Opinion Magazine
Number of visits: 9552591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂંટનો માલ વ્યાજ સાથે પાછો આપો!

આશા બૂચ|Opinion - Opinion|5 November 2015

તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના યુનિયન દ્વારા એક ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે શશી થરૂર ત્રણ સંનિષ્ઠ વક્તાઓમાંના એક હતા. એ ચર્ચાસભાનો પ્રસ્તાવ હતો : ‘આ હાઉસ માને છે કે બ્રિટન ઉપર તેના ભૂતપૂર્વ શાસિત દેશોને તેમના પર રાજ્ય કરવા બદલ વળતર ચૂકવવાનું ઋણ બાકી છે.’

આ ચર્ચાસ્પદ મુદ્દાને લઈને શશી થરૂરે જે વિગતો રજૂ કરી તેનાથી વિચાર વમળો ઉઠ્યાં અને આધુનિક પ્રસાર માધ્યમો દ્વારા તેના પર તેની તરફેણ અને વિરુદ્ધમાં ગરમાગરમ ચર્ચાઓ થઈ. પ્રસ્તાવમાં બ્રિટનના તમામ ભૂતપૂર્વ શાસિત દેશોને વળતર ચુકવવાની વાત હતી, જ્યારે સ્વાભાવિક છે કે શશી થરૂરને ભારતનો કેઈસ રજૂ કરવાનું સોંપવામાં આવ્યું હશે. અહીં જે આર્થિક, રાજકીય અને સામાજિક દશા ભારતની થઈ તેવી જ બીજા દેશોની થઈ, એ હકીકત સ્વીકાર્ય ગણીને જ આગળ વધી શકાય. વળી, અહીં માત્ર નાણાકીય વળતરની જ ચર્ચા છે, અન્ય ગુણાત્મક પાસાંઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, જેના વિષે મારા વિચારો વ્યક્ત કરવા માગું છું.

આપણે જાણીએ છીએ કે બ્રિટિશ શાસનની શરુઆતમાં વિશ્વની અર્થ વ્યવસ્થામાં ભારતનો ફાળો 23% હતો, જે ખાસ ઊંચો ન ગણાય, પણ સાવ નગણ્ય પણ નહોતો, જે એ શાસનના અંત ભાગે 4%થી ય ઓછા આંક પર આવી ગયેલો. તો એ માટે બ્રિટન અત્યારે ભારતને ગુમાવી પડેલ પ્રગતિ આંક માટે દેવું ભરપાઈ કરે તેવી માંગણી થઈ રહી છે. એ જાહેર હકીકત છે કે બ્રિટનના રાજ્યકર્તાઓ અને ઉચ્ચ હોદ્દેદારોના મસ મોટા પગાર, અન્ય ભથ્થાં અને અતિ ખર્ચાળ જીવન પદ્ધતિ પોષવા ભારતની આમ જનતા તૂટી મરેલી. જાહેર છે કે બ્રિટનની 200 વર્ષની ચડતી ભારતની આર્થિક, રાજકીય અને સાંસ્કૃિતક પડતી ઉપર ચણાયેલી હતી.

ભારતનો 19મી અને 20મી સદીનો ઇતિહાસ જાણનાર સહુ કહેશે કે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ ભારતના ગૃહોદ્યોગ અને ગ્રામોદ્યોગના ભંગાર પર વિકસેલી. ભારતના ઉત્પાદકો અને વેપારીઓએ  કાચા માલની નિકાસ પર નિકાસ વેરો અને બ્રિટનમાં મશીનોમાં પેદા થયેલ તૈયાર માલ ખરીદવા બદલ આયાત વેરો ભરીને બે બાજુથી માર ખાધેલો. ઢાકાનું મલમલ વણનાર વણકરોના અંગૂઠા જ માત્ર નહીં, ભારતના સમગ્ર અર્થતંત્રના કાંડા કપાયેલા. બ્રિટિશ રાજની આવી અર્થનીતિને  કારણે સર્વોદય વિચારધારા પ્રત્યે અંધાપો આવ્યો અને કેન્દ્રીય ઉદ્યોગો અને વેપાર વ્યવસ્થાની મોહિની છવાઈ ગયેલી.

કોઈ પણ ગુલામ દેશની પ્રજા વિનિપાતના માર્ગે જ ધકેલાય તેનો ઇતિહાસ સાક્ષી છે. કાપડ ઉદ્યોગના પડી ભાંગવા સાથે ભારતના હાથે કાંતનારા અને વણકરો પોતાના જ દેશમાં ભિખારી બન્યા અને રેશમ તથા મલમલ વણનારા અપંગ બન્યા એ તરફ શશી થરૂરે ધ્યાન દોર્યું એ વ્યાજબી છે. ઈ.સ. 1943માં 4 મીલિયન બંગાળી સ્ત્રી-પુરુષ-બાળકો ભૂખમરાથી માર્યા ગયા. કારણ? વિન્સ્ટન ચર્ચીલે અનાજનો જથ્થો ભૂખ્યા બંગાળી પ્રજાજનોને આપવાને બદલે જેની પાસે પૂરતો અનાજનો પુરવઠો હતો તેવા બ્રિટિશ લશ્કર તરફ રવાના કરવાનો આદેશ આપેલો. એની દલીલ કેવી બેદર્દ હતી? “આમ થાય તો અર્ધભૂખ્યા બંગાળીઓ ભૂખે મરે તેના કરતાં તંદુરસ્ત ગ્રીક જવાનોને ઓછું પોષણ મળે તે વધુ ગંભીર બીના છે.” જયારે કેટલાક નીતિવાન ઓફિસરોએ ચર્ચિલના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવ્યું તે જણાવતા તાર કર્યા ત્યારે તેણે ટાઢે પેટે પૂછેલું, “હજી ગાંધી કેમ મર્યો નથી?”

એ ખરું છે કે બ્રિટિશ રાજ ભારતની પ્રજાના કલ્યાણ અર્થે છે એમ કહેવામાં આવતું હતું, જ્યારે હકીકત એ છે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા, તેનો પગદંડો જમાવવા, તેને ગુમાવી ન બેસવા અને છેવટ ન છૂટકે છોડવાના તમામ પગલે અનેક લડાઈઓ થઈ, છેતરપીંડી કરવામાં આવી, ભાગલા પાડો અને શાસન કરોની નીતિને કારણે દેશ છિન્ન વિછિન્ન થઈ ગયો, સ્વાતંત્ર્યની માગ કરનાર નિ:શસ્ત્રોને તોપના ગોળે કે મશીનગનથી વીંધી નખાયા, એ બધું જ થયું કેમ કે ભારતની પ્રજા ક્યારે ય બ્રિટનની નાગરિક નહોતી, એ માત્ર તેમના તાબા હેઠળ બ્રિટનના રાજાની રંક પ્રજા હતી. બ્રિટિશ શાસન કાળ દરમ્યાન એવો દાવો પણ કરાતો હતો કે રેલવે ભારતની પ્રજાના લાભ માટે બાંધવામાં આવી છે, પણ સાચું તો એ હતું કે બ્રિટિશ ઓફિસરો અને લશ્કરને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા અને ભારતનો કાચો માલ દરિયાયી બંદરે લઈ જવા અને બ્રિટનથી મોકલેલ પાકો માલ દેશના ગામે ગામ પહોંચાડવા તેનો મુખ્ય ઉપયોગ થતો. દુનિયાના બીજા દેશોએ ગુલામ બન્યા વિના રેલવે બાંધી જ હતી ને? ભારતીય જનતાની કાળી મહેનતને અંતે તેમની પાસેથી  ઉઘરાવેલ કરવેરાથી બ્રિટિશ શેરહોલ્ડરોના ખિસ્સાં તરબતર થયેલા એ આપણે ક્યાં નથી જાણતાં?

વિદેશી શાસન દરમ્યાન ભારતનો શતમુખ વિનિપાત સર્જાયો એ બરાબર જાણીએ છીએ. વાઈસરોયથી માંડીને લશ્કરના વડાઓ અને વેપાર ઉદ્યોગના સાધનો બ્રિટનથી લવાયા. ટેકનોલોજી શાસનકર્તાઓએ પોતાના અંકુશમાં રાખી, નામની મજૂરી આપીને અઢળક માલ પેદા કરી વેંચ્યો, લખલૂટ નફો કર્યો અને એ બધી મિલકત ઉસેડીને બ્રિટન ભેળી કરી એ વાતનો ઇનકાર થાય તેમ નથી. એ ખરેખરતો Private (British) enterprise at public (Indian) riskનો ખેલ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ  આફ્રિકાના સૈનિકોની સંખ્યાના સરવાળા કરતાં વધુ ભારતીય જવાનો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા. જો કે આંતરરાષ્ટ્રીય સમજુતી પ્રમાણે એ નુકસાની પેટે 12 મીલિયન ડોલર ચૂકવાયા છે. પણ બીજા વિશ્વયુદ્ધમાં અઢી મીલિયન ભારતીય સૈનિકો લડ્યા, જેનું દેવું 1.25 બિલિયન ડોલર થવા જાય છે જે હજુ ભરપાઈ નથી થયું. શશી થરૂર કદાચ એકે એક પાઈ ભરપાઈ કરવાની માંગણી કરે તેવા નથી એટલે “વરસે 1 પાઉન્ડ લેખે બસો વર્ષ સુધી કરજ ચૂકવી આપો તો ય ઘણું।” એમ કહીને વિરમ્યા.

આ વક્તવ્ય સાંભળ્યા પછી થયું, સારું થયુંને આપણે હવે સાવ સ્વતંત્ર થઈ ગયા? હવે આમાંની એકે ય પરિસ્થિતિનો ભારતની પ્રજાને સામનો નથી કરવો પડતો એ હરખની વાત છે. મારી નજર છેલ્લા 65 વર્ષના પ્રગતિ અને વિકાસ પર પડી. સ્વતંત્ર થયા પછી ‘પોતાના’ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી માંડીને નાનામાં નાના મામલતદાર સુધીના તમામ સરકારી અધિકારીઓ પણ એવા જ દમામ સાથે રહે છે અને પ્રજા હજુ પણ તેના ભાર નીચે કચડાયેલી રહે છે એ હકીકત પીડાકારક છે. એનો અર્થ એ કે આપણે ધોળા હાથીને બદલે ઘઉં વર્ણા હાથીને આપણા શાસનની ધુરા સોંપી? આ તો વ્યક્તિ શોષણ કરે છે, શાસન નહીં એવું પુરવાર થયું.

બ્રિટિશ રાજ દરમ્યાન થયેલ વેપાર-ધંધાની પડતી માટે કાગારોળ કરીએ છીએ પણ સવાલ એ થાય છે કે બ્રિટન તો કદાચ અમુક કરોડ પાઉન્ડ એ ખોટના બદલામાં ચૂકવીને છૂટી જશે, પણ સ્વતંત્ર ભારતના નાગરિકોની ચૂંટેલી સરકારોની મુક્ત બજારની નીતિને પરિણામે અને દુનિયાની પ્રથમ નંબરની અર્થવ્યવસ્થા થવાની લાલચને કારણે જે દરે મોટા અને ભારે ઉદ્યોગો સ્થપાય છે, જે રીતે કૃષિ ઉદ્યોગ હાંસિયામાં ધકેલાય છે, જે ગતિથી આયાત-નિકાસનું પલ્લું આપણી વિરુદ્ધ નમતું જાય છે અને જે ઝડપથી તમામ લઘુમતી કોમ પોતાની જીવન પદ્ધતિને મૂડીવાદના વમળમાં અદ્રશ્ય થતી ભાળે છે એ જોતાં લાગે છે કે જાણે આપણે બ્રિટિશ સરકારે શરુ કરેલ શોષણ પૂરું કરીને ઝંપીશું. ત્યારે કોની પાસે વળતર માગવા જઈશું?

ભારતીય પ્રજાજનોએ ગુલામી દશાને પરિણામે જે યાતના સહન કરવી પડેલી તે અમાનુષી હતું તેમ કહેતાં આપણે અચકાતાં નથી, પરંતુ શશીજીના આ મુદ્દા પર વધુ વિચાર કરતાં મને થયું, ક્યાંક આજની સરકાર પણ અવાજ વિહોણાં આદિવાસીઓ, સ્ત્રીઓ, અન્ય લઘુમતી કોમના લોકોની અવગણના કરીને તગડા ઉચ્ચ મધ્યમ અને મધ્યમ વર્ગના લોકોને વધુ સમૃદ્ધ કરવા બધા કુદરતી અને માનવ સ્રોત એમના તરફ રવાના તો નથી કરતાને? માનવ સર્જિત ભૂખમરા માટે બ્રિટનની હાલની સરકાર કદાચ ‘અમને માફ કરો’ એમ કહીને પ્રાયશ્ચિત કરી લેશે, આપણી પ્રજા કોની પાસે વળતર માગશે, પ્રાયશ્ચિત કરાવશે? બ્રિટિશ રાજની રેલવે તેમના લશ્કરી અને વહીવટી અમલદારોના લાભમાં બંધાઈ તો આજના ‘સ્માર્ટ સીટી’, શોપિંગ મોલ, વિશાળ રસ્તાઓ, સરદાર નગર, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન વગેરે શું ‘સ્વતંત્ર ભારત’ની આમ જનતાના હિતને લક્ષમાં લઈને બાંધવામાં આવે છે? બ્રિટને ભારતનું આર્થિક માળખું આપણી કુદરતી અને માનવ શક્તિને ચૂસી ચૂસીને ખોખલું કરી નાખ્યું તેમ બૂમ પાડી પાડીને કહેવામાં વાંધો નથી, પણ આજે જે રીતે વિદેશી કંપનીઓને પોતાને ખોળે બેસાડીને વેપાર-ઉદ્યોગોને વિકાસના નામે ગીરવે મુકવામાં આવે છે એ જોતાં આપણું જ માનવ ધન થોડાં વર્ષોમાં આધુનિક ગુલામીના ચક્રમાં ફસાઈ જશે ત્યારે તેમને કોણ વળતર આપશે?

એક બાબતમાં ભારતીય શાસને બ્રિટિશ રાજને હરાવ્યું છે અને તે કોમી એખલાસના મુદ્દે. બ્રિટનને તો પોતાનું રાજ અક્ષુણ રાખવા માટે ભાગલા પાડીને વિખવાદ ઊભો કરવાની પવિત્ર ફરજ હતી અને છેવટ સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારે હું મરું પણ તને રાંડ કરું એ ન્યાયે દેશના ભાગલા એવી રીતે કર્યા કે હવે ભારત-પાકિસ્તાન રૂપી બે બિલાડીઓ જીવશે ત્યાં સુધી લડ્યા કરશે અને બ્રિટન, અમેરિકા, રશિયા જેવા દેશો એમને શસ્ત્રો પૂરાં પાડીને ઝઘડતા દેશોને થતા નુકસાન થકી પોતે રોટલાનો મોટો ટુકડો લઈને લાભ મેળવતા રહેશે. પણ ભારતની સરકાર વિદેશી સરકાર કરતાં પણ એક ડગલું આગળ વધી. માત્ર હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય હોય તેટલાથી સંતોષ ન થતાં આદિવાસી, અવર્ણ-સવર્ણ, ગરીબ-તવંગર અને સ્ત્રી-પુરુષ વચ્ચે પણ અસમાનતાની ઊંડી ખાઈ રચીને પોતાની જ પ્રજાને વિભાજીત કરી. બ્રિટન તો કદાચ ‘ભૂતકાળમાં બ્રિટિશ શાસન દ્વારા આચરવામાં આવેલ અત્યાચારો એક શરમ જનક બીના હતી’ એવું કહીને પોતાનો ડાઘ છુપાવવાની કોશિશ પણ કરશે, પણ આપણે આપણા જ દેશ બાંધવોને આવી વિભાજક, વિનાશક અને આક્રમક આર્થિક અને આંતરિક નીતિને કારણે ઊભી થતી અસમાનતા માટે શું જવાબ આપશું? આપણે ચેતી જવું રહ્યું.

વિદેશી શાસનના કેટલાક આડકતરા પરિણામો આવ્યાં, જેમ કે ભારતીય ભાષાઓ અણમાનીતી રાણી જેવી ગણાવા લાગી છે, આપણાં વિજ્ઞાન, કાર્ય કૌશલ્ય અને ડહાપણ વિષે શંકા થવા માંડી છે, આપણી સંસ્કૃિતની ઉપજ સમાં અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન વિસ્મૃિતની ગર્તામાં ધકેલાવા લાગ્યા છે, ‘તેન ત્યક્તેન ભુંજીથા:’ જેવા સનાતન મૂલ્યને ભૂલીને ‘પૈસો મારો પરમેશ્વર’ એવા વરવા પૂંજીવાદ પાછળ ભાન ભૂલીને દોડવા માંડ્યા છીએ અને ભારતીય અસ્મિતા જોખમાઈ રહી છે તો એ બધાનું વળતર શું નાણામાં કોઈ ચૂકવી શકશે?

બ્રિટનની શાળાઓમાં સામ્રાજ્યનો ઇતિહાસ ભણાવાય અને તમામ હકીકતો તટસ્થતાથી શીખવવામાં આવે તે એમને માટે એક ગૌરવ પદ પગલું ભર્યું કહેવાશે અને એ માટે ભારત બ્રિટનની સરકારને ભલામણ કરી શકે. એ જ રીતે ભારત સાથે માત્ર વેપારી કરારો નહીં પણ સાંસ્કૃિતક આદાન-પ્રદાન કરવા બ્રિટન આગળ આવે તો એ પણ સરાહનીય ગણાશે. સામે પક્ષે ભારતની આજની પેઢીએ દેશના લુંટાયેલ નાણાં માત્ર નહીં, પણ બુદ્ધિધન, વિચાર શક્તિ અને અસ્મિતાને આપ બળે પછી મેળવી લેવાની છે. એ માટે ગુલામી માનસને તિલાંજલિ આપી સ્વાભિમાન કેળવીને ઉત્તમ નાગરિક તરીકે ફરજ બજાવતા થઈશું તો કરોડો કે અબજો રૂપિયાના વળતરથી અનેક ગણું મૂલ્યવાન ધન ધરાવનાર, દુનિયાને માર્ગ બતાવનાર આદર્શ દેશ બની શકશે.

અહીં ગાંધીજીનું અવતરણ ટાંકીને પૂર્ણ વિરામ મુકીશ:

“મારું સ્વરાજ આપણી સંસ્કૃતિનો આત્મા અમર રાખવામાં રહેલું છે. પશ્ચિમની પાસેથી લીધેલી વસ્તુ ઘટતા વ્યાજ સાથે હું પછી વળી શકીશ ત્યારે પશ્ચિમની પાસેથી કરજ લેતાં હું નહીં અચકાઉં।”

e.mail : 71abuch@gmail.com

Loading

ગાંધીજનોનું જાહેર નિવેદન

......., રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|4 November 2015

શાંતિ અને સદ્દભાવ જ સૌથી મોટો વિકાસ છે

આપણે આની પહેલાંની વાતો ભૂલી જઈએ તો પણ રાજધાની દિલ્હીની નજીક દાદરી ગામમાં ૨૯મી સપ્ટેમ્બરે મોહમ્મદ અખલાકની હત્યાથી લઈને ૧૧મી ઑક્ટોબરે હિમાચલ પ્રદેશમાં નોમન અખ્તરની હત્યાથી જે ઝેર ફેલાઈ રહ્યું છે, તેનાથી અમે ઘણા વ્યથિત અને શરમિંદા છીએ. અને આ આગમાં જે રીતે વડાપ્રધાન તેમની સરકાર અને તેમનો પક્ષ જ ઘી પૂરી રહ્યા છે, તે કંઈક અપશુકન જેવું લાગે છે. મુંબઈમાં સુધીન્દ્ર કુલકર્ણીના મોં પર લગાડાયેલી કાળી શાહી ફેલાતી-ફેલાતી કાશ્મીર સુધી પહોંચી છે અને અંધારું ઘેરાઈ રહ્યું છે. અમે પૂરી જવાબદારી સાથે કહેવા માંગીએ છીએ કે આ ઘટનાઓ અફવાઓથી ગુસ્સે ભરાયેલા ટોળાના ગાંડપણને કારણે નથી ઘટી, પણ એની પાછળ દેશનું સાંપ્રદાયિક વાતાવરણ ડહોળવાના યોજનાબદ્ધ પ્રયાસો કામ કરી રહ્યા છે. આ બધાના કારણે દેશમાં એવું વાતાવરણ ઊભરતું દેખાય છે, જેનાં કાનૂન, બંધારણ અને એનાથી ઉપર ભારતીય સમાજની સમન્વયકારી સંસ્કૃિત પર સતત ઘા પડી રહ્યા છે.

અમે જાણીએ છીએ કે પહેલાં પણ બીજી સરકાર, પોલીસવ્યવસ્થા વગેરે પોતાના કર્તવ્યપાલનમાં નિષ્ફળ જતી હતી અને સમાજનો સાંપ્રદાયિક સદ્દભાવ તૂટતો રહ્યો હતો. પણ આજે આપણે ચિંતા અને આશંકાથી જોઈ રહ્યા છીએ, તે તો એવું વાતાવરણ છે, જેમાં લઘુમતીઓને સતત અસલામતી તરફ ધકેલવામાં આવી રહી છે અને આ વાતાવરણ વિશે લોકોને સાવચેત કરતા લેખકો બુદ્ધિજીવીઓને મારવાનો અને અપમાનિત કરવાનો ક્રમ ચલાવાઈ રહ્યો છે. લેખકો અને કલાકારોએ સરકારી સન્માન-પુરસ્કાર પરત કરવાનું શરૂ કર્યું છે, તે અસહમતિ બતાવવાની તેમની રચનાત્મક કોશિશ છે. તેમની લાગણીને માન આપવાના બદલે, તેમની વ્યથા સમજવાના બદલે તેમની મશ્કરી કરવામાં આવી રહી છે અને તેમના પર બદઇરાદાનો આક્ષેપ મુકાઈ રહ્યો છે. અમે કેન્દ્ર સરકારને સાવચેત કરીએ છીએ કે તેના આશય પર દેશભરમાં ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. સરકાર આ સમસ્યાને અવગણશે તો તેને ખુદને તેમ જ શબ્દ અને સમાજને પણ ઘણું સહન કરવું પડશે. અમારી ચિંતા પક્ષ કે સરકાર કરતાં ભારતીય સમાજની એ સંરચના વિષે છે જે આ રાષ્ટ્રનો આત્મા છે, અને જેની સાથે અમે કોઈને છેડછાડ કરવા દઈશું નહીં.

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમમાંથી સરકાર શું બોધપાઠ લે છે અને અમારી ચેતવણીનો શું જવાબ આપે છે, તેના પર અમારી અને પૂરા દેશની નજર રહેશે. ગાંધીવાદી પરિવારના પ્રતિનિધિ તરીકે અમે એ સૌની માફી માંગીએ છીએ, જેમના ઘર-પરિવારને નુકસાન થયું છે. અમે સૌ ભારતીયોને કહેવા માગીએ છીએ કે આજે શાંતિ અને સદ્દભાવ જ સૌથી મોટો અને અમૂલ્ય વિકાસ છે.

ગોપીનાથ નાયર, અધ્યક્ષ                     કુમાર પ્રશાંત, અધ્યક્ષ

રામચંદ્ર રાહી, સચિવ                           અનુપમ મિશ્ર, સંપાદક ‘ગાંધીમાર્ગ’

(ગાંધી સ્મારક નિધિ)                           (ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 05 

Loading

‘નિરીક્ષક’ની ભૂમિકા

તંત્રી [પ્ર.ન.શા.]|Opinion - Opinion|4 November 2015

સ્વાયત્તતાએ ભરેલો અને ભારેલો આ અંક પ્રેસમાં જાઉં જાઉં છે અને દેશના ચુનંદા વૈજ્ઞાનિકો અને એવા જ નામી ફિલ્મકારોનાં નિવેદન આવે છે કે દેશમાં વૈજ્ઞાનિક અભિગમ અને વિવેકશૂન્યતા તેમ અસહિષ્ણુતાનો જે માહોલ જામ્યો છે તેની સામે અમે વિરોધલાગણી નોંધાવીએ છીએ. પચાસ ઇતિહાસકારોએ વાતાવરણને વિષાક્ત કરતા ઘટનાક્રમ વિશે વડાપ્રધાનના મૌન બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ નિવેદનકારો પૈકી સંખ્યાબંધે પોતાનાં માનસન્માન પાછાં વાળ્યાં છે. લાગે છે, દેશમાં એક નવી હવા બની રહી છે. બને કે અસંમતિના આ અવાજો કોઈક નવા વિમર્શ વાસ્તે સમો બાંધી રહે. આ નવો (અગર તો સહજક્રમે હોવો જોઈતો) વિમર્શ કોઈ ડોગ્મેટિક અને ડોક્ટ્રિનેર કહેતાં મતાંધ મૂઢાગ્રહને ધોરણે અલબત્ત ન જ હોય. પણ માનવ મૂલ્યોથી પ્રેરિત સમુદાર લોકશાહીની એની ચાલના અલબત્ત હોય જ હોય.

એપ્રિલ ૨૦૧૫માં સરકારનિયુક્ત અકાદમી આવી અને સમાનધર્મા મિત્રોના સહયોગપૂર્વક ‘નિરીક્ષક’ સ્વાયત્તતા આંદોલન સાથે સંકળાયું એમાં કશું નવાઈ પમાડનારું સ્વાભાવિક જ નહોતું, કેમ કે એપ્રિલ ૧૯૯૨માં તંત્રીપદ સંભાળવાનું બન્યું ત્યારથી જે અભિગમ રહ્યો છે એનું એમાં સાતત્ય છે. બલકે, ‘નિરીક્ષક’ના આદ્ય અવતારનું દાયિત્વ નિર્વહણ કરનાર પ્રકાશ પબ્લિકેશન્સના સ્થાપક અધ્યક્ષ ઉમાશંકર જોશી અને પચીસ કરતાં વધુ વરસ પર સ્થપાયેલ નિરીક્ષક ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાતમાં સ્વાયત્ત અકાદમી આંદોલનના અગ્રયાયી રહ્યા છે તે અર્થમાં વર્તમાન તંત્રીનું ચોક્કસ ઉત્તરદાયિત્વ પણ બને છે.

ભિન્નમત નિઃસંકોચ છાપતે છતે છેલ્લા છ મહિનામાં આપણે જે નાનાવિધ સામગ્રી જોગવતા રહ્યા છીએ તેના પરથી તાજેતરનાં વરસોમાં જોડાયેલા વાચકવર્ગને પણ ખયાલ આવ્યો જ હોય કે પરબારી અધ્યક્ષનિયુક્તિને કારણે જાગેલી વ્યાપક પ્રતિક્રિયા છતાં આ કોઈ નવું આંદોલન છે એમ નથી. ૧૯૯૩થી ૨૦૦૩ સુધી અનુક્રમે દર્શક-યશવન્ત શુક્લ અને ભોળાભાઈ પટેલ-કુમારપાળ દેસાઈના નેતૃત્વમાં કાર્યરત અકાદમીને સુષુપ્ત ને મૂર્છિતવત્ કરવાનો દોર ચાલુ થયો તે દરેક તબક્કે અને વળાંકે ‘નિરીક્ષક’ તરફથી ધ્યાન દોરાતું રહ્યું છે. અલબત્ત, છૂટાછવાયા અવાજો છતાં વ્યાપક વિરોધને ધોરણે ઉદ્યુક્ત ને ગઠિત થવાનું ધાર્યું બન્યું નહોતું એ સાચું છે. કદાચ, પેલી કહેતી માંહેલા ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી પરબારી નિયુક્તિની પ્રતીક્ષા હશે? જો કે, છેલ્લી ચૂંટાયેલી અકાદમીના નેતૃત્વ અને સભ્યમંડળીની સક્રિયતા સુષુપ્તિકાળ સામે ઓછી પડી એટલું જ નહીં પણ એક પા મૂર્છિત અકાદમી અને બીજી પા સપ્રાણ સન્માન સ્વીકારનો સિલસિલો જારી રહ્યો તેણે ૨૦૧૫ના સરેઆમ સરકારીકરણનો પથ પ્રશસ્ત કર્યો એમ કહેવામાં વાસ્તવકથન માત્ર છે.

દેશમાં ‘ગુજરાત મોડલ’ની ગાજવીજ જાણીતી છે. જો આપણી અકાદમી સાથે ય એવો કોઈ મોડલ વહેવાર થયો હોય અને આગળ ચાલતાં દેશની અકાદેમી સાથે પણ ગુજરાત વેધશાળાની સર્ટિફાઇડ શૈલીએ તેમ જ થવાનું હોય તો અહીં લડત આપવાનું મહત્ત્વ ખાસું વધી જાય છે.

લાગે છે, ગુજરાતનો સાહિત્યસમાજ આના સમ્યક્ અંદાજ (અને એમાંથી ફલિત થતી જવાબદારી) બાબતે કંઈક ઊંઘતો ઝડપાયો છે. આંદોલન ચાલ્યું અને સાહિત્ય પરિષદનો ૨૦૦૭નો નારાયણ દેસાઈની નિશ્રાપ્રાપ્ત ઠરાવ કંઈક જાગવા લાગ્યો. પણ બીજા કેટલાક સન્માન્ય સુહૃદોને સારુ આ જાગૃતિ જાણે કે વાયા કલબુર્ગી (અને વિશ્વનાથ તિવારી) આવવાને નિરમાયેલ હતી. તે પણ સ્વાગતાર્હ જ હોય અને એનું રાષ્ટ્રીય સંધાન છેક પીઈએન ઇન્ટરનેશનલ લગી આખી વાતને લઈ ગયું એનોયે સમાદર જ હોય. ૧૬ ઑક્ટોબરના અંકમાં ‘નિરીક્ષક’તંત્રીએ અગ્રસ્થાનેથી અલબત્ત આ પ્રશ્ને ઘટતો ઊહાપોહ કર્યો જ હતો.

કેન્દ્રીય અકાદેમીની કારોબારીએ તાકીદની બેઠકમાં કરેલા ઠરાવનો મહત્ત્વનો અંશ આ અંકમાં પ્રકાશિત કર્યો છે, અને તે સ્વયંસ્પષ્ટ છે. જે લેખકોએ પોતાનાં ઍવોર્ડ પરત કરીને અકાદેમીને જગાડવા ચાહ્યું હતું એ સૌને કારોબારીએ હવે એમના ઍવોર્ડ પાછા વાળવા બાબતે ખમૈયા કરવા કહ્યું છે અને પુનઃ સ્વીકાર સારુ અરજ કરી છે એમાં કંઈક પથસંસ્કરણનો સંકેત અવશ્ય પડેલો છે. ઘરઆંગણે ગુજરાતમાં ગણેશ દેવીએ એ સંદર્ભમાં વિધાયક અભિગમ પ્રગટ કર્યો છે એમાં ઔચિત્ય પણ છે. અનિલ જોશી આવા કોઈ પુનર્વિચાર માટે તૈયાર નથી તેમ એમના પ્રગટ પ્રતિભાવ પરથી જણાય છે. સર્જકના મિજાજનો આદર જ હોય. માત્ર, એવી અપેક્ષા અવશ્ય રહે કે એમનો આ જોસ્સો દિલ્હીમાં આવતીકાલે શું થઈ શકે એના ગાંધીનગર ગીની પીગની ય લગરીક દાઝ જાણે.

અનિલ જોશીની એક ચિંતા એ વાતે છે કે આ બધું રઘુવીર ચૌધરીને સાઈડલાઈન કરવા વાસ્તે છે. લાંબા સમયથી ગુજરાતના સાહિત્યિક જાહેર જીવનમાં રઘુવીરભાઈની જે હાજરી છે એ જોતાં આવાં સામસામાં અવલોકનોને અવકાશ રહેવાનો, જેમ કે પરિષદ પ્રમુખના પદાધિકારને લગતી ચર્ચા રમેશ બી. શાહ છેડે ત્યારે એમને ભાગે ય એવો ગણગણાટ આવે કે એ કેમ જાણે કશુંક રઘુવીર તરફે કરી રહ્યા છે. વસ્તુતઃ સ્વાયત્તતા સબબ બે વાત સાફ છે. એના ઠરાવમાં દરેક મોડ પર રઘુવીર યથાસંભવ સહભાગી, અગ્રભાગી રહ્યા છે. એટલી જ સાફ વાત બીજી એ છે કે આંદોલનથી હમણાં સુધી તો એ કિનારો કરતા રહ્યા છે. મુદ્દે, જ્યાં સુધી ગુજરાતી સાહિત્યસમાજના સાર્વજનિક જીવનનો સવાલ છે, આજે આપણે એક એવા નિર્ણાયક માંચી મુકામે અને વળાંકબિંદુએ ઊભા છીએ જ્યારે તમે સ્વાયત્તતા આંદોલનની સાથે છો કે પ્રત્યક્ષ અગર પરોક્ષ સામે છો એના પરથી મારુંતમારું સૌનું માપ મળી રહેશે.

નેવું નાબાદ નિરંજન ભગત આજે એકાણુમે જે રીતે મેરુદંડપૂર્વક ઊભા છે તે સ્વતઃ એક પ્રતિમાન છે. જતાઆવતા બંને પ્રમુખોની સ્વાયત્તતા માટેની પ્રતિબદ્ધતા, તેઓ પોતપોતાની ગજાસંપત ને શક્તિમર્યાદા સાથે, આ મુદ્દે ઉમાશંકર-દર્શકની પરંપરામાં પરિષદની પાટે આવ્યાની સાહેદીરૂપ છે. ૧૯૫૫માં ગોવર્ધનરામની શતાબ્દી વખતે ઉમાશંકર જોશી, જયન્તિ દલાલ, ભોગીલાલ ગાંધી વગેરેએ વિરોધ પોકાર્યો અને પરિષદ એકાધિકાર આજ્ઞાંકિતા મટી સહભાગી સખીકૃત્યની લોકશાહી ભૂમિકાએ આવી. એવી જ એક ઘડી આપણા સાહિત્યસમાજના સાર્વજનિક જીવનમાં આજે બરાબર સાઠે વરસે આવી છે. અલગ અલગ સ્તરે હર સત્તા-પ્રતિષ્ઠાન સામે સ્વાયત્તતાનાં બળો જાગી ઊઠ્યાં છે, જેમ ત્યારે ક.મા. મુનશી સામે અવાજ ઊઠ્યો હતો.

સાહિત્ય પરિષદના પ્રમુખપદની મર્યાદા ચીંધતી રમેશભાઈની રજૂઆતમાં દમ છતાં સંમેલનની અધ્યક્ષતાને વળોટીને અર્થઘટન અને રુલિંગને ધોરણે તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. તે આપણે ધીરુ પરીખના વર્તમાન કાર્યકાળમાં જોયું છે અને મતદારોએ ચંદ્રકાન્ત ટોપીવાળાને ય તેઓ પોતીકી રીતેભાતે સ્વાયત્તતાના સંગોપન-સંબંધની દિશામાં આગળ વધતા રહે તે માટે નિર્ણાયક આદેશ આપ્યો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદે સ્વાયત્તતાના મુદ્દે, હવે તો બિનસ્વાયત્ત અકાદમીનો અસહકાર પોકારવાની ભૂમિકા લીધી છે. કારોબારી અને મધ્યસ્થ સમિતિએ ધીરુ પરીખ અને નિરંજન ભગતને સોંપેલી સત્તાનુસાર સરકાર સાથે વિનયવિષ્ટિ અનુત્તર રહ્યા પછીનો આ નિર્ણય છે. પરિષદ અને અકાદમી બેઉમાં એક સાથે સત્તાભોગવટો કરી રહેલાં સન્માન્ય સુહૃદો માટે આ નિર્ણયની ઘડી છે. કદાચ, જે કોઈક જ પળ માટે અંતરાત્માનું હોવું સાર્થક લેખાય તેવી આ એક પળ છે. એપ્રિલથી ઑક્ટોબર લગીના છએક માસના ગાળામાં એમને જો ચિત્ર સાક્ષાત ન થયું હોય તો શું કહેવું. થોભો અને રાહ જુઓ.

ગુજરાત સરકારે પોતે કોઈ લોકશાહી રાહે ઉત્તરદાયી સરકાર છે એ ધોરણે આ પ્રશ્ને તમા રાખવાપણું જોયું નથી. સુણ્યુઅણસુણ્યું કરવું અને ધાર્યું ધૂણવું એ એનો રવૈયો જણાય છે. કેન્દ્રીય અકાદેમીની પ્રાતિનિધિકતાથી આગળ જઈ ગુજરાતમાં આપણે લેખકોની કૉન્સ્ટિટ્યુઅન્સીનું એક વિશેષ પરિમાણ વિકસાવ્યું હતું. એની કદર ન તો સરકારને છે, ન તો એક મોટા અક્ષરકર્મી સમુદાયને.

જેમણે પણ અવાજ ઉઠાવ્યો એનું બ્રાન્ડિંગ અનવરત જારી છે. ભાજપ વિ. કૉંગ્રેસથી માંડી ડાબાજમણી ખાનાખતવણી ચાલુ છે. પ્રાયોજિત અને વિનિર્મિત (મેન્યુફેક્ચર્ડ) વિરોધરૂપે જેટલીએ એનું અવમૂલ્યન કરતાં સંકોચ કર્યો નથી. ભાઈ, સવાલ લોકતાંત્રિક અગ્રચરણ અને સમુદાર માનવ મૂલ્યોનો છે. લેફ્ટરાઈટ તો લશ્કર કરે. અહીં તો નાગરિકની મૂલ્યોત્થ વકટલેંડનો મામલો છે. ‘નિરીક્ષક’નું કહેવું તો એટલું જ છે કે અક્ષરકર્મીઓ લગરીક પણ નાગરિક બને તો લખ્યું પ્રમાણ, લડ્યું પ્રમાણ.

તા.ક.

પેજ પ્રૂફ અને બટર તબક્કા વચ્ચેના નાજુકનિર્ણાયક સંધિકાળે સાહિત્ય પરિષદના ટ્રસ્ટીપદેથી વિનોદ ભટ્ટના રાજીનામાના સમાચાર આવે છે. પરિષદે વિધિવત્ સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય હજુ કરવાનો રહે છે એવી એક ટેકનિકલ સફાઈ અસ્થાને નથી. પરંતુ ખરો નિર્ણય તો સરકારી અકાદમી અને બિનસરકારી પરિષદ વચ્ચે પસંદગીનો છે જેનો જવાબ વિનોદભાઈએ પરિષદમાંથી રાજીનામું આપીને પોતાના પૂરતો તો આપી દીધો છે. છાપાગત ઔપચારિક પાઠમાં તો “આ પરિપત્રમાં મારા પૂ. ગુરુજી શ્રી ભગતસાહેબની સહી હોવાને કારણે એમની તરફનો પ્રેમાદર વ્યક્ત કરવા હું ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટીપદેથી આજ રોજ (૨૯/૧૦) રાજીનામું આપું છું” એમ જણાવ્યું છે. વસ્તુતઃ ‘પૂ. ગુરુજી’ માટેનો પ્રેમાદર તેઓ, નિરંજન ભગત(અને ધીરુ પરીખ)ની સાફ વાત મુજબ સરકારી અકાદમીમાંથી હટીને ધોરણસર પ્રગટ કરી શક્યા હોત. અકાદમીના માર્ગદર્શક સભ્યને નાતે સરકારીકરણમાંથી સ્વાયત્તતા તરફ પાછા ફરવાની સલાહ તો, કમ સે કમ, આપી જ શક્યા હોત. આ સંધિકાળ માત્ર પેજ પ્રૂફ અને બટર તબક્કા વચ્ચેનો જ નથી. રાજસૂય દબાણો અને પ્રજાસૂય મથામણો વચ્ચે તમે ક્યાં છો એવા જનતંત્રલાયક ઝમીરના પડકારની આ સંધિક્ષણ છે. આખરે તો, રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’નું વાર્તિક કરતાં ઉમાશંકરે ઉપસાવી આપ્યું છે તેમ જ્યાં સુધી શ્વાસ છે ત્યાં લગી પસંદગીનો હિસાબ આપતા રહેવાનું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 14 & 23                       

Loading

...102030...3,6643,6653,6663,667...3,6703,6803,690...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved