Opinion Magazine
Number of visits: 9664632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાસ્તવિકતા સ્વીકારો તો જ વાસ્તવિકતા બદલાય

રમેશ ઓઝા|Opinion - Opinion|9 February 2025

રમેશ ઓઝા

અનધિતકૃત રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીય નાગરિકોને અમેરિકાએ પાછા મોકલ્યા તેની તસ્વીરો અને વીડિયો ક્લિપ્સ તમે જોઈ હશે અને એક દેશપ્રેમી ભારતીય તરીકે પીડા પણ અનુભવી હશે. હાથમાં હાથકડી અને પગમાં બેડી. સ્ત્રીઓ અને બાળકો સાથે પણ કોઈ માણસાઈપૂર્વકનો વહેવાર નહીં અને ઉપરથી તેમને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ એક દેશથી બીજા દેશમાં ગુનેગારોની હેરફેર માટે લશ્કરી વિમાનનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે ગુનેગારે સંબંધીત દેશમાં તે દેશની સુરક્ષાને હાનિ પહોંચે એવો ગંભીર ગુનો કર્યો હોય. જેમ કે યુદ્ધકેદીઓ હોય, જાસૂસો હોય, વગેરે. ઘરઆંગણે બેકારીથી બચવા માટે જો કોઈ પેટ ભરવા બીજા દેશમાં પ્રવેશે તો એ ગુનો જરૂર બને છે, પણ એવો ગુનો નથી બનતો કે તેને હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવવામાં આવે. સૌથી મોટું અપમાન તો એ હતું કે અમેરિકન વહીવટીતંત્રે તેણે કરેલા માનવતાવિરોધી કૃત્યની ફિલ્મ ઉતારી અને રીલીઝ કરી. એમ બતાવવા માટે કે જો અમેરિકા આવશો તો આવા હાલ થશે.

આ ખિન્ન કરી મૂકનારી ઘટના છે અને એનાથી પણ વધારે હ્રદયવિદારક વાત એ છે કે ભારત સરકાર અસંમતીનો એક શબ્દ પણ બોલી શકી નથી. એટલું પણ નથી બોલી શકી કે અનધિકૃતપણે પ્રવેશેલા લોકોને પાછા મોકલવાનો અમેરિકાને અધિકાર છે, પણ એમાં માનવીય ગૌરવ જળવાઈ રહેવું જોઈએ. તેઓ અમેરિકા અમેરિકાવિરોધી પ્રવૃત્તિ કરવા માટે નહોતા ગયા. એની જગ્યાએ વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંસદના બન્ને ગૃહોમાં વાહિયાત નિવેદન કરીને ઊલટો અમેરિકાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગેરકાયદે બીજા દેશમાં પ્રવેશવું એ ગુનો છે અને અમેરિકા ૨૦૦૯ની સાલથી અનધિકૃત રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીયોને પાછા મોકલી રહ્યું છે. તેમણે પાછા મોકલવામાં આવેલા ભારતીયોના સાલવાર આંકડા આપ્યા હતા. અરે ભાઈ, કોઈએ એમ નહોતું કહ્યું કે અમેરિકાએ અનધિકૃત ભારતીયોને પોતાને ત્યાં વસાવવા જોઈએ, લોકોએ માત્ર એટલું જ કહ્યું હતું કે અમેરિકાએ અમાનવીય કૃત્ય કરીને ભારતનું અપમાન કર્યું છે તેની ભારતે નિંદા કરવી જોઈએ. જયશંકરે અમેરિકાના કૃત્યની નિંદા તો દૂરની વાત છે, નારાજગી પણ પ્રગટ નહોતી કરી. શું આ પહેલાં અનધિકૃત વસાહતીઓને હાથકડી અને પગમાં બેડી પહેરાવવામાં આવી હતી? તેની ફિલ્મ ઉતારીને રિલીઝ કરવામાં આવી હતી? જયશંકરે આનો પણ ખુલાસો નહોતો કર્યો.

અહીં બીજા દેશોની વાત કરવી જોઈએ. અમેરિકાએ કેવળ ભારતીય નાગરિકોને પાછા નથી મોકલ્યા. કોલંબિયા, બ્રાઝીલ, મેક્સિકો, હોન્ડુરસ, ગ્વાટેમાલા અને પેરુના નાગરિકોને પણ પાછા મોકલ્યા છે. એ બધા દેશોએ પોતપોતાની રીતે પોતપોતાની ભાષામાં અમેરિકાના વલણની ટીકા કરી હતી. કોલંબિયાએ તો અમેરિકન લશ્કરી વિમાનને પોતાને ત્યાં ઉતરવા પણ નહોતાં દીધાં. તેના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું હતું કે તમે તમારાં લશ્કરી વિમાનને પાછાં બોલાવો. અમે અમારાં ઉતારુ વિમાનોને મોકલશું અને અમારા નાગરિકોને સ્વમાનભેર પાછા લઈ આવશું. તેઓ અધમ કૃત્યના ગુણાગાર નથી કે આવી રીતે અપમાન કરો! આવી જ રીતે બ્રાઝીલે અમેરિકન લશ્કરી વિમાનને પોતાને ત્યાં ઉતરવા નહોતું દીધું. બીજા દેશોએ અમેરિકાની અમાનવીયતાની આકરી ટીકા કરી હતી.

પણ વિશ્વગુરુ ચૂપ છે. જો કે આ પેટર્નથી હવે આપણે અજાણ નથી. ભક્તો પણ હવે આ સમજતા થયા છે. આપણે મહાન હોવાની મોટીમોટી વાતો કરવાની, પણ જો પૂછડી કારસામાં આવે તો મોઢું ફેરવી લેવાનું અને હોઠ સીવી લેવાના. ચીને કબજે કરેલી ભારતની ભૂમિ વિષે સવાલ કરો, જો કોઈ જવાબ મળે તો કહેજો. ઊલટું પ્રશ્ન પૂછનારને દેશદ્રોહી જાહેર કરવામાં આવશે. કુંભના મેળામાં બનેલી દુર્ઘટના વખતે ગોદી મીડિયા સત્ય છૂપાવીને અને કોઈ મોટી ઘટના બની જ નથી એમ કહીને સરકારને મદદ કરતા હતા. સાવ ધરાતલ વિનાની ફેંકાફેંકી કરો અને નકરું સત્ય સામે આવે તો મોઢું ફેરવી લો અને હોઠ સીવી લો. આમાં નથી મર્દાનગી કે નથી માણસાઈ. આ દેશની પ્રજા સાથેની છેતરપિંડી છે.

માત્ર પાંચ કરોડની વસ્તી ધરાવતો કોલંબિયા દેશ અમેરિકન લશ્કરી વિમાનને પાછાં મોકલે અને પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવતો દેશ મુડદલની જેમ વર્તે અને અમેરિકાનો બચાવ કરે! જીગર છાતીમાં હોય છે, જીવ્હામાં નથી હોતી. આપણા શાસકો જીવ્હાજીગર ધરાવે છે. તમને ખબર છે? ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનના અખાતમાં ઈરાન સાથે મળીને ભારત દ્વારા વિકસાવવામાં આવતા ચાહબાહ બંદરને મળતી સહાય બંધ કરી દીધી છે. ચીન પાકિસ્તાન સાથે મળીને ઓમાનના અખાતમાં ગ્વાડર બંદર વિકસાવી રહ્યું છે તેના જવાબમાં ઈરાન અને ભારતે તેની નજીકમાં ઈરાનની ભૂમિ પર આ બંદર વિકસાવવાનું શરૂ કર્યું હતું જેમાં અમેરિકાની મદદ હતી. એક રીતની ત્રીપક્ષીય સમજુતીને અમેરિકાએ બારોબાર તોડી નાખી અને ભારતને જાણ પણ કરવામાં નહોતી આવી. તમને આ વાતની જાણ છે? ક્યાંથી હોય ગોદી મીડિયા મેનેજ કરે છે. આ બાજુ હંમેશ મુજબ જીવ્હા બહાદુરો મોઢું ફેરવી લે છે.

કોઈ તમાચો મારે અને આપણે જો ગાલ પંપાળીએ, ગુસ્સે થઈએ, સામા થઈએ, ફરિયાદ કરીએ, કોઈની મદદ માગીએ તો દુનિયાની નજરમાં ભૂંડા લાગીએ માટે મૂંગા રહેવું અને તમાચો ખાઈ લેવો એવી વર્તમાન શાસકોની વિદેશનીતિ છે. તેઓ એ નથી સમજતા કે તમાચો પડતો પણ દુનિયાએ જોયો છે. એ પછી તો દુનિયાને પણ ખબર પડી જાય કે આ ભાઈ શરમના માર્યા સહન કરી લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ આ જ વાતનો લાભ લઈ રહ્યા છે. માત્ર પાંચ કરોડની વસ્તી ધરાવતું કોલંબિયા લાલ ડોળો કરે અને વિમાન પાછાં આવી જાય અને ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા દેશનું અપમાન કરવામ આવે, કારણ કે તેમને ખબર છે કે જીવ્હા બહાદુર શરમના માર્યા અપમાન સહન કરી લેવાના છે.

અમેરિકાએ પાછા મોકલેલા અનધિકૃત ભારતીયોના જે આંકડા વિદેશ પ્રધાને સંસદમાં રજૂ કર્યા છે તે રસપ્રદ છે. સૌથી વધુ દેશનિકાલ ૨૦૧૬માં ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી થવા લાગ્યો અને એમાં પણ ભારતીયોનો સૌથી વધુ દેશનિકાલ ૨૦૧૯ની સાલમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને અમદાવાદ બોલાવીને ટ્રમ્પ માટે પ્રચાર કર્યો ત્યારે થયો હતો. ૨૦૦૯થી અત્યાર સુધીમાં સૌથી વધુ. તેમને ખબર છે તમાચો મારશો તો શરમના માર્યા ઉંહકારો પણ નહીં કરે. આવા મિત્રો મળે તો પછી જોઈએ શું!

અને છેલ્લી વાત. આટલા બધા ભારતીયો ભારત છોડીને વિદેશમાં શા માટે જાય છે? કારણ કે ભારતમાં રોજગાર નથી. યુવાનો ખેતર વેચીને અને જીવનું જોખમ ખેડીને જાય છે. ‘ડંકી’ ફિલ્મ જોઇ લો. મોટીમોટી વાતો કરવાથી વાસ્તવિકતા નથી બદલાતી, વાસ્તવિકતા સ્વીકારો તો વાસ્તવિકતા બદલાય. વાસ્તવિકતાને વર્તમાન સાથે સંબંધ છે અને વર્તમાનથી આ લોકો ભાગે છે. માટે ઔરંગઝેબ ખપનો છે. બે દિવસ પહેલાં ફોર્બ્સ મેગેઝીને વિશ્વના સૌથી શક્તિશાળી દસ દેશોની એક યાદી બહાર પાડી છે. એ દસ દેશોમાં ભારત નથી. ભારત ૧૨માં ક્રમે છે. પણ વિશ્વના શક્તિશાળી દસ દેશોમાં ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા સ્થાન ધરાવે છે. આ દેશ કેવડા છે અને કેટલી વસ્તી ધરાવે છે એ ગૂગલ પર જઇને જોઈ લેજો. ફરી એકવાર ગાંઠે બાંધી લો : વાસ્તવિકતા સ્વીકારો તો જ વાસ્તવિકતા બદલાય.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2025

Loading

મારું હૈયું 

નંદિતા મુનિ|Poetry|8 February 2025

આજે કોરિયન કવિ ટોન્ગમ્યોન્ગ કિમ (1901-1966)ના એક કાવ્યનો મારો અનુવાદ.

—

મારું હૈયું 

એક તળાવ છે

આવ, એમાં નૌકાવિહાર કર.

તારી શ્વેત છાયાને 

આલિંગી લઈશ હું, 

ને તારા પડખે અફળાઈને

રંગરંગીન રત્નોમાં તૂટી જઈશ.

મારું હૈયું 

દીવાની જ્યોત છે –

બારી બંધ કરી દે ને!

છેલ્લી બૂંદ સુધી

જલ્યા કરીશ હું ચૂપચાપ,

તારા રેશમી લિબાસની પાસે 

કાંપતા કાંપતા.

મારું હૈયું 

એક વટેમાર્ગુ છે :

મારા માટે તારી બંસરી બજાવીશ?

આખી રાત સાંભળ્યા કરીશ હું તારી સુરાવટો,

ચંદ્ર તળે.

મારું હૈયું 

ખરેલું પર્ણ છે :

થોડી વાર છો પડ્યું રહે

તારા બાગમાં – 

તને છોડી ચાલીશ

એકલવાયા ફરંદાની જેમ હું,

પવન જરાક વધે એટલે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—275

દીપક મહેતા|Opinion - Opinion|8 February 2025

પિતિત હોલ બંગલાની બે મોંઘી ભેટ: ચીકુ અને રતન        

દિનશા માણેકજી પિતિતે મલબાર હિલ પર બંધાવેલા પિતિત હોલ નામના બંગલાએ જમશેદ ભાભા થિયેટરને આરસનાં પગથિયાં ભેટ આપ્યાં તેમ બીજી બે મોંઘી ભેટ બી આપી. દિનશાજીને નવું નવું જોવા, જાણવા અને અજમાવવાનો શોખ. તે એક વેલા પરદેશથી એક નવીન ફળના રોપા મંગાવ્યા. બંગલામાં મોટો બગીચો. તેનું ધ્યાન રાખવા બે-પાંચ માળી, અને એક વડો માળી. રોપા આવ્યા કે તરત વડા માળીને બોલાવીને કહ્યું કે આપણા બગીચામાં આય રોપા વાવી દો. રોજ જાતે બગીચામાં જઈ પેલા રોપાનું બરાબર ધ્યાન રખાય છે કે નહિ તે જુએ. અને થોરા વખત પછી એ રોપા પર લાગીયાં ફળ. નાનાં, લંબગોળ, લાઈટ બ્રાઉન કલરની છાલ, અંદર નરમ માવો, તે બી બ્રાઉન કલરનો, અને સાથે બે-ત્રણ લંબગોળ કાળા રંગનાં બી. હવે તો ઓળખી ગિયા ને? આ ફળ તે ચીકુ ઉર્ફે સપોટા. 

મલબાર હિલ પરનો પિતિત હોલ બંગલો

આપણા દેશમાં પહેલી વાર ઉગાડેલાં દિનશા શેઠે, પોતાના પિતિત હોલ બંગલાના ગાર્ડનમાં. 

મૂળ દહાણુના વતની અરદેશર ઈરાની હતા દિનશા શેઠના એસ્ટેટ મેનેજર. વરસમાં એક-બે વાર રજા લઈ પોતાને ગામ જાય. ત્યાં તેમની એક વાડી. ૧૯૦૧માં ‘દેશ’ જતાં પહેલાં દિનશા શેઠ પાસે ગયા અને માગની કીધી કે આપના બગીચામાં થતાં ચીકુનાં થોડાં બી મને સાથે લઈ જવાની પરવાનગી આપવા મહેરબાની કરો. શેઠે કહ્યું કે લઈ જાવ, પણ ત્યાં તમે તેનું કરશો શું? અરદેશર કહે કે ત્યાં મારી નાનકડી વાડી છે તેમાં વાવીશ. અને દહાણુંની પોતાની વાડીમાં એવને ચીકુ ઉગાડ્યાં. અને જોતજોતામાં તો દહાણુ, ગોલવાડ, બોરડી વિસ્તારમાં ચીકુની વાડીઓ થઈ ગઈ. અને એ આખા વિસ્તારની ઈકોનોમી ચિકુથી ધમધમવા લાગી. 

દિનશા પિતિત

આ લખનારે નાનપણમાં મુંબઈથી ગુજરાતની ટ્રેન મુસાફરી દરમ્યાન દહાણુ-ગોલવાડ સ્ટેશનનાં પ્લેટફોર્મ પર વેચાતાં ચીકુ કંઈ કેટલીયે વાર ખાધાં છે. જેવી ટ્રેન ઊભી રહે કે ત્યાંની બાઈઓ મોટા ટોપલામાં મૂકેલી વાંસની નાની નાની છાબડીમાં ગોઠવેલાં ચીકુ લઈને વેચવા નીકળી પડે. છાબડીમાં ચીકુડીનાં નાનાં લીલાં પાન પાથર્યાં હોય અને તેના પર સરસ રીતે ગોઠવ્યાં હોય ચીકુ. નહિ કાચાં, નહિ બહુ પાકાં. એને છરીથી કાપવાનાં નહિ. બે હાથની હથેળી વચ્ચે જરાક દબાવીએ એટલે ચીકુનાં બે અડધિયાં. તેમાં બે-ત્રણ લાંબાં કાળાં બી હોય તે આંગળીના નખ વડે ખોતરીને કાઢી નાખવાનાં. અને એક પછી એક અડધિયું મોઢામાં! અને મોઢામાં ઉછળે મીઠાશનો મહેરામણ. પહેલાં તો દહાણુનીની ચણા દાળ, ગોલવડનાં ચીકુ, સુરતનાં ઘારી-ભૂસું, વડોદરાનો લીલો ચેવડો. દરેક સ્ટેશનને પોતાની આગવી ઓળખ. પણ હવે તો ‘જાને કહાં ગયે વો દિન!’ ૨૦૧૬માં ભારત સરકારે દહાણુ-ગોલવડ-બોરડી વિસ્તારને GI Tag (Geographical Indication Tag) આપ્યો. પણ સ્ટેશનો પર છાબડીઓમાં ભરીને ચીકુ વેચતી બાઈઓના કંઠની મીઠાશનો ટેગ તો ખોવાઈ જ ગયો!

પિતિત હોલની બીજી ભેટનું નામ રતન ઉર્ફે ‘બોમ્બે ફ્લાવર’ ઉર્ફે મરિયમ. દેખાવડી, હોશિયાર, પારસીઓ કહે તેમ ચાણાક. દિનશાજી (પહેલા બેરોનેટ) ખોદાયાજીને પ્યારા થઈ ગિયા તે પછી ફરામજી દિનશા પિતિત (૧૮૭૩-૧૯૩૩) બનિયા બીજા બેરોનેટ. એવનની એકની એક દીકરી તે રતન. ઈ.સ. ૧૯૦૦ના ફેબ્રુઆરીની ૨૦મી તારીખે મુંબઈમાં જન્મી. માત્ર ૨૯ વરસની ઉંમરે, ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૨૦મી તારીખે જ – એટલે કે ૨૯મા જન્મ દિવસે – જન્નતનશીન થઈ. માલમ છે વાચક. તમે કહેશો કે આ તો મહેતાજી ગોથું ખાઈ ગિયા. બેહસ્તનશીનને બદલે જન્નતનશીન લખી નાખ્યું. પણ આખ્ખી વાત સમજસો પછે એમ નહિ બોલો. 

ચોપાટી પરની ઓરિયેન્ટ ક્લબ

રતનબાઈ જનમિયાં ત્યાં સુધીમાં પિતિત ખાનદાનની રહેણીકરણી, ખાનપાન, બધ્ધું જ વિલાયતી થઈ ગિયું હુતું. પિતિત હોલ આખો વિલાયતી જણસો, ચિત્રો, ઝુમ્મરો, ગાલીચાથી ઊભરાતો. રતનબાઈ ધાણી છૂટતી હોય એમ અંગ્રેજી બોલે. બોમ્બેના અપર મોસ્ટ ક્લાસમાં બધા તેને ‘ફ્લાવર ઓફ બોમ્બે’ તરીકે ઓળખે. રતનના બાવા રોજ સાંજે મલબાર હિલ પરના પિતિત હોલથી નીકળી ચોપાટીને દરિયા કિનારે આવેલી ઓરિયેન્ટ ક્લબમાં જાય. અનેક પરદેશી-દેશી મિત્રોને મળે. ખાનપાનની મહેફિલો જામે. ત્યાં એક ફૂટડો, ચાલાક, હોશિયાર જુવાન આવે. નામ મોહમ્મદ અલી. બંને વચ્ચે ઉંમરમાં ત્રણ જ વરસનો ફેર. એટલે જોતજોતામાં દોસ્તી જામી. પિતિત હોલની મિજબાનીઓમાં મોહમ્મદ અલીને નોતરું હોય જ. પછી તો દોસ્તી વધતી ચાલી. ૧૯૧૬ના ઉનાળામા પિતિત કુટુંબ દાર્જીલિંગ હવા ખાવા જતું હુતું. પિતિતશેઠે મોહમ્મદ અલીને બી નોતરું આપ્યું.

રતન પિતિત

દાર્જીલિંગમાં એક દિવસ સાંજે પિતિતશેઠ અને મોહમ્મદ અલી બગીચામાં બેઠેલા હુતા. તે વારે મોહમ્મદ અલીએ પૂછયું: બે જુદા જુદા ધરમના છોકરા છોકરી મેરેજ કરે તો તે અંગે તમે શું માનો છો?’ જવાબ મળીયો: હું તો ખુસ જ થાઉં. આપના દેશમાં જુદા જુદા ધરમના લોકો વચ્ચે જે નફરત છે, વેરઝેર છે, તે મીટાવવા માટે આવાં લગ્નો તો બહુ જરૂરી છે.” આય સાંભળીને મોહમ્મદ અલી તો સાતમે આસમાને ઊડવા લાગીયા. જરા વાર રહીને બોલિયા: તમારા વિચારો આવા ઉમદા હોસે એની મુને તો ખાતરી જ હુતી. પણ તમે જે બોલિયા તે સમજીયા પછી મારામાં ઘન્ની વધુ હિંમત આવી છે. તમારી દીકરી રતન અને હુંએ શાદી કરવાનું નક્કી કર્યું છે. અને તોપના મોઢામાંથી ગોળો છૂટે એમ પિતિતશેઠના મોનામાંથી શબ્દો નીકળ્યા : તારી આ હિંમત? પિતિત ખાનદાન એટલે તો પારસીઓનું નાક. એની દીકરીને પરનવાનો તને વિચાર બી કેમ આવીયો? પેલા હિંદુઓ સું કેચ? હા, ક્યાં રાજા ભોજ, અને ક્યા ગંગુ તેલી? આજથી રતનની કે મારી બી સામ્ભે આવવાની હિંમત ના કરતો. મોહમ્મદ અલી ધીમેક રહીને ત્યાંથી ચાલતો થયો. તરત પિતિતશેઠના મોનામાંથી તોપનો ગોળો છૂટ્યો : અત્તર ઘરી અહીં આવ રતન. ‘જો રતન! બંને કાન ખોલીને સાંભલી લે. આજ પછી આય મોહમ્મદ અલીને સપનામાં બી જોવાનો નહિ. અને હા! નોકરોને કહે કે આપરો બધ્ધો સામાન બાંધી લે. આપરે અત્તર ઘરી જ બોમ્બે જવા નીકળવાનું છે.’

મુંબઈ પહોચ્યા પછી બંને પ્રેમી પંખીડાં છાનામાનાં મળીયાં. રતન કહે : ટુ જરા બી ચિંતા ના કરતો. હું તુને ચાહું છું ને હંમેશ ચાહતી રહીશ. અને આપરે બે શાદી કરશું એ વાતમાં મીનમેખ નહિ થાય.’ ‘અરે પણ રતન! હજી તુને ૧૮ વરસ પૂરાં થીયાં નથી. કાનૂનની નજરે તું બાલીગ છે. તારા ડેડી આપણને બંનેને જેલ ભેગા કરી દેશે.’ ‘પણ હું કા કેહું ચ કે આપરે અત્તર ઘરી લગન કરશું. હું અઢાર વરસની થઈસ તેને બીજે દિવસે કરશું. ત્યાં સુધી તો રાહ જોઇશ ને?’

એ વાતને બે વરસ વીતી ગિયાં. પોતાની પ્યારી દીકરીનો ૧૮મો બર્થ ડે પિતિતશેઠે તાજ મહાલ હોટેલમાં ધામધૂમથી મનાવિયો. સૌથી પહેલાં પિતિતશેઠે સૌ મહેમાનોને આવકાર્યા. પછી બોલવા ઊભી થઈ રતન. તેણે બી પહેલાં મહેમાનોનો આભાર માનિયો. અને પછી મોટ્ટો ધડાકો કીધો : મોહમ્મદ અલીએ અને મેં મેરેજ કરવાનું નક્કી કીધું છે. સાંભળીને બધ્ધા અવાચક! પિતિતશેઠનો ગુસ્સો સાતમે આસમાન … થોરા દહારા પછી રતને પોતાનો ધરમ છોડી મહમ્મદ અલીનો મજહબ અપનાવી લીધો. ધરમની સાથે નામ બી બદલ્યું અને રતન પિતિતમાંથી બની ગઈ મરિયમ મહમ્મદ અલી જિન્નાહ! હા, જે  ૧૯૪૭માં બન્યા પાકિસ્તાનના કાયદે આઝમ મહમ્મદ અલી જિન્નાહ.

પિતિત ખાનદાનની બીજી થોરી વાતો હવે પછી.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 ફેબ્રુઆરી 2025 

Loading

...102030...391392393394...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved