Opinion Magazine
Number of visits: 9871762
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનામતની અમાનત સલામત રાખો

આશા બૂચ|Opinion - Opinion|27 September 2015

જે કંઈ વારસામાં મળ્યું હોય તેને સાચવીને રાખવું તે માનવ માત્રનો સ્વભાવ છે. ધર્મ, સંસ્કૃિત, રીત રિવાજ, રાજ્ય, સમાજ, કુટુંબ કે માતા-પિતા પાસેથી મળેલ ઉપદેશ, મૂલ્યો, જીવન પદ્ધતિ, કાયદાઓ, સંપત્તિ, સ્વાસ્થ્યની મૂડી અને સ્થાવર-જંગમ મિલકત એ બધું મોંઘેરી અમાનત ગણીને જીવીએ ત્યાં સુધી સંગ્રહી રાખવું અને આપણા પછીની પેઢીને આપતા જવું એ દરેકની પવિત્ર ફરજ છે, તો પછી આ અનામતની અમાનત એમાંથી કેમ બાકાત રહે?

તાજેતરમાં આ મુદ્દાને લઈને જે માગણીઓ થઈ રહી છે અને ક્યાંક ક્યાંક અમુક સમૂહના લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે તે સાંભળીને મારા એસ.એસ.સી.ના અભ્યાસક્રમમાં રાજ્ય બંધારણ અને નાગરિકશાસ્ત્ર વિષયનો એક પાઠ યાદ આવી ગયો. મારાં શિક્ષિકા બહેન – કે જેઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધેલો અને સ્વતંત્ર ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેનાં સાક્ષી હતાં  – તેમની પાસેથી સાંભળેલું કે ઈ.સ. 1950માં જયારે આપણું રાજ્ય બંધારણ ઘડાયું ત્યારે દેશની ગણનાપાત્ર સંખ્યા કેટલાક મૂળભૂત અધિકારોથી વંચિત હતી. એ જનસમૂહની જરૂરિયાતો, પરિસ્થિતિ અને માગણીઓને વાચા આપી શકે તેથી ધારાસભા અને રાજ્ય સભામાં લઘુમતી કોમ અને પછાત જ્ઞાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી જેથી તેમને સમાન તક મળે. આ જોગવાઈ દસ વર્ષ માટે હતી. તેમાં ધારાસભા અને રાજ્ય સભાના ઉમેદવારોની ગુણવત્તા ન હોય તો પણ તેમને ચૂંટણી લડવાનો અધિકાર રહેશે તેવું બંધારણમાં કોઈ કલમમાં કહેવામાં નથી આવ્યું એવું મારા પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ પણે સમજાવેલું. રાજકીય ક્ષેત્રમાં અનામત બેઠકની જોગવાઈ કરવાની શરૂઆત ક્યારથી થઈ એવી અમ વિદ્યાર્થિનીઓની જિજ્ઞાસાને સંતોષવા મારાં એ શિક્ષિકાબહેને 35 મિનીટ સુધી માહિતીસભર વાત કરી. તેનો સાર આ મુજબ છે :

મહારાષ્ટ્રના મહાત્મા જ્યોતિરાવ ફૂલે જ્ઞાતિ મુક્ત અને વર્ગ મુક્ત સમાજ રચવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા. તેમણે કન્યા કેળવણી અને સાર્વત્રિક ફરજિયાત શિક્ષણ અપાય તેવી તજવીજ કરી. આ વાત છે ઈ.સ. 1882ની આસપાસની, જયારે તેમણે ફરજિયાત શિક્ષણ સાથે સરકારી નોકરીમાં પણ અનામત બેઠકો માટે માગણી કરેલી. બ્રિટિશ રાજ્ય દરમ્યાન મૂળ ભારતીયોને માત્ર કારકૂની કામ કરવાની તક હતી પણ કોઈ ઉચ્ચ હોદ્દાઓ ગ્રહણ કરવાનો અધિકાર નહોતો. તેથી ઈ.સ. 1908માં ભારતીય ઉમેદવારને સરકારી નોકરીમાં અનામત બેઠક આપવાની જોગવાઈ સૌ પ્રથમ થઈ.

1857ના બળવાને પરિણામે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સલ્તનતને સંગઠિત પ્રજા ગમે ત્યારે બળવો પોકારીને તેમને તડીપાર કરી દેશે તેવો ભય રહેતો હતો, જેથી કરીને ભાગલા કરીને રાજ્ય કરવાની નીતિ અપનાવી. તેના ભાગ રૂપે ઈ.સ. 1933માં બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડે કમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો, જેના અંતર્ગત મુસ્લિમ, સીખ, ઇન્ડો-ક્રિશ્ચિયન, એંગ્લો -ઇન્ડિયન, યુરોપીયન અને દલિતોને અનામત બેઠકો (માત્ર વહીવટી માળખામાં જ) આપવાનું જાહેર કર્યું. 1937ની બંગાળની રાજ્યસભાની કુલ 250 બેઠકોમાંથી 117 બેઠકો ખાસ મુસ્લિમો માટે અનામત રખાઈ એટલે સામાન્ય મતદાર કોઈ પણ ઉમેદવારને મત આપી શકે પણ ધર્મ, જ્ઞાતિ, લિંગ કે વ્યવસાય આધારિત લઘુમતી તરીકે વર્ગીકરણ પામેલા લોકો અનામત રખાયેલ બેઠકો પર પોતાના સમૂહનો ઉમેદવાર ઊભો રાખી શકે અને તે સમૂહના મતદારો તેમને જ મત આપે તેવી વ્યવસ્થા થઈ. ધર્મને આધારે વિભાજન કરવાથી બહુમતી હિંદુ સમાજ પૂરતા પ્રમાણમાં તૂટેલો ન લાગ્યો, તેથી તત્કાલીન શાસકોએ દલિતોને તદ્દન અલગ મતાધિકાર માગવા માટે ઉશ્કેરેલા, પરંતુ ગાંધીજીની દરમ્યાનગીરીને પરિણામે ભારતનું દરેકે દરેક ગામ અને ફળિયું વિભાજીત થતાં અટકી ગયું એ હકીકત સર્વ વિદિત છે.

બંધારણની કલમ 16 પ્રમાણે, “કેન્દ્ર સરકાર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં પછાત રહેલ નાગરિકોને માટે ખાસ સગવડો પૂરી પાડવા કોઈ રાજ્યને રોકી ન શકે.” અને કલમ 46 પ્રમાણે, “રાજ્યને સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતને લક્ષ્યમાં લઈને ખાસ કાળજીપૂર્વક તેમના અધિકારો અને તકોનું રક્ષણ કરવાની સલાહ આપે છે.” તેવો આદેશ અપાયેલો. અનામતની જોગવાઈ કરવાનો હેતુ હતો, સામાજિક ન્યાય જળવાય અને શોષણ થતું અટકે. તે વખતે આવી જોગવાઈ અત્યંત જરૂરી હતી અને સ્વતંત્ર થતાંની સાથે જ આવું પગલું ભર્યું તે માટે ગૌરવ ઉપજે. 

ઈ.સ. 1950માં બંધારણ અસ્તિત્વમાં આવ્યું તે પછી 1979માં મંડળ કમિશન દ્વારા અનામત માટેની કલમોમાં વધુ સુધારા થયા. 1257 જેટલી અન્ય પછાત જાતિ અને જ્ઞાતિ ઉમેરવાથી એ સંખ્યા સ્વતંત્રતા સમયે 25% હતી જે વધીને 52% પ્રજાનો તેમાં સમાવેશ થયો. આજે એ યાદીમાં વધારો થતાં થતાં 2297 અનુસુચિત જ્ઞાતિ/જાતિ અને આદિવાસી મળીને ભારતની 60% જેટલી પ્રજા ખાસ અધિકારો ભોગવવાને પાત્ર ગણાય છે! જે દેશમાં આવડી મોટી સંખ્યાના લોકો પોતાને પછાત ગણાવવા માગે તે દેશ વિકાસ કેવી રીતે કરી શકે? ધારાસભા અને રાજ્યસભા માટે થયેલ અનામત બેઠકની જોગવાઈ વિસ્તરતા વિસ્તરતા આજે હવે શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે પણ પ્રસરી. પરિણામે અનામતના લાભાર્થીઓ બંને બેઠક માટે ઉમેદવારી કરી શકે જ્યારે બહુમતી પ્રજા માત્ર બાકી રહેલ બેઠક માટે જ અરજી કરી શકે. જેમ કે પંચાયત, મ્યુિનસિપાલિટી, ધારાસભા કે લોકસભા માટે સ્ત્રીઓ તમામ સામાન્ય બેઠકો પર ઉમેદવારી નોંધાવી શકે પણ પુરુષો પોતે સ્ત્રી અને પુરુષ ન હોવાને કારણે માત્ર સ્ત્રીઓ માટેની અનામત બેઠકો સિવાય પરથી જ લડી શકે. આમ અસમાનતાની ગંગા અવળે વહેણે વહેવા લાગી.

1950ના બંધારણમાં માત્ર દસ વર્ષ માટે કરેલી અનામતની જોગવાઈ 65 વર્ષ પછી પણ ચાલુ છે. કોઈ રાજનેતા એ નિયમ બદલીને બંધ કરવા હિંમત નથી કરતો. ખરું જોતાં લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર અપાયો છે અને દરેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું સરકાર તરફથી વચન અપાયું છે, પણ અનામતવાળા વિસ્તારમાં તે સિવાયના લોકોના અધિકારો જોખમાય છે એટલે અંશે લોકશાહીનો ભંગ થાય છે. આથી જ તો મતદાન ઓછું થાય છે.

આ સંવેદનશીલ મુદ્દા વિષે જરા સમય રેખાને થોડા હજાર વર્ષ પાછી ખેંચી જવાની તસ્દી લઈએ તો કબૂલ કરવું પડશે કે સ્ત્રી-પુરુષ માટેની અસમાનતાના બીજ કદાચ મનુસ્મૃિતમાં મળી આવશે. વેદકાળના થોડા શતકો બાદ કરતાં સ્ત્રીઓને શિક્ષણમાંથી બાકાત રાખવાની શરૂઆત થઈ જે પછીથી ઘરની બહાર વ્યવસાય કરવાની, મિલકતના વારસદાર બનવાની, સંતાનો પેદા કરવાની અને જાહેર જીવનમાં હિસ્સો લેવા જેવી દરેક બાબતોમાં અધિકાર ગુમાવતી ગઈ. આ તો ક્રિકેટની ટીમમાંથી અર્ધી ટીમ બેંચ પર બેસાડીને રમત જીતવા જેવી વાત થઈ. સમાજના 50% એટલે કે સ્ત્રી વર્ગને અશિક્ષિત, બેકાર, બેસમજ અને અબળા બનાવીને કયો સમાજ પોતાને ‘સુ સંસ્કૃત’ કહેવડાવી શકે? આપણી પુરાણ કથાઓ પણ આવા અન્યાયોના દ્રષ્ટાંતોથી ભરપૂર છે. ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શીખવવાનો ઇન્કાર કર્યો કેમ કે તે રાજ પુત્ર નહોતો, ભીલ કુમાર હતો. ઉત્તમ ધનુર્વિદ્યા ક્ષત્રીય અને રાજકુમારો માટે અનામત હતી. પરશુરામ ઉત્કૃષ્ટ કોટિના ધનુર્ધર હતા, પણ તેમની વિદ્યા બ્રાહ્મણો માટે અનામત હતી તેથી કર્ણને પોતાનો શિષ્ય ન બનાવી શકે. અહીં મજાની વાત તો એ બને છે કે કર્ણ સૂર્ય પુત્ર છે, હવે સૂર્યને તો કોઈ જ્ઞાતિ નથી, કૂળ નથી અને સંતાન, તેમાં ય ખાસ કરીને પુત્રનું કૂળ તો પિતાથી જ નક્કી થાય, પણ અહીં અન્યાય કરવાનો છે એટલે સગવડતા ખાતર તેને કુંતી પુત્ર એટલે ક્ષત્રીય ગણીને પરશુરામ શ્રાપ આપી શક્યા. ફરી અનામતનો જ સવાલ આડો આવ્યો. વેદકાળ બાદ પુરાણ કાળ આવ્યો અને વર્ણ વ્યવસ્થા જ્ઞાતિનો સ્વાંગ સજીને વધુ સામાજિક જડતા લાવનારી બની. બ્રાહ્મણો માટે સહુથી વધુ બાબતોમાં અનામત હોવાને કારણે લાભ મળતા, પછી વારો આવે ક્ષત્રિયોને અને ત્યાર બાદ વૈશ્યોને પણ થોડી અનામત પદ્ધતિનો લાભ મળતો રહ્યો. એક આખો વર્ગ ક્ષુદ્રોનો, જેમને ભાગે ઉચ્છીષ્ઠ અન્ન, ગામ બહાર ઘાસની ઝૂંપડી, અત્યંત નબળું સ્વાસ્થ્ય અને અજ્ઞાનતાની બેડી આવી. આમ તેઓ બધા પ્રકારની અનામતમાંથી સદીઓ સુધી બાકાત રહ્યા.

હવે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કુદકે ને ભૂસકે આગળ વધતી ભારતની પ્રજાને શું જોઈએ છે? અનામત બેઠકો માટે સમય મર્યાદા અને તેમાં સમાવિષ્ટ લોકોની સંખ્યા વધારીને અસમાનતા વધારવી છે? હજુ થોડા દસકાઓએ પહેલાંની જ વાત છે જ્યારે હરિજનોને ગળે ઘંટ બાંધીને ગામમાં ફરવાની ફરજ પાડવામાં આવતી જેથી ‘સવર્ણ’ નાગરિક તેનાથી અભડાઈ ન જાય તેમ દૂર રહેવાની ચેતવણી મેળવી શકે. તો ‘હું અનામત વાળી/વાળો/ છું’ એવો ઘંટ ક્યાં સુધી બાંધીને ફરશું? હજુ પણ આપણે જન્મને આધારે જ ઓળખ રાખીશું? હાથમાં આધુનિક મોબાઈલ અને ટેબ્લેટ હોય, ઘેર સેટેલાઈટ ટેલીવિઝન હોય એ પોતાને ‘પછાત’ તરીકે ઓળખાવવાનું પસંદ કેવી રીતે કરી શકે? પહેલાના જમાનામાં ભણવામાં ડોબો હોય અને કામ કાજે ઢોલુ હોય તો પણ બ્રાહ્મણના દીકરાને માન-પાન આપવામાં આવતા કેમ કે તેનો જન્મ બ્રાહ્મણના ઘરમાં થયો છે તેવું જ માત્ર કહેવાતી પછાત જાતિ-જ્ઞાતિમાં જન્મ લેવાથી વિશેષ અધિકારો મેળવવાની માંગણી કરવી એ તો પેલા ઉચ્ચ વર્ગીય લોકો જેવું વલણ હોવાનું સાબિત થાય. આપણે કોઈ દિવસ કન્યાઓ માટે, ગામડાંઓ માટે કે શહેરોમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો માટે રોટી-કપડાં-મકાન-સ્વાસ્થ્યની બાબતમાં અનામતનો વિચાર કરેલો? એ વર્ગો માટે અનામતની જોગવાઈ કરી જુઓ અને પછી જુઓ શો જાદુ થાય છે તે, કેમ કે કન્યા અને સ્ત્રીઓને સમાનાધિકાર મળવાથી અર્ધો અર્ધ સમાજ જાગૃત થઈ જશે અને ગરીબોને કોઈ નાત-જાત નડતી નથી, તેઓ માત્ર નિર્ધન અને તક વિહોણાં માનવો હોય છે.

2009માં અનામત વિષે બંધારણમાં 95મો સુધારો બહાર પડ્યો, તેનાથી શું આપણે સુધર્યા? ઊલટાનું અનામત માટેની મુદ્દત વધારી એટલે હવે 2020 સુધી ‘અમે અસમાન છીએ’ એ વાતનું ગૌરવ લઈશું. કેન્સરનો રોગ થયો હોય તો તેમાંથી મુક્ત થવું સારું કે તેને વિદાય આપવામાં મુદ્દત વધારવામાં ડહાપણ છે? જાતિ અને જ્ઞાતિ આધારિત અસમાનતા અને અન્યાય એ પણ કોઈ પણ તંદુરસ્ત સમાજ માટે રોગીષ્ટ હોવાની નિશાની નથી શું? અત્યાર સુધીમાં અનેક મહાનુભાવો તખ્તનશીન થયા પણ કોઈને આ કાયદાને પરિણામે ઊભી થયેલ અસમાનતા મીટાવવા કંઈ પણ કરવાની હિંમત ન થઈ. વિનોબાજી કહે છે તેમ ઘેટાંને ભરવાડ ચૂંટવાની સ્વતંત્રતા મળી ગઈ એટલે આપણે લોકશાહી આવી ગઈ માનીને રાજી થયા, પણ જ્યાં ભરવાડ જ ઘેટાં જેવો આંધળું અનુકરણ કરનારો હોય ત્યાં વધુને વધુ ઘેટાં બને તેમાં શી નવાઈ? સંસ્કૃિતને નામે સામાજિક કુરિવાજોને પરિણામે ઊભી થયેલ આર્થિક અને સામાજિક અસમાનતા મીટાવવાના શુભ આશયથી અમલમાં લાવેલ અનામત વિશેના કાયદામાં ખોટું શું થયું? એક તો સમય મર્યાદા વટાવી ગયા પછી પણ આ  જોગવાઈ ચાલુ રહી અને સમાજના અન્ય સમૂહને ગેરલાભ થાય છે એ જાણ્યા પછી પણ તે માટે આંખ આડા કાન કર્યા. ખરું જોતાં તો છેવાડેના લોકને શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી અને મૂળભૂત જરૂરિયાતો સંતોષવા જરૂરી તમામ સગવડો પૂરી પાડી હોત તો તેઓ પણ પેલા સવર્ણો જેવા જ ખભ્ભે ખભ્ભા મિલાવીને ઊભા રહી શક્યા હોત. ગુણવત્તાને બાજુ પર મુકીને કોઈ આગળ વધી શકતું હશે, ભલા? ઉચ્ચ વર્ણના લોકોને જન્મને આધારે લાભ મળતા હતા તે દલિતો અને આદિવાસીઓને અન્યાય યુક્ત લાગતું હતું તો હજુ શા માટે એ પ્રથા ચાલુ રાખવી જોઈએ? તેમાં એમનું સ્વમાન કે સન્માન ક્યાં જળવાય? હું આદિવાસી છું માટે એન્જીિનયર થયો એમાં વધુ આનંદ છે કે મારામાં એન્જીિનયર થવાની બૌદ્ધિક અને અન્ય લાયકાત છે એમ કહેવામાં વધુ ગૌરવ સમાયેલું છે?

છેલ્લા થોડા દિવસો દરમ્યાન બહુ ચર્ચિત એવા આ મુદ્દાએ કૃષ્ણ દવેની કલમને સતેજ કરી જેની રચના આ સાથે પ્રસ્તુત છે.

એક ક્ષણીકા ! ! ! • કૃષ્ણ દવે

અનામત વિતરણ સમારંભ :
મિત્રો, લોકલાગણીને માન આપીને સૌને અનામત આપવી –
એવું આપણે નક્કી કર્યું છે,
એટલે કોઈએ ધક્કામુક્કી કરવાની જરૂર નથી.
એક પછી એક તમામ જ્ઞાતિ શાંતિથી અહીં આવે
અને પોતાની અનામત લઈ જાય .
આટલી જાહેરાત પછી વિતરણ સમારંભ શરૂ થાય છે
અને રંગે ચંગે પૂરો થાય છે.
અંતે વિજયી સ્મિત સાથે વરિષ્ઠ નેતા ભાષણ કરવા માટે ઊભા થાય છે –
એ જ વખતે ભીડમાંથી અથડાતી કુટાતી એક વ્યક્તિ માંડ માંડ આગળ આવીને કહે –
સાહેબ ! હું તો રહી જ ગયો ! મને પણ કઇંક આપો.
નેતાશ્રી કહે જરૂર જરૂર; તમને પણ આપવામાં આવશે જ,
બોલો તમારી જ્ઞાતિ ?
હાંફતા હાંફતા એ વ્યક્તિ કહે
“માણસ”
બાજુમાં જ રહેલા વિતરણ અધિકારી લીસ્ટમાં તપાસ કરીને –
નેતાશ્રીના કાનમાં કહે, સાહેબ !
“માણસ” નામની કોઈ જ્ઞાતિ તો આપણાં લીસ્ટમાં છે જ નહીં.

તો ચાલો આપણે સહુ “માણસ” નામની એક જ્ઞાતિ બનાવવા પ્રવૃત્ત થઈએ!

e.mail : 71abuch@gmail.com

Loading

પહેલો અને આખરી દાવ

વલીભાઈ મુસા|Opinion - Short Stories|27 September 2015

‘રક્ષાબંધનના તહેવારને બે જ દિવસ બાકી છે અને હજુ સુધી રમીલા ન આવી. પાછલાં બે વર્ષથી તે કંઈકને કંઈક બહાનું બતાવતી આવી છે. આ વર્ષે પણ જો એ ન આવે તો, બેટા, તારે તેને તેડવા જવું પડશે. આ તે કેવું કે વર્ષ આખામાં બેચાર દિવસ પણ આ તહેવારના બહાને એ પિયરમાં ન આવે! ગામની બધી વર્ણની બહારગામ પરણેલી દીકરીઓ ભાઈ પાસે રાખડી બંધાવવા આવે છે અને આપણાવાળી જ એવી તે કેવી સાવ ઘરરખું થઈ ગઈ છે કે બબ્બે વરસથી આ તરફ ફરકતી ય નથી! હેં તરભા, ભાણિયો પણ ખાસ્સો મોટો થઈ ગયો હશે, નહિ?’ કુંવરબાએ છીંકણી સૂંઘતાં જોડા બનાવી રહેલા દીકરા ત્રિભુવનને કહ્યું.

‘હજુ તો બે દિવસ બાકી છે. રાહ તો જો, બા. એ આવે તો માથાભેર અને ન આવે તો આપણે શું કામ એને તેડવા જવું પડે? જેવી એની અને હરિની ઇચ્છા! તને ખબર તો છે કે એની સાવ સસ્તી ય સાડી તથા ભાણિયા માટે કપડાંની જોડ અને એકાદું રમકડું ખરીદવાની પણ આપણી ત્રેવડ છે ખરી?’ ત્રિભુવને પાણીની કુંડીમાં પલાળેલો ચામડાનો ભીનો કકડો એરણી ઉપર મૂકીને બત્તા વડે ટીચી નાખતાં હળવો બળાપો કાઢ્યો.

કુંવરબા બિચારાં છોભીલાં પડ્યાં અને દીકરાની અકળામણ પારખી જતાં વિચાર બદલીને મનોમન પ્રાર્થી બેઠાં કે ‘ઓણ સાલ પણ રમીલા ન આવે તો સારું!’ એમને સમજાઈ ગયું કે ‘પેટની ભીડ અને ઘરની ભીડ પોતાના સિવાય કોઈ ન જાણે, એવું કહેવાવાળાએ જે કહ્યું છે તે સાચું છે!’ વળી એમને એ પણ સમજાઈ ગયું કે ત્રિભુવનની ચીડ પણ યથાર્થ જ છે અને રમીલા આ વર્ષે પણ ન આવે તેમાં જ બાંધી મુઠ્ઠી લાખની છે!

પરંતુ ત્રિભુવનને ક્યાં ખબર હતી કે એ જ્યારે એમ બોલ્યો હતો કે ‘જેવી એની અને હરિની ઇચ્છા’ ત્યારે તો રમીલા મહેલ્લાના નાકે આવી પહોંચી હતી. આગલી રાતે જ એની અને હરિની ઇચ્છાનો સરવાળો થઈ ચૂક્યો હતો અને સરવાળે અહીં આવવાનો નિર્ણય પણ લેવાઈ ગયો હતો!

રમીલાએ આંગણામાં પ્રવેશતાં જ ‘ઓ મારી માડી રે!’ કહીને પોક મૂકી, ત્યારે કુંવરબા હાથમાંની છીંકણીની ડબ્બી ભોંય ઉપર ફેંકીને દોડતાં રમીલાને બાઝી પડ્યાં. ત્રિભુવને પણ હાથમાંની ચામડાને છોલવાની ફરસી  પડતી નાખીને દોડી જતાં રમીલાના માથે હાથ ફેરવીને ભાણિયાને ઊંચકી લીધો.

રમીલા ઘરમાં ફરી વળી. તેનાં ચકોર ચક્ષુઓએ ક્યાસ કાઢી લીધો કે પોતે છેલ્લી પિયરે આવી હતી ત્યારથી હાલ સુધીમાં બાના ઘરમાં દરિદ્રતાએ વધુ ઘેરો રંગ પકડી લીધો હતો. મોટાભાઈ અને ભાભી તેમનાં બે બાળકો સમેત ગંધાતા ચામડા સાથેના વારસાગત વ્યવસાય સાથેનો છેડો ફાડીને દૂરના ગામે હાઈસ્કૂલની ચોથા વર્ગના સેવક સહાયક (Support Worker) તરીકેની મામુલી પગારવાળી નોકરી ઓ.બી.સી. ઉમેદવાર તરીકે મેળવી લીધી હતી, જે પાંચ વર્ષ પછી પૂરા પગારવાળી થવાની આશા હતી. તેમના કુટુંબના ચાલ્યા જવાથી અર્ધું ઘર ખાલી થઈ ચૂક્યું હતું. નાની ભાભી પહેલી સુવાવડ અર્થે પિયર ગઈ હોઈ હાલમાં તો બા અને ભાઈ ત્રિભુવન માત્ર જ કુટુંબમાં બાકી રહ્યાં હતાં. બાપુજી તો પોતે સૌથી નાની એવી બે વર્ષની હતી ત્યારે જ દેવલોક પામ્યા હતા. પિતાના અવસાન પછી બંને ભાઈઓએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને અભ્યાસ છોડી દીધો હતો. રમીલાને ભાઈઓએ એસ.એસ.સી. સુધી ભણવા દીધી હતી. આટલો ઓછો અભ્યાસ છતાં રમીલાની વિચારશક્તિ પ્રબળ હતી. તેને સરકારી સૂત્ર ‘નાનું કુટુંબ, સુખી કુટુંબ’ અહીં ભ્રામક લાગતું હતું. રોજીરોટીની સરળ ઉપલબ્ધતા જ કુટુંબને સુખી બનાવી શકે, નહિ કે કુટુંબનું કદ; એવી એની માન્યતા દૃઢ બની. 

કુંવરબાએ રમીલાને પાણીનો ગ્લાસ ધર્યો, જે પીતાંપીતાં તેણે જાહેરાત કરી દીધી કે સાંજની બસમાં તે પાછી ફરશે. સમજુ રમીલાએ નક્કી કરી લીધું કે પોતે બેપાંચ દિવસ પણ અહીં રહીને આ લોકોને બોજારૂપ નહિ થાય.

‘આટલા ટૂંકા ગાળા માટે તારે આવવું જોઈતું જ ન હતું. જો બા તને ધરેલો પાણીનો ગ્લાસ તું બેએક ઘૂંટડા પાણી પીએ ન પીએ અને ખેંચી લેં તો તને કેવું લાગે? હું તને આગલી રાતે ન કહું, ત્યાંસુધી તારે રોકાવાનું છે. હજુ રક્ષાબંધનને બે દિવસની વાર છે, એટલે એ બે દિવસ તો ખરા જ; અને ત્યારપછી પણ મારી મરજી મુજબ તારે રોકાવું પડશે. એટલી ખાતરી આપું કે તને પાંચ દિવસથી વધારે નહિ રોકું, બસ!’ ત્રિભુવને ભાવવાહી અવાજે કહ્યું.

રમીલાને એ સમજતાં વાર ન લાગી કે ભાઈ પાંચ દિવસની સમયાવધિ શા માટે માગી રહ્યો છે. સામાજિક વ્યવહારના ભાગરૂપે બહેનને ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવી કોઈક ભેટસોગાદ ખરીદવા માટે તેને     એટલો સમય તો જોઈએ જ, કેમ કે તે પિયરમાં માવઠાની જેમ ઓચિંતી જ ટપકી પડી હતી ને!

* * * * *

જગતમાં વિવિધ ધર્મો અસ્તિત્વ ધરાવે છે અને તેમના ઓછી કે વધતી સંખ્યામાં અનુયાયીઓ પણ હોય છે. ધર્મોએ માનવીઓનું કલ્યાણ કર્યું છે કે નહિ તે નિશ્ચિતપણે કહી ન શકાય, પણ હતાશ માનવીઓને એ ધર્મોએ તેમની બલવત્તર આસ્થાના કારણે બળ તો અવશ્ય પૂરું પાડ્યું હોય છે. જીવનથી હારેલોથાકેલો માનવી છેવટે પોતાના ધર્મના શરણે જતો હોય છે અને પોતાના ઈષ્ટ દેવદેવીને પ્રાર્થતો હોય છે. કોઈક દોહરામાં વિપત ટાણે ઉદ્યમ કરવાની વાત સમજાવાઈ છે, પણ આપણા ત્રિભુવન જેવાઓને ઉદ્યમ કરવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં ઉદ્યમ જ ન મળે અને મળે તો અપૂરતો મળે ત્યારે કૌટુંબિક આવક-ખર્ચના બે ટાંટિયા સરખા કરવા દુષ્કર બની જતા હોય છે. અહીં ત્રિભુવનને પણ નાણાંભીડ સતાવી રહી હતી. એની તાતી જરૂરિયાત પણ એવી કોઈ મોટા આંકડામાં ન હતી, બસોત્રણસો રૂપિયા મળી જાય તો એનું કામ તાત્કાલિક નીકળી જાય તેમ હતું. ‘અંધા ચાહે દો આંખે’ની જેમ રમીલા આગળ નાદાર જાહેર ન થઈ જવાય તે માટે તે ગામના પાદર નજીક આવેલા દેવમંદિરે નાકલીટી તાણી આવ્યા પછી બસસ્ટેન્ડની ચાની કેન્ટિને ત્રિભુવને અડધી ચાનો ઓર્ડર આપ્યો.

કેન્ટિનવાળા કાસમે કહ્યું, ‘તરભા, બીજો કોઈ અર્ધી ચાનો ઘરાક આવે પછી ચા બનાવું છું; પણ હું તને પૂછું છું કે સવારસાંજ નહિ અને આમ કવેળાનાં દેવદર્શન! ભક્તને કોઈ ભીડ પડી કે શું?’

‘અલ્યા કાસમ, તું ત્રિકાળજ્ઞાની લાગે છે! તને મારી ભીડની શી રીતે ખબર પડી?’

'જો તરભા, આપણે એક મહેલ્લામાં રહીએ છીએ. સાથે ભણતા હતા, સાથે નિશાળ છોડી. આપણે બચપણના દોસ્તો છીએ. આપણા બેઉના સંજોગો પણ સરખા છે. ભણવામાં આવતી પેલી કડી યાદ છે? ‘દુ:ખીના દુ:ખની વાતો સુખી ના સમજી શકે, અને જો સમજી શકે તો જગતમાં દુ:ખ ન રહે.’ હમણાં જ આપણી બહેન રમીલા બસમાંથી ઊતરી. તને જવલ્લે જ મંદિરે જતો જોયો છે. આજે તને જોયો અને વાતનો તાળો બેસી ગયો. ઘણાં વર્ષે આવી છે, નહિ? શોભતું કંઈક એને આપજે; અને જરૂર પડે તો મારા ગજા પ્રમાણે તને મદદરૂપ થવાની મને તક પણ આપજે.’

‘તેં વગર કહ્યે અને વગર માગ્યે આટલું કહ્યું એટલે મને જાણે બધું મળી ગયું. જો કાસમ, મારા ગમે તેવા સંજોગો હોય; પણ મને લાગે છે કે આખા ય ગામમાં મારા જેવો કોઈ માણસ સુખી નહિ હોય! બોલ, તારા માથે પાંચપચીસનું પણ દેવું હશે કે નહિ? મારા માથે પાઈનું પણ દેવું નથી; પણ હા, ખિસ્સાં ખાલી હોં કે!’ આમ કહેતાં ત્રિભુવન હસી પડ્યો.

‘તારી વાત સાચી છે, તભુ. આ કાળઝાળ મોંઘવારીમાં બે છેડા સરખા રાખીને ટકી રહેવું એ તારા જેવો કોઈ વીરલો જ એમ કરી શકે. તું ઈરાદાનો પાકો છે તે હું બચપણથી જાણું છું. પરંતુ મારી નાનકડી મદદને તારે દેવું નહિ સમજવાનું અને મને વિના સંકોચે કહેજે; પણ તરભા, કહી શકે તો જણાવ કે તારું બજેટ શું છે?’  કાસમે લાગણીભર્યા અવાજે પૂછ્યું.

‘તારા સાઈડ ધંધાની ભાષામાં કહું તો મારે પાંચ રૂપિયાની ડબલ જેટલાની જરૂર છે.’

‘ઓહો, ત્રણસો પચાસ રૂપિયા! સિત્તેરના ભાવે, ખરું ને ?’

કાસમ ગામના વરલી મટકા જુગારના બુકી એવા એક શેઠિયાના સબ એજન્ટ તરીકે કમિશનથી કામ કરતો હતો. કાસમે પોતાના આ સાઈડ ધંધાના એક ઉસુલને જાળવી રાખ્યો હતો કે રૂપિયે બે આના જેટલા કમિશનથી સંતોષ માની લેવો અને કદી ય એક પાવલીનો પણ પોતે આંકડો રમવો નહિ. એનું કામ લોકોને જુગાર રમાડવાનું હતું, નહિ કે તેણે જુગાર રમવાનો હોય. બસ સ્ટેન્ડની ચાની કીટલી એ તો નામ પૂરતી તેની બેઠક માત્ર જ હતી. કાસમ પોતાના બાળગોઠિયા ત્રિભુવનને માનની નજરે જોતો હતો એટલા માટે કે તે પેટે પાટા બાંધીને પણ હલાલ કમાણીથી પોતાનું ગુજરાન નભાવતો હતો, જ્યારે પોતે મજહબે હરામ ઠરાવેલા એવા જુગારમાંથી કમાણી કરતો હતો. કાસમનો અંતરાત્મા કકળતો તો હતો, પણ હલાલ કમાણી મેળવવા માટેનો કોઈ સ્રોત હાથ ન લાગે ત્યાં સુધી આ કામ સિવાયનો તેની પાસે કોઈ વિકલ્પ પણ ન હતો.

‘કાસમ, મારી જરૂરિયાતને તારી જુગારની ભાષામાં જણાવી એ બદલ હું શરમિંદગી અનુભવું છું. તને હરહંમેશ આ અનીતિનો ધંધો છોડી દેવાની સલાહ આપનારા એવા મારા માટે આવું બોલવું પણ શોભાસ્પદ તો ન જ ગણાય. ખેર, બીજી અડધી ચાનો કોઈ ઘરાક આવ્યો તો નહિ, પણ મારી આખી ચા કરી નાખ અને આપણે બેઉ ભેરુડા અડધીઅડધી પી નાખીએ.’

‘એય તરભલા, તેરા હો ભલા; મેરી ચાયકી કીટલી, ઓર તું મેરેકુ ચાય પિલાયેગા! કમબખત, ઐસા બોલતે તુઝે શર્મ આની ચાહિએ! ચલ, મૈં દૂધમેં પાની ડાલે બિના અપન દોનોં કે લિયે અખ્ખે દૂધકી અખ્ખે અખ્ખે  દો કપ ચાય બનાતા હું. આજ તો બસ, યે મેરી ઓરસે હો જાય!’

‘અબ મૈં ભી તેરી બોલીમેં બોલું તો સૂન; બેટે, પારલે બિસ્કીટકી એક પેકેટ ભી હો જાય!’ બંને જણ ખડખડાટ હસી પડ્યા.

* * * * *

બસનો કોઈ સમય ન હતો અને બપોર થઈ ગઈ હોઈ કોઈ ગ્રાહક પણ ન હતું. ત્રિભુવનના ગયા પછી કાસમ વિચારે ચઢી ગયો હતો. ત્રિભુવનની આર્થિક સંકડામણ તેને પીડતી હતી. તેને એ પણ ખબર હતી કે ત્રિભુવન કોઈની પાસે ઉછીના પૈસા માટે હાથ લંબાવશે નહિ અને કોઈની મદદ સ્વીકારશે પણ નહિ. પરંતુ, હા, કદાચ એમ પણ બની શકે કે તે દોસ્તીના નાતે ગામ આખાયમાં માત્ર તેની પાસેથી જ હાથઉછીની મદદ લે, અને એ પણ દોસ્તીભંગની ધમકી આપવામાં આવે તો જ કદાચ! એ પોતે ત્રિભુવનની તાત્કાલિક જરૂરિયાત માટે શું કરી શકે તેની ગડમથલમાં પડી ગયો. ત્રિભુવનની બાનું નામ કુંવરબા હતું. ઘરના વડીલ તરીકે તેઓ જ હતાં. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરું શામળિયાએ શેઠ સગાળશા બનીને પતાવી આપ્યું હતું. આ કુંવરબા એ પોતાનાં બા સમાન છે અને તેમની ઈજ્જત સાચવવી એ પોતાની ફરજમાં આવે છે તેવું તે માનવા માંડ્યો. ત્રિભુવનને મદદરૂપ થવા માટે પોતાનું કાળું ધન કામ આવી શકે તેમ ન હતું. વળી કાળું તો કાળું પણ એવું ય ફાજલ ધન પણ પોતાની પાસે ક્યાં હતું? ચાની કીટલીની કમાણી તો નહિવત્ હતી અને વરલી મટકાના કમિશનની આવક પણ અનિશ્ચિત હતી. એ તો સદ્દભાગ્યે સિલાઈકામ જાણતી પત્ની મળી હતી એટલે તેની પૂરક આવકથી માંડ ઘર નભતું હતું.

કાસમના માનસપટ ઉપર રામકથાકારના એક કથનની યાદ આવી ગઈ. શુભ આશયે બોલાતું અસત્ય એ સત્ય કરતાં પણ અનેકગણું ચઢિયાતું બની શકે છે. આ વિચારમાત્રથી તેનો ઉદ્વેગ શાંત પડ્યો. તેના મનમાં એક વિચાર ઝબક્યો. શાહેદાની સિલાઈકામની બચતનાં નાણાં મહેનતનાં અને પ્રમાણિકપણે કમાયેલાં છે અને એમાંથી પોતે મદદ કરી રહ્યો છે એવા અસત્યનો સહારો લેવો પડે. પરંતુ વાસ્તવમાં તો એવી બચત તેની પાસે નથી. પોતાની ચાની કીટલીની અને જુગારના કમિશનની આવક ભેગી ભળી જતાં એ બધાં નાણાં અપવિત્ર જ બની જાય. ભલે ને એ અપવિત્ર જ હોય, તોયે એની પાસે એવી ત્રણસો ચારસોની બચત પણ ક્યાં હતી? એક ચેક વટાવી શકાય તેમ હતો અને તે હતો વરલી મટકાના બુકી શેઠ પાસેથી નાણાં ઉછીનાં લેવાનો. શેઠ ના તો ન જ પાડી શકે, કેમ કે પોતે તેમનો કમાઉ દીકરા સમાન હતો. વળી પાછો વિચાર બદલાયો કે એ ચેક નાછૂટકે વટાવવાનું રાખીને ત્રિભુવનના નામે પાંચ રૂપિયાની ડબલ ખેલી નાખું તો! તો તો ત્રણસો પચાસ રૂપિયા આસાનીથી મળી જાય, ભલે ને પોતાના જુગાર ન રમવાના ઉસુલનો અપવાદ રૂપે ભંગ કરવો પડે! જો ડબલ લાગી જાય તો ત્રિભુવનને એટલી જ રકમ આપવામાં આવે તો કદાચ એ વહેમાય પણ ખરો. શાહેદા પાસે દોઢસો રૂપિયા જેટલી બચત તો હશે જ. એમ થાય તો તેને પાંચસો રૂપિયા આપી શકાય. વળી એટલી પણ તેની મહેનતની કમાણી હરામના પેલા ત્રણસો પચાસ રૂપિયામાં ભળે તો પારસમણિના સ્પર્શની જેમ બધાં નાણાં પવિત્ર બની જાય.

કાસમ મનોમન હસી પડ્યો, પોતાના મૂર્ખ વિચારો ઉપર. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવો પોતાનો શેખચલ્લી જેવો તર્ક હતો તેવું તેને લાગ્યું વળી તેને પાછો યકિન પણ થવા માંડ્યો કે ત્રિભુવન જેવા ભગવાનના માણસના નસીબે એ ડબલ લાગી પણ જાય. પાંચ રૂપિયાના બદલે ગણતરી કરીને થોડું વધારે ખેલી નાખવામાં આવે તો શાહેદા પાસેથી દોઢસો રૂપિયા ઉછીના લેવા પણ ન પડે. પણ ના, ના. પૂરા પાંચસો રૂપિયા માટે શાહેદાનું નામ વટાવવાનું છે, તો તેની પાસેથી દોઢસો રૂપિયા કઢાવવા સારા; કેમ કે તેમ કરવાથી પૂરું નહિ તો અર્ધ સત્ય તો ગણાશે જ. બસ, તો પાંચની ડબલ ખેલી જ નાખવી. પાંચ રૂપિયાનું જોખમ લેવું એ કંઈ મોટી વાત ન હતી. વળી એ ડબલ ન લાગે તો શેઠવાળો બેરર ચેક તો છે જ.

કાસમે હવે સટોડિયાઓના જાતજાતના તર્કની જેમ એક અને માત્ર એક જ ડબલ કાઢવાની હતી, જે તેના માટેનો પહેલો અને આખરી દાવ હતો અને એ પણ તેના દિલોજાન મિત્ર ત્રિભુવન માટે જ તો વળી! કાસમના માનસ ઉપર ઝાઝું વિચાર્યા વગર જ વીજળીક ગતિએ બાવીસની ડબલ અંકિત થઈ ગઈ. આ અંક માટેનું કાસમનું સીધું ગણિત એ હતું કે ત્રિભુવનના ઘરમાં માદીકરો બે જ હતાં અને રમીલા અને ભાણિયો એમ નવાં બેનું આગમન થયું. કાસમે શેઠને આપવાની આંકડાઓની ચબરખીમાં ૨૨ના આંક સામે પાંચ રૂપિયા નોંધી દીધા.

એ રાત્રે બરાબર આઠ વાગે ઊઘડતો આંક બે આવ્યો અને અગિયાર વાગે બંધ આંક પણ બે જ આવ્યો અને કાસમની ડબલ પાકી થઈ ગઈ. બીજા દિવસે સવારે નવ વાગે કાસમ જ્યારે વલણ(ચૂકવણા)નો હિસાબ કરવા શેઠના ત્યાં ગયો ત્યારે પરિણામ એ જાણવા મળ્યું કે આગલા દિવસના ખેલાડીઓના તમામ પ્રકારના આંકડાઓ સિંગલ, ડબલ, પાનું, પેટી વગેરે નિષ્ફળ રહ્યા હતા અને એક માત્ર ૨૨નો આંક જ વિજેતા નીવડ્યો હતો.

કાસમે અઠવાડિક પોતાના કમિશનનાં નાણાં શેઠજીના ચરણોમાં પાછાં ધરી દઈને માત્ર રૂપિયા ત્રણસો પચાસ જ પોતાના ગજવામાં મૂકતાં તેમને અદબભેર જણાવી દીધું કે પોતે રાજીખુશીથી વરલી મટકાના કમિશન એજન્ટ તરીકેનું કામ છોડી દે છે!

(તા.૨૦-૦૯-૨૦૧૫) 

e.mail : musawilliam@gmail.com

Loading

સાહિત્યિક પારિતોષિકોની પ્રણાલી અંગે

અભિજિત વ્યાસ|Opinion - Literature|24 September 2015

હમણાં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે આંદોલન ચાલી રહ્યું છે. એ દરમિયાન જ અકાદમીએ સાહિત્યના વિવિધ પ્રકારો અંગેનાં પારિતોષિકો અંગે ‘શબ્દસૃષ્ટિ’ના અંકમાં જાહેરાત કરીને ૨૦૧૪ની સાલનાં પુસ્તકોની ઍન્ટ્રીઓ મંગાવી છે. શક્ય છે કે ઘણા લેખકો અકાદમી સામેના આંદોલનમાં જોડાયા હોવાથી પોતાનાં પુસ્તકોને અકાદમીમાં ન મોકલે. અને પરિણામે એવું બની શકે કે કોઈ યોગ્ય પુસ્તક અકાદમીને ન મળ્યું હોય તેવા સંજોગોમાં જે મળ્યાં છે, તેમાંથી જ કોઈ અન્ય પુસ્તકને પારિતોષિક મળી જાય.

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, એ બંને સાહિત્યના વિવિધ વિભાગોમાં અનેક પારિતોષિકો આપે છે. એ અંગે જે રીત અપનાવવામાં આવે છે, તે મને ઘણી વખતે અજુગતી લાગી છે. અકાદમી અને પરિષદ જેવાં જે વર્ષનાં પારિતોષિકો આપવાનાં હોય તે અંગેની જાહેરાત એમના મુખપત્રમાં કરે છે. લેખકો એ જાહેરાતને વાંચીને પોતાનાં પુસ્તકો અકાદમી કે પરિષદમાં મોકલે છે. અને પછી પ્રાપ્ત થયેલાં પુસ્તકોમાંથી નિર્ણાયકો કોઈ એક પુસ્તકની પસંદગી કરે છે. આમાં એવું બની શકે કે કોઈ સર્જક કોઈ કારણવશ આ જાહેરાત જે અંકમાં પ્રગટ થઈ હોય તે કોઈ કારણસર ન વાંચી શક્યો હોય. અથવા તો અન્ય કોઈ કારણસર પોતાનું પુસ્તક ન મોકલી શક્યો હોય. પુસ્તક મોકલવામાં કોઈને કદાચ સંકોચ પણ થાય એવું બને, તેથી તેનું પુસ્તક પારિતોષિકને યોગ્ય હોવા છતાં પારિતોષિક ન પામે.

આમ જોઈને તો આ સમગ્ર પ્રક્રિયા જ કેટલેક અંશે ખોટી છે. આ બંને સંસ્થાઓએ પુસ્તક મંગાવવાને બદલે જે-તે વર્ષમાં પ્રકાશકોએ કરેલાં પ્રકાશનોની વર્ગીકૃત સૂચિ તૈયાર કરીને નિર્ણાયકોને મોકલી આપવી જોઈએ. અને એ સૂચિને આધારે નિર્ણાયકો પુસ્તકોને વાંચીને યોગ્યતાને આધારે તૈયાર પારિતોષિકો માટેની સૂચિ જે-તે સંસ્થાને આપી દે, અને એ આધારે આ સંસ્થાઓ પુસ્તકોને પારિતોષિકોની જાહેરાત કરે. આ સૌથી યોગ્ય રીત થઈ શકે. આમ કરવાથી કોઈ જ લેખકનું કોઈ જ પ્રકાશન રહી જવા ન પામે. કોઈ સંજોગોમાં લેખકો કે પ્રકાશકો પાસેથી પુસ્તકો મંગાવવામાં આવે તો પણ મળેલા પ્રત્યેક પુસ્તકની કિંમત સંસ્થા ચૂકવે. સામેથી પુસ્તક મંગાવવા અને તે પણ મફત, તે પ્રણાલી મને યોગ્ય નથી લાગતી. ડાયરેક્ટરેટ ઑફ ફિલ્મ-ફૅસ્ટિવલ સિનેમા ઉપરનાં પુસ્તકોને માટેનાં પારિતોષિકો માટે જે પુસ્તકો મંગાવે છે તે બધાંજની બધા પ્રકાશકો કે લેખકોની તેની છાપેલી કિંમતો ચૂકવતી હોય છે. અન્ય પણ અનેક જગ્યાઓ આવી પ્રણાલી મેં જોઈ છે.

આપણે ત્યાં સામયિકોમાં પણ પ્રકાશકોના પ્રગટ થયેલાં પુસ્તકોનાં અવલોકનો માટે લેખકો કે પ્રકાશકો પાસેથી બે કે ત્રણ નકલો મફતમાં મંગાવવાની પ્રણાલી છે. સામયિકોને અનેક પ્રકાશનો ભેટ રૂપે પણ મળતાં હોય છે. તો પણ તે બધાનાં અવલોકનો થતાં નથી હોતાં. અકાદમી અને પરિષદ તો પોતાનાં પુસ્તકાલયો પણ ધરાવે છે. તંત્રી-સંપાદકોએ સામયિકને ભેટ ન મળ્યું હોય તો પણ યોગ્ય પુસ્તકનું અવલોકન લખવાનું વિવેચકોને સોંપવું જોઈએ. તો જ યોગ્ય પુસ્તકોની માહિતીઓ વાચકો સુધી પહોંચશે.

સંસ્થાઓની પારિતોષિક એનાયત કરવાની રીત-રસમ વિશે મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. આ અંગે વ્યાપક ચર્ચા કરીને ચર્ચા કરીને આ રસમને સુધારવી રહી.                                                        

e.mail : abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 11

Loading

...102030...3,7953,7963,7973,798...3,8103,8203,830...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved