Opinion Magazine
Number of visits: 9552591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મરવા વાસ્તે જીવવાનો ધરમ

રોહિત શુક્લ|Opinion - Opinion|5 November 2015

તને તો, ભાઈસાબ, ગુમસૂમ બેસી રહેવાની આદત જ પડી ગઈ છે. તારી આ નાળિયેરનાં છોડાં કાઢેલા ગોટા જેવી કથ્થઈ રંગની આંખો ઉપર તો હું વારી ગયેલી. તું કેટલો રસિક હતો; સરખી સહેલીઓમાં તો તારી એકએક અદા ઉપર અમે સૌ ફિદા થતી. ગમે તે બહાનાં કાઢી-ક્યારેક મેળવણ લેવા તો ક્યારેક છલકાતા કચોળે તારી મા પાસે અમે પહોંચી જતી. કોની માવડીને તને પોંખવાનો લહાવો મળશે, તેની ચિંતામાં અમારી રાતો તારામઢી બની રહેતી. ક્યારેક કિશોરકુમાર તો ક્યારેક બેગમ અખ્તરનાં ગીત કે ગઝલ અમને ગમતાં; જો કે અમને શું ગમતું તેનો આધાર તો તેં કૉલેજમાં કયું ગીત ગાયું કે ચર્ચાસભામાં તું શું બોલ્યો, તેની ઉપર રહેતો. અને હવે તને શું થાય છે ? હું જોઈ શકું છું કે તું ક્યારેક એટલે દૂર સુધી તાકે છે કે જાણે સાત સમંદરના છેડે પહોંચવાનો ના હોય!

ચોથેશ્વરીના વલોપાતભર્યાં વેણ અને પ્રેમ પાછળની પીડા, ચોથિયો બેઠો હતો તે ઝાડની ઊંચામાં ઊંચી ડાળીને પણ આંબી જતા હતા. ગમે તેમ કો પણ આખરે ચોથિયો ય માણસ તો ખરો જને! ભલે બાપા, તમે કો, તેમ હશે – આનર્ત જેવા એક વિકસિત દેશનો હોવા છતાં અણવિકસિત માણસ ગણો તો ય ભલે. ઉત્ક્રાંતિમાં એનો એકડો ના માંડો તો ય ભલે.

પોતાની હનુ હેઠે એક અંગૂઠાનો ટેકો મેલી, નેહરુની ચિંતનમુદ્રા અપનાવી, થોડી વાર માટે તે ચોથેશ્વરી તરફ સાવ જ શૂન્ય ભાવે તાકી રહ્યો. કોઈ મહાન યોગીની જેમ બે વાર આંખો ખોલી અને બંધ કરી. વળી, થોડીવાર માટે આંખોને અર્ધનિલિત પણ રાખી. પછી પાછા રોદાંની શિલ્પમુદ્રામાં આવી જઈ ઊંડો અને ફળફળતો નિસાસો મેલ્યો અને કહ્યુંઃ

‘ચોથેશ્વરી, મને ય પેલા લિયોનાર્દો-દ-વિંચી જેવી આદત પડી ગઈ છે – સમજોને કોઈક મનોરોગ લાગી ગયો છે. પેલો લિયોનાર્દો રસ્તે જતા કોઈ દાઢીવાળાને જુએ તો તેની પાછળ જ પડી જાય. પેલાની દાઢીનો એકેએક વાળ કેવી રીતે ગોઠવાયો છે, તેનો દિમાગી નકશો તૈયાર ન થાય, ત્યાં સુધી તે તેની પાછળ ભમતો રહેતો. એ માણસ આજે મારો ગુરુ થઈ ગયો છે!’ 

ચોથેશ્વરીને લગભગ ખાતરી થઈ ગઈ કે આનું કદાચ ધાર્યા કરતાં વધારે છટક્યું લાગે છે. પણ એમણે ય મનોવિજ્ઞાનમાં ફ્રૉઈડ અને વૉટ્સનની પરંપરા બરાબર પચાવેલી. હાલ પૂરતો ચોથિયો પતિ નહીં તો પેશન્ટ ભલો એમ સ્વીકારી – તેમણે પોતાના બ્રેઇન સેલ્સનું વીજ-ચુંબકીય સમાયોજન કરતાં-કરતાં વિચાર્યું.

‘એટલે કહે તો ખરો કે આ લિયોનાર્દો અહીં ક્યાંથી આવી ગુડાણો? અને જો આ દેશમાં દાઢીની તો વાત જ ના કરવી. અહીં જો તારો લિયોનાર્દો પ્રગટ થાય ને તો તેની ખેર નથી; અહીં તો કોઈક ધોળી દાઢી તો કોઈક કાળી દાઢી – કોઈક લઘુમતીની દાઢી તો કોઈક દાઢીના કારણે પ્રભાવક બનતા મહાત્માની દાઢી; કોઈક એદીની દાઢી, તો વળી કોઈક ફિલસૂફની દાઢી – તારો લિયોનાર્દો જો બજારમાં નીકળે ને તો બાર દા’ડેય ઘેર પહોંચે તો હું હારી જાઉં. લે હવે વધારે મોણ નાંખ્યા વગર કહે જોઉં – આમ મૂઢ જેવો થઈને કેમ બેઠો રહે છે ?’

‘ચોથેશ્વરી – આપણાં બાળકોની તમે તો માતા છો. તમે તો એમને છાતીએ ચાંપીને રાખ્યા અને ઉછેર્યાં. ધણણણ ડુંગરા ડોલે એવાં હાલરડાં ગાયાં. ડિલે નરવા રહે તે વાસ્તે તો તમે શિયાળાની કૂળી કૂંપળ જેવા તડકે, કચોળામાં અજમો કકડાવેલું તેલ લઈને માલિસ કરીને મલાવ્યાં. રોજ રાતે તેમના દાંતની બત્રીસી સાબદી રહે, તે વાસ્તે ચીવટ કરીકરીને લીંબુનાં ફાડિયામાં ભરીને દીકામાળી ઘસી. ક્યારેક થોડુંકે આચરકૂચર ખવાઈ ગયું હોય અને પેટમાં અસુખ થાય, તો તમે સવાના પાણીની બાટલી હંમેશાં હાથવગી રાખી.’

ચેાથેશ્વરીને તો આ બધું , જાણે પોતે કોઈ પરીક્ષા આપીને ઉજ્જ્વળ પરિણામો મેળવીને સર્ટિફિકેટ મેળવતા હોય તેવું લાગ્યું. પોતાનો જીવનસાથી આટલી બધી કદર બૂઝે તો અંદર ઝણઝણ-ઝણઝણ થાય અને ગાલ ઉપર શેરડા પડે, તો કાંઈ તેમનો વાંક થોડો જ ગણાય! પણ હાલ તો તેમને માથે આ પતિ નામના પેશન્ટની સારવારની જવાબદારી હતી, તેથી તેમણે અન્યથા જે કર્યું, હોત તે ન કર્યુ. તેમના સાવધ મનમાં એટલી તો ગણતરી બેઠી જ કે પેલો લિયોનાર્દો હાલ પૂરતો તો રુખસદ થયો જ છે.

હાશકારો અનુભવીને અને થોડોક આયાસી વિવેક દાખવીને તે બોલ્યાં – ‘તે લે, પંડનાં દીકરા-દીકરીઓને તો હઉં જીવથી ય અદકાં જાળવે જને. એમાં મારી કોઈ વશેકાઈ થોડી જ ગણાય!

‘એ જ તો વાત છેને! લો આ ફોટો જુઓ. આ નાનકડું બાળક. આમ તો લહેરથી દરિયાકિનારે સુતું હોય તેમ દેખાય છે. પણ એવું છે નહીં . એ શાશ્વત નિદ્રામાં પોઢી ગયું છે. તેને હવે સવાનું પાણી, દીકામાળી કે અજમાના તેલના કચોળાની કોઈ જરૂર નથી. ધર્મના નામે અને તેના જ વાસ્તે ચાલતાં યુદ્ધો જીવતાં રહે છે અને આવાં ફૂલ મસળાઈ ને પિલાઈ જાય છે. વાત છે સીરિયાની. તેની આ ભયાનક કથાનો પ્રારંભ થાય છે ૨૦૧૧ની આરબ વસંતથી. ટ્યુનિશિયા ઇજિપ્ત અને લીબિયામાં થયું તેવું આપણે પણ કરીએ એમ ધારી અસદ સરકાર સામે તેમણે વિરોધ કર્યો. તેમાં શિયા અને સુન્નીના પાસાની સામે તેથી ય નાની લઘુમતી ધરાવનાર પ્રમુખ અસાદના આલાવાઇટ વિભાગની વસ્તી તો માંડ બાર ટકા જ થાય છે. પણ શસ્ત્રો તેમના હાથમાં છે અને ભયાનકતાની કોઈ જ સીમા તે તોડ્યા વગરની રાખવા માંગતા નથી. તેમણે સિત્તેર પત્રકારોને મારી નાંખ્યા છે અને બીજા એંશીને ઉપાડી ગયા છે. હજારો સ્ત્રીઓ સામૂહિક બળાત્કારોનો ભોગ બની છે. જેલોમાં ગુજારાતા અત્યાચારોનું વર્ણન તો ગુલાગને પણ પાછળ પાડી દે તેવું છે.

‘સરકારની સામે પડેલા માત્ર સુુન્ની જ છે તેવું નથી. વાત મૂળ તો ગરીબ-અમીરની પણ છે. ૨૦૧૧માં આ લોકજુવાળ ઊછળી આવ્યો, કારણ કે ૨૦૦૭-૨૦૧૦ દરમિયાન સીરિયામાં મોટો દુકાળ પડ્યો. આથી ઘણા બધા – લગભગ પંદર લાખ લોકો – ખેતી અને ગામડાં છોડીને શહેરોમાં ઠલવાયા. દુકાળના કારણે મોંઘવારી વધી અને સરકારે સ્વીકારેલા મૂડીવાદના પગલે બેકારી પણ વધી. વળી, નવ્ય મૂડીવાદ તો બેરુખ છે – તેણે તો સિદ્ધાંત ઉચ્ચાર્યો – નો મોર ફ્રી લંચીઝ. અને ૧૭૮૯માં પૅરિસમાં બન્યું હતું તેમ, સહનશકિતની હદ વટી જતા લોકો ઊભા થઈ ગયા.

‘પણ જાણો છો ચોથેશ્વરી, હવેની સત્તાખોરી વધુ ધીટ અને નિષ્ઠુર બની છે. સરકારે તો આ લોકો સામે રાસાયણિક શસ્ત્રો વાપર્યાં અને માથેથી હવાઈબૉંબવર્ષા પણ કરી. સરકારના પક્ષે ૯૪,૦૦૦ સૈનિકો મર્યા, પણ લોકોના પક્ષે જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં ૨,૨૦,૦૦૦ માણસો અને એપ્રિલ ૨૦૧૫ સુધીમાં ૩,૧૦,૦૦૦ લોકો માર્યા ગયા. એટલે કે આ ચાર મહિનામંા નેવું હજાર મર્યા; એટલે કે મહિને ૨૨,૫૦૦ અને રોજના હિસાબે ૭૫૦ – એક મિનિટના સવા એકત્રીસ માણસને એટલે દર બે સેકંડે એક આખેઆખા અને જીવતા માણસને મારી નંખાય છે. બધા પૂરેપૂરા માણસો જ હશેને!’

ચોથેશ્વરીને લાગ્યું કે આ પારદર્શક કથ્થાઈ આંખોવાળા માણસમાં હજુ પણ એવું કાંઈક હતું જેને પોતે પામી શક્યાં ન હતાં. આનું પાગલપણું પણ કાંઈ કાઢી નાંખવા જેવું ન હતું, પણ પોતાની પાસે પણ હિંસા અને તેની ઉપયોગિતાના ઘણા દાખલા હતા. કદાચ તેના ઉદાહરણ મારફત આ છટકેલાને ઠેકાણે લાવી પણ શકાય – કોને ખબર. તેમણે હળવે રહીને વાત ગોઠવીઃ ‘જો ચોથિયા, તું એક વાત તો માનીશ જ ને કે જેનું નામ છે તેનો નાશ પણ છે જ. અને આપણાં શાસ્ત્રો અને પંડિતો પણ કહે છે કે – કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ – બધું ઈશ્વરના હાથમાં છે. મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ કહેવાય છે. તેમાં પાંડવપક્ષે સાત અને કૌરવપક્ષે અગિયાર અક્ષોહિણી સેના હતી. એક અક્ષૌહિણી એટલે શું? હિસાબ મૂકતો જા :

૧. ૨૧,૮૭૦ રથ
૨. ૨૧,૮૭૦ હાથી
૩. ૬૫,૬૧૦ અશ્વદળ
૪. ૧,૦૯,૩૫૦ પાયદળ

તું આ બધાનો સરવાળો કર અને તેમાં રથ હાંકનાર અને હાથી ચલાવનારની સંખ્યા ઉમેર તો સમજાશે કે માત્ર અઢાર દિવસના આ મહાભારતમાં  લગભગ અડધો કરોડ લોકો માર્યા ગયા હતા. એક અક્ષૌહિણી સેના એટલે ૨,૬૨,૪૪૦ માણસો – હાથી અને ઘોડા જુદા. માત્ર અઢાર દિવસના આ મહાભારતમાં લગભગ ૪૭,૨૩,૯૨૦ માણસો માર્યા ગયા હતા. યુદ્ધ અઢાર દિવસ માટે ચાલ્યું હતું અને અઢાર અક્ષૌહિણી હતી. તે હિસાબે રોજ એક અક્ષૌહિણી જેટલા માણસો મરતા. હજુ આગળ હિસાબ માંડ : રોજના ૨,૬૨,૪૪૦ માણસો, એટલે કે કલાકના ૧૦,૯૩૫ એટલે કે એક મિનિટના ૧૮૨.૨૫ – એટલે કે એક સેકંડના ૩.૦૩ માણસો – હાજી જીવતાજાગતા, કુટુંબ કબીલાવાળા, આશા અને ઓરતાવાળા. મર્યા તે એવા મર્યા કે તેમને કોઈ પાવલાં પાણી દેનાર પણ નહોતું રહ્યું. એટલી જ સ્ત્રીઓ વિધવા બની અને કેટલાં ય બાળકોએ છત્ર ગુમાવ્યાં. બોલતાં – બોલતાં હાંફી ગયેલા ચોથેશ્વરીએ ઊંડો શ્વાસ લીધો અને આગળ ચલાવ્યું – શું થાય પતિને સાજો કરવો હતોને! જો જૂની વાત .. છોડ અને થોડોક નજીકના ભૂતકાળ તરફ નજર નાંખ :

• ભારતના ભાગલા પડ્યાં ત્યારે લગભગ બેથી પાંચ લાખ લોકોનાં મરણ થયાં. દોઢ કરોડ લોકો નિરાશ્રિત બન્યા.

• પ્રથમ વિશ્વયુદ્ધમાં ૧૫-૬૫ લાખ લોકો મર્યા, બીજા વિશ્વયુદ્ધમાં ૪૦-૮૫ લાખ મર્યા.

• અમેરિકાએ ઈ.સ. ૧૪૯૫ અને ૧૯૦૦ વચ્ચે કદાચ ચૌદેક કરોડ રેડ ઇન્ડિયનોને મારી  નાંખ્યા.

• ચીનમાં દુકાળ અને ગ્રેટલિપ ફૉરવર્ડ અને કલ્ચરલ રેવૉલ્યુશનમાં ૫૦-૭૮ લાખ લોકોને મારી નંખાયા.

• સોવિયત રશિયામાં ૧૯૧૭-૧૯૫૩ વચ્ચે આંતરયુદ્ધ, ગુલાગ, ગ્રેટ પર્જ વગેરે નિમિત્તોએ કદાચ એકસઠ લાખને મારી નંખાયા.

અને સ્ત્રીઓ ઉપરનાં બળાત્કાર કે અત્યાચારોની વાત સાંભળવી છે ?’ ચોથેશ્વરીએ બાજુમાં આવીને બેસી ગયેલા શ્વેતકેશી, એકદંતગૂમ, રકતાક્ષ, પુચ્છગુચ્છ અને યપ્પી સહિતની વાનરટોળી સામે ફરીને પૂછ્યું.

‘ના હોં, હવે હાઉ કરજો!’ શ્વેતકેશીને લાગ્યું કે આ નપાવટ માનવજાતના કારણે પોતાની વાનરજાતે વધારે આળા થવાની જરૂર ન હતી. પણ હવે વાતને થાળે પાડવાની જવાબદારી પણ, એક વાનરપુંગવ તરીકે તેની જ હતી. વાનરટોળીના સૌ સભ્યો સામે નજર ફેરવી તેણે વાતની બાંધણી માંડીઃ

‘જુઓ, આ આખી વાતને ધરમ અને ભગવાનના નામ સાથે જોડીને ભારે મોટી ઉપાધિ ઊભી કરી દેવાઈ છે. લોકો મરે તે તો તેમનાં કરમ એમ કહેવું કે પછી અમે ન્યાય માટે લડીએ છીએ, તેમ કહેવું તે કેટલું સાચું છે, તે સમજવા વાસ્તે તો કદાચ બર્ટ્રાન્ડ રસેલને વાંચવા અને સમજવા પડે. ધરમ, રાષ્ટ્રવાદી ઝનૂન, સત્તા, સાચી કે ખોટી મહાનતાના ખ્યાલો વગેરેને કારણે માણસને એમ લાગતું થયું છે કે પોતાની સામે ફરકેલી સાવ જ અજાણ સ્ત્રી પર અત્યાચાર કરાય કે હરતાફરતા પુરુષને મારી નંખાય તે વધાવવા જેવું કૃત્ય છે. જે નરી ક્રૂરતા છે, તેને વીરતા ગણાવીને પોંખાય છે. પણ ધ્યાન રાખજો કે આખી પૃથ્વી આવા માણસોની બનેલી નથી. ક્યારેક કોઈક બુદ્ધ આવે છે અને કલિંગબોધ પણ જાગે છે. ક્યારેક કોઈક ગાંધી પાકે છે અને રહેંસી નાંખતી બર્બરતાની સામે જાનફેસાની આચરે છે. કોઈક શર્મિલા ઇરોમ, કોઈક ઑંગ સાન સૂચી, કોઈક નેલ્સન મંડેલા અને કોઈક માર્ટિન લ્યુથર કિંગ પેલા હણાયેલા, દુણાયેલા, ભીંસાયેલા અને ફેંકાયેલાના નિઃશ્વાસમાંથી પ્રગટે જ છે. આ ઈશ્વરતત્ત્વ નહીં પણ માનવતત્ત્વ છે, તે તમારે રણકાભેર ડંકે કી ચોટ ઉપર કહેવું રહ્યું. ઈશ્વરને આરામ કરવા દો અને માણસની માણસાઈને બરકો – એ જરૂર પડઘાશે.’

‘શ્વેતકેશી, તમે હવે ઘરડા થયા છો અને તમારી તો મત મારી ગઈ છે. જરાક સમજો તો ખરા – આ માર ખાઈખાઈને મરતાં-મરતાં જીવનારા તો દેશ અને વતન છોડીને જીવ બચાવવા ભાગે જ જાય છે. તેમના ચરણરજની જે ડમરી ચડી છે, તે જુઓ તો ખરા. આ નકામો આદર્શવાદ અને તરંગી આશાવાદમાં અમને ના ફસાવો’. રક્તાક્ષે ભારે ઉકળાટ સાથે ધસી જઈને કહ્યું.

‘તારી આંખેથી આ ભ્રમણાના ડાબલા ઉતાર. ગામને ચોરે બેસી – ગોઠણે ફાળિયું બાંધી – ઠૂંગાપણી કરતાં-કરતાં હાકોટા પાડવાનો આ કસબ નથી. અને પેલાં એન્જેલા મર્કલ સામે જો. આ એ જ જર્મની છે કે જેમાં હિટલર પાક્યો હતો. યહૂદી માત્રને મારી જ નંખાય તેમ તે સમયના તારા જેવા ઘણા માનવા માંડ્યાં હશે. મોતની ફૅક્ટરીઓ ચલાવીને તેણે અડધો કરોડને માર્યા. એ જ દેશનાં આ બહેને સીરિયાના નિરાશ્રિતોને આવકાર્યા છે. ૧,૨૦,૦૦૦ને વસાવ્યા છે અને મૂડીવાદી દેશ હોવા છતાં, જીવવા માટેના ભથ્થા રુપે માથા દીઠ દર મહિને ૬૭૦ યુરો આપે છે. વિચાર કર તો જા ભઈલા, આ દેશે હિટલરથી મર્કલ સુધીનો જે કૂદકો માર્યો છે, તે પેલા આદર્શવાદ અને આશાવાદ વગરનો નથી. અને વિમાસણમાં પડ્યા વગર જોતો જા – આવા સમાજ, સંસ્કાર અને સરકાર થકી આપોઆપ જ મહાસત્તા બનાય.’

રાત તો પૂરી થવા આવી અને એકે ય બંદર સૂતો ન હતો. બધી જ આંખો ક્યાંક દૂર પ્રગટવા મથતા ભવિષ્યની ખોજમાં ડૂબી ગઈ હતી.

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 15, 16 & 23

Loading

ડીટનને ૨૦૧૫ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

ગૌરાંગ જ. યાજ્ઞિક|Opinion - Opinion|5 November 2015

તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ ધ રૉયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિઝે એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીઝ રીક્સબૅન્ક ઇનામ ૨૦૧૫, અર્થશાસ્ત્રી ઑન્ગસ ડીટનને તેમના ‘વપરાશ, ગરીબી અને કલ્યાણના વિશ્લેષણ’ માટે એનાયત કરવાનું નક્કી કર્યું.

ઍન્ગસ ડીટન અમેરિકા અને બ્રિટન એમ બે દિશોનું નાગરિકત્વ ધરાવે છે. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એડિનબરો ખાતે ઈ.સ. ૧૯૪૫માં થયો હતો. ઈ.સ. ૧૯૭૮માં તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડથી પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. ત્યાર બાદ ૧૯૮૩થી તેઓ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, અમેરિકા ખાતે અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું પ્રખ્યાત પુસ્તક The Great Escape : Health, Wealth and Origins of Inequality ૨૦૧૩માં પ્રસિદ્ધ થયું.

ઍન્ગસ ડીટનની પસંદગી સંદર્ભે નોબેલ પસંદગી-સમિતિએ જે વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિકા પ્રસિદ્ધ કરી તેમાં જણાવ્યા મુજબ :

‘વસ્તુઓ અને સેવાઓની વપરાશ એ માનવકલ્યાણને નક્કી કરનારું મૂળભૂત પરિબળ છે. વ્યક્તિઓ વચ્ચે વપરાશની વહેંચણી ઘણા અગત્યના મુદ્દાઓને અસર કરી શકે છે જેમાં, સમાજની આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રની અસમાનતા અને ગરીબીનો સમાવેશ થાય છે. મોટા ભાગના દેશોમાં, કુલ વપરાશ, કુલ માંગનો મોટો હિસ્સો છે અને આર્થિક પ્રવૃત્તિમાં આવતા મોટાભાગના સામયિક પરિવર્તનો માટે જવાબદાર પણ છે. આવકના કોઈ એક સ્તરે, વપરાશ, બચતો અને તેના કારણે મૂડીના પુરવઠા દ્વારા મૂડીરોકાણ નક્કી કરે છે. આથી જ, એ સ્વાભાવિક છે કે, વપરાશ, છેલ્લી સદીમાં આર્થિક સંશોધનના કેન્દ્રમાં રહ્યું છે.

‘છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન વપરાશનો અભ્યાસ ખૂબ જ વિકાસ પામ્યો છે. આ વિકાસમાં ઘણા વિદ્વાનોએ યોગદાન આપ્યું છે, પરંતુ તે તમામમાં ઍન્ગસ ડીટન ખાસ છે. તેમણે ઘણાં મૂળભૂત અને આંતરસંબંધિત યોગદાનો કર્યાં છે, જે વપરાશના માપન, સિદ્ધાંત અને આંકડાકીય વિશ્લેષણ વિશે સીધી વાત કરે છે.’

ધ રૉયલ સ્વિડિશ એકૅડેમીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ‘તેમના સંશોધને કુલ ઉત્પાદન અને વ્યક્તિગત પસંદગીઓને જોડીને, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને વિકાસના અર્થશાસ્ત્રમાં આવેલા પરિવર્તનમાં મદદ કરી છે. ડીટનના જે કામને સન્માનિત કરવામાં આવી રહ્યું છે, તે મુખ્યત્વે નીચેના ત્રણ પ્રશ્નો પર આધારિત છે :

(૧) ગ્રાહકો વિવિધ વસ્તુઓ પાછળ પોતાનો ખર્ચ કેવી રીતે વહેંચે છે? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવિક વપરાશ તરેહની સમજણ અને અનુમાન માટે આવશ્યક હોવા ઉપરાંત વપરાશવેરામાં પરિવર્તન જેવા નીતિવિષયક સુધારાઓ, જુદા-જુદા વર્ગોના કલ્યાણને કેવી રીતે અસર કરે છે, તેના મૂલ્યાંકન માટે નિર્ણાયક બની રહે છે. ઈ.સ. ૧૯૮૦ની આસપાસના પોતાના અગાઉના કાર્યના સંદર્ભમાં ડીટને દરેક વસ્તુની માંગ તમામ વસ્તુઓની કિંમતો અને વ્યક્તિગત આવક પર કેવી રીતે આધાર રાખે છે, તેના માપનની સરળ, પરિવર્તનશીલ એવી ‘લગભગ આદર્શ માગ પ્રણાલી’ (Almost Ideal Demand System) વિકસાવી. તેમનો અભિગમ અને પાછળથી તેમાં થયેલા સુધારાઓ, આજે શૈક્ષણિક તેમ જ વ્યાવહારિક નીતિમાપન માટેના આદર્શ સાધન તરીકે વપરાય છે.

(૨) સમાજની આવકનો કેટલો ભાગ ખર્ચાય છે અને કેટલો બચે છે? મૂડીનિર્માણ અને વ્યાપારચક્રના વિવિધ આયામો સમજાવવા, સમયગાળા દરમિયાન આવક અને વપરાશ વચ્ચેનો આંતરસંબંધ સમજવો જરૂરી છે. ૧૯૯૦ની આસપાસ કેટલાક સંશોધન-લેખોમાં ડીટને દર્શાવ્યું હતું કે જો કુલ આવક અને વપરાશને આરંભબિંદુ હોય, તો પ્રવર્તમાન વપરાશનો સિદ્ધાંત વાસ્તવિક સંબંધ સમજાવી શકતો નથી. એને બદલે, વ્યક્તિઓ પોતાના વપરાશને તેમની વ્યક્તિગત આવક સાથે કેવી રીતે જોડે છે કે જે કુલ આવકના સંદર્ભમાં જુદી જ રીતે બદલાતો રહે છે. તેના સંદર્ભમાં દરેકે અભિપ્રાય બનાવવો જોઈએ. વ્યક્તિગત માહિતી, કુલ માહિતીનાં વલણોને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેવા આધુનિક સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વ્યાપક રીતે પ્રયોજાતા અભિગમને આ સંશોધને સરળતાથી રજૂ કર્યો છે.

(૩) આપણે કલ્યાણ અને ગરીબીનું ઉત્તમ માપન અને વિશ્લેષણ કેવી રીતે કરીએ છીએ ? તેમના તાજેતરનાં સંશોધનમાં ડીટને સમજાવ્યું કે વ્યક્તિગત ઘરેલુ વપરાશના સ્તરના આધારભૂત માપનના આર્થિક વિકાસ પાછળ રહેલી પ્રક્રિયાઓ સમજવામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે છે, તેમના સંશોધને સમય અને સ્થળમાં પ્રવર્તતી ગરીબીની માત્રાની સરખામણીમાં રહેલી અગત્યની મર્યાદાઓને પણ ખુલ્લી પાડી દીધી. આ સંશોધને એ પણ સાબિત કર્યું કે ઘરેલુ માહિતીનો સમજણપૂર્વકનો ઉપયોગ આવક અને કૅલરી-વપરાશ અને કુટુંબમાં રહેલા લિંગ-ભેદભાવ(gender discrimination)ના પ્રમાણ વચ્ચેના સંબંધને લગતી સમસ્યાઓ પર પ્રકાશ પાડી શકે છે. વિકાસના અર્થશાસ્ત્રના, કુલ માહિતી પર આધાર રાખતા ક્ષેત્રમાંથી વિસ્તૃત વ્યક્તિગત માહિતી પર આધારિત અનુભવમૂલક ક્ષેત્રમાં થયેલા પરિવર્તનમાં ડીટનના ઘરેલુ મોજણીના આગ્રહે મદદ કરી છે.

આમ, ઍન્ગસ ડીટનનું સંશોધન વપરાશના વિવિધ આયામોને આવરી લેતાં વિશાળ ક્ષેત્રમાં વિસ્તર્યું છે. તેમના સંશોધનનો મૂળ હેતુ સિદ્ધાંત અને માહિતી તથા વ્યક્તિગત વર્તનો અને કુલ આર્થિક પરિણામો વચ્ચેનો સેતુ પૂરો પાડવાનો છે.

વિશ્વના તમામ દેશો માટે વિકાસની ‘સાચી માપણી’ અને આર્થિક નીતિઘડતરમાં ડીટનના સંશોધને એક સ્પષ્ટ, મહત્ત્વનો અને વ્યવહારુ આયામ ઊભો કર્યો છે.               

હાઇલેન્ડ પાર્ક, અમદાવાદ-૩૮૦ ૦૧૫

Web Resources : http://scholar.princeton.edu/deaton

                             http://kva.se and

                             http://nobleprize.org

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 17

Loading

પ્રગટ્યું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’

અરુણ વાઘેલા|Opinion - Opinion|5 November 2015

પુસ્તકપરિચય પહેલાં લેખકનો પરિચય. ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તકના લેખક ડૉ. ગૌરાંગ જાનીથી ગુજરાત અજાણ્યું નથી. સમાજશાસ્ત્રના અધ્યાપક, વર્ષોથી સમાચારપત્રોમાં કટારલેખન, સેક્સવર્કર બહેનોની સમસ્યા મુદ્દે સક્રિય, એચ.આઈ.વી.ગ્રસ્ત દર્દીઓની તકલીફો હોય કે વર્ગખંડમાં – કાર્યક્રમોમાં સામાજિક મુદ્દે ચર્ચા કરતા હોય … ગૌરાંગભાઈનું કામ હંમેશાં પોંખાયું છે. તેનું કારણ, તેઓએ પોતાના વર્ગખંડને તો ખરો જ, સમાજ આખાને પોતાના સંશોધનની પ્રયોગશાળા તરીકે જોયો છે. બહુ ઓછા અધ્યાપકો તેમના જેટલી સંવેદનશીલતા અને લોકપ્રિયતા ધરાવે છે. હું તેમને ઊંઘવાના સમયને બાદ કરતાંના સમાજશાસ્ત્રી તરીકે ઓળખાવું છું.

મૂળ તો ગુજરાતી રાણી-વાણીના વકીલ કવિ દલપતરામે ૧૮૫૫માં રચેલી કવિતા :

‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે

રચ્યું રૂડું વિદ્યા વધે આવિ આશે’ના નીચેના બંધને સહેજ ફેરફાર સાથે લેખસંગ્રહનું શીર્ષક બનાવ્યું છે.

‘વિદ્યા વધે એવી આશે’ (દલપતરામે એ જમાનાની લેખનશૈલી મુજબ ‘આવિ’ શબ્દ વાપર્યો  હતો.)માં કુલ ૪૦ લેખો છે. તેનું વર્ગીકરણ કરીએ તો શિક્ષણ, નારી-અભ્યાસ અને સામાજિક ઇતિહાસની આસપાસ આ લેખો કેન્દ્રિત છે. વધુ અંદર ઊતરીએ તો પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ, સમયપત્રક, પરીક્ષા, દફતરો, વસતિ, જ્ઞાતિ, સામાજિક સંશોધન, ધર્મ, તહેવારો, આપઘાત, શોખ, હસ્તાક્ષર, વિજ્ઞાન, અંધશ્રદ્ધા અને તેમના માંહ્યલામાં જે બિરાજેલા છે, તે સમાજના નબળા સમુદાયોનું સમાજવિજ્ઞાનીય પરિપ્રેક્ષ્યમાં અહીં વિવેચન છે. કુલ ૧૫૫ પાનાં (છપાયેલાં ૧૬૦ છે, પણ તેમાં ૪ પાનાં પરિશિષ્ટનાં અને ૧ પાનું વાચકોની નોંધ માટે છે.)ના ગ્રંથમાં બહુવિદ્યાકીય, આંતરવિદ્યાકીય લેખો છે. અહીં ભૂતકાળ સાથે વર્તમાન સંકળાય છે, તો ભાવિનિર્દેશન પણ છે. આ દ્વારા ડૉ. જાનીએ સમાજશાસ્ત્રના સીમાડાઓ વિસ્તાર્યા છે. ઉદાહરણ તરીકે લેખ નં. ૯, ૧૩, ૧૪, ૧૬, ૨૨, ૩૩, ૩૮.

ડૉ. ગૌરાંગ જાનીનું ‘વિદ્યા વધે એવી આશે’ નિમિત્તે થયેલું સમાજદર્શન ભદ્રવર્ગીય કે શહેરી નથી. ‘હાંસિયાના ગુજરાત’, ભારતને તેમણે બારીકાઈથી આલેખ્યું છે. ‘આમ ભારત અને ખાસ ભારત’નું તેમનું નિરીક્ષણ જોઈએ : ‘પ્રાથમિક શિક્ષણમાં સમગ્ર દેશમાં આર્થિક આધાર પર એક ચોક્કસ વર્ગવ્યવસ્થા પણ દેખાય છે. મોટાં શહેરોમાં કેજી કે સિનિયર કેજીમાં વર્ષે એક લાખની ફી આપીને પોતાનાં સંતાનોને ભણાવતા પરિવારો છે, તો બીજી તરફ ખેતરમાં મજૂરીએ જવાને કારણે ઘરમાં નાનાં ભાઈ-બહેનોને સાચવવાં કે પછી બળતણનું લાકડું મેળવવા અને પાણી ભરવા જવાના કારણે શાળા નસીબમાં જ નથી, એવાં લાખો બાળકો છે. આ વાસ્તવિકતા એક જ દેશનાં બાળકો જ્યારે નાગરિક બને છે, ત્યારે આમ ભારત અને ખાસ ભારતનું નિર્માણ કરે છે.’ (પૃ.૧૯) આવાં તો અનેક સટીક નિરીક્ષણોથી ‘વિદ્યા વધે એવી આશે’ પુસ્તક હર્યુંભર્યું છે. વધુ બે નિરીક્ષણોઃ ‘સમાજમાં અનેકવિધ સમૂહો હોય છે તે સૌનો પરિચય સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને કરાવવો હોય તો વર્ગખંડના બ્લૅકબોર્ડ પર કે પ્રશ્નોના ઉત્તરો કે પછી પાઠ્યપુસ્તકોમાં શક્ય નથી. તે સમૂહો સાથે વાર્તાલાપ જરૂરી છે.’ (પૃ.૧૩૫)

“હું સમાજશાસ્ત્રનો અધ્યાપક ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ મેળવવા નવલકથા કે કવિતા વાંચું તો સાહિત્ય મારો શોખ ગણી શકાય, પરંતુ મને ‘વાંચવાનો શોખ છે’ એવું વિધાન કરતાં પૂર્વે મારા વ્યવસાયની અનિવાર્યતા તપાસવી રહી.” (પૃ.૧૩૯) આમ, સાંપ્રત વહીવટીતંત્ર, સમાજવિજ્ઞાનીઓ અને ખાસ તો ખાડે ગયેલા ‘મોટા માસ્તરો’(અધ્યાપકો)ને તેમણે જવાબદારી ચીંધી છે.

ભાષા અને શૈલીની દૃષ્ટિએ પણ પુસ્તક મજાનું છે, જે સામાન્ય રીતે સમાજવિજ્ઞાનનાં પુસ્તકોમાં હોતું નથી. (એક આડવાત. આજે તો અનિંદ્રાના દર્દીઓને દાક્તરો ઊંઘની ગોળીઓ કારગત ન નીવડે ત્યારે સમાજવિજ્ઞાનનાં પુસ્તકો પ્રિસ્ક્રાઇબ કરે છે.) ગૌરાંગ જાનીની ભાષા સાડાબારી રાખતી નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ :

‘બાળકો બોલે અને આપણે સાંભળીએ.’

‘શાળા-પ્રવેશોત્સવની પ્રસ્તાવના પછીનાં પૃષ્ઠો ક્યાં છે ?’

‘હાજરીપત્રકનાં ખાનાં કે પરંપરાનાં ચોકઠાં ?’

‘પરીક્ષામાં મૂડીરોકાણ અને મૂડીરોકાણની પરીક્ષા’

‘કોણ જીતશે, વિજ્ઞાનનો આત્મવિશ્વાસ કે અંધશ્રદ્ધાનું અફીણ ?’

‘મધ્યાહ્નભોજનનું આમ ગુજરાત અને લંચબૉક્સનું ખાસ ગુજરાત’

‘દફતર છોડે ગુજરાત… ક્યારે ?’

‘ગુજરાત : શિક્ષણના વિચારબીજથી વેપારવૃક્ષ સુધી’

‘શોખની નવરાશ, નવરાશનો શોખ.’

આ ભાષા અને શૈલી વિષયવસ્તુ પર મજબૂત પકડ અને સંવેદના ન હોય તો આવી જ ન શકે. આવી ભાષાશૈલીમાં લખાય તો સમાજશાસ્ત્ર કે અન્ય સમાજવિદ્યાઓનાં પુસ્તકો વંચાય, સમજાય. બાકી આગળ કહ્યું તેમ ઊંઘની ગોળીઓનો વિકલ્પ.

સમગ્રતયા વિષયવસ્તુનું નાવીન્ય, રજૂઆતની શૈલી અને નિર્ભીક લખાણ વગેરેને લઈ આ પુસ્તક નવી ભાત પાડે છે. પુસ્તકનું પ્રોડક્શન, જોડણી, આયોજન વગેરેમાં લેખક, પ્રત-સંપાદક (કેતન રૂપેરા) અને પ્રકાશકની મહેનત દીપી ઊઠી છે. જોડણી, વાક્યરચનાના દોષો શોધવા અઘરા છે. મોટાભાગના લેખોના અંતે ચુનંદાં અવતરણો કે વિષયવસ્તુરૂપ ગદ્યખંડો અપાયાં છે, તે અને કેટલાક કોઠાઓ તથા પરિશિષ્ટ પુસ્તકનું સંદર્ભ-સાહિત્ય તરીકેનું મૂલ્ય ઊભું કરે છે. બીજી એક નવતર બાબત આ પુસ્તકના સંદર્ભમાં એ છે કે ગૌરાંગભાઈએ પુસ્તક તેમના વિદ્યાગુરુ ડૉ. તારાબહેન પટેલને અર્પણ કર્યું છે, જ્યારે આવકારવચન તેમનાં વિદ્યાર્થિની મિત્તલ પટેલે લખી છે. (મિત્તલબહેને આવકાર આખું પુસ્તક વાંચીને લખ્યું છે, જે સહેજ જાણ ખાતર) આમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યરૂપી ત્રણ પેઢીઓનું અનુસંધાન આ પુસ્તકમાં થયું છે.

છેલ્લે, પુસ્તકની ઇતિશ્રી ખરીદવામાં કે વાંચવામાં નથી, ગૌરાંગભાઈએ અહીં શિક્ષણની ચિંતા અને તેના ઉકેલો આપ્યા છે, બાળકલ્યાણ અને નારીઉત્થાનના રસ્તા ચીંધ્યા છે, નબળા સમુદાયો પ્રત્યેની નિસબત દર્શાવી છે. આ બધાને કારણે સાંપ્રત વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને નીતિનિર્ધારણમાં ચાવીરૂપ બની શકે તેમ છે.

એક આસ્વાદ તરીકે કહું તો ‘વિદ્યા વધે તેવી આશે’ પુસ્તક ગુજરાતનાં વિશ્વવિદ્યાલયોના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને તેમની સંવેદનશીલતા અને સંશોધનક્ષમતા વધે તે માટે ભણાવવું જ જોઈએ અને તો જ આવાં પુસ્તકો લખવાનો અને પ્રકાશિત કરવાનો શ્રમ સાર્થક થાય.

વિશેષ નોંધ : દોઢ મહિનાના ટૂંકા ગાળામાં પુસ્તકની ૪૦૦ નકલો વેચાઈ ચૂકી છે.

e.mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 18-19

Loading

...102030...3,6633,6643,6653,666...3,6703,6803,690...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved