Opinion Magazine
Number of visits: 9552431
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક ગુલામી પ્રથા

આશા બૂચ|Opinion - Opinion|18 August 2016

માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવનાર માન્ચેસ્ટર કેથિડ્રલના ડીન Rogers Govenderના આમંત્રણથી, એક પ્રકલ્પમાં ભાગીદાર બનવાની તક મળી. ગ્રેટર માન્ચેસ્ટર પોલિસ દળે ચારેક વર્ષ પહેલાં આધુનિક ગુલામીના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને તેનો હલ શોધવા એક ખાસ એકમ ઊભું કર્યું છે. માનનીય ગવન્ડરનાં સૂચનથી વિવિધ ધર્મને અનુસરતા કેટલાક નાગરિકોને આ સમસ્યા વિશે જાણકારી આપીને તેમના સમાજનાં વલણો જાણવા અને તેનો હલ શોધવા માટે તેમનો સહકાર મેળવવા એક મિટિંગ યોજવામાં આવેલી. તે વિશે આગળ ઉપર જે પગલાં ભરવામાં આવશે તેનો અહેવાલ યથા સમયે આપીશ, પરંતુ આજે વાત કરવી છે આધુનિક ગુલામી પ્રથાની અને ખાસ કરીને ભારત આ સમસ્યામાં દુનિયામાં કયા સ્થાને છે તે જોવાની.

‘ગુલામી પ્રથા’ શબ્દ કાને પડતાં અશ્વેત સ્ત્રી-પુરુષ અને બાળકોને બજારમાં ઊભાં રાખીને તેમનું વેચાણ થતું હોય, તેમને લોઢાની સાંકળે બાંધીને ઘસડવામાં આવતાં હોય કે તેમની પાસે શેરડી તથા તમાકુની ખેતી કરાવવામાં આવતી હોય, તેવા કારમા જુલમનાં દ્રશ્યો નજર સામે તરી આવે. સામાન્ય માન્યતા એવી છે કે યુરોપિયન મૂળના શ્વેત લોકો આફ્રિકા ખંડમાં વસતી અશ્વેત પ્રજાને પોતાનાથી ઉતરતી માનવીય ગુણવત્તા ધરાવનારા, નીચા બુદ્ધિ આંક વાળા, જેમને કોઈ ધર્મ કે ભાષાનું જ્ઞાન ન હોય તેવા પશુ સમાન અર્ધ માનવ તરીકે ઓળખાવવા લાગ્યા અને શ્યામ રંગધારી હોવાને કારણે તેમનાથી ઉતરતી જાતિના ગણીને તેમનું શોષણ કરવાને પોતાની જાતને અધિકારી માનવા લાગ્યા. રંગ ભેદને આધારે આવું અમાનવીય કૃત્ય આચરવા બદલ સદીઓ સુધી ખુદ બાઇબલનો આધાર પણ લેવાતો રહ્યો. વળી ‘તમારી પાસે કોઈ ધર્મ નથી, શિક્ષણનો અભાવ છે, આરોગ્ય અને સ્વાસ્થ્યની સગવડો નથી, તેથી તમને મદદ કરવા અમને જીસસે મોકલ્યા છે, તમે તેને શરણે આવો તો આ પાપમય જિંદગીમાંથી ઉગારો થશે અને બદલામાં અમે તમને શાળા, દવાખાનાં, રોજગારીની તકો અને આવાસો આપીશું’, તેમ કહીને એમના વતનમાં પગપેસારો કર્યો અને ત્યાર બાદ કરુણા અને પ્રેમના પ્રસારના અંચળા હેઠળ ધર્મ પરિવર્તન તથા સંસ્થાનવાદનો યુગ આવ્યો તે હકીકત જગ જાહેર છે. એકદા ગુલામી પ્રથા કાયદેસર હતી તેમ કહી શકાય. જીવતા જાગતા બે પગાળા માનવીઓનું લીલામ થાય, તેમનાં શરીર સ્વાસ્થ્ય, માનસિક તાકાત, દેખાવ અને કામ કરવાની ક્ષમતાને આધારે બોલી બોલાય અને પતિ-પત્ની-બાળકો જુદાં જુદા ંઘરોમાં વેચાય એ સાવ સામાન્ય બાબત ગણાવા લાગી. ઢોરને પણ કામ કરાવ્યા બાદ કાળજીથી નીરણ અને પાણી અપાય, માંદું પડે તો સારવાર કરાય અને પ્રેમથી પીઠ થાબડવામાં આવે, જ્યારે આ ગુલામો તો એટલી માનવતાના્ ય અધિકારી નહોતા ગણાતા. માનવ ઇતિહાસમાં ગુલામી પ્રથા એ એક બહુ મોટું કાળું ધાબું છે.

છેવટ દરેક યાતનાનો અંત આવે તેમ યુનાઇટેડ કિંગ્ડમની પાર્લામેન્ટે ઈ.સ. 1833માં તેનાં સંસ્થાનોમાં ગુલામી પ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો. એમ તો ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે માનવ વ્યાપાર અને ગુલામો પ્રત્યે અમાનવીય વર્તાવ કરવા વિરુદ્ધ કાયદાઓ ઘડેલા. પરંતુ સમગ્ર ભારત કે વિશ્વના અન્ય દેશોમાં એ જુલ્મી પ્રથા ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહી. યુ.એસ.એ.માં ભારે સંઘર્ષ અને જાનહાનિ બાદ જાન્યુઆરી 1863માં પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકને Emancipation Proclamation બિલ પસાર કર્યા બાદ, બે વર્ષે ગુલામી પ્રથાનો કાયદેસર અંત આવ્યો. નોંધ લેવાની વાત એ છે કે યુનાઇટેડ કિંગ્ડમમાં અને કદાચ બીજા દેશોમાં પણ ગુલામોના માલિકોને તેમની માલિકી હેઠળના ગુલામોને મુક્ત કરી દેવા બદલ તેમને પડેલી ખોટનું નાણાકીય વળતર આપવામાં આવેલું! પેઢીઓ સુધી એ ગુલામ પ્રજાના જાન લેવાયા, ઢોરમાર મારેલો, ભૂખે મારેલા, અપહરણ અને બળાત્કાર જેવા ગુનાઓ તેમના પર આચરેલા જેનું વળતર બીજી અનેક પેઢીઓ સુધી વળી શકાય તેમ નથી, તેનો કોઈને વિચાર સુધ્ધાં ન આવ્યો. અરે, આ શોષણ પ્રથાને ખુદ રાજ્ય અને ચર્ચનો પણ સીધો કે આડકતરો ટેકો હતો. સત્તા અને ધર્મ જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે કેવો અમાનવીય અત્યાચાર કરાવી શકે છે તેનો આ ગુલામી પ્રથા જીવંત પુરાવો છે. ખેર, આખર કાયદાઓ પસાર થયા અને લાખો ગુલામોની પીડા અને યાતનાઓનો અંત આવ્યો. દુનિયાએ નિરાંતનો દમ લીધો. માનવ જાતને પોતાના પર લાગેલું કલંક ધોવાયાનો અહેસાસ થયો.

પણ એમ કંઈ માણસ શુદ્ધ નિષ્પાપ જીવન જીવીને રહેવા થોડો ટેવાયેલો છે? કાયદા વિરુદ્ધ વર્તન ન થાય પણ નીતિ વિરુદ્ધ વર્તન થાય તો તેને કોણ પકડીને સજા કરવાનું છે? બસ, આવા અનીતિમય વિચારને મૂડીવાદ, વૈશ્ચિક બજાર, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિક જીવન પદ્ધતિના રૂડા મુખવટા પાછળ ઉછેરવાનું સહેલું બન્યું છે અને ‘આધુનિક ગુલામી પ્રથા’ના રૂપમાં એ પુનર્જિવન પામી રહી છે. આજે દુનિયામાં 12થી 29 મિલિયન લોકો આધુનિક ગુલામી પ્રથાના ભોગ બનેલ છે, તેવો અંદાજ છે. તેઓ જે પ્રકારના વ્યવસાયમાં સંકળાયેલા છે તેનાથી લગભગ 35 બિલિયન ડોલર જનરેટ થાય છે તેવો અંદાજ છે. આફ્રિકા ખંડના ઘણા દેશો, નેપાળ, પાકિસ્તાન, કેરેબિયન અને ભારતમાં આવા કામ-ધંધા અને જીવન પ્રથાનું વધુ પ્રમાણ જોવા મળે છે. એનો અર્થ એ કે રંગભેદ નાબૂદ થયો એ એક ભ્રમણા છે, બાકી હજુ પણ મુખ્યત્વે અશ્વેત પ્રજા ધરાવનાર દેશોમાં આંતરિક આર્થિક અને સામાજિક પરિસ્થિતિને પરિણામે ગુલામી પ્રથા નવા વેશ પરિધાન કરીને ગલીએ ગલીએ ફરતી જોવા મળે છે. દુનિયાના કુલ ગુલામોમાંથી 76% ગુલામો માત્ર 10 દેશોમાં રહે છે જેમાં ભારતમાં તેની સહુથી મોટી સંખ્યા – કુલ વસતીના 1% એટલે કે 14 મિલિયન લોકો ગુલામી ભોગવે છે. આ હકીકત વાઇબ્રન્ટ ગુજરાત કે Make in Indiaના નારા લગાવનારને દેખાતી હશે?

સવાલ એ થાય કે આ કહેવાતી આધુનિક ગુલામી પ્રથાના પ્રકારો કયા? જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા હજુ પણ પ્રચલિત છે જેણે ગુલામી પ્રથાને વારસાગત સ્વરૂપ આપ્યું છે જે શિક્ષણ અને રોજગારીની સુધરેલી તકો છતાં સમાજમાંથી વિદાય નથી લીધી. વધારામાં ભારત, પાકિસ્તાન અને અન્ય જ્ઞાતિ પ્રથામાં ચુસ્તપણે માનનારા દેશોમાં બન્ધુઆ મઝદૂર અને ભૂમિ વિહોણા મઝદૂરો ગુલામો જેવી જ સ્થિતિમાં સબડે છે. રાજકીય સંઘર્ષ, પર્યાવરણીય પરિવર્તન કે કુદરતી આફતોને કારણે થતા ફરજિયાત સ્થળાંતર સ્ત્રી-પુરુષોને ગુલામની દશામાં લાવી મૂકે છે. એવી જ રીતે વેશ્યા વ્યવસાયમાં ફસાયેલી બાળાઓ અને સ્ત્રીઓ, બાળ લગ્નના ભોગ બનેલ બહેનો અને બાળ મજૂરીમાં ફસાયેલ બાળકો આધુનિક ગુલામીના જ એક ભાગ રૂપ છે. તેમાં વળી વકરેલા આતંકવાદને પગલે ચાલેલા માનવ વ્યાપાર અને વિશિષ્ટ વિચારધારાઓના પ્રચારને કારણે માનવ માનવ વચ્ચે સમતા અને આદર અદ્રશ્ય થતાં માલિક અને ગુલામનો રિશ્તો વધુ પ્રબળ બનતો ચાલ્યો છે.

ભારતમાં પ્રવર્તતતી પ્રચ્છન્ન અને દેખીતી ગુલામી અવસ્થાના થોડા આંકડા જોઈએ. સૌ પ્રથમ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં મોરિટાનિયા, હાઇટી અને પાકિસ્તાન પછી ભારત ગુલામીની પકડમાં જીવતા લોકોમાં ચોથો નંબર ધરાવે છે, એ હકીકત અત્યન્ત દુઃખદ છે.

દુનિયાના કુલ ત્રીસેક મિલિયન ગુલામોમાંથી 14 મિલિયન જેટલા ભારતમાં વસે છે.

તેઓ આવા પ્રકારની ધાતુની ખાણોમાં કામ કરતા હોય છે અથવા બંધુઆ મઝદૂરના વેશે નાના-મોટા ખેત ઉદ્યોગો કે અન્ય મઝદૂરીનાં કામ કરતા જોવા મળે છે.

પશ્ચિમના દેશોમાં કેટલાક સ્ટોર્સને સસ્તાં કપડાં પૂરા પાડનાર કંપનીઓ બાળમજૂરીનો પૂરેપૂરો  ઉઠાવે છે એ આ છબીમાં સાબિત થાય છે.

કૈલાશ સત્યાર્થી જેવા અગણિત કર્મશીલો સદીઓ અને દાયકાઓથી આ ક્રૂર પ્રથાનો અંત લાવવા ઝઝૂમી રહ્યા છે.

પણ જેને રૂંવે રૂંવે ધન લોલુપતા, જ્ઞાતિ પ્રથાનું ઝેર સામંતશાહીનો નશો અને આધુનિક ‘વિકાસ’ના નામે પ્રગતિ કરવાની ઘેલછાનો રોગ પ્રસરી ગયો હોય તેવા દેશ પાસે આધુનિક ગુલામી પ્રથાનો નજીકના ભવિષ્યમાં અંત લાવવાની અપેક્ષા સેવવી કદાચ વધુ પડતી લાગે, પરંતુ જયારે યુનાઇટેડ કિંગ્ડમ અને ખાસ કરીને માન્ચેસ્ટર મહાનગરમાં વસતી તમામ કોમને આ પ્રશ્ન વિષે જાગૃતિ લાવીને પોતપોતાના સમૂહના સામાજિક ધારાધોરણો, સાંસ્કૃિતક માન્યતાઓ અને નીતિમત્તાના ખ્યાલોને બદલી ગુલામીના દૂષણને તડીપાર કરવા આહ્વાન આપવામાં આવે ત્યારે એ દિશામાં અહીંના જવાબદાર નાગરિક હોવાને નાતે જરૂર યથાશક્તિ મદદરૂપ થઈશ પણ મનમાં ભારતમાં પ્રચલિત ગુલામી પ્રથાનો અંત કેવી રીતે અને ક્યારે આવશે એ વિષે સતત વિચાર આવે. અન્ય દેશોની વાત નીકળતાં ભારત આધુનિક ગુલામી પ્રથા અસ્તિત્વ ધરાવે છે એ સ્વીકારવામાં અને તેની નાબૂદી માટે સત્વરે અસરકારક પગલાં લેવાની બાબતમાં અત્યન્ત પાછળ છે્, એ હકીકત છતી થતાં અન્ય સભ્યોની હાજરીમાં શરમથી મસ્તક ઝૂકી ગયું. દિલ કહે છે, ચાલ પહેલાં તારી જનમભોમને આ પાપકર્મથી છોડાવનાર સૈન્યમાં ભરતી થઈ જા. …

… કદાચ મારા જીવનકાળ દરમ્યાન પશ્ચિમના અન્ય દેશોની સાથે જ ભારત પણ આધુનિક ગુલામીનો અંત લાવવા સફળ થઇઈચૂક્યું હશે એવું સ્વપ્ન સેવું છું.

e.mail : 71abuch@gmail.com

Loading

આઝાદીનાં ૬૯ વરસ બે દેશ, બે ફિલસૂફી, બે યાત્રા ને બે પરિણામ

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|15 August 2016

પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની એણે ચિંતા કરવાની હતી નહીં. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એ ત્યજી દેવામાં આવે અથવા તો પછી છીનવી લેવામાં આવે. આપણે એ કરી શક્યા છીએ?

આજે [14/08/2016] પાકિસ્તાન ૭૦મો સ્થાપનાદિવસ ઊજવી રહ્યું છે અને આવતી કાલે [15/08/2016] આપણે ૭૦મો સ્વતંત્રતાદિવસ ઊજવીશું. ૧૩ ઑગસ્ટની મધરાતે અવિભાજિત ભારતના મુસલમાનો માટે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું અને ૧૪ ઑગસ્ટની મધરાતે હજારો વરસથી અસ્તિત્વ ધરાવતો ભારત દેશ આઝાદ થયો હતો. અલગ થઈને અસ્તિત્વમાં આવવું અને જૂના અસ્તિત્વને નવી આઝાદી મળવી એમાં ફેર છે. આ ફરક ભારત અને પાકિસ્તાનના આઝાદી પછીના રાજકારણને પ્રભાવિત કરી રહ્યો છે. મુસલમાનો માટે અલગ ભૂમિ તરીકે પાકિસ્તાનની સ્થાપના થવી જોઈએ કે કેમ એ વિશે મુસલમાનોમાં બે મત હતા અને ભારતને સાચી આઝાદી મળી છે કેમ એ વિશે હિન્દુઓમાં બે મત હતા.

૧૯૪૦ના દાયકામાં ભારતના ઘણા મુસલમાનોને એમ લાગતું હતું કે ભારતભરમાં પથરાયેલા ૧૦ કરોડ મુસલમાનો માટે અલગ દેશની સ્થાપના કરવી એ અવ્યવહારુ કલ્પના છે. એટલે તો બહુમતી મુસલમાનોએ પાકિસ્તાન કરતાં ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. માત્ર ધર્મથી પ્રેરાઈને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એ આસાન નથી. એમાં ભવિષ્યની અનિશ્ચિતતા જોડાયેલી હોય છે એટલે ૧૯૪૭માં ભારતમાંથી એવા મુસલમાનોએ જ સ્થળાંતર કર્યું હતું જેમને જીવ બચાવવા પરાણે જવું પડ્યું હતું અથવા જવામાં તેમનો નિશ્ચિત સ્વાર્થ હતો. ધર્મથી પ્રેરાઈને રાજીખુશીથી પાકિસ્તાન ગયેલાઓની સંખ્યા ઘણી ઓછી હતી.

બીજી બાજુ હિન્દુઓમાં કેટલાકને એમ લાગતું હતું કે ભારતને જે આઝાદી મળી છે એ માત્ર રાજકીય આઝાદી છે, સાચી આઝાદી હજી મળી નથી અને એ મેળવવાની બાકી છે.

હિન્દુઓની ત્રણ જમાત એવી હતી જેમને એમ લાગતું હતું કે ભારતની આઝાદી અધૂરી છે. પહેલી જમાત દલિતોની હતી જેમને એમ લાગતું હતું કે જ્યાં સુધી ભારતમાં સામાજિક અસમાનતાનો અંત ન આવે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી રાજકીય છે. બીજી જમાત સામ્યવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ભારતમાં જ્યાં સુધી શોષણમુક્ત સમાજની રચના ન થાય અને સવર્‍હારા વંચિતોને ન્યાય ન મળે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી છે. ત્રીજી જમાત હિન્દુત્વવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ખંડિત ભારતની આઝાદી પણ ખંડિત છે. જ્યાં સુધી અખંડ ભારતની રચના ન થાય ત્યાં સુધી ભારતની આઝાદી અધૂરી રાજકીય છે.

હિન્દુઓની આ ત્રણેય જમાતોએ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટના દિવસે આઝાદી નહોતી ઊજવી અને બીજાં ઘણાં વર્ષો સુધી તેઓ આઝાદીદિન નહોતા ઊજવતા. આ ત્રણ જમાતોમાંથી દલિતોના મનમાં આજે પણ રંજ કાયમ છે અને તેઓ પ્રસંગોપાત્ત ભારતની આઝાદીને નકલી આઝાદી તરીકે ઓળખાવી રહ્યા છે. સામ્યવાદીઓ વરસો વીતતાં ક્ષીણ થઈ ગયા છે એટલે તેમના અભિપ્રાયની ખાસ કોઈ કિંમત રહી નથી અને તેઓ આઝાદીને સ્વીકારતા થઈ ગયા છે. હિન્દુત્વવાદીઓ પણ વરસો વીતતાં આઝાદી સ્વીકારતા અને ઊજવતા થઈ ગયા છે, પણ તેમનું અખંડ હિન્દુસ્તાનનું સપનું કાયમ છે.

આગળ કહ્યું એમ પાકિસ્તાનની મુસલમાનો માટેની અલગ ભૂમિ તરીકે સ્થાપના થઈ હતી. પાકિસ્તાનના સમર્થકોને મન અંગ્રેજોથી આઝાદી મેળવવી એ સાચી આઝાદી નહોતી, એ તો ગમે ત્યારે મળી જવાની હતી; તેમને મન બહુમતી હિન્દુઓથી મળનારી આઝાદી સાચી આઝાદી હતી. દેખીતી રીતે તેમની આઝાદીની કલ્પના કોમી-મઝહબી હતી. આમ પાકિસ્તાનની સ્થાપના તેના સ્થાપક મોહમ્મદઅલી ઝીણાના ન ઇચ્છવા છતાં કોમી-મઝહબી હતી.

વાસ્તવમાં પાકિસ્તાનની કલ્પના ઝીણાની રાજકીય નાદાની અને નાદારી બન્ને હતી. સ્વાભાવિકપણે પાકિસ્તાનની સ્થાપના સાથે જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને મુસલમાનો સમાન નાગરિક તરીકે સાથે રહે એવો સેક્યુલર દેશ બનાવવો હતો તો મુસલમાનો માટે અલગ ભૂમિની માગણી કરવાનો અર્થ શું હતો? અવિભાજિત ભારતમાં પણ હિન્દુઓ અને મુસલમાનો સેંકડો વરસથી સાથે રહેતા હતા. જો પાકિસ્તાન ઇસ્લામિક ન હોય તો પાકિસ્તાનના અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી. પાકિસ્તાનના રૂઢિચુસ્ત મઝહબી નેતાઓએ પાકિસ્તાનમાંથી હિન્દુઓને ખદેડવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાનનું સાવર્‍ભૌમત્વ પાકિસ્તાની નાગરિકને આપવાની જગ્યાએ અલ્લાહને આપવા માટે અને પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક બનાવવા માટે તેઓ દબાણ કરવા લાગ્યા હતા. મોહમ્મદઅલી ઝીણા દુ:ખી મને તમાશો જોતા રહ્યા હતા અને કાંઈ જ કરી શક્યા નહોતા. ઇસ્લામિક અને રિપબ્લિક એ પરસ્પર વિરોધી કલ્પના છે. મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના ભવિષ્ય વિશે ચિંતિત હતા અને ઊંડી હતાશા સાથે મૃત્યુ પામ્યા હતા.

આ સાત દાયકા દરમ્યાન પાકિસ્તાનના જે બેહાલ થયા છે એ ઇતિહાસ છે. પાકિસ્તાન તેની સ્થાપનાના આંતરવિરોધની અનિવાર્ય કિંમત ચૂકવી રહ્યું છે. આમ બનવાનું જ હતું અને એનો અંદેશો ઝીણાને આવી ગયો હતો. પાકિસ્તાનની રચના મારા જીવનની સૌથી મોટી ભૂલ છે એમ મોહમ્મદ અલી ઝીણાએ તેમના અંગત તબીબ અને મિત્રને કહ્યું હોવાનું કહેવાય છે. આ વાત ઊપજાવી કાઢવામાં આવેલી હોય તો પણ સાચી છે. પાકિસ્તાનની સ્થાપના ઝીણાની અને તેમના સાથીઓની મોટી ભૂલ હતી. એ ભૂલ સુધરી શકે એમ નહોતી અને પાકિસ્તાનના શાસકોને ભૂલ સુધારવામાં રસ પણ નહોતો એટલે પાકિસ્તાનના શાસકો થયેલી ભૂલનાં પરિણામોથી બચવા વધુ ને વધુ ભૂલો કરતા રહ્યા છે. તેઓ પાકિસ્તાનના વજૂદને ટકાવી રાખવા પાકિસ્તાનને વધુ ને વધુ ઇસ્લામને શરણે ધકેલતા ગયા હતા. આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિકથી પણ આગળ નીકળી જઈને મૂળભૂતવાદી ઇસ્લામિક જેહાદી બની ગયું છે.

આગળ કહ્યું એમ ભારતની આઝાદી સમયે આઝાદીના સ્વરૂપ વિશે આંતરવિરોધ હિન્દુઓમાં પણ હતો. ભારતની આઝાદી અધૂરી છે એમ જે લોકો માનતા હતા તેમની દલીલ સાવ અસ્થાને નહોતી. દલિતોને અને સવર્‍હારા વંચિતોને સાચી આઝાદી હજી સાત દાયકા પછી પણ નથી મળી એ ભારતની વાસ્તવિકતા છે. ઊના ઉત્પીડનની ઘટના અને ભારતનો દર ત્રીજો નાગરિક બે ટંકનું ભોજન પામતો નથી એ આ વરવી વાસ્તવિકતાનું પ્રમાણ છે. આવું કેમ બન્યું? શું આપણે દલિતોને અને વંચિતોને ઓછા નાગરિક સમજીએ છીએ? શું આપણે ઓછા સંવેદનશીલ છીએ? શું આપણી પાસે સાધનોનો અભાવ છે એટલે ન્યાય નથી આપી શકતા? શું આપણા શાસકો બુલંદ ઇરાદો નથી ધરાવતા એ કારણ છે? આપણું લોકતંત્ર ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી બની ગયું છે એ આ સ્થિતિ માટે જવાબદાર છે? ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી રાજકારણ પ્રજાને સમૂહમાં વહેંચે છે, સમૂહને વોટબૅન્કમાં ફેરવે છે અને સમાજમાં તિરાડો પાડીને વોટબૅન્કને એકબીજાની સામે લડાવે છે. દરેક નવી ચૂંટણી વખતે નવી તિરાડો રચીને સત્તા મેળવી શકાતી હોય કે છીનવી શકાતી હોય તો પ્રજાલક્ષી સંવેદનશીલ બનવાની શી જરૂર છે.

આ આપણા અંતરાત્માને પજવનારા પ્રશ્નો છે. સાચું કહું તો સાધનોના અભાવનું કારણ છોડીને ભારતની વિપદા માટેનાં બાકીનાં બધાં જ કારણો નક્કર વાસ્તવિકતા છે. જો ઇરાદો હોય અને હમદર્દી હોય તો સાધનોનો અભાવ ક્યારે ય હોતો જ નથી. જો એમ ન હોત તો ભારતના ૫૦ ટકા લોકો જેને ખરા અર્થમાં ઘર કહેવાય એવા ઘર વિનાના ન હોત. ભારતના ૭૦ ટકા લોકો જાજરૂ વિનાના ન હોત. ૩૫ ટકા લોકોને ઘરઆંગણે તો ઠીક પોતાના ગામથી દૂર પીવાનું પાણી લેવા જવું પડે છે એમ ન થતું હોત. ભારતનાં ૮૫ ટકા ગામડાંઓ માધ્યમિક શાળા વિનાના ન હોત. આ ઉપરાંત રસ્તાઓ, દવાખાનાંઓ, વીજળી, બાળમરણ, સુવાવડને કારણે સ્ત્રીઓનાં થતાં મરણ વગેરેની વાસ્તવિકતા શરમજનક છે. જો આમ ન હોત તો દલિતો સાથે અત્યાચાર ન થતા હોત. ભારતમાં એવો દિવસ ઊગ્યો નથી કે ક્યાં ય ને ક્યાં ય દલિતો સાથેના અન્યાય અને અત્યાચારની ઘટના ન બની હોય. આ સાચી આઝાદી નથી અને એ સ્વીકાર્ય ન હોઈ શકે. ૧૯૪૭માં દલિતોએ અને સામ્યવાદીઓએ ભારતની આઝાદીને અધૂરી આઝાદી કહી હતી તો તેમણે કોઈ ખોટી વાત નહોતી કરી.

પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની તેણે ચિંતા કરવાની હતી નહીં. રહેવું હોય તો દ્વિતીય નાગરિક તરીકે મામૂલી આઝાદી સાથે રહો અથવા અન્યત્ર જતા રહો. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એને ત્યજી દેવામાં આવે અથવા છીનવી લેવામાં આવે. ભારતનું બંધારણ એ સંકલ્પનો દસ્તાવેજ છે. એમાં અન્યાય કરવાની પરંપરાગત આઝાદી ત્યજી દેવાની વાત કહેવામાં આવી છે અને જો કોઈ ન માને તો અન્યાયની આઝાદી છીનવી લેવાની તેમ જ અન્યાય કરનારને દંડવાની રાજ્યને સત્તા આપવામાં આવી છે. આપણે ત્યારે આપણા સદીઓ જૂની સંસ્કૃિત ધરાવતા ભારતને લોકતાંત્રિક, સેક્યુલર, ન્યાયી, વિકસિત, આધુનિક દેશ બનાવવાનો સંકલ્પ કર્યો હતો જે આપણા બંધારણના આમુખમાં જોવા મળે છે.

પાકિસ્તાનથી ઊલટું ભારતે પ્રયત્નપૂર્વક લડીને આઝાદી મેળવી હતી અને એ કોઈ ચોક્કસ સમૂહ વિશેષ માટેની નહોતી. આઝાદ ભારત કેવો દેશ હશે એની કલ્પના (આઇડિયા ઑફ ઇન્ડિયા) આઝાદી મળી એનાં સો વરસ પહેલાંથી વિકસવા લાગી હતી. લગભગ સર્વસંમતિ બની ગઈ હતી અને છતાં સાત દાયકા પછી પણ આપણે ધ્યેયથી ક્યાં ય દૂર છીએ. આઝાદીદિન નિમિત્તે આપણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આપણે ક્યાં ચૂક્યા છીએ? ક્યાં કઈ ક્ષતિ રહી છે કે આપણે છેવાડાના માણસને આપેલું વચન પાળી શક્યા નથી. શું આઇડિયા ઑફ ઇન્ડિયાની કલ્પના કરનારાઓએ આપણને નિષ્ફળ બનાવ્યા છે? શું એના આધારે ઘડાયેલા બંધારણે નિષ્ફળ બનાવ્યા છે કે પછી ભારતીય રાજકીય સંસ્કૃિતએ અને રાજકારણીઓએ નિષ્ફળ બનાવ્યા છે? વિચારી જુઓ.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-14082016-14

Loading

ન્યાયી નવસમાજનો એજન્ડા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 August 2016

ક્રાંતિ જેનું નામ એનું અર્થગૌરવ તે સમતા અને સ્વતંત્રતાલક્ષી આર્થિક-સામાજિક કાર્યક્રમમાં રહેલું છે.

વડાપ્રધાને નવમી ઑગસ્ટે મધ્ય પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ ખાતે એક વિશેષ સમારોહ વાટે સન બયાલીસનાં પંચોતેરમા વરસની તો સન સુડતાળીસના સિત્તેરમા વરસની શરૂઆતનો બુંગિયો ઠીક બજાવ્યો! ભાજપ શ્રેષ્ઠીઓ એક પખવાડિયાના ગાળામાં આવાં એકસો પચાસ જેટલાં વડેરાં સ્થાનકોએ ખાબકી સ્વતંત્રતાસંગ્રામનાં સ્મરણો તાજાં કરવા ઈચ્છે છે, અને એકવાર જંગે ચઢ્યા એટલે પછી કાર્પેટ બૉમ્બિંગથી ઓછું તો કશું ખપે જ શાનું.

બૉમ્બિંગ તો ખેર છોડો, જ્યાં સુધી કાર્પેટનો સવાલ છે, એક મુદ્દો કદાચ એ છે કે સંઘ પરિવારે કશુંક કાર્પેટ તળે દબાવવા જેવું તો નથી ને. સ્વરાજસંગ્રામમાં તમે ક્યાં હતા, એ સવાલ બાબતે સ્વાભાવિક જ સંઘ પરિવાર પાસે ખરો ને પૂરો ઉત્તર નથી. ક્રાંતિકારી પૂર્વરંગ ધરાવતા સાવરકર, વીસમી સદીનો ત્રીજો દાયકે બેસતે ‘હિંદુત્વ’(હિંદુ ધર્મ નહીં પણ એક રાજકીય વિચારધારા)નો થીસિસ લઈને આવ્યા. પ્રાંતિક સ્વરાજ પછી મુંબઈ રાજ્યની કૉંગ્રેસ સરકારના નિર્ણયથી રત્નાગિરી જિલ્લાની નજરબંધ કેદમાંથી બહાર આવ્યા, પણ 1947 સુધી ક્યાં ય સ્વતંત્રતાની લડતમાં દેખાયા જ નહીં.

સંઘના સ્થાપક હેડગેવારે 1930માં વ્યક્તિગત ધોરણે સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસમાં થોડાક કૉંગ્રેસમેનોને કદાચ સંઘમાં રંગરૂટ પણ કીધા, પણ સ્વતંત્રતાની લડતમાં સંઘની સામેલગીરી સંસ્થાગત તો શું કોઈ નોંધપાત્ર સમૂહગત પણ નહોતી. 1942માં ‘ક્વિટ ઇન્ડિયા’ના માહોલમાં ‘લડું લડું’ની શિબિરચર્ચાઓ પછી એકદમ કેમ સોપો પડી ગયો એ વિશે સંઘના સિધ્ધાંતકોવિદ દેવેન્દ્ર સ્વરૂપ પણ ચોક્કસ જવાબ શોધી શક્યા નથી. અહીં અપેક્ષિત અવલોકનમુદ્દો માત્ર અને માત્ર એટલો જ છે કે સંઘ પરિવાર પાસે બ્રિટિશ હકુમત સામેની સ્વરાજલડતનો સીધો વારસો નથી. એટલે એ જેમ વિશાળ પ્રજાવર્ગને સ્વરાજલડતની યાદ આપવા માગે છે તેમ એને ખુદને પણ એની જરૂર છે. અલબત્ત, આથી જે મંડળો ને વર્તુળો આ વારસો ધરાવે છે એમની જવાબદારી ઓછી નથી થતી, કેમ કે ઝુઝારુ પૂર્વજો એ નિષ્ક્રિય નવપેઢીનો અવેજ નથી તે નથી.

અહીં જો કે બીજું એક વાનું પણ ચર્ચામાં પ્રસ્તુત બની રહે છે. જેમાં વ્યાપક પ્રજાવર્ગની સીધી હિસ્સેદારી હતી એવી કૉંગ્રેસ ઉર્ફે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રેરિત લડતોથી ઉફરાટે જે સશસ્ત્ર ક્રાંતિકારીઓ હતા એમને અંગે સવિશેષસંધાન અને અધિકાવિધ અનુસંધાનપૂર્વક પેશ આવવું, એ આ પરિવારની એક વિશેષતા રહી છે. જે પણ બલિદાની જીવનો આપણી સામે આવ્યાં, એનો તો અલબત્ત આદર જ આદર હોય. સન બયાલીસમાં, અહિંસાના રંગે રંગાયેલ તરુણ સમાજવાદી વિનોદ કિનારીવાલાએ સામી છાતીએ ગોળી વહોરી હતી.

એનું એક સોજ્જું ચરિત્રચિત્ર બિપિન સાંગણકરની દિલી જહેમત અને વિશ્વકોશની સક્રિય અનુમોદનાથી સુલભ છે. એ વાંચતાં આ અહિંસક લડતના યાત્રીને ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાની જીવનની કેવીક તો ઉત્કટ અપીલ હતી એ સમજાઈ રહે છે. ગાંધીના અને ક્રાંતિકારીઓના અભિગમ વચ્ચેનો ભેદ ઉઘાડો છે, પણ યુવા પેઢીને ગાંધીનેહરુપટેલ સાથે રહેતે છતે ક્રાંતિકારીઓના બલિદાની આતશની અતોનાત અપીલ હતી.

સ્વરાજલડત બાબતે લોકને જગવતે જગવતે અને ગજવતે ગજવતે પોતે પણ જાગી શકે તો નવા રાજકીય-શાસકીય અગ્રવર્ગની સેવામાં આજના સંદર્ભમાં એક વિશેષ અવલોકન પણ લાજિમ છે. તે એ છે કે દેશની ક્રાંતિકારી ચળવળે જે યુવા પ્રતિભામાં (ભગતસિંહમાં) પોતાની શીર્ષ અનુભૂતિની ધન્યતા અનુભવી – એની વિશેષતા ન તો કોઈ સાંકડો કે કોમી રાષ્ટ્રવાદ હતો, ન તો કોઈ કેવળ સત્તાપલટો હતો. વીસમી સદીના પહેલા ત્રણ દાયકામાં ‘વંદે માતરમ’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ સુધીની જે વિચારયાત્રા સધાઈ એનો સારસંદેશ એ હતો કે ભાવનાની ભભક અને ભીનાશનું ગૌરવ જરૂર છે, પણ ક્રાંતિ જેનું નામ એનું અર્થગૌરવ તે સમતા અને સ્વતંત્રતાલક્ષી આર્થિક-સામાજિક કાર્યક્રમમાં રહેલું છે.

કાર્પેટ બૉમ્બિંગ કાર્યક્રમની જાહેરાત પછી ચર્ચા સરકારી માધ્યમોમાં જોવાસાંભળવા મળે છે એમાં એ એક મુદ્દો ખાસ ઊપસી રહે છે કે સ્વરાજ્યને સુરાજ્યમાં તબદિલ કરવું રહે છે. એન.ડી.એ.-1 વખતે વન્સ અપોન અ ટાઇમ અડવાણીએ એક વાત પક્ષપરિવારને ભારપૂર્વક કહેવા કોશિશ કરી હતી કે હવે ગવર્નન્સ (સુશાસન) અગ્રતા માગી લે છે, અને એમાં આપણી આઇડિયોલોજી બાધક બનવી જોઈએ નહીં. મનકી બાત અને મૌનકી બાત વચ્ચે તંગ દોર પરની નટચાલમાં માહેર નમોએ છેક છેવટે કથિત ગોરક્ષકોને આડે હાથ લેવાની નોબત આવી તે એન.ડી.એ.-1 વખતનાં એન.ડી.એ.-2 જોગ હિચવચનોના પડઘારૂપે જરૂર ઘટવી શકાય.

પણ સુશાસન એ કોઈ રૂટિની વહીવટી મામલો માત્ર હોઈ શકતો નથી. અંકુશ અને સમતુલાના દોરણે રચાયેલાં સત્તામંડળો અને શાસકીય ચુસ્તી પોતપોતાને સ્થાને જરૂર મહત્ત્વનાં છે. પણ લોકપરક આંચકા અને ધક્કાના સાતત્ય વિના એમાં સપ્રાણતા હોઈ શકતી નથી. શાસકીય છેડેથી આવા લોકપરક આંચકા બાબતે જેટલે અંશે સમુદાર સંવેદનશીલતા દાખવાય એટલે અંશે સાર્થક સપ્રાણતા શક્ય બને તો બને. આ સંદર્ભમાં ઘરઆંગણે ગુજરાતના એકબે મુદ્દા આગળ કરું તે પહેલાં રાષ્ટ્રીય સ્તરના એકબે પેરેલલ તરફ ધ્યાન દોરવા ઈચ્છું છું.

વડાપ્રધાન જ્યારે ચંદ્રશેખર આઝાદના ગૌરવગાનમાં હતા ત્યારે સુદૂર ઈશાનમાં ઈરોમ શર્મિલા એનાં વર્ષોનાં અનશન સમેટી લડાઈનો જુદો મોરચો ખોલવાની ગણતરીએ પારણાં કરી રહી હતી. એન.ડી.એ.-1, યુ.પી.એ.1-2 અને એન.ડી.એ.-2 એમ ચાર ચાર સરકાર વ્યાપી આ અનશન આપણી શાસન પ્રથામાં સમુદાર સંવેદનશીલતા કેટલી ઓછી હશે એની એક મિસાલ છે. વસ્તુત: કૉંગ્રેસ અને ભા.જ.પ. બેઉના વડપણવાળી સરકારો હેઠળ સન બયાલીસ અને સન સુડતાળીસનાં પચાસ વરસ કે પ્રજાસત્તાકનાં પચાસ વરસનાં ઉજવણાં થયેલાં છે.

રથી અડવાણીએ સ્વરાજનાં પચાસ વરસે સુરાજ્ય યાત્રા યોજવાપણું જોયું હતું. ભા.જ.પ. તો (સંઘ પરિવારગત સંદિગ્ધ સંકેતો છતાં) કટોકટીરાજ સામે લડ્યાનું ગૌરવ લઈને ચાલે છે. છતાં, આ કોઈને ઈરોમ શર્મિલા નિમિત્તે બાકી સ્વરાજલડાઈનો સંસ્પર્શ કેમ નહીં થતો હોય? ન જાને. (આવો જ સવાલ સોની શોરીની છત્તીસગઢ યાત્રા સંદર્ભે પણ સત્તાકીય પ્રતિષ્ઠાનોને પૂછવો રહે છે.)

આ રીતે જોઈએ તો અમદાવાદથી આરંભાઈ ઉના ભણી જઈ રહેલી દલિત અસ્મિતા યાત્રા એ સન સુડતાલીસના સિત્તેરમા વરસની સાર્થક ઉજવણીની મિસાલરૂપે ઉભરી રહી છે. સમાજનો દલિત તબકો પૂરા કદના નાગરિક તરીકે આત્મ પ્રતિષ્ઠાની લડત વાસ્તે બહાર આવે એમાં જો આજની રુગ્ણ સામાજિક દશાનો એક સંકેત છે તો આવતીકાલે હોઈ શકતા નરવા સ્વાસ્થ્યની એક આશા પણ છે. યાત્રાના છઠ્ઠા દિવસે બોટાદમાં, એનું અભિવાદન કરવામાં પાટીદારો, બ્રહ્મસમાજ અને સથવારા સમૂહ પણ જોડાયાના હેવાલો સમાજશરીરમાં ચયઅપચય તેમ જ રુધિરાભિસરણની પ્રક્રિયા ક્યારેક ધોરણસર થઈ શકવા અંગે ધરપત બંધાવે છે.

નમોકાળના આખરી તબકક્કામાં ગુજરાતે બીજી પણ એક કૂચ જોઈ હતી – મહુવાથી ગાંધીનગરની. આ બે કૂચોના સંધિસ્થાને ન્યાયી નવસમાજનો એજન્ડા પડેલો છે. એમના સંગમતીર્થને જેટલા વધુ યાત્રીઓ મળી રહેશે, સ્વરાજસિત્તેરી એટલી સાર્થક – સપ્રાણ બની રહેશે.

સૌજન્ય : ‘સાર્થક સ્વરાજ’, “દિવ્ય ભાસ્કર”, 13 અૉગસ્ટ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-justice-new-community-agenda-article-by-prakash-n-shah-gujarati-news-5394913-NOR.html

Loading

...102030...3,5083,5093,5103,511...3,5203,5303,540...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved