Opinion Magazine
Number of visits: 9870913
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નટવર ગાંધીના એક કાવ્યનો લગરીક રસાસ્વાદ

'ભભાઈ' ભરત પાઠક|Opinion - Literature|10 October 2014

                                ઉલ્લાસ કરીએ                     • નટવર ગાંધી

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
ન કે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ, પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને દૃષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.

 

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ.

 
(‘પેન્સિલવેનિયા અૅવન્યૂ’ નામક કવિનો કાવ્યસંગ્રહ, પૃ. 94-5)
 
શીખરિણી છંદમાં નિબદ્ધ આ કાવ્ય બે-ત્રણ વાર વાંચીએ ત્યારે એમાંના વિચાર અને ભાવની, લય અને પ્રાસની ગૂંથણી દેખાતી જાય અને ખબર પડે કે આપણને કેમ આ ગમે છે.
 
આ કાવ્ય એક ઉક્તિ છે; એક વ્યક્તિ બીજી વ્યક્તિને કશુક કહી રહી છે. જે કહેવાય છે તે વાત આમ તો સીધી સાદી છે : કે, “આ જગત આવું આવું છે, સારું ય છે અને નરસું પણ છે; પણ એમાં નભાવી લેવા કે ઉજાળી દેવા જેવાની સાથે સાથે માણવા જેવું પણ ઘણું ઘણું છે, જીવન હવે ઝાઝું નથી; આજુબાજુ જે જગત છે તેમાં જ તો વસવાનું છે – અને આપણે વસવું પણ ત્યાં જ છે – તો ચાલને, એમાં માણવા જેવું છે તે બધું માણીને ઉલ્લાસ કરીએ.”
 
આવી, ચાર વાક્યોમાં સમાવી શકાય તેવી સીધી સાદી વાત એ લખનારે ચૌદ પંક્તિના કાવ્યરૂપે કેમ રજૂ કરી હશે તેવો સવાલ સ્વાભાવિક થાય. એનો જવાબ ઉપર અપાયેલો ટૂંક સાર વાંચવાથી મળી રહેશે. સારરૂપ એવા ચાર વાક્યો આપણને એટલાં સ્પર્શી જતાં નથી જેટલી એ ચૌદ પંક્તિઓ સ્પર્શે છે. કારણ કે કાવ્ય વાચકના મનમાં જે ભાવ જગાડી શકે છે તે માત્ર ગદ્યાળુ વાક્યો જગાડી શકતા નથી. એ લખનાર કવિ છે; તે કશું સમજાવવા નથી બેઠો, એ માત્ર એક ભાવભર્યું નોતરું દેવા ચાહે છે. શાનું નોતરું છે આ? ચાલો, જરાક ધ્યાનથી તપાસીએ.  
 
નોતરું તો છેક છેલ્લે આવે છે; પણ એ સ્વીકારવાની ભલામણ તો કાવ્યની “અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ” એ પહેલી પંક્તિથી જ થઈ જાય છે. આગળ વધી આખું કાવ્ય એ ભલામણ આપણને ગળે ઊતરી શકે તે માટે હળવા શા અનાગ્રહી અવાજે, “આ જગત આમ જોઈએ તો આવું આવું છે” એમ બતાવતા જાય છે. અહીં એક ક્યારેક જ જોવામાં આવે તેવું પુનરાવર્તન તરત નજરે ચડે. ક્ષણભર એમ થાય કે દરેક નવી કડી કેમ એકની એક પંક્તિથી શરૂ કરી હશે? આ કાવ્યને જો સંગીતની પરિભાષામાં જોઈએ તો જવાબ મળે કે એ એક પંક્તિ ધ્રુવપંક્તિનું કામ બજાવે છે; ભાવને ઘૂંટે છે. પ્રત્યેક કડીને અંતે મૂકવાને બદલે પ્રારંભે મૂકી; કારણ એ ભાવ જ, એ કથન જ આ કાવ્યનું મુખ્ય અંગ છે, મુખ્ય ભાવ છે. જે જગતમાં જ વસવું છે તેની સર્વ ખૂબી-ખામી પહેલી બે કડીમાં કહી. જગતમાં સારું-નરસું જે બધું વિગતે ગણાવાતું હોય છે બધું, “હા છે; પણ તેથી કરીને કયાં ય ભાગી જવું નથી” તે વાત, માત્ર એ એક પંક્તિ પ્રારંભે મૂકીને કવિ કહે છે ત્યારે એ પોતાના નિશ્ચયમાં દ્રઢ છે તે તો બતાવે જ છે પણ આવી આવી બધી જાણ સાથેનો એ નિશ્ચય છે તે પણ દર્શાવે છે..
 
પછી ત્રીજી કડીમાં, સંસારની જંજાળો આડે માણસનું મન જે જોવાનું ભૂલી જતું હોય છે તે પ્રકૃતિનાં  સૌન્દર્યો યાદ કરાવીને એક શાંત, અને આનંદમય ભાવને જગાડે છે. અને એટલે હવે છેલ્લે બે જ પંક્તિમાં [હા, બે જ, કારણ કે હવે વધારે કહેવાનું હોય નહીં, વધારે કહેવા સમય પણ નથી અથવા તો જે સમય છે તે બોલવા-કહેવામાં ખરચવો નથી; માટે બે જ પંક્તિમાં-] ઉલ્લાસ કરવા નોતરે છે.
 
વળી જુઓ કે કવિ સખીને નોતરે છે. એ સખી કોણ? તમે કહેશો, “એ તો કવિ જાણે; અમે જેમને જોયા નથી, જેમની ઓળખાણ આ કવિતા સિવાય કશેથી છે નહીં, તે કવિની સખીને તો અમે ક્યાં ઓળખીએ છીએ?” પણ વિચારો કે કદાચ કવિ આપણને જ કહે છે કે, “ચાલ, ઉલ્લાસ કરીએ”; આપણે જ એ સખી છીએ – તો? કવિએ આ કાવ્ય એક વિકસેલા, ખીલેલા પ્રેમની ભૂમિકાએ રચી છે, એમનું સંબોધન "સખિ" (આપણે ગુજરાતીમાં દીર્ઘ 'ઈ' વાપરીએ છીએ, પરંતુ છંદમાં 'ખિ' બેસે છે એટલું જ નહીં પણ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે સંબોધન હોય ત્યારે હ્રસ્વ 'ઇ' વપરાય છે તે દૃષ્ટિએ જોતાં એ ‘સખિ’ સંબોધન) વાચકને ઉદ્દિશીને હોય તો પણ એ સુયોગ્ય છે, સુચારુ છે; કારણ કે કાવ્ય નીચે જેનું નામ છે તે ભલે પુરુષ છે; પરંતુ કાવ્યમાં જે કહેનાર છે તે સ્ત્રી હોય તેમ જોઈ જોશું તો ‘સખિ’ સંબોધન તો સમજાશે જ અને વળી એમ પણ ખ્યાલ આવશે કે, “હા, આવી પ્રેમભરી દૃષ્ટિ, સ્વીકારની દૃષ્ટિ, કદાચ સ્ત્રીની જ હોય.” ખરું પૂછો તો કવિ સ્ત્રી-પુરુષ ઉભય હોય છે. 
 
આટલે સુધી વાંચવા બદલ આભાર; પણ હવે પાછા એ કાવ્ય જ વાંચો; આ વિવરણ ભૂલી જાઓ; જુઓ તમને ય નવુ જડશે.
 
ઓક્ટોબર ૮, ૨૦૧૪. આસો સુદ પૂનમ, વિ..સં. ૨૦૭૦ 
 
ગ્લેન્ડેલ હાઈટ્સ, ઈલિનોઈસ, યુ.એસ.એ.           

Loading

ગઝલ

ગુણવંત વૈદ્ય|Poetry|8 October 2014

િવના માંગ્યે ભરીને ખોબલે જે મોજ આપે છે,

ભલા માણસ, નથી કોઈ કદર જે રોજ આપે છે? 

 

હજારો હાથથી સૌને સરીખો માલ જે દેતો, 

નથી લીટો બન્યો 'જો હોય શાણા તોજ આપે છે.'

 

કસોટી કાં કરે ઓકાત તારી શું ? તપાસી જો.

નકામી વાત છંછેડી નકામો બોજ આપે છે. 

 

મૃતીકા ભીંજવીને જે મથે છે માનવી ઘડવા,

બનાવી 'ડેડ'સમ તું માનવીની ફોજ આપે છે? 

 

પિછાણી હેત જે કરતો  રખોપાં હેતદાતાના, 

બની તે સાધનો સાકાર 'તેની' ખોજ આપે છે. 

e.mail :gunvantvaidya@outlook.com

Loading

મૈત્રી તે ઔષધ

ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી|Opinion - Opinion|8 October 2014

‘અૉન-લાઇન’ “ઓપિનિયન” સામિયકના વાચક અને લેખકોને, સામયિકની અને તેના તંત્રી / સંપાદક વિશે, થોડી વાતો કરવાનો અા લેખનો હેતુ રહે છે. સાથોસાથ સંપાદક અને એમના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી (કારણ ? − કહેવાય છે ને કે ‘સોબત તેવી અસર’), અને ખાસ કરીને, બહ્મીગામ શહેરના મિત્રોને પરિપ્રેક્ષ્યમાં રાખી વાત કરવાનો અહીં અાશય છે.

પહેલાં “અોપિનિયન” સામયિકની વાત : આવતા વર્ષના અૅપ્રિલ મહિનામાં સામયિક શરૂ કર્યાંને 20 વર્ષ પૂરાં થશે. સામયિકના શરૂઆતના દિવસોમાં કેટલાક લોકોએ અદેખાઈમાં આવી જઈ, સામયિકનું ‘બાળમરણ’ ભાખ્યું હતું ! પરંતુ સંપાદકની હિમ્મત – ધગશ અને પત્રકારત્વ પરત્વેના પ્રેમ, તેમ જ મિત્રો – લેખકો – વાચકોના સાથસહકારથી, સામયિક, બેબે દાયકાઓથી, નિયમિત રીતે પ્રગટ થતું રહ્યું છે. એ સમયગાળામાં સામયિકના ત્રણ અવતારો થયા. લગભગ પંદર વર્ષો સુધી સામયિક મુદ્રિત થઈને દર મહિને પ્રકાશિત થતું રહ્યું અને બસો ઉપરાંત લવાજમી ગ્રાહકો સમેતના અનેક વાચકો સુધી પહોંચતું કરાતું હતું. ત્યાર પછીના  તેના ‘ડિજિટલ’ અવતારમાં તેને બહોળા વાચકો મળ્યા. સામયિકના આ બન્ને અવતારોમાં, દરેક અંક અમુક નિશ્ચિત કથાવસ્તુ [theme] લઈને આવતો. છેલ્લા, ત્રીજા અવતારમાં, on-line સામયિકે હવે દુનિયાભરમાં બહોળો વાચકવર્ગ મેળવ્યો છે.

આ ત્રણે અવતારોમાં તંત્રી / સંપાદક વિપુલ કલ્યાણી સતત કાર્યશીલ રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણામાંથી આવતા લેખો, કથાવસ્તુ કેન્દ્રિત પોતીકી સામગ્રી પ્રકાશિત કરતા રહ્યા છે. વિપુલભાઈના 40-50 વર્ષની પત્રકારત્વની મજલમાં, કહો કે પત્રકારનો ધર્મ અને ધૂનમાં – સંખ્યાબંધ મિત્રો-વાચકો-લેખકો સાથે અત્યારની પેઢીના માત્ર ‘ફેઇસબુકિયા મિત્રો’ જ નહીં, પણ અંતરંગ મિત્રો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધોનું સાતત્ય વિપુલભાઈએ જાળવી રાખ્યું છે. પ્રખર રોમન વક્તા અને વિચારક સિસેરો અને અંગ્રેજ નિબંધકાર-લેખક ફ્રાન્સિસ બેકનના મૈત્રીધર્મ પરના મંતવ્યો વિપુલભાઈએ જાણે કે રગેરગમાં પચાવ્યા છે !

સિસેરો કહેતા :

Friendship makes prosperity brighter, while it lightens adversity by sharing griefs and anxieties.

બેકન કહી ગયા છે :

Friendship redoubleth joys and culteth griefs in halves.

આવી મૈત્રીનો ધર્મ બજાવવા, જુલાઈ 23મી તારીખ ને બુધવારે બહ્મીગામના મિત્રો કે જેઓ વર્ષોથી બહ્મીગામનાં સાંસ્કૃિતક, સાહિત્યિક અને સામાજિક જીવનમાં સંકળાયેલા અને કાર્યશીલ રહેલાં છે એમની ખબરઅંતર પૂછવા તથા ભાળ મેળવવા વિપુલભાઈ બહ્મીગામ આવ્યા હતા.

એ દિવસે સ્કૉટલૅન્ડના ગ્લાસગો નામે નગરમાં રાષ્ટૃસમૂહના દેશોને નામ રમતગમતની હરીફાઈઓનું મંગલાચરણ થઈ રહ્યું હતું. અા કૉમનવેલ્થ ગેઇમ્સનો શુભારંભ મહારાણી ઇલિઝાબૅથ બીજાને હાથે થતો હતો. એકોતેર જેટલા મુલકના રમતવીરો ભાગ લઈ રહ્યા હતા. કેલટિક પાર્કના આ જલસામાં 23 હજાર લોકોની મેદની હતી અને રાણીબાએ અવસરને ખુલ્લો જાહેર કર્યો હતો.

બસ, એવે ટાંકણે, વિપુલભાઈ અને બહ્મીગામ માંહેનાં અમે મિત્રોની મુલાકાત જામતી હતી. રસભરી ગોષ્ઠિ થતી રહી અને દરેકને મનહૃદયમાં મહેક પ્રસરાવતી રહી. અા મિત્રો સારુ એ ઘટના યાદગાર બનીને રહી.

અાયુર્વેદ કહે જ છે : ‘આહાર તે જ ઔષધ’. એ બુધવારના દિવસે મિત્રોની મુલાકાત અને ગોષ્ઠિમાં એટલું જરૂર અનુભવાયું કે મૈત્રી પણ ઔષધનો દરજ્જો ધરાવે ખરી.

અા મિત્રોને પહેચાનવા જેવાં છે. “ઓપિનિયન”ના જૂનાં વાચકોને સારુ અામાંના કેટલાંક પરિચિત નામો જ હોવાનાં. નવેમ્બર 1998ના અંકમાં, જુઓને, એક આછો પરિચય ‘એક ભલો માણસ’ના શીર્ષકથી અાપવામાં આવેલો તે સાંભરી આવશે.

આ લેખમાં આવતો ‘… ભલો માણસ’ એટલે અમારા રમણભાઈ નરોત્તમભાઈ પરમાર. હા, આ નામ બી.બી.સી.ના એક વખતના પ્રસારિત થતા ગુજરાતી કાર્યક્રમ માટે લગીર અજાણ્યું નથી. મૃદુ, મીઠી [mellifluous] ગુજરાતી ભાષામાં સમાચાર વાંચતી વખતે રમણભાઈ, આપણા ગુજરાતી સાહિત્યકારો – રમણલાલ વસંતલાલ દેસાઈ, કે કનૈયાલાલ માણેકલાલ મુનશીની માફક પોતાનું આખું નામ અટક સાથે રજૂ કરવામાં ગૌરવ અનુભવતા. વળી, બહ્મીગામમાં ગુજરાતી શિક્ષણ આપતા વર્ગોની શરૂઆત કરનારાઓમાં પણ એ અગ્રેસર. આટઆટલા વરસે પણ એમની કાર્યશીલતામાં ઓટ આવી નથી. એમની ક્ષમતાને ઘસારો પહોંચ્યો લાગતો નથી. રમણભાઈ એટલે સમાજ સેવક, અાદિ સમાજ સેવક ! પોતાના કેન્યા માંહેના આદિ દિવસો વેળા પણ જાણે કે સમાજ સેવા એમનો પરમ ધર્મ રહેલો.

બહ્મીગામમાં આવા સમાજ સેવકો અને ગુજરાતી ભાષાના શિક્ષકોનું એક જૂથ પણ રમણભાઈએ ઊભું કર્યું છે. આ જૂથમાં મોખરે હોય છે એમના મિત્ર સુમનભાઈ મ્યાંગર તથા એમનાં પત્ની ગંગાબહેન. ગુજરાતી ભાષાના વર્ગો ચલાવવામાં કે પછી વડીલ વર્ગમાંના મોટી ઉમ્મરના લોકોની સેવા કરવામાં અા દંપતી યુગલ સતત ક્રિયાશીલ. રમણભાઈના જાણે કે એ જમણા હાથ. રમણભાઈનાં પત્ની નિર્મળાબહેને પોતાના ‘સ્વામી’ને પગલે પગલે સાથ અાપી પોતાની આગવી કેડી કંડારી છે. વર્ષો સુધી નિર્મળાબહેને બી.બી.સી.ના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કરીને પ્રસારણ કરેલું. પોતાના લહેકામાં, અલંકારી ભાષા સાથે એ શ્રોતાગણને મોહક કરતાં રહેલાં.

બહ્મીગામના આ મિત્રોમાં વરિષ્ટ એટલે બહ્મીગામ શહેરને ‘લીલું વૃંદાવન ધામ’નો ઇલકાબ આપનારા કવિ, અને કવિસંમેલનોમાં અનોખી, રૂડી ભાતમાં પોતાની રચેલી ગુજરાતી કવિતાઓને લલકારતા ગાયક  પ્રફુલ્લ અમીન. ખુદ કવિ હૃદય અને માયાળુ. મળતાવડા સ્વભાવના પ્રફુલ્લભાઈએ બહ્મીગામની કંઈ કેટલીએ સંસ્થાઓનું સુકાન સંભાળી, ડાયસ્પોરિક ભારતીય સમાજની અનોખી સેવા કરી છે.

આ ‘અમદાવાદી’ મિત્રના અસલ જૂના જોગી એટલે ગુજરાતના નાટ્યકાર ચં.ચી. મહેતાના એક વિદ્યાર્થી, પ્રવીણ સાંગાણી. પ્રવીણભાઈ મૂળગત નાટકનો માણસ. હાવભાવમાં અને એમના આ અમદાવાદી મિત્ર સાથે વાદવિવાદ કરતા હોય ત્યારે એમનો નાટકીય અવાજ અને મિજાજ અછતો ન રહે. અને કોઈ કવિ સંમેલનમાં એકાદા કવિ પોતાની કવિતાઓનું પઠન કરતા હોય અને શ્રોતાગણ કંટાળતા હોય ત્યારે, છેલ્લે પાટલે બેઠા હોય તો પણ, પ્રવીણભાઈ બોલે જ બોલે : પાન 27 પરની કવિતા પઢો ! … અને હાસ્યનું મોજું ચોમેર ફરી વળે. વાતાવરણમાં હળવાશ આવી જાય.

વિપુલભાઈની ગુજરાતી સાહિત્ય અકાદમીમાંની દીર્ઘ સેવાકારકિર્દી વેળા પરીક્ષાઓના સંચાલન હેઠળ ચાલતા પરીક્ષાતંત્રમાં, સક્રિય સાથસહકાર આપવામાં પહાડી કાઠિવાડી મનેખ, નાગેશ ઓડેદરા અગ્રેસર હતા. સાથમાં હોય સરયૂબહેન પટેલ. આ બન્ને ભાષાસાહિત્યપ્રેમીઓની મહેનત અને સૂજબૂજથી પણ ગુજરાતી સાહિત્ય અકાદમી ચોમેર મજબૂત સેવાઓ આપતી હતી.

હવે તો આ મિત્રો કુટુંબના અને પોતાના સ્વાસ્થ્યના સવાલોમાં લપેટાયાં છે. મોટી ઉમ્મરે આવતી નાનીમોટી વ્યાધિમાં ય અટવાયેલાં ભાળીએ છીએ. આવા બે મિત્રોની ભાળ કાઢવા વિપુલ કલ્યાણી બહ્મીગામ આવેલા. અને મૈત્રી કેવી રીતે ઔષધ બની રહે છે એ કૌતુક સૌએ અનુભવ્યું.

એ બુધવારે મિત્રોની મહેમાનગીરી કરવાના ઉલ્લાસમાં – હર્ષમાં – નાગેશભાઈ, દોઢબે વરસની બીમારીની અશક્તિને ગણકાર્યા વિના, અને વળી, આ ગાળા દરમિયાન કાર હંકારવાની કળા પર પ્રસેરલી રજોટી ખંખેરી, ચંપાબહેનને જણાવ્યા વગર જ બહાર નીકળી ગયા ! હિમ્મતથી કાર હંકારી ! બોલો, માનશો, બજારમાં ગયા અને મિત્રો સારુ તાજી જલેબી લઈને પરત થયા !

અને એ જ બુધવારે, પ્રવીણભાઈને પણ મળવાનું બનતું હતું. છસાત મહિનાની જીવલેણ બીમારીમાંથી બહાર નીકળી મિત્રો સાથે તન્મયતાથી રસપૂર્વક ગોષ્ઠીમાં પરોવાયેલા રહ્યા. પ્રફુલ્લભાઈ જોડે પ્રવીણભાઈ તેના પોતાના લહેકામાં, અને તેને અનુકૂળ તોરમાં વાતે વળગેલા અને હંફાવતા રહ્યા. પ્રવીણભાઈનાં પત્ની સરલાબહેન આ બધું કૌતુકભરી આંખે નીરખતાં રહ્યાં. ચંપાબહેનનો ય આવો આનંદ અમે લોકોએ સવારે  અનુભવ્યો જ હતો.

બહ્મીગામમાં નાગેશભાઈ, પ્રવીણભાઈ અને રમણભાઈને ઘેર જામેલી મજલિસમાં અમે અન્નકૂટની મજા માણી. ચોતરફ હેતના ફૂવારા ઊડતા હતા અને અમે તેનો છંટકાવ માણતા રહ્યાં.

આ બેઠકે ફરી સાબીત કરી આપ્યું કે મૈત્રી અજીબ ઔષધ છે. સિસરે અને બેકનના મંતવ્યો સાચા હોય તેમ અમે અનુભવતા રહ્યા.

[‘Kamal Kunj’, 3 Buckingham Mews, SUTTON COLDFIELD, West Midlands B73 5PR, U.K.]    

Loading

...102030...3,9723,9733,9743,975...3,9803,9904,000...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved