Opinion Magazine
Number of visits: 9692020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાસ્તાં-એ-જંગ

રોહિત શુક્લ|Opinion - Opinion|2 February 2016

આપણો આ ચોથિયો જ શા માટે – ખુદ ચોથેશ્વરી પણ, ઝઘડા કરવામાં લગીરે માને નહીં. હા, ક્યારેક લગીર-લગીર દાંતિયાં થઈ જાય અને ક્યારેક બંને એકબીજાની ગત સાત આઠ પેઢીઓને સ્મરી પણ લે, પણ શાણા જેને કહે છે તેમ – એ તો બે વાસણ ખખડ્યાં કહેવાય એટલું જ – બેયના દિલમાં લગીરે પાપ ના મળે. પણ આ એકદંતગૂમ અને રક્તાક્ષ તો જે ઝઘડ્યા … આહાહાહા … વાત જ મેલી દેજો. બેયની ટોળીઓ એકબીજાના પાળિયા કરી દેવા તૈયાર થઈ ગઈ. બેય ટોળીઓએ પહેલ પરથમ તો પોતપોતાની પાસેના ફટાકડાનું પ્રદર્શન કર્યું. પૂંઠે બાંધી શકાય તેવા લવિંગિયાની લૂમોના તો થપ્પેથપ્પા એકમેકને બતાવ્યા. પણ એમાં તો બેય બરાબરીના નીકળ્યા, એટલે પેચને બે આંટા વધુ કસ્યા. હવે સૂતળીબૉંબ અને તે પણ પાછા આયાતીનું નિદર્શન કર્યું. કોઈક વળી ચીની બનાવટના રૉકેટ લઈને દોડ્યું, તો સામેવાળાએ અમેરિકન બનાવટના ‘ઇલેક્ટ્રિક’ ધડાકિયા સજાવ્યા. પણ આખરે યુદ્ધ થઈને જ રહ્યું. અને બધાં જ યુદ્ધોમાં બને છે તેમ – જીત્યું તો કોઈ નહીં છતાં એક પાર્ટી હારી. એકદંતગૂમની પાર્ટી હારી તે માટે તે એકલો જ જવાબદાર ન હતો. તેનું યુદ્ધ પણ આતતાયીઓ સામેનું અને તેથી ધર્મયુદ્ધ જ હતું. એ તો પેલો રક્તાક્ષની ભેળા યપ્પી, ગુચ્છપુચ્છ, તીક્ષ્ણકર્ણ અને રક્તમુખ ભળી ગયા, તેમાં આ મહાવીર એકદંતગૂમ હાર્યો.

હવે જીતેલા સૌમાં મહત્ત્વની ચર્ચા ચાલી. બસ તેને એવો પાઠ ભણાવો કે ફરીથી બેટો બેઠો જ ના થાય. એકે કહ્યું, ‘એને એવો ચૂંથી નાંખો કે સાત પેઢી સુધી મોં ઊંચું કરીને ચાલી જ ના શકે.’ બીજાએ કહ્યું, ‘એમાં આપણે શું ખાટ્યા? એનું માથું ઊંચું હોય કે નીચું – આપણે આખ્ખો દા’ડો ચોકીદારી થોડી જ કરી શકવાના.’ પછી તો જેટલાં મોઢાં એટલી વાતો. કોઈકે ઘેટાં-બકરાં-ગાયો અને ઘોડા પડાવી લેવાની વાત કરી તો વળી કોઈકે તેમનાં ખનિજો અને તેલ જ કાઢી જવાની વાત કરી. એકે તો તેમની નારીઓને જ ઉપાડી લાવવાની વાત કરી. મહાપંડિત જેવા જણાતા એક મહાનુભાવે તો એમ પણ કહ્યું કે ભૂતકાળનાં યુદ્ધોમાં આમ જ બનતું. ગુચ્છપુચ્છ સહિત રક્તાક્ષ, રક્તમુખ અને તીક્ષ્ણકર્ણ વિચારમાં પડી ગયા. આમે ય તે તીક્ષ્ણકર્ણ ધારદાર કાન ધરાવતો હતો પણ જેવી તેની બુદ્ધિ સતેજ થવા માંડતી તેવા જ તેના કાન પણ કટારની ધાર જેવા તીણા થઈ જતા. પરિસ્થિતિની ગંભીરતાનો તેને સૌ પ્રથમ ખ્યાલ આવ્યો. તેણે કહ્યું. ‘જુઓ ભાઈઓ, આપણે જીત્યા હોવાથી કાંઈક તો મેળવવું જ જોઈએ. પણ શું તેની કાંઈ ખબર જ પડતી નથી.’

યુદ્ધમાં હારેલાને એમને એમ જવા દેવાની તૈયારી કોઈની ન હતી. આખરે જેનું કામ જ અર્થશાસ્ત્ર જેવાં ગમગીન વિષય ભણવા અને ભણાવાનો હતો તેવા, વિદ્વાનોને બરકવામાં આવ્યા. અગાઉ ગરીબીના પ્રશ્નની ચર્ચા કરીને પછી તેને જેમનો તેમ છોડીને ભાગેલી આ ટોળકીને હવે એક નવો નક્કોર અને ચટાકેદાર મુદ્દો હાથે વળગ્યો.

અર્થશાસ્ત્રીઓની પહેલી બેઠકમાં નક્કી થયું કે આ કોયડો ઘણો ગંભીર છે અને તેનો ઉકેલ માત્ર પોતાની જ પાસે છે. અલબત્ત, ઉકેલ હજુ શોધવાનો બાકી હતો પણ તે હોય તો માત્ર પોતાની જ પાસે હોય તે નક્કી હતું. લાંબી વિચારણાઓ અને તેથી ય લાંબી વિમાસણોને અંતે આખરે તેમણે નક્કી કર્યું કે હારેલા પાસેથી દંડ વસૂલ કરવો. આ દંડ વસ્તુઓના સ્વરૂપનો હોવો જોઈએ. હારેલા દેશના પૂર્વસૈનિકો હવે મજૂર બનીને પોતાના દેશમાં કારખાનાંઓમાં કામ કરે અને તેમના માલની આયાત કરીને જીતેલા દેશોના નાગરિકો એયને લીલાલહેર કરે. થોડા દા’ડા તો પેલા જીતેલાને લાગ્યું કે બસ, આપણે તો હવે લહેરપાણીના જલસા જ થઈ ગયા. પણ આ લહેરપાણીના હજુ તો ઓડકાર આવતા હતા, ત્યાં જ ગોકીરો મચી ગયો. લોકો તો રસ્તા ઉપર આવી ગયા અને કાળા વાવટા લહેરાવા માંડ્યા. પેલા હારેલા દેશનો માલ અને સામાન જો આપણા દેશોમાં આવે, તો અમારા કળકારખાનાનું શું? અમારી રોજી અને રોટીનું શું? જીતેલા દેશોનાં કારખાનાં તો બંધ પડવા માંડ્યાં અને હારેલા દેશના લોકોને નવરાશ ન મળે એટલા રોજીરોટી મળતા થયા. હારેલા દેશનાં કારખાનાં અને વેપાર-વણજ તો ભઈ ખીલી ઊઠ્યાં.

રક્તાક્ષની ભેળા યપ્પી, ગુચ્છપુચ્છ. તીક્ષણકર્ણ અને રક્તમુખ પાછા ટોળે મળ્યા. જીતેલા દેશોને જ પરવડે તેવાં ખાણીપીણી અને ગુલતાનો કર્યાં પછી વળી પાછા હારેલાને ઠેકાણે કેમ કરવો તેના મુદ્દા ઉપર આવ્યા. પેલા જૂના અર્થશાસ્ત્રીઓને પડતા મેલીને સાવ નવાનક્કોર અર્થશાસ્ત્રીઓને ભેગા કર્યા.

આ અર્થશાસ્ત્રીઓએ નક્કી કર્યું કે જૂનાને કાંઈ ખાસ આવડતું જ ન હતું. તેમના પ્રમુખશ્રીએ જાહેર કર્યું કે હારેલા દેશનો માલ દંડ તરીકે લેવાથી તો આપણી વેપારની તુલા ખોરવાઈ જતી હતી. વેપારમાં પુરાંત રહેવાને બદલે ખાધનો યુગ શરૂ થઈ ગયો હતો. આપણા લોકો બેકાર બને અને તેમનાં કારખાનાં અને ધંધારોજગાર ધમધમે તેવો આ માર્ગ મૂર્ખામી ભરેલો હતો.

અર્થશાસ્ત્રીઓની નવી સભાએ ઠરાવ્યું કે હારેલા પાસેથી આપણે સીધેસીધો દંડ જ વસૂલ કરીએ. બિરબલના ન્યાયથી પણ આગળ વધીને તેમણે વીસુંનો દંડ ઝીંકી જ દીધો. ‘મિ. એકદંતગૂમ, તમારે આટલો તો દંડ આપવો જ પડશે,’ વિજેતાઓની પંચાયતે ફરમાન કર્યું. એકદંતગૂમનો દેશ તો અચાનક જ હજાર વીસુંનો દેવાદાર બની ગયો. નિકાસો દ્વારા તે આ રકમ ભરપાઈ કરી શકે તેમ હતો, પણ પેલા જીતેલાઓ આ માટે રાજી ન હતા. ‘ટ્રેડ એકાઉન્ટ’ અને ‘બૅલેન્સ ઑફ પેમેન્ટ’ જેવા શબ્દો વારેવારે ઊછળવા માંડ્યા. પણ એકદંતગૂમ સામેનો સૌથી મોટો સવાલ આ ચુકવણાનો હતો. આમ તો તેની ટોળીમાં કોઈ મેધાવી વાનરબંકો હતો જ નહીં પણ એક ચતુરાક્ષ નામે અનામી બંદો હતો. એકદંતગૂમ અને પોતાની સેનાની હાર પછી તે ઉદાસ થઈને ફર્યા કરતો હતો. તેણે એકદંતગૂમને કહ્યું. ‘બંધુરે, આપણે જે ધન આપવાનું થાય છે, તેનો એક કીમિયો આપણી પાસે છે. બસ આપણે નવી ને કડકડતી નોટો છાપીને તેનાં બંડલો તેમના માથે મારતા જ જઈએ.’ નિરુપાય થયેલા એકદંતગૂમને આ માર્ગ પણ ઠીક જ લાગ્યો.

નવી નોટો થકી દેવું તો ચૂકવવા માંડ્યું, પણ ચારેતરફ ફુગાવાનું ઘોડાપુર ઊમટી પડ્યું. આગળના જમાનામાં લોક ખિસ્સામાં પૈસા લઈને જતા અને થેલીમાં વસ્તુઓ લઈને આવતા, તેને બદલે હવે થેલીમાં પૈસા લઈને જવા માંડ્યા અને વસ્તુઓ ખિસ્સામાં લઈને આવતા થયા. વળી પાછા પેલા મૂંઝાયેલા પાંચની સભા મળી. રક્તાક્ષ, યપ્પી ગુચ્છપુચ્છ, તીક્ષ્ણકર્ણ અને રક્તમુખ પાંચેયની સમજમાં આવતું ન હતું કે હવે શું કરવાથી હારેલા પાસેથી કશુંક પણ વસૂલી શકાય. ‘તમે મોટી ભૂલ કરી રહ્યા છો, મહાશયો.’ એક ગેબી જણાય તેવો અવાજ આવ્યો. ‘તમારે હારેલા પાસેથી સોનું માંગવા જેવું હતું. બસ, સોનું જ સૌને સુખી કરી શકે. તેની વૅલ્યુ ઘટે નહીં અને અડધી રાતે પણ બોલાવ્યો બોલ દે. કહ્યું છે ને ‘સોનામાં સૌ ગુણ સમાય’ અને આ પાંચેયને તેની વાત પણ સાચી જ લાગી.

એકદંતગૂમ તો વળી પાછો વિચારમાં પડી ગયો. જો સોનું ખરીદવું હોય તો બચતો જોઈએ. પણ બચતો માટે તો આવકો જોઈએ. ઉત્પાદન વગર રોજગારી ન મળે. રોજગારી વગર આવક ન થાય અને આવક વગર બચત કેવી? ઉત્પાદન થાય એટલે પોતાની વસ્તુઓની નિકાસો કરવી પડે. નિકાસો વધારવાનો ઉદ્યમ તો પોતાની ટોળી કરી જાણે તેમ હતી, પણ બહારના જગતની હરીફાઈમાં ઊભા કેમ કરીને રહેવું. ત્યાં વળી પાછો પેલો વાનરબંકો ચતુરાક્ષ હાજર થયો. કુરનીસ બજાવીને તે બોલ્યો. ‘હજૂર. આપણે ત્યાં ફુગાવો તો છે જ ને. હવે પેલા પાંચને કોઈકના દ્વારા સમજાવો કે તે આપણને અવમૂલ્યનની ફરજ પાડે. આપણું ચલણ જેમ નીચા મૂલ્યનું થાય તેમ આપણી નિકાસો વધે. નિકાસો વધે તેમ આપણે સોનું ખરીદી શકીએ. આ પાંચેયને તે સોનું આપીએ, પણ તે તો તેમના ગળામાં જ ભરાવાનુંને! સેનાનો કોઈ ઉપયોગ તો હોતો જ નથી. એટલે ખાતર ઉપર દિવેલની જેમ તેમણે તેને સાચવી રાખવાનો વધારાનો ખર્ચ પણ કરવો પડશે. આપણાં કારખાનાં તો વળી પાછાં રોજગારી આપીને ધમધમવા માંડશે.’

એકદંતગૂમને આ વખતે જરાક ઓછો વિશ્વાસ પડ્યો. હમણાં જ કોઈક લોકશાહી દેશમાં થયેલી ચૂંટણીમાં એક નેતા બોલ્યા હતા તે તેને યાદ હતું. આ નેતાએ કટાક્ષમાં કહેલું. તમારો રૂપિયો બીમાર પડ્યો છે – ડૉલરની સામે તેનું મૂલ્ય ખૂબ જ નીચું ઊતરી ગયું છે – ત્યારે હે વડાપ્રધાન, તમે કેવા ડૉક્ટર છો કે આ રૂપિયાની તબિયત સુધારી શકતા નથી! જો કે આ મહાનુભાવ પોતે સત્તાનશીન થયા, ત્યારે પણ રૂપિયો તો બીમાર જ રહ્યો – ફેર પડ્યો હોય તો એટલો જ કે હવેના વડાપ્રધાન ડૉક્ટર ન હતા! એકદંતગૂમને આ બધી બાબતોમાં ખાસ કોઈ ગતાગમ પડતી ન હતી. પણ પેલા વાનરબંકા ચતુરાક્ષના વચન ઉપર ભરોસો રાખવા સિવાય તે કરી પણ શું શકત.

અને વળી પેલા વિજેતા પાંચની સભા મળી. એકદંતગૂમે પોતાની લાચારી વ્યક્ત કરી. પેલા વિજેતાઓને એમ કે અવમૂલ્યન કરવાથી આબરૂ જાય – આથી તેનું ‘નાક રગડવા’ અવમૂલ્યન કરવાની ફરજ પાડી. થઈ રહ્યું. જોતજોતામાં વળી પાછા હારેલાનાં કારખાનાં ધમધમવા માંડ્યાં અને જીતેલાને ઘેર બેકારીના કકળાટો રોજના થઈ પડ્યા.

‘હારેલાને આપણે પૈસા ધીરીએ અને તે આપણને વ્યાજ સાથે ચૂકવતો જાય તેવું કરીએ.’ વળી, એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સલાહ મળી. વળી, પેલા પાંચ સેનાનાયકોએ એકીઅવાજે ‘ભલે’ કહ્યું. વળી, વાનરબંકા ચતુરાક્ષે તેનો પણ ‘કાટ’ સૂચવ્યો. આ વખતે એકદંતગૂમે ‘ડિફોલ્ટર’ થવાનું સ્વીકાર્યું. વળી પેલા પાંચને ત્યાં હડિયાપાટી શરૂ થઈ ‘અલ્યા, પેલો નાદાર થઈ જશે તો આપણે તેને ધીરેલા પૈસાનું શું? જે ધનવાનો પૈસા ધીરી બેઠા હતા, તેમને ત્યાં રોજ રસોડે-મોંઘી તુવેરની દાળની ખીચડી જ બનવા લાગી. પાંચેયના ઘરના દરેકે પાંચ-પાંચ કાંદાં સમાર્યાં હોય તેવી આંખો થઈ ગઈ. તેમની વહુવારુઓએ તો કહ્યું પણ ખરું,’ ‘આવી ખબર હોત તો યુદ્ધ થવા જ ના દેત અથવા યુદ્ધમાં  હારવાનું પસંદ કરત.’

આ બધી ઘટનાઓ ઉપર અતિ બારીક નજર નોંધી રાખનારા ચોથિયા, ચોથેશ્વરી અને શ્વેતકેશીની સભામાં વાત શરૂ કરતાં-કરતાં શ્વેતકેશીએ કહ્યું. ‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા’. પણ ચોથિયો અલગ રીતે વિચારતો હતો. તેણે કહ્યું, ‘વાત જરા વિચિત્ર હોવા છતાં સમજવા જેવી ખરી. હારેલા પાસેથી તમે જો વધુ માલસામાન લો તો તમારી વેપારીની ખાધ વધી જાય. તેથી તમારે ત્યાં બેકારી વધે પણ હારેલાને ત્યાં કારખાનાં ધમધમી ઊઠે. જો તમે તેનું ચલણ માંગો, તો સાર્વત્રિક ફુગાવાની શક્યતા વધે. તેને કારણે અવમૂલ્યન થાય અને વળી તેની જ નિકાસો વધે. જો તમે સોનું માંગો તો તે આપી ન શકે અને આપે, તો તમારે તેને સાચવવા વાસ્તે ખાતર ઉપર દિવેલ કરવું પડે. જો તમે તેને દેવાદાર બનાવો, તો તમારા જ દેશના ધીરનારના પૈસા લઈને પછી તે નાદારી પણ નોંધાવી શકે. હવે મને સમજાવો. તમારે યુદ્ધ શા માટે કરવું છે. માત્ર માણસોને મારી નાંખવા વાસ્તે જ કે? તેણે ચોથેશ્વરી તરફ જોઈને પૂછ્યું.

‘તમને લોકોને જરાક પણ ખબર છે કે તમે જે વિચાર કરી રહ્યા છો, તેનો આર્થિક અને સામાજિક જીવન માટે શું માયનો નીકળે છે?’ ચોથેશ્વરીએ પોતાના સમાજના આ વિચાર-અગ્રદૂતો સામે નજર નોંધીને કહ્યું. ‘જુઓ, આ યુદ્ધની આખી ભૂમિકા જ ખોટી છે. યુદ્ધ પછી તમે કશું ય પામી નથી શકતા તે તો જોયું પણ યુદ્ધ પહેલાં તમે શું કરો છો? યુદ્ધનાં શસ્ત્રો અને અસ્ત્રો, તાલીમ અને તૈયારી, લાવ અને લશ્કર, ગુપ્તચરો અને પ્રચારતંત્રો – આ બધું શેને માટે – તે તો કહો. તમારાથી કોઈકનાં ખાનપાન અને રહનસહન નોંખાં હોય. કોઈના પોષાક અને ભાષા અલગ હોય. કોઈના દેવ અને મઝહબ જુદા હોય. બસ આ પ્રકારનાં નિમિત્તો શોધીને જેની ને તેની પર ચઢાઈ અને આક્રમણ – મારો, કાપો અને બાળો. ચૂંથો અને ચીરી નાંખો. એક વ્યક્તિ જે આખરે તો માણસ જ હોય – તેના હોઠ સહેજ જ ફફડે અને તમે કરોડોનાં જીવનના ચિરાગ બુઝાવી નાંખો – આ તે વળી કેવી ઉત્ક્રાંતિ! તમે ભૂખ્યાં બાળકો કે કુપોષિત સ્ત્રીઓ માટે કશું કરી ન શકો. છએ ઋતુમાં માથે છાપરા વગર પડી રહેનારાની સામે પણ ના જુઓ. સમાજમાં સૌને અક્ષરજ્ઞાન મળે તે મહત્ત્વનું કે પછી અણુ-પરમાણુના વિસ્ફોટોમાં કરોડો નિર્દોષ લોકોને હોમી દેવા તે મહત્ત્વનું? તમારા રસ્તા બિસ્માર છે. લોકોને શુદ્ધ પેયજળ મળતું નથી. કરોડો લોકોએ રાતનું વાળુ કર્યા વગર સ્વપ્નાં જોતાંજોતાં પડ્યા રહેવું પડે છે-અને સામે શું છે? તમે જેને તમારો દેશ ગણો છો, તેમાં શોષકો તમારા જ લોકોનું શોષણ કરે જાય છે. સત્તાધીશો તમારા જ લોકો પાસેથી મબલખ ભ્રષ્ટાચાર આચરી લૂંટ ચલાવે છે.’ ચોથેશ્વરીની આ જ ગરબડ હોય છે. ક્યારેક તેમને પણ વધુ પડતુ દૂરનું અને ચારે બાજુથી જોવા-સમજવાનું શૂર ચઢી આવે છે. આવે વખતે ચોથિયો બિલકુલ ‘સ્ટૅન્ડ ટુ’માં આવી જાય છે. ચોથેશ્વરીને પાણીનો પ્યાલો આપી, તે પણ દૂર સુધી તાકી રહ્યો.

છેવટે શ્વેતકેશીએ મૌન તોડ્યું. ‘કદાચ પેલો ગાંધી બાપુ, આ બધું સમજી ચૂક્યો તો નહીં હોય. એણે અહિંસાની વાત કરી જ શું કામ? શસ્ત્રો બનાવીને આર્થિક વિકાસ કરો. યુદ્ધ કરીને શસ્ત્રો વાપરો. વિનાશ વેરીને સત્તા વધારો. કોઈકને હરાવીને તમે કશું મેળવી શકતા નથી અને જીતીને કશું પામી શકતા નથી. થોડાક લોકોની સત્તા અને સાહ્યબીના શોખ માટે કરોડોને મોત સારું લાગે તેવું જીવન શા માટે? સત્ય, ન્યાય અને અહિંસાના આ ત્રિકોણ વગર કોઈ અન્ય યંત્ર, મંત્ર કે તંત્રની જરૂર ખરી?’

દૂરદૂરથી તેમને કોઈક શાયરનો ઘૂંટાયેલો અવાજ સંભળાવા માંડ્યો. શ્વેતકેશીનું કહેવું હતું કે તે તો સાહિર લુધિયાનવી હતા.

‘બરતારી કી સબૂત કે ખાતિર, ખૂન બહાના હી ક્યા જરૂરી હૈ,
ઘર કા તરિક્કિયા મિટાનોં કો, ઘર જલાના ક્યા જરૂરી હૈ?
જંગ તો ખુદ હી એક મસલા હૈ, જંગ ક્યા મસલોં કા હલ દેગી.
આગ ઔર ખૂન આજ બક્ષેગી. ભૂખ ઔર એહતિયા કલ દેગી.
ઈસ લિયે અય શરીફ ઇન્સાનો, જંગ ટલતી રહે તો બહેતર હૈ,
આપ ઓર હમ સભી કે આંગન મેં, શમ્મા જલતી રહે તો બહેતર હૈ,’

—

બરતારી = મહાનતા, તરિક્કિયા = અંધારું, એહતિયા = wants, જરૂરિયાતો.                 

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2016; પૃ. 11-13 

Loading

અંજલિ-આવકાર-અંગૂલિનિર્દેશ અને …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 February 2016

અંજલિ :

લાભશંકર ઠાકરનું એક સંભારણું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં પહેલી જુલાઈ, ૧૯૯૪ના રોજ આ લખનારે લા.ઠા.ની લીધેલી મુલાકાત છપાઈ હતી, તેમાં તેમણે આ મતલબનું કહ્યું હતું, ‘મારા મિત્ર સુભાષ શાહે એક દિવસ મારી સામે સેમ્યુએલ બૅકેટના ‘વેઇટિંગ ફોર ગોદો’ નાટકના અંશો વાંચ્યા. મેં કહ્યું કે આવું તો આપણે ય લખી શકીએ, ને એક નાટક લખી નાખ્યું. નામ પણ અમસ્તું સૂઝ્યું તે જ આપ્યું. એ બન્યું ગુજરાતી ભાષાનું પહેલું ઍબ્સર્ડ નાટક – ‘એક ઉંદર ને જદુનાથ’ !’

માતબર મરાઠી દૈનિકો ‘લોકસત્તા’ના સંપાદક, ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’ના સહસંપાદક અને સંદર્ભ સહાયક, સમકાલીન અને ઓગણીસમી સદીના ઇતિહાસના આલેખનકાર, ગ્રંથજ્ઞ, ગ્રંથસંગ્રાહક અરુણ ટિકેકરનું ૧૯ જાન્યુઆરીએ અવસાન થયું. મુંબઈ યુનિવર્સિટી, પૂના-મુંબઈના ભૂતકાળ, મહારાષ્ટ્રની જીવનશૈલી, જેવા અનેક વિષયો પર તેમણે ઐતિહાસિક અભિગમથી પુસ્તકો અને લેખો લખ્યાં છે. મુંબઈ યુનિવર્સિટી તેમ જ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયો અને ટિકેકરના સખ્યથી ઉભયપક્ષે સમૃદ્ધિ આવી હતી. ટિકેકરને અનેક પુસ્તકભંડારો તેમ જ ફૂટપાથ પરના પુસ્તકવિક્રેતાઓ સાથે ઘરોબો હતો. અમદાવાદના એક જમાનાના જાણીતા પુસ્તકવિક્રેતા વિશે એ લખે છે :

એક વાર કાર્યાલયીન કામે અમદાવાદ ગયો હતો, ત્યારે એલિસબ્રિજના છેડે આવેલ ‘ન્યુ ઑર્ડર બુક કંપની’ નામની દુર્લભ પુસ્તકોની દુકાનમાં ગયો. એના માલિક દિનકરભાઈ ત્રિવેદી બહુ મીઠી વાણીના, પણ પાકા વ્યવહારુ. દુર્લભ ગ્રંથોના વેચાણમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર. એમને ત્યાંના ગ્રંથો ઉત્તમ સ્થિતિમાં હોય અને ભાવ પણ એટલા જ ઉત્તમ. અમેરિકનોને પણ એ ભાવ વધારે લાગતા. પણ દિનકરભાઈ ક્યારે ય ગાંઠે નહીં. એમનો સ્નેહ મેળવતાં કેટલાંક વર્ષો થયાં. હું એક વાર અમદાવાદ પહોંચ્યો, ત્યારે શહેરમાં કરફ્યુ લાગેલો હતો. મેં દિનકરભાઈને ફોન કર્યો અને તેમણે રિક્ષા મોકલીને મને તેડાવ્યો. એમના મહેમાન તરીકે હું કેટલાક દિવસ એમને ત્યાં રહ્યો. એ વખતે મને ખ્યાલ આવ્યો કે આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક દુનિયામાં દિનકરભાઈ સર્વપરિચિત હતા … દિનકરભાઈ ત્રિવેદી ગયા. ‘ન્યુ ઑર્ડર બુક કંપની’ ચાલુ છે કે બંધ એ પણ મને ખબર નથી. પણ મને એમની પાસેથી એવા ગ્રંથો જોવા, વસાવવા મળ્યા છે કે જેમના હોવાની ય મને ખબર ન હતી. દાખલા તરીકે અ.કા. પ્રિયોળકર જેવાને પણ હાથ ન લાગેલો ‘ધ લિટરરિ રિમેઇન્સ ઑફ ભાઉ દાજી’ નામનો ગ્રંથ મને દિનકરભાઈએ આપ્યો.

દિનકરભાઈ વિશે મરાઠી-ગુજરાતી-અંગ્રેજીમાં  મારા જોવામાં આવેલું આ એકમાત્ર લખાણ છે (વધુ મેળવવાની ઉત્સુકતા તો છે જ). ‘અક્ષરનિષ્ઠાંચી માંદિયાળી : ગ્રંથ-શોધ આણિ વાચન-બોધ’ (૨૦૦૫) નામના ખૂબ વાચનીય પુસ્તકમાં દિનકરભાઈના સ્મરણ ઉપરાંત કરસનદાસ મૂળજીના એક ગ્રંથ વિશે પણ વાંચવા મળે છે. એનું નામ છે ‘ધ સેક્ટ ઑફ મહારાજાઝ’. કરસનદાસે તેમના ગ્રંથની મહાપુરુષ દાદાભાઈ નવરોજીને પોતાની સહી સાથે અર્પણ કરેલી નકલ ટિકેકર પાસે છે. એ લખે છે : ‘જ્યારે-જ્યારે આ પ્રત હાથમાં લઉં છું, ત્યારે ત્યારે મારાં રૂંવાં ઊભાં થઈ જાય છે. બે મહાપુરુષોનો હસ્તસ્પર્શ પામેલી આ પ્રત છે…!’ આ સૂઝવાળા સંપાદક, મહાદેવ ગોવિંદ રાનડેની લિબરલ હ્યુમૅનિસ્ટ પરંપરા અને ગોપાળ ગણેશ આગરકરકરની સુધારાવાદી પરંપરાના વારસદાર હતા. મુંબઈમાં વસતા આપણા વરિષ્ઠ બુકમન અને સુધારાની સદીના જાણતલ દીપક મહેતા સાથે ટિકેકરને ચાળીસેક વર્ષથી મૈત્રી હતી. ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ વિશે દીપકભાઈએ એક બહુ જ મહત્ત્વનો મૉનોગ્રાફ લખ્યો છે.  ‘ફાઉન્ડર્સ ઍન્ડ ગાર્ડિયન્સ ઑફ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ’ એવી પુસ્તકશ્રેણી હેઠળ બહાર પડેલા આ મૉનોગ્રાફનું પ્રકાશકીય ટિકેકરે લખેલું છે.

સ્વાતંત્ર્યોત્તર ભારતના પ્રકાંડ અભ્યાસી અને પ્રેમાળ અમેરિકન અધ્યાપક સુઝાન રુડૉલ્ફનું ૨૩ ડિસેમ્બરે કૅલિફોર્નિયામાં પંચ્યાસી વર્ષની વયે અવસાન થયું. પોતાની રીતે અને તેમના પતિ  લૉઇડ સાથે સુઝાને પુસ્તકો, લેખો અને સંપાદનો થકી ભારતના રાજકીય અર્થશાસ્ત્ર, વર્ણવ્યવસ્થા, ગાંધીવિચાર, સાંસ્કૃિતક રાજકારણ, શિક્ષણકારણ, વિદેશનીતિ, લોકશાહી રાજસ્થાની સંસ્કૃિત જેવાં અનેક પાસાં પર કામ કર્યું છે. રુડૉલ્ફ દંપતી ૧૯૫૨માં લૅન્ડ રોવર મોટર હંકારીને લંડનથી ભારત આવ્યું અને પછી દર ત્રણ-ચાર વર્ષે આવતું જ રહ્યું. મોટે ભાગે જયપુરમાં વસનાર અને બાળકોને સરસ હિન્દી બોલતા શીખવનાર આ યુગલને ૨૦૧૪માં પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. સુઝાન પાછલા દિવસોમાં આમ આદમી પાર્ટીની દિલ્હીની સફળતા અંગે વિચારણા કરતાં હતાં. જીવનરસ અને સંશોધનથી ભરપૂર જીવનાર રુડૉલ્ફ દંપતી વિશે વાંચતાં વિલ અને એરિયેલ ડ્યુરાં સહજ યાદ આવે. અગિયાર ખંડોમાં ‘સ્ટોરી ઑફ સિવિલાઇઝેશન’ ઉપરાંત અનેક ગ્રંથો થકી અક્ષરવિશ્વને જ્ઞાનપ્રકાશથી ઉજાળનારાં ડ્યુરાં દંપતીની આત્મકથાનું નામ છે ‘ડ્યુઅલ ઑટોબાયોગ્રાફી’ (૧૯૭૭). એરિયેલના અવસાન પછી તેર જ દિવસે ૭ નવેમ્બર, ૧૯૮૧ના રોજ વિલ ગુજરી ગયા. સુઝાનના અવસાન પછી ત્રેવીસ દિવસે હમણાં ૧૬ જાન્યુઆરીએ લૉઇડ ગુજરી ગયા. તાદાત્મ્ય, અદ્વૈત ને એવા શબ્દો વાપર્યા વિના ચૌદમી ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન ડે પર યાદ કરીએ ડ્યુરાં અને રુડૉલ્ફ દંપતીઓને.

આવકાર :

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક અને ખંતીલા સંશોધક અરુણ વાઘેલા પાસેથી મળેલાં બે પુસ્તકોના વિષય તેનાં નામ અને પેટાશીર્ષકોથી સ્પષ્ટ થાય છે : ‘આઝાદીના જંગનો આદિવાસી રંગ : ૧૭ નવેમ્બર, ૧૯૧૩ માનગઢ હત્યાકાંડ’ અને ‘વિસરાયેલા શહીદો : પંચમહાલના નાયક આદિવાસીઓનો જંગ (૧૮૩૮-૧૮૬૮)’. પુસ્તકોનાં પરિશિષ્ટો નોંધપાત્ર જ છે. તેમની સાથે ક્ષેત્રકાર્યના અછડતા ઉલ્લેખો તરફ ખસૂસ ધ્યાન આપવામાં આવે, તો લેખકની મહેનતનો અંદાજ મળે છે. બે આવૃત્તિ પામનાર આ પુસ્તકો લેખકે જાતે જ પ્રકાશિત કર્યાં છે, તે હકીકત કુતૂહલ જન્માવે છે.

ડિવાઈન પ્રકાશન પાસેથી ‘રૂપ એક, રંગ અનેક : મુસલ્સલ ગઝલનું પ્રથમ સંપાદન’ નામનો સંચય મળે છે. એસ.એસ. રાહીએ સંપાદિત કરેલા આ સંગ્રહમાં ગયાં સોએક વર્ષ દરમિયાન થઈ ગયેલા ૧૪૬ ગઝલકારોમાંથી દરેકની એક રચના વાંચવા મળે છે. સંપાદકનો દીર્ઘલેખ તેમનો અભ્યાસ અને ગઝલકારોનો મિતાક્ષરી પરિચય તેમની ચીવટ બતાવે છે. ભપકા વિનાનું આકર્ષક નિર્માણ ધરાવતા આ સંગ્રહમાં અત્યારની પેઢીના ત્રણ-ચાર જાણીતા યુવા સર્જકોની રચનાઓ જોવા ન મળે એ ટીકા નહીં તો ય જિજ્ઞાસા તો જગવે  છે.

પીઢ નાટ્યવિદ હસમુખ બારાડી પાસેથી મળેલા ‘ગાંધારી અને સો કુંડો’ પુસ્તકમાં ત્રણ દૃશ્યોનું બહુપાત્રી નાટક ‘ગાંધારી’ અને એકપાત્રી પ્રલંબ નાટક ‘સો કુંડો વચ્ચે ગાંધારી’ મૂકવામાં આવ્યાં છે. ‘ગાંધારી’ ને વિનોદ અધ્વર્યુએ ‘વિલક્ષણ અને સંતર્પક પદ્યરચના’ ગણાવીને તેનું રસદર્શન કરાવ્યું છે. બીજા નાટક વિશે અધ્વર્યુ લખે છે કે તેમાં લેખકે ‘વનવેલીને ય વાળ્યો મઠાર્યો છે, મુક્ત રીતે પ્રયોજ્યો છે.’ રાજકોટના રૉયલ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકમાં લેખકની લઘુનવલ ‘ગાંધારી’ વિશેના સમીક્ષાલેખો અને નાટકની ભજવણીની છબીઓ છે. હસમુખભાઈનાં પુસ્તકોની છ પાનાંની યાદી તેમના બહોળા રંગકર્મ તરફ આંગળી ચીંધે છે.

પૂણેના પ્રતિષ્ઠિત રાજહંસ પ્રકાશને ‘આ વિશ્વનું પ્રાંગણ : એક સ્થપતિની કથા’ નામનું ગુજરાતી પુસ્તક બહાર પાડ્યું છે. મૂળ અમદાવાદના ભદ્ર વિસ્તારના અને અત્યારે અનિવાસી ભારતીય એવા સુધીર જાંભેકરની ‘હે વિશ્વાચે આંગણ’ આત્મકથાનો કિશોર ગૌડે કરેલો અનુવાદ છે. તેની અંદરની તસવીરો અને એકંદર નિર્માણ આકર્ષક અને વ્યવસાયકુશળતાપૂર્ણ છે.  મરાઠી પુસ્તક વાંચ્યું છે, હવે ‘મરાઠી માણસનું આ પ્રાંજળ આત્મકથન’, ‘એક લહેરી સ્થપતિની અપૂર્વ કથા’ આવી છે – બંને દક્ષા-રાજેન્દ્ર પટેલ પાસેથી ભેટ તરીકે.                

અંગૂલિનિર્દેશ :

પ્રહરી અંગ્રેજી પત્રકાર પ્રફુલ બિડવાઈ આઠ મહિના પહેલાં અચાનક અવસાન પામ્યા એ વખતે ભારતીય સામ્યવાદી પક્ષ  પર સંશોધન  કરી રહ્યા હતા. એ વિષય પરનું તેમનું પુસ્તક ‘ધ ફિનિક્સ મૉમેન્ટ : ચૅલેન્જેસ કન્ફ્રન્ટિન્ગ ધ ઇન્ડિયન લેફ્ટ’ તાજેતરમાં હાર્પર કૉલિન્સે બહાર પાડ્યું છે.

ગોવામાં ખાણો, ઉદ્યોગો અને હિણા ઉપભોગવાદે વેરેલા વિનાશ પર પત્રકાર હાર્ટમન ડિસોઝાએ લખેલું પુસ્તક ‘ઇટ ડસ્ટ : માઇનિન્ગ ઍન્ડ ગ્રીડ ઇન ગોવા’ હમણાં પ્રસિદ્ધ થયું છે. જાણે તેને પૂરક હોય તેવા સમાચાર (‘ટાઇમ્સ’,૧૯/૧૨) એ છે કે ગોવાની અમાનુષ સરકારે ત્યાંના લોકોના વહાલા એવા નાળિયેરીના ઝાડને વૃક્ષોની યાદીમાંથી પડતું મૂકવાનો નિર્ણય લીધો છે. એને કારણે આ કલ્પવૃક્ષને કાપવા માટે હવે મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. નાળિયેરીનું ઝાડ પડે, તો બહુ જોખમકારક બને એટલા માટે તેને ગમે ત્યારે કાપવાની અનુકૂળતા રહે એવું એક ઉપરછલ્લું કારણ આપવામાં આવ્યું છે.’ પણ ખરેખર તો અભદ્ર સરકાર અને તેના બાબુઓ, જમીન માફિયાઓ અને લોભી ઉદ્યોગપતિઓની યુતિને લૂંટ કરવા દઈને તેમાંથી હિસ્સો લેવા ઇચ્છે છે. સાડા ચૌદ લાખની લોકસંખ્યા ધરાવતાં ગોવામાં નાળિયેરી સહિત પામ કુળનાં ચાળીસ લાખ ઝાડ છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’(૨૧/૧)માં ગોવાના કર્મશીલ પર્યાવરણવિદ ક્લૉડ આલ્વરેઝના લેખનું મથાળું છે ‘ઇટ ઇઝ લાઇક કિલિંગ અ ચાઇલ્ડ’. યોગાનુયોગે ૧૬ ડિસેમ્બરના ‘ભૂમિપુત્ર’માં છેલ્લા પાને કોંકણી લેખક  દામોદર માવજોની, આશા વીરેન્દ્રએ રજૂ કરેલી કરુણ વાર્તા ‘વહાલાં બાલુડાં’ એ સંતાનો સમાં નાળિયેરીનાં ઝાડ કાપવા વિશે છે. 

અનિરુદ્ધ  દત્તા નામના પુરુષ લેખક પાસેથી ‘હાફ અ બિલિયન રાઇઝિંગ : ધ ઇમર્જન્સ ઑફ ધ  ઇન્ડિયન વુમન’ નામનું પુસ્તક મળે છે. પચીસ વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓ હિમ્મતથી પુરુષપ્રધાન સમાજનો સામનો કરીને જિંદગી કેવી રીતે બનાવી રહી છે તેને લગતાં મુલાકાત આધારિત લખાણો અહીં છે. તેના માટે લેખક ભારતમાં ભાવનગર અને ભાગલપુર જેવાં નગરો, કોલકાતા અને મુંબઈ જેવાં શહેરો તેમ જ અનેક દૂરનાં ગામડાંમાં ફર્યા છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસે નવા વર્ષના પહેલા અઠવાડિયામાં તંત્રીલેખના સામેના પાને ‘અ ન્યુ યર પોસ્ટકાર્ડ’ નામે એક શ્રેણી કરી હતી. તેમાં જુદાં-જુદાં વ્યવસાયો/ક્ષેત્રોનાં આમંત્રિત મહિલા તેમ જ પુરુષ લેખકોએ ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર’ ને સંબોધીને, પ્રથમ વ્યક્તિ એકવચનમાં  લેખો લખ્યા છે. તેના વિષયો આ મુજબ છે : દાદરી પંથકમાં ભયના ઓળા નીચે ચાલતી નિશાળો, બિહારમાં મહિલાઓને નોકરી, મરાઠાવાડામાં પાણીની ભીષણ અછત, ધંધાવ્યવસાયના ક્ષેત્રે ૨૦૧૫ના ચેઇન્જ પછી હવે ગ્રોથની અપેક્ષા, કલાકારોનું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય, ઍવૉર્ડવાપસી તરફ શાસકોની જડતા, એલજીબીટીક્યુને ગુનાઇત ગણવાની સમસ્યાની સંસદ દ્વારા અવહેલના.  

અને આ પણ … :

ભારતના બૌદ્ધિક જીવનના એક મહત્ત્વના ઘટક સમા સામયિક ‘ઇકૉનોમિક ઍન્ડ પોલિટિકલ વિકલી’(ઇપિડબ્લ્યુ)ના સંપાદક સી. રામમનોહર રેડ્ડીએ રાજીનામું આપ્યું છે. મોટા ગજાના સંપાદક કૃષ્ણ રાજ પછી ગયાં દસેક વર્ષથી રેડ્ડી ઇ.પિ.ડબ્લ્યુ. બહુ સારી રીતે સંભાળી રહ્યા હતા. એક મંતવ્ય મુજબ સામયિક ચલાવનાર ‘સમીક્ષા ટ્રસ્ટ’ની કેટલીક બાબતોને લઈને અત્યારના સંપાદકને સ્વાયત્તતા જોખમમાં મુકાઈ હોવાનું લાગી રહ્યું છે. ટ્રસ્ટીઓમાં ઇતિહાસકાર રોમિલા થાપર, અર્થશાસ્ત્રીઓ જ્યૉં ડ્રેઝ અને  દીપક નૈયર તેમ જ અન્યોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના સનદી બાબુઓને નવા વર્ષના હોમવર્ક તરીકે ત્રણ પુસ્તકો વાંચવા આપ્યાં છે. તેમાં એક નીતિઆયોગના સભ્ય બિબેક ડેબ્રૉયનું છે – ‘ડ્રમબીટ્સ્ ટુ રિન્ગટોન્સ : ગુજરાત્સ સ્ટ્રેટેજી ફૉર એમ્પાવરિન્ગ ટ્રાઇબલ્સ’. બીજાં બે પુસ્તકો નરેન્દ્રભાઈના પોતાનાં છે – ‘કન્વિનિયન્ટ ઍક્શન : કન્ટિન્યુઇટી ફોર ચેઇન્જ, ‘કન્વિનિયન્ટ ઍક્શન : ગુજરાત્સ રિસ્પૉન્સ ટુ ક્લાઇમેટ ચેઇન્જ’.

નરેન્દ્ર મોદીના સંદર્ભ સાથેના બે નવા શબ્દો વાંચવા મળ્યા. નવાઝ શરીફ સાથેની તેમની દોસ્તી વિશેના લેખમાં શોભા ડે ‘બ્રોમાન્સ’(બ્રધર+રોમાન્સ) શબ્દ વાપરે છે. વડાપ્રધાન અને દિલ્હીના મુખ્યમંત્રીની સરખામણી કરતા લેખના મથાળામાં સાગરિકા ઘોષ ‘મોદ્રિવાલ’ એવું કર્ણકટુ શબ્દસંયોજન કરે છે.

૨૨ જાન્યુઆરી, ૨૦૧૬               

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 14-15

Loading

તર્કથી કંઈક અદકેરું

વિનોબા|Opinion - Opinion|2 February 2016

(વિનોબાજી ૧૯૫૮માં ગુજરાત આવ્યા ત્યારે તેમની જોડે વિવિધ લોકોએ પ્રશ્નોત્તરી કરેલી તેની લેખમાળાનો પહેલો લેખ)

પ્રશ્ન : આપ ઘણાં પૌરાણિક દૃષ્ટાંતો એવી રીતે ટાંકો છો જાણે કે વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓ હોય. આ ઉપરથી કોઈ એમ કહેવા પ્રેરાય કે આપનામાં હિસ્ટોરિકલ પરસ્પેક્ટીવ – ઐતિહાસક દૃષ્ટિકોણ નથી.

ઉત્તર : હું ઘણી વખત કુરાનમાંથી તેમ જ બાઇબલમાંથી અને અન્ય ગ્રંથોમાંથી દૃષ્ટાંતો ટાંકું છું. એમ છતાં મોટા ભાગે મારા મનમાં રામાયણ, મહાભારત અને ભાગવત તેમ જ અન્ય પુરાણ ગ્રંથો ભર્યા છે. તેથી તેનાં દૃષ્ટાંતો મારા બોલવામાં આવે તે સ્વાભાવિક છે.

બીજું, મારી ઇતિહાસ વિષેની દૃષ્ટિ જુદી છે. જેમાં રાજાઓની વંશાવળી અને વિગ્રહ-સંધિની ઘટનાઓ નોંધાયેલી હોય એવા વાસ્તવિક ઇતિહાસનું મારે મન કોઈ ખાસ મહત્ત્વ નથી. મેં મનથી ભારતનો એક આઇડિઓલોજીકલ હિસ્ટરી – જુદી જુદી વિચારસરણીને અને તે દ્વારા ઘડાતા પ્રજાજીવનની પરંપરાને રજૂ કરતો ઇતિહાસ વિચાર્યો છે. એટલે પૌરાણિક ઘટનાઓ વાસ્તવિક રીતે સાચી હોય કે નહીં, પણ જો તે ઘટનાઓએ પ્રજાજીવનને અમુક રીતે ઘડ્યું હોય અને નવો વળાંક આપ્યો હોય તો તે મારે મન સાચો ઇતિહાસ છે. દા.ત. ઇસુ ખ્રિસ્તને ખરેખર ક્રોસ પર ચઢાવવામાં આવ્યા ન હોય પણ તેમાંથી હજારો બલ્કે, લાખો લોકોએ પ્રેરણા લીધી હોય તો મારે મન ઇસુનું ક્રોસ-આરોહણ સત્યઘટના છે.

પ્રશ્ન : નામસ્મરણથી જેમને આપણે ઇષ્ટ દેવતા તરીકે કલ્પ્યા હોય તેની સાથે આપણા ચિત્તનું અનુસંધાન થાય એ હું કલ્પી શકું છું. પણ એનાથી વ્યાધિનિવારણ, આરોગ્યપ્રાપ્તિ તેમ જ અન્ય ભૌતિક લાભો થાય, તે સમજાતું નથી. આપનાં એ વિધાનોનો તર્ક સાથે કોઈ મેળ બેસતો નથી.      

ઉત્તર : કેટલાંક દર્દોનું મૂળ મન હોય છે. કેટલાંક દર્દો કોઈ શારીરિક વિકૃતિનું પરિણામ હોય છે. જે દર્દોને મન સાથે સંબંધ હોય તે દર્દો આવી રીતે નામસ્મરણ કરવાથી અથવા તો પવિત્ર પુરુષના સ્પર્શથી નાબૂદ થાય એ કલ્પી શકાય એમ છે. શારીરિક દર્દો પણ નાબૂદ થાય. દા.ત. આંધળો દેખતો થાય, બહેરો સાંભળતો થાય, લંગડો ચાલતો થાય એમ માનવાનું મારા મનનું વલણ છે. આ માટે મારી પાસે કોઈ તાર્કિક પ્રમાણ નથી.

પ્રશ્ન : પણ આ બાબતમાં આપણે કારણ-કાર્ય નિયમ ધ્યાનમાં લેવો જોઈએ કે નહીં ? જે બાબત કારણ-કાર્યના નિયમ સાથે બંધ બેસતી ન હોય તે કેવી રીતે સ્વીકારી શકાય ?

ઉત્તર : ઈશ્વરને આપણે કારણ-કાર્યનો નિયમ એકાંતપણે લાગુ પાડવો ન જોઈએ. દા.ત. આપણે હંમેશાં સ્વીકારતા આવ્યા છીએ કે કર્મનું ફળ તત્સદૃશ હોવું જોઈએ. જગતનો આ અબાધિત નિયમ છે એમ પણ આપણે માનીએ છીએ. તેમ છતાં આપણે મનમાં ઊંડે ઊંડે એમ પણ માનીએ છીએ કે આપણાં પાપકર્મોની માફી મળવી જોઈએ. કારણ કે કરેલાં કર્મોનાં ફળ ભોગવ્યા જ કરવાનાં હોય તો આપણો કોઈ દિવસ આરો જ ન આવે. એનો અર્થ એ થયો કે આપણા દિલમાં કર્મના કાનૂન વિષે શ્રદ્ધા છે, તેવી જ શ્રદ્ધા ઈશ્વર ધારે તો કર્મની માફી આપી શકે એ પ્રકારની પણ છે. ઈશ્વર પોતાના કાનૂનથી સ્વતંત્ર છે અને કાનૂન બહાર જઈને પણ કાર્ય કરી શકે છે. આમ વિચારવું મને વધારે સયુક્તિક લાગે છે. આ સયુક્તિક કદાચ ન હોય તો જે ઈશ્વરી ચમત્કારો આપણે સાંભળીએ છીએ અને એની કોઈક કૃપાથી શારીરિક બીમારીઓ નાબૂદ થવાની ઘટનાઓ આપણા જાણવામાં આવે છે તે બધી ખોટી કે કાલ્પનિક હોય છે એમ માની લેવાનું મારું વલણ નથી. આમ નામસ્મરણનું ઈષ્ટ ભૌતિક પરિણામ પણ હોઈ શકે, એમ હું માનું છું.

પ્રશ્ન : આપ ભાગવતને પણ મહત્ત્વ આપો છો. મેં મૂળ ભાગવત વાંચ્યું નથી. પણ નાનાભાઈ ભટ્ટનું ‘લોક ભાગવત’ વાંચ્યું છે. તો તેનો ૧૧મો સ્કંધ બાદ કરીએ તો બાકીના ભાગવતમાં ગપ્પાં અને અત્યુિક્ત સિવાય મને કશું માલૂમ પડ્યંુ નથી. તો આપ ભાગવતને શા કારણે આટલું મહત્ત્વ આપો છો ?

ઉત્તર : તમારો પ્રશ્ન સારો છે. ભાગવત મને પ્રિય ગ્રંથ છે. તેનું એક કારણ એ છે કે તેનું સંસ્કૃત અતિ ઉચ્ચ કોટિનું છે. બીજું ભાગવત સમજવા માટે – માણવા માટે – ભક્તિની દૃષ્ટિ જોઈએ તે કદાચ તમારામાં ન હોય. તેમાં જો ગપ્પાં અને અત્યુિક્ત જેવું પુષ્કળ આવે છે તો બાઇબલમાં પણ – ખાસ કરીને ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં આવી સામગ્રી પુષ્કળ ભરી છે. એમ છતાં આજે એનું અનેક દૃષ્ટિએ પુષ્કળ મહત્ત્વ છે. તેમ ભાગવતનું મારી દૃષ્ટિએ મારે મન પુષ્કળ મહત્ત્વ છે.

પ્રશ્ન : ભાગવતમાં જે કૃષ્ણચરિત્રનો ભાગ આવે છે, તે કેવળ નગ્ન શૃંગારથી ભરેલો હોઈને જુગુપ્સા ઉપજાવે તેવો છે. આ સંબંધમાં આપને શું કહેવું છે ?

ઉત્તર : ભાગવતમાં આને લગતા પાંચ અધ્યાયો આવે છે. તેને ‘રસપંચાધ્યાયી’ કહે છે. આને કેવળ સ્થૂળ શૃંગારના અર્થમાં લેવાનો નથી. આપણા ધાર્મિક ઇતિહાસમાં એક કાળ એવો આવ્યો છે જ્યારે સ્ત્રીપુરુષોના સંબંધને આત્મા-પરમાત્માના અદ્વૈતના પ્રતીક તરીકે કલ્પવામાં આવ્યો અને તે સંબંધની પરિભાષામાં જ ભક્તિની સાધનાનો વિચાર કરવામાં આવ્યો. વળી આ સ્ત્રી-પુરુષનો સંબંધ એટલે પતિપત્નીનો નહીં પણ તેમાં મુક્તપણાનો ખ્યાલ આવે એટલે એકમેક અપરિણીત હોય એવા સ્ત્રીપુરુષના સંબંધની આ બાબતના સંદર્ભમાં કલ્પના કરવામાં આવી. આ જ દૃષ્ટિએ આ જરા કઢંગું લાગે છે. પણ તે કાળમાં તેમ નહીં હોય. દા.ત. તમે કદાચ જાણતા હશો કે બંગાળી ભાષામાં ક્રિયાપદનાં રૂપોમાં લિંગભેદ નથી. આપણે પુરુષ જતો હતો અને સ્ત્રી જતી હતી, એમ કહીએ છીએ. બંગાળી ભાષમાં એ રીતની ગમનક્રિયા માટે ક્રિયાપદનું એક જ રૂપ હોય છે. ગુરુદેવ રવીન્દ્રનાથ બંગાળીમાં લખતા હતા. તેનાં બીજી ભાષામાં થયેલાં ભાષાંતરો ગુરુદેવના જોવામાં આવ્યાં અને તેમાં જાતિસૂચક ક્રિયાપદનાં રૂપોમાં ભારે ગોટાળો હતો, એમ તેમને માલૂમ પડ્યું. અને ગુરુદેવ આથી ભારે ખિન્ન થયા અને પોતાનાં પુસ્તકોનું બિલકુલ ભાષાંતર ન થાય એમ ઇચ્છવા લાગ્યા. આમ તમારે પણ ભાગવતના કૃષ્ણ-ચરિત્રને લિંગભાવથી મુક્ત બનીને જોવું જોઈએ.

પ્રશ્ન : જગન્નાથપુરી, ભુવનેશ્વર વગેરે આપણાં હિંદુ મંદિરોમાં નગ્ન અશ્લીલ કોતરકામો જોવામાં આવે છે. મંદિરોમાં આવું તત્ત્વ કેમ દાખલ થયું હશે ?

ઉત્તર : જગન્નાથપુરી કે ભુવનેશ્વરનાં મંદિરો મેં જોયાં નથી પણ ઓરિસ્સામાં કોણાર્કનું સૂર્યમંદિર છે. તેની રચના એવી છે કે મંદિરની અંદરના ભાગમાં આવું કશું પણ અશ્લીલ કોતરકામ નથી પણ ચોતરફ બહાર ઉપર-નીચે આવું અશ્લીલ કોતરકામ ઠેકાણે ઠેકાણે છે. આનો અર્થ હું એમ કરું છું કે ધર્મ એ શક્તિસ્વરૂપ છે અને પ્રજનનક્રિયા એ પણ એક શક્તિનું જ રૂપ છે. સૂર્યનાં અનેક શક્તિસ્વરૂપો બતાવવા સાથે આ શક્તિનું રૂપ પણ બતાવવું જોઈએ એમ એ કાળના લોકોને લાગ્યું હશે. અને બીજું પણ તમને કહંુ. તમે જૈન છો, જૈનોનું વલણ હમેશાં એક પ્યુરીટનનું-શુદ્ધિવાદીનું હોય છે. પણ આ શુદ્ધિવાદી ઘણી વખત એકાંગી બની જાય છે. અને અમુક પ્રક્રિયાને ખરાબ માનીને તે આવા ઠેકાણે ન જ હોવું જોઈએ એમ વિચારે છે, અને એવું જ્યાં જુએ છે કે તરત જ ભડકી ઊઠે છે. પણ તમારે આમ એકાંગી ન બનવું જોઈએ.

આપણે ત્યાં પ્રજનનની પ્રક્રિયા પ્રત્યે બહુ જુગુપ્સાથી જોવામાં આવે છે અને તે એક રીતે ઠીક છે, પણ મારા દિલમાં પ્રજનનની પ્રક્રિયા સામે આવી કોઈ જુગુપ્સા નથી. જેનાથી હું ય અને તમે પેદા થયા, સંતો અને મહાત્મા પેદા થયા તેને હું એક પવિત્ર ક્રિયા માનું છું. તેના વિશે કેવળ જુગુપ્સાની દૃષ્ટિ મને ઉચિત લાગતી નથી. આ રીતે બધું જોશો તો તમને તેનું રહસ્ય સમજાશે.

પ્રશ્ન : આપ ‘ગીતગોવિંદ’ વિશે શું ધારો છો ?

ઉત્તર : ‘ગીતગોવિંદ’ મેં વાંચવા માંડેલું પણ થોડું ચાલ્યા પછી આગળ વધવાનું મને મન ન થયું. ગાંધીજી પણ ‘ગીતગોવિંદ’ વિશે મારા જેવા અભિપ્રાયો ધરાવતા હતા એવો મારો ખ્યાલ છે.

પ્રશ્ન : ભગવાન મહાવીર અને બુદ્ધ એ બંનેની સાધના અને વ્યક્તિત્વમાં આપને શું ફરક લાગે છે ?

ઉત્તર : ભગવાન બુદ્ધની સાધના વધારે વ્યાપક હતી, જ્યારે ભગવાન મહાવીરની સાધના વધારે ઊંડી હતી. મહાવીરે આટલું બધું તપ કર્યું તે પણ આ જ બાબત સાબિત કરે છે. ભગવાન બુદ્ધે તપ કર્યું પણ અમુક હદ સુધી જવા બાદ નિરર્થક લાગ્યું અને છોડી દીધું. એનો અર્થ એ થયો કે તેમના એટલા તપને પરિણામે જે મળ્યું તેથી સંતોષ થયો. મહાવીર વધારે જ્ઞાનપરાયણ હતા; બુદ્ધ વધારે કરુણાપરાયણ હતા. મહાવીર બાંધછોડમાં નહોતા માનતા. બુદ્ધ વધારે વ્યવહારલક્ષી હતા. સત્યના અંતિમ છેડા સુધી જવું એ મહાવીરનું લક્ષ હતું; અંતિમ સત્યોને લગતા પ્રશ્નોને તેઓ કદી ટાળતા નહોતા. બુદ્ધ અંતિમ સત્યોની મથામણમાં પડવા નહોતા માગતા. જો સંવાદી આચાર અને વ્યવહારનો માર્ગ પ્રાપ્ત થયો તો તે ઉપર ચાલવું અને બીજાઓને તેના પર ચાલવા કહેવું – આવી તેમની જીવનપદ્ધતિ હતી.

પ્રશ્ન : જેને આપણે ઈશ્વરસાક્ષાત્કાર કહીએ છીએ તે ખરેખર કોઈ નક્કર અનુભવ છે કે આપણા વ્યક્તિગત ખ્યાલનું વિસ્તરીકરણ, અંગ્રેજીમાં જેને થોટ પ્રોજેક્શન કહે છે, તે છે ?

ઉત્તર : (સામેના વિશાળ પ્રદેશ તરફ આંગળી કરીને તેમણે જણાવ્યું કે) આ તમે જે જુઓ છો – ખેતર, ઝાડ, પાન, આકાશ વગેરે તે વાસ્તવિક છે કે કાલ્પનિક અથવા તો તમે કહો છો તેમ તમારા પોતાના જ વિચારોનું વિસ્તરીકરણ છે ? એ જો વાસ્તવિક હોય તો પેલો અનુભવ પણ વાસ્તવિક શા માટે ન માનવો?

પ્રશ્ન : પણ કોઈને ઈશ્વર કૃષ્ણ રૂપે દેખાય, કોઈને ક્રાઈસ્ટ રૂપે દેખાય, કોઈને કાળી રૂપે દેખાય – આનો અર્થ એમ નહીં કે મનમાં જેનું ઊંડું રટણ હોય તે કહેવાતા સાક્ષાત્કાર પ્રસંગે તે રૂપે દેખાય છે. એટલે ઈશ્વરનું ખરું સ્વરૂપ આવું જ હોય એમ માનવાને કોઈ કારણ નથી. આ શંકાનો શી રીતે ખુલાસો કરવો ?

ઉત્તર : તમારે ઊલટું એ રીતે વિચારવું જોઈએ કે ઈશ્વરને આપણે જે રીતે વિચારીએ તે રૂપે આપણને દેખાય છે. કારણ કે ઈશ્વરમાં કોઈપણ રૂપે પ્રગટ થવાની શક્તિ છે.

પ્રશ્ન : મહંમદ પયગંબરની મહત્તા હજુ મારા મનમાં વસતી નથી. આપને તેમના વિશે ઊંડો આદર છે. તો મને તેમની મહત્તા સમજાવો !

ઉત્તર : આ આપણા આધુનિક શિક્ષણની ખામી છે. આપણે વર્ડઝવર્થ, હોમર, કીટસ, બાયરન, શેક્સપિયર વગેરેને જાણીએ છીએ. પણ મુસલમાનો આપણી વચ્ચે આઠસો વર્ષથી છે, છતાં આપણે તેમના ધર્મ વિશે અને તેમના પયગંબર વિશે અંગ્રેજોએ આપણને જે કાંઈ ભણાવ્યું તેથી કશું પણ વિશેષ જાણતા નથી.

મારા અભિપ્રાય પ્રમાણે આજના સામ્યવાદનું મૂળ બીજ મહંમદ-સાહેબના ઉપદેશમાં રહેલું છે. તે એવો પુરુષ પાક્યો કે જેણે કહ્યું કે વ્યાજ ન લેવાય. આ ઉપરાંત નાના-મોટા, રાય-રંક બધાનો ભેદ ભૂલવો જોઈએ. બધા એક સરખા છે. આ તત્ત્વ ઉપર તેમણે જેટલો ભાર મૂક્યો છે, એટલું જ નહીં, પણ તે પાયા પર ઇસ્લામની આખી રચના તેમણે જેવી કરી તેવી કોઈએ કરી નથી. (આ દરમિયાન બીજો કાંઈ અંતરાય આવવાથી આ પ્રશ્નની ચર્ચા અદ્ધર રહી.

પ્રશ્ન : પુનર્ભવના સિદ્ધાંત અંગે આપના શું વિચારો છે ? ખાસ કરીને કેદારનાથજીના આને લગતા વિચારોના અનુસંધાનમાં હું આ પ્રશ્ન કરું છું.

ઉત્તર : કેદારનાથજી આધ્યાત્મિક રેશનાલિસ્ટ-બુદ્ધિવાદી છે. તેમનું મુખ્ય લક્ષ માનવીય ગુણો કેળવીને માનવસમાજને કેમ સુખી કરવો તે છે. ઈશ્વર, આત્મા, પુનર્ભવ આ બધા પ્રશ્નો તેમને મન ગૌણ છે.

પ્રશ્ન : એમ છતાં ઈશ્વરના અસ્તીત્વને તેઓ સ્વીકારે છે. જૈનોને જેમ આત્મતત્ત્વ વિના ચાલી શકતું નથી તેમ તેમને ઈશ્વર વિના ચાલી શકતું નથી – આમ આપને નથી લાગતું ?

ઉત્તર : જૈનો માફક તેઓ આત્મતત્ત્વને સ્વીકારતા હોત તો ઈશ્વર તત્ત્વ વિના તેમને ચાલત. આત્મા પણ ન સ્વીકારે અને ઈશ્વર પણ ન સ્વીકારે તો તો પછી કેવળ ચાર્વાક દર્શન રહી જાય. એમ થાય તો માનવીજીવનનાં ઊંચાં મૂલ્યોની સ્થાપના અને પ્રતિષ્ઠા અશક્ય બની જાય. એવી સ્થિતિ કેદારનાથજી માટે કદી પણ સ્વીકાર્ય બની જ ન શકે.

(શ્રી પરમાનંદ કાપડિયા સાથેની વાતચીત)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2015; પૃ. 01-02 & 10

Loading

...102030...3,6743,6753,6763,677...3,6803,6903,700...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved