Opinion Magazine
Number of visits: 9664632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંપ્રદાયો અને ધર્મોના ઠેકેદારો દેખાય માયાળુ, પણ હોય માયાવી !

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|10 February 2025

હેમંતકુમાર શાહ

ગુજરાતના ભૂતપૂર્વ IGP રમેશ સવાણીના સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના વિવિધ ફાંટાઓની વિચારહીનતા અને તેમના અતાર્કિક વ્યવહારો વિશેના પુસ્તક ‘છળકપટ’ના વિમોચન પ્રસંગે આપેલા પ્રવચનના મુખ્ય મુદ્દા :

[1] દુનિયામાં આઠ અબજની વસ્તીમાં 4.0થી 7.5 કરોડ નાસ્તિક હોવાનો અને 110 કરોડ બિન-ધાર્મિક હોવાનો અંદાજ છે. આ બધા લોકો શાંતિથી જીવે છે અને તેમને પોતાની જિંદગીમાં કોઈ પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું જરૂરી લાગતું નથી. 

[2] ભારતમાં 2011ની વસ્તી ગણતરી સમયે 36 લાખથી વધુ ધર્મસ્થાનો છે. સરેરાશ શાળાઓ અને દવાખાનાં કરતાં ધર્મસ્થાનો વધારે છે. ખરેખર શાની વધારે જરૂર છે?

[3] ડેન્માર્કના ઓગણીસમી સદીના મોટા દાર્શનિક સોરેન કિર્કગાર્ડ કહે છે કે, “કોઈ ભ્રમનો તેના પર સીધો હુમલો કરીને નાશ કરી શકાતો નથી. માત્ર પરોક્ષ માર્ગોએ જ તે દૂર કરી શકાય છે.” પરંતુ ભ્રમને બદલે વિભ્રમ હોય તો શું? સાપ હોય અને દોરડું દેખાય એને ભ્રમ કહેવાય, પણ કશું હોય જ નહિ અને છતાં દોરડું દેખાય એને વિભ્રમ કહેવાય. ઈશ્વર આવો એક વિભ્રમ છે અને તેને નામે નર્યો ધંધો ચાલે છે. 

[4] ઓસ્ટ્રિયાના મહાન દાર્શનિક કાર્લ પોપર દ્વારા falsificationનો સિદ્ધાંત અપાયો છે. એ સિદ્ધાંત એમ કહે છે કે જે વિજ્ઞાનને આધારે આજે કહેવાય છે તે કાલે ખોટું સાબિત થઈ શકે છે. એટલે જ એ વિજ્ઞાન છે. પણ જ્યાં શ્રદ્ધા છે ત્યાં સાચાખોટાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. ત્યાં તો ભગવાન છે જ એમ માની લેવાનું છે, એમાં એ હોવાની સાબિતીની કોઈ જરૂર છે જ નહિ. વિજ્ઞાનની ખૂબી એ છે કે તેમાં તમે માનો કે ન માનો, પણ  એ સાચું જ હોય છે. જેમ કે, પૃથ્વી ફરે છે એવું તમે માનો કે ન માનો એનાથી શો ફેર પડે છે? એ તો ફરે જ છે. 

[5] સાહિત્યમાં મધ્યકાળમાં ભક્તિયુગ ચાલેલો. આજે આપણે રાજકારણમાં ભક્તિયુગનો અનુભવ કરી રહ્યા છીએ. રાજ્યમાં ભક્તિ આવે તો એ તાનાશાહી તરફ લઈ જાય. રાષ્ટ્રભક્તિને નામે બધું બહુ ચાલે છે અને એની સામે સાવધાન રહેવાની જરૂર છે. વિખ્યાત અંગ્રેજ સાહિત્યકાર સેમ્યુઅલ જ્હોનસન એમ કહે છે કે, “રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનો છેલ્લો આશરો હોય છે.”

[6] ધર્મસત્તા, અર્થસત્તા અને રાજસત્તાનું કોકટેલ થઈ ગયું છે, અને ખતરનાક મિશ્રણની સામાન્ય લોકોને કશી ગતાગમ પડતી ના હોય એવું લાગે છે. 

[7] ઢગલાબંધ મનગઢંત વાતો બધા ધર્મોનાં શાસ્ત્રોમાં લખેલી છે. જેમ કે, બ્રહ્માના શરીરના જુદા જુદા ભાગોમાંથી ચાર વર્ણો પેદા થયા! એને નામે ધર્મો અને સંપ્રદાયોના ઠેકેદારો પોતાનો ધંધો ચલાવે છે. અને જ્યાં ધંધો હોય ત્યાં નફો હોય જ.

[8] ધર્મો અને સંપ્રદાયોની દગાખોરી અને છેતરપિંડી જગજાહેર છે. એમના ઠેકેદારો લાગે છે માયાળુ પણ હોય છે માયાવી ! મરિચ મૃગ માયાવી હતું કે જેણે ભગવાન રામને છેતર્યા હતા. એટલે આ માયાવી ઠેકેદારોથી ચેતવા જેવું છે. એ ઠેકેદારોના ટેકેદારો ખરા ધર્મનું સત્યાનાશ વાળે છે. 

[9] ઈશ્વરમાં શ્રદ્ધા એક બાબત છે અને અંધશ્રદ્ધા બીજી બાબત છે. રોજ સવારસાંજ પ્રાર્થના કરનારા મહાત્મા ગાંધી કોઈ દહાડો મંદિરમાં ગયા હોવાનું જાણમાં આવ્યું નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને એક પત્રકારે ઈશ્વરના અસ્તિત્વ વિષે સવાલ પૂછેલો ત્યારે તેમણે કહેલું કે, “મેં અણુમાં જે શક્તિ છે તે શોધી કાઢી, પણ એ શક્તિ એમાં ક્યાંથી આવી એની ખબર નથી.” આ બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા છે અને એને વિશે સૌએ સમજવાની જરૂર છે. એવી શ્રદ્ધા વિનાની અંધશ્રદ્ધા એ નર્યું તરકટ છે. 

[10] હિંદુ ધર્મમાં ચાર્વાક દર્શન છે અને તે એમ કહે છે કે ભગવાન છે જ નહિ, જે છે તે અહીં જ, આ જ જિંદગી છે. જન્મ પહેલાં અને મૃત્યુ પછી કશું હોવાની કલ્પના તદ્દન વાહિયાત છે. આ તર્કને સમજવાની જરૂર છે. પૂર્વજન્મમાં તમે ખિસકોલી હતા અને બહુ પાપ કરેલાં એટલે તમે અત્યારે ગરીબ છો, એમ કહેવું અને સ્વીકારવું એ સીધેસીધો અન્યાય છે. 

[9 ફેબ્રુઆરી 2025]
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘દલિત પેંથર એટલે પોતાનો ઇતિહાસ અને વર્તમાન જાતે લખવાની શરૂઆત !’

રમેશ સવાણી|Opinion - Opinion|9 February 2025

8 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે અમદાવાદના નવજીવન ખાતે ‘દલિત પેન્થર’ ચળવળના સંદર્ભમાં ઘનશ્યામ શાહ / ચંદુ મહેરિયા /  પ્રકાશ ન. શાહ / મનીષી જાની / વાલજીભાઈ પટેલ /રાહુલ પરમાર / જે.વી. પવારને સાંભળવાનો મોકો મળ્યો. 

દલિત પેંથર ચળવળ શું છે? દલિત પેંથરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેવી કેવી લડાઈઓ લડી? દલિતોને કઈ રીતે આંદોલિત કર્યા? કઈ રીતે ‘સત્તા’એ તેમની પર જુલમ કર્યો? નાગરિક સંગઠનોએ કેવી ભૂમિકા ભજવી? વગેરે બાબતોની ટૂંકી જાણકારી વક્તાઓએ આપી. 

દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત થયા કરે, સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક હતો પરંતુ આજે પ્રથમ વખત મળવાનું થયું. પંક્તિ દેસાઈ / મનીષી જાની / કિરણ ત્રિવેદી / હેમંતકુમાર શાહ / ચંદુ મહેરિયા / દલપત ચૌહાણ / મધુ ગંગાબેન / મિતાલી સમોવા / યોગેન્દુભાઈ વગેરે મળ્યા. બીજા અનેક ફેસબૂક મિત્રોને મળવાનું થયું. 

કાર્યક્રમના અંતે નવજીવન ખાતે ગુજરાત દલિત પેંથરની ઐતિહાસિક ભૂમિકા અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના દલિત પેંથર એક્ટિવિસ્ટ જે.વી. પવારના હસ્તે કરવામાં આવ્યું. પંક્તિ દેસાઈએ ખૂબ શ્રમપૂર્વક ગુજરાતમાં દલિત પેંથરનો ઇતિહાસ પ્રદર્શન દ્વારા આપણી સમક્ષ મૂક્યો છે. આ પ્રદર્શન થકી ગુજરાતની દલિત પેન્થર ચળવળના ઇતિહાસના ફોટાઓ / પ્રેસ નોટ્સ / પત્રવ્યવહાર / પત્રિકાઓ / કાર્ટૂન / સામયિકો અને પ્રકાશનો જેવા વૈવિધ્યસભર ઐતિહાસિક દસ્તાવેજોના માધ્યમથી આલેખવાનો, જીવંત બનાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે. ઉપરાંત ચળવળ સાથે સંકળાયેલ નેતાઓ અને અનેક લોકોના યોગદાનને રજૂ કરવાનો પણ આશય છે. તે માટે મહાનગરો, નગરો અને ગામડાઓની અસંખ્ય મુલાકાતો અને ક્ષેત્રકાર્ય કરીને સામગ્રી એકત્ર કરવામાં આવી છે. પંક્તિ દેસાઈ કહે છે : ‘ઐતિહાસિક દસ્તાવેજો સભર આ પ્રદર્શન એ દલિત સમાનતા / સામાજિક આંદોલનો અને ગુજરાતના સામાજિક રાજકીય ઇતિહાસમાં રસ ધરાવતા સંશોધકોને નવો દૃષ્ટિકોણ પ્રદાન કરનારો મૂલ્યવાન સ્રોત બની રહેશે.’

આ પ્રદર્શન 8 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી 2025 સુધી બપોરના 12થી રાત્રે 9 સુધી ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, નવજીવન કાફે ખાતે ખૂલ્લું રહેશે. દલિતો / આદિવાસીઓ / પછાત વર્ગ /    નિસબત ધરાવતા નાગરિકો / પત્રકારત્વના વિદ્યાર્થીઓ / એક્ટિવિસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનોએ આ પ્રદર્શન અવશ્ય નિહાળવું જોઈએ અને દલિત ચેતનાનો પરિચય મેળવવો જોઈએ. 

અમેરિકાના શ્યામવર્ણી લોકોના ‘બ્લેક પેંથર’ આંદોલનમાંથી (1966) પ્રેરણા લઈને મહારાષ્ટ્રના યુવા દલિત સાહિત્યકારો અને કર્મશીલોએ 1972માં મહારાષ્ટ્રમાં દલિત પેંથરની સ્થાપના કરી. દલિત પેંથર તેની સીમા વળોટી 14 એપ્રિલ 1974ના રોજ ગુજરાત પહોંચ્યું. દલિત પેન્થર આંદોલનની સહજ પ્રાથમિકતા અત્યાચાર અને અનામત હતી. અત્યાચાર / હત્યાકાંડના બનાવોમાં વિરોધ અને ન્યાયની માંગણી માટે દીર્ઘ લડતો લડતા દલિત પેન્થરે લોકશાહી અને બંધારણીય ધારાધોરણો જાળવીને પોતાના વિરોધને સૌથી ઉગ્ર રીતે વ્યક્ત કરવાનું કામ કર્યું છે. અત્યાચારથી ત્રસ્ત થઈને તેણે નાગરિક અધિકારો પરત કરવાનું આંદોલન કર્યું હતું. દલિતોનું સાચું રાજકીય પ્રતિનિધિત્વ રાજકીય અનામતથી શક્ય નથી એટલે રાજકીય અનામતની ખુરશીનું દહન, ગામડું અને પંચાયતી રાજ દલિતોને વિશેષ રંજાડે છે એટલે પંચાયતી રાજની નાબૂદી, રહેવા અને જીવવા માટે જમીન અને રોજી, લઘુત્તમ વેતન, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય, મહિલાઓની સલામતી અને મુક્તિ, નામાંતર સંઘર્ષ, રિડલ્સ વિવાદ, અનામતનો બચાવ, અમલ તેનો વિસ્તાર-વૃદ્ધિ માટેના આંદોલનો અને આંબેડકર જયંતીની ઉજવણી જેવા કાર્યક્રમો અને આંદોલનો દ્વારા તેણે દલિતોમાં નવી જાગૃતિ આણી છે. આ માટે સમાચાર, વિચાર અને કવિતાનાં સામયિકો પ્રગટ કર્યાં હતાં. અનેક ચડાવઉતાર વચ્ચે દલિત પેંથરની કૂચ ગુજરાતમાં જારી છે. 

મનીષી જાનીએ સચોટ રીતે કહ્યું : ‘દલિત પેંથર એટલે પોતાનો ઇતિહાસ અને વર્તમાન જાતે લખવાની શરૂઆત !’

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટ્રમ્પનું ‘સફાઇ અભિયાન’ : ટેકેદારો ગેલમાં પણ અન્ય રાષ્ટ્રોની જવાબદારી અને ચિંતા વધી 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 February 2025

ટ્રમ્પનો ઇરાદો સ્પષ્ટ છે કે જે દેશો તેમના આ પગલાંને ટેકો નહીં આપે તેમની પર ટેરિફનો બોજ અને પ્રતિબંધો લાદવામાં તે કોઇ કચાશ નહીં છોડે. 

ચિરંતના ભટ્ટ

ભૂખરા રંગનું મિલિટરી જેટ અમૃતસરમાં લેન્ડ થાય, તેમાંથી હેબતાઇ ગયેલા, જેમના હાથ બંધાયેલા હોય એવા ભારતીયો બહાર આવે જેમને યુ.એસ.એ.થી પાછા મોકલવામાં આવ્યા છે કારણ કે તેઓ ત્યાં કોઇપણ પ્રકારના દસ્તાવેજ વગર, ગેરકાયદે ગયા હતા. આ આખું દૃશ્ય ફિલ્મી છે પણ કમનસીબે સાવ સાચું છે.

ટ્રમ્પે પોતાનું આગવું સફાઇ અભિયાન શરૂ કરી દીધું છે અને તે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને ચૂંટી ચૂંટીને ઘરભેગા કરવાની પેરવીમાં છે. ભારત સરકાર સાથે તો ટ્રમ્પને સારું ગોઠે છે છતાં ય આવું શા માટે એ પ્રકારના પ્રશ્નો પણ ખડા થઇ રહ્યા છે, પણ હકીકતે તો આપણે બધાં સારી પેઠે જાણીએ છીએ કે પોતાના દેશમાં ગેરકાયદે આવીને વસી જનારાઓનો દેશનિકાલો કોઇ અમાનુષી કામ નથી. છતાં પણ ગાંઠના ગોપીચંદન કરીને, જેમ તેમ કરી પૈસા ઊભા કરી વિદેશ જઈ નકરી મજૂરી કરનારા આ લોકોની હાલત દયનીય હોય છે. ‘અમેરિકન ડ્રીમ’ પૂરું કરવાની લ્હાયમાં બધું જ નેવે મુકનારાઓના સમાચારો તો નવા નથી જ, હવે તો ‘ડંકી’ જેવી ફિલ્મોએ પણ આવાં વલખાં મારનારાઓની વાર્તા દર્શાવી છે. ટ્રમ્પના આ ‘સફાઇ અભિયાન’નો તર્ક શું હોઇ શકે? શા માટે લોકોને કેદીઓની માફક અને તે પણ મિલિટરી જેટમાં ‘ડિસ્પેચ’ કરાઇ રહ્યા છે?

‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (Make Amerirca Great Again – MAGA) વાળા સૂત્રને કોટે વળગાડી શાસન કરવા સજ્જ ટ્રમ્પને પોતાના દેશમાં ગેરકાયદે રહી કામ કરનારા તમામને કાઢી મૂકવા છે. વળી નાટ્યાત્મક પ્રદર્શનની વાત આવે ત્યારે ટ્રમ્પ ગાંજ્યા જાય એવા નથી. મિલિટરી જેટનો ઉપયોગ, હાથ બાંધીને ડિપોર્ટ કરાયેલા લોકો એ બધું જ એ જોણું બને તેની પૂરી તકેદારી રખાઇ છે. આ અમેરિકાનું, ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન છે. ટ્રમ્પે પોતાના પ્રચારમાં ગેરકાયદે રહેનારા લોકોને ઘરભેગા કરવાના જે પણ દાવા કર્યા હતા તે સાચા પાડવા માટે તેનું વહીવટી તંત્ર બધી જ સત્તા અને શક્તિ વાપરવા તૈયાર છે તેના આ પુરાવા છે. ટ્રમ્પનું આ પગલું તેના ટેકેદારોને અપાઇ રહેલી ખાતરી છે કે જુઓ મેં જે પણ વાયદા કર્યા હતા એ હું પૂરા કરી જ રહ્યો છું. એટલું જ નહીં પણ અમેરિકામાં કાયદેસર રહેનારા વસાહતીઓના મનમાં પણ ફડક પેસાડવાનો આ કારસો છે. જે લોકો ડિપોર્ટ થઇ રહ્યા છે, ઘરે ભેગા કરાઇ રહ્યા છે તેમને માટે આ આઘાત છે પણ ટ્રમ્પ માટે આ બહુ મોટી પી.આર. એક્સર્સાઇઝ છે. આપણે ભારતીય નાગરિક તરીકે સારી પેઠે સમજીએ છીએ કે કોઇ પણ સત્તાધીશ માટે પોતે જે નથી કરી શકતા કે નથી કરવાના તેનો ઢાંક પિછોડો કરવા માટે પી.આર. એક્સર્સાઇઝ કેટલી જરૂરી હોય છે. યુ.એસ.એ.નું ઇમિગ્રેશન તંત્ર ગુંચવાયેલું છે અને તેના આગવા પ્રશ્નો છે પણ તેનો તાર્કિક ઉકેલ આવી નાલેશીભરી હકાલપટ્ટી જ છે, એવું નથી પણ જટિલ પ્રશ્નો ઉકેલવા કરતાં આવી પહેલ આઘાતનો માહોલ ખડો કરનારી સાબિત થશે એ ટ્રમ્પ જાણે છે અને માટે જ આ થઇ રહ્યું છે. MAGAના ટેકેદારો ગેલમાં છે અને ટ્રમ્પની વાહવાહી ટોચ પર. આ સફાઇ અભિયાનની અસર સૌથી વધારે તો ગ્વાન્તાનામો બે એરિયામાં વર્તાઇ રહી છે જેને ટ્રમ્પ એક વિશાળ ડિટેન્શન સાઇટ તરીકે જોઇ રહ્યા છે, અને ત્યાં યુ,એસ, મિલિટરીએ ડિપોર્ટેડ માઇગ્રન્ટ્સને અટકમાં લઇ ગોંધી રાખ્યા છે.

અત્યારે અમેરિકામાં સાત લાખ જેટલા ભારતીયો ગેરકાયદે રહી રહ્યાં છે જેમાંથી અઢાર હજાર જેટલાના રિમુવલ ઓર્ડર્સ પાસ થઇ ચૂક્યા છે અને ત્રણ હજારને અટકમાં લેવાયા છે. રવિવારની સવારથી આખા અમેરિકામાં લગભગ 956 જેટલી ધરપકડો થઇ છે જેમાં ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકો છે. વળી ટ્રમ્પ સરકારમાં જેને ‘બોર્ડર ઝાર’નું લેબલ મળ્યું છે તેવા ટોમ હોમેને આ બધી અટકાયતો અને ધરપકડનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું છે અને અન્ય દેશના નાગરિકોમાં તો ફફડાટ થયો જ છે, પણ સૌથી વધુ અસર ભારતીયોને થઇ રહી છે. હાઇ પ્રોફાઇલ રેડ્ઝનું પ્રદર્શન એક સિદ્ધિની માફક ત્યાં સ્ક્રીન્સ પર દર્શાવાયું છે અને તેનો પ્રભાવ વિઝા હોલ્ડર્સ, મિક્સ સ્ટેટસ પરિવારો અને નેચરલાઇઝ્ડ નાગરિકો પર પડ્યો છે. લગભગ વીસ હજાર જેટલા ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવશે તેવી ગણતરી છે. વળી આ રિમૂવલ ઓર્ડર્સ એવી રીતે તૈયાર કરાયા છે કે કોઇને પણ જજ સામે ખડાં કરી કોઇ ચોખવટો આપવાનો મોકો નથી મળવાનો. જેમને અટકમાં લેવાયા છે તેમને શોધવા સહેલા છે. 95 ટકા કરતાં વધારે જેમને માથે હજી આ તલવાર તોળાઇ રહી છે તેમાંથી કદાચ દરેકને ફફડવાની કદાચ જરૂર પણ નથી કારણ કે માણસ પકડાય નહીં ત્યાં સુધી તેનું સ્ટેટસ કાયદેસર છે કે ગેરકાયદેસર એ કોઇ તપાસવાનું નથી.

યુ.એસ.એ.માં 10 મિલિયન કરતાં વધુ ગેરકાયદે રહેનારા ઇમિગ્રન્ટ્સ છે અને પોલીસ રોજની બે હજાર જેટલી ધરપકડ કરે છે. તેમાંથી બધાંને ઘરભેગા ડિપોર્ટ પણ નથી કરાઇ રહ્યા. ધારો કે રોજના ત્રણ હજારને પકડમાં લેવાય તો પણ દરેકે દરેક ગેરકાયદે વસાહતીને અમેરિકામાંથી તગેડી મુકવા માટે દસ વર્ષ કરતાં વધારે સમય લાગવાનો છે. બોર્ડર પેટ્રોલ અને ICE જેવી વ્યવસ્થાઓને મોટે પાયે વિસ્તારવામાં આવે એ પણ આ કામ માટે જરૂરી છે અને આમે ય આ મામલે તો લાંબા સમયથી નિમણૂકમાં સમસ્યા થઇ જ રહી છે. આ તો હજી ઘણી દૂરની વાત છે પણ યુ.એસ.એ.ના મોટા ઔદ્યોગિક ક્ષેત્રો જેમ કે ખેતીવાડી, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ્સ વગેરેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર અમેરિકા પહોંચેલા લોકો જ કામ કરી રહ્યા છે. ડિપોર્ટેશન ચાલુ થયું છે તેની અસર આ ઉદ્યોગો પર પણ દેખાઈ રહી છે. જેમ કે કેલિફોર્નિયા જેવા સ્ટેટમાં પાક ચૂંટનારા, શાકભાજી ભેગાં કરી માર્કેટમાં પહોંચાડનારા લોકો પકડાઇ જવાના ડરથી કામે નથી જઇ રહ્યા અને સીધી અસર શાકભાજીના ભાવ પર પડી રહી છે અને તે મોંઘા થઇ રહ્યા છે. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પર પણ આ સફાઇ અભિયાનની અસર દેખાવાની છે. આ બધું ભલે થાય એમ માનનારા ટ્રમ્પનો ઇરાદો સ્પષ્ટ છે કે જે દેશો તેમના આ પગલાંને ટેકો નહીં આપે તેમની પર ટેરિફનો બોજ અને પ્રતિબંધો લાદવામાં તે કોઇ કચાશ નહીં છોડે. ટ્રમ્પને બરાબર ખબર છે કે ધાર્યું કરાવવા કઇ કળ દબાવવી. 

અત્યારે આવા સંજોગોમાં અમેરિકામાં માનવાધિકારને લગતી કાયદાકીય વ્યૂહરચના પણ એટલી જ સંદિગ્ધ છે જેટલી સંદિગ્ધ અમેરિકન ધરતીની બહાર આવેલા ડિટેશન સેન્ટર પર ટ્રમ્પની સત્તાની વાત છે. ટ્રમ્પ સામ-દામ-દંડ-ભેદ વાપરીને જે તે સ્થાનિક સરકારોને ડિપોર્ટ કરાયેલા નાગરિકો સ્વીકારવાનું દબાણ કરી રહ્યા છે અને તેમને ક્યાંક ટેકો મળી રહ્યો છે તો અલ સાલ્વાડોર જેવા સ્થળેથી ટ્રમ્પને ત્યાંનું જેલ તંત્ર વાપરવાની ઑફર પણ કરાઇ છે. ટ્રમ્પના આ એજન્ડા સામે વિરોધ પણ શરૂ થઇ ગયો છે પણ ટ્રમ્પના પ્લાન બહુ મહત્ત્વાકાંક્ષી છે અને વેનેઝુએલાના ગ્વાન્તાનામો બે એરિયામાં ૩૦ હજાર લોકને અટકમાં લઇ ડિટેન્શન ફેસિલીટી વિસ્તારી તેમને ત્યાં રાખવાનો ટ્રમ્પનો ઇરાદો છે. આવું તો ઘણું બધું એક સાથે ચાલી રહ્યું છે પણ આ કંઇ ઉકેલ ન હોઇ શકે. મેગા પ્રિઝનના વિચારને ક્યાંક ટેકો છે તો ક્યાંક એ વ્યવસ્થા કેવી રીતે પાર પાડવી તેના પ્રશ્નો છે.

આ અન્ય રાષ્ટ્રોની વાત છે પણ ભારતની વાત કરીએ તો અત્યાર સુધી તો મોદી સરકાર તરફથી ટ્રમ્પે હાથ બાંધીને ઘર ભેગા કરેલા ભારતીયોને આપણે ત્યાં કોઇપણ વિરોધ વગર સ્વીકારાયા છે અને તેઓ ભવિષ્યમાં પણ ટ્રમ્પના આ પગલાંને ટેકો આપશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જો કે આ અભિગમની પણ ટીકા થઇ રહી છે કારણ કે પાછા મોકલાયેલાઓને માટે આપણે ત્યાં રોજગારી હશે કે કેમ તેની કોઇ ખાતરી નથી. ભારત સરકારે શિક્ષણ અને રોજગારી પર નક્કર કામ કરવું પડશે, જેથી અન્ય લોકો આ ચક્કરમાં ન ફસાય. ટ્રમ્પનું આ સફાઇ અભિયાન વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન પૉલિસી પર કામગીરી માગી લેશે તે ચોક્કસ. ઇમિગ્રન્ટ્સના અધિકારોના પ્રશ્નો આખી દુનિયા માટે એક ઐતિહાસિક વૈશ્વિક સંઘર્ષ છે અને હવે તેની પ્રત્યે વધુ ગંભીરતાથી પગલાં લેવાય એવી શક્યતા અને આવશ્યકતા બન્ને છે.

બાય ધી વેઃ

આપણે ત્યાં ભારતમાં ગેરકાયદે રહેનારા બાંગ્લાદેશી, અફઘાની, તિબેટિયન, શ્રીલંકન અને મ્યાનમારના નાગરિકોની સંખ્યા નાની નથી. તેમના દેશોની સરખામણીએ આપણે ત્યાંની આર્થિક સ્થિતિ, ભૌગોલિક સંજોગો અને લોકશાહી આસપાસના દેશોના નગારિકોને અહીં આવીને વસવા માટે આકર્ષે છે. બાંગ્લાદેશીઓનો પ્રશ્ન તો બહુ મોટો છે પણ તેની પર કોઇ નક્કર કામ હજી સુધી નથી થયું. શું ભારતમાં પણ આવું સફાઇ અભિયાન થઇ શકે? જો થાય તો તેમાં માનવાધિકારની કાળજી લેવાશે ખરી? જો કે આપણી પાસે નેશનલ રિફ્યુજી કાયદો હજી નથી પણ જો એ લાગુ કરાશે તો શું થશે? આપણે ત્યાં અંદાજે 15 મિલિયનથી વધુ તો બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહે છે. ભારત સરકાર જો આ ગેરકાયદે વસાહતીઓનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં વિચારશે તો અમેરિકા જેવા શક્તિ પ્રદર્શન અને ભયના માહોલને બદલે કોઈ તાર્કિક કામગીરી કરે તો બહેતર રહેશે. આપણે હજી મહાસત્તા બન્યા નથી ત્યારે બેફામ વહેવાર કરવો આપણી રાજકીય અને સામાજિક સ્થિતિ માટે જોખમી સાબિત થશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2025

Loading

...102030...390391392393...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved