Opinion Magazine
Number of visits: 9843419
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુણ્યશ્લોક બાપુજી 

જુગતરામ દવે|Gandhiana|27 April 2025

જુગતરામ દવે

પુણ્યશ્લોક બાપુજીના 10મા નિર્વાણદિને આવો, આપણે તે રાષ્ટ્રપિતાનું સ્મૃતિશ્રાદ્ધ કરીએ.

મૃત્યુ સંબંધમાં બાપુએ ત્રણ જુદા જુદા પ્રસંગે ત્રણ જાતની આશાઓ પ્રગટ કરી હતી. એક વાર એવી આશા દર્શાવેલી કે એક હાથમાં પૂણી રહી ગઈ હોય, બીજા હાથમાં રેંટિયાનો હાથો હોય ને પ્રાણપંખીડું ઊડી જાય. બીજી વાર આશા બતાવેલી કે મારાં કર્મ બાકી રહી ગયાં હોય અને ઈશ્વર મને પુનર્જન્મ આપે જ, તો મારે જન્મ કોઇ દલિતને ઘેર થજો. આનો અનુવાદ હું એમ કરું કે મારો પ્રાણ કોઈ હરિજનની સેવા કરતાં કરતાં તેની ઝૂંપડીમાં જજો. ત્રીજી વાર એમણે ઈશ્વરને પ્રાર્થના કરેલી કે મુખ પર રામનામ હોય ને મારી આંખ મીંચાઈ જાય. આ ત્રણમાંથી તેમની છેલ્લી આશા ફળી.

આપણે સૌએ તેમનો સર્વોદયનો મંત્ર પૂર્ણપણે ઝીલ્યો હોત અને રચનાત્મક કામોથી આપણાં ઘરો અને ગામોમાં સર્વોદયનો ગુંજારવ ચાલુ કરી દીધો હોત, તો બાપુજીને એક સુખી સંતોષી પિતા તરીકે કંતાતે રેંટિયે મરણ મળ્યું હોત.

આપણે અસ્પૃશ્યતા સહિતના બધા ભેદભાવો પૂરા દિલથી ટાળ્યા હોત તો બાપુજી પોતાની દત્તક પુત્રી લક્ષ્મીના ખોળામાં છેલ્લો શ્વાસ મૂકી શક્યા હોત.

પરંતુ ઈશ્વરે એવું સરજ્યું હતું કે તેમને ત્રીજું એટલે કે એક રામનામના આધારનું મૃત્યુ વરે. આપણે સૌ પોતપોતાનાં કારણોસર તેમને તજી બેસવામાં આપણું ડહાપણ માનતા થયાં હતાં. રાજદ્વારી ક્ષેત્રે આપણે તેમના વારસોએ તેમને છોડીને રાજદ્વારી સ્વરાજ્ય મેળવી લેવામાં મુત્સદ્દીગીરી માની હતી. અર્થક્ષેત્રે તેમના વારસોએ સ્વાવલંબન, ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશીને ગૌણ બનાવી પૈસાના મૃગજળ પાછળ દોડવામા વ્યવહારકુશળતા માની હતી. સમાજક્ષેત્રે આપણે મનમાંથી ન્યાત જાત, ધર્મ, ભાષા, પ્રાન્ત આદિના ભેદ અંદરખાનેથી સાચવી રાખ્યા હતા.

આમ આપણે તેમના દેશબંધુઓ ખોટા નીવડ્યા. બાપુએ આખી જિંદગી રામનામના આધારને જાપ કર્યો હતો, એટલે બધા આધારો ખસી જતાં અંતકાળે તે પરમ કૃપાળુએ તેમને આધાર આપ્યો.

બાપુજીમાં રહેલી અનેક વિભૂતિઓને કારણે લોકોએ તેમને મહાત્માનું પદ આપ્યુ હતું.

આ વિભૂતિઓમાં સત્યરત્નની વિભૂતિ બાપુજીને સ્વાભાવિક મળી હતી.

તેમના જીવનમાં પ્રગટેલી બીજી બધી વિભૂતિઓ તેઓએ ટીપે ટીપે અને ઈંચે ઈંચે મહાપ્રયત્ન કરીને મેળવી હતી. તેવી સિદ્ધિઓમાં મુખ્ય આ ગણાવી શકાય –

૧. અહિંસા અથવા પ્રેમ.

૨. બ્રહ્મચર્ય.

૩. વીરતા.

અહિંસા અથવા પ્રેમ પોતાના જીવનમાં કેળવવા માટે બાપુજીએ શું શું કર્યું???

અંગ્રેજ સાથે ક્ષણે ક્ષણે લડવાનું હતું. લડવા છતાં તેમને પ્રેમ કરવાનો હતો. તેથી જેટલા સજ્જન ભલા અંગ્રેજો મળ્યા તેમની સાથે બાપુએ અંગત મૈત્રી બાંધી. દીનબંધુ એન્ડ્રૂઝને બાપુએ સગા ભાઇથી અધિક બનાવ્યા હતા. આફ્રિકાના દિવસોમાં પણ તેમણે હેન્રી પોલાક, રેવરન્ડ ડોક, જનરલ સ્મટ્સ વગેરેની ગાઢ મૈત્રી સાધી હતી. આફ્રિકામાં મિસ સોન્યા શ્લેશીન અને હિંદમાં મિસ મેડેલિન સ્લેડ(મીરાં)ને સગી દીકરીઓ બનાવી હતી. લંડનમાં ગયા ત્યાં ઈસ્ટ એન્ડ એટલે ગરીબોના લત્તામા વસીને તેમ જ માન્ચેસ્ટર-લેન્કેશાયરના મિલમજૂરોમાં ફરી તેમનો પ્રેમ સંપાદન કર્યો હતો. કોઈ વિલિંગ્ડન કે ચર્ચિલ જેવા કાળમીંઢો એ પ્રેમથી પલળ્યા નહીં એ જુદી વાત છે.

આપણી પ્રજાએ હિન્દુ મુસલમાન સંબધો અંગે સારો સ્વભાવ બતાવ્યો નથી. તેથી મુસલમાનોની મિત્રતા મેળવવા બાપુએ ચાહી ચાલીને પ્રયત્નો કર્યા છે. પૂજ્ય ઈમામ સાહેબને આફ્રિકામાં ભાઈ બનાવ્યા અને બન્ને ભાઈઓ સાબરમતી આશ્રમમાં સાથે રહ્યા. પોતાના અન્ય મુસ્લિમ મિત્રોનાં વૃદ્ધ અમ્માજાન, એમનાં બીબીઓ અને બેટાબેટીઓનાં હૃદય સુધી તેમણે પ્રવેશ કર્યો હતો. હકીમ સાહેબ અજમલખાન, ડૉ. અંસારી, મૌલાના આઝાદ, અને બીજા સેંકડો મુસલમાનોને તેમણે માનવંતા મિત્રો બનાવ્યા હતા.  સરહદના ગાંધી બાદશાહ ખાન અને તેમના ભાઈ ડૉ. ખાન સાહેબ સાથે તો તેમણે એવો બધો એકાત્મ ભાવ સાધ્યો હતો કે સરહદ પ્રાંતમાં આશ્રમ કાઢીને વસવાનો પણ મનસૂબો એક વાર બાપુએ કર્યો હતો. મુસ્લિમ નેતાઓની જ નહિ, સામાન્ય માણસોની મહોબત મેળવવા માટે પણ તેમણે છેક નાનપણથી પ્રયત્ન કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં ખોજા મેમણ વેપારીઓ સાથે તેમ જ મીર આલમ જેવા પઠાણો સાથે પણ તેમણે ઘરોબાનો નાતો બાંધ્યો હતો. કોઈ ઝીણા જેવાના દિલને પિગળાવામાં તેઓ ફતેહમંદ ન નિવડ્યા, પણ એમાં બાપુના પ્રયત્નની ખામી કાઢી શકાય તેમ નથી.

અસ્પૃશ્યો પ્રત્યે હિન્દુઓએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પણ બાપુજીએ તનતોડ પ્રયત્ન કર્યો હતો. હરિજન કુટુંબને આશ્રમમાં વસાવ્યું. હરિજન બાળાને પોતાની પુત્રી બનાવી. હરિજનોને શાળા સભામાં એકાકાર કરવા માટે, ખાનપાનમાં એક આરે કરવા માટે, અને છેવટે તેમને માટે દેવમંદિરોના બારણા ખોલાવવા પણ બાપુએ કેટલી બધી મહેનત કરી ? તેમ કરવા જતાં સગી બહેન તેમને ત્યજી ગયાં. આશ્રમને એક વાર આવતા ટંકની પણ ફિકર ઊભી થઈ. લાઠી અને બોમ્બ પણ પડ્યા. અને બ્રિટિશ સરકારે જ્યારે અસ્પૃશ્યોને અલગ પાડવાનું કાવતરું રચ્યું ત્યારે બાપુ આમરણ ઉપવાસ કરી બલિદાન આપવા તૈયાર થયા. આ ક્ષેત્રમાં પણ આંબેડકર જેવાનો પ્રેમ બાપુજી કદાચ પ્રાપ્ત કરી ન શક્યા; પણ તેમાં બાપુના પ્રયત્નની ખામી નહોતી. સવર્ણોના અંતરમાંથી ઝેર પૂરું ગયું નહીં એ જ કારણ હતું.

બચપણમાં મોહનને અંધારાની બીક લાગતી. રંભાબાઈ પાસેથી રામનામનો મંત્ર મળતાં કેટલી ભક્તિપૂર્વક એ મહાન બાળક તેનો જાપ કરતો હતો એની કલ્પના આપણે કરી શકીએ છીએ.

ભણવા માટે ઇંગ્લેન્ડ જતાં માતાએ માંસ, મદિરા અને મદનના ત્યાગની પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. ગાંધીજીએ ભક્તિપૂર્વક તેનું પાલન કર્યું હતું. પરંતુ અતિ ભારે પ્રયત્ન વડે અને પ્રભુની કૃપા વડે જ તેઓ તેમ કરી શક્યા હતા એ બાપુનાં લખાણો ઉપરથી જાણી શકીએ છીએ.

મોટાભાઈના વિચારો સામે, પત્નીના વિચારો સામે, પોતાના મોટા પુત્રના વિચારો સામે બાપુજીને સત્યાગ્રહનું બળ વખતોવખત બતાવવું પડ્યું છે. જ્ઞાતિ પણ એ જમાનામાં હજુ નબળી પડી ન હતી. તેણે પણ બાપુના સત્યાગ્રહની ઠીક કસોટી કરી હતી.

રાજ્યની સામે લડાઈ માંડવી એ આકરી વસ્તુ ગણાય. તેમાં પણ પરાધીન પ્રજાને વિદેશી રાજ્યસત્તા સામે શિર ઉઠાવવાનું હોય તે તો આકરામાં આકરી લડત નીવડે. દક્ષિણ આફ્રિકામાં અને પાછળથી હિન્દુસ્તાનમાં વિદેશી સરકારોએ બાપુજીના સત્યાગ્રહને કેવી આકરી કસોટી ઉપર ચડાવ્યો હતો તેની કથા સર્વવિદિત છે. જેમ કસોટીનો પારો ચડતો ગયો તેમ તેમ બાપુજીની પ્રભુપ્રાર્થનાની ઉત્કટતા પણ વધતી ગઈ અને દરેક પ્રસંગે એમનું સત્યાગ્રહબળ વધારે ને વધારે તેજ થતું ગયું.

પરંતુ વિદેશી સરકારના કરતાં પણ બાપુજીના સત્યાગ્રહને પડકારનારા તો પોતીકાઓ જ સાબિત થયા છે. ઘરના ક્ષેત્રમાં તેવો પડકાર આપનાર તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી હતા. જાહેર ક્ષેત્રમા તેવો પડકાર આપનારા સનાતનીઓ હતા.

હરિલાલ ગાંધીએ વખતો વખત આશા આપી આપીને છેવટે બાપુના સત્યાગ્રહને સફળ થવા ન જ દીધો. છતા બાપુના પ્રેમના અને આશાવાદના ઝરાને તે સૂકવી ન શકેલા.

સનાતનીપણાની સામે તો બાપુજીને લોહીનું અંતિમ બલિદાન આપવું પડ્યું. બાપુની પોતાની જાત પૂરતો તો એમના સત્યાગ્રહનો વિજય થઈ ગયો. પરંતુ તે સનાતનીપણું જીતાયું નથી. તે કોમવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ આદિ નવા નવા રૂપે દેખા દેતું જ રહ્યું છે.

પરંતુ હું આશા રાખું છું કે આ પરમ પવિત્ર બલિદાન ધીમી ગતિએ પણ અચૂકપણે કામ કરી રહ્યું છે. પ્રજાના અણુ અણુને તે નવું બનાવશે.

રાષ્ટ્રપિતાનો જય! 

સત્ય-અહિંસાનો જય!

 સત્યાગ્રહનો જય!

(સમાપ્ત)
23 − 26 ઍપ્રિલ 2025
[પૂ. બાપુના  દસમા નિર્વાણ દિને વડોદરા આકાશવાણી પર આપેલા વક્તવ્ય પરથી.]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 293, 294, 295 તેમ જ 296

Loading

કારણ કે આખી રમત ધાર્મિક ઓળખની અને વેર વાળવાની હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|27 April 2025

રમેશ ઓઝા

આજે ખ્રિસ્તી (કેથલિક) ધર્મગુરુ પોપ ફ્રાન્સીસ વિષે લખવાનો ઈરાદો હતો, જેમનું ૨૧મી એપ્રિલે નિધન થયું. આ એક એવા ધર્મગુરુ હતા જે શુદ્ધ માણસાઈની વાત કરતા હતા અને એ પણ ધર્મગુરુ હોવા છતાં. ધર્મનાં બે પાસાં છે. એક આધ્યાત્મિક અને બીજુ ઓળખકેન્દ્રી સંખ્યાકીય. ધર્મનું પહેલું આધ્યાત્મિક પાસું માણસને જાત ભૂલાવી દે છે ત્યાં બાહ્ય ઓળખ અને તેનાં દ્વન્દ્વ તો બહુ દૂરની વાત છે. બીજાં પાસાંથી તો તમે સારી રીતે પરિચિત છો અને આજકાલ છાશવારે તેનો અનુભવ થઈ રહ્યો છે. પહેલગામમાં આનો અનુભવ થયો. ત્રાસવાદીઓએ નામ પૂછીને, પુરુષોનાં કપડાં ઉતારાવીને ૨૮ જણની હત્યા કરી. હત્યા કરનારાઓ કયા ધર્મના હતા અને જેની હત્યા કરવામાં આવી એ કયા ધર્મના હતા એ વિષે ફોડ પાડવાની જરૂર નથી, કારણ કે  આખી રમત ધાર્મિક ઓળખની અને વેર વાળવાની હતી. 

પોપ ફ્રાન્સીસને ધર્મનો આ ચહેરો ઈશુના અપરાધ જેવો લાગ્યો હતો અને એટલે તેમણે ધર્મના નામે તેમ જ ધર્મ આધારિત કહેવાતી મહાન સંસ્કૃતિના નામે કરવામાં આવતી “બીજા”ઓની સતામણી અકળાવનારી લાગતી હતી. પોપ પેલેસ્ટાઇનના પક્ષે, સમલિંગીઓના પક્ષે, ગરીબોના પક્ષે, સ્ત્રીઓના પક્ષે અને સમાજના તમામ દુબળા વર્ગની પડખે ઊભા રહેતા હતા. આજકાલના ધર્મગુરુની જમાતમાં નોખા પડે. સરેરાશ ધર્મગુરુ ઈશ્વરના બંદા નથી, ઈશ્વરના અપરાધી છે અને અનુયાયીઓ પાસે અપરાધ કરાવે છે. અને હવે તો ઓળખ આધારિત રાજકારણ કરનારા નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે ધરી રચાઈ છે. 

પણ કોણે કહ્યું કે ઈશ્વરના પ્યારા બંદા બનવા માટે પોપ ફ્રાન્સીસ જેવા પ્રતિષ્ઠિત હોવું જરૂરી છે? પહેલગામનો ઘોડાવાળો સૈયદ આદિલ હુસૈન શાહ સાચો મુસલમાન નીવડ્યો કારણ કે એ સાચો માનવી હતો. તેણે ત્રાસવાદીઓને પડકાર્યા હતા, તેમાંના એકની રાઈફલ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો, લોકોને તેમનો ધર્મ જોયા વિના બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને સાટામાં પોતાનાં પ્રાણ આપી દીધા હતા. કોમવાદી મુસલમાનોને માણસાઈ ધરાવનારો મુસલમાન ખપતો નથી. કોમવાદી હિંદુને માણસાઈ ધરાવનારો હિંદુ ખપતો નથી. આવું જ ખ્રિસ્તી અને બીજા ધર્મોના કોમવાદીઓનું. તેઓ તેમની અન્ય કોમના કોમવાદીઓ સાથેની પરસ્પર રમતમાં વિઘ્ન નાખે છે અને કોમવાદીઓને તે નડે છે. 

પહેલગામમાં હિંસા કરનારા ત્રાસવાદીઓએ ધર્મ પૂછીને હત્યાઓ એટલા સારુ કરી કે સામેથી આવો જ પ્રતિસાદ મળે અને મળી પણ રહ્યો છે. માતમ કરનારાઓ એવી રીતે માતમ કરે કે એમાંથી વેર વાળવાની પ્રેરણા મળે અને વેરને ન્યાયી ઠેરવવાની વૃત્તિ જાગે. પ્રજામાં ધાર્મિક વિગ્રહ પેદા કરવા માટે ઓળખના આધારે હિંસા કરવી જરૂરી હોય છે. બન્ને પક્ષ એક જ લડાઈ લડતા હોય છે. ભારતમાં ગોદી મીડિયાએ અને સાયબર સેલે આ છેડાની રમત રમવાનું શરૂ કરી દીધું છે.  

પણ કેટલાક સવાલો ઉપસ્થિત થાય છે. 

પહેલો સવાલ એ કે આ હુમલો કર્યો કોણે? એમ લાગે છે કે આમાં પાકિસ્તાનનો સીધો અને સીધો નહીં તો આડકતરો હાથ છે. કાશ્મીરી ત્રાસવાદીઓનું આ કૃત્ય નથી. પહેલી વાત તો એ કે કાશ્મીરીઓએ હિંસા કરી હોય એવી અનેક ઘટના બની છે, પણ આવા બર્બર ત્રાસવાદનો માર્ગ હજુ સુધી તેમણે અપનાવ્યો નથી. એમાં પણ કાશ્મીર બહારના નાગરિકો(ટુરિસ્ટો)ને નિશાન બનાવ્યા હોય એવું છેલ્લા ત્રણ દાયકામાં જોવા મળ્યું નથી. આ સિવાય કાશ્મીરની ખીણમાં આવકનાં બે જ મોટાં સાધન છે. પહેલા ક્રમે ફળફળાદિ અને એ પછી પર્યટન. જો ટુરિસ્ટો આવતા બંધ થાય તો કાશ્મીરના લોકોને બે ટંકનો રોટલો રળવો મુશ્કેલ થઈ જાય એ કાશ્મીરીઓ ન જાણતા હોય એવું બને ખરું? 

બીજું પાકિસ્તાનના ત્રાસવાદી જૂથે જવાબદારી પણ સ્વીકારી છે. આ ઉપરાંત પાકિસ્તાનની અત્યારની હાલત એટલી નાજૂક છે કે તેને પોતાની ત્યાંની પ્રજાનું ધ્યાન કાશ્મીર તરફ વાળવા માટે કારણ પણ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે અને આંતર્રાષ્ટ્રીય નાણાં નિધિની સહાયે તેને ટકાવી રાખ્યું છે. બલુચિસ્તાનમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને ગમે ત્યારે મોટા પાયે અલગતાવાદી આંદોલન થઈ શકે એમ છે. પાકિસ્તાન બહુ ખરાબ સ્થિતિમાં છે અને તેમાં દુનિયામાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ટ્રમ્પ માટે પાકિસ્તાન રતિભાર પણ મહત્ત્વ ધરાવતું નથી. 

ગયા અઠવાડિયે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે પાકિસ્તાનની પ્રજાને કાશ્મીરની યાદ અપાવી હતી. તેમણે કાશ્મીરને પાકિસ્તાનની કંઠનળી તરીકે ઓળખાવ્યું હતું જેના દ્વારા પાકિસ્તાનને સિંધુ, જેલમ અને રાવી નદીનું પાણી મળે છે. તેમણે કહ્યું હતું કે તેઓ કશ્મીરની બહાદુર પ્રજાની સ્વતંત્રતા માટેની લડતમાં તેમની સાથે છે. એ નિવેદન પછી એક સપ્તાહની અંદર આ ઘટના બની. 

ભારત શું વળતાં પગલાં લેશે એનાં હજુ સુધી કોઈ સંકેત મળ્યાં નથી, પણ ભારત જે કોઈ પગલાં લેશે તે વાજબી ગણાશે અને જાગતિક સમાજનો તેને ટેકો મળવાનો છે. આશા રાખીએ કે પાકિસ્તાનને ધડો મળે એવું કોઈક નજરે પડે એવું કદમ ભારત સરકાર લેશે. 

પણ એકબે સવાલ ભારત સરકાર માટે પણ છે. પહેલગામ ભારત-પાકિસ્તાન બોર્ડર(લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ)થી અઢીસો કિલોમીટર દૂર છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ એટલે અંદર સુધી આવ્યા અને સફળતાપૂર્વક હુમલો કરીને જતા પણ રહ્યા? આવું કેવી રીતે બને? આપણને તો કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીની કૃતનિશ્ચયી સરકારે પાકિસ્તાન સાથેની સરહદ કાંટાની તાર દ્વારા જડબેસલાક બંધ કરી દીધી છે અને ચોવીસે કલાક પહેરો છે. ત્રાસવાદી તો ઠીક, પશુ પણ આવી શકે એમ નથી. ત્રાસવાદીઓ શસ્ત્રો સાથે અઢીસો કિલોમીટર દૂર સુધી આવે અને જતા રહે અને ગુપ્તચર ખાતાને કોઈ જાણકારી ન હોય કે માર્ગમાં સલામતી દળોનો ભેટો પણ ન થાય એ તો ગજબ છે. 

બીજું કાશ્મીરની ખીણમાં અલગ અલગ સલામતી દળોના લગભગ ત્રણ લાખ જવાનો ફરજ પર છે. દર ૨૫ કાશ્મીરીએ એક જવાન. એવું કેમ બન્યું કે પહેલગામમાં જ્યાં આ ઘટના બની ત્યાં કોઈ નહોતું? બે કલાક સુધી કોઈ નહોતું. આ કઈ પ્રકારની સલામતી? ભારતની પ્રજાને તો કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે, જોઈએ એવી સલામતીની વ્યવસ્થા છે, ડરવાની જરૂર નથી અને લોકો કાશ્મીર જઈ શકે છે. 

તમને યાદ હશે કે ૨૦૧૯માં પુલવામાં પણ આવું જ બન્યું હતું. પુલવામાં એલ.ઓ.સી.થી દોઢસો કિલોમીટર અંદર છે. દોઢસો કિલોમીટર અંદર ત્રાસવાદીઓ ૩૦૦ કિલો આર.ડી.એક્સ. સાથે ઘૂસે અને લશ્કરી કાફલા સાથે પોતાની ગાડી અથડાવે એ ઝટ ગળે ન ઉતરે એવી ઘટના હતી. તો પછી વધારે શક્તિશાળી કોણ? ભારત સરકાર અને તેનું લશ્કર કે ત્રાસવાદી? 

ભારત સરકારે આ પ્રશ્નોના જવાબ ૨૦૧૯માં નહોતા આપ્યા. આજ સુધી નથી આપ્યા અને આના જવાબ પણ મળવાના નથી. 

બાકી તો મથરાવટી મેલી હોય તો ભાતભાતની વાતો થાય અને થવા માંડી પણ છે. આમાં દુઃખ એક જ વાતનું છે કે ભારતના સલામતી જવાનોની ઈમેજ ખરડાય છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઍપ્રિલ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—286

દીપક મહેતા|Opinion - Opinion|26 April 2025

ઘવાયેલી હતી છતાં મુમતાઝનું સૌન્દર્ય ઝગારા મારતું હતું  

આજથી 100 વરસ અને એક મહિના પહેલાંનો દિવસ.

એટલે કે તારીખ : 26 માર્ચ 1925. 

સમય : સવારના 11.30 

સ્થળ : ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ એસ.એસ. રાંગણેકરની કોર્ટ, મુંબઈ

ખટલો તો શરૂ થવાનો હતો સાડા અગિયાર વાગે, પણ સવારના નવ વાગ્યા સુધીમાં તો આખો કોર્ટ રૂમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. છેલ્લા કેટલા ય દિવસોથી મુંબઈનાં છાપાં જાતજાતના ખબર છાપતાં હતાં. એટલે લોકોમાં ખૂબ કુતૂહલ ઊભું થયું હતું, આ ખટલા વિષે. પોલીસના કડક જાપ્તા હેઠળ દસ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા. બરાબર સાડા અગિયારના ટકોરે જજ રાંગણેકર દાખલ થયા. હાજર રહેલા સૌએ ઊભા થઈ માન આપ્યું. કોર્ટના શિરસ્તેદારે કેસની જાહેરાત કરી. સરકારી વકીલ બોલવા ઊભા થયા. પણ તેઓ બોલવાનું શરૂ કરે તે પહેલાં જજ રાંગણેકર ઊભા થયા અને સરકારી વકીલને રોકીને બોલ્યા : આ ખટલામાં સંડોવાયેલા આરોપીઓમાંથી કોઈ બ્રિટિશ ઇન્ડિયાના નાગરિક નથી, પણ ઇન્દોરના સાર્વભૌમ રાજ્યના નાગરિક છે, એટલે તેમના પર કામ ચલાવવાની સત્તા માત્ર નામદાર બોમ્બે હાઈકોર્ટને છે. એટલે આ કેસ હું નામદાર બોમ્બે હાઈકોર્ટને તબદિલ કરું છું.

ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની કોર્ટ

બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના ૧૮૬૨માં થઈ. પણ તે પહેલાં, છેક ૧૮૧૦માં, પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની કોર્ટની શરૂઆત મુંબઈ, મદ્રાસ, અને કલકત્તામાં થઈ હતી. ૧૯૭૪ના એપ્રિલની પહેલી તારીખથી તેનું નામ બદલીને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ કરવામાં આવ્યું. ધોબી તળાવથી ક્રૂકશેંક રોડ (હાલનું નામ મહાપાલિકા માર્ગ) પર દાખલ થાવ તો ડાબી બાજુએ પહેલાં એલ્ફિન્સ્ટન સ્કૂલનું મકાન આવે. પછી આવે સેન્ટ ઝેવિયર્સ કોલેજ, પછી કામા હોસ્પિટલ, અને પછી આવે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનું મકાન. બોમ્બે પ્રેસિડન્સીના એક્ઝીક્યુટીવ એન્જીનિયર ખાન બહાદુર મંચેરજી કાવસજી મર્ઝબાનની દેખરેખ નીચે આ મકાનનું બાંધકામ ૧૮૮૪ના ડિસેમ્બરની ત્રીજી તારીખે શરૂ થયું હતું, અને ૧૮૮૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે પૂરું થયું હતું. બાંધકામ શરૂ થયું ત્યારે તે માટેના ખરચનો અંદાજ હતો રૂપિયા ૩,૮૭,૩૬૧, પણ હકીકતમાં ખરચ થયો હતો રૂ. ૩,૭૩,૬૯૪! (ના, જી. આંકડામાં ક્યાં ય ભૂલ નથી.) આ મંચેરજી મર્ઝબાન તે ગુજરાતી મુદ્રણ, પત્રકારત્વ અને પુસ્તક પ્રકાશનના આદ્યપુરુષ ફરદુનજી મર્ઝબાનના સીધા વંશજ. મુંબઈમાં જાહેર વપરાશ માટેનાં કુલ ૨૭ મકાન તેમણે બાંધ્યા હતાં જેમાં એલ્ફિન્સ્ટન કોલેજના હાલના મકાનનો પણ સમાવેશ થાય છે. પ્રેસિડન્સી કોર્ટના પહેલા જજ હતા ઓનરેબલ મિસ્ટર સી.પી. કૂપર. બાર-એટ-લો. ૧૮૭૮થી ૧૮૯૫ સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. ૨૦૨૪ના જુલાઈની પહેલી તારીખથી આ કોર્ટનું નામ બદલીને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ કરવામાં આવ્યું છે. 

ખાન બહાદુર મંચેરજી કાવસજી મર્ઝબાન

    કેસની બદલીના સમાચાર ઇન્દોર પહોંચ્યા કે તરત જ ચક્રો ગતિમાન થઈ ગયાં. ઇન્દોરના રાજવીએ બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરને અરજી કરી: છેલ્લા કેટલાક વખતથી મુંબઈ પ્રેસિડન્સીનાં છાપાં આ કેસ વિષે જાતજાતની ઉપજાવેલી વાતો છાપી રહ્યાં છે. જે બન્યા જ નથી એવા બનાવોની વાતો ફેલાવે છે. ઇન્દોર રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓનાં નામ ખોટી રીતે સંડોવી રહ્યાં છે. એટલે બોમ્બે હાઈકોર્ટ આ બધાથી દોરવાઈ જાય એવો પૂરો સંભવ છે. એટલે એ કોર્ટ તરફથી યોગ્ય ન્યાય મળે એવી આશા અમે રાખી શકતા નથી. માટે કરીને અમારી વિનંતી અને માગણી છે કે આ કેસ બોમ્બે હાઈકોર્ટમાંથી મદ્રાસ હાઈ કોર્ટ અથવા કલકત્તા હાઈ કોર્ટમાં તબદીલ કરવામાં આવે.

ગવર્નરે રાબેતા મુજબ આ અરજી હિન્દુસ્તાનના વાઈસ રોયને મોકલી આપી. થોડા દિવસમાં જ તેમનો જવાબ આવી ગયો : બોમ્બે હાઈકોર્ટની તટસ્થતામાં, ન્યાયબુદ્ધિમાં, અને કાનૂની કુશળતામાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે. માટે કરીને અરજદારની આ અરજી કાઢી નાખવામાં આવે છે. અને આ ખટલો બોમ્બે હાઈ કોર્ટમાં વહેલી તકે ચલાવવાનો આદેશ આપવામાં આવે છે. 

વીસમી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાનનો બોમ્બે હાઈ કોર્ટનો એક કોર્ટ રૂમ

૨૭ એપ્રિલ, ૧૯૨૫. બોમ્બે હાઈ કોર્ટ. બરાબર અગિયારને ટકોરે જજના આસન પાછળનું બારણું ખૂલે છે. લાલ ચટક યુનિફોર્મ પહેરેલો ચોપદાર હાથમાં રૂપેરી રંગનો ન્યાયદંડ લઈને દાખલ થાય છે અને જજ સાહેબની પધરામણીની જાહેરાત કરે છે. હાજર રહેલા સૌ કોઈ અદબપૂર્વક ઊભા થાય છે. ધીમી પણ મક્કમ ચાલે જસ્ટિસ એલ.સી. ક્રમ્પ દાખલ થાય છે. તેમના પછી દાખલ થાય છે જ્યુરીના નવ માનવંતા સભ્યો. (એ વખતે હિન્દુસ્તાનમાં જ્યુરીની પ્રથા હતી.) એક બાજુના મોટા ટેબલ પર વકીલો બેઠા છે : બોમ્બેના એડવોકેટ જનરલ સર જમશેદજી કાંગા અને કેનેથ કેમ્પ (જે બંને પછીથી બોમ્બે હાઈ કોર્ટના જજ બનેલા), સરકાર તરફથી. જમશેદજી એટલે બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા ‘દેશી’ એડવોકેટ જનરલ. નવાસવા વકીલો પહેલાં કોઈ જાણીતા મોટા વકીલ પાસે કામ શીખે. વકીલોની પરિભાષામાં તેને ‘ડેવિલિંગ’ કહેવાય છે. કાંગા સાહેબ પાસે આવું ‘ડેવિલિંગ’ કરીને પછીથી પ્રખ્યાત બનેલાઓમાંથી કેટલાકનાં નામ : એચ.એમ. સિરવાઈ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, ફલી નરીમાન. કાંગાસાહેબનો જન્મ ૧૮૭૫માં, બેહાસ્તનશીન થયા ૯૪ વરસની ઉંમરે, ૧૯૬૯માં.

બચાવ પક્ષે પણ ધરખમ વકીલો ઊભા રાખ્યા હતા : કલકત્તાથી ખાસ બોલાવાયેલા બેરિસ્ટર જે.એન. સેનગુપ્તા, બેરિસ્ટર વેલિંગકર, બેરિસ્ટર મહંમદ અલી જિન્નાહ! પ્રિય વાચક! તમને કદાચ સવાલ થશે કે એક દેશી રાજ્યમાં સાધારણ નોકરી કરનારા આ આરોપીઓ આવા ધરખમ વકીલો કઈ રીતે રોકી શક્યા હશે? ના. એમનો બચાવ કરવા આ વકીલોને બીજા કોઈએ રોક્યા હતા! અને આવા ધરખમ વકીલોને માર્ગદર્શન આપી રહ્યા હતા ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસીક્યૂટર ટી. રામ સિંહ!

એડવોકેટ જનરલ સર જમશેદજી કાંગા

હાઈ કોર્ટની બહાર જડબેસલાખ પોલીસ બંદોબસ્ત. કોર્ટ રૂમ ચિક્કાર. બહાર પણ લોકોનાં ટોળાં આપણે અગાઉ મોહમ્મદ અલી જિન્નાહ અને પારસી રત્તી(રતન)ના પ્રેમસંબંધ અને લગ્નની વાત કરેલી. એ રત્તીને આ કેસમાં એટલો તો રસ પડેલો કે રોજેરોજ સુનાવણી વખતે તે કોર્ટમાં હાજર રહેતી. જો કે ગુનેગારોને શી સજા થાય છે તે જાણવામાં તેને ઝાઝો રસ નહોતો. તેને તો રસ હતો મુમતાઝ બેગમની વાતમાં, તેના જીવનમાં. અને સુનાવણીને પહેલે જ દિવસે પહેલી જ સાક્ષી તરીકે એડવોકેટ જનરલ કાંગાએ બોલાવી મુમતાઝ બેગમને.

બપોરે સાડા બાર : ચોપદારે હાકલ કરી : ‘મુમતાઝ બેગમ હાજીર હો!’

ધીમા, પણ મક્કમ પગલે મુમતાઝ હાજર થઈ. દાખલ થઈ ત્યારે તેણે મોઢા પર બુરખો રાખ્યો હતો. પણ સાક્ષીના પિંજરામાં જઈને તેણે એ બુરખો હટાવી દીધો. ઝપાઝપી દરમ્યાન માથામાં થયેલી ઈજાનો ઘા હજી પૂરેપૂરો રૂઝાયો નહોતો. છતાં મુમતાઝનું સૌન્દર્ય ઝગારા મારતું હતું. સોગંદ વગેરે વિધિ પત્યા પછી ઉલટતપાસ શરૂ થઈ.

નામ? 

મુમતાઝ બેગમ. ઇન્દોરના મહારાજાએ રાખેલું નામ કમલાદેવી. માનું નામ વઝીરા બેગમ. ખાનદાની નાચનારી. મૂળ વતની લાહોરની. જેટલું સારું નાચતી, એટલું જ સારું ગાતી. નાચ  અને ગાન એ અમારો ખાનદાની વ્યવસાય. અમૃતસરના મોહમ્મદ ઇસાક ગુલામ મુસ્તફા ખાન નામના તાલેવર સાથે નિકાહ થયા પછી ખાવિંદના કહેવાથી માએ ગાવા-નાચવાનું છોડી દીધું. પણ એની દશા પાણી વગરની માછલી જેવી થઈ ગઈ. ૧૯૦૩માં વઝીરાએ એક દીકરીને જનમ આપ્યો. એ દીકરી તે હું, મુમતાઝ. મારા જનમ પછી અબ્બા અને અમ્માજાન વચ્ચેના સંબંધો વણસતા ગયા. છેવટે એવો દિવસ આવ્યો કે જ્યારે ખાવિંદ અને નાચ-ગાન, બેમાંથી એકની પસંદગી કરવી જ પડશે એમ મારી માને લાગ્યું. અને તેણે શાદીશુદા જિન્દગાનીને અલવિદા કહી, અને નાચ-ગાનની દુનિયામાં પાછી ફરી. અને એ સાથે જ મારે માથેથી અબ્બાનું છત્તર ખસી ગયું. 

અમ્માજાનની કેટલીક સહેલીઓએ તેને કહ્યું કે તારો કંઠ તો મીઠો મધ જેવો છે. પણ સંગીતની વધુ તાલીમ લેવાની જરૂર છે. પણ એ વખતે હજી હું નાની. ઘરમાં અમ્મા અને હું, બે જ. એટલે રાહ જોયા વગર અમ્માનો છૂટકો નહોતો. હું નવ સાલની થઈ ત્યારે મને લઈને અમ્માએ હૈદરાબાદની વાટ પકડી. બે વરસ સુધી અમે મા-બેટીએ ઉસ્તાદ પાસે નાચ-ગાનની તાલીમ લીધી. એ બે વરસ મારે માટે તો કસોટીનાં હતાં. અમારી તાલીમ પૂરી થયા પછી અમે મા-બેટીએ નાચ-ગાન માટે મુસાફરીઓ શરૂ કરી. તેમાં કોઈકે અમ્માને કહ્યું કે ઇન્દોરના રાજવી નાચ-ગાનના જબરા શોખીન છે. તમે બંને આ રીતે અહીંથી તહીં ભટકી નાચ-ગાન કરો છો એના કરતાં ઇન્દોર જાવ. અને ૧૯૧૪માં અમે મા-બેટી ઇન્દોર પહોંચ્યાં.

ઇન્દોર એટલે એ જમાનામાં પહેલા વર્ગનું રાજ્ય. એના રાજવી ૧૯ તોપોની સલામીના હકદાર. મુમતાઝ બેગમ અને તેની અમ્મીજાન ઇન્દોર પહોચ્યાં ત્યારે ત્યાં ત્રીજા તુકોજીરાવ હોલકરનું રાજ. તેર વરસની ઉંમરે રાજગાદીએ બેઠા. ૧૯૧૧માં પંચમ જ્યોર્જના રાજ્યાભિષેકમાં હાજરી આપવા ઇન્ગ્લન્ડ ગયા. ઉત્તર હિન્દુસ્તાનના ઘણા રાજા-મહારાજા નાચગાનના શોખીન. ઇન્દોરનરેશ પણ તેમાં અપવાદ નહિ. અને સંગીત તથા નૃત્ય પાછળ સારું એવું ધન વાપરી જાણે. એટલે આખા દેશમાંથી કલાકારો ઇન્દોર જવાનાં સપનાં જુએ. એ બધાંની જેમ દીકરીને લઈને વઝીરા બેગમ પણ ૧૯૧૪માં પહોચ્યાં ઇન્દોર.

બરાબર એ જ વખતે કોર્ટની ઘડિયાળમાં સાંજના પાંચના ડંકા પડ્યા. કાંગાસાહેબે બોલવાનું બંધ કરવાનો ઈશારો મુમતાઝને કર્યો. માનનીય જજસાહેબ ઊભા થાય એ પહેલાં કોર્ટમાં હાજર રહેલા સૌએ ઊભા થઈને તેમનું સન્માન કર્યું. કોર્ટના અધિકારીએ જાહેર કર્યું કે આ કેસની વધુ સુનાવણી આવતા શનિવારે આગળ ચલાવવામાં આવશે.

e.mail : deepakbmehta@gmail.com 

xxxxxxxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 એપ્રિલ 2025

Loading

...102030...358359360361...370380390...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved