માન્ય વિદ્વાન સમીક્ષકો કહે છે કે કાઁગ્રેસનો પરાજય બે કારણે થયો હોવો જોઈએ. એક તો હરિયાણા કાઁગ્રેસ એકમમાં ભુપિન્દર સિંહ હુડ્ડા, તેમનો પરિવાર અને જાટોનું વર્ચસ્વ. ગેર જાટ મતદાતાઓને કદાચ એમ લાગ્યું હોય કે આપણા પર જાટ કોમ રાજ કરશે. કાઁગ્રેસના ૯૦માંથી ૭૨ ઉમેદવારો ભુપિન્દર સિંહ હુડ્ડાના હતા અને મોટાભાગના જાટ હતા. કાઁગ્રેસની અંદર પણ આ વાતે અસંતોષ હતો. આ વખતે ભુપિન્દર સિંહ હુડ્ડાને છૂટો દોર એટલા માટે આપવામાં આવ્યો હતો કે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી વખતે કહેવામાં આવ્યું હતું કે જો કાઁગ્રેસે હુડ્ડાને છૂટો દોર આપ્યો હોત તો કાઁગ્રેસનો વિજય થયો હોત. હુડ્ડાએ પણ આ જ દલીલ કરી હતી. આ સિવાય બી.જે.પી.એ પાંત્રીસ એકનો પ્રચાર કર્યો હતો અને ગેર જાટોની અંદર ડર પેદા કર્યો હતો. હરિયાણામાં પરંપરાગત રીતે ૩૬ જાતિ છે જેમાં ૩૫ જાતિ જાટ સિવાયની છે. હરિયાણામાં જાટોનું વર્ચસ છે એ તો તમે જાણો જ છો. જે સ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં યાદવોનું છે, મહારાષ્ટ્રમાં મરાઠાઓનું છે અને ગુજરાતમાં પટેલોનું છે એ સ્થાન હરિયાણામાં જાટનું છે. જેની વગ હોય એનો ડર પણ હોય. બી.જે.પી. અને સંઘપરિવાર હિંદુ એકતાની વાત કરે છે, પણ બી.જે.પી. ચૂંટણીમાં જાતિ વિભાજનનું રાજકારણ કરે છે.

ભા.જ.પ.ના વિજયનું બીજું કારણ વોટ કટવાઓ છે. દરેક જગ્યાએ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો, નાનાં નાનાં પક્ષોના ઉમેદવારો, નાના પક્ષો વચ્ચે વોટ કાપવાની ગણતરી પર આધારિત યુતિઓ કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને તો બી.જે.પી.એ ટિકિટ નહીં આપીને બળવાખોર તરીકે બી.જે.પી.એ જ ઊભા રાખ્યા હતા. જે બે-પાંચ હજાર વોટનું કાઁગ્રેસને નુકસાન પહોંચાડે. વિધાનસભાની ચૂંટણીમાં હજાર મત ખેલ બગાડી શકે છે. અમિત શાહને ફરી એકવાર આ રમત માટે ચાણક્યનો ઈલ્કાબ આપવામાં આવશે, પણ આ જાહેરજીવનને અને લોકતંત્રને કેટલું નુકસાન પહોંચાડશે તેનો વિચાર કર્યો છે? જો કે બી.જે.પી.ને મૂલ્યો અને લોકતંત્ર માટે કોઈ ખેવના હોય એ આજ સુધી જોવા મળ્યું નથી. બી.જે.પી.ની સરકાર આવી એ પછીથી દેશમાં વોટ કટવાઓની અનેક દુકાનો ખૂલી ગઈ છે. જે કામ એક જમાનામાં રાજકીય પક્ષો માટે બાહુબલીઓ કરતા હતા એ વોટ કટવાઓ કરી રહ્યા છે. હાથમાં હથિયાર લીધા વિના તેઓ અબજો રૂપિયા કમાઈ રહ્યા છે.

સંસદીય રાજકારણમાં જે રમત અસ્તિત્વમાં આવે છે એ બીજા પક્ષો પણ અપનાવે છે. એમાં અંતે રાજકીય પક્ષોને તો જે ફાયદો કે નુકસાન થવાનું હોય તે થાય દેશને મોટું નુકસાન થતું હોય છે. પણ દેશની પડી છે કોને?

હવે થોડી વાત જમ્મુ અને કાશ્મીર વિષે. જમ્મુ અને કાશ્મીરમાં દસ વરસ પછી ચૂંટણી યોજાઈ. ૨૦૧૯માં આર્ટીકલ ૩૭૦ને નિરસ્ત કર્યા પછી અને જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી પહેલીવાર ચૂંટણી યોજાઈ છે. એની વચ્ચે રાજ્યનાં મતદારક્ષેત્રોની પુનર્રચના કરવામાં આવી. પુનર્રચના એ રીતે કરવામાં આવી કે જમ્મુ પ્રદેશના હિંદુઓનો હાથ ઉપર રહે. તેની સીટોની સંખ્યામાં સાતનો વધારો કરવામાં આવ્યો અને કાશ્મીરની ખીણની સંખ્યામાં માત્ર એકનો વધારો કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર તો હજુ ચૂંટણી યોજવા નહોતી માગતી, પણ સર્વોચ્ચ અદાલતના આદેશના પરિણામે યોજવી પડે. ગુલામ ચૂંટણીપંચ કેન્દ્ર સરકારને મદદ કરી શકે એમ નહોતું. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તો એવો પણ આદેશ આપ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી અને હવે નથી લાગતું કે તેનો અમલ થશે.

બી.જે.પી.ની ગણતરી જમ્મુ અને કાશ્મીરને હિંદુ મુખ્ય પ્રધાન આપવાની હતી જે નિષ્ફળ નીવડી. મદાર વોટ કટવાઓ પર હતો. ગણતરી એવી હતી કે જમ્મુમાં હિંદુઓ તો બી.જે.પી.ને ખોબે ખોબે મત આપવાના છે અને ખીણમાં જો વોટ કટવાઓ કાઁગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના વોટ કાપી આપે તો ચાર નિયુક્ત કરવાની બેઠકો તો હાથમાં છે જ. જો જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો ચાર વિધાનસભ્યોને નિયુક્ત કરવાનો કેન્દ્રનો અધિકાર જતો રહે. આ સારુ તો રશીદ એન્જિનિયરને જેલમાંથી જમાનત પર છોડવામાં આવ્યો હતો. હા, એ જ રશીદ એન્જિનિયર જેનાં ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મમાં દેશદ્રોહી કૃત્યો જોઇને ભક્તો આખી રાત ઓશિકામાં માથું ભરાવીને રડ્યા હતા. હા, એને છોડવામાં આવ્યો. તેમની નજરમાં જે દેશદ્રોહી હતો.

પણ કાશ્મીરની ખીણમાં વોટ કટવાઓને સફળતા મળી નહી. ખીણના લોકો રમત પામી ગયા હતા. બાહુબલી પછી વોટ કટવાઓ ભારતીય રાજકારણને લાગેલું બીજું ગ્રહણ છે. પહેલું ગ્રહણ કાઁગ્રેસે લગાડ્યું હતું તો બીજું બી.જે.પી.એ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2024

Loading

વિદ્યાર્થી ગાંધી : પોરબંદરની લૂલિયા માસ્તરની નિશાળથી લંડનની લો કોલેજ

ચંદુ મહેરિયા|Gandhiana|9 October 2024

ચંદુ મહેરિયા

આજે દુનિયા જેમને મહાત્મા તરીકે પૂજે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાર્થી તરીકે કેવા હતા તે જાણવા – તપાસવાનો અવસર ગાંધી જયંતીથી વધુ રૂડો બીજો શો હોઈ શકે.

ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેમના શિક્ષણ વિશે વીગતે નહીં લખ્યાની ફરિયાદ ઘણાં ગાંધી અભ્યાસીઓની છે. ગાંધીજીનો આત્મકથા લેખનનો ઉદ્દેશ તેમના જીવનના યથાતથ જીવનવૃત્તાંતનો નહીં, પણ તેમણે જે સત્યના પ્રયોગો કર્યા હતા તે આલેખવાનો હતો અને આત્મકથામાં વિદ્યાર્થી કાળના આવા પ્રયોગો તો તેમણે આલેખ્યા જ છે. છતાં તેમના વિદ્યાર્થી કાળ અને શિક્ષણ વિશે અલગ પુસ્તકો લખાયા છે. ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલના નિવૃત્ત હેડમાસ્તર જયેષ્ઠારામ મણિશંકર ઉપાધ્યાયે ભારે લગન અને ખંતથી સંશોધન કરી અનેક આધાર, પુરાવા, મુલાકાતો એકત્ર કરી ગાંધીજીના શિક્ષણ વિષે અંગ્રેજી-ગુજરાતીમાં પુસ્તકો લખ્યા છે. ‘મહાત્મા ગાધી એસ એ સ્ટુડન્ટ’ (૧૯૬૫) અને મહાત્મા ગાંધી એ ટીચર્સ ડિસ્કવરી (૧૯૬૯) એ બે પુસ્તકો ગાંધીજીના વિદ્યાર્થી કાળને સમજવામાં ખૂબ ઉપયોગી છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ તો જે.એમ. ઉપાધ્યાયના પુસ્તકને લેખકીય ઉદ્યમિતા અને જૂના દસ્તાવેજો પ્રતિ ગુજરાતીઓના લગાવનું જીવંત ઉદાહરણ કહી બિરદાવ્યું છે.

માણસની જન્મ સમયથી શરૂઆતનાં કેટલાંક વરસોની સ્મૃતિ હોતી નથી. જીવનના છપ્પનમાં વરસે (૧૯૨૫માં) ગાંધીજીએ આત્મકથા લખવી શરૂ કરી હતી. આત્મકથા એ જો સ્મૃતિ કથા હોય તો ગાંધીજીનું આત્મકથામાં પહેલું સ્મરણ તેમના શાળા શિક્ષણનું છે. તેમણે લખ્યું છે, “બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો. મુશ્કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતા શીખેલો એટલું યાદ છે, અને બીજું કંઈ યાદ નથી” ગાંધીજીની આ ‘કોઈ નિશાળ’ અંગે જ.મ ઉપાધ્યાય લિખિત “મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિદ્ધિઓ” પુસ્તકમાં માહિતી મળે છે. તે પ્રમાણે ગાંધીજીની પહેલી નિશાળ પોરબંદરના તેમના ઘર(આજના કીર્તિમંદિર)થી નજીક આવેલી વીરજી કામદારની નિશાળ હતી. વીરજી કામદારના પગે ખોડ હોવાથી સ્થાનિક લોકો તેમની શાળાને લૂલિયા માસ્તરની નિશાળ તરીકે ઓળખતા હતા.

યુવાન વયે મો.ક. ગાંધી

પિતા કરમચંદ ગાંધી તે પછી રાજકોટ ગયા એટલે ગાંધીજીનું મેટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ રાજકોટમાં થયું હતું. બ્રાન્ચ–સ્કૂલ, પરાની શાળા કે તાલુકા શાળા અને કાઠિયાવાડ હાઈસ્કૂલ (જે ૧૯૦૭થી આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી) એમ રાજકોટની ત્રણ શાળાઓમાં તે ભણ્યા હતા. તે સમયના નિયમ મુજબ ગુજરાતી શાળામાં એકથી ચાર ધોરણ કરીને પ્રવેશ પરીક્ષા પાસ થયેથી અંગ્રેજી શાળાના એકથી સાત ધોરણમાં ભણવાનું થતું.  કુલ અગિયાર ધોરણના અંતે મેટ્રિકની પરીક્ષા આપવાની રહેતી હતી.

ગાંધીજીનું વિદ્યાર્થી તરીકેનું સ્વમૂલ્યાંકન, “હું ભાગ્યે સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ’, “હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે અને યાદશક્તિ કાચા પાપડના જેવી હશે”નું છે. પરંતુ તેમના વિદ્યાર્થીકાળના પુરાવા દર્શાવે છે કે તે જેમ તેજસ્વી વિદ્યાર્થી નહોતા તેમ સાવ ઠોઠ પણ નહોતા. તેમને એક મધ્યમ દરજ્જાના વિદ્યાર્થી ગણી શકાય. તે શાળામાં ભણતા ત્યારે જેમ નાપાસ થયા છે, ઝીરો માર્ક્સ મેળવ્યા છે તેમ કોઈ કોઈ વિષયમાં ટોપર કરતાં વધુ માર્કસ મેળવ્યા છે, એક જ વરસમાં બે ધોરણ પાસ પણ કર્યા છે. સત્રાંત પરીક્ષામાં નાપાસ થયા છે અને વાર્ષિક પરીક્ષા સારા ગુણે પાસ કરી છે. પરીક્ષાના સારા પરિણામના આધારે સ્કોલરશિપ મેળવી છે. અઘરી ગણાતી અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલની પ્રવેશ પરીક્ષા, મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાતી મેટ્રિકની પરીક્ષા, અનિવાર્ય નહીં એવી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષા અને બેરિસ્ટરીની લેટિન સાથેની પરીક્ષા એક કે બે જ ટ્રાયલે પાસ કરી છે. એટલે તેમને  સાવ સામાન્ય કોટિના કે સરેરાશ વિદ્યાર્થી ગણી શકાય નહીં.

બાળક, કિશોર અને યુવા મોહનદાસ શરમાળ, સંકોચશીલ, ડરપોક, વિષયભક્ત, નરમાખ, મૂઢ, જ્ક્કી જવાન અને આપમતિલો છોકરો હતા. તે છોડી-જાળવીને અહિંસા, સત્ય અને અભયના માર્ગે રાષ્ટ્રપિતા કે મહાત્મા થઈ શક્યા તેમાં તેમના શિક્ષણ અને શિક્ષકોનું યોગદાન કેટલું? કે મોહનદાસનું મહાત્મા તરીકેનું ઘડતર તેમના વિદ્યાર્થીકાળમાં થયું હતું ? તે સવાલનો જવાબ ઘણે ભાગે નકારમાં જ આવે છે. ખ્યાત અમેરિકી પત્રકાર લુઈ ફિશરે ગાંધીજીના જીવનચરિત્રમાં લખ્યું  છે કે , “તેઓ મહત્ત્વની વાતો ભણતરમાંથી નથી શીખ્યા. ખરા ગાંધી, ઇતિહાસના ગાંધી નિશાળના ભણતરમાંથી નથી પાક્યા.”

બાળપણ અને કિશોરાવસ્થામાં ગાંધીજીને બૂરી સંગત વળગી હતી. માંસાહાર, ચોરી અને વ્યસન કરતાં થયા હતા. પરંતુ કાળક્રમે એ જાતે જ છોડ્યું. એટલું જ નહીં બેરિસ્ટર બનવા લંડન જવાનું થયું ત્યારે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા અચૂક પાળી હતી. તેની પાછળ કયું બળ હતું.? હાઈસ્કૂલના અંગ્રેજી ધોરણના પહેલા વરસની પરીક્ષા વખતે કેળવણી ખાતાના ઈન્સ્પેકટરે પાંચ શબ્દોની જોડણી લખાવી હતી. તેમાં એક શબ્દ કેટલ (Kettle) હતો. મોહનદાસે તેની જોડણી ખોટી લખી હતી. એટલે વર્ગશિક્ષકે પોતાના બૂટની અણી મારી સામેના છોકરાની પાટીમાંથી જોઈ લઈ જોડણી સુધારી લેવાનો ઈશારો કર્યો હતો. પણ તેમણે તેમ ન કર્યું અને આખા વર્ગમાં તેમની જ એક શબ્દની જોડણી ખોટી ઠરી. કદાચ પરીક્ષામાં એ નાપાસ થયા પણ નીતિ શિક્ષણમાં પાસ થયા અને તે પણ શિક્ષકની ઉપરવટ જઈને. પિતાએ ખરીદેલ શ્રવણપિતૃભક્તિ નાટકનું વાચન અને હરિશ્ચંદ્રનું આખ્યાન જોવાનું પણ તેમને નિશાળના કોઈ શિક્ષકની દોરવણી વિના જ થયેલું અને તેમાંથી મળેલી શિખામણ તેમણે કાયમ માટે ગાંઠે બાંધી હતી. એટલે જીવન મૂલ્યો તે શાળા શિક્ષણમાંથી નહીં બીજી રીતે શિખ્યાં હતા.

રાજકોટ સ્કૂલ ગાળાના સાથી મહેતાબ શેખ સાથેની દોસ્તીના ઉલ્લેખ વિના ગાંધીજીના વિદ્યાર્થી કાળનું આલેખન અધૂરું છે. મુસ્લિમ મિત્ર મહેતાબ સાથેના સંબંધને ગાંધીજીએ તેમની ‘જિંદગીનું દુ:ખદ પ્રકરણ’  કહ્યું છે. મહેતાબની દોસ્તી ગાંધીજીને પણ કેટલાક દુર્ગુણો તરફ ખેંચી ગઈ હતી. જો કે તેઓ ઝડપથી પાછા વળી ગયા. પણ મહેતાબ સાથેની મિત્રતા લાંબો સમય રહી હતી. ગાંધીજીમાં કાયમ રહેલા હિંદુ-મુસ્લિમ ભાઈચારાના બીજ કદાચ મહેતાબ સાથેની દોસ્તીમાં હતા.

ગાંધીજીના સમગ્ર જીવન સાથે જે મૂલ્યો વણાયેલાં છે તેના અણસાર તેમના વિદ્યાર્થીકાળમાં જોવા મળે છે. ૧૮૯૦માં લેવાયેલી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્રમાં એક સવાલ હતો કે સુવર્ણ કરતાં વધારે સુવર્ણમય શું છે? અને એકવીસ વરસના પરીક્ષાર્થી મોહનદાસ ગાંધીનો જવાબ હતો કે, સત્ય એ સુવર્ણમય છે. ભલે ભણતરે ગાંધીજી સામાન્ય કોટિના વિદ્યાર્થી મનાય પણ ગણતરે  જીવન મૂલ્યો સભર માનવી અને સત્યાગ્રહી તરીકે તે અસામાન્ય છે, અસાધારણ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

એક બીજી પ્રેરણાદાયી કથા –

સુરેશ જાની|Opinion - Opinion|9 October 2024

તામીલનાડુ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા તિરૂનવેલી જિલ્લામાં દુકાળમાં અધિક માસ આવે તેવી હાલત હતી. પણ આ ‘રાજ્જા’ના પ્રતાપે ત્યાં હરિયાળી લહેરવા લાગી છે.

[ડેવિડ રાજા બેલુઆ પકીઆનાથન]

તામીલનાડુ સરકારના બગાયતી ખાતાના આસિ. ડિરેક્ટર

એક દિવસ ડેવિડ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. બાજુમાં વેંકટ નામનો એક ખેડૂત જેવો લાગતો માણસ મોગરાનાં ફૂલ વેચવા બેઠો હતો. નાની નાની ઢગલીઓ, પણ દરેકની કિમત સો સો રૂપિયા.

ડેવિડે પુછ્યું, ‘આટલી બધી કિંમત રાખી છે, તે કોણ ખરીદશે?’

વેંકટે ઉદાસ ચહેરે જવાબ આપ્યો, “ સાહેબ!  થોડા વખત પછી, તો આટલાં ફૂલ પણ નહીં મળે.”

ડેવિડ –‘ કેમ એમ?”

“પાણી જ ક્યાં છે, મલકમાં? પંપમાંથી માંડ અડધો કલાક, ટીપે ટીપે પાણી આવે છે, અને તે ય વીજળી વેરણ ન થઈ હોય તો. થોડોક પણ વરસાદ નહીં થાય તો મહિનામાં મોગરાના છોડ મરી જ જવાના. ”

ડેવિડના બાગાયતી મ્હાંયલાને આ પડકાર હતો. બીજે દિવસે શનિવાર હતો. ઓફિસમાં રજા હતી. ડેવિડ તેના ઘરથી વીસેક કિ.મિ. દૂર વેંકટના ગામમાં પહોંચી ગયો. તેના તકનિકી મગજમાં તરત ઝબકારો થયો કે, ‘જમીનમાં પાણી નથી એવું નથી. વીજળી પૂરતી નથી. ’

બીજા અઠવાડિયે ઓફિસમાં હતી, તે બધી સામગ્રી એકઠી કરી તેણે એક સોલર પમ્પ તૈયાર કર્યો અને ફરીથી તે વેંકટના ખેતરમાં પહોંચી ગયો. વીસ ફૂટ જ નાનકડી પાઈપ ઊતારી અને પાણીનું ઝરણું મળી ગયું. સાથે લાવેલી સોલર પેનલ અને પમ્પ સાથે એ પાઈપને જોડી દીધી. થોડાક જ વખતમાં પમ્પ ચાલે એટલી વીજળી બનવા લાગી. સ્વિચ ચાલુ અને પાણીનો શેરડો મોગરાના છોડ પર! મોગરાના છોડના મૂળની આજુબાજુ નારિયેળીનાં છોડાં અને રેસા પાથરી દીધા, જેથી મૂળ પાસે ભેજ જળવાઈ રહે.

સાતેક  કલાક પમ્પ ચાલ્યો, અને મોગરાના પચાસેક છોડવાઓમાં નવજીવન આવી ગયું. ડેવિડે આ પમ્પને નામ આપ્યું – ‘દુકાળ લડત પિચકારી’. આજુબાજુના ખેડૂતોને પણ આ પિચકારી બહુ કામની લાગી. સરકારી સહાયથી, ગામના બધા બગીચા બચી ગયા. ડેવિડે પાણીનો ઉપયોગ કરીને ખેતરમાં જમા થતા ઘાસ, પાંદડાં વગેરેમાંથી ખાતર બનાવવાનું પણ ખેડૂતોને શીખવ્યું. આમ મોગરા તો બચ્યા જ; પણ ખેડૂતોને કરવો પડતો વીજળી, બળતણ અને ખાતરનો ખર્ચ પણ ઓછો થઈ ગયો. ખેતરમાં જ નહીં, વેંકટ અને તેના ગામવાસી મિત્રોના જીવનમાં પણ હરિયાળી લહેરાવા લાગી.

       આ જ રીત મોટા ખેતરોમાં શી રીતે અપનાવી શકાય, તેનો વિચાર આ ‘રાજા’ કરવા લાગ્યો ! પાંચ વર્ષની અથાક મહેનત, અખતરા, નિષ્ફળતાઓ, અને અવનવી તરકીબોના પ્રતાપે તિરૂનવેલી જિલ્લાના ઘણા બધા ખેતરો ફરીથી લીલાં છમ્મ બની ગયાં, આજુબાજુનાં ઝાડ પણ.

છેલ્લાં પાંચ વર્ષમાં ડેવિડે ખેડૂતોને તાલીમ આપવાની ઘણી શિબિરો કરી છે, અને ૧૦૦ ખેડૂતોને નવી તરાહ અપનાવતા કરી દીધા છે. ખેતીના પાકમાં પણ ડેવિડના નિદર્શન હેઠળ ફેરફાર થવા લાગ્યા છે. ઓછું પાણી જોઈએ તેવા કાજુ, કાળા ચણા, મગ, આફ્રિકન ચોળા (cow pea) વગેરેની ખેતી પણ થવા લાગી છે. સો જેટલા બોરવેલ, અને હજારોની સંખ્યામાં હેન્ડ પમ્પ પણ કામ કરતા થઈ ગયા છે. દારૂણ ગરીબાઈમાં નિચોવાઈ જતા ખેડૂતોની આત્મહત્યાના સમાચારો વચ્ચે ડેવિડની પિચકારી રણદ્વીપ જેવી બનવા લાગી છે. દેશમાં બીજે પણ આવી પિચકારીઓ હોળી નહીં પણ ભાદરવાની હેલી સાથે હરીફાઈ કરવા લાગી છે.

       સમૃદ્ધ ખેડૂતો તો સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા છે. દસ એકરના ફાર્મના માલિક સેન્ધિલ કહે છે, ”પહેલાં હું વર્ષે માંડ ૩૦,૦૦૦ ₹  કમાતો હતો. નવી તરાહથી કાજુના સો ઝાડ ૩૫,૦૦૦ ₹. , અને મગ કાળા ચણાના છોડ ૩૨,૦૦૦ ₹ કમાવી આપે છે. એમાંથી મળતા ઢોરના ચારાના પ્રતાપે મેં ત્રણ ગાયો પણ રાખી છે – જે મને વર્ષે વધારાના ૩૦,૦૦૦ ₹ કમાવી આપે છે. સાથે સાથે ૧૦,૦૦૦ મરઘીઓ પોષાય છે – એનાથી મળતી ૨,૪૦,૦૦૦ ₹.ની આવક તો આ બધાંયને પાછાં પાડી દે છે ડેવિડ સાહેબની દોરવણી ન મળી હોત તો આ બધું શક્ય ન જ બનત.”

સેન્ધિલે એક દૂધ ઉત્પાદક મંડળી પણ સ્થાપી છે, જે નાના ખેડૂતોને માટે આણંદના ‘અમૂલ’ જેવી અમૂલ્ય સાબિત થઈ છે.

તામીલનાડુના આ ડેવિડે દુકાળના ગોલિયાથને નાથ્યો છે.

સંદર્ભ –

http://www.thebetterindia.com/91464/solar-pumps-drought-farmers-tamil-nadu/
http://www.thehindu.com/sci-tech/agriculture/Project-that-brought-many-farmers-out-of-debts/article15444225.ece
https://en.wikipedia.org/wiki/Cowpea
 e.mail : surpad2017@gmail.com

Loading

...102030...397398399400...410420430...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved