Opinion Magazine
Number of visits: 9552622
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિજિટલ ક્રાન્તિનો વર્તારો દેનાર ટૉફલરના થર્ડવેવમાં પાવરશિફ્ટનો ફ્યુચર શોક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 July 2016

પર્સનલ કૉમ્પ્યુટર, ટેલિકોન્ફરન્સિંગ, ઇન્ફર્મેશન એજ, એપ્રોપ્રિયેટ એકનોલોજીનાં ઇનોવેશન્સ આપનાર ફ્યુચરિસ્ટની અલવિદા

પિસ્તાળીસેક વર્ષ પહેલાં પર્સનલ કૉમ્પ્યુટર, ઇન્ટરનેટ, ટેલિકૉન્ફરન્સિન્ગ જેવાં સંભવિત  નવપ્રવર્તનો અર્થાત ઇનૉવેશન્સ વિશે લખીને ઇલેક્ટ્રૉનિક અને ડિજિટલ ક્રાન્તિનો વરતારો આપનાર સમાજવિજ્ઞાની અને ફ્યુચરિસ્ટ એટલે કે ભવિષ્યચિંતક એલવીન ટૉફલરનું  તાજેતરમાં લૉસ એન્જેલસ ખાતે  સિત્યાંશી વર્ષની વયે અવસાન થયું. વિજ્ઞાનની અને  ટેક્નોલૉજિને કારણે દુનિયામાં આવનાર ધરખમ સામાજિક અને આર્થિક ફેરફારોની તર્કપૂર્ણ આગાહી તેમણે ગઈ સદીના છેલ્લાં ત્રણ દાયકા દરમિયાન કરી હતી. તેને લગતાં ત્રણ પુસ્તકો  ‘ફ્યુચર શૉક’ (1970), ‘ધ થર્ડ વેવ’ (1980) અને ‘પાવર શિફ્ટ’(1990) એટલાં વિખ્યાત બન્યાં છે કે એમનાં નામ અંગ્રેજી ભાષાના શબ્દો બની ગયા છે. આવા બીજા શબ્દો પણ ટૉફલરે આપ્યા. જેમ કે, ‘ઇન્ફર્મેશન એઇજ’, ‘ઇન્ફર્મેશન ઓવરલોડ’, ‘એપ્રોપ્રિએટ ટેક્નોલૉજી’, ‘ઇલેકટ્રૉનિક કૉટેજ’, ‘ટેક્નોક્રૅટિક એલિટ’, ‘પેપરલેસ ઑફિસ’, ‘અ‍ૅન્ટિ-વૉર’, ’અ‍ૅડહોક્રસિ’, ‘પ્રોઝ્યુમર’ (પ્રોડ્યૂસર‌+કન્ઝ્યુમર), ‘પ્રૅક્ટોપિયા’  (પ્રૅક્ટીકલ + યુટોપિયા).  

ટૉફલરનાં અન્ય પુસ્તકો છે ‘પ્રિવ્યૂઝ અ‍ૅન્ડ પ્રિમાઇસેસ’ (1983), ‘ધ અ‍ૅડેપ્ટિવ કૉર્પોરેશન’ (1985), ‘વૉર અ‍ૅન્ડ અ‍ૅન્ટિ વૉર’ (1995) અને ‘રેવોલ્યૂશનરી વેલ્થ’ (2006). તેમનાં મોટાં ભાગનાં  પુસ્તકો તેમનાં પત્ની એડેલેઇડ એલિઝાબેથ ફૅરેલ ઉર્ફે હેઈદી સાથે લખાયાં છે, પણ લેખક તરીકે માત્ર પતિનું જ નામ લખાય છે.

દુનિયાની અનેક ભાષાઓમાં પહોંચેલા ટૉફલરના વિચારોને ગુજરાતીમાં લાવવાનું કામ જાણીતા સર્વોદયચિંતક કાન્તિ શાહે કર્યું છે. તેમણે ‘ત્રીજું મોજું’ (યજ્ઞ પ્રકાશન, 1982, 2015) પુસ્તકમાં ‘ધ થર્ડ વેવ’ અને ‘પાવર શિફ્ટ’નું સારલેખન કર્યું છે. ટૉફલરને મતે પહેલું મોજું એટલે માનવ ઇતિહાસમાં આવેલી કૃષિ-ક્રાન્તિ. તેનાથી ખેતીપ્રધાન સંસ્કૃિત ઊભી થઈ. તેમાં મનુષ્યનું શરીરબળ અને પશુબળ ઊર્જાના મુખ્ય સ્રોત હતાં. કુંભારનો ચાકડો અને ગાડાનું પૈડું નવી સંસ્કૃિતની આધારશીલા બની રહ્યાં. બીજું મોજું આવ્યું ઔદ્યોગિક ક્રાન્તિનું. ઉદ્યોગવાદ અને ભૌતિકવાદના ઘોડાપૂરે બધું પલટી નાખ્યું. એક બજારુ સંસ્કૃિત ઊભી થઈ. કૃષિસંસ્કૃિતના કેન્દ્રમાં માનવ અને તેનાં સુખશાંતિ હતાં. તેનું સ્થાન હવે ઉત્પાદન,નફો અને હરીફાઈએ લીધું. ઊર્જાનાં મુખ્ય સ્રોત કોલસો, ગૅસ અને તેલ હતાં. ફૅક્ટરીના સાંચાનું ચક્ર નવી સંસ્કૃિતની આધારશીલા બની ગયું.  ટૉફલરના મતે હવે ત્રીજું મોજું આવી રહ્યું છે તે માનવીય ક્રાન્તિનું. બજારુતાનો અંત આવશે. વિજ્ઞાન, ટેકનોલૉજી, ઉદ્યોગ-ધંધા બધાંને માનવીય સ્વરૂપ સાંપડશે. દુનિયાની રીતિનીતિ માણસનું કુટુંબ જીવન, તેની સર્જકતા અને તેની મન:શાંતિ તરફની દિશાએ પગલાં માંડશે. ઊર્જાનો સ્રોત સૂર્ય બનશે. તે સમગ્ર સૃષ્ટિ તેમ જ બ્રહ્માંડ સાથેનો  સુસંવાદ નવી સંસ્કૃિતની આધારશીલા બનશે.

ત્રીજા મોજાના પ્રભાવ હેઠળ આવી રહેલ અનેકવિધ પરિવર્તનોનાં લક્ષણો દર્શાવીને ટૉફલરે ગાંધીને યાદ કર્યા છે. તેણે એક લાંબુ પ્રકરણ લખ્યું છે જેનું નામ છે ‘ગાંધી વિથ સૅટેલાઇટ્સ’, અર્થાત ગાંધી અને ઉપગ્રહો સાથોસાથ. ઔદ્યોગિકરણના બીજાં મોજાએ માણસના જીવનને  છિન્નભિન્ન કરી નાખ્યું. દુનિયા નફાખોરી, શોષણ, ગરીબી, પ્રદૂષણ, શહેરીકરણ, અછત, નિષ્ફળ લોકશાહી રાજ્યવ્યવસ્થા  જેવી  અનેક સમસ્યાઓના  ભરડામાં સપડાઈ. તેની સામે ટૉફલરે ત્રીજા મોજાની સંસ્કૃિતનું વિવરણ કર્યું છે. તેણે તેનાં કેટલાંક પાસાં આ મુજબ વર્ણવ્યાં છે : વિકેન્દ્રિત ઉત્પાદન, માફકસરની ટેક્નોલૉજી, ફરી ફરી વાપરી શકાય તેવી ઊર્જા, મોટાં શહેરોથી વિરુદ્ધ વલણ, ઘરમાં રહીને  ધંધોવ્યવસાય કરવાની તરેહ, ઉપભોક્તાનો સમાદર, લોકશાહીને બદલે નાનાં પ્રજાસત્તાકો. આ બધા વિચાર કાન્તિભાઈ શાહને મતે ટૉફલરના ત્રીજા મોજાનો ગાંધી દર્શન સાથેનો અનુબંધ ઊભો કરે છે.

જો કે ‘પાવર શિફ્ટ’ પુસ્તક વિશે કાન્તિભાઈનો મત આકરો છે. તે કહે છે કે અહીં ‘સુપર કૅપિટાલિઝમ કહેતાં મહામૂડીવાદની ધજા ફરકાવાઈ છે’. મહામૂડીવાદની ‘આસુરી સત્તાનું ટૉફલર જાણે સ્વાગત કરી રહ્યો  છે, તેને જાણે મહાન ફિલસૂફીનાં વાઘાં પહેરાવી રહ્યો છે’. આ પુસ્તક માટે લેખકને મૅનેજમેન્ટ લિટરેચરમાં વિશિષ્ટ પ્રદાનનો મેકીન્ઝી ફાઉન્ડેશન અવૉર્ડ મળ્યો છે. જો કે ‘પૈસા ઉસેડી લેવા ખાતર આ લખ્યું-લખાવાયું હોય’ એવી પણ સંભાવના કાન્તિભાઈ જણાવે છે. તે લખે છે ‘રાક્ષસકાય બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનોએ લેખકને ખંડી લીધો હોય એવીયે શંકા જન્મે છે.’

ટૉફલર જે અનેક કંપનીઓ સાથે સમયાંતરે જુદી જુદી રીતે જોડાયેલા હતા તેમાંથી આઈ.બી.એમ.એ તેમને કમ્પ્યૂટરની સામાજિક અને સંસ્થાકીય અસરનો અભ્યાસ કરવા માટે રોક્યા હતા. ઝેરોક્સ કંપનીએ તેમને રિસર્ચ લૅબોરેટરી અંગે સંશોધન કરવાનું સોંપ્યું હતું. એટી અ‍ૅન્ડ ટી કંપનીએ ટેલિક્મ્યુિનકેશન અંગે તેમની સ્ટ્રૅટેજિક અડવાઈસ લીધી હતી. ટૉફલર દંપતિએ 1996 માં ટૉફલર અસોસિએટસ નામે  બિઝિનેસ કન્સલટન્સી ફર્મ શરૂ  કરી. તે અમેરિકા ઉપરાંત ચીન, દક્ષિણ કોરિઆ, મેક્સિકો, બ્રાઝીલ, સિંગાપુર, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ઉદ્યોગગૃહો, એનજીઓ અને સરકારો સાથે કામ કરે છે. ટૉફલરની વિશેષતા ટેક્નલૉજીના સમાજ પર પડતા પ્રભાવના ઊંડા અભ્યાસ અંગેની છે. એક સમાજશાસ્ત્રી તરીકે તે આર્થિક પ્રવાહો, પ્રૌદ્યોગિકી, ઉત્પાદક-ગ્રાહક, રાજકારણ, યુદ્ધ, પૉપ કલ્ચર, ધર્મ જેવાં પરિબળો વચ્ચેના આંતરિક સંબંધોનો અભ્યાસ કરે છે અને ભાવિ દિશા અંગેની શક્યતઓ શોધે છે. ટૉફલરના વિચારોને માન આપનારા મિખાઈલ ગૉર્બોચોવ, માર્ગારેટ થૅચર, જ્યૉર્જ ડબ્લ્યુ. બુશ, કાર્લ સેગાન, હ્યૂગો શાવેઝ, ઝાઓ ઝિયાન્ગ, ટેડ ટર્નર જેવી વ્યક્તિઓની યાદી ઘણી લાંબી છે. દુનિયાના બિઝનેસ લીડર તરીકે, પહેલાંની પેઢીના ટૉફલર તેમની મહત્તાની રીતે બિલ ગેઈટસ અને પીટર ડ્રકરની હરોળમાં મૂકાય છે.

જો કે ખૂબ પ્રસિદ્ધિ અને પૈસો મેળવનાર ટૉફલરના જીવનનો પહેલો તબક્કો સાવ જુદો હતો. ફરનો વેપાર કરતા પરિવારમાં જન્મેલા એલ્વિને લેખક બનવા માટે ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો. વિચારસરણી ડાબેરી હતી, એટલે અશ્વેત મતદારોની નોંધણી અને કામદાર સંગઠનોને મદદ જેવાં કામોમાં જોડાતા. ઉત્તમ લેખન માટે જિંદગીનો  સીધો અનુભવ અનિવાર્ય હોય છે તેવી સમજથી તેમણે કારખાનાંમાં વેલ્ડર અને મિકૅનિક તરીકે મજૂરી કરી. પણ તેમનું લેખન કૌશલ્ય શુદ્ધ સર્જનાત્મક સાહિત્ય કરતાં પત્રકારત્વ માટે વધુ અનુકૂળ હતું. એટલે કામદારો માટેની એક પત્રિકામાં લખવાનું શરૂ કર્યું. પછી ‘ફૉર્ચ્યુન મૅગેઝિન’માં કૉલમિસ્ટ અને લેબર વિભાગના સંપાદક બન્યા. ફ્રિલાન્સ રાઇટર અને કન્સલટન્ટ તરીકેનો વ્યવસાય તેમણે 1962 થી શરૂ કર્યો. સાથે પ્રતિષ્ઠિત સંશોધન સામયિકોમાં લેખો લખવાનું શરૂ કર્યું. પાંચ વર્ષ સંશોધન કરીને પુસ્તક ‘ફ્યુચર શૉક’ આપ્યું જેની સાઠ લાખ જેટલી નકલો આરંભે જ વેચાઈ. આ પુસ્તકમાં વિશ્વવ્યસ્થામાં બહુ ઝડપી પરિવર્તનો આવે ત્યારે સમાજમાં આવતાં અજંપા અને અવ્યવસ્થા તેમ જ તેમાં આશ્વાસન કેવી  રીતે મેળવી શકાય તેની વાત કરી છે. એના માટે શિક્ષણ પણ જુદા પ્રકારનું હોવું જોઈશે. એ લખે છે: ‘આવતી કાલની દુનિયામાં જેને વાંચતાં ન આવડતું હોય તે  એ વ્યક્તિ  અભણ નહીં ગણાય. અભણ એ વ્યક્તિ ગણાશે કે જે જૂનું શીખેલું ભૂલીને નવું શીખી ન શકે.’

6 જુલાઈ 2016

++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 08 જુલાઈ 2016

Loading

Debating India : એક ઊહાપોહ !

મહેન્દ્ર એન. દેસાઈ|Opinion - Opinion|8 July 2016

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનની વાર્ષિક સભા શનિવારે 25 જૂન 2016ના દિવસે યોજાઈ હતી, તેમાં હાજર રહેલા સભાસદોને એક સુંદર ભેટ મળી. જાણીતા કેળવણીકાર અને વિચારક લોર્ડ ભીખુભાઈ પારેખે સુંદર વિચારપૂર્ણ પ્રવચન આપ્યું. તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા “Debating India” પુસ્તક પર એમના વિચારો જાણવા મળ્યા, સાથેસાથે શ્રોતાઓ સાથેની પ્રશ્નોત્તરીથી પણ ઘણું ઘણું ઘણું જાણવા-માણવા મળ્યું.

वादे वादे जायते तत्त्वबोध, વેદના આ શ્લોકથી પ્રવચનની શરૂઆત કરી. ભારતીય સંસ્કૃિતમાં વાદ-વિવાદને મહત્ત્વનું સ્થાન મળેલું છે. અલગ અલગ મત ધરાવતી વ્યક્તિઓ કે વ્યક્તિ સમૂહો વચ્ચે જુદા જુદા વિષયો પર વાદ-વિવાદ દ્વારા તે તે વિષયોના વિવિધ પાસાંઓ ઉઘડતાં જતાં, જ્ઞાન વિસ્તાર થતો હતો. આ પ્રણાલિકા સમગ્ર ભારતમાં અનેક સ્રોતમાં ફેલાઈ જતાં જ્ઞાન સમૃદ્ધિ વધતી ગઈ હતી. બૌદ્ધ ધર્મના આગમન થતાં અને સમગ્ર ભારતમાં સેંકડો વર્ષો સુધી વિસ્તરીત થયેલો હતો તે દરમ્યાન વાદ-વિવાદની પ્રણાલિકા થોડી ક્ષીણ થવા પામી. Buddha was Saint by his own solitude. અમુક ઇતિહાસકારો-વિચારકોએ આ પ્રમાણે ટીકા પણ કરી હતી.

બુદ્ધ મોક્ષદાતા નહિ પણ માર્ગદાતા છે એવું પણ વિધાન છે. અને માર્ગ પર તો એકલો જા ને રે (બુદ્ધ મોક્ષદાતા નહિ પણ માર્ગદાતા એવું વિધાન છે. અને માર્ગ પર તો “એકલો જાને રે” એ જ હોયને ! તેથી વાદ-વિવાદ અસ્થાને બની જાય છે.) ત્યારબાદ મુસલમાનોના આક્રમણ અને પછીના મુસ્લિમ રાજ્યકાળ દરમ્યાન આ પ્રણાલિનો લગભગ અંત આવી ગયો, પણ મજાની વાત એ બની કે મોગલકાળમાં અકબરે એને અન્ય ધર્મો પ્રત્યે જિજ્ઞાસા હોવાથી એના દરબારમાં ધર્મગોષ્ઠી દ્વારા વાદ-વિવાદને ફરીથી જાગૃત કર્યો, જે ઓગણીસમી સદીના અંત ભાગ સુધી જળવાઈ રહ્યો. વીસમી સદી આવતાં સુધીમાં આખાયે ભારતમાં આઝાદીના જંગની શરૂઆત થઈ ગઈ હતી એટલે વાદ-વિવાદ વિસારે પડી ગઈ.

સ્વતંત્રતા બાદ ભારતનું સંચાલન નહેરુજીના હાથમાં આવી ગયું. તેમણે ભારતને નવી દિશાએ લઈ જવા માટે : Socialism, Secularism અને Scientific thinkingનો નવો વિચાર પ્રજાને આપ્યો.

હવે એક આડવાત – સેક્યુલારિઝમ પર

આ સેક્યુલારિઝમના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરવામાં અને તેને ભારતના નવા બંધારણ  જોડાવાઈ કરવા સુધીનું મહત્ત્વ આપવા પાછળ નહેરુજીનો શો આશય હશે ? તેનાં અનેક કારણો આપી શકાય, અને તેમાંનું એક કારણ કદાચ એમના ભારતના ઇતિહાસમાંનું અધ્યયન હોઈ શકે ? એ તો સુવિદિત વાત છે કે એમને ઇતિહાસમાં ઊંડો રસ હતો અને તેનું ઘેરું અધ્યયન કર્યું હતું અને તે પરથી એક દમદાર પુસ્તક Discovery of India પ્રજાને ભેટ કર્યું હતું.

હવે આપણે લોર્ડ પારેખના પ્રવચન તરફ વળીએ, ભારતના એક જગવિખ્યાત અને નોબેલ પારિતોષક મેળવનાર અમર્ત્ય સેન રચિત “The Argumentative Indian” પુસ્તકનો લોર્ડ પારેખે  ઉલ્લેખ કરતાં અને એના પ્રતિશોધ રૂપે “Debating India” પુસ્તક લખાયું એમ જણાવ્યું. The Argumentative Indian (વાદ-વિવાદી ભારતીય એવું ભાષાંતર થઈ શકે? કે પછી વાદ-વિનોદી ભારતીય?) પુસ્તકમાં અમર્ત્ય સેને બૌદ્ધ ધર્મ અને તેનો ફેલાવો એ બાબત પર અને આગળ જતાં ભારત અને ચીનમાં બૌદ્ધ ધર્મની અસર એ વિશે વિસ્તારપૂર્વક એક આખું પ્રકરણ લખ્યું છે. પાંચમી-છઠ્ઠી સદી દરમ્યાન ચીનથી અનેક મુસાફરો ભારત આવતા હતા. તેઓ ભારતીય સંસ્કૃિતથી ખૂબ પ્રભાવિત થયા અને બૌદ્ધ ધર્મ પ્રત્યે આકર્ષાયા. ત્યારબાદ અનેક અભ્યાસુઓ ચીનથી ભારત આવતા, વર્ષો સુધી રહીને ઊંડો અભ્યાસ કરીને ચીન પાછા ફરતા ત્યારે તેઓને ત્યાંના રાજ્ય તરફથી ઘણાં માન-મરતબો મળતાં હતાં, અને સમાજમાં એમનું બહુમાન થતું હતું. આમ ચીનમાં પણ બૌદ્ધ ધર્મનું વિસ્તરણ થવા લાગ્યું. જો કે તે સમયે ત્યાંના પ્રચલિત ધર્મ-વિચાર Taoismનો સખત વિરોધ સહન કરવો પડ્યો હતો. નવમી સદીમાં હાન-યુ નામના એક ચીની બૌદ્ધિકે બૌદ્ધ ધર્મની વિરોધમાં અનેક લખાણો કર્યાં હતાં, તેમાંથી એક પ્રસંગને અમર્ત્ય સેન એમના પુસ્તકમાં ટાંકતા લખે છે કે લીયાંગ પ્રદેશનો વુ (wu) નામનો એક સમ્રાટ બૌદ્ધ ધર્મથી ખૂબ જ પ્રભાવિત થયો, એણે એ ધર્મનો સ્વીકાર કર્યો, બૌદ્ધધર્મનો જીવનવ્યવહાર અપનાવ્યો, માંસાહારનો ત્યાગ કર્યો, ફળફળાદિનો આહાર અપનાવ્યો, અને વ્રત-નિયમ, ઉપવાસ વગેરે કરવા લાગ્યો. આમ કરતાં કરતાં શારીરિક રીતે તે સમ્રાટ ખૂબ ક્ષીણ થઈ ગયો. નજીકના પ્રદેશના અન્ય રાજાએ ચઢાઈ કરી, નબળા સમ્રાટને હરાવીને તેનો દેશનિકાલ કર્યો, જ્યાં એ ભૂખ-તરસ્થી મૃત્યુ પામ્યો અને આ બાજુ એનું રાજ્ય પણ નષ્ટ પામ્યું,

એ પુસ્તકનો આ પ્રસંગ વાંચતાં મને આપણા ગુજરાતના એક મહાન સાહિત્યકાર ‘ધૂમકેતુ’ની યાદ આવી ગઈ. ધર્મ અને રાજ્યના અરસપરસના ગાઢ સંબંધ વિશે ચૌલુક્ય નવલકથા સંગ્રહમાંની એક નવલકથામાં ‘ધૂમકેતુ’ લખે છે કે, ‘જ્યારે ધર્મ રાજ્યાસન પર સવાર થાય છે ત્યારે રાજ્યનો અને ધર્મનો નાશ થાય છે.’

આડવાત તો ચાલુ જ છે, હવે આપણે સેક્યુલારિઝમ પર આવીએ. ઇતિહાસના ઊંડા અભ્યાસી અને આઝાદીની ચળવળ વખતે વિવિધ પ્રદેશોમાં ફરતાં ફરતાં અનેક વ્યક્તિઓના પરિચયમાં આવતાં નહેરુજીને આ બે પ્રસંગો વિશે જાણવા-વાંચવા મળ્યું હશે ? અને કદાચ એની ઊંડી અસર એમના વિચારો પર પડી હશે ? ખૂબ જ વિચારોના મંથન બાદ કદાચ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હોય કે નવતર ભારતમાં ધર્મને રાજ્ય વહીવટથી અલગ રાખવો એ ઉત્તમ છે અને એટલે એમને આ સેક્યુલારિઝમ પસંદ આવી ગયું હોય.

Secularismનો અર્થ ઓકસફર્ડ ડિક્ષનરીમાં આ પ્રમાણે છે : A doctrine that the basis of morality should be non-religious, અને બીજો અર્થ છે : a policy of excluding religious teaching from schools under state control.

ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ ઉછરેલી – પાંગરેલી અંગ્રેજી ભાષાનો ધર્મની નકારાત્મકની છાંયવાળો આ સીમિત અર્થ છે. ભારત જેવા વિવિધત્તા ધરાવતા દેશમાં જ્યાં અનેક ધર્મો છે, અનેક માન્યતા, સામાજિક રિવાજો અને સાથે સાથે અનેક ભાષાઓવાળા આ દેશને અને પ્રજાને આ સીમિત અર્થમાં ન બાંધતાં, સેક્યુલારિઝમ ને એક નવો જ અને અનેરો શબ્દ મળ્યો – ધર્મનિર્પેક્ષિતા !

ગાંધીજીને પોતાના ધાર્મિક વિચારો હતા અને તેથી આ સેક્યુલારિઝમને તેઓ ધાર્મિક – આસ્તિક દૃષ્ટિથી જોતા હતા જ્યારે નહેરુજીને ધર્મ પ્રત્ય અ-ભાવ હતો એટલે તેઓ નાસ્તિકતાની નજરે જોતા હતા. સ્વતંત્ર ભારત ભવિષ્યમાં ધર્મોની વાડાબંધીમાં ફસાઈ ને અલગ અલગ ટુકડાઓમાં વિખરાઈ ન જાય એવી આશંકા હતી. અને તેથી પ્રજાને આ નવી નીતિ અપનાવવાનો તેમનો અનુરોધ હતો. તેથી જ તેમણે આ નીતિને ભારતના નવા બંધારણમાં સામેલ કરવા સુધી લઈ ગયા.

અને ભારતની પ્રજાને પોતપોતાનો ધર્મ પોતાની રીતે માનવાનો-પાળવાનો સ્વતંત્ર અધિકાર મળ્યો હતો. ધર્મનિરપેક્ષિતામાં ભારતની પ્રજાને સ્વધર્મનો અધિકાર ઉપરાંત એમાં સમાયેલો ગહન વિચાર-ભાવ પસંદ આવી ગયો અને અપનાવી લીધો અને ભારતીય બંધારણમાં સ્વીકારાઈ ગયો.

આમ ધર્મ ને અને રાજ્યવહીવટને અલગ અલગ રાખવાનો આગ્રહ ધરાવતા નહેરુજી એ આખરે તો ધર્મને રાજ્યવહીવટ સાથે બાંધી દીધો. શરૂઆતમાં આ નવી વિચારધારાને પ્રજાએ જુદી જુદી દૃષ્ટિકોણથી વિચારીને નવા નવા પ્રતિભાવો પ્રગટ કરતી ગઈ, રાજ્યકારણીઓ પણ આના સંશોધનમાં સામેલ થયા અને એમણે પણ પોતપોતાના પક્ષની નીતિ દૃષ્ટિકોણથી પોતાના પ્રતિભાવો પણ જણાવતા ગયા. પણ થોડાક રાજકારણીઓને આ નીતિમાં કંઈક નવું જ તત્ત્વ દેખાયું અને ધર્મ નિરપેક્ષિતાને મત-અપેક્ષામાં વાળી દીધું અને એમણે નવો શબ્દ ઉપજાવ્યો – Vote Bank. ધર્મ પ્રત્યે અ-ભાવથી નાસ્તિક વિચારો ધરાવતા નહેરુજીના રાજ્યમાં રાજકારણીઓ “ધાર્મિક” થતા ગયા. પછી તો બધા જ રાજકીય પક્ષોએ આ નવી મત-અપેક્ષા વાળી વિચારધારામાં ઝંપલાવી પોતપોતાના ધર્મો, સમાજો, પ્રજાઓ-ઉપજાતિઓની વાડાબંધી કરીને, નહેરુજી એ આપેલા ધર્મનિરપેક્ષિતાના વાઘા સજીને પોતપોતાની Vote-Bank ઘડતા ગયા. આ અખંડ ભારતના લડવૈયા નહેરુજી ના જ સમયકાળ દરમ્યાન ભારત ખંડ ખંડમાં વિખરાવવા લાગ્યું અને હવે તો આ સેક્યુલારિઝમ – ધર્મ નિરપેક્ષિતા શબ્દ જ હાસ્યાસ્પદ થઈ ગયો ….

ધર્મ જ્યારે સત્તાની ગાદી પર બેસે છે ત્યારે ધર્મનો અને સત્તાનો લોપ થાય છે – ‘ધૂમકેતુ’નું આ વિધાન શું ફરીવાર ભારત માટે સાચું પડશે?

અહીં આડવાત પૂરી થઈ હવે આપણો લોર્ડ ભીખુભાઈના પ્રવચન પર પાછા આવીએ. વાદવિવાદની લાંબી ઐતિહાસિક સફર કરાવ્યા બાદ, લોર્ડ પારેખ આધુનિક ભારતમાં ઊભી થતી પરિસ્થિતિમાં વાદ-વિવાદનું સ્થાન ક્યાં અને કેટલું છે એ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે કે, ‘જે ભારતમાં એક કાળે વાદ-વિવાદ દ્વારા વિચારવિમર્શ થતાં નવા નવા દૃષ્ટિકોણ ઉપજતા નવા અર્થો-ભાવો નિપજતા અને નવું જ્ઞાન પ્રાપ્ત થતું હતું, અને ક્યાંક પ્રશ્નોનું નિરાકારણ પણ થતું હતું એ વાદ-વિવાદનો આજના ભારતમાં લગભગ અંત આવી ગયો જણાય છે. એની જગ્યાએ વિચારોમાં જડતા, હઠાગ્રહતા આવતી જાય છે અને ક્યાંક વિચારોની ઉગ્રતાથી અસહિષ્ણુતા ઊભી થતી જાય છે.

એક ભીતિ સતાવવા લાગે છે કે Debating India ક્યાંક વિસ્ફોટક પરિસ્થિતિ તરફ સમગ્ર દેશને ઘસડી ન જાય.

e.mail : mndesai.personal@googlemail.com

Loading

ઍલ્વિન ટોફલર : 1928-2016

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|7 July 2016

બદલાતા યુગમાં વિશ્વસમાજને સળ નહીં જડે ને કળ નહીં વળે ત્યાં સુધી અૅલ્વિન ટોફલર ભુલાવાના નથી

દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, હવે પછી કેવાં પરિવર્તનો આવી શકે એમ છે અને એની સમાજજીવન પર કેવી અસર થઈ શકે એમ છે એ સમજાવવાનું કામ ટોફલરે કર્યું હતું. આ નવી વિકસેલી જ્ઞાનશાખા ફ્યુચરોલૉજી તરીકે અોળખાય છે અને એના જનક અૅલ્વિન ટોફલર હતા

આવતી કાલે મારા જીવનમાં શું બનશે એની ચિંતા માણસ ખબર નહીં આદોકદમીથી કરતો આવ્યો છે, પરંતુ સમાજમાં અને દુનિયામાં આવતી કાલે શું બનશે એની માણસ ભાગ્યે જ ચિંતા કરતો હતો. આનું કારણ એ છે દુનિયા બહુ ઓછી ઝડપે બદલાતી હતી. ભારતીય સમાજશાસ્ત્રીઓ કહે છે કે પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં રાજપાટ બદલાતાં હતાં એની અસર સમાજજીવન પર ભાગ્યે જ પડતી હતી. બધું જ યથાવત્ રહેતું હતું, રાજા ગમે તે હોય. ભારતીય ગ્રામીણ વ્યવસ્થા આર્થિક રીતે સ્વાયત્ત હતી. સમાજજીવન પર પરિવર્તનની અસર ઔદ્યોગિક ક્રાન્તિ પછી થવા લાગી હતી. બે ઔધોગિક ક્રાન્તિ થઈ હતી જેમાંથી બીજી ક્રાન્તિએ સમાજવ્યવસ્થાને બેહદ પ્રભાવિત કરી હતી.

માણસ પરિવર્તનથી ડરે છે અને પરિવર્તન જીવનની વાસ્તવિકતા છે. માણસ ઇચ્છે છે કે પરિવર્તન ન થાય અને તે તેના પરિચિત અને સુરક્ષિત વાતાવરણમાં આયખું વિતાવી દે. બીજી ઔદ્યોગિક ક્રાન્તિ પછીથી આ પરિચિતતા અને સુરક્ષા હાથમાંથી સરકી જવા લાગી હતી. પરિવર્તન સાર્વત્રિક અની વ્યાપક હતું. આર્થિક, ટેક્નૉલૉજીકીય, પર્યાવરણીય અની ભૌગોલિક પરિવર્તનોએ સમાજજીવનને અસ્થિર બનાવવા માંડ્યું હતું. માણસ પરિવર્તનની રફતાર સાથે તાલ મિલાવી શકતો નથી જેને કારણે કેટલાક નવા માનસશાસ્ત્રીય પ્રશ્નો પેદા થવા લાગ્યા હતા.

પશ્ચિમમાં પરંપરાગત ક્લાસિકલ ફિલોસૉફી સામે કૉન્ટિનેન્ટલ ફિલોસૉફીની નવી શાખા અસ્તિત્વમાં આવી હતી જેના કેન્દ્રમાં તર્ક નહીં, માનવી હતો. એક્ઝિસ્ટેન્શિયલિઝમ, ફિનૉમીનૉલૉજી, સર્રિયાલિઝમ વગેરે જ્ઞાનશાખાઓ 19મી સદીના અંતમાં અને 20મી સદીમાં અસ્તિત્વમાં આવી હતી. એ તાત્કાલિક માનવીય સંકટ સાથે કામ પાડે છે એટલે વધારે ફૅશનમાં આવી હતી. સામાજિક મનોવિજ્ઞાન (સોશ્યલ સાયકોલૉજી) અને મનોવિશ્લેષણ (સાયકો ઍનૅલિસિસ)ની શાખાઓ પણ એ જ યુગમાં અસ્તિત્વમાં આવી હતી અને એનું કારણ પણ ઝડપથી થઈ રહેલું પરિવર્તન હતું. દાયકાઓથી ઘડાયેલા અને એકંદરે સ્થિર રહેલા માનસપિંડ સામે નવા પડકાર પેદા થયા હતા. માણસ એની સાથે પોતાને એડ્જસ્ટ નહોતો કરી શકતો અને ભયનો અનુભવ કરવા લાગ્યો હતો.

અહીં 27 જૂને, અમેરિકાના લૉસ ઍન્જલસમાં, 87 વર્ષની વયે અવસાન પામેલા ઍલ્વિન ટોફલર આવે છે જેમણે પરિવર્તનની રફતાર અને દિશા સમજવા-સમજાવવાનું કામ કર્યું હતું. પરિવર્તને માનવી અને માનવસમાજ પર કેવી અસર કરી છે એ સમજાવવાનું અને એની ચિકિત્સા કરવાનું કામ ઉપર કહે એવી નવી વિકસેલી જ્ઞાનશાખાઓએ કર્યું છે; પરંતુ દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, હવે પછી કેવાં પરિવર્તનો આવી શકે એમ છે અને એની સમાજજીવન પર કેવી અસર થઈ શકે એમ છે એ સમજાવવાનું કામ ટોફલરે કર્યું હતું. આ નવી વિકસેલી જ્ઞાનશાખા ફ્યુચરોલૉજી તરીકે ઓળખાય છે અને એના જનક ઍલ્વિન ટોફલર હતા.

1928માં અમેરિકામાં જન્મેલા ટોફલરે ખેતમજૂર તરીકે અને પછી ફૅક્ટરી-વર્કર તરીકે કામ કર્યું હતું. એ પછી તેઓ પત્રકારત્વમાં પ્રવેશ્યા હતા. તેમણે એવા સમાજને જોયો હતો જેની સુરક્ષિત જગ્યા પરિવર્તનને કારણે સરકી રહી હતી. તેમણે એવા સમાજને પણ જોયો હતો જે હજી વધુ મેળવવાની આકાંક્ષા ધરાવતો હતો. પત્રકાર તરીકે તેમણે એવા સમીક્ષકોને પણ જોયા હતા જેઓ પરિવર્તનના સૂચિતાર્થો સમજાવવાના નિરર્થક પ્રયાસ કરતા હતા (જે રીતે આ લેખક કરતો રહે છે). બધું તાલમેલ વિનાના સર્કસ જેવું ભાસતું હતું. ઍલ્વિન ટોફલરે સર્કસમાં સમજણ વિકસાવવાનો અને એ દ્વારા ભાવિ દિશા પકડવાનો પ્રયાસ કર્યો હતો.

1970માં પ્રકાશિત થયેલું ‘ફ્યુચર શૉક’ તેમનું પહેલું પુસ્તક હતું જેણે જગતને અક્ષરશ: શૉક આપવાનું કામ કર્યું હતું. આ પુસ્તકની અત્યાર સુધીમાં દોઢ કરોડ નકલ વેચાઈ ગઈ છે. એ પુસ્તકમાં ટોફલરે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે અને એનું જવું કઈ રીતે અનિવાર્ય છે એની વાત કરી હતી. ફ્યુચર શૉક કલ્ચરલ શૉક હશે એમ ત્યારે ટોફલરે કહ્યું હતું. સૅમ્યુઅલ હન્ટિંગટનની કલૅશ ઑફ સિવિલાઇઝીશનની થીસિસ તો એ પછી 23 વર્ષે આવી હતી. હન્ટિંગટને કહ્યું હતું કે હવે પછી જગતમાં ટેક્નૉલૉજીને કારણે નજીક આવી ગયેલી, પરંતુ મૂળભૂત રીતે એકબીજાથી અપરિચિત સભ્યતાઓ વચ્ચે સંઘર્ષ થશે.

1980માં ‘ધ થર્ડ વેવ’ નામનું તેમનું બીજું પુસ્તક આવ્યું હતું. એ પુસ્તકમાં તેમણે કહ્યું હતું કે પરિવર્તનનું ત્રીજું મોજું ઈન્ફર્મેશન ટેક્નૉલૉજીનું હશે. પહેલું મોજું કૃષિવ્યવસાયનું હતું જેમાં માનવી ઠરીઠામ થયો હતો અને સભ્યતાઓ વિકસી હતી. બીજું મોજું ઔદ્યોગિક ક્રાન્તિનું હતું જેમાં સમાજ આર્થિક રીતે પ્રભાવિત થયો હતો. ત્રીજું મોજું ઇન્ફર્મેશન ઓવરલોડનું હશે. શબ્દપ્રયોગ પર ફરી વાર નજર કરો. ઇન્ફર્મેશન ઓવરલોડ. ઇન્ટરનેટ જેવી ટેક્નૉલૉજી વિકસશે એટલું જ માત્ર જો તેમણે કહ્યું હોત તો તેઓ મહાન ફ્યુચરોલૉજિસ્ટ ન ગણાત. તેઓ મહાન ફ્યુચરોલોજિસ્ટ એટલા માટે છે કે તેમણે ઓવરલોડની કલ્પના કરી હતી. લોડ એટલો પ્રચંડ હશે કે માનવી અને તેનો માનસપિંડ એને સહન નહીં કરી શકે. અથડામણો, હિંસા, પોતાની જગ્યા બચાવવાનો અને બીજાની જગ્યા આંચકી લેવાનો સંઘર્ષ આજે સર્વત્ર નજરે પડે છે. આજે જૂઠાણાંનો ઉદ્યોગ અબજો ડૉલરનો થઈ ગયો છે એ, ત્રીજા મોજાનું પરિણામ છે. પાછા જૂઠાણાં ફેલાવનારાઓના સગડ પણ મળતા નથી (ટોફલરના ‘થર્ડ વેવ’નો ગુજરાતીમાં અનુવાદ જાણીતા સર્વોદયી વિચારક કાંતિભાઈ શાહે ‘ત્રીજા મોજા’ના નામે કર્યો છે જે વાંચવાની હું ભલામણ કરું છું. આ પુસ્તક યજ્ઞ પ્રકાશન, વડોદરાએ પ્રકાશિત કર્યું છે). એ ઉપરાંત ‘પાવર શિફ્ટ’ અને બીજાં કેટલાંક પુસ્તકો ટોફલરે આપ્યાં છે જે આ જ દિશામાં હજી બીજી કેટલીક વાત કરે છે.

ટોફલરે વિકસાવેલી ફ્યુચરોલૉજીની જ્ઞાનશાખાને પાંચ દાયકા થવા આવ્યા છે, પણ તેને બીજા ટોફલર નથી મળ્યા. એબ્સર્ડ ભાસતા સર્કસમાં રિધમ પકડવી એ અઘરું કામ છે અને એ એક ફેક્ટરી-વર્કરે કરી બતાવ્યું છે. બદલાતા યુગમાં વિશ્વસમાજને સળ નહીં જડે અને કળ નહીં વળે ત્યાં સુધી ઍલ્વિન ટોફલર ભુલાવાના નથી. 

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જુલાઈ 2016

Loading

...102030...3,5323,5333,5343,535...3,5403,5503,560...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved