Opinion Magazine
Number of visits: 9552933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીવાદી ચુનીભાઈ વૈદ્યનો તાજેતરમાં પ્રકાશિત થયેલો સ્મૃિતગ્રંથ ‘અગ્નિપુષ્પ’

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 December 2015

નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે રોજિંદા જીવનમાં ડાયરી-લેખનને સામેલ કરવા જેવું ખરું

ગાંધીવાદી આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્મૃિતગ્રંથ ‘અગ્નિપુષ્પ’નાં પાનાં ઊથલાવતાં ઊથલાવતાં તેના તસવીર વિભાગમાં જોયું તો એક પાના પર ચુનીકાકાની બે લાક્ષણિક તસવીરો સાથે એક વાક્ય વાંચવા મળ્યું, ‘કાયમના સંગાથી રોજનીશી અને ચા’. ઈસુના નવા વર્ષમાં આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે થયું કે ચાલો આજે થોડી રમઝટ રોજનીશી પર થઈ જાય! રોજનીશી માટે ગુજરાતીમાં ઘણાં સુંદર શબ્દો છે, દૈનંદિની, વાસરી કે વાસરિકા, નિત્યનોંધપોથી, સ્મરણપોથી, એક ક્યૂટ શબ્દ છે – દિનકી. જો કે, આપણામાંના મોટા ભાગનાને પારકી ભાષા(અંગ્રેજી)નો ‘ડાયરી’ શબ્દ થોડો વધારે જાણીતો ને પોતીકો (નિયર એન્ડ ડિયર) લાગી શકે!

ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. આજે ગાંધીજીનાં કાર્યો અને વિચારોનો વારસો અને અધધ દસ્તાવેજો આપણી પાસે ઉપલબ્ધ છે, જેનું શ્રેય તેમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈને જાય છે, જેમણે ગાંધીજીના વિચાર-આચારની દાયકાઓ સુધી વ્યવસ્થિત નોંધ રાખીને 23 ગ્રંથો તૈયાર કર્યા, જે ‘મહાદેવભાઈની ડાયરી’ તરીકે વિશ્વની શ્રેષ્ઠ ડાયરીઓમાં સ્થાન ધરાવે છે. મહાદેવભાઈની દૈનિક નોંધ રાખવાની સુટેવનો વારસો બબલભાઈ મહેતાથી લઈને ચુનીભાઈ વૈદ્ય સુધીના અનેક ગાંધીજનોએ પણ જાળવ્યો હતો. આ ડાયરીઓ એ ગાંધીજીના જીવનની જાણકારી ઉપરાંત ગુજરાતના લોકજીવનની 4-D સોનોગ્રાફી જેવી છે! આઝાદી આંદોલન વખતે જેલવાસ દરમિયાન અનેક નેતાઓએ ડાયરીઓ લખી હતી. ભગતસિંહની જેલ ડાયરી તો રાષ્ટ્રપ્રેમનો અમર દસ્તાવેજ ગણાય છે.

ડાયરીની વાત નીકળતાં એન ફ્રેન્કની વિશ્વપ્રસિદ્ધ ડાયરી તરત જ યાદ આવી જાય. અન્ય જાણીતી ડાયરીઓની વાત કરીએ તો વિશ્વપ્રસિદ્ધ લેખિકા વર્જિનિયા વુલ્ફની ડાયરીઓ પણ પ્રખ્યાત છે તો ‘એલીસ ઇન વંડરલેન્ડ’ના લેખક લેવિસ કેરોલની ડાયરી પણ ચર્ચિત છે. અમેરિકાના મોટા ભાગના રાષ્ટ્રપ્રમુખો ડાયરી લખવાની ટેવ ધરાવતા હતા, પણ એમાં હેરી એસ. ટ્રુમેનની ડાયરી યુનિક ગણાય છે. વિશ્વયુદ્ધો દરમિયાન સૈનિકો-અફસરો દ્વારા લખાયેલી ડાયરીઓએ અજાણી ઐતિહાસિક ઘટનાઓને અમર બનાવી છે.

દરેકને ડાયરી લખવાનો આગ્રહ કરનારા ગાંધીજી ડાયરીને જીવનસુધારક ગણતા હતા. તેમણે લખ્યું છે, ‘રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરત નહીં તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણાં દોષોમાંથી આપણને બચાવી લેશે, કેમ કે તે આપણા દોષની સાક્ષીરૂપ રહેશે. તેમાં કરેલા દોષોની નોંધ આવવી જ જોઈએ. તેની ઉપર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર જ હોય. આજે ‘બ’ ઉપર ક્રોધ આવ્યો, આજે ‘ક’ને છેતર્યો આટલો ઉલ્લેખ બસ છે. આ બહુ ખોટું થયું, રે મન હવે એમ ન કરવું વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાની સ્તુિતનાં વચન લખવાનાં હોય જ નહીં. કરેલાં કામોની ને કરેલા દોષની નોંધ હોય એ બસ છે. બીજાના દોષની નોંધ રોજનીશીમાં હોવી ન ઘટે.’ અલબત્ત, તમે ડાયરીમાં ઇચ્છો તે લખવા સ્વતંત્ર છો, શરત એટલી કે ડાયરી લખવી જોઈએ.

ડાયરી એટલે રોજેરોજ ભરાતો જતો સ્મરણોનો દરિયો. પુસ્તકો આપણા મિત્ર કહેવાય છે, પણ સામાન્ય માનવીથી લઈને સાહિત્યકાર, પત્રકાર, પ્રવાસી, સંશોધક, વિજ્ઞાની, અધિકારી, મેનેજર, ઉદ્યોગપતિ, સમાજસેવક કે રાજનેતા માટે ડાયરી પરમ સાથી તેમ જ પરમ સાક્ષીની ભૂમિકા ભજવી શકે છે. નવા વર્ષને વધાવવાની સાથે રોજેરોજનાં સ્મરણોને એક ડાયરીમાં ટપકાવી લેવાનું સ્વૈચ્છિક વ્રત લેવા જેવું ખરું!

સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 30 ડિસેમ્બર 2015

Loading

અખંડ ભારત કાજે સુભાષની પહેલ

હરિ દેસાઈ|Opinion - Opinion|30 December 2015

ઝીણાને પણ સુભાષની ઑફરમાં ગંભીરતા જણાઈ હતી, છતાં હિંદુ કટ્ટરવાદી નેતાઓને સંમત કરવા જરૂરી હતું

ભારતની આઝાદીનો ઇતિહાસ ફરી ફરીને અનુકૂળતા મુજબ તાજો કરીને વર્તમાનમાં વિજય મેળવવાની રાજકીય પક્ષો અને નેતાઓની કોશિશો અખંડ રહી છે. ભાગલા માટે જવાબદાર લેખાવીને ગોળીએ દેવાયેલા મહાત્મા ગાંધીએ તો પોતાના મૃતદેહ પર પણ ભારત અને પાકિસ્તાનના નોખા અસ્તિત્વને નકાર્યું હતું. ભાગલા અનિવાર્ય લાગતા હતા એવા સંજોગોમાં એમણે મહંમદ અલી ઝીણાને પ્રથમ વડાપ્રધાન બનાવવાની ઑફર પણ કરી જોઈ.

પરંતુ મુસ્લિમો માટે અલાયદા દેશના આગ્રહી બીજા કાઠિયાવાડી એવા ઝીણા માન્યા નહીં, અને પંડિત જવાહરલાલ નેહરુએ તો યેન કેન પ્રકારેણ વડાપ્રધાન થવું હતું એટલે ૧૪-૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ખંડિત ભારતને સ્વતંત્રતા મળી. ઇતિહાસનો એ ઘટનાક્રમ નકારવાનું અશક્ય છે, પરંતુ વિભાજન કે દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને નહીં સ્વીકારનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની સત્તાવાર વેબસાઇટ પર ફરીને ગુરુજી(સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર)નું કથન ઝગારા મારતું થયું છેઃ ‘જો વિભાજન એ સ્થાયી હકીકત બની હોય તો આપણે એને અસ્થાયી બનાવી દઇશું.’ આર.એસ.એસ.ના દ્વિતીય પ્રચારક જ્યારે વડાપ્રધાન તરીકે બિરાજમાન હોય ત્યારે અન્ય એક પ્રચારક રામ માધવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારી (ડિપ્લોમેટિક) નીતિ અનુસાર ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશને ફરી અખંડ ભારતમાં ફેરવાઈ જતી ભવિષ્યવાણી કરી છે.

કૉંગ્રેસના બબ્બે વાર અધ્યક્ષ રહ્યા પછી ફૉરવર્ડ બ્લૉકનો અલગ ચોકો રચનાર અને રાસબિહારી બોઝ કનેથી આઝાદ હિંદ ફોજનું સરસેનાપતિનું પદ સ્વીકારી બાહોશીભરી લડત આપનાર સુભાષચંદ્ર બોઝ પોતે મૌલાના મુહમ્મદ ઝિયાઉદ્દીન તરીકે કોલકાતાથી ૧૭-૧૮ જાન્યુઆરી ૧૯૪૧ની અંધારી રાતે ‘મહાભિનિષ્ક્રમણ’ કરીને અત્યારના પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને રશિયાને મારગ હિટલર-મુસોલિનીના જર્મની-ઇટલી પહોંચી ગયા હતા. એ પછી અલોપ રહેલા નેતાજીનાં વર્ષોનાં તથ્યો પરથી એમના આગામી જન્મદિન ૨૩ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી પડદો ઊંચકવાના છે.

દેશમાં હિંદુવાદીઓ સત્તા સ્થાને હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ભૂતકાળના કૉંગ્રેસી નેતાઓને હિંદુવાદી ગણાવવાની કોશિશોનો ઊભરો આવે. એવી જ કાંઈક સુભાષને હિંદુવાદી ગણાવી દેવાની કોશિશો ચાલી રહી છે. એનું ઉદાહરણ આપતાં ૧૮ કે ૧૯ કે ૨૦ જૂન ૧૯૪૦ના રોજ નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક એવા ડૉ. કેશવ બલિરામ હેડગેવારને મળવા સુભાષ ગયા હતા અને એ પછી કોલકાતા પાછા ફરતાં મુંબઇમાં હિંદુ મહાસભાના સુપ્રીમો વીર સાવરકરને દાદરસ્થિત સાવરકર-સદન જઈને મળ્યાની વાતને આગળ કરાય છે. ઇતિહાસનાં તથ્યોમાંનાં અનુકૂળ સત્યો કે અર્ધસત્યોને રજૂ કરીને મનગમતાં તારણો કાઢવામાં સુભાષનો આત્મા કેવો કણસતો હશે તેની કલ્પના કરી શકાય છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ હિંદુ-મુસ્લિમ એકતાના પ્રણેતા હતા અને મહાભિનિષ્ક્રમણ પહેલાં એમણે અંગ્રેજો સામેની હિંદુ-મુસ્લિમ સંયુક્ત લડત માટે મહાત્મા ગાંધીને નેતૃત્વ હાથમાં લેવાનો આગ્રહ કરવાથી લઈને અખંડ ભારતને ટકાવવા માટે મોહમ્મદ અલી ઝીણાને અલગ પાકિસ્તાનની માગણીથી વારવા માટે અખંડ ભારતના વડાપ્રધાનપદની ઑફર પણ કરી હતી. ઇતિહાસના દસ્તાવેજોમાં નોંધાયેલી હકીકત તો એ છે કે મહાત્મા ગાંધીએ ભારતના ભાગલા ટાળવા માટે ઝીણાને દેશનું વડાપ્રધાનપદ ઑફર કરવાનું પસંદ કર્યું, એ પહેલાં સુભાષે એ દિશામાં પ્રયત્ન કરી જોયા હતા. ઝીણાને પણ સુભાષની ઑફરમાં ગંભીરતા જણાઈ હતી, છતાં એ માટે હિંદુ મહાસભાના અધ્યક્ષ વીર સાવરકર અને બીજા હિંદુવાદી નેતાઓને એ દરખાસ્ત સાથે સંમત કરવાની જરૂર હતી.

વર્ષ ૧૯૩૮ અને ૧૯૩૯ એમ બબ્બે વાર સુભાષ અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા. પહેલીવાર ગાંધીજીના ટેકાથી અને બીજી વાર ગાંધી-સરદારની અનિચ્છાએ. ગાંધીજીના કહ્યાગરા બનાવવાનો સાફ ઇન્કાર કરી દેનાર નેતાજીએ ૨૯ એપ્રિલ ૧૯૩૯ના રોજ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ૩ મે ૧૯૩૯ના રોજ ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના કરી હતી. વીર વિઠ્ઠલભાઈ પટેલ અને મોહમ્મદ અલી ઝીણા સાથે સુભાષને સારો ઘરોબો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ. ફૉરવર્ડ બ્લૉકની મુંબઈમાં બેઠક પછી ૨૦, ૨૧ અને ૨૨ જૂન ૧૯૪૦ દરમિયાન નાગપુરમાં અખિલ ભારતીય ફૉરવર્ડ બ્લૉકનું અધિવેશન યોજાયું હતું. એમાં હાજરી આપવા માટે સુભાષ નાગપુર ગયા હતા.

એ વેળા ડૉ. હેડગેવારની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર મળતાં એ તેમને મળવા ગયા હતા, પરંતુ ડૉક્ટરજી નિદ્રાવશ હોવાથી એમને જગાડ્યા વિના એ પાછા ફર્યા હતા; એની નોંધ પાલકરલિખિત ડૉ. હેડગેવાર ચરિત્રમાં કરવામાં આવેલી છે. ડૉ. હેડગેવાર કૉંગ્રેસના અગ્રણી હતા એટલે કોલકાતાના ૧૯૨૮ના કૉંગ્રેસ અધિવેશનમાં તેઓ સુભાષને મળ્યા હોવાની નોંધ પણ સંઘના સાહિત્યમાં મળે છે. સંઘની સત્તાવાર વેબસાઇટ પર ૨૧ જૂન ૧૯૪૦ના રોજ ડૉ. હેડગેવારના દેહાવસાનની પહેલાં ૧૯મી જૂને (હિંદીમાં) સુભાષ ડૉક્ટરજીની બીમારઅવસ્થાને કારણે દર્શન કરીને પરત ગયાનો ઉલ્લેખ છે, પણ આ જ વેબસાઇટ પર અંગ્રેજીમાં મરણપથારી અવસ્થામાં ડૉક્ટરજીની સુભાષ સાથેની મુલાકાત ૨૦ જૂન ૧૯૪૦ના રોજ કરાવાય છે. સંઘવિચારક ડૉ.રાકેશ સિંહાલિખિત ‘ડૉ. કેશવ બલિરામ હૅડગેવાર’માં બંનેની ઉપરોક્ત મુલાકાત ૨૦ જૂન ૧૯૪૦ના રોજ કરાવાઈ છે.

જો કે ‘સાવરકરસમગ્ર’ના આઠમા ખંડમાં સાવરકરે સુભાષ સાથેની આકસ્મિક મુલાકાતનું વિગતે વર્ણન કર્યું છે. મુંબઇમાં ઝીણાને મળીને ૨૨ જૂન ૧૯૪૦ના રોજ સુભાષચંદ્ર વીર સાવરકરને મળવા આવ્યા હોવાનું પણ એમાં સ્પષ્ટ છે. આ નોંધ અનુસાર નેતાજી પોતાના પક્ષ ફોરવર્ડ બ્લૉકને હિંદુ સંસ્થા ગણાવવાનો સાફ નન્નો ભણીને બેઉ વચ્ચે ચર્ચા આગળ ચાલ્યાનો ઉલ્લેખ મળે છે.

સુભાષને મહાભિનિષ્ક્રમણ વેળા તેમના ચાલક તરીકે સહયોગ આપનાર ભત્રીજા શિશિર અને એમના પુત્ર સુગત બોઝ (હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક અને લોકસભામાં તૃણમૂલ કૉંગ્રેસના વર્તમાન સભ્ય) દ્વારા સંપાદિત નેતાજીની અધૂરી આત્મકથા ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ’ના બીજા ખંડમાં નોંધવામાં આવ્યું છે કે કૉંગ્રેસ કારોબારીના ઠરાવને પગલે ગાંધીજી સાથેની ચર્ચાવિચારણા ઉપરાંત મુસ્લિમ લીગના ઝીણા અને હિંદુ મહાસભાના સાવરકર સહિતનાઓને ભાગલા ટાળવા માટે સુભાષે મનાવી લેવાની ખૂબ કોશિશ કરી હતી.

આઝાદીની લડત માટે કૉગ્રેસનો સાથ સહકાર લઈને મોહમ્મદ અલી ઝીણાને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બનાવીને પણ અખંડ ભારતને જાળવવા સુભાષ કૃતસંકલ્પ હતા. ઝીણાને બ્રિટિશ મદદથી પાકિસ્તાન મેળવવામાં રસ હતો અને સાવરકર બ્રિટિશ લશ્કરમાં હિંદુઓને તાલીમ મળે એનો જ વિચાર કરતા હતા એટલે નેતાજીને અંતે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા કનેથી કોઈ અપેક્ષા રાખવાનું નિરર્થક જણાયું હતું.

નેતાજીને નેહરુ, સાવરકર અને ઝીણાનો અખંડ ભારતને ટકાવવામાં સહયોગ મળ્યો હોત તો ઇતિહાસ સાવ જુદો જ હોત.

e.mail : haridesai@gmail.com

સૌજન્ય : ‘અજાણ્યું પ્રકરણ’, “દિવ્ય ભાસ્કર”, 30 ડિસેમ્બર 2015 

Loading

ટાગોર-ઓકામ્પોઃ ફ્રોમ આર્જેન્ટિના વિથ લવ …

વિશાલ શાહ|Opinion - Literature|30 December 2015

મને ખાલી હાથે વિદાય આપ
રખેને પ્રેમની તેં ચૂકવેલી કિંમત
મારા હૃદયની નિર્ધનતાને ઉઘાડી પાડે
એટલે એ જ સારું છે હું નિઃશબ્દ રહું
અને મને ભૂલી જવામાં તને મદદ કરું

રવીન્દ્રનાથ ટાગોરે આર્જેન્ટિનાની વિક્ટોરિયા ઓકામ્પો નામની એક સન્નારીને 'આશંકા' નામનું આ કાવ્ય (અહીં મૂળ બંગાળી કાવ્યના અંગ્રેજી અનુવાદનો ભાવાનુવાદ મૂક્યો છે.) અર્પણ કર્યું હતું. આ કવિતામાં ટાગોર વિક્ટોરિયાને કહે છે કે, હું નિઃશબ્દ થઈ જાઉં એ સારું છે જેથી મને ભૂલી જવામાં તને મદદ કરી શકું. જો કે, ટાગોર અને ઓકામ્પો જીવનના અંત સુધી એકબીજાને ભૂલી શક્યા ન હતાં. ઊલટાનું ટાગોર જીવનનાં અંતિમ ૧૭ વર્ષ વિક્ટોરિયાને લાગણીમય પત્રો લખીને 'લાઈવ કોન્ટેક્ટ'માં રહ્યા હતા.

વિક્ટોરિયા નવેમ્બર ૧૯૨૪માં આર્જેન્ટિનાથી ટાગોરને પત્ર લખીને આ કવિતાનો જવાબ આપતા લખે છે કે,  ''ફરી નિહાળવાની કોઈ તક મળવાની ન હોય તો પણ ભારતનું તમારું પોતાનું આકાશ તમે ભૂલી શકો ખરા? મારે માટે તમે એ આકાશ જેવા છો. પ્રત્યેક કળી અને એકેએક પર્ણથી પોતાને પ્રકાશમાં દૃઢમૂળ કરવા વૃક્ષ જેમ શાખાઓ પ્રસારે છે તેમ મારાં હૃદય ને મન તમારા તરફ વળ્યાં છે. બારીમાંથી ડોકાઈ સૂર્યનો અણસાર પામવાથી વૃક્ષને કદી સંતોષ થાય ખરો? એને તો થાય કે સૂરજ એના પર વરસે, તેને ભીંજવી નાંખે અને સૂર્યનું તેજ ચૂસી તેનું નાનામાં નાનું જીવડું પણ ફૂલમાં ખીલી ઊઠવાનો આનંદ ઊજવે. આકાશમાંથી વરસતા પ્રકાશને લઈને જ વૃક્ષ પોતાની જાતને ઓળખે છે, પ્રકાશ સાથે એકાકાર થઈને જ વૃક્ષ મહોરે છે. વૃક્ષ પ્રકાશને કદી ભૂલી ન શકે, કારણ કે પ્રકાશ જ તેનું જીવન છે …''

નવેમ્બર ૧૯૨૪માં ટાગોર આર્જેન્ટિનામાં પહેલીવાર વિક્ટોરિયાને  મળે છે ત્યારે તેમની ઉંમર હતી ૬૩ વર્ષ, જ્યારે વિક્ટોરિયાની ઉંમર હતી ૩૪ વર્ષ. આ મુલાકાત પછી ટાગોર અને વિક્ટોરિયાએ અજાણતા જ સર્જેલું 'પત્ર સાહિત્ય' વાંચતા આપણી સમક્ષ ટાગોર અને વિક્ટોરિયાનાં જીવનનું, તેમનાં વ્યક્તિત્વનું એક અનોખું પાસું ખૂલે છે. ટાગોર-વિક્ટોરિયાની મુલાકાત એક રસપ્રદ અકસ્માત હતો. વર્ષ ૧૯૧૩માં 'ગીતાંજલિ' માટે નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોર વૈશ્વિક સ્તરની ખ્યાતનામ હસ્તી હતા. બંગાળમાં શાંતિનિકેતન અને વિશ્વભારતીની સ્થાપના થઈ ગઈ હતી અને તેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી રહી હતી. આ સંસ્થાઓ માટે ભંડોળ ભેગું કરવા ટાગોર વિશ્વભ્રમણ કરી રહ્યા હતા.

આ દરમિયાન ઓક્ટોબર ૧૯૨૪માં ટાગોરને લેટિન અમેરિકાના નાનકડા દેશ પેરુના સ્વાતંત્ર્ય સંગ્રામની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. ટાગોર હાજર રહે તો પેરુ સરકાર વિશ્વભારતી માટે એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. એ પછી ટાગોરે મેક્સિકોની મુલાકાતે જવાનું હતું અને ત્યાંની સરકાર પણ એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. આ આમંત્રણ પહેલાં જ ૬૦ વર્ષ વટાવી ચૂકેલા ટાગોર ચીન-જાપાનના ચાર મહિનાના પ્રવાસેથી થાકીને પરત ફર્યા હતા. આમ છતાં, શાંતિનિકેતનને આર્થિક મજબૂતી આપવાના હેતુથી તેઓ દરિયાઈ માર્ગે લેટિન અમેરિકા જવા નીકળ્યા. જો કે, જહાજમાં ટાગોરની તબિયત બગડતા તબીબોએ તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી. ટાગોરને એવી પણ સલાહ અપાઈ કે, પેરુની સરમુખત્યાર સરકાર તેમના જેવી વિભૂતિને 'સરકારી કાર્યક્રમ'માં હાજર રાખે તો વિશ્વમાં અયોગ્ય સંકેતો જઈ શકે છે! (આ સલાહ કોણે આપી હતી એ જાણી શકાયું નથી.) આ કારણોસર ટાગોર અને તેમના અમેરિકન સેક્રેટરી લિયોનાર્ડ એમહર્સ્ટે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરિસમાં રોકાવું પડ્યું.

જો કે, ટાગોરને અનિશ્ચિત દિવસો સુધી હોટેલમાં રોકાવું પોસાય એમ નહોતું એટલે લિયોનાર્ડે મદદ માટે સંપર્કો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેને જાણકારી મળી કે, બ્યુનોસ એરિસથી થોડે દૂર સાન ઈસિદ્રોમાં વિક્ટોરિયા ઓકામ્પો નામની ટાગોરની એક ઘેલી વાચક અને ચાહક રહે છે. વિક્ટોરિયાએ ફક્ત ૨૨ વર્ષની વયે મનગમતા યુવક સાથે લગ્ન કર્યા હતાં પણ લગ્નજીવન ભંગાણે ચડતા તેમણે 'લિગલ સેપરેશન' મેળવ્યું હતું. એ દુઃખદ દિવસોમાં 'ગીતાંજલિ'નો ફ્રેન્ચ અનુવાદ વાંચીને વિક્ટોરિયાના મનને શાંતિ મળી હતી. તેમણે ટાગોરના અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેિનશ અનુવાદો પણ વાંચ્યા હતા. આર્જેન્ટિનાના અગ્રણી અખબારોમાં પણ વિક્ટોરિયા પ્રસંગોપાત લખતાં હતાં. તેમણે ગાંધી, રસ્કિન (બ્રિટિશ કળા વિવેચક, વિચારક) અને દાંતે વિશે લેખો લખ્યા હતા. ટાગોર આર્જેન્ટિના આવ્યા, ત્યારે યોગાનુયોગે તેમણે 'રવીન્દ્રનાથને વાંચવાનો આનંદ' શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. આર્જેન્ટિનાના સાહિત્ય જગતમાં વિક્ટોરિયા ઓકામ્પો એક ઊભરતું નામ હતું. તેમનું એક નાનકડું પુસ્તક પણ પ્રગટ થયું હતું અને એક નાટકના પ્રકાશનની તૈયારી થઈ રહી હતી. તેઓ પણ ટાગોરની જેમ સ્કૂલમાં નહીં પણ ઘરે ભણ્યાં હતાં અને જમીનદાર પરિવાર સાથે સંકળાયેલાં હતાં.

વિક્ટોરિયાને જ્યારે ખબર પડી કે, ટાગોર આર્જેન્ટિના આવ્યા છે ત્યારે તેની ખુશીનો પાર ના રહ્યો. તેમણે ટાગોર જેવા મહાન યજમાનને નદી કિનારે આવેલો 'વિલા મિરાલરિયો' રહેવા આપી દીધો અને પોતે પિતાના ઘરે રહેવા જતાં રહ્યાં. આ વિલામાં ટાગોર ૫૦ દિવસ રોકાયા. અહીં એક આર્મચેર (આરામખુરશી) પર બેસીને ટાગોરે ઘણી બધી કવિતાઓ-ગીતોનું સર્જન કર્યું. આર્જેન્ટિનાથી પરત ફરતી વખતે વિક્ટોરિયાએ તેમને આ આર્મચેર ભેટ આપી હતી, જેને ભારત લાવવા માટે ટાગોરે જહાજના કેબિનનો દરવાજો તોડાવી નંખાવ્યો હતો. આ આર્મચેર આજે ય શાંતિનિકેતનમાં છે. નવેમ્બર ૧૯૨૪માં વિલા મિરાલરિયોમાંથી જ તેઓ વચ્ચે પત્રવ્યવહાર અને રોમેન્ટિક સંબંધ શરૂ થયો હતો. ટાગોર-વિક્ટોરિયાએ એકબીજાને ૬૦ પત્ર લખ્યા હતા, જે તેમના વચ્ચે કેવો શારીરિક આકર્ષણયુક્ત અને નાજુક લાગણીમય પ્રેમસંબંધ હતો એ વાતના લેખિત પુરાવા છે. તેઓનો સંબંધ એટલી નાજુક ક્ષણે પહોંચ્યો હતો કે, નવેમ્બર-ડિસેમ્બર ૧૯૨૪માં એક જ સ્થળે અને ક્યારેક એક જ ઘરમાં હોવા છતાં તેમણે રુબરુ વાત કરવાના બદલે એકબીજાને પત્રો લખ્યા હતા. આવા કુલ નવ પત્ર છે. એક પત્રમાં વિક્ટોરિયા લખે છે કે, ''લાગણી હૃદયતંત્રને હલબલાવી મૂકે ત્યારે બોલી શકાતું નથી …'' વિક્ટોરિયાએ અનેક પત્રો વહેલી પરોઢે અને મધરાત્રે લખ્યા છે, જે પત્રો પર લખેલા સમય પરથી ખબર પડે છે. ૧૫મી જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ વિક્ટોરિયાએ ટાગોરને લખેલા પત્રમાં 'ગુરુદેવ' સંબોધન કર્યું છે અને કૌંસમાં એક મુગ્ધ પ્રેમિકાની જેમ લખ્યું છે કે, વન થાઉઝન્ડ ટાઈમ્સ ડિયર.

વિક્ટોરિયાનો ટાગોર પ્રત્યેનો પ્રેમ ઉત્કટ હતો. આ ઉત્કટતા પાછળ વિક્ટોરિયાની ઉંમર જવાબદાર હોઈ શકે. ટાગોર મધરાત્રે વાતો કરે, કવિતાઓ બોલે અને વિક્ટોરિયા મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા કરે એવું પણ ઘણીવાર થયું હશે, એવું પત્રો વાંચીને ખબર પડે છે. ટાગોરે લખ્યું છે કે, ''એકલતાનો ભારે બોજ લઈને હું જીવી રહ્યો છું … મારા અંતરને કોઈ પામે એવી મારી અભિલાષા ફક્ત સ્ત્રીના પ્રેમ વડે સંતોષોઈ શકે એમ છે … તું મને ચાહે છે એટલે જ આ બધી વાતો તને કહી શકું છું …'' આ પ્રકારના લખાણોમાં ટાગોરની ઊંડી એકલતાની વેદનાનું પ્રતિબિંબ પડે છે. અંગ્રેજીના 'વિક્ટરી' શબ્દ પરથી જ વિક્ટોરિયા શબ્દ બન્યો હોવાથી ટાગોરે પાછળથી તેમને 'વિજ્યા' કહેવાનું શરૂ કર્યું હતું. વિક્ટોરિયાએ પણ અનેક પત્રોમાં પોતાની સહી 'વિજ્‌યા' કરી છે. ટાગોરના જીવનમાં વિજ્યાનું આગમન ઠંડી હવાની લહેરખી સમાન હતું. આ મુલાકાત પછી જ ટાગોરે જીવનના ઢળતા પડાવે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જ્યું હતું અને ચિત્રો દોરવાનું પણ શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૩૦માં ટાગોરે વિજ્‌યાની મદદથી જ પેરિસમાં પોતાના સિલેક્ટેડ ચિત્રોનું પ્રદર્શન કર્યું હતું. આ ચિત્ર પ્રદર્શન જ તેમની વચ્ચેની બીજી અને આખરી મુલાકાત માટે નિમિત્ત બન્યું હતું. ટાગોર પેરિસ ગયા ત્યારે તેમની પાસે ૪૦૦ ક્લાસિક ચિત્રોનો પોર્ટફોલિયો હતો.

ટાગોરે આર્જેન્ટિના જતી વખતે જહાજમાં લખેલા તેમ જ આર્જેન્ટિના પહોંચીને લખેલા કાવ્યો-ગીતો વર્ષ ૧૯૨૫માં પ્રકાશિત 'પૂરબી' કાવ્યસંગ્રહમાં સમાવાયાં છે, જે તેમણે વિજ્યાને અર્પણ કર્યા છે. 'પૂરબી'ની એક કવિતામાં તેઓ વિજ્‌યાને 'ગેરસમજ નહીં કરવા' અને 'પાછું વળીને નહીં જોવા'ની સલાહ આપે છે. જો કે, આવી કવિતા લખનારા ટાગોર ૨૬મી જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ વિજ્યાને એવું પણ લખે છે કે, ''… આપણે જુદા જ વાતાવરણ વચ્ચે મળીએ એ ગોઠવવાનો વારો હવે તારો છે. એવી મુલાકાત તારા જીવનની વિરલ ઘટના બની રહેશે એની ખાતરી આપું છું…'' આમ, ટાગોરે પ્રેમમાં સભાનતા-સંયમની વાત કરતી કવિતાઓ જરૂર લખી પણ જીવનના અંતિમ વર્ષોમાં લખેલા પત્રોમાં વિજ્‌યાને મળવાની ટાગોરની આતુરતા છુપી રહી શકી નથી. ટાગોર-વિક્ટોરિયાના પ્રેમમાં ઉંમર આડે નહોતી આવી શકી કારણ કે, તેઓ બાહ્ય દેખાવના નહીં પણ એકબીજાનાં વ્યક્તિત્વના પ્રેમમાં હતાં. આર્જેન્ટિનાના એ ૫૦ દિવસ પછીયે તેઓ સતત ૧૭ વર્ષ 'જીવંત પત્રો' થકી સહવાસમાં રહ્યાં અને સાથે વિકસ્યાં પણ ખરાં.

વર્ષ ૧૯૮૦માં શાંતિનિકેન, વિશ્વભારતી અને રવીન્દ્ર ભવને ટાગોર-વિક્ટોરિયાના પત્રોનું સંપાદન કરવાનું કામ બ્રિટન સ્થિત કેતકી કુશારી ડાયસન નામના સંશોધક-લેખિકાને સોંપ્યું હતું. આ પ્રોજેક્ટના ભાગરૂપે તેમણે 'ઈન યોર બ્લોસમિંગ ફ્લાવર-ગાર્ડન' નામના દળદાર પુસ્તકમાં આ પત્રો અને તેની સાથે સંકળાયેલો સંપૂર્ણ ઇતિહાસ આલેખ્યો છે. સંદર્ભો સમજવામાં મુશ્કેલી ના પડે એટલે આ પુસ્તકમાં પત્રો સાથે નોંધો-ટિપ્પણીઓ પણ છે. આ જ પુસ્તક પરથી ગુજરાતીમાં મહેશ દવેએ 'રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ' નામે નાનકડું સંકલિત પુસ્તક પણ તૈયાર કર્યું છે. 

Loading

...102030...3,6363,6373,6383,639...3,6503,6603,670...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved