Opinion Magazine
Number of visits: 9871763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફાંસી પછી …

કુમાર પ્રશાંત|Opinion - Opinion|21 August 2015

યાકૂબ મેમણને ફાંસીની સજા મળી હતી, ફાંસી થઈ ગઈ! એક જિંદગી પણ ખતમ થઈ અને એક કહાણી પણ.

મારા જેવા અનેક લોકો જે માને છે કે ફાંસીની સજા ન હોવી જોઈએ, મારી જેમ જ અફસોસ કરતા હશે. મને અફસોસ એ વાતનો નથી કે યાકૂબ મેમણને ફાંસી થઈ, મને એ વાતનો અફસોસ છે કે એક માનવીય જીવન વ્યર્થ ચાલ્યું ગયું અને આપણે એક રાષ્ટ્ર અને સમાજ તરીકે જોતાં રહ્યાં. આ એક બહુ જ અફસોસજનક અને શરમજનક અહેસાસ છે કે સમગ્ર રાષ્ટ્ર, સમગ્ર સમાજ, આપણી આખી રાજકીય વ્યવસ્થા અને આપણું આખું ન્યાયતંત્ર એકસાથે મળીને એક માણસને એકદમ એકલો-અટૂલો પાડીને નિરુપાય કરી દે અને પછી એ અવશ  [લાચાર] વ્યક્તિને પકડીને ફાંસીના માંચડે લટકાવી દે! એક જીવતા માણસને લાશમાં ફેરવીને કોઈ દેશ કે કોઈ સમાજ ન બહાદુર બને છે અને ન સુરક્ષિત!

આવી દરેક વાત અંગે અગણિત લોકો મળશે, જે ઊછળી-ઊછળીને પૂછશે કે શું તે ગુનેગાર નહોતો? શું તેણે જેટલા નિર્દોષ લોકોનું લોહી વહેવડાવ્યું, એને ભૂલી જઈએ? ના, આપણે ક્યારે ય ન ભૂલીએ, ન ભુલાવીએ, પરંતુ એટલું જરૂર યાદ રાખીએ કે એક સવાલ ફાંસી આપવા કે ન આપવા કરતાં મોટો છે, અને તે એ કે અપરાધ અને અપરાધીઓ અંગે આપણો દૃષ્ટિકોણ કેવો છે અને કેવો હોવો જોઈએ? યાકૂબને ફાંસી આપી દેવાયા પછી જ હું આ લખી રહ્યો છું, જેથી આપણે તણાવ કે ઉન્માદને અવગણીને ઠંડાં દિલો-દિમાગથી આ સવાલ અંગે વિચારીએ. દેશમાં એક કાયદો છે, બંધારણ છે અને ન્યાય પ્રક્રિયા છે. આપણે સૌ તેનાથી બંધાયેલા છીએ અને આપણામાંથી કોઈ પણ તેનાથી ઉપર નથી. અદાલતના ચુકાદાઓથી આપણે અસહમત થઈ શકીએ, પરંતુ તેની અવમાનના કરી શકતા નથી, કારણ કે લોકશાહીનો એ તો પાયો છે કે આપણે અંગત મત ધરાવી શકીએ, પરંતુ સામૂહિક નિર્ણયથી આગળ વધીએ છીએ. એટલે યાકૂબ મેમણની લાંબી ન્યાયિક પ્રક્રિયા પછી, આખરી દિવસની આખરી રાત સુધી વિચાર કર્યા પછી પણ જો સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હોય, તો તે ન્યાયસંગત જ હશે, એવું આપણે માનવું જોઈએ, આપણી અંગત અસહમતી પછી પણ!

હવે કસાબ પણ નથી, અફઝલ ગુરુ પણ નથી, યાકૂબ મેમણ પણ નથી, પરંતુ આપણે તો છીએ, આપણાં સંતાનો તો છે. આ સમાજ તો છે, જેમાં આપણે અને આપણા પછીની પેઢીએ રહેવાનું છે અને જીવન વિતાવવાનું છે. શું એવો સમાજ માણસોને રહેવાલાયક હશે, જેમાંથી મારો-મારો, ફાંસી આપો, ખૂન કા બદલા ખૂન, એક માથું કાપશો તો દસ કાપીશું, જેવા દેકારા-પડકારા ચાલતા હોય? શું આપણે ઇચ્છીશું કે આપણાં બાળકોનું મન બદલા લેવાની ચાલો-કુચાલોની વચ્ચે પરિપક્વ બને? શું આપણે ઇચ્છીએ છીએ કે આપણા સમાજમાં સતત કસાબ પેદા થાય, અફઝલ ગુરુ કે ટાઇટર મેમણ પેદા થાય, જેથી જેવા સાથે તેવાનો અભિગમ અપનાવી શકાય? સમાજની સામૂહિક વિચારધારા વિકૃત કરી દેવામાં આવે, તેનું પાશવીકરણ કરી દેવામાં આવે, ત્યારે જ આવા લોકો પેદા થતા હોય છે. દુનિયાનો દરેક સમાજ ઇચ્છે છે કે લોકો શાંતિપૂર્વક રહે, પ્રામાણિકતાથી આજીવિકા રળે અને સન્માનભેર જીવન જીવે! દરેક સમાજ આવું ઇચ્છે છે ખરો પણ આ દિશામાં કોશિશ ભાગ્યે જ કોઈ કરે છે. એટલે જ જરૂરી છે કે સમાજના શાણા લોકોનું નેતૃત્વ વારંવાર અને દર વખતે આપણી દિમાગની સરહદોને વધારવાની કોશિશ કરે. અમારું કહેવાનું એમ નથી કે યાકૂબને ફાંસી ભૂલ હતી, પરંતુ અમે ભાવપૂર્વક અને ઊંચા અવાજે કહેવા માગીએ છીએ કે કોઈની ફાંસીને ઉત્સવ કે વિજયનું પ્રતીક બનાવવી, એ માનવતાની દૃષ્ટિએ અપરાધ છે. શું આપણે આવનારી પેઢીઓનું માનસ એવું બનાવવા માગીએ છીએ, જેને લોહીની વાસમાંથી ખુશબૂ આવતી હોય? આવો સમાજ માનવીઓનો તો ન હોઈ શકે! સમાજનું આવું પાશવીકરણ કરતાં જશું, તો પછી આખરમાં એવી જ યાદવાસ્થળી સર્જાશે, જેને કાબૂમાં લેવાનું ભગવાન શ્રીકૃષ્ણના હાથની વાત પણ નહોતી રહી અને છેવટે કોઈ સામાન્ય ધનુર્ધરના બાણથી પોતાનો અંત કબૂલ કરવાનો એકમાત્ર રસ્તો જ બચતો હોય છે.

એક વ્યક્તિ કે પછી એક સમુદાયનું ઉન્માદમાં આવવું, બહેકી જવું, ભટકી જવું દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ આવું બની શકે છે, પરંતુ આપણે તેનો જવાબ એક સમાજ કે એક વ્યવસ્થાને ઉન્માદગ્રસ્ત બનાવીને આપવા માગીએ, તો એક વિવેકહીનતાની ચરમસીમા ગણાશે. આ ચરમસીમા આપણે જોઈ ચૂક્યા છીએ – દેશના ભાગલા પડ્યા તે વખતનાં રમખાણોમાં અને ૨૦૦૨ના ગુજરાતનાં રમખાણોમાં, હિરોશિમામાં જોયું, વિયેતનામમાં જોયું, પોલૅન્ડ અને ચૅકોસ્લોવાકિયામાં પણ આ જ જોયું છે. સમાજોના વિખરાવ, સભ્યતાઓના વિનાશ અને લોકોને ઘેટાં-બકરાંની જેમ કતલ થતાં જોયાં છે. એટલે કોઈ પણ સ્વસ્થ સમાજનું, જવાબદાર પ્રશાસનનું એ દાયિત્વ પણ છે અને એનું મહત્ત્વપૂર્ણ કાર્ય પણ છે કે તે સામૂહિક ઉન્માદનું શમન કરે. ઉન્માદ ફાટી નીકળે, ત્યારે તે કોઈ ગાંધીને ગોળી મારશે કે કોઈ દિલ્હીને સળગાવી દેશે, તમે કશું ધારી ન શકો કે તે શું કરશે, શું નહીં કરે. એટલે ડગલે ને પગલે, દરેક શ્વાસે-શ્વાસે ઉન્માદ પર કાબૂ મેળવવાનું શીખવું અને શિખવાડવું પડશે. આ દૃષ્ટિએ જેણે એવું કહ્યું કે યાકૂબ મુસ્લિમ હોવાથી તેને ફાંસી અપાઈ છે, તેમનો ગુનો ઘણો મોટો છે. જેમણે ફાંસી-ફાંસીના પોકારો કર્યા, તેમનો ગુનો ઘણો મોટો છે. એક માણસને મારી નાખીને કોઈ પાકિસ્તાન કે કોઈ આઈ.એસ.આઈ.ને જવાબ દેવાની વાહિયાત વાત કરનારા અવિવેકી જ છે અને તેમનો ગુનો ઘણો મોટો છે.

આપણે ત્યાં જ્યાં સુધી ફાંસીની સજા માન્ય છે, ત્યાં સુધી અદાલતો જે કોઈને પણ કાયદાની કસોટીએ કસીને આ સજાને લાયક ગણશે, તેને ફાંસી અપાતી રહેશે. આમાં અદાલતોથી નારાજગીનું કોઈ કારણ નથી, પરંતુ અદાલતો જે બંધારણના આધારે ચાલે છે, એ બંધારણે જ પોતાની સજા વિરુદ્ધ લડવાની અનેક તકો પૂરી પાડી છે. આ દેશના દરેક નાગરિકને એટલે કે દેશમાં ગુનો કરતી પકડાઈ ગયેલી કોઈ પણ વ્યક્તિને એ તમામ તકનો લાભ લેવાનો પૂર્ણ અધિકાર છે, અને આપણી ન્યાયપાલિકાની બંધારણ મુજબ જવાબદારી છે કે તે દરેક અપરાધીને એ તમામ અધિકારોનો ઉપયોગ કરવાની તક આપે. એટલે જે લોકો એવી કાગારોળ કરે છે કે કસાબ પર કેસ ચલાવવાની ક્યાં જરૂર હતી કે પછી જે લોકો એવી વાતો ચલાવતા હતા કે યાકૂબ ફાંસીથી બચવા માટે ચાલો ચાલી રહ્યો છે, એ આપણા દેશ-સમાજની કુસેવા કરનારા છે. ફાંસીથી બચવા-બચાવવાની દરેક બંધારણમાન્ય કોશિશનું સન્માન જ થવું જોઈએ, એટલું જ નહીં તેનું સમર્થન પણ થવું જોઈએ, જેથી આપણે બધા અનુભવી શકીએ કે આપણો ભારતીય સમાજ અને તેની બંધારણમાન્ય વ્યવસ્થાઓ દરેક જિંદગીનું સન્માન કરે છે. એટલે જે ૧૦૦થી વધારે લોકોએ છેવટ સુધી યાકૂબની અરજી પર પુનર્વિચાર કરવાની અપીલ કરી, એ તમામ લોકો આપણા સમાજના સ્વસ્થ વિવેકના પ્રહરી છે. તેમણે એવું નહોતું કહ્યું કે યાકૂબ નિર્દોષ છે (જો કે, આવું કહેવાનો દરેક ભારતીયનો અધિકાર અક્ષુણ્ણ છે જ!), બલકે એવું કહેલું કે આ કેસમાં આવી રહેલાં નવાં તથ્યોના ઉજાસમાં ફરી-ફરી તમે પુનર્વિચાર કરો, જેથી જે જિંદગી આપણે આપી શકતા નથી, તેને લેતાં પહેલાં દરેક તથ્યની તપાસ થઈ શકે. આમ, પોતાના બચાવની દરેક કોશિશ કરી રહેલો યાકૂબ આપણા વ્યંગ્યનો નહિ, આપણી સહાનુભૂતિને પાત્ર હતો, કારણ કે તે એ બંધારણમાન્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યો હતો, જેનો ઉપયોગ આપણામાંની દરેક વ્યક્તિ એવી હાલતમાં કરવા માગે. યાકૂબનો એ વકીલ બહુ ખોટા સમયે બહુ ખોટી વાત કહી રહ્યો હતો, જેણે મોડી રાતે આખરી સુનાવણી વિફળ રહ્યા પછી પત્રકારોને કહ્યું કે સર્વોચ્ચ અદાલતે આ માંગને ખોટા દૃષ્ટિકોણથી ફગાવી દીધી. આપણે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી અસહમત તો થઈ શકીએ છીએ અને તેને યોગ્ય તકે, યોગ્ય જગ્યાએ વ્યક્ત પણ કરી શકીએ છીએ, પરંતુ આટલા સંવેદનશીલ માહોલમાં, વકીલાત જેવા વ્યવસાય સાથે જોડાયેલો કોઈ જવાબદાર વકીલ સર્વોચ્ચ અદાલતના આખરી ચુકાદા પર આવી ટિપ્પણી કરે, તો એ ઉન્માદ ભડકાવવાનું કારણ બની શકે છે.

યાકૂબ મેમણને તેની ગતિ પ્રાપ્ત થઈ ચૂકી છે. એક સમાજ તરીકે આપણે આપણો લય શોધવાનો છે.

અનુવાદક : દિવ્યેશ વ્યાસ

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 13-14

Loading

મેઘાણીના મનોભાવ મિષે મહેન્દ્રભાઈનાં મનોયત્ન

રસેશ જમીનદાર|Opinion - Literature|21 August 2015

મહેન્દ્રભાઈ મેઘાણી છેલ્લા ઘણા દાયકાથી વિચારવાહક તરીકે કાર્યરત છે. વિદ્વાનોના પોષક અને ઉપયોગી વિચારોને લોકગત કરવામાં મહેન્દ્રભાઈ માહેર છે. નાની પુસ્તિકાઓ મારફતે તેઓએ વિચારોને લોકો સુધી પહોંચાડી તેમના મનારોગ્યને નિરામયતા બક્ષવાનું એક મિશન ઉપાડ્યું છે. તેઓ મિશનરી અવશ્ય છે પણ મર્સિનરી નથી. ખૂબ જ વાંચતાં રહે છે અને અન્યોને એમના મંથન પહોંચાડતાં રહે છે.

તાજેતરમાં એમણે ‘ઝવેરચંદ મેઘાણીની વિચારકણિકા અને ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ’ નામની ૩૨ પૃષ્ઠીય પુસ્તિકા પ્રગટ કરી છે. ત્રણ હજાર નકલ છાપી છે અને કિંમત માત્ર ૧૦ રૂપિયા રાખી છે. ખોડીદાસ પરમારનાં મુખપૃષ્ઠ અને છેલ્લા પૃષ્ઠ ઉપરનાં આવરણચિત્ર ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્યને પોષક છે.

મેઘાણી પ્રથમ તો સાહિત્યકાર છે, લોકસાહિત્યના આરૂઢ ઉપાસક પણ છે. એમનાં લખાણ મહદંશે, લોકપ્રયોગશાળામાં ચકાસાઈને ચળાઈને તૈયાર થયાં છે અને તેથી તેમનાં લખાણમાં એક તરફ સત્યનો રણકાર સંભળાય છે, તો બીજી બાજુ લોકસમસ્તને શું પ્રેય અને શ્રેય છે, તેની જાગૃત સૂઝ પણ એમાં વર્તાય છે. આ સૂઝ જ એમને ઇતિહાસ – લેખક બનાવે છે. કઈ વસ્તુ ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી છે અને કઈ જ્ઞાનદીપક તરીકે ઉપયોગી છે, એમાંથી લોકોને કેવાં પ્રેરણા અને પ્રકાશ ઉપલબ્ધ થવાં જોઈએ, એ દૃષ્ટિ નજર સમક્ષ રાખી મેઘાણીએ ઇતિહાસમાં વૃત્તાંત આલેખ્યાં છે. (જુઓ રસેશ જમીનદાર, તવારીખ કિતાબોના લેખક મેઘાણી, મેઘાણી વિવેચનસંદોહ-૨, પૃષ્ઠ ૪૨૬થી ૪૩૧, અલબત્ત મૂળ આ લખાણ પ્રતિભા દવે સંપાદિત ‘રેલ્યો કસુંબીનો રંગ’, ૧૯૯૬માં પ્રગટ થયું હતું.)

પ્રસ્તુત પુસ્તિકામાં પ્રથમ પંદર પૃષ્ઠમાં ઝવેરચંદ મેઘાણીના સમગ્ર વિચારવૈભવના સોનેરી થાળમાંથી ચૂંટેલી વિચારકણિકા છે, તો શેષ પંદર પૃષ્ઠમાં ઝવેરચંદ વિશે સમકાલીન સાહિત્યકારોએ અભિવ્યક્ત કરેલાં મૂલ્યાંકનમાંથી થોડાક અંશ પ્રસ્તુત છે. સંપાદકનો મુખ્ય ઉદ્દેશ ‘મેઘાણીની પછીની પેઢીના લેખકોને, ભાષા અને સાહિત્યના અભ્યાસીઓને તેમાં રસ પડશે એવી આશા છે’ રહેલો છે. મહેન્દ્રભાઈનો હેતુ આ પુસ્તિકાના વાચનથી સફળ રહેલો ખસૂસ જણાય છે.

પ્રથમ સમકાલીન સાહિત્યજ્ઞોના મૂલ્યાંકનમાંથી થોડાંક વિધાનવાક્ય પ્રસ્તુત કરીશું :

એમણે કબર ખોદી કાઢીને મૈયતોને ઉઠાડ્યાં અને જિવાડ્યાં એમણે મસાણે માણસ જગાડ્યાં, હજારો પ્રેતોને કપડાં પહેરાવ્યાં. (દુલા ભાયા કાગ) ગાંધીજીએ લોકજીવનના વિશાળ ક્ષેત્રમાં જે કાર્ય કર્યું તે જ કાર્ય ભાઈ મેઘાણી સાહિત્યના ક્ષેત્રમાં આદરી ગયા. (પરમાનંદ કું. કાપડીઆ) લોકમાનસ, લોકજીવન અને લોકસાહિત્યની એકાગ્ર નિષ્ઠાથી ભક્તિ ઝવેરચંદ મેઘાણીનો જોટો હિંદુસ્તાનમાં મળવો મુશ્કેલ છે. (કાકા કાલેલકર) શહેરનો પવન ત્યાં ઘૂસ્યો છે, છતાંય આ અજ્ઞાન પ્રજામાં કળા, સૌંદર્ય વગેરે ઘણું ભર્યું છે. એ સાહિત્યની શોધખોળ પાછળ મેઘાણી ગાંડા હતા. (મો.ક. ગાંધી) એમના જીવનમાં પરમ પ્રસન્નતા દેખાતી. (ઉમાશંકર જોશી). નિરક્ષર જનતાના ગળામાં ડૂકી ગયેલી લોકવાણીને એમણે સજીવન કરી (મનસુખલાલ ઝવેરી). શ્રમની તલમાત્ર સૂગ નહીં, કોઈ કામનો સંકોચ નહીં. તસુભાર અન્યાયને સાંખી ન શકે એવો નિર્ભય મિજાજ (રસિક ઝવેરી). ગુલામીમાં સબડતી પ્રજાની  વેદનાને હૈયાસોંસરી ઊતરી જાય એવી આર્તવાણીમાં ગુજરાત ખાતે કોઈએ ઉતારી હોય, તો તે એક મેઘાણીએ (ધીરુભાઈ ઠાકર). મેઘાણીભાઈ કુશળ બાજીગરની અદાથી વિરાટ જનમેદની ઉપર ભૂરકી પાથરી દેતા અને કંઠની મોરલીએ સભાઓને મણિધરની જેમ ડોલાવતા. (બાલમુકુંદ દવે). મેઘાણીને નારીવૃંદે આપ્યાં તાજાં ફૂલોની જેમ મઘમઘતા લોકગીતો. ખવાસણો, કાઠિયાણીઓ, વણિક ને બ્રાહ્મણ એમ અનેક કોમની સ્ત્રીઓએ ગીતોની છાબ છલકાવી દીધી. (મકરન્દ દવે) મહાત્મા ગાંધીએ ભણેલા લોકોને લોકાભિમુખ થવાને પ્રેર્યા. પણ મેઘાણીએ લોક શું છે તેને સજીવ કરી બતાવ્યું (મનુભાઈ પંચોળી). સૂતેલાને જગાડે અને જાગેલાને ગુલામીની શૃંખલાને તોડવા પ્રેરે તેવી બળબળતી વાણીમાં સ્વાતંત્ર્યની ઝાલર મેઘાણીએ એમની કવિતામાં વગાડી છે (ઉપેન્દ્ર પંડ્યા). મેઘાણી જનતાના લાડકવાયા સાક્ષર હતા (રામનારાયણ વિ. પાઠક). ગાંધીજી એટલે લોક, ન્હાનાલાલ એટલે સાહિત્ય, મેઘાણી એટલે લોકસાહિત્ય. આ ત્રણ મનુષ્યોએ ગુજરાતને જેટલો પ્રેમ આપ્યો છે, એટલો અન્ય કોઈ મનુષ્યે આપ્યો નથી. (નિરંજન ભગત). માહિતી-દાતાનું હૈયું ખોલવાની શક્તિમાં મેઘાણી અદ્વિતીય છે. વિશ્વાસ જગાડવાની એમનામાં શક્તિ છે (હસુ યાજ્ઞિક). ગુજરાતી સાહિત્યમાં ગદ્યમાં તથા પદ્યમાં આજપૂર્વે ન જોવામાં આવેલી એવી રંગમયતા, મીઠાસ અને વેગ મેઘાણી લઈ આવ્યા છે (સુન્દરમ્).

હવે મેઘાણીના કેટલાક વિચારમૌતિક જોઈએ :

જનતા મારી જનેતા બની. * શરીરને ઘડે, સ્વજનોને રાહત આપે, પૈસાનો દુર્વ્યય બચાવે, એવો ગૃહવ્યાયામ એ સર્વોપરિ વ્યાયામ છે. * તમારા ગામનો ઇતિહાસ તમારા છોકરાને તમે કદી શીખવ્યો છે ? * જન્મભૂમિ  તો જીવે છે એના શૌર્યના ઇતિહાસમાં. * ક્યાં ગયા પેલા પુનિત દિવસો, જ્યારે હિંદુને આંગણે અક્કેક દુઝાણું બંધાતું ? * ચોરો માટીની ચાર દીવાલો ને છાપરું નથી. એના પરમાણુ-પરમાણુએ ગામનો ઇતિહાસ પડ્યો છે. * જે કાંઈ આપો તે તમારા ૧૦૦ ટકા શ્રમનું પરિણામ હોવું જોઈએ. પરિશ્રમ મને પ્રિય છે. * હું કંઈ વિદ્વાન નથી ! આવા બચાવોમાં છલ રહેલું છે. * એક વાત સર્વ ચંદ્રકો પરત્વે કહેવા જેવી છે. ચંદ્રક એની વિરલતાએ કરીને વધુ શોભે કે વિપુલતાએ ? ચંદ્રક તો એક ગૌરવચિહ્ન છે. ચંદ્રકો વધારવાથી સાહિત્યની પ્રગતિ વધારી શકાય તેવું નથી. * બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે છે. તે તો મોટો સાહિત્યસેવક છે. * જે ગામને પાદર નદી નથી એ ગ્રામ કુગ્રામ છે, એની મિસાલે જે ગામમાં સાહિત્યની સરિતાને આજીવન રાખનાર એક સારો બુકસેલર નથી તે ગામ કુગ્રામ છે. * કલમની પછવાડે પણ જોર છે અણથક ઉદ્યમનું. * લેખિની પોતાનું સ્થાન જે દિવસે કોશ-પાવડીની સંગાથે લેશે તે દિવસે સાહિત્યમાં પણ ચમકશે. * સાહિત્ય તો જીવનના વિશાળ ક્ષેત્રને પ્લાવિત કરી મૂકે.

અને છેલ્લે : સભાઓનાં પ્રમુખસ્થાનો, જાહેર ચર્ચાઓની વાંઝણી કડાકૂટ, મોખરે સ્થાન મેળવવાની મહત્ત્વાકાંક્ષા, બંધારણોના ઝઘડા – એ બધી સાહિત્ય તપોવન પર ત્રાટકનારી અપ્સરાઓનાં રૂપોમાં હું અંજાયો નથી. એને મેં સાહિત્યકારની તપશ્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે.

સરવાળે સમકાલીન સાહિત્યકારોનાં વિધાન અને ઝવેરચંદ મેઘાણીની સ્વયંની વિચારકણિકા પ્રસ્તુત કર્યા પછી અવલોકનકારને કશું કહેવાની જરૂર નથી. માત્ર મહેન્દ્રભાઈ મેઘાણીને અભિનંદન. આવી રીતે લોકભોગ્ય પુસ્તિકાઓથી ગુજરાતને રળિયાત રાખે તેવું નિરામય દીર્ઘાયુ ઈશ્વર તેમને બક્ષો.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 16-17

Loading

નાતજાત બનામ સરકારી ભીંતડાં

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 August 2015

સાત દાયકાના ઉંબર વરસે, આઝાદીદિનનું ચિત્ર શું છે? આનંદી માર્ગની કૉફી ટેબલબુકમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની સંહિતા શોધી જડતી નથી. સ્વચ્છતા અભિયાન સરખું કાંક કશુંક જોણું લાલ કિલ્લાની રાંગેથી ખાબકી પડવાનું હોય તો પડશે. પણ અત્યારે તો આ અભિયાન સંદર્ભે બહાર આવેલા સર્વેક્ષણને એક અખબારી મથાળે ટૂંકમાં મૂકવ્યું મૂલવ્યું છે તેમ ‘ડર્ટી પિક્ચર’ જોવા મળે છે.

અગ્રલેખનો આ ઉઘાડ, બને કે, કોઈને નાસ્તિક ને નિઃસારવાદી લાગે. ફિલગુડને ચશમે જોઈએ અને પોઝિટિવ ઘેલાં કાઢવાની કોશિશ કરીએ તો પણ તંત્રી મુવા તે વાંકદેખાપણાનું વરદાન અને ઝટ પીછો છોડે શાનું.

આનંદી માર્ગથી લગાર હરીને જોઉં તો ગુજરાતમાં પટેલ અનામત એક મોખરાના મુદ્દા પેઠે છવાયેલ માલૂમ પડે છે. ચરોતરનો પાટીદાર અને સૌરાષ્ટ્રનો પટેલ બે જુદા છે અથવા તો આ આંદોલનના સગડ પક્ષમાં માંહોમાંહેના હિસાબને ચૂકતે કરવા લગી પહોંચે છે. ગઈ સદીમાં, બીજા સ્વરાજ પછીના દસકામાં ઉજળિયાતોએ અનામતવિરોધી ઉત્પાત મચાવ્યો હતો કે એક તબક્કે સત્તા-પ્રતિષ્ઠાનો એને કોમી વળાંક આપી આત્મસંતુષ્ઠિનો ઓડકાર ખાધો હતો એવું કંઈક હશે કે થશે? કદાચ, કોઈ એક સરળ સપાટ સમજૂતી શક્ય નયે હોય.

જ્યાં સુધી અરધી રાતે આઝાદીનાં સંતાનોનો સવાલ છે, સ્વરાજ સાત દાયકાનું થવા આવ્યું અને પ્રજાસત્તાક સાઠી વટી ગયું પણ આઇડેન્ટિટી પોલિટિક્સ થકી વમળાતો અમળાતો એથી અણઓળખાતો નાગરિક એક દુર્દૈવ વાસ્તવ છે. ગાંધીએ તિલકને ખભો દીધો અને આખી જે એક યુગસંક્રાન્તિ થઈ એની સાથે સરેરાશ હિંદવાસી હજુ સમાધાન સાધી શક્યો નથી. જન્મસિદ્ધ અધિકાર તે નાગરિક તરીકેનો, નહીં કે નાતજાતગત, એ વાનું કેમ પકડાતું નથી? દલિત મસીહા નવી સ્મૃિત કહેતાં બંધારણ ઘડે છે ત્યારે સૌની જિકર કરે છે. વર્ણવિશેષની નિશાન તાકે છે. આ તત્ત્વ પકડવાનું ન હોય તો આઇડેન્ટિટી પોલિટિક્સ સામે આઇડેન્ટિટી પોલિટિક્સ લટકા કરશે … અને પ્રજાસત્તાક બ્રહ્મ? ભ્રમ બની રહેશે.

જે વિમર્શ સવા વરસ પર દિલ્હીનશીન થયો એ ઓબીસી ઉદ્દેકી હિંદુવાદ અને કથિત વિકાસની કોકટેલથી વધારે નહોતો. બિહારમાં જે મુકાબલો થવામાં છે એમાં મંડલ-કમંડલ માનસિકતાથી થોડુંકે ઊંચે ઉઠાય તો સારું, પણ ત્યાં પણ એક કે બીજા પ્રકારે આઇડેન્ટિટી પોલિટિક્સ જ ખેલાશે એવું લાગે છે. સોનિયા-રાહુલ કૉંગ્રેસ વખાના માર્યા વિપક્ષનો વેશ ભજવતી હોય તો પણ લાલબાલપાલથી ગાંધીનેહરુપટેલ સંક્રાન્તિના અગ્રચરણની એને રગ છે કે કેમ, દૈવ જાણે.

કુસુમાગ્રજની કવિતાથી વાત પૂરી કરું : રાત પડે ચોપાટી પર મુંબઈ સમસ્તના બાવલાં ભેળાં મળ્યાં ને સુખ દુઃખની વાતે વળ્યાં. તિલકે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્કવાળો’, પણ મારી પાછળ અત્યારે તો ચિત્તપાવન બ્રાહ્મણોનું કોઈ ટોળું હોય તો હોય. આંબેડકરે કહ્યું કે હું બંધારણકાર ખરો, પણ મારી પાછળ દલિતો હોય તો હોય. ફૂલેએ કહ્યું કે મેં સૌ શુદ્રોને ઉપલી પંગતમાં આણ્યા, પણ મારી પાછળ પાંચપંદર ફૂલવાળા કે માળીઓ હોય તો હોય. હવે ગાંધીનો વારો છેક છેલ્લે (પોતે આમેય ‘અનટુ ધ લાસ્ટ’વાળો રહ્યો ને). એણે કહ્યું કે તમારી પાસે તો નાતજાતનું ઘાડિયું પણ છે, મારી પાછળ તો સરકારી ભીંતો સિવાય કશું નથી.

સ્વરાજને સાત દાયકે આટલું પકડાયપમાય તો પણ ઘણું.                             

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2015; પૃ. 01

Loading

...102030...3,8143,8153,8163,817...3,8203,8303,840...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved