Opinion Magazine
Number of visits: 9691220
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યા દેવી સર્વભૂતેષુ

આશા બૂચ|Opinion - Opinion|15 March 2016

 

યા દેવી સર્વભૂતેષુ
બુદ્ધિ રૂપેણ સંસ્થિતા
નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમસ્ત્સ્યે નમો નમ:

દેવી સૂકતમાં શિવની સાથે દેવીને પણ નમન કરતા શ્લોક છે જેમાં દેવીની બુદ્ધિ, ક્ષુધા, શક્તિ, શાંતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, સ્મૃિત, દયા, છાયા, તૃષા અને માતૃ રૂપે આરાધના કરવામાં આવી છે.

જ્યારે પણ સમ ધર્મી અને અન્ય ધર્મીઓ સાથે ધર્મના મર્મની વાત નીકળે અને ધાર્મિક ગ્રંથો, પ્રાર્થના, પૂજા, તહેવારો વગેરે વિષે ઉલ્લેખ થાય ત્યારે હું કહેતી હોઉં છું કે ભઈ, અમારે હિંદુ ધર્મમાં ઈશ્વર માત્ર પુરુષ નહીં, સ્ત્રી રૂપે પણ હાજરાહજૂર હોય છે. શિવ-શક્તિ એક શબ્દ મનાય છે. એટલી હદે કે એક શરીરમાં નર-નારી બન્નેનો સમન્વય થયેલો બતાવાય છે. જેટલા ભગવાન અને દેવ તેટલા જ બલકે તેથી વધુ સંખ્યામાં સ્ત્રી શક્તિ અને દેવીઓની કલ્પના કરેલી છે. તેમનું સ્થાન ભગવાન જેટલું જ ઊંચું છે. તેમની મૂર્તિઓ બને, પૂજા-અર્ચના થાય, તેમની માનતાઓ મનાય અને તેમના માનમાં ઉત્સવો મનાય એ દર્શાવે છે કે દુનિયામાં હિંદુ ધર્મ એક જ માત્ર એવો ધર્મ છે જેમાં દેવ જેટલું જ દેવીઓનું ઊંચું સ્થાન છે અને તે નિર્વિવાદ છે. આમ કહી હું એમ પણ પ્રસ્થાપિત કરવા કોશિશ કરું કે આથી જ તો અમારી પ્રાર્થનાઓમાં પ્રથમ વંદન માતાને અર્પીએ, પિતાનું સ્થાન તેના પછી આવે. માતૃ શક્તિને લક્ષીને વિવિધ સાહિત્ય રચનાઓ સદીઓથી થતી આવી છે. અને આથી જ મને મારા ધર્મના સ્ત્રી સન્માન વિષેના ખ્યાલો પ્રત્યે આદર છે.

ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓ ભારત ભૂમિ પર પાકી. ઝાંસીની રાણી અને રાણી અહલ્યાબાઈ જેવી વીરાંગનાઓ ધરતીને ઘમરોળીને દુશ્મનોનો સામનો કરવાનું શીખવી ગઈ. મધર ટેરેસા અને મીરાંબહેન જેવી વિદેશી પુત્રીઓએ ભારતને પોતાનો ગણીને તેનાં સંતાનોની મૂક સેવા કરીને સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડયું. સરોજિની નાયડુ અને પ્રતિભા પાટીલે રાજકારણ શોભાવ્યું. પ્રથમ હવાઈ જહાજ ચાલક સરલા ઠકરાલ અને પહેલી ટ્રેન ડ્રાઈવર સુરેખા યાદવે પુરુષો જે કામ કરી શકે તે બધાં સ્ત્રીઓ કરી શકે, માત્ર વધુ સારી રીતે, એ સાબિત કરી બતાવ્યું. એવરેસ્ટને સર કરનાર બચેન્દ્રી પાલ, પ્રથમ ઉચ્ચ દરજ્જાની પોલીસ ઓફિસર કિરણ બેદી અને અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન-ભારતીય કલ્પના ચાવલાએ ‘અશક્ય’ શબ્દને પોતાના શબ્દકોષમાંથી બાદ કરીને અજોડ સિદ્ધિ મેળવી, આધુનિક નારીઓ માટે માર્ગ મોકળો કરી આપ્યો. આ હકીકતની સાદર અને ગૌરવ સાથે નોંધ લેવી રહી.

આમ ચપટીભર નારીઓની સિદ્ધિઓની વાત કર્યા બાદ, મારી નજર વાસ્તવિક સમાજ જીવન, તેના પ્રશ્નો, દુરાચારો, ગુનાઓ અને સામાજિક અસમાનતાને કારણે પેદા થતી વિટંબણાઓ પર પડે અને સવાલ થાય, ઉપર કહી તે સુંદર વિભાવના અને આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે આવડું મોટું ગાબડું કેવી રીતે પડયું હશે, ભલા? તાજેતરમાં ‘આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવાઈ. બહેનો હરખાઈ, ‘અમારું નામ બોલ્યા’! આમ જુઓ તો ઈ.સ. 1909માં કપડાં બનાવનાર સ્ત્રી મજૂરોના અધિકારોની રક્ષા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. જાહેર છે કે સ્ત્રીનું સ્થાન સમાજમાં ઘણું નિમ્ન ગણાવા લાગેલું તેથી તેને તેના મૂળ સ્થાન અને માન ભરેલ સ્થાને પુન:સ્થાપિત કરવા આ અભિક્રમ યોજાયો. સામાન્ય રીતે આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે કશુંક ગણનાપાત્ર પ્રદાન કરનારનું સન્માન કરવા, તેમના કાર્યની પ્રશંસા કરવા અને તેમના પ્રત્યે આદર-પ્રેમ દર્શાવવા 8મી માર્ચનો દિવસ ફાળવવામાં આવ્યો છે. પરંતુ સામાન્ય પ્રજા એ દિવસે પોતાના પરિવારની તેમ જ અન્ય બહેનો પ્રત્યે પોતાની આભાર અને પ્રેમની લાગણી દર્શાવતા કોઈ નાની સૂની ભેટ આપીને કૃતકૃત્ય થતા જોવા મળે છે. તેમ ઉપર ઉલ્લેખ કર્યો છે તેવી ભારતીય અને અનેક વિદેશી નારીઓ ખૂબ ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ પામીને ઝળકી ઊઠી છે, પરંતુ જગતની તમામ મહિલાની ગણતરીમાં એ માત્ર એક બિંદુ સમાન છે અને એટલે જ બાકીની કરોડો બાળકીઓ અને મહિલાઓનાં ઉત્થાન માટે કોશિશ કરવાનું પ્રણ દર વર્ષે લેવાતું રહે છે.

નારીની સફળ કારકિર્દી અને કુટુંબ તથા બહોળા સમાજમાં તેનું સ્થાન એ સિક્કાની એક બાજુ છે, તો તેની બીજી બાજુ પણ જોઈ લઈએ. ખાસ કરીને ભારતમાં વસતી અને મૂળ ભારતની અન્ય દેશોમાં વસતી મહિલાઓ પેલા શ્લોકમાં ગવાય છે તેમ કયા સ્વરૂપે પૂજાય છે તે તપાસીએ. વાચકોમાંના ઘણા કબૂલ કરશે કે તેમની માતા અને  દાદી-નાનીનાં લગ્ન માત્ર તેમના મા-બાપ કે વડીલો દ્વારા ગોઠવાયેલાં હતાં એટલું જ નહીં પણ થનાર પતિ-પત્ની વચ્ચે બૌદ્ધિક કે વૈચારિક સામ્ય, જીવન પ્રત્યેનો અભિગમ કે વ્યક્તિગત શોખ, ગમા-અણગમાને ધ્યાનમાં લેવાનો તે વખતે ‘રિવાજ’ નહોતો. અરે, કેટલાક કિસ્સાઓમાં તો ઉંમરનો પણ ખાસ્સો તફાવત રહેતો અને એ બધું જ રિવાજ, સંસ્કૃિત, રૂઢિ અને પ્રતિષ્ઠાની જાળવણી કરવા ખાતર થતું તેમ સમજાવવામાં આવતું. પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાને પરિણામે દીકરી માટે શિક્ષણના દરવાજા બંધ કરી તેને માત્ર અને માત્ર ગૃહકાર્યની સીમામાં ઝકડી દીધી. આથી છોકરો નાનો હોય ત્યારથી જોતો આવે કે તેના બાપુ માની વાત કાને ન ધરે, તેને ધમકાવે, અન્ય દેખતા અપમાન કરે, માર મારે, કાઢી મુકે અને છેવટ જાન ગુમાવે તો પણ તેની પત્ની કે તેના કુટુંબીજનો સ્ત્રીનો બચાવ ન કરે કે પુરુષને તેમ કરતા ન રોકે તે તદ્દન સ્વાભાવિક છે. કેમ કે તેના સ્થાને બીજી સ્ત્રીને લાવી શકાય. અને એવી સ્ત્રીને પૂછો કે તું શા માટે આ ત્રાસ અને અન્યાય સહન કરે છે? તો કહેશે કે ‘ઈ તો એમ જ હોય, ભાઈ માણસ બે આકરાં વેણ કે, ધોલ ધપાટ કરે તો ઇમાં આપડે શું કરીએ? ક્યાં જઈએ? પિયરિયું તો લગન થિયાં તે દીનું છૂટ્યું, ન્યાં કાંઇ પાછું નો જવાય, એના કરતાં તો કૂવો અવાડો પુરવો સારો. પણ જો એમ કરું તો આ છોકરાંવનું કોણ?’

આમ થવાનું કારણ એ પણ છે કે જેમ દીકરાને વધુ મહત્ત્વ અપાય, ભણવા દેવાય અને મોટા થઈને કમાઈને લાવવાની મહત્ત્વાકાંક્ષા રોપીને ઉછેરવામાં આવે છે તેમ દીકરીને બધાના કહ્યામાં રહેવું, ઊંચે સાદે સામે ન બોલવું, ઘરનું બધું કામ કરવું, ઘરની બહાર નોકરી કરવાની શું જરૂર, તારો વર કમાઈને દે એટલે બસ વગેરે શીખ આપીને કેળવવામાં આવી હોય એટલે ધણી પોતાનું ધાર્યું કરે અને ધણિયાણી તેના વશમાં રહે એટલે સમાજ સુચારુ રૂપે ચાલે. એમાં કશું કરવાપણું ન રહે. પત્ની એટલે ઘરનું બૈરું, ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજિક વિધિસર ઢસડી લાવવામાં આવેલું પાત્ર એવી એક પ્રચલિત ધારણા છે તો સામે પક્ષે પતિ એટલે ઘરનો માલિક, મુખ્ય કમાનાર વ્યક્તિ અને સમાજની માન્યતા પ્રમાણે પોતાની સત્તા જમાવનાર જમાદાર એવો ખ્યાલ સદીઓથી જડ ઘાલી ગયો છે. ‘પુત્રવધૂ’ કહીને કંકુએ પગ રંગીને ઘરમાં પારકી દીકરીને લાવીએ ત્યારે તે તમારા પુત્રની સહધર્મચારિણી, સ્વતંત્ર ઈચ્છા અને વિચાર ધરાવનારી વ્યક્તિ છે એમ સ્વીકાર્યું? ‘કુલવધૂ’ના સ્વાંગમાં આવેલ સ્ત્રી તમારા કુળને દીપાવનાર સંતાનોની માતા થશે, તેને એ જવાબદારી નિભાવવા મોકળાશ આપવાની ચેષ્ટા કરી જોઈ?

આખર દીકરીને શું જોઈએ છે? દીકરાની જેમ પોષક ખોરાક, સારું શિક્ષણ, કળીમાંથી ફૂલ બનવાની મોકળાશ અને પોતાનાં સ્વપ્નને સાકાર કરવા જરીક અમથો ટેકો. એ શું વધુ પડતું છે? લગ્ન પછી પત્નીને કપડાં, ઘરેણાં, સારું ઘર અને સંતાનો આપી દીધાં એટલે વાર્તા પૂરી? કદાચ તેના ત્રાજવામાં ઘરના તમામ કામની સામે વહાલના બે શબ્દ મૂકો તો વહાલનું પલ્લું નમી જશે. કોર્ટ કચેરીમાં કામ કરતા પ્રતિષ્ઠિત વકીલ કે જજે કોઈ દિવસ પોતાની પત્ની કોઈ મુદ્દા વિષે શું વિચારે છે એ જાણવાની પરવા કરી હોય તો એ કેટલી ખુશ થાય એ જોયું છે? જે પોતાનાં સંતાનોની જનેતા છે, જેમને ઉછેરીને સંસ્કાર આપી સમાજને ચરણે ધરે છે તે પોતાની ફરજનું ચુકવણું નથી માગતી, પણ કદીક પોતાને સમકક્ષ ગણી તેની સાથે વાત કરવી, સમાજમાં તેના અસ્તિત્વનું અને તેના પ્રદાનનું મૂલ્ય આંકવાનું ચુકી જનાર પુરુષોને શું કહેવું? પોતાની પત્ની ન હોય તેવી સ્ત્રી તરફ કામુક દ્રષ્ટિથી જોઈ તેનું શોષણ કરતા પુરુષો તરફ સમાજ અને કંઈક અંશે કાયદો પણ આંખ આડા કાન કરે છે, તેની પાછળ પુરુષ પ્રધાન કુટુંબ વ્યવસ્થા છે. જ્યારે પોતાની કામવાસના સંતોષવી હોય ત્યારે પોતાની કે અન્યની સ્ત્રીનો તેની ઈચ્છા કે અનિચ્છાએ ભોગવટો કરવો એ શું સંસ્કૃત સમાજનું લક્ષણ છે? તો એ જ રીતે પોતાની પત્નીને પણ માત્ર જાતીય ઈચ્છાઓ પૂરી કરવાનું અને પોતાનો વંશવેલો ટકાવી રાખવા સંતાનો પેદા કરવાનું પાત્ર ગણવું એ પણ કંઈ શોભાસ્પદ નથી જ.

પશ્ચિમી જગતમાં સ્ત્રીનું સ્થાન પૂર્વીય દેશો કરતાં અલગ છે. પશ્ચિમના સમાજમાં વર્ષો પહેલાં દીકરીને ઓછું શિક્ષણ અપાતું એ ખરું અને આજે પણ તેને સમાન વેતન મેળવવા લડવું પડે છે. તેને મતાધિકાર પણ મોડો મળ્યો. તેના પ્રત્યે ઘરેલુ હિંસા આચરાતી જોવા મળે છે એ પણ જાણીએ છીએ. પરંતુ જાણે કે પૂર્વની સંસ્કૃિત પોતાના ધર્મ અને સામાજિક ધોરણોના ઓઠે સ્ત્રીઓને તેના માનવીય અધિકારોથી વંચિત કરી રહી હોય તેવું ભાસે. નહીં તો ભ્રુણહત્યા, ડાવરી જેવા અન્ય સામાજિક કુરિવાજોના ભોગ બની હજારો સ્ત્રીઓ જાન ગુમાવે અને ત્રાસના માર્યા કુટુંબ વિછિન્ન થઇ જાય તેવું ન બનતું હોત. અહીં ભારતના સમગ્ર પુરુષ વર્ગને રૂઢિચુસ્ત કે અન્યાયી ઠરાવવાનો આશય લગીરે નથી, પરંતુ બહુ મોટી સંખ્યામાં સ્ત્રીઓ પ્રત્યે તથા અત્યાચારો અને અન્યાયો પાછળ પુરુષોનું અધિપત્ય અને અહંકાર યુક્ત વલણ જવાબદાર હોવાનું સાબિત થયું છે. જો કે હું તો એમ કહીશ કે મા જ પોતાનાં સંતાનોને ઉછેરે છે, તો દીકરાને ગોળ અને દીકરીને ખોળ આપે, એકને નિશાળે મોકલે અને બીજીને વાસણ સાફ કરવા બેસાડે, દીકરાની કાન ભંભેરણી કરી વહુને ત્રાસ કરે, માર ખવડાવે અને દીકરીને ‘દુખી થાય તો પણ સાસરે પડી રહે’ એવી શીખ આપનાર પણ એક સ્ત્રી જ છે એટલે એ પણ એટલી જ જવાબદાર છે. તો શું આધુનિક સમાજમાં બને છે તેમ દીકરી અને વહુના અધિકારોની જાળવણી કરવા જતાં જેમ સ્ત્રી અને તેના પરિવાર જનોને અન્યાય થતો, તેમ હવે પુરુષ અને તેના કુટુંબને અન્યાય થવા લાગ્યો છે એ પરિસ્થિતિ ઇચ્છનીય છે?

સ્ત્રી-પુરુષ વચ્ચે ખરું સામંજસ્ય અને સમાનતા તો ત્યારે આવશે જ્યારે દીકરા અને દીકરીના ઉછેર અને કેળવણીમાં લૈંગિક ભેદને ભૂલી જઈને તેમને એક માનવ બાળ ગણી બંનેને ભાગે આવતા તમામ પ્રકારની શિક્ષા અને કાર્યની તાલીમ અપાશે અને કુટુંબ અને સમાજના સ્ત્રી અને પુરુષનાં સ્થાન અને માનના ખ્યાલો બદલાશે. તે માટે કોઈ સાલ નિશ્ચિત ન કરી શકાય, પણ જ્યારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની માફક ‘‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ ઉજવાશે અને બંનેના સામાજિક, કૌટુંબિક, આર્થિક, રાજકીય અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અપાયેલ ફાળાની નોંધ લેવાશે ત્યારે સમાનતાનું પલ્લું સરભર થયું ગણાશે. એ માટે બધાએ સહિયારો પ્રયત્ન આદરવો રહ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

મુક્તિ-વૃત્તાંત: સાત્ત્વિક લેખિકાનું સત્ત્વશીલ લેખન

રઘુવીર ચૌધરી|Opinion - Literature|13 March 2016

પીડિત સાથે એકાત્મતાની દિશા કેવી રીતે ખૂલે એના સંકેતો ‘મુક્તિ-વૃત્તાંત’માંથી મળે છે

હિમાંશી શેલતની હાજરી વાતાવરણને અજવાળે – મધુર લાગે કે ન લાગે પણ પ્રસન્ન અવશ્ય કરે. ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રે એમનું અર્પણ અનોખું, નારીચેતનાનાં અજાણ્યાં સૂક્ષ્મ પરિમાણો – ડાયમેન્શન્સ એમની વાર્તાઓમાં વ્યક્ત થયાં. લઘુનવલ પણ રચી. સંસ્મરણો લખવા લાગ્યાં છે, એ જાણીને પ્રશ્ન થયો – કથાલેખન માટેનો સમય ભલો અંગત લેખાંજોખાં માટે ફાળવ્યો. પછી યાદ આવ્યું. વિનોદભાઈ મેઘાણીની આકસ્મિક વિદાય પછી કંઈક ઊંડેથી એકલું લાગવા માંડ્યું હશે. અહીં જો કે મુક્તિ – નીલકંઠ નામ રાખ્યાં છે.

પ્લેટફોર્મ પરનાં અનાથ બાળકોને અને જીવોને એમનું વહાલ સાંપડ્યું છે. શબ્દ સુધી પહોંચ્યું છે. બાળપણમાં ઊંચનીચનો ભેદ કળાયો નથી. ગણિત ન આવડ્યું તો કંઈ વાંધો નહીં. આ ઉંમરે એ વિશે હસી લેવાય. સોમાંથી સાત માર્ક મેળવનાર એ ઘટનાને યાદ કરી આજે મલકાય છે: ‘દાખલા ફટાફટ ગણનારાં સહુ મને મોટાં જાદુગર લાગે. મને તો સોમાંથી રોકડા સાત મળ્યા હોય એવાયે દાખલા છે, ને અમારા શિક્ષક ભારે અચંબાથી કહે કે ખાલી રીતનાયે છેવટે દસ માર્ક તો મળે, તો આ સાત જ શી રીતે આવ્યા?

એક કામ આટલા સમયમાં કરવામાં અમુક અમુક સંખ્યામાં માણસો જોઈએ તો બીજું કામ તેટલા સમયમાં પૂરું કરવા કેટલા માણસોની જરૂર પડે? તેવા કોઈ વિચિત્ર દાખલાના જવાબમાં સાડા પંદર કે એવો કશો ગજબનો ધડાકો કરીને મેં મારા ગણિતના શિક્ષકને હતાશાની ઊંડી ખીણમાં ધકેલી દીધા હતા, એ યાદ આવતાંની સાથે આજે ય મલકી પડું છું.’ (પૃ. 5, મુક્તિ-વૃત્તાંત)

અહીં હિમાંશીના વિકલ્પે મુક્તિ છે. શૈશવનાં સ્મરણોનાં ચિત્રો સુરેખ શિલ્પો છે. મકાન જીર્ણ હોય કે કલાસભર, સાતેય રંગમાં પ્રગટ થાય છે. પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ બિલાડીઓના સ્મરણથી છલકાઈ આવે છે. લખે છે: ‘હવે આ કયું ખેંચાણ હશે તે હું આજ લગી નથી પામી શકી. હતું અને છે એ સર્વથા નિરપેક્ષ આકર્ષણ. આ પ્રેમનું જ લક્ષણ, સ્વાર્થ વિનાનું વારી જવાનું, અને વરસી પડવાનું. ઉત્તમ સમય એ પ્રિય પાત્રો સાથે ગાળવાનો … સાવ મળસ્કે મારી બિલાડીઓ પૂરા ભરોસાથી મને જગાડી શકે, પેટ પર બેસીને ટગરટગર જોઈ શકે, ગાલ જોડે ગાલ ઘસી શકે. મને એનો ભરોસો ગમે છે. મને એ કેટલી વહાલી છે એ કહેવાની જરૂર નથી પડતી. એ તમામને એની ખબર છે.’ (પૃ. 7)

બાળપણમાં માણસની ક્રૂરતા જોઈને ચીસો પાડી છે. પતિનો માર ખાતાં ભાણીબેન રસ્તા પર જેટલી ચીસો પાડે છે, એટલી જ ચીસો આ બાળકી બારીથી જોતાં જોતાં પાડે છે. દાદાજી અને બાપુજી ભાણીબેનને છોડાવે છે. પછી પતિ-પત્ની એ જ છાપરા નીચે રહેવાનાં છે. અહીં લેખિકાને આવાં દૃશ્યો દ્વારા વર્તમાન અને ભાવિ સમાજનું દર્શન લાધે છે: ‘જે દુનિયામાં બાકીનાં વર્ષો ગાળવાનાં છે એ સંપૂર્ણ સલામત, સુંદર અને પ્રેમભર્યું સ્થાન નથી એ કાચીપાકી સમજનું બીજ એ રાતે રોપાયું હશે.’ (પૃ. 9)

દાદાજી ઉમરેઠના બ્રાહ્મણ – કાલિદાસ શેલત. પત્રકાર થયેલા. પછી સુરત. ઘરની મોટર ખરી પણ ભાઈ સાથે ‘જીવનભારતી’માં ચાલતાં જ જતાં. દાદાજીને કારણે ‘ઘેર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હો ય તોય ફોટા ન પડે. ન કશી જાહેરાત. આવો પણ એક યુગ હતો.’ (પૃ.18)

હિમાંશીબહેનના વ્યક્તિત્વમાં જે સાત્ત્વિક લક્ષણો વરતાય છે, એમાંનું એક છે પરગજુપણું. એને પરિવારનું પોષણ મળ્યું લાગે છે. એક પ્રસંગ રજૂઆતની સાદગી માણવા પણ નોંધવા જેવો છે: ‘દસેક વરસની હતી ત્યારે મારાથી ચારેક વર્ષ મોટી પાર્વતી નામની એક છોકરી એની માને મદદ કરવા અમારે ઘેર આવતી. મૂળ રાજસ્થાનનું કુટુંબ, અને એકાદ બે વરસ પછી એને પરણાવી દેવાની હતી, એટલે જેટલું ભણી એટલું બહુ છે એવું માની લેવાયેલું. હું નવરી હોઉં અને રવિવાર કે રજાનો દિવસ હોય તો ચોકડીમાં એની જોડે વાસણ માંજવા બેસી જાઉં. બપોરે બધાં આરામ કરતાં હોય એટલે મને ટોકવા માટે હાજરી કોઈની નહીં. બહેનપણીની જેમ ગપ્પાં મારતાં અમે વાસણ સાફ કરીએ. પાર્વતીની આંખે રાજસ્થાન જોવાની મને મોજ પડતી.

એની રહેણીકરણીનું ચિત્ર મને બહુ રોમાંચક લાગતું. પાર્વતી એકલી એકલી વાસણ માંજે એ મને નહોતું ગમતું. એટલે કામનું કામ અને સાથનો સાથ. આવી સાદી સમજ સાથે હું બપોરે આ કામ કોઈને ખબર ન પડે એમ કરતી. રસોડામાં કોઈ આવે ત્યારે હાથ ધોઈને વાતમાં લાગી જતી. જો કે બાને જ્યારે મારી આ પ્રવૃત્તિની ખબર પડી તો એણે કહી દીધું કે કામ કરવામાં સંકોચ શા માટે, અને વાસણ સાફ કરવાં એમાં ખોટુંયે શું! પાર્વતીને મદદ થાય એ તો વળી એકદમ સારી વાત.’ (પૃ. 13)

કુટુંબીજનોને આમાં ગુણ દેખાયો, એ વલણે ઘડતરનું કામ કર્યું. સર્વ કળાઓમાં રસ. સુરત અને ઉમરેઠનાં સ્થળોનું પ્રત્યક્ષ થવું. સ્વજનો, સખીઓ, અને પછી કહે છે – ‘ઉદ્વેગ અને ઉકળાટનો પ્રારંભ થયો સમજણ આવ્યા પછી.’ (પૃ. 55)

કુટુંબજીવનના સંબંધોમાં ક્યાંક સંકુલતા વરતાઈ તો એ વિશે પણ લખ્યું છે. એકવીસમાં વર્ષે કૉલેજમાં અધ્યાપકની નોકરી મળી. ‘લગ્ન તો કરવાં નહોતાં’ એ વખતનો ખ્યાલ. પરિવારથી સ્વતંત્ર રહેવું, રેલવે સ્ટેશનનું જીવન દેખાવું, ‘વણકથી પીડાઓથી ઘેરાયેલી સ્ત્રીઓ સાથે, મારે જરાતરા જોડાવાનું આવ્યું.’ (પૃ. 61)

‘અંગ્રેજીનું અધ્યાપન, 1994માં માનવસર્જિત આપત્તિકાળમાં જનસમુદાયનો વરવો ચહેરો જોવાનું આવી પડ્યું.’ (પૃ. 70)

કલાની સજ્જતા સાથે સહન કરતા મનુષ્ય માટે કરુણા જ નહિ, એકાત્મતાની દિશા કેવી રીતે ખૂલે એના સંકેતો ‘મુક્તિ-વૃત્તાંત’ના વાચન દરમિયાન મળશે. એમનું વલસાડ-અબ્રામાનું દામ્પત્યજીવન. ‘જીવનને આવરી લેતા આત્મીય સંબંધનો અંત એટલે કપરામાં કપરો ગાળો.’ (પૃ. 123)

પુસ્તકના અંતે રવીન્દ્રનાથની પંક્તિઓ છે: ‘થાય છે કે જવાના દિવસે આ વાત કહી જાઉં: જે જોયું છે, જે પામ્યો છું, તેનો જોટો નથી.’

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 13 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-sahitya-vishesh-by-raghuvir-chaudhari-in-sunday-bhaskar-5272659-NOR.html

Loading

આઝાદી : બલરાજ સાહનીની, અફઝલ ગુરુની અને કનૈયાની

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 March 2016

મશહૂર અદાકાર બલરાજ સાહનીએ 1972માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દીક્ષાન્ત પ્રવચન આપ્યું હતું. યુનિવર્સિટીનો વિદ્યાર્થી સંઘ નિયમિતપણે આ પ્રવચનની પુસ્તિકા પ્રગટ કરતો હતો, પણ પછી એ પ્રવચન ગુમનામીમાં ખોવાઈ ગયું. 2007માં યુનિવર્સિટીના ટીચર્સ સંગઠનના તત્કાલીન પ્રમુખ પ્રોફેસર ચમનલાલ એ પ્રવચનને પાછું શોધી લાવ્યા અને ત્યારથી એ પ્રવચન સંગઠનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ દીક્ષાન્ત સમારોહમાં બલરાજ સાહનીએ એ જ્યારે કૉલેજમાં ભણતા હતા ત્યારનો એક કિસ્સો કહેલો. યુવાનીના સમયે બલરાજ સાહાની પરિવાર સાથે વેકેશન માણવા રાવલપિંડીથી કાશ્મીર જઈ રહ્યા હતા.

અડધે રસ્તે પહોંચ્યા તો ખબર પડી કે આગલી રાતે ધોધમાર વરસાદમાં ભેખડ ધસી છે, અને આગળનો રસ્તો ધોવાઈ ગયો છે. બંને બાજુ ટ્રાફિક જામ. વાહનચાલકો અને મુસાફરોએ બંને બાજુ બુમાબુમ કરી મૂકી. આજુબાજુનાં ગામડાંમાં પણ લોકો પરેશાન થઈ ગયા. એકાદ-બે દિવસ પછી પી.ડબલ્યુ.ડી.વાળાએ રસ્તો ખોલ્યો. બલરાજ સાહાનીએ જોયું કે ‘સબ સલામત’ની ખાતરી આપવા છતાં એકેય બાજુથી કોઈ ડ્રાઇવર વાહન આગળ ધપાવવા તૈયાર ન હતો. એક તરફ ઊંડી ખીણ અને ઉપર ઊંચો પર્વત. ડ્રાઇવરોને પી.ડબલ્યુ.ડી.ના સુપરવાઇઝરના નિર્ણય પર ભરોસો ન હતો.

આગલા દિવસ સુધી બધાં એકબીજા પર બુમાબુમ કરી રહ્યાં હતાં, અને હવે રસ્તો ખૂલ્યો તો ‘પહેલે આપ પહેલે આપ’ની જેમ ખામોશી છવાઈ ગઈ. બલરાજ સાહની કહે છે, ‘અડધો કલાક પસાર થયો, બે ય બાજુથી એકે ય વાહન આગળ ન વધે. સહસા લીલા રંગની એક સ્પોટ્્ર્સ કાર બાજુમાં આવીને ઊભી રહી. એક ગોરો અંગ્રેજ એને ચલાવી રહ્યો હતો. વાહનોની લાંબી કતાર જોઈને ગોરો થોડો તાજ્જુબ હતો. મેં એક મસ્ત જેકેટ અને ટ્રાઉઝર પહેરેલું હતું તે જોઈને એને લાગ્યું કે હું કોઈ જાણીતો – જાણકાર માણસ છું, એટલે મને પૂછ્યું કે, શું મામલો છે. મેં એને બે દિવસની રામાયણ કહી. મારી વાત સાંભળીને એ જોરથી હસ્યો અને કારનું હોર્ન વગાડતો જ્યાં ભેખડ ધસી હતી એ રસ્તા પરથી પસાર થઈને બીજી બાજુ ઓઝલ થઈ ગયો.’

અંગ્રેજનું સાહસ જોઈને રસ્તાની બંને બાજુ હલચલ થવા લાગી. બે દિવસથી ખચકાઈને ઊભેલાં વાહનો આગળ જવા માટે ધક્કા-મુક્કી કરવા લાગ્યાં, અને ખામોશ વાતાવરણ અચાનક શોરબકોરથી ઊભરાઈ ગયું. બલરાજ સાહાની આ કિસ્સાનું અર્થઘટન કરીને કહે છે કે, ‘એક માણસ, જે આઝાદ દેશમાં મોટો થયો હોય, અને બીજો માણસ જે દાસ્તામાં રહ્યો હોય, એ બંનેનાં વિચાર-વ્યવહારમાં શું તફાવત હોય એ મને એ દિવસે સમજમાં આવ્યું. એક સ્વાધીન વ્યક્તિ પાસે વિચાર કરવાનો, નિર્ણય કરવાનો અને એનો અમલ કરવાનો ઇખ્તિયાર હોય છે. ગુલામીથી પીડિત વ્યક્તિ પાસે આ સામર્થ્ય નથી હોતું. એ બીજાના વિચારો ઉછીના લે છે, નિર્ણય પર આવવામાં હિચકિચાય છે, અને મોટા ભાગે એ જ માર્ગ પર જાય છે જે માર્ગ પર બીજા પણ ગયેલા હોય.’

બલરાજ સાહાનીએ આ શીખ ગાંઠે બાંધી હતી, અને જીવનમાં જ્યારે પણ સ્વતંત્રતાથી નિર્ણાયક કદમ ભરવાનાં અાવ્યાં હતાં ત્યારે એમને એની અપાર ખુશી થઈ હતી. દીક્ષાંત સમારોહના એ પ્રવચનમાં સાહની જે.એન.યુ.ના વિદ્યાર્થીઓને કહે છે, ‘મેં આજીવન મારા ચહેરા પર સ્વાધીનતા (સ્વને આધીન)નો શ્વાસ મહેસૂસ કર્યો છે. હું મારી જાતને આઝાદ માણસ કહું છું. મારો જોશ સાતમાં આસમાન ઊડ્યો હતો, અને મેં જિંદગીનો લુફ્ત માણ્યો છે, કારણ કે મને લાગ્યું કે જિંદગીનો એક અર્થ, એક ઉદ્દેશ્ય, એક તાત્પર્ય છે.’

44 વર્ષ પછી આ જ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 28 વર્ષના કનૈયાકુમારે એના વિદ્યાર્થી સહયોગીઓને સંબોધતાં કહ્યું હતું, ‘મૈં આજ ભાષણ નહીં દૂંગા, આજ મૈં સિર્ફ અપના અનુભવ આપકો બતાઉંગા, ક્યોંકી ઈસ બાર પઢા કમ હૈ, સિસ્ટમ કો ઝેલા જ્યાદા હૈ. દેશ કે અંદર જો સમસ્યા હૈ .. ક્યા ઉસ સમસ્યા સે આઝાદી માંગના ગલત હૈ? યે ક્યા કહેતે હૈ કિસસે આઝાદી માંગ રહે હો? તુમ્હી બતા દો કિ ક્યા ભારતને કિસી કો ગુલામ કર રખા હૈ? નહીં … તો સહી મેં ભારત સે નહીં માંગ રહે હૈં. મેરે ભાઈઓ, ભારત મેં આઝાદી માંગ રહે હૈ. ‘સે’ ઔર ‘મેં’ મેં ફર્ક હૈ. ઇસ મુલ્ક કે અંદર જો ભૂખમરી ઔર ગરીબી હૈ, શોષણ ઔર અત્યાચાર હૈ ઉસસે આઝાદી માંગ રહૈ હૈ.’

કનૈયાનું ભાષણ, બલરાજ સાહાનીના ભાષણની જેમ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઇતિહાસની દીવાલોમાં જડાઈ ગયું છે. કોઈ વ્યક્તિનો નિર્ણય જો માત્ર એના ભાષણથી જ કરવાનો હોય (જેમ આપણે વર્ષો પહેલાં મોદીનો કર્યો હતો અને છેલ્લે સ્મૃિત ઇરાનીનો કર્યો) તો કનૈયાનું ભાષણ ‘પુત્રનાં લક્ષણો પારણાંમાંથી’ જેવું છે. એમાં ય કનૈયાનું ભાષણ સ્મૃિત ઇરાની માટે તો ખાસ જરૂરી હતું. ગુસ્સામાં ફાટ ફાટ સ્મૃિત ઇરાનીએ સંસદમાં જે અંદાજથી ભાષણ આપ્યું હતું, તેમાં ભાષણ ઓછું અને દમદાટી અને ગુંડાગર્દી વધારે હતી. કનૈયાએ જેલમાંથી નીકળીને સીધા જે.એન.યુ.ના મંચ પર જઈને બતાવી દીધું કે તમે હસતા મુખે કોઈને વ્યક્તિગત નિશાન બનાવ્યા વગર, મુદ્દા અને વિચારધારાઓ પર વાત કરી શકો છો.

પોતાની વાત કહેવા માટે ના તો તમારે કોઈની પર આંગળી ચીંધવાની જરૂર છે, ના તો આંખમાં રોષ ભરવાની. સંસદમાં આટલા માટે જ સંવાદ અને વિવાદનો અવસર આપવામાં આવે છે, જેથી જનહિતમાં, તર્કસાધ્ય બહસ થઈ શકે. એક સભ્ય સમાજ વાદ-સંવાદથી જ આગળ વધી શકે છે. કનૈયાકુમારે ત્રીજી માર્ચે યુનિવર્સિટી-કેમ્પસના અંધકારમાં આપણા સાંસદ, મંત્રી અને યુવાનો માટે એક મિસાલ પેશ કરી દીધી. જે આઝાદીના નારા માટે સરકારે કનૈયાને રાષ્ટ્રદ્રોહી ગણીને જેલમાં બંધ કરી દીધો હતો, કનૈયાએ બહાર આવીને એ જ આઝાદી શબ્દ સરકારને પાછો આપતાં કહ્યું, ‘ભારતથી નહીં, ભારતમાં જ આઝાદી જોઈએ છે.’ સ્વતંત્રતાના અડધી સદીના ઇતિહાસમાં પહેલી વાર કોઈએ આઝાદીની ધારણાને સાઇક્લોજિકલ અને ફિલોસોફિકલ દૃષ્ટિકોણથી પેશ કરી.

સામ્યવાદી-માર્ક્સવાદી પક્ષના નેતા મોહમ્મદ સલીમના કહેવા પ્રમાણે ભારતીય જનતા પક્ષ અને સંઘને ‘આઝાદી’ તેમ જ ઉર્દૂ અને ફારસીમાંથી આવેલા આવા શબ્દો સાથે સમસ્યા છે. દિલ્હી પોલીસે જે ‘પુરાવા’ રજૂ કર્યા હતા એમાં ‘આઝાદી’ શબ્દથી કનૈયા ગદ્દાર પુરવાર થતો હતો, પણ કનૈયાએ જેલમાંથી બહાર આવીને એ જ ‘આઝાદી’ શબ્દથી ખુદનો રાષ્ટ્રપ્રેમ સાબિત કરી દીધો. ‘આઝાદી’ શબ્દ કાશ્મીરના રોજિંદા જીવનનો ભાગ છે. કાશ્મીરી યુવાનો વર્ષોથી ‘હમ ક્યા ચાહતે .. આઝાદી’ એવા નારા પોકારતા રહ્યા છે. એટલા માટે જ જે.એન.યુ. કેમ્પસમાં અફઝલ ગુરુના નામ સાથે આઝાદી શબ્દનું અનુસંધાન થયું એટલે સરકારના કાન સરવા થઈ ગયા.

હકીકતમાં ‘આઝાદી’ શબ્દ કાશ્મીરી અલગતાવાદીઓની દેન નથી. કમલા ભસીન નામની જાણીતી મહિલા કાર્યકરે પુરુષોના પ્રાધાન્યતામાંથી સ્ત્રીઓને મુક્ત કરવા માટે આ નારો દક્ષિણ એશિયામાં વહેતો મૂક્યો હતો.

1985માં પાકિસ્તાનમાં મહિલા સંબંધી એક પરિષદમાં કમલાએ ‘મેરી બહેનેં માંગે આઝાદી’ એવો નારો સાંભળેલો. 1995માં બેજિંગ પરિષદમાં કમલાએ આ નારામાં સુધારો કરીને મજબૂરીથી આઝાદી, હિંસાથી આઝાદી, ન્યૂક્લીઅર ધમાકાથી આઝાદી અને મીડિયાના દરિંદાથી આઝાદી એવાં સૂત્રો આપેલાં.

આઝાદી મૂળ ફારસી શબ્દ છે, અને એનો ઇતિહાસ ત્રણ હજાર વર્ષ જૂનો છે. ફારસીમાંથી આ શબ્દ કુરર્દીશ, પશ્તો, ઉર્દૂ અને હિન્દીમાં આવ્યો છે. ઉર્વશી બુટાલિયા નામની અન્ય એક મહિલા કાર્યકર કહે છે કે, સામાજિક અન્યાય સામે લડી રહેલા ડાબેરી વિચારધારાવાળાં પક્ષો અને સંગઠનોમાં આઝાદી શબ્દ ઈશ્વરના શ્લોક જેવો છે. મોટાભાગના લોકો (કાશ્મીરના સંદર્ભમાં) આઝાદીનો અર્થ ભૌગોલિક ભાગલાના અર્થમાં કરે છે, પરંતુ કાશ્મીરમાં જ એના અર્થ જુદા જુદા છે. કેટલાક માટે આઝાદીનો મતલબ ભારતમાંથી છુટકારો છે, તો કેટલાક માટે આર્ટિકલ 370માં આપેલી સ્વાયત્તતા છે. કેટલાક માટે આઝાદીનો અર્થ બંદૂકના ડર વગર સન્માનથી જીવવાનો છે, તો કેટલાક માટે એનો અર્થ આત્મગૌરવ અને રાજનૈતિક નિર્ણયકર્તાનો છે.

અારિફ અયાઝ પરે નામનો એક કાશ્મીરી એના બ્લોગમાં લખે છે, ‘મારા સાથી કાશ્મીરીઓ જો એમ માનતા હોય કે કનૈયાકુમારે આઝાદી શબ્દ હાઇજેક કરી લીધો છે, અને એનો ગલત ઉપયોગ કર્યો છે તો મારે એટલું જ કહેવું છે કે આઝાદી કિસી કે બાપ કી જાગીર નહીં હૈ, એ કોઈ વ્યક્તિ કે સંગઠનની માલિકી નથી. એના પર ભારત કે કાશ્મીરનો હક નથી. આઝાદી એ હર એક જીવની અભિલાષા છે.’ ‘ભારતથી નહીં, ભારતમાં આઝાદી’નો કનૈયાનો નારો સશક્ત છે, અને એમાં અનેક સંભાવનાઓ છે.

કાશ્મીરીઓ કનૈયાના દૃષ્ટિકોણને સ્વીકારે કે નહીં એ બીજો પ્રશ્ન છે, પણ કનૈયાએ કાશ્મીરની ખીણમાં છેલ્લી અડધી સદીથી ગુંજતા આ શબ્દને રાષ્ટ્રીય સંવાદ(નેશનલ ડિસ્કોર્સ)માં રમતો કરી દીધો છે. એનો મતલબ એમ પણ થાય કે કાશ્મીરીઓ જ રાજનૈતિક આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા છે એવું નથી, ભારતની અંદર કાશ્મીરીઓથી બદતર ગુલામીમાં રહેવાવાળા પણ છે. 44 વર્ષ પહેલાં બલરાજ સાહનીએ એ જ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એ જ દીક્ષાંત સમારોહમાં એ જ આઝાદીની વાત કરતાં સવાલ કર્યો હતો, ‘આ વર્ષે આપણે સ્વતંત્રતાની 25મી સાલગિરહ મનાવી રહ્યા છીએ, પણ આપણે ઇમાનદારીથી એ કહી શકીએ કે આપણે આપણી દાસવૃત્તિથી આઝાદ થયા છીએ?’

સ્વતંત્રતાની અડધી સદી પછી કનૈયાકુમારે પણ એ જ વાત કરી હતી? એ દેશદ્રોહ કહેવાય? સોચો.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 13 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/MAG-article-of-breaking-views-by-raj-goswami-in-sunday-bhaskar-5272631-NOR.html

Loading

...102030...3,6533,6543,6553,656...3,6603,6703,680...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved