Opinion Magazine
Number of visits: 9552427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સમાજમાં રહેલી ટ્રસ્ટ ડેફિસિટને દૂર કરવામાં ગાંધીજી જેવા ગાંધીજીની શક્તિ પણ ઓછી પડી હતી ત્યાં તમે કઈ વાડીનો મૂળો?

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Gandhiana|30 November 2015

ગાંધીજીએ એક તાવીજ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે બધી વિચારધારા અને પક્ષાપક્ષી છોડો અને માત્ર એમ વિચારો કે તમે જે વિચારો છો, બોલો છો, લખો છો કે પછી કરો છો એનાથી સમાજના છેવાડાના માણસને ફાયદો થશે કે નુકસાન? બસ, આટલી મૂળભૂત પ્રતિબદ્ધતા હોવી જોઈએ. મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે અને છેવાડાના માણસના હિતના પક્ષે ઊભા રહો, બધી જ પક્ષાપક્ષી સમાપ્ત થઈ જશે

તમે તમારી જિંદગીમાં કોઈ મુસ્લિમનો કે દલિતનો વિશ્વાસ સંપાદન કરવાનો કેટલી વાર પ્રયાસ કર્યો છે? કાલ કે પરમ દિવસે નહીં, આખી જિંદગીમાં? છાતી પર હાથ રાખીને પૂછી જુઓ તમારી જાતને આ સવાલ. પાનું સાવ કોરું રહે તો આશ્ચર્ય નહીં થાય. પોતે જ પોતાની જાતને માણસાઈનું સર્ટિફિકેટ આપી દેવું અને જાતને સાબિત કરવી એમાં જમીન-આસમાનનું અંતર છે

•

બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ છેતરાયેલા લોકોનો ઉન્માદ છે જે થોડા વખતમાં શમી જશે. કોઈને સાક્ષાત્ ઐશ્વર્યવાન દેવ તરીકે પૂજ્યા હોય અને પછી જ્યારે એ દેવ માટીના સાબિત થાય ત્યારે થોડો વખત એ હકીકત માનવા મન તૈયાર નથી થતું. દાયકા પહેલાં પાંડુરંગ શાસ્ત્રીના અને બે વરસ પહેલાં આસારામના ભક્તોનો ઉન્માદ આપણે જોયો છે. છેતરાયેલા લોકોનો ઉન્માદ આવો જ હોય. કોઈના અનુયાયી થઈને આળોટનારા લોકો નિરાભિમાની હોય એવું નથી હોતું. હું શું બેવકૂફ છું કે કોઈની પણ આંગળી પકડી લઉં? આવું અનેક વાર આપણે બોલ્યા હોઈએ અને પોતાની જાતને કોઈની પાલખી ઊંચકવા માટે મનાવી હોય એ પછી જ્યારે બેવકૂફ બન્યા હોવાનું ભાન થાય ત્યારે એનો સ્વીકાર કરવામાં તકલીફ થતી હોય છે. બ્રહ્મજ્ઞાન વસમું હોય છે એમ બ્રહ્મજ્ઞાનીઓ કહી ગયા છે. સત્યનો સ્વીકાર કરવામાં વખત લાગતો હોય છે એટલે આપણે તેમને ઉદારતાપૂવર્‍ક વખત આપવો જોઈએ. આમ પણ આજકાલ ભારતમાં ઉદારતા વિશે ઊહાપોહ થઈ રહ્યો છે ત્યારે ઉદારતા બતાવવાની પહેલી ફરજ ઉદારમતવાદીઓની છે.

નયનતારા સેહગલથી લઈને આમિર ખાન સુધીના લોકોનાં વધતી અસહિષ્ણુતા વિશેનાં કથનોનો વિરોધ કરનારાઓ બે પ્રકારના છે. એક હિન્દુ કોમવાદીઓ છે જે જગતના બીજા કોઈ પણ ધર્મના કોમવાદીઓ જેવા હોવાના. તેમનાં રૂપરંગ, સ્વભાવ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, દલીલો બધું એકસરખું છે; માત્ર ગોત્ર અલગ છે. કોઈનું ગોત્ર હિન્દુનું છે, કોઈનું ઇસ્લામનું છે તો કોઈનું વળી ત્રીજું છે. તેઓ એકસરખી આવી દલીલો કરતા જોવા મળશે : ૧. અમારો ધર્મ તો સંપૂર્ણ છે, બીજાનો ધર્મ અધૂરો છે. ૨. અમારા ધર્મના તો પાયામાં જ શાંતિ અને સહિષ્ણુતા છે, બીજાના ધર્મમાં એનો અભાવ છે. ૩. અમે ખરાબ હોઈ જ ન શકીએ, પરંતુ બીજાને કારણે અમારે ખરાબ થવું પડે છે. ૪. અમારે સંખ્યાની ચિંતા એટલા માટે કરવી પડે છે કે બીજા તેમની સંખ્યા વધારી રહ્યા છે વગેરે-વગેરે. જગતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ધર્મના કોમવાદીઓ તમને આ જ દલીલ કરતા જોવા મળશે. તેમનું અસ્તિત્વ જ બીજાના અસ્તિત્વ પર આધારિત છે. જેમનું અસ્તિત્વ પોતા થકી નથી એવા પામરો પાસેથી સહિષ્ણુતાની અપેક્ષા રાખવી એ એરંડા પાસેથી છાયાની અપેક્ષા રાખવા જેવું છે.

બીજા પ્રકારના લોકો આગળ કહ્યું એમ છેતરાયેલા લોકો છે. તેઓ જ્યાં સુધી છેતરાયા હોવાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમને બચાવ કરવા સિવાય છૂટકો નથી અને બચાવ કરવા માટે એ જ દલીલોનો આશરો લેવો પડે છે જે કોમવાદીઓ પૂરી પાડે છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પૈસા લઈને પ્રચાર કે કુપ્રચાર કરનારા ભાડૂતી એજન્ટો જે દલીલો પૂરી પાડે છે એનો ઉપયોગ કરવો પડે છે. એ દલીલો નક્કર વાસ્તવિકતા સામે ટકી શકતી નથી એ તેમની બીજી પીડા છે. તેઓ ઉપર કહ્યા એવા બેશરમ કોમવાદીઓ તો છે નહીં જેમનો અંતરાત્મા મરી ગયો હોય! તેમનો અંતરાત્મા જીવતો છે અને તેમનો કોઈ અંગત સ્વાર્થ પણ નથી, માત્ર છેતરાયા હોવાનો ઘા તેમને સતાવે છે એટલે હાથમાં આવી એવી દલીલો ઝૂડે છે. દલીલો કોમવાદીઓ અને કોમવાદીઓ દ્વારા ફન્ડેડ સોશ્યલ મીડિયા પર કામ કરનારી કમ્યુનલ હેટ્રેડ જનરેટિંગ ઇન્ડસ્ટ્રી પૂરી પાડે છે.

આશા જીવનનું સત્ય છે એટલે છેતરાવાપણું પણ જીવનનું સત્ય છે. આમાં શરમાવા જેવું કંઈ જ નથી. આ લખનાર જનતા પાર્ટીથી લઈને જનતા દળ સુધી અનેક વિશ્વનાથ પ્રતાપ સિંહો દ્વારા છેતરાયો છે. ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી, કૉન્ગ્રેસનો પરિવારવાદ અને પ્રચુર ભ્રષ્ટાચારથી આ લોકો દેશને બચાવશે એવી આશાએ આંગળી પકડી હતી અને છેતરાયો હતો. એ પછી સત્તાના રાજકારણનું સ્વરૂપ સમજાઈ ગયું અને કોઈને પણ દેવ માનવાનું બંધ કરી દીધું.

વ્યસનીને વ્યસન છોડતી વખતે જે વિધડ્રૉઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એનો બહુ ઓછો અનુભવ આ લખનારને થયો હતો. નેતાજીની મેદનીમાં અને બાપુઓના મંડપમાં બેસવામાં એટલું જ સુખ મળે છે જેટલું વ્યસનીને વ્યસન કરવાથી મળે છે. સપનામાં જીવી શકાય છે, વાસ્તવિકતા ભૂલી શકાય છે અને ટોળામાં ઓગળી શકાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે બુદ્ધિ ચલાવવાથી બચી શકાય છે. આને કારણે વ્યસનીને વ્યસન છોડતી વખતે જે વિધડ્રૉઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એવો સામનો ભક્તોએ પણ કરવો પડે છે. આપણી અંદર રહેલું અભિમાન છેતરાયા હોવાનો સ્વીકાર જાહેરમાં કરવા દેતું નથી એટલે આપણે આપણી જાતને છેતરીએ છીએ.

ગાંધીજીએ આનાથી બચવા એક તાવીજ આપ્યું છે. ગાંધીજીએ કહ્યું હતું કે બધી વિચારધારા અને પક્ષાપક્ષી છોડો અને માત્ર એમ વિચારો કે તમે જે વિચારો છો, બોલો છે, લખો છો કે કરો છો એનાથી સમાજના છેવાડાના માણસને ફાયદો થશે કે નુકસાન? બસ, આટલી મૂળભૂત પ્રતિબદ્ધતા હોવી જોઈએ. મૂળભૂત માનવીય મૂલ્યોના પક્ષે અને છેવાડાના માણસના હિતના પક્ષે ઊભા રહો, બધી જ પક્ષાપક્ષી સમાપ્ત થઈ જશે. કબીરે કહ્યું છે એમ નાહી કહુ સે દોસ્તી, નાહી કહુ સે બૈર. મારી દૃષ્ટિએ લોકતંત્ર, વ્યક્તિગત સ્વાતંત્ર્ય તેમ જ અધિકારો, દરેક પ્રકારની સમાનતા અને સેક્યુલરિઝમ મૂળભૂત માનવીય મૂલ્યો છે. આના અભાવમાં સ્થાપિત હિતોનું હિત છે અને આના હોવામાં છેવાડાના માણસનું હિત છે. જેમ કે લોકતંત્રના અભાવમાં સામંતોનું હિત છે, લૈંગિક સમાનતા ન હોવામાં પુરુષનું હિત છે અને સેક્યુલરિઝમના ન હોવામાં ધર્મના ઠેકેદારોનું હિત છે. જો મોકળો ખુલ્લો સમાજ જોઈતો હોય તો એને માટે આ અનિવાર્ય પદાર્થો છે. આમાં કોઈ ત્રાજવાં કે કોઈ કાટલાં ન ચાલે, આ ઍબ્સલ્યુટ વૅલ્યુઝ છે. જ્યાં સુધી તમે મુસલમાનને માપવા હિન્દુ કાટલાં કે હિદુને માપવા મુસલમાનનાં કાટલાં વાપરતા રહેશો ત્યાં સુધી તમે બાપુઓના (કે મૌલવીઓના) મંડપમાંથી અને નેતાજીની મેદનીમાંથી બહાર નહીં નીકળી શકો. જો મુક્ત થવું હોય અને ખુદવફાઈ કેળવવી હોય તો ગાંધીજીનું તાવીજ કામમાં આવે એવું છે અને બીજું કોઈ તાવીજ પણ નથી.

આ તાવીજને ગળે બાંધીને નરેન્દ્ર મોદીના શાસન વિશે નયનતારા સેહગલથી લઈને આમિર ખાન સુધીના જે કેટલાક લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે એ વિશે અભિપ્રાય બનાવો. પહેલી વાત તો એ કબૂલ કરવી પડશે કે દરેક વ્યક્તિને પોતાની રીતે આકલન કરવાનો અને અભિપ્રાય આપવાનો અધિકાર છે. આ લખનાર સહિત અનેક લોકોને એમ લાગે છે કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે તો એમાં તમને શા માટે તકલીફ થઈ રહી છે? તમને એવું ન લાગતું હોય તો એનું સ્વાગત છે. તમને રામરાજ્ય નજરે પડતું હોય તો જાહેરમાં આરતી ઉતારવાનો પણ તમને અધિકાર છે. જેટલો આમિર ખાનનો અધિકાર મૂલ્યવાન છે એટલો જ તમારો અધિકાર પણ મૂલ્યવાન છે. તમારા અધિકારની આડે કોઈ આવશે તો તમારા પડખે ઊભા રહેવાની હું ખાતરી આપું છું. ‘મી નાથુરામ ગોડસે બોલતોય’ નાટક મરાઠીમાં આવ્યું અને કેટલાક લોકોએ એના મંચન સામે વિરોધ કર્યો ત્યારે મેં નાથુરામના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો બચાવ કર્યો હતો. નાથુરામે ભલે ગાંધીજીનું ખૂન કરીને ગાંધીજીનું સ્વાતંત્ર્ય કાયમ માટે છીનવી લીધું હોય, પરંતુ ગાંધીજનોએ નાથુરામના સ્વાતંત્ર્યના પક્ષે ઊભા રહેવું જોઈએ અને એમાં ગાંધીજીનો વિજય છે. નાથુરામ ગાંધીજીને નુકસાન નહીં પહોંચાડી શકે, પણ જો આપણે નાથુરામના અધિકારના પક્ષે ઊભા નહીં રહીએ તો ગાંધીજીને નુકસાન જરૂર પહોંચાડીશું.

આ ગાંધીજીનું તાવીજ છે જે મંડપ અને મેદનીની ગુલામીથી બચાવે છે. આ તાવીજ અપનાવવાથી આંગળિયાત થવાપણાથી કે છેતરાવાથી બચી શકાશે. એ દરમ્યાન મહેરબાની કરીને તમારી છેતરાયા હોવાની પીડા બીજા પર લાદવાનું બંધ કરો. આમ કરવાથી આમિર ખાનને તો કોઈ નુકસાન થવાનું નથી. નરેન્દ્ર મોદીને થવાનો હશે તો થોડો રાજકીય ફાયદો થશે, પરંતુ દેશને લાંબા ગાળાનું નુકસાન થશે. તમે દ્વેષની તિરાડો પહોળી કરવાનું કામ કરો છો. આના કરતાં પણ વધારે મોટું નુકસાન એ છે કે તમે પોતે તમારા અંતરાત્માના ગુનેગાર ઠરો છો. આ ખોટનો સોદો પાછો એટલા માટે છે કે અસત્યના ઓજાર બનવામાં તમારો કોઈ અંગત સ્વાર્થ પણ નથી.

એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. આર્થિક શોષણ કેવું હોય એનો પ્રત્યક્ષ અનુભવ કરનાર શોષિત જેટલું સમજી શકશે એટલું તમે ક્યારે ય નહીં સમજી શકો. યૌન શોષણ કેવું હોય એ એનો ભોગ બનનારી સ્ત્રી જેટલું સમજી શકશે એટલું પુરુષ ક્યારે ય નહીં સમજી શકે, પછી તે ગમે એટલો સંવેદનશીલ હોય. સામાજિક ભેદભાવ કેવા હોય એ દલિત જેટલો સમજી શકશે એ સવર્ણ ક્યારે ય નહીં સમજી શકે, પછી ભલે તે મહાત્મા ગાંધી પોતે હોય. અસલામતી કેવી હોય એ બહુમતી કોમની વચ્ચે રહેતો લઘુમતી કોમનો માણસ સમજી શકશે એ તમે ક્યારે ય નહીં સમજી શકો, પછી ભલે તમે પ્રગતિશીલ સેક્યુલરિસ્ટ હો. પીડિતની પીડા પીડિત જ સમજી શકે. આ વાસ્તવિકતા છે જે મોટા દાવાઓ કરવાથી કે બાંયધરીઓ આપવાથી કે જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડવાથી મટવાની નથી. લોકોમાં રહેલી આવી પીડા અને અસલામતીમાંથી એક પ્રકારની ખાસ માનસિકતા જન્મે છે જેનો જે-તે વર્ગના રાજકારણીઓ રાજકીય લાભ લે છે.

સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે અવિશ્વાસની ખાઈ (ટ્રસ્ટ ડેફિસિટ) છે એ ભારતની વાસ્તવિકતા છે. એ ટ્રસ્ટ ડેફિસિટ ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી નક્કર રાષ્ટ્રીય એકતા સધાવાની નથી. એ ટ્રસ્ટ ડેફિસિટ એટલી પ્રચંડ છે અને એટલી ર્દીઘકાલીન છે કે એ રાતોરાત દૂર થવાની નથી. ગાંધીજીએ પૂરી પ્રામાણિકતા સાથે આ ટ્રસ્ટ ડેફિસિટ ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ છતાં ભારતનું વિભાજન થયું હતું અને ડૉ. આંબેડકરે હિન્દુ ધર્મ ત્યજી દીધો હતો. ગાંધીજી જેવા ગાંધીજીની શક્તિ ઓછી પડી હતી ત્યાં તમે કઈ વાડીનો મૂળો? તમે તમારી જાતને સહિષ્ણુ હોવાનું સર્ટિફિકેટ આપી દો એટલે લોકો સ્વીકારી લેવાના? આને માટે સહિષ્ણુ બનવું પડે અને અસહિષ્ણુતાની નિંદા કરવી પડે. એ પછી પણ તાત્કાલિક પરિણામ નથી આવવાનું, કારણ કે અવિશ્વાસની ખાઈ ઘણી ઊંડી છે. આ ખાઈ ચોક્કસ પૂરી શકાશે જો ગાંધીજીનું તાવીજ અપનાવીને સત્ય અને માનવતાના પક્ષે ઊભા રહીશું.

ગાંધીજીની હત્યા પછી અને હજી થોડા આગળ જઈએ તો જવાહરલાલ નેહરુના અવસાન પછી કોઈ રાજકીય પક્ષે ટ્રસ્ટ ડેફિસિટ ઘટાડવાનો પ્રયાસ કર્યો નથી. ભારતીય જનતા પાર્ટી, અકાલી દળ, શિવસેના અને કેટલાક મુસ્લિમ પક્ષો નગ્ન કોમવાદી રાજકારણ કરે છે તો બાકીના પક્ષો તુષ્ટિકરણનું રાજકારણ કરે છે. ગાંધી-નેહરુના ગયા પછી અવિશ્વાસની ખાઈ વધી છે, ઘટી નથી.

હવે એક સવાલ સુજ્ઞ વાચકને : તમે તમારી જિંદગીમાં કોઈ મુસ્લિમનો કે દલિતનો વિશ્વાસ સંપાદન કરવાનો કેટલી વાર પ્રયાસ કર્યો છે? કાલ કે પરમ દિવસે નહીં, આખી જિંદગીમાં? છાતી પર હાથ રાખીને પૂછી જુઓ તમારી જાતને આ સવાલ. પાનું સાવ કોરું રહે તો આશ્ચર્ય નહીં થાય. પોતે જ પોતાની જાતને માણસાઈનું સર્ટિફિકેટ આપી દેવું અને જાતને સાબિત કરવી એમાં જમીન-આસમાનનું અંતર છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 29 નવેમ્બર 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-29112015-16

Loading

બુકર ટી. વોશિંગ્ટન (આત્મકથા) – એક અનુવાદ

હરનિશ જાની|Opinion - Opinion|27 November 2015

હાલમાં વિચારવલોણું પરિવાર પ્રકાશનની પુસ્તિકા "બુકર. ટી. વોશિંગ્ટન"ની આત્મકથા, સંક્ષેપ્તમાં – ગુજરાતીમાં વાંચવામાં આવી. બુકર. ટી.ના નામથી બહુ ઓછા ગુજરાતીઓ પરિચિત હશે. તેમણે અમેરિકાના ગુલામોના ઇતિહાસ સંબંધક ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રેસિડન્ટ લિંકને ગુલામોને આઝાદી તો અપાવી, પણ તેમાંના એક ગુલામ બુકર ટી. વોશિન્ગ્ટને ગુલામોને તેમના ગુલામ વિચારોમાંથી મુક્તિ અપાવી હતી. બુકર ટી. વોશિંગ્ટન ગુલામીમાં ૧૮૫૬માં જન્મ્યા હતા. ત્યારે હજુ કાળા લોકોને ગુલામીમાંથી મુક્તિ નહોતી મળી. તે એક ગોરા અમેરિકન અને કાળી ગુલામ માતાના સંતાન હતા. તે સમયના ગુલામોની સ્થિતિ એક ઢોર કરતાં પણ બદતર હતી. માલિક કંતાનનાં કપડાં પહેરાવતા. જે શરીર પર ઘસાતાં. ખાવામાં મકાઈ અને ડુક્કરનું માંસ અને રહેવા માટે ભીંતો વિનાના છાપરાં. અને ભૂલ થાય તો માલિકો ચાબખા મારતા.

પ્રેસિડન્ટ લિંકનના પ્રયત્નોથી, સિવિલ વોરના અંતે, ૧૮૬૩માં ગુલામોને મુક્તિ મળી. ત્યારે બુકર. ટી, સાત વરસના હતા. તેમને  વાંચવા, લખવાની ખૂબ તમન્ના હતી. એ જ શિક્ષણની તીવ્ર ઈચ્છાએ એમને શિક્ષક, કેળવણીકાર અને અવ્વલ નંબરના ભાષણકર્તા બનાવ્યા. કાળા લોકોના લિડર બનાવ્યા, એટલી હદે કે એમના સમયના અમેરિકન પ્રેસિડન્ટ કાળા લોકોના પ્રશ્નોની ચર્ચા માટે બુકર ટી.ની સલાહ લેતા. હાર્વર્ડ યુનિવર્સિટીએ ૧૮૯૬ ડોક્ટરેટની માનદ્દ ડિગ્રી પણ એનાયત કરી. અને પ્રોફેસર વોશિન્ગટને, પત્ની  સાથે યુરોપની લેકચર ટુર પણ કરી.

"બુકર ટી વોશિંગ્ટન" ની આત્મકથાનો અનુવાદ ઈંગ્લિશ પરથી કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અનુવાદ કોણે કર્યો છે. એ બહુ અગત્યનું હોય છે. અનુવાદક મૂળ કૃતિને કેટલા વફાદાર રહી શકે છે, તે પણ જોવું પડે. અને તે માટે મૂળ કૃતિની ભાષા અને અનુવાદની ભાષાનું જ્ઞાન જરૂરી છે. જ્યારે બુકર ટી.ની આત્મકથાનો ગુજરાતી અનુવાદ તો  વાંચ્યો પણ અનુવાદકે ગુજરાતી શબ્દનો પ્રયોગ કયા અંગ્રેજી  શબ્દ પરથી લીધો હશે. તેની  રમત પણ મગજમાં ચાલતી હતી.

આ પુસ્તકમાં અનુવાદકને બે ચેલેન્જ હતી. એક તો મૂળ આત્મકથનનું સંક્ષિપ્તીકરણ કરવાનું અને તેનું ભાવાનુવાદ કરી ગુજરાતી વાચકના મનમાં પ્રવેશવાનું હતું. આ પુસ્તકનો ભાવાનુવાદ અશોક વિદ્વાંસે કર્યો છે. અશોકભાઈ ગોપાલરાવ વિદ્વાંસના સુપુત્ર થાય. ગોપાલરાવે મારા જેવા લાખો ગુજરાતીઓને મરાઠી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. વિ.સ.ખાંડેકરનાં પુસ્તકો ગામની લાયબ્રેરીમાંથી મેળવી, વાંચી, અમે મોટા થયા. મારા માટે ગોપાલરાવ નામ તો પુણ્યશ્લોક છે.

હું વિવેચક નથી. પણ ધ્યાનપૂર્વક વાંચતો વાચક જરૂર છું. પુસ્તક જે રીતે સમજ્યો છું. તેની વાત કરીશ. મારે કહેવું પડશે કે અશોક વિદ્વાંસે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરી આ મહાન વ્યક્તિનો પરિચય ગુજરાતી વાચકોને કરાવી બહુ મોટું કામ કર્યું છે. ખાસ કરીને જેઓને અમેરિકન ગુલામોનો ઇતિહાસ જાણવો હોય તેને માટે પુસ્તક ખૂબ અગત્યનું છે. અમેરિકાના ઇતિહાસમાં કાળા લોકોની પ્રગતિ કેવી રીતે થઈ તે સમજવા માટે આ પુસ્તક વાંચવું રહ્યું. અને આ અદ્દભુત વ્યક્તિને ઓળખવી બહુ જરૂરી છે. એકદમ જ આઝાદ થયેલા ગુલામોને આઝાદીના પહેલા દિવસે શું કરવું, તેની જ ખબર નહોતી એટલે "ઈક્વલ રાઈટસ્ – સમાન હકો"ની તો વાત જ ક્યાંથી હોય? આઝાદ થયા. હવે શું કરવાનું? એની કેટલી દ્વિધા થઈ હશે!

આ આઝાદી પહેલાં જુદા જુદા માલિકને ત્યાં ગુલામી કરતાં તેમના માતા અને ગુલામ ઓરમાન પિતા હવે ભેગા થયા અને તે લોકોએ ૩૦૦ માઈલ પગપાળા માલ્ડેન, વેસ્ટ વર્જિનિયા જવાનું નક્કી કર્યું. નાના બુકર ટી.ને જો એક માત્ર ધૂન ભરાઈ હોય તો તે ભણતરની. કોઈપણ હિસાબે આંકડા અને અક્ષર શીખવા હતા. પરંતુ પિતાએ માલ્ડેન ગામમાં તેમને કોલસાની ખાણમાં નોકરીએ લગાડ્યા બપોરે સ્કૂલ પતાવી સાંજે સ્કૂલમાં જતા, ત્યાં નાના બુકર કોલસાના પીપડાં પર લખેલા આંકડાઓ પરથી આંકડા શીખ્યા. માતાએ તેમને એક ડિક્ષનરી લાવી આપી. જેનાથી તે વાંચતા લખતા થયા.  સ્કૂલમાં ભણતા  ભણતા તેમણે ‘બુકર ટેલિફાનો વોશિંગ્ટન" નામ અપનાવ્યું. માલ્ડેન, વેસ્ટ વર્જિનિયાથી ૫૦૦ માઈલ પૂર્વમાં દૂર વર્જિનિયા સ્ટેટના હેમ્પટન ગામમાં ભણવા ગયા. ત્યાં જનરાલ આર્મસ્ટ્રોંગની દેખભાળ હેઠળ તેમણે હાઈસ્કૂલ પૂરી કરી. આ જનરલે સિવિલ વોર વખતે કાળા લોકોની બ્રિગેડની આગેવાની લીધી હતી. એ બુકર ટી.ના જીવનભરના હિતેચ્છુ રહ્યા. જ્યારે ટસ્કેજી, અલાબામાના ગોરા લોકોએ કાળા ગુલામો માટે સ્કૂલ ચાલુ કરી, ત્યારે જનરલ આર્મસ્ટ્રોન્ગના સૂચનથી બુકર ટી.ને સ્કૂલ ચાલાવવા નિયુક્ત કર્યા.

હવે બુકર ટીએ નક્કી કર્યું કે સ્કૂલનું બિલ્ડીંગ વિદ્યાર્થીઓ બનાવશે. તેમની પાસે ૩૦ વિદ્યાર્થીઓ હતા. આખો દિવસ તેઓ સ્કૂલ બાંધવાની ઈંટો બનાવવાથી માંડીને સુથારી કામ પણ જાતે કરતા. અને રાતે બુકર ટી ભણાવતા.

તેઓ માનતા કે દરેક વિદ્યાર્થીએ ભણ્યા પછી ગોરા લોકો સાથે ભળવું હોય તો કોઈ હુન્નર શીખવો જોઈએ. એ જ સાચું ભણતર હતું. તેમની સ્કૂલમાં લુહારીકામ કડિયાકામ, સુથારીકામ શીખવાડવામાં આવતું. તે માનતા કે ગોરી પ્રજાની સામે બળવો કરવા કરતાં તેમને "મોટા ભા" કરીને ઈકોનોમિક સ્ટેટસ વધારવું જોઈએ. તેમણે આખી જિંદગી સ્કૂલ ચલાવવા ગોરા લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો છે.

તેમણે ગોરા લોકોનો સહકાર  સહેલાઈથી મળતો. તે માનતા કે જો કાળી પ્રજા ભણેલી ગણેલી હશે તો પૈસે ટકે સુખી થશે. પછી બીજા પ્રશ્નો હલ કરતાં વાર નહીં લાગે.

આત્મકથામાં ક્યાં ય લખ્યું નથી. પરંતુ મારા અમેરિકન અનુભવથી કહું તો બુકર ટી. વોશિંગ્ટનને ગોરા પિતા તરફથી વારસામાં સફેદ ચામડી અને માંજરી આંખો મળી હતી. તેથી સ્કૂલ ચલાવવા માટે ફાળો ઉઘરાવવામાં તે વાત મદદ રૂપ રહેતી હશે. એમને આખી જિંદગી ગોરા લોકોએ પુષ્કળ પ્રેમ અને સહકાર આપ્યા છે. એટલી હદે કે એગ્રીકલચર મેળામાં ૧૮૯૫માં આપેલા પ્રવચનથી પ્રભાવિત થઈને પ્રમુખ ગ્રોવર ક્લિવલેન્ડે એમને મુલાકાત પણ આપી. એ પ્રવચનમાં તેમણે કાળા લોકોને ગોરાઓને મદદ કરવાની અને ભાઈભાઈ બની રહેવાની શીખામણ આપી હતી.

ટસ્કેજીમાં એક ઓરડાના બિલ્ડીંગવાળી સ્કૂલમાં ત્રીસ વિદ્યાર્થી સાથે ચાલુ કરેલી સ્કૂલમાં એમના મૃત્યુ ટાણે, તેની ૨,૩૦૦ એકર જમીન પર ૬૦થી વધુ બિલ્ડીંગોવાળી જાત જાતના વિષયો શીખવતી ૧૧૦ ના સ્ટાફવાળી યુનિવર્સિટી બની ગઈ હતી. ૧૦૦૦ એકર પર વિદ્યાર્થીઓ ખેતી કરતા અને જે આવક થાય તેમાંથી યુનિવર્સિટીનો ખર્ચો કાઢતા.

આત્મકથા લખવામાં મોટામાં મોટું ભયસ્થાન એ છે કે વ્યક્તિને પોતાના વખાણ કરવા હોય તો ન કરાય. અને ન કરે તો એ આત્મકથા અધૂરી ગણાય. તો બુકર ટી.ની એક વાત મને ગમી કે તેમણે પોતે આપેલું પ્રવચન કેટલું સરસ હતું અને લોકોએ કેવી રીતે વધાવ્યું. તે માટે તેમણે બીજા દિવસના સમાચાર પત્રોમાં તેમના વિષે કેવું અને શું લખાયું હતું. એ જણાવીને પોતાના વિષેની સારી વાતો જણાવી  છે. મને એ ગમ્યું.

બીજી એમની મર્યાદા મને સમજાઈ નહીં. તેમણે પોતાના વિરોધીઓ વિષે એકે શબ્દ નથી લખ્યો. તે સમયમાં W.E.B. Du Bois નામના બીજા કાળા લિડર હતા. એ પહેલી કાળી વ્યક્તિ હતી, કે જેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ૧૮૯૫માં ડોકટરેટ ડિગ્રી મેળવી હતી. તે માનતા કે જ્યાં સુધી કાળા લોકોને "સમાન હક્કો" અને "મતાધિકાર" ન મળે ત્યાં સુધી બધું નકામું. તેમણે બીજા લિડરોને મળીને કાળા લોકો માટે ૧૯૦૯માં'NAACP'  National Association  for  the Advancement of  Colored People. જે આજ સુધી કાર્યરત છે.

જ્યારે બુકર ટી. કાળા લોકો માટે એજ્યુકેશન અને ઈકોનોમી પર ભાર મુકતા.

અશોક વિદ્વાંસને ખૂબ ખૂબ અભિનંદન. ઇતિહાસમાં છુપાયેલા રત્ન ઉપર પ્રકાશ ફેંકવા બદલ. અને સીધી અને સરળ ભાષાના સામાન્ય વાચક સમજી શકે એવા આ ગુજરાતી અનુવાદ બદલ ધન્યવાદ.

10th June 2015.

E mail-  harnishjani5@gmail.com

Loading

ઝેરનાં વાવેતર ક્યાં સુધી ?

હિમાંશી શેલત|Opinion - Opinion|27 November 2015

સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન-સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી

વિદેશમાં કે દેશમાં આપણે ભૂંડા ન દેખાઈએ એ માટે એક હાથવગો બચાવ આપણી પાસે છે. ‘આપણું’ બંધારણ સહુને સમાન અધિકાર આપે છે, અને આપણી પહેલી પ્રતિબદ્ધતા આ બંધારણ માટે છે’ એવું વખતોવખત, જરૂર પ્રમાણે બોલાતું રહે છે. આમ છતાં ઘરઆંગણે બંધારણનું બંધન આ દેશના નિવાસીઓને કેટલું સ્વીકાર્ય છે, અને એને કેવોક આદર મળે છે, એ બહુ જાહેર કરવા જેવું નથી.

કર્ણાટકના કોલાર જિલ્લાની એક શાળામાં મધ્યાહ્ન ભોજનયોજના અંતર્ગત રસોઈ માટે એક દલિત મહિલા રાધામ્માને રોકવામાં આવી. આ હકીકતને પગલે છોકરાંઓએ રાંધેલી ચીજોને ખાવાનો વિરોધ કર્યો. સ્પષ્ટ છે કે બાળકોનાં ચિત્તમાં આ ભેદભાવનાં બીજ વડીલોએ, કે અન્ય શિક્ષકો, કે પછી ગામ લોકોએ વાવ્યાં. અખબારી અહેવાલને પહલે શિક્ષણતંત્ર જાગ્યું અને કાર્યરત થયું. જ્ઞાતિભેદની આ ઘટનાનાં માઠાં પરિણામ આવે એ પહેલાં સંબંધિત અગ્રેસરોની યોગ્ય દરમિયાનગીરી પછી છોકરાંઓએ મધ્યાહ્નન ભોજનને સ્વીકાર્યું અને બહિષ્કારનો અન્યાય અટકાવી શકાયો.

શાળામાં વર્ગભેદને પ્રોત્સાહન આપવાનો અપરાધ હજી સુધી બેરોકટોક આચરવામાં આવે છે એ બાબતથી આશ્ચર્ય થવું જોઈએ, છતાં થતું નથી. પોતે કઈ જ્ઞાતિના છે એ દેખાડવા કાંડે અમુક તમુક રંગના દોરા બાંધવા, શાળાના પૂજા અથવા પ્રાર્થના જેવા કાર્યક્રમોમાંથી દલિત વર્ગનાં બાળકોને બાકાત રાખવાં, કેટલાક ખાસ પ્રસંગો વખતે એમને સામેલ ન કરવાં ઇત્યાદિ ઘટનાઓ આ વિશાળ દેશને ખૂણેખાંચરે બનતી રહે છે, અને ઘણીવાર તો એ નોંધાતી પણ નથી. ભેદભાવની ઘટનાનાં કેન્દ્રો જ્યારે નિશાળ ખાતે હોય ત્યારે ચોંકવું જોઈએ. મોટેરાંઓની સંકુચિત મનોદશા અને પ્રતિષ્ઠા કે મોભાવિષયક વાહિયાત ખ્યાલો ઉછરતાં બાળકોને લેશ પણ ન અડે એટલું સ્વચ્છ વાતાવરણ હજી સુધી તો આ સમાજમાં સર્જાયું નથી. પુરાવાઓ મળતા રહે છે, એમાંનો એક તે કર્ણાટકના ગામે રાધામ્માનું રસોડું. જે વિચાર બાળકોના મનમાં પ્રવેશી ન શકે એને એમના પર લાદવા માટે, ઠોકી બેસાડવા માટે, જવાબદાર લોકોને અટકાવવા માટે છે આપણી પાસે કશી કાયદાકીય વ્યવસ્થા? વર્ગભેદનો સડેલો કચરો બાળકોનાં ચિત્તમાં ઠાંસી દેવાનું હીન કૃત્ય કરનારને આપણે કઈ શિક્ષા કરીશું? સામે બેસાડીને બંધારણે આપેલા સમાન અધિકારની માહિતી આપીશું?

એક અન્ય ઘટના તો આથીયે ભયાનક છે. તમિલનાડુનાં મહિલા ડીએસપી વિષ્ણુિપ્રયાને ભાગે ગોકુલરાજ નામના દલિત યુવકની હત્યાની તપાસનું કામ આવ્યું. ગોકુલરાજની હત્યાને આત્મહત્યામાં ખપાવી દીધેલી, પણ પ્રાથમિક તપાસમાં જ સાફ થઈ ગયેલું કે આ ખૂનનો કિસ્સો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલે પણ આ હકીકતને સમર્થન આપ્યું. એક તો દલિતવર્ગની મહિલા ને વળી પોલિસ અધિકારી. વિષ્ણુિપ્રયાની કનડગતમાં કશું બાકી ન રહ્યું. ઉપરથી વકરેલા જાતિવાદના રાજકારણે પણ આ ઘટનામાં વરવો ભાગ ભજવ્યો. વિષ્ણુિપ્રયાના પરિવારની રજૂઆત મુજબ એ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતી સ્ત્રી હતી, ત્રાસીને મોત વહાલું કરે એ એના સ્વભાવમાં નહીં. છતાં એ સાચું કે એ ફાંસો ખાઈને મરી ગઈ. આ પણ આત્મહત્યા કે કશીક મેલી રમત, તપાસમાં જે બહાર આવે તે, અને એયે વળી તપાસ સરખી, એટલે કે તટસ્થ થાય તો.

વિદ્યાર્થીકાળથી જ સમાનતાનાં મૂલ્યો દૃઢ થવા જોઈએ. કોઈ એક સમયે, જ્યારે સમાજનાં સત્કાર્યો કરનારી વ્યક્તિઓને વિશિષ્ટ સ્થાન અને સન્માન મળતાં ત્યારે થોડી ઉમદા પરંપરાઓ પણ હતી. ઉદાહરણ તરીકે વિનોબાજીની ભૂદાનયાત્રા વખતે એ જ્યાં રોકાણ કરતાં ત્યાંની શાળાઓનાં વિદ્યાર્થીઓની સભામાં એ વિદ્યાર્થીઓ પાસે વ્રત લેવડાવતા. કોઈ દુરાગ્રહ નહીં, દબાણ નહીં, માત્ર સદ્દવર્તન અને માનવીય ગુણોને પ્રેરી શકે એવાં વ્રત. સરળતાથી આચરણમાં મૂકી શકાય તેવાં. એ વ્રત યાદીમાં એક ‘ભેદભાવરહિત મન કર્મ અને વાણીને જાળવવાનું’ પણ હતું. યાદ છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ હોંશેહોંશે વ્રત લેતાં, અને એનો મહિમા કરતાં. વિનોબાજી સામે વ્રત ગ્રહણ કર્યું હોય, એમણે માથે હાથ મૂકીને વ્રત લેવડાવ્યું હોય તો એને જીવનભર સાચવવાનું વિદ્યાર્થીઓના કોરા અને દૂષણમુક્ત મનમાં આલેખાઈ જાય એમાં નવાઈ નહીં. એ દિવસોમાં આવું બધું થતું, થઈ શકતું, શિક્ષણ સાથે સંકળાયેલાં લોકો આવા ઉત્તમ વિચારો પણ આવતા. સદાચારની આવી સામાન્ય બાબતો જીવનમાં વણાઈ જાય તો આસપાસની માઠી અસરો વ્યક્તિને લેશ પણ પલટી શકતી નથી. સજાગ રહેવું એને માટે સહજ બની જાય છે, શ્વાસ લેવા જેટલું સહજ.

શિક્ષિત વ્યક્તિઓને પણ આપણે ન્યાતજાતમાં ભારે ભરોસો રાખતી જોઈ છે. આપણા અનેક ગમા અણગમા અને નિરીક્ષણો જ્ઞાતિ અધારિત નથી હોતા? આ પ્રકારની વૃત્તિ સર્વથા છોડવાનું અથવા એનાથી સંપૂર્ણપણે મુક્ત રહેવાનું બહુ ઓછાને ફાવે છે. ક્યારેક ભેદભાવયુક્ત અભિગમ સૂક્ષ્મ અને નિર્દોષ રીતે, સાવ અજાણતાંમાં જ પ્રગટ થઈ જાય છે. કોઈ મહાનુભાવ જ્ઞાતિબંધુ કે જ્ઞાતિભાગિની છે, એમ જાહેર કરતી વખતે અવાજમાં પારખતાં મુશ્કેલી પડે એવો અહંકાર પેસી જાય છે. આ બારીક અહંકાર ચડતી ઊતરતી પાયરીની આપણી સમજ સાથે સીધો સંબંધ ધરાવે છે, ભલે એ કબૂલ કરવામાં આપણને આપણું કદ બે ઈંચ ઘટી જતું લાગે!

શોષણ અને અત્યાચારના ચક્રમાંથી બહાર આવવા માટે જ્ઞાતિવાદનાં વલણો મૂળસોતાં ખેંચવા પડે. આ પ્રયાસો પ્રાથમિક શિક્ષણ, પરિવારના વાતાવરણથી અને સામાજિક નેતૃત્વથી થઈ જ શકે, પણ એને માટે સમય અને ધીરજ જોઈએ. મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ જોઈએ, પ્રયત્નો ઠરે એવું સાનુકુળ વાતાવરણ જોઈએ. આમાનું કશુંયે આપણા ભંડોળમાં ન હોય તો કાયદાનો કડક અમલ-બંધારણ મુજબ એ એકમાત્ર ઉપાય. હૃદયપરિવર્તન કરવાની આપણી તાકાત નથી, યા હોમ કરીને પડે એવાં ભેખધારી વ્યક્તિત્વો ઓછાં છે એટલે કાયદાના શાસન પર જ આધાર રાખવો પડે. પરંતુ દલિતો માટે આ પણ સહેલું નથી. એમનો આર્થિક અને સામાજિક બહિષ્કાર થાય ત્યારે જીવન દુષ્કર બની જાય છે. જ્ઞાતિપ્રથા અને વર્ગભેદની દારુણ અવદશામાંથી બહાર આવવા માટે શિક્ષણ અને કાયદાએ ભેગાં થવું જોઈએ. પોલીસતંત્રને માત્ર ઉપર ઉપરથી નહીં, પાયાથી અને ઊંડાણપૂર્વક સંવેદનશીલ બનાવવું જોઈએ. દલિતવર્ગ કે લઘુમતિ સમુદાય એનાથી ડરીને અવળો ભાગે એવી સ્થિતિને બદલે એ વિશ્વાસપૂર્વક એની પાસે જઈ શકે એમ બનવું જોઈએ. શિક્ષણ સાથે સંકળાયેલાં, વર્ગભેદ અને જાતિભેદ સદંતર ભૂલી શકેલાં તમામને સંવેદનશીલતાની સઘન તાલીમ આપવા માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. પલટો ત્વરિત નથી આવવા, ભેદભાવના જડત્વને નાથવામાં સમય, શ્રમ અને ઇચ્છાશક્તિની જરૂર પડવાની. એ સાથે સવર્ણો માટેનો અકારણ અણગમો પણ નકારવો પડશે. ઉજળિયાત એ શોષકનો પર્યાય નથી. એને પણ પોતાનો જન્મ પસંદગીથી નથી મળ્યો. અને ઝેર તો ઝેર જ છે, એ જે વર્ગનું હોય એ ઝેરનાં વાવેતર અટકાવવાં જ પડે, તાકીદે પોતપોતાની રીતે.

સૌજન્ય : ‘પ્રેરક સ્મૃિત’, “દિવ્ય ભાસ્કર”, 20 નવેમ્બર 2015

Loading

...102030...3,6513,6523,6533,654...3,6603,6703,680...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved