Opinion Magazine
Number of visits: 9871762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાતજાત બનામ સરકારી ભીંતડાં

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 August 2015

સાત દાયકાના ઉંબર વરસે, આઝાદીદિનનું ચિત્ર શું છે? આનંદી માર્ગની કૉફી ટેબલબુકમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની સંહિતા શોધી જડતી નથી. સ્વચ્છતા અભિયાન સરખું કાંક કશુંક જોણું લાલ કિલ્લાની રાંગેથી ખાબકી પડવાનું હોય તો પડશે. પણ અત્યારે તો આ અભિયાન સંદર્ભે બહાર આવેલા સર્વેક્ષણને એક અખબારી મથાળે ટૂંકમાં મૂકવ્યું મૂલવ્યું છે તેમ ‘ડર્ટી પિક્ચર’ જોવા મળે છે.

અગ્રલેખનો આ ઉઘાડ, બને કે, કોઈને નાસ્તિક ને નિઃસારવાદી લાગે. ફિલગુડને ચશમે જોઈએ અને પોઝિટિવ ઘેલાં કાઢવાની કોશિશ કરીએ તો પણ તંત્રી મુવા તે વાંકદેખાપણાનું વરદાન અને ઝટ પીછો છોડે શાનું.

આનંદી માર્ગથી લગાર હરીને જોઉં તો ગુજરાતમાં પટેલ અનામત એક મોખરાના મુદ્દા પેઠે છવાયેલ માલૂમ પડે છે. ચરોતરનો પાટીદાર અને સૌરાષ્ટ્રનો પટેલ બે જુદા છે અથવા તો આ આંદોલનના સગડ પક્ષમાં માંહોમાંહેના હિસાબને ચૂકતે કરવા લગી પહોંચે છે. ગઈ સદીમાં, બીજા સ્વરાજ પછીના દસકામાં ઉજળિયાતોએ અનામતવિરોધી ઉત્પાત મચાવ્યો હતો કે એક તબક્કે સત્તા-પ્રતિષ્ઠાનો એને કોમી વળાંક આપી આત્મસંતુષ્ઠિનો ઓડકાર ખાધો હતો એવું કંઈક હશે કે થશે? કદાચ, કોઈ એક સરળ સપાટ સમજૂતી શક્ય નયે હોય.

જ્યાં સુધી અરધી રાતે આઝાદીનાં સંતાનોનો સવાલ છે, સ્વરાજ સાત દાયકાનું થવા આવ્યું અને પ્રજાસત્તાક સાઠી વટી ગયું પણ આઇડેન્ટિટી પોલિટિક્સ થકી વમળાતો અમળાતો એથી અણઓળખાતો નાગરિક એક દુર્દૈવ વાસ્તવ છે. ગાંધીએ તિલકને ખભો દીધો અને આખી જે એક યુગસંક્રાન્તિ થઈ એની સાથે સરેરાશ હિંદવાસી હજુ સમાધાન સાધી શક્યો નથી. જન્મસિદ્ધ અધિકાર તે નાગરિક તરીકેનો, નહીં કે નાતજાતગત, એ વાનું કેમ પકડાતું નથી? દલિત મસીહા નવી સ્મૃિત કહેતાં બંધારણ ઘડે છે ત્યારે સૌની જિકર કરે છે. વર્ણવિશેષની નિશાન તાકે છે. આ તત્ત્વ પકડવાનું ન હોય તો આઇડેન્ટિટી પોલિટિક્સ સામે આઇડેન્ટિટી પોલિટિક્સ લટકા કરશે … અને પ્રજાસત્તાક બ્રહ્મ? ભ્રમ બની રહેશે.

જે વિમર્શ સવા વરસ પર દિલ્હીનશીન થયો એ ઓબીસી ઉદ્દેકી હિંદુવાદ અને કથિત વિકાસની કોકટેલથી વધારે નહોતો. બિહારમાં જે મુકાબલો થવામાં છે એમાં મંડલ-કમંડલ માનસિકતાથી થોડુંકે ઊંચે ઉઠાય તો સારું, પણ ત્યાં પણ એક કે બીજા પ્રકારે આઇડેન્ટિટી પોલિટિક્સ જ ખેલાશે એવું લાગે છે. સોનિયા-રાહુલ કૉંગ્રેસ વખાના માર્યા વિપક્ષનો વેશ ભજવતી હોય તો પણ લાલબાલપાલથી ગાંધીનેહરુપટેલ સંક્રાન્તિના અગ્રચરણની એને રગ છે કે કેમ, દૈવ જાણે.

કુસુમાગ્રજની કવિતાથી વાત પૂરી કરું : રાત પડે ચોપાટી પર મુંબઈ સમસ્તના બાવલાં ભેળાં મળ્યાં ને સુખ દુઃખની વાતે વળ્યાં. તિલકે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્કવાળો’, પણ મારી પાછળ અત્યારે તો ચિત્તપાવન બ્રાહ્મણોનું કોઈ ટોળું હોય તો હોય. આંબેડકરે કહ્યું કે હું બંધારણકાર ખરો, પણ મારી પાછળ દલિતો હોય તો હોય. ફૂલેએ કહ્યું કે મેં સૌ શુદ્રોને ઉપલી પંગતમાં આણ્યા, પણ મારી પાછળ પાંચપંદર ફૂલવાળા કે માળીઓ હોય તો હોય. હવે ગાંધીનો વારો છેક છેલ્લે (પોતે આમેય ‘અનટુ ધ લાસ્ટ’વાળો રહ્યો ને). એણે કહ્યું કે તમારી પાસે તો નાતજાતનું ઘાડિયું પણ છે, મારી પાછળ તો સરકારી ભીંતો સિવાય કશું નથી.

સ્વરાજને સાત દાયકે આટલું પકડાયપમાય તો પણ ઘણું.                             

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 01

Loading

એક નવા આતંકી જૂથને નાથવાની મથામણ

મહેશ દવે|Opinion - Opinion|20 August 2015

જુલીઓ રિબેરોનું નામ અજાણ્યું નથી. જૂની પેઢીના ચુનંદા આઈ.પી.એસ. અધિકારીઓમાં તેમનું નામ મોખરે છે. ઘણાં વર્ષો સુધી એમણે મુંબઈમાં પોલીસ-કમિશનર તરીકે કામ કર્યું. પંજાબ અને ગુજરાતનો કપરો સમય હતો, ત્યારે ત્યાં પણ એમણે થોડો વખત કામ કર્યું છે. ચાર-પાંચ દસકા પહેલાં મુંબઈમાં વિશિષ્ટ પ્રકારની ગુનાખોરી વકરી હતી. ખંડણી (ransom), ગેરકાયદે વસૂલી, કહેવાતા રક્ષણ માટે પૈસા પડાવવા (protection-money), ખર્ચાળ ભવ્ય લગ્ન કે એવા પ્રસંગે લાગો લેવો, ઉત્સવ-ઉજવણી માટે ઉઘરાણી, ટ્રેડ-યુનિયન્સ અને ગૅંગ્સની દાદાગીરી એવી તરાહ-તરાહની માફિયાગીરી ચાલતી હતી. કરિમ લાલા, હાજી મસ્તાન, દાઉદ, રાજન, છોટા શકીલ, સુભાષ ઠાકુર, અરુણ ગવળી, એવા કંઈક ‘ડોન’ કે ‘ભાઈ’ અને તેમની ટીખળીઓની જોહુકમી ચાલતી હતી. એ બધાને જેર કરવામાં રિબેરોનો મહત્ત્વનો ફાળો હતો. એમણે સાબદું પોલીસતંત્ર ઊભું કરેલું. કોર્ટે કાર્યવાહી માટે કાબેલ ટીમ તૈયાર કરી હતી. કુનેહ, બાહોશી, હિંમત અને પ્રામાણિકતાથી તેમણે ફોજદારી કાર્યવાહી સંગીન બનાવેલી.

નિવૃત્તિ પછીના જીવનનાં છેલ્લા વર્ષોમાં રિબેરો આજે ખિન્ન છે. દેશમાં પહેલી જ વાર તેઓ ખ્રિસ્તી લઘુમતીને હેરાન થતી જુએ છે. ખ્રિસ્તીઓને ધર્માંતર કરાવનાર વટાળપ્રવૃત્તિના વેપારી માનવામાં આવે છે. મધર ટેરેસા જેવા પર પણ કાદવ ઉછાળાય છે. ખ્રિસ્તી દેવળો પર હુમલા થયા કરે છે. ખિન્ન હૃદયે એમણે લેખો લખી હૈયાવરાળ કાઢી છે. વડાપ્રધાન સુધ્ધાંને પત્ર લખ્યો છે. આશ્વાસન મળ્યું છે, પણ સ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી.

સામાન્ય રીતે પોલીસતંત્રમાં ઉપરી અધિકારી અપ્રિય હોય છે, પણ રિબેરો એમાં અપવાદ છે. પોલીસતંત્રના તમામને રિબેરો માટે આદર અને પ્રેમ. કંઈ પણ મુશ્કેલી હોય તો અદના દરજ્જાનો પોલીસ કર્મચારી પણ રિબેરો પાસે જઈ શકે. રિબેરો તેને ધીરજથી સાંભળે, સાંત્વન, સાચી સલાહ, માર્ગદર્શન આપે અને હિંમત બઢાવે.

૨૫-૧૧-૨૦૦૮ના દિવસે આઈ.પી.એસ. અધિકારી હેમન્ત કરકરે રિબેરોને મળવા આવ્યા. હેમન્ત માટે રિબેરોને બહુ માન. રિબેરો હેમન્તનાં મોંફાટ વખાણ કરે. રિબેરો કહે છે હેમન્ત જેવા દક્ષ, નિષ્ઠાવાળા, ઈમાનદાર અને ફરજપાલનમાં ચુસ્ત અધિકારીઓ આજકાલ બહુ ઓછા મળે છે. તે દિવસે રિબેરોને હેમન્ત જરા બેચેન અને મૂંઝાયેલો લાગ્યો. હળવી વાતો કરી રિબેરોએ હેમન્તને નિરાંતવો (relax) કર્યો. પછી ખબર-અંતર પૂછ્યા.

હેમન્તે જે વાતો કરી તેનાથી રિબેરો ચોંકી ઊઠ્યા. હેમન્ત તે (૨૦૦૬ના) અરસામાં ઍન્ટિ-ટેરરિઝમ-સ્ક્વૉડ (એ.ટી.એસ.)નો વડો હતો. ૮-૯-૨૦૦૬ના દિવસે માલેગામમાં ચાર બૉંબધડાકા થયા. ૩૧ જણ માર્યા ગયા અને ૩૧૨ ઘાયલ થયા હતા. સ્થાનિક માહિતી મળ્યા પ્રમાણે પોલીસે નવ મુસ્લિમ યુવકોની ધરપકડ કરી તેમને કસ્ટડીમાં લીધા. પાકિસ્તાનના આતંકવાદીઓ અને ‘સીમી’ જેવા કેટલાંક ભારતીય મુસ્લિમ સંગઠનો આવાં કામોમાં સામાન્ય રીતે કાર્યરત હતા. તેથી મુસ્લિમ યુવકોને પકડવાનું પોલીસનું પગલું હેમન્તને વાજબી લાગ્યું.

એની આદત પ્રમાણે હેમન્તે પછી ઝીણવટભરી પૂછપરછ અને નિષ્પક્ષ તપાસ કરી. તેને જણાયું કે પકડેલા નવ મુસ્લિમોને ધડાકાઓ સાથે સ્નાનસૂતકનો સંબંધ નહોતો. પુરાવાઓથી સ્પષ્ટ થયું હતું કે કોઈ હિંદુજૂથનું આ કરતૂત હતું. સાચા આરોપી જણાતા હતા તેવા કેટલાક કટ્ટર હિંદુઓને હેમન્તે પકડ્યા. એમાંના એક અસીમાનંદે નિવેદનમાં કબૂલ્યું, ‘જૂન ૨૦૦૬માં ભરત રાતેશ્વરના ઘરે વલસાડમાં અમારી મિટિંગ મળી હતી. તેમાં મેં કહ્યું કે માલેગામમાં ૮૬ ટકા વસતી મુસલમાનોની છે. તેથી બૉંબ ફેંકવા માલેગામને પસંદ કરીએ. તે મુજબ ૮-૯-૨૦૦૬ના દિવસે માલેગામમાં બૉંબ ફેંક્યા.’ અલબત્ત પાછળથી સાક્ષી તરીકે અસીમાનંદ ફરી ગયો. ‘હૉસ્ટાઇલ’ સાક્ષીઓનું જાણીતું પોપટવાક્ય બોલ્યો, ‘બળજબરીથી મારું નિવેદન લેવાયું છે.’

માલેગામ પછી આ નવા આતંકવાદનો સીલસીલો ચાલુ રહ્યો. ૧૮-૨-૨૦૦૭ના દિવસે સમઝૌતા એક્સપ્રેસના બે કોચમાં બૉંબધડાકા થયા. ૬૮ માણસો માર્યા ગયા. ૨૦૦૭માં મક્કા મસ્જિદમાં અને અજમેર શરીફમાં બૉંબ ફૂટ્યા. ૨૦૦૮માં ફરી માલેગામમાં અને મોડાસામાં બૉંબ- ધડાકા થયા. પકડાપકડી, કબૂલાતો, સાક્ષીઓનું ફરી જવું. અત્યાર સુધીમાં ૧૮ સાક્ષીઓ ‘હૉસ્ટાઇલ’ થઈ ફરી ગયા છે. અને હજી તો મજલ લાંબી છે એ બધું કાયદાની વિધી પ્રમાણે ચાલ્યા કરશે. પણ હેમન્ત કેસ જડબેસલાક કરી રહ્યો હતો, પૂરતા પુરાવા એકઠા થયા હતા. એક આરોપી સુધારક ત્રિવેદીને પકડ્યો. એનું લેપટૉપ જપ્ત કર્યું. ઘણી પ્રિન્ટ્સ, ટેપ્સ મેળવી. લેફ્ટ કર્નલ પ્રસાદની ધરપકડ કરી. રિબેરોનું માથું ચકરાઈ ગયું. ‘He was staggered’.

થોડી વાર પછી હેમન્તે વાત આગળ ચલાવી. પ્રિન્ટ્સ, ટેપ્સ, કાગળિયા બધા પુરાવા લઈ હેમન્ત રોહિણી સેલીઅનને મળવા ગયો. આ નામ આપણે ત્યાં ઘણા માટે અજાણ્યું હશે, પણ મુંબઈના ન્યાયજગતમાં ન્યાયમૂર્તિઓ, વકીલો, પોલીસો, નામીચા ગુનેગારો અને માફિયાવર્લ્ડમાં આ નામ આદર, અહોભાવ … અને ભયથી લેવાય છે. ૬૮ વર્ષનાં રોહિણી છેલ્લાં ૩૫ વર્ષથી ફોજદારી કોર્ટોમાં અગ્રણી વકીલ છે. તેથી જ મુંબઈ જેવા શહેરમાં છેલ્લાં કેટલાં ય વર્ષથી સરકારના ફોજદારી કેસો ચલાવનાર મુખ્ય ધારાશાસ્ત્રી (Chief Public Prosecutor) છે. તેમણે માફિયાઓ સહિત અનેક જાણીતા ગુનાખોરો સામે કેસ ચલાવ્યા છે અને અસંખ્યને જેલભેગા કર્યા છે. હજી હમણાં જ સરકારી વકીલ તરીકે તેમણે રાજીનામું આપી દીધું છે. એ રાજીનામા પાછળ પણ એક કહાણી છે, તે આપણે આગળ જોઈશું.

હેમન્ત કરકરે રોહિણી પાસે એટલા માટે ગયેલો કે તેની ઇચ્છા હતી કે રોહિણી માલેગામ-જૂથના કેસો સરકાર વતી લડે. એ ગુનેગારોને આકરી સજા થાય અને આ નવો આતંકવાદ ઊગતા જ ડામી દેવાય. હેમન્તને મન હિન્દુ અને આતંકવાદ એ બે વિરોધી સંજ્ઞાઓ છે, વ્યદતોવ્યાઘાત (contradiction in terms) છે. સાચો હિંદુ કદી આતંકવાદી ન હોય. પણ રોહિણીએ હેમન્તની ઇચ્છા પર ઠંડું પાણી રેડ્યું. એણે કહ્યું, ‘બોગસ કેસોથી હવે હું ત્રાસી ગઈ છું. મેં રાજીનામું આપી દીધું છે, હવે હું બચાવ પક્ષે લડવાની છું.’

હેમન્ત અવાક્ થઈ ગયો. એણે રોહિણીને સમજાવી. આ સાચા હચમચાવી મૂકે એવા જુદા પ્રકારના કેસો છે. માંડ-માંડ રોહિણી માની. પુરાવા અને કાગળિયા, નિવેદનો વગેરે જોવા તૈયાર થઈ. તેણે કેટલાક પુરાવા, પ્રિન્ટ્સ વગેરે જોયા. એટલાથી જ એ સડક થઈ ગઈ. ઉપર ઉપરથી જ બધાં સાહિત્ય પર નજર ફેરવતા અડધી રાત થઈ ગઈ. બંનેએ ફરી મળવાનો સમય અને તારીખ નક્કી કર્યાં.

બીજે દિવસે સવારે રોહિણી વહેલી ઊઠી અને કાગળો, પુરાવા ઝીણવટથી જોવાનું, વાંચવાનું શરૂ કર્યું. એનું લાગણીતંત્ર હચમચી ઊઠ્યું. એ રડી પડી. પણ રોહિણી સ્વતંત્રમિજાજની, મક્કમ અને બુદ્ધિથી ચાલનારી નારી છે. એ કહે છે કે એ ‘પાક્કી હિન્દુ છે. પાક્કી એટલે સાચી. ગુનેગાર એટલે ગુનેગાર. એનો ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંબંધ નહીં જોવાનો. ગુનેગાર એટલે ગુનેગાર, એટલું સમજી એની પાછળ પડી જવાનું અને તેને જેર કરવાનો’. પણ મન ખુલ્લું રાખવાનું. એ નિર્દોષ જણાય તો એને બચાવવાનો, છોડવાનો.

દરમિયાન સરકારે આ બધા માલેગામજૂથ સાથે સંકળાયેલા કેસો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપ્યા, પોલીસતંત્ર અને રોહિણીનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે પહેલા પકડેલા નવ મુસ્લિમ યુવકોને છોડી દેવા. તેમની સામે કોઈ પુરાવા નહોતા, કોઈ કેસ નહોતો, પણ એન.આઈ.એને. તે સલાહ માન્ય નહોતી. પાછળથી તે નવ જણે જામીન માટે સ્વતંત્ર અરજી કરી. કોર્ટે એ સૌને જામીન પર છોડ્યા. બીજાં કબૂલાતનામાંઓ અને આધારો પર બીજાં ચાર આરોપી પકડાયા – સુનીલ જોષી, રામચંદ્ર કલસાંગરા, રમેશ મહાલકર અને સંદીપ ડાંગેનાં નામ ઉમેરાયાં.

હેમન્ત રિબેરોને મળવા ૨૫-૧૧-૨૦૦૮ના દિવસે ગયો હતો. રોહિણીએ કહેલી તમામ વાત રિબેરોને વિગતવાર કહી. રોહિણીએ સરકાર પક્ષે લડવાની તૈયાર બતાવી હતી. રિબેરોને રોહિણી માટે પણ એટલું જ માન હતું. એ કહેતા કે જેટલો પોલીસના તપાસતંત્રમાં હેમન્ત કાબેલ, બાહોશ અને પ્રામાણિક છે, તેટલી જ રોહિણી ફોજદારી કેસ ચલાવવાની કાર્યવાહીમાં કુનેહવાળી, ચતુર અને ઈમાનદાર છે. આ બંનેની જોડી હોય, તો કોઈ ગુનેગાર છટકી શકે નહીં. રિબેરોએ કહ્યું, ‘હેમન્ત, હવે શી ફિકર છે. જા બેટા, ફતેહ કર.’

હેમન્તે ક્ષુબ્ધ સ્વરે કહ્યું, ‘મુશ્કેલી ઉપરથી છે.’ માલેગામ-જૂથના કેસોની મારી કામગીરીથી કેટલાક ભા.જ.પ.ના નેતાઓ નારાજ છે. ખાસ કરીને એલ.કે. અડવાણીએ કહ્યું કે મેં કેસોને જે રીતે ટર્ન આપ્યો છે, તેનાથી તે બહુ નાખુશ છે. રિબેરોએ હેમન્તની હિંમત બઢાવી. સલાહ આપી કે તારે તારો પોલીસધર્મ બજાવવાનો. રાજકારણ, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે દબાણ કશું વચ્ચે ન લાવતો. તું કહેતો હોય તો હું અડવાણીને વાત કરું …

પણ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. બીજે દિવસે ૨૬-૧૧-૨૦૦૮ની સાંજે-રાતે દરિયા મારફત હોડીમાં પાકિસ્તાની આતંકીઓ આવ્યા. તેમણે બોરીબંદર સ્ટેશન (VT), તાજ હોટેલ, નરિમાન હાઉસ વગેરે જાહેર સ્થળોએ આડેધડ ગોળીબારો કરી ઘણાને મોતને ઘાટ ઉતાર્યા. હાહાકાર મચી ગયો. એ આતંકીઓને જેર કરવાની મુંબઈની પોલીસ ટીમમાં હેમન્ત કરકરે પણ હતા. કસાબ અને આતંકી ટોળકી સામેના ધીંગાણામાં જાંબાઝ પોલીસ-અધિકારી હેમન્ત કરકરે ગોળીનું નિશાન બન્યા, માર્યા ગયા, શહાદતને વર્યા. એક વીર પોલીસ અધિકારી ધૂપ થઈને ઊડી ગયો. રિબેરોએ અડવાણીને હેમન્ત વિશે વાત કરવા જેવું રહ્યું નહીં.

હવે કેસોનું સુકાન એકલાં રોહિણી સેલીઅનના હાથમાં હતું. ગયા વર્ષે મે, ૨૦૧૪માં કેન્દ્રમાં નવી સરકાર આવી. તેની પછી થોડા જ સમયમાં રોહિણી પર એન.આઈ.એ.ના એક અધિકારીનો ફોન આવ્યો. એણે કહ્યું કે એ આવીને રોહિણી સાથે વાત કરવા માગે છે. રોહિણી સમજી ગઈ એ અધિકારી જે કહેવું છે, તે ફોન પર કહેવા માગતા નથી. એ અધિકારી પછી મળવા આવ્યા અને કહ્યું કે તમને આપવાનો એક સંદેશો છે, તમારે આ (માલેગામ જૂથ) કેસોમાં કૂણાં રહેવું. (‘You should go soft’)

એકાદ વર્ષ પછી આ વાત રોહિણીએ બહાર પાડી. જણાવ્યું કે કેસોમાં કૂણા રહેવાની સૂચના એન.આઈ.એ. તરફથી તેને મળી છે. જાણે કે બૉમ્બ ફૂટ્યો. ત્રીસ વર્ષથી સરકારી વકીલાત કરીને. જેણે નામના અને સફળતાની અજબ પ્રતિષ્ઠા મેળવી હતી, તે બાહોશ સ્ત્રીનું આ કથન હતું. બીજે જ દિવસે એન.આઈ.એ. આવો સંદેશ આપ્યાનો ઇન્કાર કર્યો. રોહિણીએ કહ્યું મેં વર્ષો સુધી વકીલાત કરી છે. પુરાવા  વગર ન બોલવું તે હું જાણું છું. વર્ષ પહેલાં સંદેશો મળ્યો. પુરાવા ‘એ પહેલો સંકેત હતો. એ વિશે બોલવાનો સમય પરિપક્વ નહોતો થયો … એમના તરફથી તેમના ઇરાદાના પુરતા પૂરાવા મળે તેની મેં રાહ જોઈ. વર્ષ દરમિયાન એ પુરાવા મળ્યા.’

૧૨-૬-૨૦૧૫ના દિવસે એન.આઈ.એ.ના એ જ સંદેશવાહક અધિકારી રોહિણી સેલીઅનને મળવા આવ્યા એમણે કહ્યું, ઉપરથી સૂચના આવી છે. તમારે બદલે કેસોમાં અન્ય વકીલ સરકાર વતી ઊભા રહેશે. રોહિણીએ કહ્યું, ‘સારું, હું આ સૂચનાની અપેક્ષા જ રાખતી હતી. હું એની જ રાહ જોતી હતી’ અને આમ વર્ષો જૂનો મહારાષ્ટ્ર સરકાર અને રોહિણી સેલીઅનનો સંબંધ પૂરો થયો.

રાજકારણીઓ એ કહેવા માટે જાણીતા છે. – Law will take its due course. કાયદો એની વિધિ પ્રમાણે ચાલશે. રિબેરોની ફિકર એ છે કે ગુનેગારોને યેન-કેન-પ્રકરેણ બચાવવાથી આ પ્રકારની ગુનાખોરી વધશે. ન્યાયતંત્રમાં આજે ય વધી પડેલા ખોટા તપાસ-અધિકારીઓ અને ભ્રષ્ટાચારી તંત્રમાં ઓર વધારો થશે. આજે આપણે પાકિસ્તાનને આતંકવાદીઓને રક્ષવા, બચાવવા અને નવાજવા નિંદીએ છીએ. આપણી પણ એ જ દશા થશે. કાયદા અને ન્યાયને પ્રછન્ન રીતે ચાતરનારા પોતાની ગરીમા ગુમાવશે. કંઈ નહીં તો હેમન્ત કરકરેની શહાદતને ગૌરવ અને માન બક્ષવા કાયદા અને ન્યાયના શાસનને સ્થાપીએ ને  સ્થિર કરીએ.

e.mail : mdave.swaman@gmail.com

(“ઇન્ડિયન એક્સપ્રેસ”માં પ્રગટ થયેલા જુલીઓ રિબેરો અને સ્મિતા નાયરના લેખો, રોહિણી સેલવાનનો ઇન્ટરવ્યૂ અને માલેગામ જૂથના આંતકી બનાવોના અહેવાલોની સંકલિત કેફિયત.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 07-08

Loading

ચંદ સાંસેં ખરીદને કે લિયે, રોજ થોડી સી ઝિંદગી બેચી

તેજસ વૈદ્ય|Opinion - Literature|19 August 2015

રશિયન દાર્શનિક લિયો ટોલ્સ્ટોયે દાયકાઓ અગાઉ કેટલીક એવી માર્મિક વાતો પોતાના પુસ્તકોમાં રજૂ કરી હતી જે હવે વધારે પ્રસ્તુત થવા માંડી છે. ધનવૈભવ અને સાહ્યબીમાં ઉછરેલા ટોલ્સટોય યુવાનીમાં અચાનક મજૂરી કરવા માંડ્યા હતા. મોસ્કોની ગલીઓમાં દારુણ ગરીબી નિહાળ્યા પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું. તેમને થયેલા વલોપાતને તેમણે 'વોટ શેલ વી ડૂ ધેન?' પુસ્તકમાં ઠાલવ્યો હતો. એ પુસ્તક ઉદારીકરણ અને ઉપભોક્તાવાદના આજના દોરમાં વધારે પ્રસ્તુત છે. માળખાગત હિંસાને વ્યવસ્થાનો ભાગ માની બેઠેલા લોકોનો કાન ખેંચીને ટોલ્સ્ટોય તેમની સામે ટોર્ચ ધરે છે.

રશિયન લેખક લિયો ટોલ્સ્ટોય આ સદીના મહાન સાહિત્યકારોમાંના એક છે. તેમની બે નવલકથાઓ 'વોર એન્ડ પીસ' અને 'એન્ના કેરેનીના' જગતની ઉત્કૃષ્ટ નવલકથાઓમાં સ્થાન પામે છે. ટોલ્સટોય ભરજુવાનીમાં દોમદોમ સાહ્યબી છોડીને મજૂરી કરવા માંડયા હતા. એ વખતે તેમના મનમાં વિચારોનું જે વાવાઝોડું સર્જાયું હતું એ તેમણે 'વોટ શેલ વી ડુ ધેન?' પુસ્તકમાં કેન્દ્રિત કર્યું છે.

પુસ્તક એને કહેવાય જે તમારી ઊંઘ બગાડી નાખે. મગજમાં વિચારોના ઝબકારા ઝગવી દે અને ચેતોવિસ્તાર કરે. અલબત્ત, કોઈ એક પુસ્તકથી કોઈની લાઇફ બદલાતી નથી. એટલું ખરું કે વ્યક્તિના વૈચારિક વિકાસમાં કેટલાંક ચોક્કસ પુસ્તક ચાવીરૂપ ભૂમિકા ભજવતાં હોય છે. વ્યક્તિ સુસંસ્કૃત કે સભ્ય થવામાં બે-ચાર ડગલાં આગળ વધે એમાં કેટલાંક પુસ્તકો ભૂમિકા ભજવતાં હોય છે. માનવસભ્યતા પાંગરી છે. એમાં ઘણાં પુસ્તકોનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ઘણાંમાંનું આવું એક નોંધપાત્ર પુસ્તક એટલે 'વોટ શેલ વી ડુ ધેન?'. એમાં ટોલ્સટોયે રશિયાની સામાજિક સ્થિતિ વિશેનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે મોસ્કોમાં રખડીને ત્યાંની ગરીબી જોઈને જે ચિત્કાર અનુભવ્યો હતો તે પુસ્તકમાં ઠાલવ્યો હતો. રશિયા કે મોસ્કો તો એમાં દૃષ્ટાંતરૂપ હતા, પણ તેમાં જે પરિસ્થિતિ ને સવાલો હતા એના કેન્દ્રમાં જગત સમગ્ર હતું.

એક સદી પહેલાં લખાયેલા એ પુસ્તકમાં જે પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે ઊલટાના વધારે પ્રસ્તુત છે. ૧૯૯૨માં દેશમાં આર્થિક ઉદારીકરણ થયું એ પછી તો આપણા દેશમાં એ પુસ્તક સવાયું પ્રસ્તુત બની ગયું છે.

ટોલ્સ્ટોય મૂળે જમીનદાર પરિવારના હતા. પૈસેટકે એકદમ સંપન્ન હતા. જીવનના એક તબક્કે તેઓ પોતાના તમામ વૈભવી ઠાઠ અને એશઆરામને ખંખેરીને મજૂરી કરવા લાગ્યા હતા. તેમણે લાઇફમાં આમૂલ પરિવર્તન શા માટે કર્યું એનાં કારણ તેમણે એ પુસ્તકમાં દર્શાવ્યાં છે. મોસ્કોની ગલીઓમાં દારુણ ગરીબી જોયા પછી તેમને થયું કે આના માટે હું પણ ક્યાંક જવાબદાર છું. તેમને લાગ્યું કે લોકો ગરીબીમાં સબડે છે એનું કારણ અમીરોની વૈભવલાલસા છે. તેઓ લખે છે, "મારી બુદ્ધિથી કે હૃદયથી નહીં પણ મારા પરમાણુથી સમજ્યો કે મોસ્કોમાં આવા હજારો માણસો હોય અને હું મારા જેવા સેંકડોની સાથે માલમસાલા ઉડાવતો રહું, મારા ઘરની ભોંય પર ભરતકામવાળી જાજમો હું બિછાવું ને મારા ઘોડાઓ પર ભભકાદાર સામાન ચડાવું એ ગુનો છે. ભલે જગતના ડાહ્યા માણસો આવી અસમાનતાની આવશ્યકતા વિશે મને મોટાં મોટાં વ્યાખ્યાનો સંભળાવે. આ ગુનો એક જ વાર થઈને અટકતો નથી, પણ નિરંતર થતો જ રહે છે. એ ગુનો હું કેવળ સાંખી લઉં છું એમ નથી, પણ મારા મોજશોખો વડે તેમાં હું સીધો ભાગ ભજવું છું. જ્યાં સુધી મારી પાસે વધારાનું ખાવાનું છે અને બીજા કોઈક પાસે જરાયે નથી, જ્યાં સુધી મારી પાસે બે વસ્ત્ર છે ને બીજા કોઈક પાસે એકેય નથી ત્યાં સુધી નિરંતર ચાલી રહેલા પાપમાં હું ભાગીદાર છું."

ઉદારીકરણ પછી દેશમાં ઉપભોક્તાવાદ ફૂલ્યોફાલ્યો છે. માણસ બજારમાંથી વસ્તુઓ ખરીદે છે કે બજાર માણસની બોલી લગાવે છે એ ખબર પડતી નથી. આધુનિક ઉપભોક્તા-ભદ્ર સમાજ એટલે એવા લોકો જે પોતાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છે. માનવીય બાબતોનાં ધારાધોરણ જળવાઈ રહે એ માટે સહયોગ તેમ જ પ્રસંગ પડયે સક્રિય વિરોધ એ તેમનો સ્વભાવ નથી. સમાજમાં 'સ્ટેટસ'ની બોલબાલા છે. સોસાયટીમાં ફલાણી રીતે જ રહેવાનું, કોઈની અંગત બાબતમાં માથું નહીં મારવાનું, બાજુના ફ્લેટમાં ઝઘડો ચાલતો હોય તો નહીં જ જવાનું, પછી ભલે પતિ પત્નીને મારતો હોય. લોકો જીવે છે કે એક પ્રકારની ઇમેજ મેઇન્ટેઇન કરે છે એ જ ખબર નથી પડતી. એક પ્રકારનું ચોક્કસ વર્તુળ બની જાય અને લોકો એને જ વફાદાર રહે છે. એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. જેના પર ટોલ્સ્ટોયે આંજી નાખે એવી ટોર્ચ ફેંકી છે.

જેની તમામ સગવડ સચવાતી હોય અને ઘરમાં વૈભવલાલસા પથરાયેલા હોય એવો વર્ગ દરેક ગામ અને શહેરમાં અત્યંત ઓછો જ હોવાનો. નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબોની સંખ્યા પ્રમાણમાં ખાસ્સી હોવાની. એક દાખલો લઈએ. શહેર અને ગામની બહાર ક્યારેક અચાનક ઊભી થયેલી વસ્તી તમને જોવા મળશે. વણઝારા જેવા એ લોકો સપરિવાર ઝૂંપડાં બાંધીને થોડા દિવસો કામચલાઉ ધોરણે રહે છે. એ વસ્તીનાં બહેનો અને ભાઈઓ સવારે ઊઠે ત્યારથી મજૂરીએ લાગી જાય છે. ગધેડાં પર રેતી સારવી. બિલ્ડિંગો બનતી હોય ત્યાં તગારાં ભરીને ચોથે-પાંચમે માળે પહોંચાડવાં, રસ્તાઓ ખોદવા, ડામર પાથરવા જેવાં કામો તેઓ કરે છે. ત્યાં સ્ત્રી-પુરુષ સમાનતા પણ જોવા મળે છે. મહિલાઓ પણ આ મજૂરીમાં જોતરાયેલી હોય છે. તેમનાં બાળકો રઝળપાટમાં મોટાં થાય છે. મજૂરી કરતાં એક વર્ગના લોકોનો આ એક દાખલો થયો.

આ સિવાય ગામ કે શહેરમાં રહેતાં ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગના લોકો મોટા પાયે રહે છે અને રોજ સંઘર્ષમાંથી જ પસાર થાય છે. દેશમાં ૪૦ ટકા કરતાં વધુ લોકો ગરીબી રેખા તળે જીવે છે ત્યારે તમારે સમજી જવાનું કે દેશમાં લોકો કેવી રીતે જીવે છે. સપનાં, મહત્ત્વાકાંક્ષા જેવા શબ્દો તેમના માટે અજાણ્યા ગ્રહના છે. માત્ર 'ટકી રહેવું' એવા દીવા જેવા સ્પષ્ટ ઉદ્દેશ સાથે તેઓ જીવતા હોય છે. જાણીતી ગઝલનો એક શેર છે, 'ચંદ સાંસેં ખરીદને કે લિયે, રોજ થોડી સી ઝિંદગી બેચી'. રોજ કેટલાંક શ્વાસ મળી રહે એ માટે જીવનનો એક મોટો ટુકડો રોજી કમાવા ખાતર પાણીના ભાવે વેચતા લોકોની સંખ્યા કરોડોમાં છે. એ લોકોને શિંગડાં કે પૂંછડાં નથી. એ લોકો માણસો જ છે, પણ તેમને માણસ ગણવામાં આવતા નથી. ઉદારીકરણ-ગ્લોબલાઇઝેશનનો સમાજના અમુક વર્ગને જ લાભ મળ્યો છે. દેશનો મોટો વર્ગ એવો છે કે એનાથી વંચિત છે. એ લોકો અલગ છે એવી એક અદૃશ્ય છતાં સ્પષ્ટ એવી ભેદરેખા સમાજે દોરી છે અને તેમને પણ એ ખબર હોય છે. તેમના પ્રત્યે સમાજને સહાનુભૂતિ હોય છે. દાયકાઓ થયા છતાં સમાજની સહાનુભૂતિ એટલી સક્રિય નથી બની કે તેમને તેમના હકનો રોટલો મળે. તેઓ માત્ર ટકી રહે એવું નહીં, પણ તેમને જીવવા જેવું લાગે એવું જીવન મળે.

દેશનો વંચિત અને ગરીબ વર્ગ એ સમાજે કરેલી પ્રચંડ પ્રગતિ સામે ઊભા થયેલા સવાલો છે. વંચિત માત્ર એ નથી જેને તક મળી નથી, વંચિત એ પણ છે જેનામાં લાયકાત હોવા છતાં તક મળી નથી. તેની તક અન્યને મળી ગઈ છે, જરૂરી નથી કે એ મેળવનારમાં આવડત હોય જ. કોઈ એક વ્યક્તિ નાના સેન્ટરમાં રહે છે અને આવડત હોવા છતાં આગળ આવી શકતી નથી અને કોઈ વ્યક્તિ ઓછી આવડત છતાં એટલા માટે આગળ આવી જાય છે કે તે મોટા સેન્ટરમાં રહે છે, તો એ એક પ્રકારની હિંસા કહેવાય. એક વ્યક્તિ જ્યાં છે અને જ્યાં પહોંચી શકે એમ છે, છતાં ત્યાં નથી પહોંચી શકતી એનું નામ જ માળખાગત હિંસા. દેશની ગરીબી અને વંચિતતાનાં મૂળિયાં આ માળખાગત હિંસામાં છે. માળખાગત રીતે જે પ્રગતિ કહેવાય છે કે ધનિકોના જે મોજમજાના મુકામો છે એમાં ગરીબો-વંચિતોની મૂંગી અકળામણ રોપાયેલી હોય છે, જેના તરફ સમાજના ધનિક તેમ જ ધ ગ્રેટ ઇન્ડિયન મિડલ ક્લાસે હંમેશાં આંખ આડા કાન કર્યા છે. ટોલ્સ્ટોયનું પુસ્તક તેમને દીવો ધરે છે. એ લોકોનો કાન ખેંચીને વંચિત લોકોની અકળામણ તરફ મોં ધરે છે.

ટોલ્સ્ટોય લખે છે, "આપણે એમ ધારીએ છીએ કે આ બધું ગરીબ લોકોને સ્વાભાવિક જણાતું હશે. કેટલાંક એવા ઉસ્તાદો પણ પડેલા છે જેઓ ગંભીરતાપૂર્વક કહે છે કે આપણા મોજશોખમાંથી ગરીબોને રોજી મળે છે અને તેથી ગરીબો આપણો અહેસાન માને છે, પણ ગરીબ (વંચિત) લોકો ગરીબ છે એટલા માટે તેમનામાં સાધારણ અક્કલ પણ નથી તેવું તો નથી જ. તેઓ પણ આપણી માફક વિચારી શકે છે. જેમ કોઈ માણસને જુગારમાં કે બીજી રીતે દસ-વીસ હજાર રૂબલ (રશિયાનું નાણું) ગુમાવ્યાનું સાંભળીને આપણને તત્ક્ષણ જ એમ લાગે છે, "કેવો મૂરખ! આટલી મોટી રકમ નકામી ગુમાવી! મારા જેવા પાસે એટલી રકમ હોય તો હું તેનો કેવો સદુપયોગ કરું? મારું મકાન કેટલાંક વખતથી સમારકામ કરાવવાનું છે તો એ કરાવું. બીજું ઘણું કરું." પોતાની આસપાસ ધનને વગર વિચાર્યે ઉડાવાતું જોઈને ગરીબ લોકોને પણ એ જ પ્રમાણે વિચાર વધારે આવે છે, કારણ કે તેમને ધનની જરૂર પોતાનો કોઈ શોખ પૂરો કરવા માટે નહીં પણ પોતાની તાકીદની જરૂરિયાતો પૂરી કરવા માટે હોય છે. એક વર્ગ કાયમ આરામ જ કરે અને માલમલીદા ઉડાવે અને બીજો વર્ગ રોજ મહેનત કરે તથા ભૂખે મરે એ યોગ્ય છે એવું તે લોકોએ ક્યારે ય સ્વાકાર્યું જ નથી અને કદી સ્વીકારવાના નથી."

ટોલ્સ્ટોય પોતાના જીવનને તપાસવા લાગ્યા હતા તેમ તેમ તેમની ગુનાઇત ભાવના વધુ ને વધુ બળવત્તર થતી હતી અને રસ્તો જડતો ન હતો. તેઓ લખે છે, "પછી અમારું જીવન હું વધારે તપાસવા લાગ્યો તો મને જણાયું કે આ લોકો સાથે ગાઢા સંબંધમાં આવવું એ અમારે માટે મુશ્કેલ હતું. તે કોઈ આકસ્મિક કારણને લીધે નહીં, પણ અમે ઇરાદાપૂર્વક અમારું જીવન જ એવું ગોઠવ્યું હતું કે આવો સંબંધ બંધાઈ જ ન શકે. અમારા શ્રીમંતોના જીવનને એક બીજી જ બાજુથી તપાસતાં મને જણાયું કે, અમારા જીવનમાં જે બધું સારું ગણાય છે તે તમામ ગરીબોથી અમને બને તેટલા અળગા રાખનારું છે. ખરેખર અમારો શ્રીમંતોનો બધો પ્રયાસ, અમારું ખાવું, પહેરવું, ઓઢવું, રહેવું, કેળવણી – બધામાં મુખ્ય હેતુ ગરીબોથી અળગા રહેવાનો હોય છે."     

ટોલ્સ્ટોયને હાલના સંદર્ભમાં વિચારવાની જરૂર છે. ટોલ્સ્ટોયે એ જ વાત કહી છે જે રવિશંકર મહારાજે અને પ્રકાશ બાબા આમ્ટેએ જીવી બતાવી છે. ટોલ્સ્ટોયનાં થોથાંને એક જ વાક્યમાં કહેવું હોય તો રવિશંકર મહારાજના શબ્દોમાં જ કહી શકાય. 'ઘસાઈને ઊજળા થઈએ'.

લિયો ટોલ્સ્ટોયે લખેલું એ પુસ્તક માનવજાત સામે મહત્ત્વપૂર્ણ સવાલો ઉઠાવે છે. ગુજરાતીમાં એ 'ત્યારે કરીશું શું?' નામે અનુદિત થયું છે. નરહરિ દ્વારકાદાસ પરીખે એનો આત્મા પકડીને બેનમૂન અનુવાદ કર્યો છે. અનુવાદ કેવો હોવો જોઈએ એ સમજવા માટે પણ એ વાંચવું જોઈએ. મહેન્દ્ર મેઘાણીએ એનો સંક્ષેપ પણ તૈયાર કર્યો છે. ટોલ્સ્ટોયનું એ પુસ્તક સમજવામાં ભારેખમ છે. ધીરજના ધજાગરા ઉડાવી દે એવું છે, પણ એક વખત તેમાંથી પસાર થાવ એટલે બુદ્ધની ગુફામાંથી જ્ઞાન મેળવીને બહાર આવ્યા હોઈએ એવું લાગે.

એક વખતની આપણી શ્રમપ્રધાન કાર્યસંસ્કૃિત દિવસે ને દિવસે આળસપ્રધાન થતી જાય છે. કોઈ પણ લાભ આપણે ઓછી મહેનતે કેમ મેળવી શકીએ એ જ જીવનનું લક્ષ્ય બનવા માંડયો છે. પૈસા કમાવા એ કોઈ ટીકાપાત્ર બાબત છે જ નહીં, મુદ્દો એ છે કે ગમે તે ભોગે પૈસા કમાવા એ હિંસા છે. બધાની ખેવના માત્ર પૈસા કમાવાની નથી, પણ ઓછી મહેનતે વધુ પૈસા મેળવવાની છે. બધાં પાપની શરૂઆત આ ઓછી મહેનતની વૃત્તિમાંથી શરૂ થાય છે. પૈસા બનાવવા માટે મૂલ્યોનો હ્રાસ થાય તો એને મેનેજમેન્ટ, ટાર્ગેટ, બિઝનેસ સ્ટ્રેટેજી એવાં રૂપકડાં નામ આપવામાં આવે છે. એક માણસ બીજા માણસને ટોપી કેમ પહેરાવી દે એને આવડત ગણવામાં આવે છે! બીજી તરફ એક એવો મોટો વર્ગ છે જેને પોતાના હકનું ય નથી મળતું. માણસ પશુમાંથી માણસ થયો ત્યારે કહેવાયો જ્યારે એની ચેતના અને વિવેકબુદ્ધિએ વિકાસ કર્યો. સમાજ સ્થાપનાનો ઉદ્દેશ જ એ છે કે વ્યક્તિમાં ઉત્તરોત્તર સારપ કેળવાય અને ભેદ મટે, પણ અફસોસ કે જે રીતે ચિત્ર ઊભું થયું છે એ જોતાં કહી શકાય કે માણસ ફરી રિવર્સ ગિયરમાં પશુ જ બની રહ્યો છે. ફરક એટલો છે કે એ સોફેસ્ટિકેટેડ પશુ થઈ રહ્યો છે.       

પૈસો પૈસાને ખેંચે અને માણસને?

એક વર્ગના લોકો બીજા વર્ગના લોકોને ગુલામીમાં જકડી રાખે છે, તેનું કારણ પૈસો જ છે. એક માણસ બીજાના માટે આખો દિવસ વૈતરું કરે, પેટપૂરતું ખાવાનું પણ ના પામે, પોતાના બાળબચ્ચાંને પણ સખત કામમાં જોતરે, પોતાની જમીન ખોઈ બેસે અને આખી જિંદગી કંટાળાભરેલી તથા પોતાને જે વસ્તુની જરૂર ન હોય એવી વસ્તુઓ તૈયાર કરવાની મજૂરી કરવામાં ગાળે, કારણ કે તેને જીવન ટકાવવા માટે સમાજ અને સરકારે નક્કી કરેલા વિનિમયનાં સાધન એટલે કે પૈસાની જરૂર છે. એકંદરે નિર્દોષ લાગતું આ સાધન જાલીમોનું શસ્ત્ર છે, કારણ કે જેમની પાસે પૈસા છે તેઓને પૈસા વગરના લોકોને નિચોવવાનો અને તેમનું તેલ કાઢવાનો હક મળી જતો હોય છે.

– ટોલ્સટોય

દૂધમાં ખારો કાંકરો

કાકા કાલેલકરે એ ટોલ્સ્ટોયના પુસ્તક 'વોટ શેલ વી ડુ ધેન? – ત્યારે કરીશું શું?' કાકા કાલેલકરે એ પુસ્તક વિશે કહ્યું છે કે, "એ ચોપડી નથી પણ એક અત્યંત સમભાવી હૃદયનો વલોપાત છે. જીવનશુદ્ધિની રહસ્યભેદી શોધ છે અને મહાવીરને છાજે એવો આર્યસંકલ્પ છે. ટૂંકમાં કહીએ તો કારુણ્ય, ઔદાર્ય, ગાંભીર્ય અને માધુર્યનું એ એક ઓજસ્વી રસાયણ છે. એનો પરિચય ન અપાય, એની ઉપાસના થાય, એનું સેવન થાય."

કાકા કાલેલકર આગળ લખે છે, "એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગૃત કરે છે, અસ્વસ્થ કરે છે, ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમજાના દૂધમાં પશ્ચાત્તાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની સાપ્તાહિકી કોલમ, “સંદેશ”, 19 અૉગસ્ટ 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3113145

Loading

...102030...3,8153,8163,8173,818...3,8303,8403,850...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved