Opinion Magazine
Number of visits: 9456872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં દવાની આડમાં ધમધોકાર ચાલતો ડ્રગ્સનો કારોબાર !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 October 2024

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકાર વિકાસ સપ્તાહ ઊજવી રહી છે, ત્યારે તેને અભિનંદન આપીએ ને કહીએ કે આ સપ્તાહ દરમિયાન જ અંક્લેશ્વરથી 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું તો તેનો પણ વિકાસમાં સમાવેશ કરે. તાજેતરમાં જ પોલીસને રિકવરીમાં રસ કેમ છે એ સંદર્ભે પોલીસને કરેલી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની આ ટકોર- ડ્રગ્સ આટલું બધું મળે છે, આટલો દારૂ વેચાય છે, આટલો જુગાર રમાય છે, તો આ બધું અટકાવોને ! તેમાં તો તમે સહેજ પણ સાવધાન નથી. આ બધું કયા સ્ટેજ પર લઈ જવું છે? – ગુજરાત સરકારની નજર બહાર નહીં જ હોય. ડ્રગ્સમાં થયેલ વિકાસનું સપ્તાહ ભવિષ્યમાં ગુજરાત ઊજવે તો નવાઈ નહીં ! ગુજરાતના ગૃહમંત્રી 1,600 કિલોમીટરના દરિયા કિનારેથી પોલીસ ડ્રગ્સ પકડે છે તો પોરસાય છે કે આટલું ડ્રગ્સ પકડાયું ને તેટલું ડ્રગ્સ પકડાયું, પણ હવે ગૃહ મંત્રીશ્રી શું કહેશે જ્યાં ડ્રગ્સ ગુજરાતમાં જ બનતું થયું છે કે પ્રોસેસ થાય છે? બીજા કોઈ પીઠ થાબડે કે ન થાબડે, તેમણે તો પોતાની પીઠ ડ્રગ્સને મામલે ઠોકી જ લેવી જોઈએ.

ગુજરાતમાં હાલની સરકારનાં શાસનને ત્રેવીસ વર્ષ થયાં, પણ છેલ્લાં પાંચ વર્ષમાં જ ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 કિલો પ્રવાહી ડ્રગ્સ, 73,163 પિલ્સ-ઇન્જેક્શન્સ પકડાયાં છે એનું ગૌરવ પણ સરકાર લઈ શકે, કારણ પોલીસની સક્રિયતા વગર એ શક્ય નથી. ગુજરાતમાં પોલીસ તંત્ર સક્રિય છે એની ના જ નથી, પણ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે ને ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું છે એની ચિંતા પણ થવી ઘટે. દરિયા કિનારે ડ્રગ્સ ઠલવાવાનો ગુજરાતનો ઇતિહાસ જ નથી, એ ઇતિહાસ રચાઇ રહ્યો છે એટલું જ નહીં, તેનાં ઉત્પાદનનો યશ પણ ગુજરાતને મળી રહ્યો છે ત્યારે તે અંગે કોઈ કાર્યવાહી કરવાની રહે છે કે કેમ તે પ્રશ્ન જ છે. વળી આ તો જાહેર કારોબારની વાત થઈ, પણ પાછલે બારણે જે ધંધા ચાલતા હશે એનો તો કોઈ હિસાબ જ નથી. એ જે હાનિ ગુજરાતનાં યુવાધનને પહોંચાડી  રહ્યાં છે તેનો પણ ક્યાં કોઈ હિસાબ છે? એ અંગે કોઇની જવાબદારી બને છે કે કેમ તેની પણ કોઈ સ્પષ્ટતા નથી. બને કે કાલે કોઈ, બાળકો, યુવાનોને ડ્રગ્સની બદીમાં ધકેલવાની વાતને પણ વિકાસમાં જ ખપાવે.

આમાં પોલીસ તંત્રનો પણ કેટલો વાંક કાઢીશું જ્યાં પૂરતી સંખ્યામાં પોલીસ જ ન હોય? લાખ લોકો પર 196 પોલીસની જરૂર હોય, ત્યાં 117 જવાનથી જ સરકાર કામ કાઢતી હોય તેને શું કહીશું? તમામ ક્ષેત્રોમાં સરકાર કરકસરથી કામ કરે તો કસર રહી જ જાય એ શક્ય છે ને. ખરેખર તો આ કરકસર પણ નથી, કંજૂસી છે. આ કંજૂસી સરકારને ભારે ન પડે તો સારું. સરકાર લોકો વગર કામ લેતી થાય, તો લોકો પણ સરકાર વગર કામ લે એમ બને.

આજકાલ તો દવાને નામે કેમિકલ મેળવીને યુવાપેઢીને બરબાદ કરતું ડ્રગ્સ બની રહ્યું છે ને તેનાં પર કોઈ નિયંત્રણ પણ નથી. વીતેલા મહિનાઓમાં પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઇ છે. રાજકોટના કાલાવડ રોડ પર આતંક મચાવનાર એક સાધુના આશ્રમ પર બુલડોઝર ફેરવી દેવાતાં આશ્રમમાં ગાંજાનું વાવેતર થતું હોવાનું પણ બહાર આવ્યું છે. સુરતના પલસાણામાંથી દવાને નામે મેફેડ્રોન બનાવતી ફેક્ટરી 51 કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપાઇ છે. સાણંદ પાસે પણ હજારો કિલો ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદના ચાંગોદર, અંકલેશ્વર, સૌરાષ્ટ્રમાંથી નશાની ટેબ્લેટ્સ બનાવતી કહેવાતી ફાર્મા કંપનીઓ ઝડપાઈ છે. ગુજરાતમાં ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ચાલી નીકળ્યો હોય એવું વાતાવરણ છે. ગુજરાત એ.ટી.એસ., એન.સી.બી. સહિતની એજન્સીઓએ અડધો ડઝનથી વધુ યુનિટ્સ પર દરોડા પાડી 8,000 કરોડનું ડ્રગ્સ પકડયું છે. એક તરફ જીવન રક્ષક દવાઓને નામે જીવન ભક્ષક નશીલું ડ્રગ્સ બને છે, તો બીજી તરફ પૈસાની લાલચમાં નાની નાની ફાર્મા કંપનીઓ વિદેશી તત્ત્વોના હાથા બની રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ વેપલામાં માત્ર ગુજરાત જ નથી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ જોડાયેલું છે.

કસ્ટમ્સ વિભાગે જુલાઈમાં મુંદ્રા એરપોર્ટ પરથી 110 કરોડની 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ્સ સાથેનું પશ્ચિમ આફ્રિકા મોકલવાનું કન્ટેનર પકડ્યું હતું. ઓક્ટોબરમાં વલસાડના ઉમરગામ અને દહેરી પર દરોડા પાડી 25 કરોડનું 17 લિટર લિક્વિડ મેફેડ્રોનનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી હતી. ઓક્ટોબરમાં જ દિલ્હી પોલીસે 7,000 કરોડનું કોકેઇન પકડ્યું ને તેમાનું 5,000 કરોડનું 518 કિલો કોકેન અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં બન્યું હોવાનું ખૂલ્યું છે. આ બધું રાતોરાત નથી થયું. ગુજરાતનાં જ નગરોમાં ડ્રગ્સ બનાવવાની હિંમત વધે એવું વાતાવરણ ઊભું ન થયું હોત તો આ શક્ય ન હતું. આ મોકળાશ તંત્રોની આંખ આડા કાન કરવાની વૃત્તિને આભારી છે, એવું નહીં?

ટૂંકમાં, જોબવર્કનાં નામે નશાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે, તે વધુ ઘાતક છે, તે એ રીતે કે દરિયા કિનારે ઠલવાતું ડ્રગ્સ તો તૈયાર હોય છે, જ્યારે ગુજરાતમાં તો એનાં ઉત્પાદનની ઠેર ઠેર ફેક્ટરીઓ ચાલે છે. ડ્રગ્સનો આ વેપલો બહુ જૂનો નથી, પણ તે જે રીતે આખા રાજ્યમાં વ્યાપી વળ્યો છે તે અનેક રીતે ચિંતા ઉપજાવનારો ને જોખમી છે. થોડા પૈસાની લાલચમાં ડ્રગ્સની ફેક્ટરી ચલાવનારાઓ રાજ્યના યુવા વર્ગ માટે જે જોખમ ઊભું કરી રહ્યાં છે તે શરમજનક છે ને તેને કોઈ પણ રીતે તંત્રોએ રોકવું જ રહ્યું.

અંકલેશ્વર આવકાર ફાર્મા કંપની 2016માં જ શરૂ થઈ છે. અહીંનું કોકેઇન દિલ્હી પહોંચ્યું હતું. કંપનીનો એરિયા ઘણો મોટો છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે તેમાં કામ કરનારો સ્ટાફ દસનો પણ નથી. એનું ટર્ન ઓવર પણ ખાસ નથી. આ સ્થિતિમાં વધુ કમાણીની લાલચે કંપની ડ્રગ્સમાં સંડોવાઈ હોય એમ બને. કંપનીએ કરારમાં પ્રોડક્ટ બનાવવામાં વપરાતાં કેમિકલ્સ ક્લોરોફોર્મ, બ્રોમાઇન, એસિટોન, હાઇડ્રોકલોરિક એસિડ અને એક્ટિવેટેડ કાર્બનનાં નામ આપ્યાં, પણ સાતમાંથી બેનાં નામ કોડવર્ડમાં રાખ્યાં. આ કોડવર્ડને કારણે આખું રેકેટ ગુપ્ત રીતે ચાલતું હતું જેથી કયો પદાર્થ બને છે એનો ખ્યાલ ન આવે. એમ લાગે છે કે ડ્રગ માફિયાઓ કોડવર્ડમાં કંપનીઓને ઓર્ડર આપીને ડ્રગ્સ બનાવડાવતાં હોય ને કંપની અંધારામાં રહેતી હોય એ અશક્ય નથી.

વાત એવી છે કે અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીને ડ્રગ માફિયાઓએ દક્ષિણ અમેરિકાથી 1,300 કિલોથી વધુ ડ્રગ્સ પૂણેની બોગસ કંપની મારફતે પ્રોસેસિંગ માટે મોકલ્યું. કંપની તરફથી 700 કિલોથી વધુ ડ્રગ્સ તો પ્રોસેસ કરીને દિલ્હી મોકલી દેવાયું, પણ બાકીનું 518 કિલો ડ્રગ્સ પ્રોસેસ થતું હતું ત્યાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દરોડો પાડ્યો. 5 આરોપીઓને અંક્લેશ્વરથી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે દિલ્હી લઈ જવાયા ને રિમાન્ડ પૂરાં થતાં તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરાયા ને વળી ચાર દિવસના રિમાન્ડ મેળવાયા. કંપનીના જે ભાગમાંથી કોકેઇન અને મેથનો જથ્થો મળ્યો, એ ભાગ પોલીસે સીલ કરી દીધો છે. સાચું તો એ છે કે અંકલેશ્વરમાં જ ડ્રગ્સ પ્રોસેસ કરીને દિલ્હી મોકલાતું હતું ને ત્યાંથી દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડાતું હતું. એના પરથી સમજી શકાય એવું છે કે દેશમાં ડ્રગ્સના વ્યવસ્થિત ફેલાવાનું કેવું કાવતરું રચાયું હશે. અફસોસ એ વાતનો છે કે આ બધાંમાં ગાંધીનું ગુજરાત નિમિત્ત બન્યું છે. દારૂબંધી નામની છે ને કોઈ પણ બ્રાન્ડનો દારૂ મેળવવાનું મુશ્કેલ નથી, એવી સ્થિતિમાં ગુજરાત ડ્રગ્સમાં પણ સંડોવાય એ કોઈ રીતે ઈચ્છવા જેવું નથી.

એ અત્યંત દુ:ખદ છે કે પંજાબ પછી ડ્રગ્સને મામલે હવે ગુજરાત વગોવાઈ રહ્યું છે. શિક્ષણ, ડ્રગ્સ, બળાત્કાર, હત્યા, આત્મહત્યા એમ અનેક ક્ષેત્રે થઈ રહેલો વિનિપાત સરકાર નજર અંદાજ કરે ને આપવડાઈમાંથી બહાર ન આવે એ સ્થિતિ દૂર થાય તેવી પ્રાર્થના કરીએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑક્ટોબર 2024

Loading

ગાંધીજી પાસે સમય છે, આપણી પાસે નથી!

છગનલાલ જોષી|Gandhiana|17 October 2024

ગાંધીજી સાથે હું 1920થી ’34 સુધી લગાતાર રહ્યો છું તેમ કહી શકાય. પણ એ દરમિયાન મને એકેય એવો પ્રસંગ યાદ નથી આવતો કે, જ્યારે ગાંધીજીએ કોઈને એમ કહ્યું હોય કે, હું બહુ કામમાં છું અને અમુક ફરજ બજાવવા માટે મને વખત નહીં મળે.

ગાંધીજીને આમ તો ચાર દીકરા હતા, પણ ગાંધીજીનો પરિવાર એ લગભગ આખો ભારત દેશ થઈ ગયો હતો. કેરળથી કાશ્મીર સુધી ગાંધીજીના આદેશાનુસાર આશ્રમો સ્થપાયા હતા. અને તેનું સંચાલન પરોક્ષ રીતે પોતે જ કરતા હોય એ રીતે સંચાલકોને ગાંધીજી નાનીમોટી બાબતોમાં માર્ગદર્શન આપતા હતા. ગાંધીજીને નાના છોકરાથી માંડીને કોઈ મોવડીએ લખેલ દરેક પત્રનો જવાબ તેને વળતી ટપાલે મળ્યો ન હોય તેવું ભાગ્યે જ બનતું.

ગાંધીજી કહેતા કે માનવીને કોઈ કામનો બોજો લાગતો જ નથી. જો માણસનું જીવન વ્યવસ્થિત ગોઠવાયું હોય તો તેનું નાનુંમોટું દરેક કામ સરસ રીતે પાર પડી શકે એવી રીતે રોજિંદું કામ ગોઠવી શકાય. આથી જ આશ્રમના સંયુક્ત રસોડામાં રોજ સવારે નાસ્તો કર્યા પહેલાં શાક સમારવાનું કામ ગાંધીજી પોતે અચૂક કરતા હતા. કોઈ નાનો કે મોટો માણસ આશ્રમમાં માંદો પડે તો તેની ખરખબર પૂછવા માટે તથા તેની સારવારની વ્યવસ્થા કરવા માટે તેઓ જાતે જ ગયા વિના ન રહેતા. પ્રવાસમાં તેમને જાણવા મળે કે કોઈ ઓળખીતા માંદા પડ્યા છે તો તેમને મળવા જવાનું કદી ચૂકતા નહીં.

પોતાને જ્ઞાનવિકાસ માટે અમુક વાંચન કે ખાસ અભ્યાસ આવશ્યક છે તેમ ખાતરી થાય તો એ માટે પોતાની પાસે સમય નથી એવી ફરિયાદ તેમણે કદી કરી નહોતી.

અમે સૌ જેલમાં સાથે હતા ત્યારે કેટલાક મિત્રોએ ગાંધીજી સમક્ષ એવી ફરિયાદ કરી કે તેમણે હજુ સામ્યવાદી સાહિત્ય જોઈએ તેવું વાંચ્યું નથી. આથી જેલમાં સોમવારના દિવસે, જમતી વખતે પપૈયું ખાતાં ખાતાં કે ખજૂરની પેશી ચાવતાં ચાવતાં પણ તેમને ‘હ્યુમેનીટી અપરૂટેડ’ અને ‘રેડ બ્રેડ’ વગેરે પુસ્તકો મનનપૂર્વક વાંચતા મેં જોયા છે.

જેલમાં એક વાર લીલાવતી મુનશી મળવા આવ્યાં હતાં. એ વખતે તેમણે પ્રેમપૂર્વક એવી માંગણી કરી કે, ગાંધીજીએ મુનશીનાં પુસ્તકો ‘ગુજરાતનો નાથ’, ‘પાટણની પ્રભુતા’ વગેરે વાંચવાં જોઈએ. આ પુસ્તકો વાંચવા તેમણે ‘લાઇબ્રેરી’માં એટલે કે શૌચાલયમાં મારી પાસે મુકાવ્યાં હતાં, જેથી ત્યાં જેટલો વખત મળે એ દરમ્યાન તે વાંચી શકાય. આ રીતે તેમણે તે પુસ્તકો ત્યાં વાંચી પણ કાઢયાં હતાં. 

દક્ષિણ આફ્રિકામાં પોતાના સાથીઓ મદ્રાસી છે એટલે પોતે તામિલ શીખવું જોઈએ તેમ માનીને તેઓ તામિલ પણ શીખ્યા. બંગાળમાં, નોઆખલીમાં ગામડાંમાં કામ કરવું પડેલું ત્યારે બંગાળીઓ સાથે આત્મીયતા કેળવવા ખાતર બંગાળી શીખવું જોઈએ એવું અંતઃસ્ફુરણ થતાં 78 વરસની ઉંમરે તેઓ બંગાળી પાઠો લખવામાં અને બંગાળી બાળપોથી વાંચવામાં રસ લેતા હતા. (દક્ષિણ આફ્રિકામાં) કોઈ ઓળખીતા વાણંદ કે વેપારીને અંગ્રેજી ભણાવવા માટે કંઈ પણ ફી લીધા વિના પગે ચાલીને તેઓ જતા હતા. હોસ્પિટલમાં ખાટલે પડેલા કોઈ દરદીની પાસે પુસ્તક વાંચવા કે એના પત્રો લખી આપવા જેવું કામ કરવામાં બેરિસ્ટર થયા પછી પણ તેમને એક જાતનું શૂર ચડતું હતું.

આ કામ કરવું છે, એવી ગાંઠ એક વખત મનમાં બંધાઈ, એટલે તે કામ ગમે તેવું અઘરું હોય તોપણ પૂરું કરવા માટે તેઓ હંમેશાં તૈયાર રહેતા હતા. રોજ 160 તાર કાંતવા છે, કે સવારે ચાર વાગ્યે પ્રાર્થના કરવી છે, કે સવારસાંજ પોણો કલાક ફરવામાં ગાળવો છે એવો સંકલ્પ કર્યો, તો એ સંકલ્પને તેઓ ઝોડની જેમ વળગી રહેતા હતા.

જેમણે ગાંધીજીની આત્મકથા વાંચી હશે તેઓ જાણતા જ હશે કે ગાંધીજીએ દાતણ અને સ્નાન કરતાં કરતાં ‘ગીતા’ના 13 અધ્યાય કંઠસ્થ કર્યા હતા.

‘ગીતા’નું ભાષાંતર તમારે કરી આપવું જોઈએ, એમ સ્વામી આનંદે કહ્યું ને ગાંધીજીએ તે માની લીધું. તુરત જ રોજ એક શ્લોકનું ભાષાંતર કરવાનું તેમણે વ્રત લઈ લીધું. એમાંથી જ આપણને ‘અનાસક્તિયોગ’ પુસ્તક મળ્યું.

ગાંધીજીએ જેટલાં વર્ષ ‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ કે ‘હરિજન’નું તંત્રીપદ સંભાળ્યું એમાં એક પણ સપ્તાહ એવું ખાલી ગયું નથી કે જ્યારે આ સાપ્તાહિકોમાં તેઓ પોતાની ધારણા પ્રમાણે લેખ લખી શક્યા ન હોય.

‘મહાભારત’ સળંગ વાંચ્યા સિવાય હિંદુધર્મનું હાર્દ સમજાય નહીં એવું એક વખત તેમને સમજાતાં 1922માં યરવડા જેલમાં ગયા કે તુરત જ ‘મહાભારત’નાં પૂરેપૂરાં અઢાર પર્વ તેઓ ધ્યાનપૂર્વક વાંચી ગયા હતા.

ગાંધીજી પાસે કોઈ કામ બીજા નંબરનું ગણાતું નહીં. જે કામ જરૂરી છે તે કામ પાર પાડવા માટે સમય અને શક્તિનો અખૂટ ભંડાર તેમની પાસે હતો. આવાં અનેક દૃષ્ટાંતો ગાંધીજીના રોજબરોજના જીવનમાંથી મળે છે. પાયખાના—સફાઈ, રક્તપિત્તિયાના ઘા ધોવા, સાથીઓને પ્રેમપત્રો લખવા, મોટી રાજરમતોના વ્યૂહ ગોઠવવા કે પુસ્તકોનું મનન કરવા જેવાં નાનાંમોટાં કામ માટે જરૂર પડે તો ગાંધીજીને સમય મળી શકતો, ત્યારે આપણા જેવા સામાન્ય માણસને માટે ‘હું કામમાં છું’ એમ કહેવું કેવું બેહૂદું ગણાય?

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

હરિયાણાના પરિણામે ભાગવતનું ભાષણ મોદી ભા.જ.પ. પરત્વે અણધાર્યું નરમ પડ્યું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 October 2024

વિજયાદશમી સંબોધન

સોમું વરસ આત્મખોજનો પડકાર લઈને આવે છે : ક્યાં વિવેકાનંદ, અરવિંદ, ગાંધીનો પ્રબોધેલ ધર્મ – અને ક્યાં તમારો કથિત રાષ્ટ્રવાદ? વિચારો, ફતેહની લાયમાં, ક્યા ખોયા, ક્યા પાયા?

પ્રકાશ ન. શાહ

સરસંઘચાલક મોહન ભાગવતનું વિજ્યાદશમી સંબોધન સંઘ પરિવાર સમગ્રને સારુ તો મહત્ત્વનું હોય જ, પણ છેલ્લા દસકામાં એને એક તરેહના રાષ્ટ્રજોગ સંબોધનનો દરજ્જો મળ્યો હોય તો એ સમજી શકાય એવું છે – કારણ, કેન્દ્રમાં સત્તાસ્થાને વિરાજતા પક્ષની એ માતૃપિતૃભ્રાતૃ સંસ્થા છે. એમાં પણ 2024ના વિજયાદશમી પર્વનો વળી એક વિશેષ ને વિશિષ્ટ સંદર્ભ છે – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સોમાં વરસમાં પ્રવેશે છે, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી પારી પૂર્વે નહીં એવા સવાલિયા દાયરામાં છે.

અપેક્ષા, આમ તો, કંઈક આકરા ને સોંસરા સંબોધનની હતી. મોદી ભા.જ.પ. દુર્જેય હોવાની છાપ જૂન 2024નાં લોકસભા પરિણામો સાથે પાછી પડી છે. ક્યારેક સરસંઘચાલક સુદર્શને વાયજેપી – અડવાણીને વયનિવૃત્તિનું નિષ્ફળ પણ સૂચન કર્યું હતું તેમ હવે વર્તમાન સરસંઘચાલક કોઈ નિર્ણાયક નેતૃત્વપલટાનો સંકેત આપે તેવી અપેક્ષા ઓક્ટોબર બેસતે હતી. પણ હરિયાણાની કથિત ફતેહ પછી તત્કાળ એવી કોઈ કારવાઈનો સંકેત આપવાનું સલાહભર્યું નહીં જણાયું હોય એમ લાગે છે.

જો કે, ભાગવતે જે પરિપ્રેક્ષ્યમાં વાત મૂકી તેમાં ચોક્કસ જ અર્થભાર વરતાય છે એમ તમે કહી શકો. એમણે એક પા એમ કહ્યું કે વિશ્વ સ્તરે ભારતની આભા ને પ્રતિભા સતત ઉચકાતી રહી છે, પણ બીજી પા એમણે તરત જ ઉમેર્યું કે ભારત જાણે કે ઘેરાબંધીનો ભોગ બન્યું છે અને આપણા શાસન તેમ જ સમાજને કંઈક અસ્થિર ને અરાજક પરિસ્થિતિમાં હડસેલતાં પરિબળો કામ કરી રહ્યા છે. વિગતે ચર્ચામાં નહીં જતાં અહીં એટલી જ એક ટિપ્પણી કદાચ બસ થશે કે બંને વિધાનો સાથે મૂકીને વાંચતાં સાંભળતાં વર્તમાન શાસન પરત્વે ટીકાભાવ સોડાય છે. બને કે મહારાષ્ટ્રના પરિણામની તરાહ અને તાસીર કેવીક ઊઘડે છે તે જોયા પછી ભાગવત વધુ ખૂલીને બોલવું પસંદ કરે છે.

વડા પ્રધાને ‘એક્સ’ પર ભાગવતના સંબોધનને ‘મસ્ટ લિસન’ કહ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની પ્રગતિમાં સંઘના ફાળાની સાભાર નોંધ લીધી હતી. લોકસભાની કસર હરિયાણામાં કંઈક પુરાઈ હોય તો એનું કારણ ભા.જ.પ. તરફે સંઘ સ્વયંસેવકોની સક્રિય સંડોવણીનું હતું એ જોતાં આ નોંધ – ખાસ તો ‘અમે પુખ્ત થઈ ગયા છીએ. હવે સંઘના ટેકાની પૂર્વત જરૂર નથી’ એવી જાઉં જાઉં પ્રમુખ નડ્ડાની લોકસભા ચૂંટણી વખતની શેખી જોતાં – જરૂરી પણ હતી.

ભાગવતને દેશના જાહેરજીવન અને સમાજજીવનની સ્થિરતા અને ગતિ સંદર્ભ ત્રણ ભયસ્થાનો જણાય છેઃ એક તો, ડીપ સ્ટેટ અર્થાત્ જાડી રીતે કહેતાં રાજ્યમાં રાજ્ય જેવી સ્થિતિ, બીજું, સાંસ્કૃતિક માર્ક્સવાદ. ત્રીજું, વોકિઝમ – મૂલ્યોને નામે અંતિમવાદી વલણ. આ ત્રણે વાનાં ઊંડી તપાસ અને સઘન ચર્ચા માંગી લે છે. વિચારાંગ અને આચારાંગની રીતે સંઘ પોતે (જ્યારે ભા.જ.પે.તર શાસન હોય ત્યારે પણ) ‘રાજ્યમાં રાજ્ય’ની સ્થિતિ નથી ઇચ્છતો?  ગોરક્ષા જેવા મૂલ્યને નામે લિન્ચિંગને નથી સ્વીકારી લેતો? સાંસ્કૃતિક માર્ક્સવાદ નહીં તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પરબીડિયામાં એની વહેવારપેરવી શું રહી છે? મતલબ, એમણે વર્ણવેલાં ભયસ્થાનો બેઉ છેડેથી તપાસ લાયક હોઈ શકે છે. સંઘ સામેની ટીકાઓની જેમ સામેવાળાનીયે ટીકાઓ, એ કે અસ્થાને નથી.

અલગ અલગ સ્વતંત્ર નોંધલાયક મુદ્દાઓનો નિર્દેશ માત્ર કરી અહીં જે એક બુનિયાદી વાત અધોરેખિતપણે કરવી રહે છે તે તો એ કે સોમું વરસ ખુદ સંઘને પક્ષે આત્મખોજની અનિવાર્યતા લઈને આવે છે. હેડગેવાર – ગોળવલકરને પોતાના સમયમાં જે પણ ઠીક લાગ્યું હોય, પણ સંઘની બંધ દુનિયા જે.પી. આંદોલનના સંસ્પર્શે ઊઘડવાની શક્યતા ઊભી થઈ એ નવી જ વાત હતી. આંદોલનના આગલા દસકામાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની જે વાત મૂકી તે ગોળવલકરના ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ને લાંધી જતી હતી. વસ્તુતઃ નવઉઘાડની આ બેઉ શક્યતાઓ રામજન્મભૂમિ આંદોલનની દેખીતી ફતેહ વચ્ચે વિલાઈ ગઈ. મંદિર-મસ્જિદ બાબતે ‘રુલ ઓફ લો’ની રીતે જે થયું ન થયું તે, પણ ધર્મ કહેતાં વિવેકાનંદ, અરવિંદ, ગાંધી જે સમજતા હતા તે કસોટીએ તમારો રાષ્ટ્રવાદ ક્યાં છે એ તો તપાસો, ભાઈ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઑક્ટોબર 2024

Loading

...102030...386387388389...400410420...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved