આદ્ય નારીવાદી ચિંતકો અને કર્મશીલોમાં અગ્રણી મહાત્મા ફુલેની પુણ્યતિથિ સોમવારે છે …
ડૉ. બાબાસાહેબ આંબેડકરે જેમને બુદ્ધ અને કબીરની સાથોસાથ પોતાના ગુરુ ગણ્યા હતા તે અગ્રણી સમાજસુધારક મહાત્મા જોતીરાવ ફુલે(1827-1890)ની પુણ્યતિથિ સોમવાર અઠ્ઠ્યાવીસ નવેમ્બરે છે. જોતીરાવ અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલે(1831-1897)એ અસ્પૃશ્યતા વિરુદ્ધ જાગૃતિ લાવવાનું પાયાનું કામ કર્યું. એના માટે તેમને પ્રતિગામી મનુવાદી ઉચ્ચવર્ગ સામે બળવો પોકાર્યો. અલબત્ત ફુલે દંપતીએ સંઘર્ષ સાથે નવરચનાનાં પણ કામ કર્યાં. તેમણે ‘સત્યશોધક સમાજ’ નામનું સંગઠન સ્થાપ્યું. તેના થકી શૂદ્ર ગણાતા સમૂહોનું પુરોહિતો દ્વારા થતું દમન-શોષણ અટકાવવા, તેમનામાં ખુદના માનવઅધિકારો માટે જાગૃતિ લાવવા અને શાસ્ત્રોએ લાદેલી ધાર્મિક તેમ જ માનસિક ગુલામગીરીમાંથી દલિતોને મુક્ત કરવાની દિશામાં બહુ વિશિષ્ટ ઉપક્રમો હાથ પર લીધા. સત્યશોધક સમાજે ઉપાધ્યાય અને તેના સંસ્કૃત કર્મકાંડ બંનેને દૂર કરતી લગ્ન પદ્ધતિ પ્રચલિત બનાવી. સમાજની જાહેર સભાઓ તેમ જ તેના મુખપત્ર ‘દીનબંધુ’ દ્વારા સાક્ષરતા, સમાનતા, વૈજ્ઞાનિક અભિગમ, ખેડૂતોની સ્થિતિ, દુષ્કાળ સહાય જેવી બાબતો અંગે જાગૃતિ ઊભી કરી.
સ્ત્રીજીવનમાં સુધારણા એ ફુલે દંપતીનાં કામનું એક મહત્ત્વનું પાસું છે. જોતીરાવે અતિશૂદ્ર ગણાતા પરિવારોની કન્યાઓ માટેની ભારતની પહેલવહેલી શાળા 1848માં પૂનામાં શરૂ કરી. તેમાં સાવિત્રીબાઈ ભણાવતાં. બાળલગ્ન થયાં ત્યારે જે અભણ હતી તે સાવિત્રીને જોતીરાવે ભણાવી. સાવિત્રીબાઈ શાળાએ ભણાવવાં જતાં ત્યારે સ્ત્રી શિક્ષણને અનિષ્ટ ગણનારા રૂઢિચુસ્ત વર્ગના કેટલાક લોકો તેમની પર કાદવ અને છાણ ફેંકતા. પજવણી અને પ્રતિરોધ છતાં ફુલે દંપતીએ કન્યાકેળવણીનું કામ ચાલુ રાખ્યું. સમયાંતરે બધા વર્ગોની છોકરીઓ માટે બે નિશાળ અને 1855માં શ્રમજીવીઓ માટેની રાત્રિશાળા શરૂ કરી. એ પછીના જ વર્ષે વિરોધીઓએ એક રાત્રે ઉંઘતા જોતીરાવને ખતમ કરવા માટે મારાઓ મોકલ્યા હતા. પણ જાગી ગયેલા જોતીરાવની સાથેની વાતચીતમાં તેમનું હૃદય પરિવર્તન થયું અને તે આ સુધારકના આજીવન અનુયાયી બની ગયા.
ફુલેના કાર્યકાળ એવી ઓગણીસમી સદીમાં વિધવાઓનું જીવન દોજખ હતું. બાળલગ્નો અને ઊંચા મૃત્યુદરને કારણે બધી જ ઉંમરની વિધવાઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. અનેક વિધવાઓ પુરુષોની વાસનાનો ભોગ બનીને સગર્ભા બનતી અને પછી જિંદગી ટૂંકાવી દેતી. આવી મહિલાઓ માટે ફુલેએ 1873માં પૂનામાં બાળહત્યાપ્રતિબંધક ગૃહની સ્થાપના કરી. તેની માહિતી આપતાં ભીંતપત્રો શહેરમાં ચોંટાડ્યાં. તેમાં લખાતું : ‘વિધવાઓ તમે અહીં છૂપી અને સલામત રીતે સુવાવડ કરાવો. બાળકને લઈ જવું કે રાખવું એ તમારી મરજીની વાત રહેશે. એ બાળકોની સંભાળ અમારો અનાથાશ્રમ લેશે.’ ફુલે યુગલને સંતાન ન હતું. તેમણે 1873માં બાળહત્યા પ્રતિબંધક ગૃહમાં કાશીબાઈ નામનાં વિધવાએ જે બાળકને જન્મ આપ્યો તેનો પોતાના પુત્ર યશવંત તરીકે ઉછેર કર્યો. મહારાષ્ટ્રમાં 1840થી ચાલતી વિધવા વિવાહની ચળવળના પણ જોતીરાવ અગ્રણી ટેકેદાર હતા. વિધવાઓ પર થતા અનેક જુલમોમાં તેમના વાળ મૂંડાવવાનો પણ સમાવેશ થતો હતો. સત્યશોધક સમાજે વાળંદભાઈઓને સમજાવીને આ બદી સામે ઝુંબેશ ચલાવી. તેને પરિણામે મુંબઈમાં ચૌદ એપ્રિલ 1890ના રોજ ભરાયેલી વાળંદોની જંગી સભામાં વિધવાઓના વાળ વાળંદો નહીં ઊતારે એવું નક્કી કરવામાં આવ્યું. આ સમાચાર ઇન્ગ્લેન્ડમાં પહોંચ્યા. ત્યાંની કેટલીક મહિલાઓએ ભારતમાંથી નીકળતાં ‘બૉમ્બે ગૅઝેટ’ અખબારને એક પત્ર લખ્યો હતો. સત્તરમી જૂન 1890ના અંકમાં છપાયેલા આ પત્રમાં વાળંદોને તેમના નિર્ણય માટે ધન્યવાદ આપીને વિધવાઓ માટે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી.
મહિલાઓ માટે ફુલે દંપતીએ જે વિશિષ્ટ કામ કર્યું તેના પાયામાં પાછળ સ્ત્રી-પુરુષ સમાનતા અને સ્ત્રી-મુક્તિના ખૂબ પ્રગતિશીલ ખ્યાલો હતા. તે જોતીરાવના ‘સત્સાર’ અને ‘સાર્વજનિક સત્યધર્મ’ નામના ચિંતનાત્મક લેખનમાં મળે છે. સંવાદના સ્વરૂપમાં લખાયેલી ‘સત્સાર’ (1885) નામની બે પુસ્તિકાઓમાં મુખ્યત્વે ઉચ્ચ વર્ગોની પકડની વાત છે. સાથે બીજા એક મહત્ત્વના મુદ્દા તરીકે તેમાં જોતીરાવે આધુનિક ભારતના એક વિચક્ષણ બૌદ્ધિક પંડિતા રમાબાઈ(1858-1922)ના ધર્માંતરણનો બચાવ કર્યો છે. આ મુદ્દે વર્તમાન પત્રોમાં રમાબાઈ પર પસ્તાળ પાડનારા રૂઢિચુસ્તોની જોતીરાવ વ્યંજનાભરી ભાષામાં ખબર લીધી છે. પંડિતા રમાબાઈનો આ રીતે બચાવ ભાગ્યે જ બીજા કોઈ બિનખ્રિસ્તી ધર્મસુધારકે કર્યો છે. આ જ રીતે તારાબાઈ શિંદે(1850-1910)ની સાથે પણ ફુલે રહ્યા હતા. સત્યશોધક સમાજના કાર્યકર્તા બાપુજી શિંદેના પુત્રી તારાબાઈએ ‘સ્ત્રી-પુરુષ તુલના’ (1882) નામનું એક નાનું પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે બાળવિવાહ, વિધવાવિવાહની મનાઈ, પતિના વ્યાભિચાર અને જુલમો, પુરાણકથાઓમાં જોવા મળતો સ્ત્રી પરનો અન્યાય જેવી બાબતો વિરુદ્ધ તેજાબી ભાષામાં લખ્યું છે. આ પુસ્તકનો મેનકા જાધવે કરેલો ગુજરાતી અનુવાદ ’તથાપી’ સામયિકમાં 2010-11 દરમિયાન પ્રસિદ્ધ થયો છે. તારાબાઈ અને તેમના વિચારો વિશે અનુચિત લખાણો કરનારા એક સંપાદકની પણ ફુલેએ ઝાટકણી કાઢી હતી.
ફુલે ‘સત્સાર 2’ની પ્રસ્તાવનામાં ‘પીડાયેલી સ્ત્રીઓને અંગ્રેજ બહાદુરોના પ્રતાપે આછું-પાતળું લખતાં-વાંચતાં આવડ્યું’ એમ જણાવે છે. આગળ તે લખે છે : ‘… આર્ય ધૂર્તજનો થકી એકંદર બધી સ્ત્રીઓની બધી રીતે રિબામણી થતી અને થઈ રહી છે. એ બધા પુરુષોની ઠગાઈ સ્ત્રીઓની નજર સામે લાવવા અહીં પ્રયત્ન કર્યો છે.’ એ અનુસાર, પુસ્તકમાં વેશ્યાગમન કરતા કે એક કરતાં વધુ સ્ત્રીઓને પરણતા પુરુષોનો ધિક્કાર છે. નાલાયક પતિના સકંજામાં ફસાયેલી સ્ત્રીને બીજા પુરુષ સાથે લગ્ન કરવાનો અધિકાર શાસ્ત્રોએ આપ્યો નથી એ વાત લેખકને કઠે છે. વિલાસી પુરુષોની લંપટલીલાનું ટૂંકું શબ્દચિત્ર ફુલે આપે છે. વળી, દાવા-દલિલો-દાખલા સાથે એ સાબિત કરે છે કે ‘સ્ત્રીઓ કરતાં પુરુષો જ વધુ દગાબાજ, ઠગ, ક્રૂર અને નિતનવાં ભયંકર દુષ્કર્મો કરનારા છે.’ અહીં તે દુનિયાના યુદ્ધોના સંદર્ભ આપે છે. અમેરિકામાં ગુલામીનાં દૂષણનો સ્ત્રીઓ પરના જુલમની બાબતે ઉલ્લેખ કરીને ‘અંકલ ટૉમ્સ કેબિન’ (1852) નવલકથાની અમેરિકન લેખિકા હૅરિયટ બીચર સ્ટોની સિદ્ધિની વાત કરે છે. પુસ્તકના અંતે ફુલે એક વિધવાના જીવનનું હૃદયદ્રાવક વર્ણન કરે છે.
ફુલેના છેલ્લા પુસ્તક ‘સાર્વજનિક સત્યધર્મ’(1891)માં સ્ત્રી-પુરુષ સમાનતાના વિચારો છે. એમાં લેખકે લગભગ બધી જગ્યાએ ‘સર્વ એકંદર સ્ત્રી-પુરુષ’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. સમાજશાસ્ત્રી ગેલ ઑમ્વેટ નોંધે છે કે ‘માણસ’ શબ્દમાં સ્ત્રી અને પુરુષ એવી વિભાવના સ્પષ્ટ થાય જ છે એવી ધારણા ફુલે સ્વીકારતા નથી, એટલા માટે તે ‘સર્વ એકંદર સ્ત્રી-પુરુષ’ એવો શબ્દસમૂહ પ્રયોજે છે. આ પુસ્તક સ્ત્રીઓની અનેક પ્રકારની ક્ષમતાઓનું ગૌરવ કરે છે. આ ક્ષમતાઓ છતાં સ્ત્રીઓને ગુલામગીરી વેઠવી પડે છે તે માટે કુદરતી કારણો કરતાં સામાજિક પરિબળો કેવી રીતે જવાબદાર છે તેની ફુલે છણાવટ કરે છે. તેમના નારીવાદના કેન્દ્રસ્થાને ‘પુરુષ કરતાં સ્ત્રી શ્રેષ્ઠ’ એવી માન્યતા છે. એ માન્યતા કેટલી સાચી છે તે ભારતીય નારીના રોજબરોજના જીવનમાં ડગલે ને પગલે ચાલતા સંઘર્ષથી લઈને મંદિર પ્રવેશ માટેની કે ટ્રિપલ તલાક સામેની લડત સુધી, બધે જ સમજાય છે.
23 નવેમ્બર 2016
+++++
e.mail : sanjaysbhave@yahoo.com