Opinion Magazine
Number of visits: 9871762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી

કનુભાઈ સૂચક|Gandhiana|30 September 2015

ગાંધીજીનું જીવન એ વિચારોની વિકાસયાત્રા છે. એમના જીવનની પળેપળ વિચારોનું અનુસંધાન છે અને તેનો વ્યાપ સંપૂર્ણ વિશ્વને આવરી લે છે. એકાંત વનમાં બેસી સાધના કરે તેવા ઋષિઓથી જુદી આ યુગપુરુષની સાધના છે. તેમની સત્યની શોધની ચેતનાનો વિસ્તાર પ્રત્યેક માનવના હૃદય સુધી પ્રસરે છે. આ અતિશયોક્તિ નથી. જવાહરલાલ નહેરુએ લખ્યું છે, “ગાંધીજી લોકોની હૃદયવીણાના હરેક તારને જાણે છે, નિષ્ણાત સંગીતકારની જેમ કયે પ્રસંગે કયો તાર સ્પર્શવાથી તે યોગ્ય રીતે રણઝણી ઊઠશે તે જાણે છે.” એ મહાત્મા તરીકે ઓળખાયા પરંતુ વાસ્તવમાં તો સામાન્યજન હતા. માનવ હતા. તેમણે એ જ રીતે વિચાર્યું અને ભૂલ પણ થઈ શકે એ સમજ સાથે એવું જ વર્તન કર્યું. માનવ કરી શકે અને જે મેળવી શકે તેવાં જ ડગ ભર્યા.

મને યાદ છે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીનો દિવસ. હું બાળક હતો છતાં ગાંધીજીના નિધનને દિવસે ડૂસકે ડૂસકે રડ્યો કારણ કે મારું કુટુંબ, મારા પાડોશીઓ, રસ્તે ચાલતાં દરેક માણસને મેં રડતાં જોયાં. આ રાષ્ટ્રપુરુષ જનસમાજના હરેક સ્તરે વ્યાપ્ત બની રહ્યા. રાષ્ટ્રપિતા કહેવાયા. તેઓ કેવા યુગપુરુષ હતા તે મહાન વૈજ્ઞાનિક રોબર્ટ આઇન્સ્ટાઈનના આ શબ્દોથી જણાય છે; “આવો મહાન યુગપ્રવર્તક આ ધરણી પર હાલતો ચાલતો એક માણસ હતો તેવું ભાવિ પેઢી માનશે નહીં.”

અઢી લાખ વર્ષ પુરાણી માનવ સંસ્કૃિત છે. વિચારો તો થયા જ હોય. પાંચ હજારથી વધુ વર્ષ પુરાણા આપણા વેદ-પુરાણો. આ વિચારોના પ્રભાવ માનવ જીવનમાં વ્યાપ્ત હોય જ. સમય સાથે બદલાતી જીવનપ્રણાલી અને તેને અનુરૂપ વિચારો થતાં જ રહે. વિચારમાં ક્રાંતિ કહી શકાય તેવા સફળ અને નિષ્ફળ પ્રયોગો થતા રહ્યા. ગાંધીજીએ પણ સ્વાભાવિક રીતે જ એ અસરો ઝીલી. ગાંધીજીએ પોતાના જીવનકાર્યમાં આવી અસરો અંગે પોતાની આત્મકથા “સત્યના પ્રયોગો”માં ઉલ્લેખ કર્યો છે. ૧૯મી સદીમાં બે મહાન વ્યક્તિઓ માર્ક્સ અને ગાંધી. સમયની બે વિચારધારાઓ. જુદી જુદી છતાં સમાન. બન્ને વિચારધારા ઐતિહાસિક. પરંતુ તેનો ઉન્મેષ યુગપ્રવર્તક.

આપણા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. ઉમાશંકર જોશીની આ એક પંક્તિ આ મહાન વિચારકોના વિચારનો આધાર અને તેની સમાનતાને સ્પષ્ટ કરે છે.  “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી નવ લાધશે.” ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયને વર્ણવતા એક અન્ય કવિ કહે છે : “बारूद के ढेर पर बैठी है ये दुनिया.” આવા કપરા સમયમાં જે સંઘર્ષ હતો તે માનવ અને માનવ વચ્ચે, પરિસ્થિતિએ સર્જેલ વર્ગો વચ્ચે, રાજ્ય અને પ્રજા વચ્ચે, રાજ્ય અને અન્ય રાજ્યો વચ્ચે હતો. માર્ક્સ આ વર્ગવિગ્રહને સદંતર નેસ્તનાબૂદ કરવાના પક્ષમાં હતા. ગાંધીજી પણ વર્ગવિગ્રહ પરિસ્થિતિ જ સંઘર્ષ અને અસંતોષનું કારણ છે તે જાણતા હતા પરંતુ તેઓ સંઘર્ષને અહિંસક સમજાવટ દ્વારા ઘટાડવાની તરફેણમાં હતા. હિંસાથી જ ટેવાયેલા વિશ્વને આ વિચાર કંઈક અવ્યવહારુ લાગતો હતો. “શમે ના વેરથી વેર.” એ ભારતીય વિચારધારા ગાંધીજીની રગરગમાં સ્થાયી હતી. ગાંધીજીએ આ સંઘર્ષના મૂળમાં બે તત્ત્વોની ઓળખ કરી. ઉદ્યોગોમાં મૂડીવાદીઓ અને મજૂર અને ખેતીવાડીમાં જમીનદાર અને ગણોત-ખેડૂતો. આ વર્ગોના સંઘર્ષને સમજાવટ અને પ્રેમથી ઓછો કરવા માટે અહિંસક માર્ગની હિમાયત કરી. જરૂર પડે સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવવાનું સમજાવ્યું. આ નવતર પ્રયોગ હતો. માણસને માણસાઈ તરફ દોરવાનો પ્રયાસ હતો. જેની સામે વિરોધ છે તે સ્વયં અનિષ્ટ નથી પરંતુ પરિસ્થિતિજન્ય તેનામાં પ્રવેશી ગયેલ અનિષ્ટતાનો તેને પરિચય કરાવવાનો હતો. મૂડી અને શ્રમની સમાનતા સિદ્ધ કરવાનો હતો. શ્રમથી મૂડી નીપજે છે શ્રમનું મહત્ત્વ મૂડીથી વધુ છે તેની સમજ આપવાનો હતો. આવી સમજણનો અભાવ લાગે ત્યાં સત્યાગ્રહનો ઉપયોગ કરવાનો હતો. અસહકાર કરી અધિકાર માગવાનો હતો. અધમ વર્તાવ સામે સ્વમાન જાગૃત કરવાનો આ પ્રયોગ હતો. તેમની આત્મકથા સ્વરૂપ પુસ્તક ‘સત્યના પ્રયોગો ‘માં તેમણે કહ્યું છે, “મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે.”

આવશ્યકતાને વ્યવહારમાં પરિવર્તિત કરવાનો અઘરો રસ્તો ગાંધીજીએ અપનાવ્યો. જ્યાં સંઘર્ષ જ હતો ત્યાં પ્રેમપૂર્વક સમજાવટનો રસ્તો લીધો. એક બાજુ દેશના સ્વાતંત્ર્ય માટે લડત અને બીજી બાજુ ખખડી ગયેલ સમાજ વ્યવસ્થામાં માનવીય ભાવ પ્રેરિત કરવાનું કામ. તે પણ નાનકડાં કસબામાં કે ગામ – શહેરમાં નહીં, પરંતુ ભારત જેવા વિશાળ દેશની કોટિ કોટિ જનતાના હૃદય સુધી પહોંચવાનું ભગીરથ કાર્ય હતું. માનસ પરિવર્તન કરવાની પ્રક્રિયા સાથે દેશ-કાળના સદીઓથી રૂઢ થયેલા અનેકવિધ સંદર્ભો જોડાયેલા અને જડાયેલા હોય. ‘સમૂળી ક્રાંતિ’ કરવાની હતી. આજ પણ વિચારીએ છીએ તો અશક્ય લાગે છે. જેને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ તે રામ, કૃષ્ણ, બુદ્ધ કે મહાવીર દ્વારા પણ થયું નથી. તે આ એક સૂકલકડી સામાન્ય પુરુષ દ્વારા સંપન્ન થયું. ભારત જ નહીં પૂર્ણ વિશ્વમાં આવી સિદ્ધિ એક પણ મનુષ્ય દાખવી શકેલ નથી. ગુણ-અવગુણ, ભૂલ-સમજ જે કંઈ એક સામાન્ય માનવીમાં હોય તેવા એક સાધારણ માણસે આ કર્યું.

સામે પહાડ જેવા પ્રશ્નો, પણ પાર કરવાની, નિશ્ચલ મનીષા લઈ નીકળેલા આ મહાત્માએ શું વિચારી આવું સાહસ કર્યું હશે. ગાંધીજીની શ્રદ્ધા હતી કે આખા જગતમાં જે સ્થૂળ સ્વરૂપે છે તે અને માનવ શક્તિ બન્ને પ્રાકૃતિક દેણ છે. માનવ સર્જિત સમાજ વ્યવસ્થા મુજબ સ્થાવર-જંગમ મિલકતોની માલિકી ભલે વ્યક્તિગત હોય પરંતુ જે પ્રકૃતિનું છે તેની ઉપર વાસ્તવમાં સામૂહિક માલિકી છે. તે માટે સામૂહિક વિશ્વાસની ભાવના કેળવવાની વાત ગાંધીજીએ કરી. “Social Trusteeship.” આવું ઓસડિયું સમાજ માટે ગુણકારી હતું પરંતુ કડવું હતું એટલે ગળે ઉતરવું મુશ્કેલ હતું. તેમ છતાં એ તર્કની સાથે અહિંસા માર્ગે સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાનો ઉપાય સૂચવતો હતો. તેઓએ કહ્યું છે કે “જે આપણી પાસે હોય તે અન્ય પણ ઉપલબ્ધ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ.” વર્ગ વિગ્રહને બદલે વર્ગ સહકારની સમજ વિકસાવવી જોઈએ. થોડાં શોષણખોરોનો નાશ કરવાને બદલે તેની સાથે અહિંસક અસહકાર કરવો જોઈએ. આવાં શિક્ષણ, સમજ અને જ્ઞાનનો પ્રસાર થવો જોઈએ. આનાથી શોષણકર્તાઓને પણ સમજ આવશે અને સહકારની ભાવના કેળવાશે. ગાંધીજીને માનવ જાત પર વિશ્વાસ છે. તેઓ કહેતાં કે “માનવ વૃતિ એ જ તેના વર્તનનું કારણ હોય છે.” અને તેમનો વિશ્વાસ હતો કે આ વૃત્તિઓ બદલી શકાય છે. યોગ્ય શિક્ષણ અને કેળવણીથી એ શક્ય છે પ્રેમની ભાષા પ્રાણી માત્ર સમજે છે. આ પ્રેમનો માનવીય વિસ્તાર ગાંધીજીના વિચારથી વૈશ્વિક અપેક્ષા છે :

“I want to realize brotherhood and identify not merely with beings called human, but I want to realize identify with all life. Even with such being that crawl on this earth.”  ( Mahatma Vol 2, p.253 )

ગાંધીજીના વિચાર એ પૂર્વગ્રહિત વિચારોનો વાડો નથી એ તો વહેતી ધારા છે. માનવ વૃત્તિ અને વ્યવહારમાં પરિસ્થિતિજન્ય પરિવર્તન સતત થતું રહેવાનું. જે વિચાર ગઈકાલના ઇતિહાસમાં અને આવતીકાલની અપેક્ષાઓની સાથે સતત અનુસંધાન સાધતી રહે તેવી વિચારધારા છે. વિચારોના ઉન્મેષ અને આવિષ્કારોને આવકારતી વિચારધારા છે. એક પૂર્ણ સમાજ તરફની ગતિ મળે તેવી વિચારધારા છે. સત્ય, પ્રેમ અને અહિંસાના બળ પર માનવ માનવને સાંકળતી સર્જનાત્મક સમાજ રચવા માટેની વિચારધારા છે. સમગ્ર વિશ્વનો માનવસમાજ આ વિચારધારાના સામર્થ્યને સ્વીકારે છે. રામરાજ્ય આદર્શને આ સંદર્ભથી ઓળખાશે તો વિચ્છેદથી સંયોજન તરફ આપણે આગળ વધીશું. ગાંધીજીએ કહ્યું છે : “આપણે ગુણગ્રાહી બનવું જોઈએ. હું સ્વયં ભૂલરહિત નથી તો અન્યની પાસે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકું ?” સારા અને યોગ્ય વિચારો અંગે વધુમાં તેઓ કહે છે કે : “આપણા સકારાત્મક વિચારો એ આપણી વાણીમાં ઊતરે, વાણી આપણા વર્તનનું પ્રતિબિંબ પાડે, વર્તન આપણી આદત બને, આદત આપણા ગુણનો નિર્દેશ કરે અને તે આપણું ભાવિ બને.” 

સત્તાના રાજકારણને પારદર્શક શુદ્ધતા તરફ દોરી જવા ગાંધીજીએ સાધ્ય અને સાધનની શુદ્ધિનો મંત્ર આપ્યો. માનવ સંબંધો સાથે સાંકળતા રાજકારણમાં તેની જરૂર સમજાવી. અન્યોના આધિપત્ય અને સત્તાથી સ્વતંત્ર થવા સાથે સત્ય સહિત પરંતુ હિંસા રહિત મુક્ત મનના સ્વાતંત્ર્ય તરફની દિશા બતાવી. સામાજિક અને આર્થિક કાર્યમાં અપરિગ્રહના સિદ્ધાંતોની હિમાયત કરી. 

ભારતની પ્રજાની નાડ એક સાચા ભારતીય તરીકે તેમણે બરાબર જાણી હતી. સર્વ જાતિ, સર્વ ધર્મ અને સઘળાં સામાજિક અને આર્થિક સવાલોમાંથી એક સંયુક્ત સૂર ઉપજાવી અનેકતામાંથી એકય સાધવાનો ગાંધીજીનો આ પ્રયાસ હતો. ઇતિહાસનો ભાર લઈ જીવતી પ્રજાને ભારતીય અસ્મિતા તરફ જાગૃત કરવાનો પ્રયાસ હતો. રજવાડાઓ અને અંગ્રેજ સત્તામાં સપડાયેલ પ્રજામાં એવી ચેતના ભરવાની હતી કે લોકો પોતાની સત્તા-લોકશાહીના મૂલ્ય સમજી શકે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરના આ દેશમાં આધ્યાત્મિક મૂલ્યો તો રગરગમાં હતા. દેશની એ જ તો મૂડી અને ઓળખ હતી. લોકોને સારપ, પ્રેમ, સદ્દવર્તન સત્ય, અહિંસા, અપરિગ્રહના આદર્શો શીખવા જવાની જરૂર ન હતી. ગાંધીજી એ જ આદર્શોને સ્વાતંત્ર્ય લડતના હથિયાર બનાવ્યાં. લોકસમૂહને ગાંધીજી પોતાના સ્વજન લાગ્યાં. તેમની વાત પોતાના મનની વાત લાગી. કરોડોના કંઠમાં આ દેશ મારો છે ગૂંજવા લાગ્યા. કોઈ પણ અંગત સ્વાર્થ વગર પોતાની જાતને સ્વાતંત્ર્ય યજ્ઞમાં હોમી દેવા તત્પર ગાંધીનો બોલ દેશનો અવાજ બની ગયો. ગાંધીજી વિદેશી સત્તાને દૂર કરવા સાથે એવું રાષ્ટ્ર ઈચ્છતા હતા કે જ્યાં વૈમનસ્ય નહીં સ્નેહભાવનું આધિપત્ય હોય. ગાંધીજી કદાચ પૂર્ણપણે આ પામી ન શક્યા કારણ કે અમાપ વૈવિધ્યના આ દેશમાં કેટલાક એવાં તત્ત્વો પણ હતાં કે સ્વાતંત્ર્ય મળ્યા પછી તેમના વ્યક્તિગત હિતોની તેમને વધુ પરવા હતી. ગાંધીજી એ પણ સમજી ગયા હતા.    

ગાંધીજીનું  જીવન એ જ તેમનો સંદેશ છે તેવું તેમનું વિધાન સમજવા જેવું છે. તેઓ ‘સત્યના પ્રયોગ’ કહે છે તે પાછળ જે અભિપ્રેત છે કે એક મનુષ્યે જીવનભર સત્ય તરફ પહોંચવા પ્રયત્ન કર્યા છે. તેઓનો ક્યાં ય એવો દાવો નથી કર્યો કે તેઓ અંતિમ સત્યે પહોંચી ગયા છે. આદિનાથ પ્રભુએ પણ કહ્યું છે કે “પ્રબુદ્ધ થવું એ દરેક માનવીની ગતિ હોવી જોઈએ. અન્ય વિચાર આપી શકે પરંતુ તે પ્રાપ્ત કરવા મે જેમ પ્રયત્ન કર્યા છે તેમ દરેક કરે ત્યારે જ મતિ પ્રમાણે સ્થિતિ પામી શકે”. એટલે જીવન સાથે સતત પ્રવાહની જેમ વિચાર કરવા જોઈએ.  વિચાર એ શક્તિ છે. વ્યક્તિ વિચારે અને તે વ્યક્ત કરે અને આપણા વિચાર મુજબ તે સ્વીકાર્ય લાગે તો અવશ્ય સ્વીકારવા જોઈએ પરંતુ સમજવું જોઈએ કે ત્યાં અંતિમ નથી. આપણા સમાજનો મોટો ભાગ સ્થિર થઈ જઈ વ્યક્તિપૂજા કરતા થઈ જતાં હોય છે. વિચાર કરનાર વ્યક્તિ આપણા જેવો જ માણસ છે. એટલે ગાંધીશબ્દ કોઈ સ્થગિત વિચાર નથી જીવન સાથે અનુસંધાન કરતી વિચાર ધારા છે. હા! ગાંધી નામની આ વ્યક્તિએ જે કામ કર્યું છે તે એક જ જીવનમાં એક જ વ્યક્તિએ કઈ રીતે કર્યું તેનું આશ્ચર્ય તો મને પણ છે. અત્યંત અભિભૂત પણ છું. સાથે એ પણ જાણું છું કે તેઓ પૂજાપુરુષ નહીં પરંતુ પ્રેરણાપુરુષ-યુગપુરુષ હતા.

મારા એક કાવ્યની થોડી પંક્તિઓમાં આ બાપુને સંબોધી આશ્ચર્ય વ્યક્ત થયું છે તે પ્રસ્તુત છે. શીર્ષક છે :

એવા તો કેવાં તમે …

એકના અનેકવાર દીધાં અમે ને તમે
હસતાં હસતાં જ એ લીધાં ?
એવાં તો કેવાં તમે ‘બાપુ’ જાદુગર
અમૃતની જેમ ઝેર પીધાં.

વાવડ હતા જરૂર મોતના સિવાય ત્યાં
મળવાનું અંગત જરાય ના,
કોટિ કોટિ લોક જેની હાકલથી મારગમાં
ઓઢી કફન ઉભરાયાં.
એવાં તો કેવાં તમે ‘બાપુ’ બાજીગર
મૃત્યુને નામ અમર દીધાં.

બાપુને આજ ૨જી ઓક્ટોબર ૨૦૧૫ના શ્રધાંજલિ આપતા ૧૯૪૮ના જાન્યુઆરીમાં ઊભરાયેલા આંસુ આજ પણ આંખમાં છે. બાપુના પડછાયામાં અંધારા શોધતાં માનવો પણ છે પરંતુ બાપુ તમે આજ પણ અમારા માટે કદી ન અસ્ત થાય તેવો પ્રકાશપુંજ છો. આપને નમું છું, બાપુ !    

‘અૉલ ઇન્ડિયા રેડિયો’ના મુંબઈ સ્ટેશન પરેથી 01 અૉક્ટોબર 2015ના પ્રસારિત.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

નેતાજી સુભાષચંદ્ર બોઝ : વર્તમાનમાં સ્મરવાની વાતો

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|30 September 2015

‘જય હિંદ’નો પ્રચલિત નારો નેતાજીનોનહીં, પણ જર્મનીથી તેમની સાથે આવેલા આિબદ હસને આપ્યો હતો.

વાત સુભાષચંદ્ર બોઝની છે. તેમના મૃત્યુને લગતી ચર્ચા અને કોન્સ્પીરસી થિયરી(કાવતરાંકથાઓ)ની વધુ એક મોસમ આવી છે. આ વખતે પશ્ચિમ બંગાળ સરકારે ખુલ્લા મુકેલા — અને કેન્દ્ર સરકારે હજુ દબાવી રાખેલા –નેતાજીને લગતા કેટલાક સરકારી દસ્તાવેજ અટકળબાજીનું નિમિત્ત બન્યા છે. નેતાજીના મૃત્યુની કે ૧૯૪૫ પછી વર્ષો સુધી તેમના જીવિત હોવાની ચર્ચા મોટે ભાગે ઝાડવાં ગણતાં જંગલ ભૂલવા જેવી બની રહે છે. નેતાજીનું મૃત્યુ કેવી રીતે થયું, એ જાણવાની ઇંતેજારી વાજબી છે. તેની પાછળનું સત્ય જાણવાની ચટપટી સમજી શકાય એવી છે, પરંતુ એ બન્નેની લ્હાયમાં નેતાજી સાથે સંકળાયેલી અને આજે પણ યાદ રાખવા જેવી કેટલીક હકીકતો ભૂલી જવાય છે. કારણ કે, એ યાદ રાખવાથી  અત્યારના રાજનેતાઓ કે રાજકીય પક્ષોને કશો ફાયદો નથી. 

• જવાહરલાલ નેહરુના રાજકીય વિરોધી એવા નેતાજીને લગતી કાવતરાંચર્ચામાં ભાજપને મઝા પડી જાય, એ દેખીતું છે. વિપક્ષ તરીકે ભાજપી નેતાઓ ઉછળી ઉછળીને નેતાજીને લગતા દસ્તાવેજ જાહેર કરવાની માગણી કરતા હતા. હવે પોતાની સરકારમાં એ પાણીમાં બેસી ગયા છે, એ વાતને હાલ પૂરતી બાજુ પર રાખીએ. વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજમાં કોમવાદને સ્થાન ન હતું. થોડા લોકોને યાદ હશે કે ‘જય હિંદ’નો પ્રચલિત નારો નેતાજીએ નહીં, પણ તેમના સાથીદાર – જર્મનીથી તેમની સાથે સબમરિનમાં આવેલા આબિદ હસને આપ્યો હતો. 

નેતાજીના મૃત્યુના સમાચાર પછી આઝાદ હિંદ ફોજના ત્રણ અફસરો પર લાલ કિલ્લામાં રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો. એ ત્રણે અફસર જુદા જુદા ધર્મના હતા — પ્રેમકુમાર સહગલ (હિંદુ), ગુરુબરક્ષસિંઘ ધિલ્લોં (શીખ) અને શાહનવાઝખાન (મુસ્લિમ) — એ આઝાદ હિંદ ફોજની પરંપરાને છાજે એવો યોગાનુયોગ હતો. પરંતુ આઝાદ હિંદ ફૌજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડાં, કેપ્ટન લક્ષ્મી સહગલે ૧૯૯૭માં આ લેખક સાથેની દીર્ઘ મુલાકાતમાં કહ્યું હતું, ‘મહંમદઅલી ઝીણાએ શાહનવાઝ હુસૈનને અલગ પાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે શાહનવાઝને કહ્યું કે તમે બાકીના બે અફસરોથી અલગ થઈ જાવ, તો તમારો બચાવ હું કરીશ. પરંતુ શાહનવાઝે એ દરખાસ્ત ઠુકરાવી દીધી.’

આઝાદ હિંદ ફૌજમાં લેફ્‌ટનન્ટ કર્નલનો હોદ્દો ધરાવતાં લક્ષ્મી સહગલે કહ્યું હતું કે નેતાજી વેદાંતમાં માનતા હતા, પણ ધર્મને અંગત બાબત ગણીને બીજાને તેમાં સંડોવતા નહીં. સિંગાપોરમાં દક્ષિણ ભારતના ચેટ્ટિયારોનું એક મંદિર હતું. તેના સંચાલકોએ પ્રસ્તાવ મૂક્યો કે નેતાજી મંદિરે પધારે તો એ લોકો મોટી રકમ દાનમાં આપશે. એ વખતે ફોજને નાણાંની બહુ જરૂર હતી. પરંતુ લક્ષ્મી સહગલનાં જણાવ્યાં પ્રમાણે, નેતાજીએ કહી દીધું તું કે ‘મારી સાથે ફક્ત હિંદુ અફસરોને જ પ્રવેશ મળવાનો હોય તો એ નિમંત્રણ મને મંજૂર નથી. રૂપિયા કરતાં એકતા મને વધારે વહાલી છે.’

• નેતાજીના લશ્કરી સચિવ – ફૌજી પ્રેમકુમાર સહગલ લાલ કિલ્લાના કેસના ત્રણ નાયકોમાંના એક હતા. કેસમાં દોષી ઠરવા છતાં પ્રચંડ લોકલાગણી અને દેશ પર પોતાની પકડ ઢીલી પડતી અનુભવીને અંગ્રેજ સરકારે ત્રણે ફૌજી અફસરોને સજા કરવાને બદલે છોડી મૂક્યા. અમદાવાદ સહિત દેશનાં ઘણાં શહેરોમાં એ ત્રણે નાયકોનાં વિજય સરઘસ નીકળ્યાં. લોકોએ ચલણી નોટોના હાર પહેરાવ્યા (જે રકમ આઝાદ હિંદ ફોજ માટેના સરકારી કલ્યાણભંડોળમાં ગઈ). પરંતુ જયજયકાર શમી ગયા પછી આજીવિકાનો સવાલ આવ્યો ત્યારે પ્રેમકુમાર સહગલને ક્યાં ય સારી નોકરી કે કામ ન મળ્યું. એ વખતે કાનપુરની એક મિલમાંથી સન્માનજનક કામ મળતાં, પ્રેમકુમાર અને લક્ષ્મી સહગલ મુંબઈ-દિલ્હીને બદલે કાનપુરમાં સ્થાયી થયાં. પોતાના નાયકો સાથે કામ પાડવાની આ વિશિષ્ટ ભારતીય પરંપરા પ્રમાણે, નેતાજી લાંબું જીવ્યા હોત અને રાજકારણમાં ફાવ્યા ન હોત, તો તેમનું શું થયું હોત એ કલ્પી શકાય.

• નેતાજીનાં ચુસ્ત અનુયાયી એવાં ડો. લક્ષ્મી સહગલે શરૂઆતનાં વર્ષો પછી નેતાજીના અંતને લગતી અટકળોમાં રસ લેવાનો છોડી દીધો. તેમને મન નેતાજી દેશસેવાનું પ્રતીક હતા અને દેશની-દેશવાસીઓની સેવા કરવી, એ નેતાજીના સાથીદાર તરીકની તેમની ફરજ હતી. એ તેમણે નિષ્ઠાપૂર્વક અદા કરી. અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ એવાં ડૉ. લક્ષ્મી સહગલે કાનપુરમાં દાયકાઓ સુધી રાહત દરે ગરીબ લોકોને સારવાર આપી. ગુમનામીબાબા નેતાજી હતા કે નહીં એની કથાઓને બદલે, પોતાની આસપાસ રહેતાં દેશવાસીઓનાં વાસ્તવિક દુઃખદર્દનું મહત્ત્વ તેમને મન વધારે હતું. આઝાદીનાં પચાસ વર્ષ સુધી કેપ્ટન લક્ષ્મીને પદ્મશ્રી સુદ્ધાં મળ્યો ન હતો. તેમને એવી કોઈ અપેક્ષા પણ ન હતી. નેતાજીના નામે વિવાદો જગાડનારા ને તેમાં પોતાનો લાભ શોધતા કેટલા નેતાઓ દેશના લોકોની સેવા કરીને સુભાષચંદ્ર બોઝને અંજલિ આપવા તૈયાર થશે?

• નેતાજીના અંતને લગતી નવી વિગતો બહાર આવે તો ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ એ અગત્યની ખરી, પણ એનાથી અત્યારે સાબિત શું થવાનું છે? અને કયો રાજકીય પક્ષ એ વિગતોને તોડીમરોડીને, પોતાના લાભ ખાતર તેનો ઉપયોગ ન કરવા જેટલો વિવેક દેખાડશે? ‘ગુમનામીબાબા એ જ નેતાજી હતા’ એવી થિયરી સાચી હોય તો એ સુભાષચંદ્ર બોઝની જાહેર છબીને ધબ્બો લગાડનારી છે. અંગ્રેજ સરકારને હાથતાળી આપી શકનાર અને એક તબક્કે તેમને નાકમાં દમ કરી દેનારા નેતાજી આઝાદી પછી લોકશાહી ભારતમાં, ભલે ગમે તેવી મજબૂરીને વશ થઈને, ગુમનામીબાબા તરીકે જિંદગી વીતાવે, તો દેશ માટે તેમનું મૃત્યુ ૧૯૪૫માં જ થઈ ગયેલું ન ગણાય?

• હદ તો એ છે કે સુભાષચંદ્ર બોઝના ભક્તોએ તેમના મૃત્યનો સ્વીકાર ન કર્યો અને મુખ્યત્વે એ કારણસર તેમનું રાષ્ટ્રીય સ્મારક ન બની શક્યું. અલબત્ત, રાષ્ટ્રનાયક તરીકે સુભાષચંદ્રની પાઠ્યપુસ્તકિયા છબી અને તસવીરોમાં આટલાં વર્ષે ઘણા અઘરા સવાલો પૂછવાના થાય. વીરરસના આરોપણને અને રહસ્યમય અંતને કારણે તેમની વ્યૂહરચના, લશ્કરી સજ્જતા અને જાપાન-જર્મની જેવા ખતરનાક દેશોનો સહકાર લેવાની આશા જેવી ઘણી બાબતોની અહોભાવમુક્ત, કડક તપાસ કરવી રહી. સુભાષચંદ્રને નિર્વિવાદ નાયકપદે રાખીને, તેમના માટે કોણ વિલન બન્યું, એવી કવાયતમાંથી બહાર આવવું પડે અને સુભાષચંદ્ર સહિતનાં બધાં પાત્રોનું નવેસરથી મૂલ્યાંકન કરવાનું રહે. 

સુભાષચંદ્ર હોય કે સરદાર, નેહરુ હોય કે ગાંધી, તેમના સૌ પ્રેમીઓએ ભારતીય અવતારવાદની માનસિકતાથી ઉપર ઊઠવું પડે અને તેમને અનેક મર્યાદા ધરાવતા માણસ તરીકે સ્વીકારવા પડે. એવા માણસ, જે ભૂલ કરી શકે, જે મહત્ત્વાકાંક્ષાથી પ્રેરિત હોઈ શકે, જે અંદરોઅંદર વાંધા ધરાવતા હોય, છતાં દેશની આઝાદી જેવા એક વિશાળ હેતુ માટે તેમણે એક સાથે અથવા પોતપોતાની રીતે પોતાની મર્યાદાઓ ઓળંગવાનો પ્રયાસ કર્યો હોય અને તેમાં ઠીક ઠીક સફળ થયા હોય. સુભાષચંદ્ર બોઝના મૃત્યુ વિશેની વાર્તારસપ્રચૂર અટકળોમાંથી રસના ઘૂંટડા ભરવાની સાથે, થોડો વિચાર આગળ લખેલા મુદ્દા ઉપર પણ કરવામાં આવે, તો કંઇ અર્થ સરે.

સૌજન્ય : ‘આઝાદ હિંદ ફોજ’, “દિવ્ય ભાસ્કર”, 29-09-2015

http://www.divyabhaskar.co.in/news/ABH-netaji-subhash-chandra-bose-things-to-remember-in-current-5126811-NOR.html

Loading

હિન્દુ હેલ્પલાઇન

નીરવ પટેલ|Poetry|28 September 2015

(અછાંદસ ખંડકાવ્ય)

*

હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે 
મદદ માગો, રાવ કરો, ફરિયાદ કરો
હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે.

ફર્સ્ટ એઈડ કોલથી SOS સુધીના તમામ કોલ પર ત્વરિત ધ્યાન આપવા
મંચના, વાહિનીના, દળના, પરિષદના, પરિવારના કરોડો સ્વયંસેવકો,
આપણા સનાતન હિન્દુધર્મના 33 કોટિ પુરાતન દેવતાઓ, 
સંતોષીમા અને દશામા જેવી અદ્યતન દેવીમાતાઓ —
સૌ 24 x 7 અને 365 ય દિવસ
સૌ હિન્દુઓની સેવામાં હાજરાહજૂર છે.
હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે.

પૂણ્યભૂમિ—પિતૃભૂમિની વ્યાખ્યામાં સમાઈ શકતા
તમામ પંથ અને સંપ્રદાયના હિન્દુઓ એનો લાભ લઈ શકે છે :
સિંધુના પૂર્વ કાંઠેથી લઈ કામરૂપ
અને કાશ્મીરથી લઈ કન્યાકુમારી લગી વસતા સૌ હિન્દુ ભારતીયો,
ઉપરાંત વખાના માર્યા કે લીલાં ચરાણ ચરવા ગયેલા ડાયાસ્પોરાના સૌ હિન્દુઓ.
અને તાજી ‘ઘરવાપસી’ કરેલ વટલાયેલા વિધર્મી હિન્દુઓ પણ.  

હિન્દુઓને જરૂર પડે તેવી સૌ સેવાઓ ઉપલબ્ધ છે આ હેલ્પલાઇન પર :
પર્સનલ, પોલિટિકલ, સોશિયલ, રિલીજિયસ , આર્થિક, આધ્યાત્મિક …
કોઈ પણ મદદ મેળવવા
હિન્દુ હેલ્પલાઇન ચાલુ છે.

મા અન્નપૂર્ણાના આશીર્વાદથી અખૂટ ભંડાર ભરવા છે?
મા કામધેનુની કૃપા વરસાવવી છે ?
કલ્પવૃક્ષની કલમ રોપવી છે તમારા પ્રાઈવેટ ગાર્ડનમાં ?    

સ્વરક્ષા માટે ત્રિશૂળ લેવું છે ?
કમૂરતમાં ય મૂરત કાઢવું છે ? 
અન્નકૂટ જમાડવા બ્રાહ્મણો જોઈએ છે ? 
ગુરુમા માટે સિક્સ-પેક-એબ-ધારી સેવક જોઈએ છે ? 
ભૂદેવ માટે ચિયરલીડર દેવદાસી જોઈએ છે ?  

100 % સફળતા માટે યંત્ર જોઈએ છે ?
દુશ્મનને મૂઠ મારવા મંત્ર જોઈએ છે ? 
વૈકુંઠ, અમરાપુરી કે કૈલાસની યાત્રા કરવી છે ?
શ્રાદ્ધ માટે પવિત્ર ઉપનયનથી સંસ્કારિત કાગડા જોઈએ છે ?
શ્રીકૃષ્ણલીલાની  કથા કહેવડાવવા આશારામ બાપુને બૂક કરાવવા છે ? 


VIP લાઇનમાં વૈષ્ણોદેવીના દર્શન કરવાં છે ?
ઓનલાઈન દાન દક્ષિણા મોક્લાવવી છે ?
કોમ્પ્યુટર કુંડળીમાં અનુકૂળ ગ્રહો બેસાડવા છે ? 

વાસ્તુશાસ્ત્ર ને ફેન્ગશુઈના (કન્-)ફ્યુઝન વર્ઝનથી બંગલાને પૂર્વાભિમુખ કરવો છે?

માં અંબાનું માદળિયું જોઈએ છે
કે માં કાળકાનો મન્ત્રેલો કાળો દોરો જોઈએ છે ?
ગોત્ર જાણવું છે ?  રાશિ જાણવી છે ? ગ્રહદશા નિવારણ કરવું છે ? 
રુદ્રાક્ષ જોઈએ છે ? ગોમૂત્ર જોઈએ છે ? 
ગોહત્યા રોકવી છે ? મુસ્લિમ ફિદાયીન સામે હિન્દુ આત્મઘાતી જોઈએ છે ?

આરાસુરી અંબામાના પવિત્ર સંકુલમાં સ્પા કે મસાજ સેન્ટર ખોલવું છે ?
હરિદ્વારના યોગાશ્રમમાં વિના મૂલ્યે ચાતુર્માસ ગાળવો છે ?
આધ્યાત્મિક ગુરુ પાસે આર્ટ ઓફ હિન્દુ લીવિંગ શીખવી છે ? 
ગોડસે મંદિર બાંધવા દાન જોઈએ છે?
મુસ્લિમ અને ખ્રિસ્તિઓની ‘ઘર વાપસી’ માટે ભંડોળ જોઈએ છે ?
RO વોટરથી ઉછરેલું તિરુપતિનું ‘બ્રહ્મ કમલમ’ ખરીદવું છે
અમર થવા મહામૃત્યુંજય જાપ કે યજ્ઞ કરાવવો છે ?
32 લક્ષણો પુત્ર માટે પુત્રકામેષ્ટી યજ્ઞ કરાવવો છે ?
સદા યૌવન માટે યયાતિનો આશીર્વાદ જોઈએ છે કે ચ્યવનનો કૌચાપાક જોઈએ છે ?
અક્ષૌહિણી સેના, કૃષ્ણનું સુદર્શન, પરશુરામની ફરશી,
શંકરનું ત્રિશૂળ મા કાળકનો ભાલો જોઈએ છે?  
રામજાદે-હરામજાદે જેવી તેજાબી જબાનવાળાં સાધ્વી ઉપદેશિકા જોઈએ છે ?
ભજનના ઢાળમાં સ્ત્રીપટીઝ કરતાં રાધેમા જોઈએ છે?
મા અમૃતામ્મા સાથે હગિંગ કરવું છે ? 
OMG કે PKની ટિકિટ જોઈએ છે ?

ટૂંકમાં તમે કલ્પના પણ નહીં કરી હોય તેવી,
હર ઈમરજન્સી અને હર હાલાત માટે ઉપયોગી
અમે શરૂ કરી છે આ સંકટ સમયની સાંકળ  :
હિન્દુ હેલ્પલાઇન !
જય હો હિન્દુ એકતા ! 
આ પ્રિ-રેકોરડેડ એનાઉન્સમેન્ટ પૂરી થાય એ પહેલાં તો
હિન્દુસ્તાન અને હિંદુસ્તાન પારના હિન્દુ કોલરોનો જાણે કે ધોધ ખાબક્યો :

1.

હેલો, હેલો, હિન્દુ હેલપલેણ …
કાળો કેર થૈ જયો સ ભૈશાબ,
ભેંસબકરી ગાયોઘેટાં માંણહજનાવર
હૌને શેંગડે ભેરવ સ
આખું ગોચર એના બાપનું હોય એમ કર સ
ભારે ભેલાડ કર સ
ગાંમ શેતર ક વાડી વગડે
ચ્યાંય નેહળાતું નથી
ગોચરમાં જતાં ગાયો ધરુજ સ
ભો એટલો ભારે થૈ જયો સ ક હૌ થથર સ. 
ખૈ ખૈન વકરી જયો સ
ગાંમપટેલનો ગાંડો પાડો
અન આલા ખાચરનો ખંધો આખલો !
ભૈશાબ, જલ્દી કરજો
ગાંમે ગાંમના અમે હંધા ય હિન્દુ હાંમલી જ્યા સીએ.
હાંભળ્યું સ ક અમદાદ શે’રના હિંદુના ય હાંજા ગગડી જ્યા સ.
કે’સ ક પટેલરેલીમાં એ બે રૂમલાશે
તો હૌં ન શેંગડે ચઢાવશે
પટેલના પાડાનું પાટુ જેને વાગ્યું એના રાંમ રમી જવાના
આખા શે’રનું સત્યાનાશ થૈ જશે. 
એવામાં આલા ખાચરનો આખલો અન પટેલનો પાડો
બથંબાથા આઈ જ્યાં તો તો ગાંમ ન શે’ર આખાનું આઈ બન્યું હમજો.
ભૈશાબ જલ્દી આનું કાંક કરો,
નકર થાકીહારી ન અમાર તો કાદર કહઇન કરગરવો પડશે.
ઠાકૈડાઓએ તો માંનતા ય માંની સ વેરાઈમાના પારે
પાડો વધેરવાની.
હેલો હેલો, હિન્દુ હેલ્પલેણ, ભૈશાબ જલ્દી કરજો
મોડું ના થૈ જાય.

2.

હલ્લો … હલ્લો … હલ્લો …
જલ્દી મદદ કરો સાએબ,
વહેલા અમારી વ્હારે ધાવ ….
નર્યો કળજગ આયો સ પરથમી પર !
આ ડાંડ તો અમ ગરીબગુરબાની આબરૂ લેવા બેઠો સ, ભૈશાબ !
મારી ગોવાલણી હૌ ગોઠણ જોડે જમુના કાંઠે નહાવા પડી’તી,
ન કોઈ કાળિયો ગોવાળિયો એમનાં લૂગડાં લૈ કદંબ પર ચઢી જયો સ,
કહે સ ક તમે હૌ નવસ્ત્રી ઊભી થાવ નદીમાંથી, 
તો જ તમારા વસ્તર પાછા આલું !
દ્રૌપદીમાના ચિરહરણ જેવો ચમત્કાર કરો ભૈશાબ.
કાં આ લબાડનું મસ્તક વાઢી કાઢો તમારા ચકકરથી !

3.

હલ્લો, હલ્લો, સુદામાના ઘેરથી બોલું સુ  :
ઘરમાં હાંલ્લા કુસ્તી કર સ ન હાંભળ્યું સ ક ગોર તો ભઈબંધના મ્હેલે મ્હાલ સ
છોકરાં રોકકળ કર સ
ન પટેલે દૂધની હડતાળ પાડી સ
કે’ સ ક અમારી જોડે રેલીમાં જોડાવ તો દૂધના બદલે દૂધપાક આલીએ !
ભાઈશાબ, ગોરન ગોતી આલો
તો આ દુવિધાનો પાર આવ !

4.

હેલ્લો … હેલ્લો … હેલ્લો …
આઈ‘મ કાલ પેન ફ્રોમ ન્યુ જર્સી
યા યા, યુએસ સિટીઝન,
નો નો નોટ ક્રિસ્ટિયન, કાલ પેન મીન્સ કલ્પેન પટેલ, પ્યુર સ્વામિનારાયણી હિન્દુ.
બહુ પ્રોબ્લેમ છે ભાઈ અહીં પરદેશમાં :
કેન્યામાં કાળિયા સાલા અમને અક્સપ્લોઇટર સમજીને પજવતા હતા 
ને અહીં ધોળિયા સાલા અમને કાળિયા માની કનડે છે
ક્યારેક તો સાલા સાવ બીસી જ ગણે છે અમને,
અમને અડતાં ય જાણે અભડાઈ ના જવાના હોય ?
ડોલરિયા દોલત છે અઢળક, પણ સ્વદેશ જેવું સન્માન નથી !
‘ગર્વસે કહો હમ હિન્દુ હૈ’નાં સ્ટિકરો યુસલેસ લાગે છે!
હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન,
અમે તો ક્યાંયના નથી રહ્યા, ના ઘરના ના ઘાટના,
અમને આ રેસિઝમથી બચાવો … 
હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન, હલ્લો 

5.

હલ્લો … હલ્લો … હલ્લો …
મદદ કરો, મદદ કરો
બાબાનું મંદિર તોડી કાઢ્યું છે
આખલા જેવા નાગા બાવાઓએ કાળો કેર વરતાવ્યો છે
હિન્દુઓના લોહી રેલાય છે સાહેબ શિરડીની શેરીઓમાં
જુઓ તો ખરા,
અમે આરતી કરીએ, ભજન ગાઈએ, બાબાની જે બોલાવીએ 
તો ય કહે છે કે અમે હિન્દુ નથી, મિયાંના ચેલા છીએ ! 
જય સાંઈબાબા …
હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન, હલ્લો હલ્લો.

6.

હલ્લો … હલ્લો … હલ્લો ….
અરે ભાઈ તમે રેકમંડ કરેલા આપણા હિન્દુ ડોક્ટરે
અધધ ફી લેવા છતાં હાથ અદ્ધર કરી દીધા છે.
બાપા મરણપથારીએ પડ્યા છે,
ને એમને મરવું નથી.
હવે તો હનુમાન લાવ્યા’તા એવી સંજીવની જ જોઈશે
કાં અકસીર મહામૃત્યુંજય જપ કરે તેવો ….
કોઈ બામણ મોકલી આપો,
કહેજો : ફૂલહાર-અગરબત્તી-પરસાદ બધી એસેસરી જોડે લઈને આવે
ગમે તે ફી ચૂકવવા તયાર છીએ, સાહેબ.

7. 

હલ્લો .. હલ્લો … હલ્લો …
મથુરાની MLA હાલીમવાલિની બોલું છું :
( જો કે પ્લીઝ … મારુ નામ ડિસક્લોઝ ના થવું જોઈએ … )
ના, ના, લોકસભાથી થાય એવું નથી.
છેક વારાણસીની હિન્દુ વિધવાઓએ અહીં વિધવાશ્રમોમાં અડ્ડો જમાવ્યો છે
(ફરી રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ … મારું નામ ડિસક્લોઝ ના થવું જોઈએ
… ખાસ તો PM આગળ )  

તેથી અમારા વૃંદાવન મતવિસ્તારની હિન્દુ વિધવાઓ આશરા વિના જ્યાં ત્યાં આખડે છે.
મમતાદીદીને કહીને એમને કલકત્તા બાજુ ક્યાંક મોકલી આપોને.
અથવા ગમેતેમ કરીને હિંદુસ્તાનના ગામેગામ ને શહેરે શહેર એક એક હિન્દુ વિધવાશ્રમ ખોલો ને.
આ ટ્રાફિક જામથી તો તોબા !  ત્રાહિમામ ! 

(જો કે … પ્લીઝ …. મારું નામ ડિસ્ક્લોઝ ના થવું જોઈએ ….)

હલ્લો, હલ્લો હિન્દુ હેલ્પલાઇન, હલ્લો

8.

હલ્લો … હલ્લો .. હલ્લો …
કર્ણાવતીથી કુલિન ત્રિવેદી બોલું છું
સાહેબ, બે બાટલા AB પોઝિટિવ લોહી જોઈએ છે
તાત્કાલિક, ઈમરજન્સી છે
અરે સાહેબ, ગમે તેનું, x y z  કે  s c – s t – o b c
કોઈ પણ વર્ગનું – વર્ણનું ચાલશે, સાહેબ.
બસ, આ ગરીબ બામણનો છોકરો બચી જવો જોઈએ.
ના, ના, મનુસ્મૃિતમાં આપદ્દધર્મને ધર્મ જ ગણ્યો છે !

9. 

હલ્લો … હલ્લો … હલ્લો …
સાહેબ, જરા કોન્ફિડેન્શિયલ વાત છે
ડોક્ટરે મારામાં વાંક કાઢ્યો છે
સ્પર્મ બેંકમાંથી ઊંચા ખાનદાનનું એકાદ ટીપું શુક્રાણું મળી જાય
બસ એટલી મદદ કરોને, સાહેબ.  
ના સાહેબ ના, કોઈ પણ હિન્દુનું ના ચાલે,
વાણિયા-બામણ-પટેલથી નીચું તો નહીં જ.
જાત નથી અભડાવવી.
ભલે વાંઝિયો મરી જાઉં !

10.

હલ્લો … હલ્લો … હલ્લો.
હું કે.કે. પરમાર બોલું છું
સાહેબ, ગુજરાત સરકારમાં સિનિયર IAS  છું, ACS  છું. 
કર્ણાવતીની કોઈ હિન્દુ સોસાયટીમાં બંગલો લેવો છે॰
પણ બધા બિલ્ડર પૂછે છે : પરમાર એટલે કેવા
મોચી, સુથાર, કોળી, દરબાર કે દલિત ?
હવે હું કેમનો કહું કે ભઈસા’બ હું મુખ્યમંત્રીના મતવિસ્તારનો મયો ઢેડ છું. !

11.  

હલ્લો … હલ્લો … હલ્લો ..
અમદાવાદથી કોટક બોલું,
હા હા બિલ્ડર કોટક.
જુહાપુરા બોર્ડર પર સ્કીમ મૂકી છે
થોડા હાઇ-કાસ્ટ મેમ્બર્સ કરી આપો ને, સાહેબ
હા હા સમજીશું સાહેબ . .
કમિશન આપીશું, સાહેબ
અહીં તો બધા મિયાં અને હરિજન ભર્યા છે,
અરે, પૈસા મોડા આલશે કે માંડવાળ કરવા પડશે તો ય ચાલશે
મારે તો સ્કીમની વેલ્યૂ બનાવી જોઈએ.
લક્ષ્મીના સ્વયંવરમાં વરમાળા તો લક્ષ્મીપતિના ગાળામાં જ પડે ! 

12.

હલ્લો … હલ્લો … હલ્લો …
અરે ભૈ ટેક્સી ડ્રાઈવર રામસરન યાદવ બોલ રહા હું,
દેખો ન યે શિવસેના વાલે હમે ભૈયા કહ કર ભગાતે હૈ બંબઈસે
ક્યા હમ હિન્દુસ્તાની નહીં હૈ ? અરે ભૈ ક્યા હમ હિન્દુ નહીં હૈ?
અરે રામલલ્લાકી તરહ હમ ભોલેનાથકે ભી ભક્ત હૈ ! 
જય શિવશંકર, જય ઠાકરે ભગવાનકી !

13.

હલ્લો … હલ્લો … હલ્લો …
ના, સાહેબ ના, લવ જિહાદનો કિસ્સો નથી.
આ તો અમારાં લાડલાં કુંવરી રીટાબાએ રઢ પકડી સ
ક પૈણું તો નાસીરખાન મિયાંન જ પૈણું
હવે આનો કઈ રસ્તો કાઢી આપો ન !
આ છોડી વંઠી સ એનું શું કરવું ?
પતાઈ દઈએ તો માળો ઓનર કિલિંગનો કેસ થાય સ !

14.

હલ્લો … હલ્લો … હલ્લો …
રેલમાં બધું તણાઈ જ્યું
ઝૂપડી ન ડોહો ન બકરી બધાં
પચ્ચી વરહ પહેલા મંદિર માટ ઈંટો મોકલાયી’તી અજોધિયામાં
જો વણવપરાયેલી પડી રહી હોય તો પાછી મોકલાવો ન ભયા મારા.
ડોશી ન રહેવા જોગું ખોરડું કરી આલો ન ભયા.
રામજી તમારું ભલું કરશે.

15.   

હલ્લો … હલ્લો … હલ્લો …
અમારી ફરિયાદ લખો ન સાએબ.
આ બામણો અમારા વડવાઓના હત્યારાઓને હીરો બનાવ સ
વામન જયંતી અન પરશુરામ જયંતીની જાહેર રજાઓ આપ સ . .
મનુનાં બાવલા મૂકાવ સ કોરટમાં.
ઘણા ધૂત્કાર્યા તો ય તમારો ધરમ અમે ઝાલી રાખ્યો
તો ય અમારા પૂર્વજોની ઠેકડી કર સ સાહેબ
હવે અમે શું કરીએ ?
આમ તો અમન હરિજન કે’સ 
અમે હરિજન હિન્દુ ના કહેવાઈએ, સાહેબ ?

16. 

હલ્લો … હલ્લો … હલ્લો …
હા, હરિજન છીએ, સાહેબ
હા, હા, હિન્દુ હરિજન.
ના સાહેબ, કશો વાંક ગુનો નહીં
છોકરો મંદિરમાં પેઠો એટલો જ ગુનો
દસમી પાસ થયો તે માની બાધા છોડવા ગયો
અને મંદિરના બામણે ઢોર માર માર્યો,
લોહીલુહાણ કરી કાઢ્યો !
પોલીસ ફરિયાદ ય નથી લેતી.
ગામનો ડાક્તર દવા કરવાનું ય ના પાડ સ.

17.  

હલો … હલ્લો … હલ્લો …
અરે ભૈસાબ કોઈ ઉપાડો
મારી નાખ્યા સાહેબ ….
મરી ગયા સાહેબ ….
હલ્લો … હલ્લો … હલ્લો …
અરે ભૈસાબ, કોઈ સાંભળો
બધું બળીને ખાખ થઈ ગયું
બધું બાળીને રાખ કરી કાઢ્યું
હલ્લો … હલ્લો … હલ્લો …
બાપા કોઈ સાંભળો
જુવાનજોધ છોકરો ….
વધેરી કાઢ્યો, સાહેબ
કુવારકા છોડીને ચૂંથી નાખી સાહેબ
હલ્લો … હલ્લો … હલ્લો …
ગામના શૌકાર લોકોએ ધિંગાણું ( કટક) કર્યું અમ કંગાળ હરિજનો પર.
મારો તો જીવ જાય સ સાહેબ,
ઘડી મોડું થયું તો એ રામે રામ

18.

હલ્લો … હલ્લો … હલ્લો …
લાજયો, માલાજયો …
કોક નામ પૂસ સ
કોક ગામ પૂસ સ
કોક જાત પૂસ સ
કોક ધરમ પૂસ સ
કોણે રંજાડયા પૂસ સ
કોણે માર્યા એ પૂસ સ
કુણે મારી કાઢ્યા એ પૂસ સ
સાએબ, મને ના ઓળખ્યો ?
નરોડા પાટિયાનો નારણ નખ્ખોદ.
ભૂલી જ્યાં ક સાયેબ ?
આપણું કામ જોયું નહીં તમે, સાયેબ ?
ઓળખ્યો સાએબ, ત્રિશૂળની અણીએ બિબડીનો ગરભ ઉછાળ્યો’તો,
અન કેટલાયને સીધા મકકે અલ્લા ભેગા કર્યા’તા ?  
અરે સાહેબ, પૂછવાનું હોય ?
હું હિન્દુ, એકદમ પાક્કો કટ્ટર હિન્દુ.
બાબાશાએબના ફોટા ય રાખું  ન
બાબા રામદેવપીરનો ઘોડો ય  રાખુંસું ઘરમાં
ચાવંડાની ચૂંદડી અન કરસનજીના મોરનું પેસુંય સ ઘરમાં
બાપા હવે હાંભળો ક
વશ્વા રાખો ઝાઝું પૂછપૂછ મત કરો.  
આ દરબારો મને મિયો હમજી મારે છે
મારે ક્યાં જવું ?
મિયાં થૈ જઉં ?

હા, બાપા હા. તમે કહો એ કહું : 
અમાર તો ભીડ ભાગ એ હૌ ભગવાંન
આશરો આલ એ હૌ ઈશ્વર  :
હા, જે શી ક્રસ્ન સાહેબ
હા જે શિયા રામ સાહેબ 
જય માતાજી

હલ્લો હલ્લો હલ્લો  …
લેણ કપઈ જૈ
લ્યો તાર ઝાઝા જુહાર
અમારી લેણ ય કપઈ જૈ
આપણી લેણદેણ પૂરી થૈ

19. 

હલ્લો … હલ્લો … હલ્લો …
ના સાહેબ ધર્મપરિવર્તન નહીં,
હું તો પાક્કો હિન્દુ જ છું.
મારે જ્ઞાતિપરિવર્તન કરવું છે : વાળંદમાથી વાણિયા થવું છે.
ઉજળિયાત બહેનો બ્યુટી પાર્લર ખોલી ઉપરના, નીચેના, બગલના વાળ કાઢી આપે
ને તો ય પાછા કહેવાય હજામને બદલે હેર સ્ટાઇલિસ્ટ અને બ્યુિટશિયન ! 
ને હું તો સાવ ઉજળો ધંધો કરું છું : ખાલી બાળદાઢી જ કરું છું અને તે ય ડેટોલમાં
તો ય મને ઘાંયજો ઘાંયજો કહીને ઉતારી પાડે છે આપણું હિન્દુલોક  !

20.

હલ્લો .. હલ્લો … હલ્લો …
મે’હાંણાથી બોલું …
હા પટેલ, પટેલ. કડવા પટેલ …
ઘર ઘર વાંઢા વધી જ્યાં’સ
વહુ જોઈએ :
બિહાર ઓરિસ્સા ઝારખંડ
આદિવાસી હુધિની ચાલે
હરિ ,,, ? ના ભૈસાબ, એ નહીં ચાલે.

21.

ઝડફિયા બોલું, ના ના, પેલા પરધાન ઝડફિયા નહીં.
હા હા કોંગ્રેસનાં કાકડિયા ને આમરી નાત એક.
લેઉઆ પાટીદાર.
દરબારો બહુ રંજાડે છે અહીં સૌરાષ્ટ્રમાં !
હા હા વર્ષે દા’ડે બેપાંચ ખૂન થાય છે અમારા પંથકમાં.
તોગડિયા સાહેબને કહો ને આનું કશું કરે !
હા  હા, ગમે તેટલી પ્રોટેક્ષન મની આપવા તૈયાર છીએ.
અમે તો પટેલ કૉમ્યુિનટી માટે ખાસ ભંડોળ ઊભું કર્યું છે કાગવડમાં !

22.

હલો, દેહાઇ બોલું.
ના ભૈ અનાવિલ નહીં.
માલધારી રબારી.
આ નારણપુરના પટેલિયાઓએ મારા વાલા
અમારો દૂધનો ધંધો પડાવી લીધો છે
ને હવે જબરઈ કરે છે.
ધોકાટીએ છીએ તો મારા બેટા કેસ ઠોકી દે સ.
કે’સ ક ગાંધીનગરમાં ન આખા ગુજરાતમાં ઇમનું રાજ ચાલ સ .
મોદી સાયેબન કહો તે આનું કાંક કર ….

23.

હલ્લો .. હલ્લો.હલ્લો … સાહેબ,
એક પૂછવાનું તો રહી જ ગયું !
ધર્મપરિવર્તન તો કર્યું, પણ હવે આપણા હિન્દુ ધરમમાં મારી નાત કઈ ?
હું જનોઈ પહેરી શકું ? હલ્લો, હલ્લો … હિંદુ હેલ્પ લાઇન, હલ્લો … હલ્લો …

24.

હલ્લો … હલ્લો … હલ્લો …
હલ્લો પટેલસાહેબ, પુરાણીસાહેબ, દવેસાહેબ, ત્રિવેદીસહેબ, ચતુર્વેદી સાહેબ …
90 કરોડ હિન્દુ કોલર્સ તો હજી ક્યૂમાં જ છે
ને લાઇન તો ડેડ થઈ ગઈ આ પાંચ-પચીસ હિન્દુઓના દુખડાંથી  !
હલ્લો, હલ્લો …
ઓ હજાર હાથવાળા શસ્ત્રાસ્ત્રથી સજ્જ હિન્દુ દેવીદેવતાઓ,
ઓ સર્વશક્તિમાન સ્વયંસેવકો, શિવસૈનિકો, રામસેવકો, બજરંગીઓ, બાહુબલીઓ, 
ઓ પિતૃઓ ને ઓ પિત્રોડાઓ!


અરે કોઈ તો હેલ્પ કરો આ હિન્દુ હેલ્પલાઇનને  ! 
અરે ઓ સંજીવની મંત્રના જાણકાર ઋષિઓ,
કોઈ તો સજીવન કરો આ હિન્દુ હેલ્પલાઇનને !

——————————————————————————————————

(વિશ્વ હિન્દુ પરિષદની ‘હિન્દુ હેલ્પલાઇન’ વિશેની તા. 9 ઓગસ્ટ, 2014ના “દિવ્ય ભાસ્કર”માં પ્રગટ ન્યૂઝસ્ટોરી અને તત્પશ્ચાતના બનાવોથી આ કવિતા સ્ફૂરેલી છે.) 

e.mail : neerav1950@gmail.com

Loading

...102030...3,7943,7953,7963,797...3,8003,8103,820...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved