Opinion Magazine
Number of visits: 9767885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અખબારના માલિકોનાં સેમિનાર ક્યારે?

ગૌતમ ડોડીઆ|Samantar Gujarat - Samantar|6 March 2017

ગુજરાતી પત્રકારત્વને નર્મદ જેવા નીડર અને પ્રખર સમાજ સુધારાવાદી પત્રકાર આપનાર સુરતની ભૂમિ પર પત્રકારત્વમાં વિશ્વસનીયતાની વર્તાતી અછત અને પત્રકારત્વ સામેના પડકારોમાંથી પત્રકારત્વને ઉગારી લેવાના શુભઆશય સાથે ચિંતનાત્મક કહી શકાય એવો જર્નલિઝ્મ નૅશનલ કોન્કલેવ તા. ૧૯ ફેબ્રુઆરીએ યોજાયો હતો. શ્રી પ્રવીણકાંત રેશમવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝ્મ એન્ડ માસ કમ્યુિનકેશન, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ એક દિવસીય સેમિનારના ઉદ્ઘાટન સમારંભમાં એન.ડી.ટી.વી.ના પત્રકાર અને પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાના મનોરંજન ભારતી, જન્મભૂમિના મૅનેજિંગ ટ્રસ્ટી કુંદન વ્યાસ, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર, માહિતી અધિકારી મહેશચંદ્ર કટારા, કાર્યકારી કુલસચિવ અરવિંદ ધડુક, જર્નલિઝ્મ વિભાગના વડા ડૉ. કલ્પના રાવ તેમ જ વિવિધ છાપાંના તંત્રીઓ, વરિષ્ઠ પત્રકારોએ અલગ અલગ વિષય પર વક્તવ્ય આપ્યાં હતાં.

પત્રકાર મનોરંજન ભારતીએ પત્રકાર બનવા ઇચ્છતા યુવાનોને કહ્યું હતું કે તમારી પાસે ઘણા વિકલ્પો છે. ગુગલ, શબ્દકોશ આ બધાં સાધનોનો ઉપયોગ કરો. વાચન વધારો, ભાષા પર પકડ મેળવો, સમાચારને ઓળખી તેની પાછળ ભાગો. સમાજની નસ નહીં પકડો તો તમે પત્રકાર નહીં કહેવાવ. તેમણે કહ્યું હતું કે પત્રકારત્વ પૈસા કમાવવા માટે નથી. કુંદન વ્યાસે કહ્યું હતું કે માધ્યમો સામે રહેલા પડકારો વિશે વિચારીને ખામીઓ કઈ રીતે ઓછી કરી શકાય તે વિચારવું જોઈએ. લોકશાહીના ચોથા સ્તંભસમું પત્રકારત્વ પોતાની મહત્ત્વની ભમિકા નિભાવવાના બદલે નીચું જતું જાય છે. કુલપતિ દક્ષેશ ઠાકરે બદલાતા સમય સાથે બદલાવાની વાત કરી હતી અને વિશ્વસનીયતા ટકાવી રાખવા અખબારી ધર્મ નિભાવવા હાકલ કરીને બ્રેકિંગ ન્યૂઝના વાયરા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પત્રકારત્વની વિશ્વસનીયતા ઉપર બોલતા નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટે કહ્યું હતું કે છાપાંમાં સમાચારોને મૅનેજ કરવામાં આવે છે. જેમાં લોકલ તંત્રીઓનું કંઈ ચાલતું નથી. છાપાંમાં ઉપલા લેવલથી અદૃશ્ય વ્યક્તિઓ આ મૅનેજ કરતી હોય છે. તેમણે કહ્યું હતું કે વિશ્વસનીયતા શોધવાનું કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કપરું છે. સંદેશના સુરતના નિવાસી તંત્રી મનોજ ગાંધીએ કહ્યું કે પત્રકારત્વના મૂળમાં વિશ્વાસ છે. જો એ હશે તો જ પત્રકારત્વમાં ટકી શકાશે. ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીએ પોતાની વાત એ રીતે મૂકી હતી કે પત્રકારત્વનું અસ્તિત્વ જોખમમાં નથી પણ એને તટસ્થ બનવાની જરૂર છે. તેમણે ખૂબ જરૂરી એવી વાત એ કહી હતી કે આપણા માલિકો તટસ્થ નથી. પત્રકાર તો ઝનૂનથી ભરેલો હોય જ છે.  સમાચારો કેન્દ્ર (દિલ્હી) અને ગાંધીનગરથી મૅનેજ થતા હોય છે. તેમણે કહ્યું હતું કે જ્યારે પત્રકાર કોઈનો હાથો બની જાય છે ત્યારે એનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે. ગુજરાત સમાચારના પત્રકાર ભવેન કચ્છીએ પત્રકારોની સ્વસ્થતા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પત્રકારે પોતાની અંગત લાગણીઓ જાહેર કરવાની નથી હોતી. પત્રકારોએ પોતાની ઓફિસના કામ અને પરિવાર વચ્ચે પણ તાલમેળ રાખવાનો હોવાથી પત્રકારત્વમાં સ્વસ્થતા ખૂબ જ જરૂરી છે. હોટલાઇનના તંત્રી વિક્રમ વકીલે પત્રકારત્વમાં ફોટો એડિટરની કોઈ પોસ્ટ ના હોય એ કમનસીબી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે પત્રકારત્વમાં ગ્રામીણ વિસ્તારના મુદ્દા પર પણ ફોટોગ્રાફી થવી જોઈએ. ઇન્ડિયા ટુડે ગ્રૂપના ફોટોગ્રાફર શૈલેષ રાવલે કહ્યું હતું કે ફોટોગ્રાફીનાં સાધનો વધ્યાં છે પણ સમજ ઘટી છે. ભવિષ્યમાં તસવીર આંતરરાષ્ટ્રીય ભાષા બનવા જઈ રહી છે. તેમણે તસવીરકળાને અમરત્વનું વરદાન ગણાવ્યું હતું. ‘ચિત્રલેખા’ના સહાયક તંત્રી અને કારગિલ યુદ્ધનું રિપોર્ટીંગ કરનાર એક માત્ર ગુજરાતી પત્રકાર હિરેન મહેતાએ યુદ્ધભૂમિના પત્રકારત્વની રોચક વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પત્રકારત્વ કરવા માટે વિવેક અને લશ્કરી શિસ્ત અપનાવવી જરૂરી છે. આ સાથે તેમણે કેટલીક આંકડાકીય માહિતી પણ આપી હતી અને સંરક્ષણક્ષેત્ર સાથે  પત્રકારને સરકાર દ્વારા મળતી તાલીમ અંગે મહત્ત્વની જાણકારી આપી હતી. દિવ્ય ભાસ્કર-સુરતના તંત્રી અજય નાયકે પત્રકારત્વનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું જણાવી પડકારો સામે અડીખમ ઊભા રહેવાની તાકીદ કરી હતી. પત્રકારત્વના ભવિષ્ય ઉપર વક્તવ્ય આપતા ‘અમદાવાદ મિરર’નાં તંત્રી દીપલ ત્રિવેદીએ ટેક્નોલોજીથી અપડેટ રહેવું, વાચકોને સમજવા, પારદર્શિતા લાવવા અને એક સાથે વધુ કામ કરવાની આવડત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે વાચકને શું આપવું જોઈએ એ નહીં પણ વાચકને શું જોઈએ છે એ આપવું જોઈએ. ન્યુઝ ચેનલ ટીવી-નાઈનના હેડ કલ્પક કેકડેએ હિન્દી ભાષામાં વક્તવ્ય આપતા કહ્યું હતું કે ભાષાના કારણે પ્રેમ હોય છે જેના કારણે પ્રાદેશિક ઇલેક્ટ્રોનિક મીડિયા મજબૂત બની રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સહતંત્રી હિમાંશુ ભટ્ટે વાચન પર ભાર મુક્યો હતો. આપણે જે ભાષામાં કામ કરીએ છીએ એ ભાષાનું રોજનું વાચન હોવું જોઈએ. દિવ્યભાસ્કરના રિજિયોનાલ એડિટર કાના બાંટવાએ કહ્યું હતું કે જોડણી પર ધ્યાન નહીં આપી પત્રકારોએ ભાષાની કુસેવા કરી છે. ‘ધબકાર’ના તંત્રી નરેશ વરિયાએ પણ વાચન પર ભાર મુકયો હતો. આ જ દિવસે હસમુખ ગાંધીનો જન્મદિવસ હોવાનું યાદ કરીને તેમણે હસમુખ ગાંધીને ટાંક્યા હતા. હસમુખ ગાંધીએ કહ્યું હતું કે પત્રકાર બન્યા પહેલાં ૧૨થી ૩૨ વર્ષ સુધી રોજ સાડા ત્રણ કલાક વાંચવું જોઈએ. અને બન્યા પછી ઓછામાં ઓછું એક કલાક વાંચવું જોઈએ. તેમણે ભાષા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે સોશિયલ મીડિયાથી ખતરો નથી પણ સોશિયલ મીડિયા બેફામ બનશે તો પત્રકારત્વની જવાબદારી વધશે. ‘ગુજરાતમિત્ર’ના પત્રકાર બકુલ ટેલરે કહ્યું હતું કે પત્રકારત્વે બદલાતા યુગમાં સમય સાથે તાલ મિલાવવો જોઈએ. તેમણે કહ્યું કે પત્રકારત્વના કોઈ ગુજરાતી પુસ્તકો લખાયા નથી બધા અંગ્રેજીમાં છે. ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ રતન રૂસ્તમ માર્શલ પછી કોઈએ લખ્યો નથી. ‘નયા પડકાર’ના તંત્રી જસવંત રાવલે કહ્યું કે ગુજરાતી પત્રકારત્વનો અડધો ઇતિહાસ સુરતમાં પડેલો છે એટલે અહીં બોલવું એ કાશીમાં વેદપાઠ કરવા જેવું છે. તેમણે નર્મદનાં પુસ્તકો વાંચવા જણાવ્યું હતું. તેમણે પત્રકારત્વને વેદનાને સંવેદના સાથે જોડતું માધ્યમ ગણાવ્યું હતું.

હાલના સમયમાં મોટા મોટા નામ ધરાવતા પત્રકારો અને તંત્રીઓને અલગ અલગ વિષય પર એક સાથે સાંભળવાનો મારા માટે આ પહેલો મોકો હતો. હું ખૂબ રાજી થયો કે આ પત્રકારોને પત્રકારત્વની વિશ્વસનીયતા અને ગરિમા જાળવવવાની ખૂબ જ ચિંતા છે. શરીરના કયા ભાગમાં રોગ છે, એ તબીબ જાણતો હોય ત્યારે ઉપચાર બહુ સરળ બની જતો હોય છે. તેમ આ પત્રકારો એ વિશે ખૂબ સજાગ છે અને સમજ ધરાવે છે કે ક્યાં તકલીફ છે. પણ પછી મનમાં પ્રશ્ન થયો કે આટલી બધી ચિંતા અને એમાં ય સમસ્યાના નિવારણ માટે આટલા મોટા ધુરંધરો મેદાનમાં હોય ત્યારે સમસ્યાનું નિરાકરણ ખૂબ જલદીથી મળી જવું જોઈએ પણ એવું થઇ રહ્યું નથી. એમ કેમ? વળી સમસ્યાનું નિવારણ આવવાને બદલે તે વધુ વણસી રહી છે. આ બધાનો વિચાર કરતાં માલુમ પડ્યું કે આખી સમસ્યાના મૂળમાં પત્રકારો ઓછાં પણ છાપાંના માલિકો વધુ જવાબદાર છે. એટલે આ બધા જ્ઞાનની ખરી જરૂર તો છાપાંના માલિકોને છે. પણ અત્યાર સુધી આવા સેમિનારો અને ચિંતનો માત્ર પત્રકારો વચ્ચે જ થયા છે. મારા ધ્યાનમાં નથી કે પત્રકારત્વના ઇતિહાસમાં છાપાંના માલિકો આવા સેમિનારમાં ઉપસ્થિત રહી પત્રકારત્વના સ્તરને સુધારવા ચર્ચા-વિચારણા કરી હોય!

બીજો ઉપાય એ પણ છે કે જો છાપાંના માલિકો આમ કરવામાં રસ ના દાખવતા હોય તો તંત્રી અને પત્રકાર તરીકે લાખોનું વેતન મેળવનાર પત્રકારો પોતાના અધધધ …. વેતનનો અમુક હિસ્સો ખર્ચી પોતાનું અલાયદું, નાનું તો નાનું છાપું પ્રસિદ્ધ કરી પત્રકારત્વનાં મૂલ્યોની સાધના કરે. પણ એવું ય ક્યાં થઈ રહ્યું છે. પત્રકારત્વમાં કામનો મહિમા છે. મગજમાં રહેલી કોઈ પણ સારી સ્ટોરી જયાં સુધી લખાશે નહીં ત્યાં સુધી એ કોઈ કામની નહીં. વાત કરવાની સાથે આપણે એ વાતોને અમલમાં લાવીશું તો જ પત્રકારત્વનું સાચું જતન થઈ શકશે.

ઉપરોક્ત કાર્યક્રમમાં વક્તવ્ય આપનાર તંત્રી-પત્રકારો પૈકી બેત્રણ તંત્રીઓ જ સ્વતંત્રતાપૂર્વક સમાચારો છાપી શકે છે બાકી બીજા તો માલિકે નક્કી કરેલી નીતિઓને અનુસરવાનું કામ કરે છે. તેમના માલિકો સાથે નજીકના સંબંધ હોય છે. શું તેઓ છાપાંનાં માલિકોને પત્રકારત્વનાં સાચાં મૂલ્યો સમજાવવામાં સફળ થઈ શક્યા છે! અજય ઉમટે ખૂબ નિખાલસતાથી કહ્યું કે તંત્રીઓનું કંઈ ચાલતું નથી. બીજા લોકો આવું નિખાલસભાવે કહી પણ નથી શક્યા. ત્યારે આવા પત્રકારો કેમ પોતાનું અલગ છાપું પ્રસિદ્ધ નથી કરતા? હું ચોંકી ગયો ત્યારે, જ્યારે ‘અમદાવાદ મિરર’નાં દીપલબહેન ત્રિવેદીએ કહ્યું કે વાચકોને આપણે શું આપવું છે એ નહીં પણ એમને શું જોઈએ છે એ આપવું જોઈએ એ. તેઓ એ કેવી ભૂલી જાય છે કે પત્રકારત્વનું સાચું કામ તો લોકોને કેળવવાનું છે. વાચકને ખરાબ પસંદ પડે તો એ આપવાનું? આમાં આદર્શ પત્રકારત્વ કે પત્રકારત્વનો આદર્શ ક્યાં સચવાયાં? પત્રકારત્વની વિશ્વસનીયતા અંકિત કરવા માટે એ દિશામાં નક્કર કામ કરવાની જરૂર છે. સર્ક્યુલેશન અને સિદ્ધાંતોની વચ્ચે પત્રકારે સિદ્ધાંતની પડખે ઊભા રહેવાની જરૂર છે. પત્રકારોએ પોતાનાં અંગત સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા છોડીને આ આશયને સિદ્ધ કરવા કઠિન માર્ગ પણ અપનાવવો પડશે ત્યારે જ પત્રકારત્વની વિશ્વસનીયતા ફરીથી ઊભી કરી શકાશે. તો જ કંઈક ફરક પાડી શકાશે. બાકી માત્ર સેમિનારથી પત્રકારત્વની સેવા થઈ શકે એમ માનવું ભૂલ ભરેલું છે.

સેમેસ્ટર-૨, શ્રી અમૃત મોદી કૉલેજ ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યુિનકેશન, નડિયાદ

e.mail : gautamdodia007@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 16 & 04

Loading

‘ધાડ’ નાટકમાં ગુજરાતની ખુશબૂ છે

એસ. ડી. દેસાઇ|Samantar Gujarat - Samantar|6 March 2017

ગુજરાતના અને દેશના મોટા ગજાના અભિનેતા-દિગ્દર્શક-વિચારક જસવંત ઠાકરની સ્મૃિતને ગૌરવ અપાવે એવું કામ રંગભૂમિ પર એમનાં પુત્રી અદિતિ દેસાઈ, તેમની દીકરી દેવકીને સાથે રાખી કરી રહ્યાં છે. અગાઉ ત્રણ નાટકો એમણે આપ્યાં, જે ગુણવત્તાની દૃષ્ટિએ ઉત્તમ, ને વળી લોકચાહના પામ્યાં : ’કસ્તૂરબા’, ’અકૂપાર’ અને ’સમુદ્રમંથન’. એ ત્રણે નાટકો મૌલિક અને ગુજરાતની ધરતીમાંથી પ્રગટેલાં. વળી, દરેકમાં આપદ્ધર્મ બજાવતી નારીના પ્રકૃતિસહજ ખમીરનો મહિમા. સહજ રીતે ગુજરાતની સાચી ખુશ્બૂ પ્રસરાવનારાં, નવા કૌવત સાથે ઊભી થઈ રહેલી આપણી રંગભૂમિનું પ્રતિનિધિત્વ કરતાં નાટકો.

અદિતિનું નવું નાટક ’ધાડ’ કચ્છની ભૂમિનું નાટક છે. મૂળ જયંત ખત્રીની ટૂંકી વાર્તા. વિનેશ અંતાણીએ એ પરથી નવલકથા લખેલી. હવે તેમણે આ દિગ્દર્શિકાના દૃષ્ટિબિંદુને સમજી-આવકારીને ક્યાંક બાદબાકી અને ક્યાંક ઉમેરણ કરી. તેનું યોગ્ય સંવાદો અને પાત્રાલેખન તથા દૃશ્યરચના સાથે નાટ્યરૂપાંતર કર્યું. ’ધાડ’ના સાહિત્યતત્ત્વમાં સમાજસંદર્ભે સમકાલીનતાનું મૂલ્ય ઉમેરાયું. સંશોધન સાથે ઉત્તેજના ભળી છે અને સમાજસંદર્ભ સાથે નાટ્યકલાનું સૌંદર્ય નીખરતું જોવા મળે છે. માથાભારે ઘેલા અને બળજબરીપૂર્વક ઉઠાવી લાવીને ’ઘરવાળી’ તરીકે રખાયેલી તેજનીતરતી મોંઘી વચ્ચેનો, વાસ્તવિક તેટલો જ નાટ્યાત્મક, તણાવ નાટકના કેન્દ્રમાં છે.

મોંઘીને સમાંતર બીજી બે યુવાન નિઃસહાય સ્ત્રીઓ છે, પરંતુ તેમણે પડ્યું પાનું સ્વીકારી લીધું છે. વખતોવખત તેમની વેદના વ્યક્ત થયા કરે છે. ચારમાંના એક ભુંગામાંથી ડોક લંબાવી ધનબાઈ (હેતલ) રાતની નીરવ શાંતિમાં ગાય છે ત્યારે, તેના હૃદયસ્પર્શી ગીતમાં, ’… મારા વહાલાને વઢીને કે’જો રે.’ લોકનૃત્યના શબ્દોમાં પણ સામૂહિક સંકેત છે : ’જોતાં-જોતાં રે થાકી તારી વાટડી …’ રત્ની (જાહ્નવી) સૌથી નાની, તેને કઠોર વાસ્તવિકતા મોડી સમજાઈ. મોંઘી જુદી માટીની બનેલી, સંવેદનશીલ. વાસના અને ઘર-ઉપયોગ માટે અહીં ઢોરની જેમ ખેંચીને લવાયેલી તે માનહાનિ, વારંવાર થતી રહેતી અવમાનના અને નિરંતરના શોષણથી ગૂંગળાતી મોંઘી દેખીતી રીતે આક્રમક ઘેલા સાથેના તણાવના બીજા છેડે છે. એકંદરે નિઃશબ્દ રહીને ચહેરાના હાવભાવ, આંખોની અભિવ્યક્તિ, પાદચલનના લય તથા દિશા અને ઊભા રહેવાની શૈલીને પણ પ્રયોજીને તે અંદરનો ધૂંધવાટ અને તે સાથે મક્કમતા, વ્યક્ત કરતાં રહી આવનારા તોફાનનો અણસાર આપે છે. ડારવામાં આવે કે હડસેલી દેવામાં આવે, ત્યારે પણ અભિનેત્રી તેની દેહ્યષ્ટિ કઢંગી થવા દેતી નથી. અવાજનો આરોહ-અવરોહ ભાવવાહી હોવા છતાં નાટકના પ્રથમ પ્રયોગ વખતે તે અસ્વાભાવિક રીતે ભારે લાગ્યો ખરો. તણાવ અને સંઘર્ષ પ્રભાવક રીતે વ્યક્ત થવા સાથે ધસમસતા કથાપ્રવાહમાં રસપ્રદ નાટ્યતત્ત્વ ભળે છે.

પ્રવાહમાં વળાંક અને એકતરફી આક્રમકતામાં પલટો આવે છે, તે કામુક આક્રમકતાના દૃશ્યમાં. દિગ્દર્શિકા અદિતિ એ દૃશ્ય કલ્પનાશીલતાપૂર્વક સંયમિત રહી અને સંકેત સર્જીને તખ્તાની વચ્ચોવચ્ચ છડેચોક રજૂ કરે છે! અહીં વિગતો અપાય, તો હવે પછી નાટક જોનારા પ્રેક્ષકોના ચમત્કારનો આનંદ ચાલ્યો જાય. નાટ્યપ્રયોગોમાં જવલ્લે જોવા મળતી આ કલાત્મકતા પ્રતીકાત્મક બની, ફરી નાટકના અંતિમ દૃશ્યમાં આવે છે. પિંજરા જેવા આ ઘરમાં અગાઉ સહન કરતી રહેલી ત્રણ શોષિત સ્ત્રીઓ મોંઘી (દેવકી), સોનબાઈ (હેતલ) અને રત્ની (જાહ્નવી) પ્રેક્ષકો સમક્ષ ફાનસ ધરીને તખ્તાની ડાબી બાજુએ ઊભી રહી જાય છે. છેવટે જાગી ગઈ તેની અને આ પ્રકારની પરિસ્થિતિ આવી પડે, તો સમાજની અન્ય સ્ત્રીઓને સાવધ રહેવા અને તેને પડકારવાની હિંમત દાખવવાની શીખ આપવાની દરેકના ચહેરા પર ચમક. અર્થસમૃદ્ધ આ દૃશ્ય સામાજિક મહત્ત્વ ધરાવે છે. નવા નાટકની આવકાર્ય દિશા પણ તે દર્શાવે છે. કલાત્મકતા સાથે નાટક સામાજિક સંદર્ભ દાખવે, તો તે કહેવાતા મનોરંજનનું અરુચિકર સાધન ન રહે.

ગૌરાંગ આનંદ પાસે સાદ્યંત હાજરી માગતી સાતત્યવાળી ઘેલા તરીકેની ભૂમિકા છે. આ ધાડપાડુનું જ્યાં પણ નામ પડે, ત્યાં અને ઘરમાં એની હાજરીમાત્રથી ધાક બેસે. તે જે છે તેવો બનવા પાછળ લેખકે મનોવૈજ્ઞાનિક ભૂમિકા પણ આપી છે. તેનું બાળપણ સુક્કાભટ્ઠ ઉજ્જડ કચ્છવિસ્તારમાં વીત્યું છે, જ્યાં એક પછી એક ચોમાસાં નિષ્ફળ ગયાં છે. કુટુંબમાં ખાવાપીવાના એવા સાંસા કે મૂલ્યો ને સર્જન વેંતછેટાં રહે. નાટકમાં રાત્રિશ્યામ, કદાવર અને માથાફરેલ દેખાતો ગૌરાંગ બોલવે-ચાલવે, યોગ્ય રીતે, કઠોર અને ઉગ્ર સ્વભાવનો લાગે છે. ડરામણો દેખાતો તેનો ઘેલો દેખાવ હજુ જો કે ધાડનો પર્યાય બની જતો નથી. એ માટેની ક્ષમતા અભિનેતામાં જરૂર છે, અને આ પ્રથમ પ્રયોગ હતો, એટલે માત્ર ગળાને બદલે નાભિમાંથી નીકળતા ડારક અવાજ અને સંયમિત ગતિના આંગિક સાથે પાત્રને તે વધુ પ્રતીતિજનક બનાવશે, એવી અપેક્ષા રહે છે. એમ થાય તો અન્ય પાત્રો સાથેની, વિશેષે મોંઘી સાથેની, તેની આંતરક્રિયાનો સંઘર્ષ નવી ઊંચાઈ ધારણ કરે એવું લાગે છે.

અંકિત ગોરનો શિક્ષિત આધુનિક સરળ યુવાન પ્રાણજીવન ત્રણ સ્ત્રીઓની સુષુપ્તશક્તિ ઢંઢોળવા અને તેમનું વલણ બદલવા માટે ઉદ્દીપક બને છે. મોંઘીના મનમાં તો આયોજન ચાલી જ રહ્યું હતું, તે દર્શાવવાનો યશ લેખકને, દિગ્દર્શિકાને અને તેટલો જ અભિનેત્રીને. પ્રાણજીવન તેઓને સમજાવીને મુક્ત નવજીવન માટે પ્રેરિત કરે છે. તે ત્રણેને યાતનાનો પ્રતિકાર કરવા આહ્વાન કરે છે, નહીં તો ’તેની આદત પડી જશે,’ તે કહે છે. તેમને સાદ દેતાં બહારના વિશ્વ તરફની બારી તે ખોલી નાંખે છે. રંગભૂમિ જીવનનો અભિન્ન અંશ છે, એ પ્રતીતિ સાથે રંગકર્મ કરવાથી સફળતા તો સામે ચાલતી આવે છે, એવું અદિતિ દેસાઈએ તેનાં અગાઉનાં નાટકોની જેમ આ નાટકમાં પણ કેન્દ્રમાં રહેલ વિષય અને સશક્ત ઊંચી નાયિકા પ્રગટ કરી સિદ્ધ કર્યું છે. મૂળ જયંત ખત્રીની ટૂંકી વાર્તા અને પોતાની નવલકથાને આધારે વિનેશ અંતાણીએ દિગ્દર્શિકાનાં સૂચનોને ધ્યાનમાં લઈ નાટ્યરૂપાંતરમાં મૂળની સાહિત્યિક ગુણવત્તામાં સાંપ્રત સમાજની નિસબતને અસરકારક વાચા  આપી.

કચ્છ પંથકની બળકટ બોલીમાં ગૂંથાયેલાં કલ્પનોમાં, સભ્યતાનો છોછ ન રાખો, તો તાજગી અનુભવાય. જબાને છુટ્ટો ઘેલો કહે છે કે તેને એવી છોરી જોઈએ, જેનામાંથી સાંઢણીની ગંધ આવતી હોય. પશુની જેમ તે મોંઘીને કહે છે, ’હું સવારી કરતો હઉં તિયારે ઉંહકારો પણ નૈ કરવાનો’!  જીવનમાં વણાઈ ગયેલી આ પ્રદેશની લોકબોલીમાં બીકના માર્યા ’ચોયણો’ ભીનો થઈ જવાની વાત હિચકિચાટ વિના કરી શકાય. સાદી કલાત્મકતાથી નયનરમ્ય બનેલાં ચાર ભુંગા, લીંપેલી અને કલાત્મક બનાવેલી ઘરની દીવાલો, ઘરોનાં ઘાસ-ડાંખળીથી છાયાં છાપરાં, રંગબેરંગી ગોદડી અને અન્ય ઘરસામગ્રી લઈ બેસતી-ઘૂમતી રંગીન ચણિયાચોળીમાં શોભતી સ્ત્રીઓ, ફાળિયાં બાંધી ઘૂમતા પુરુષો, પશ્ચાદ્ભૂમાં ગાંગરતાં ઊંટો અને (જરા વધુ પડતાં ધીમા) વાગતાં વાજિંત્રો, વગેરે કચ્છના જીવનનો અનુભવ આપે છે. જિવાતા જીવનનો અભ્યાસ કરી, તેનો સ્પર્શ મેળવવા કલાકારો ત્યાં રહી આવેલા.

sureshmrudula@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 17

Loading

મિશન પર્યાવરણ

સ્વાતિ મેઢ|Opinion - Short Stories|6 March 2017

એક મોટું જંગલ હતું. એમાં બહુ બધાં વાંદરાં રહેતાં હતાં. આમ તો વાંદરાં શહેરો અને ગામોમાં ય રહે પણ જંગલમાં વાંદરાંની વસ્તી વધારે. વાંદરાં ને વળી જાતજાતનાં વાંદરાં. નાનાં, મોટાં, અતિ નાનાં, અતિ મોટાં એમ ઘણી જાતનાં વાંદરાં. આમ બધાં જુદાં ને આમ બધાં એક. કોઈ વાતે અંદરોઅંદર ચડભડ થાય, તો એટલી ધમાલ થાય કે આખું જંગલ હાલી ઊઠે. ને કંઈ હરખની નવાજૂની થાય, તો એવો જ શોરબકોર. કંઈ કેટલાં ય ઝાડવાંનો કચ્ચરઘાણ વળી જાય ને બીજાં પશુપંખીઓ વચ્ચે આવ્યાં તો – બચારાં હતાં ન હતાં થઈ જાય.

આમ કરતાં કરતાં વાંદરાંઓની ઘણી પેઢીઓ વહી ગઈ. વખત જતાં નવી પેઢીનાં વાંદરાંઓને કંઈક સમજાયું. એમને થયું કે આમ લડવામાં ને ઉજવણીઓમાં આપણે જંગલનો ઘાણ વાળીએ એ ઠીક ન કહેવાય. જંગલ તો આપણું જીવન છે. આપણા વડવાઓએ બહુ મોટી ભૂલ કરી છે. આપણે એ સુધારવી જોઈએ.

‘ખરી વાત છે. સુધારીએ આપણા વડવાઓની ભૂલ.’ બધાં વાંદરાં સહમત થયાં. (આમ હસો નહીં, આમ તો વાંદરાં સમજદાર હોય છે. સમજવાની વાત બધાં સમજે.) આપણા વડવાઓએ કરેલી ભૂલ સુધારવાના મુદ્દે બધાં સહમત થયાં.

હવે બે સવાલો આવ્યા. એક તો એ કે ભૂલ સુધારવાના મિશનમાં શહેરો, ગામોનાં વાંદરાને જોડવાં કે નહીં ને બીજો સવાલ એ કે ભૂલ સુધારવી કઈ રીતે?

પહેલી વાતમાં નક્કી થયું કે શહેરો, ગામોનાં વાંદરાંઓને પણ સાથે લેવાં, કારણ કે આખરે એ સૌ પણ વાનરજાત છે. વળી, જંગલનાં વાંદરાંઓને સૌની સાથે હળીમળીને રહેવું ગમે. કોઈ કોઈનું શું લઈ લેવાનું? એટલે એમને પણ સભામાં જોડાવા કહેણ મોકલાયું. એ બધાં હોંશે-હોંશે આવ્યાં. ને પછી એક વાર સમગ્ર વાનરજાતની એક વિશાળ સભા મળી. બધી જ જાતનાં વાનરો ભેગાં થયાં. કેટલી અને કેવી જાતનાં વાનરો એ હું તમને નહીં કહું. એમાં જગ્યા રોકાય પણ સમજોને બધી જાત એટલે બધી જાતનાં. ચર્ચા શરૂ થઈ. એક મુરબ્બી મોટા વાનરે ગંભીર ભાષામાં પૂર્વજોએ કરેલી ભૂલ બાબત વસવસો કર્યો. અને આપણે આ ભૂલ સુધારીશું કઈ રીતે એવા સવાલ વિશે સભાને વિચાર કરવાનું સોંપીને ભાષણ પૂરું કર્યું. એમનું બોલવાનું વેળાસર પૂરું થયું. વડીલ હોવા છતાં ય એમણે વેળાસર પૂરું કર્યું. એટલે બધા બહુ ખુશ થયાં. બહુ જયજયકાર થયો. હવે સવાલ મુકાયો. ‘આપણે ભૂલ સુધારીશું કઈ રીતે ?’

‘એમ કરીએ, આપણે નવી પેઢીને સમજાવીએ કે હવેથી નાનપણથી જંગલને સાચવતાં શીખે’, એક વાનરે કહ્યું.

‘પણ જંગલ સાચવવું હોય, તો આપણે આપણી રમતો, કૂદકા, ધાંધલધમાલ બધું છોડવું પડે અને વાનરજાતનાં સંતાનો એ બધું ન કરે, તો એમનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક વિકાસ રૂંધાઈ જાય.’

‘ને આધ્યાત્મિક વિકાસ પણ અટકી જાય એ કઈ રીતે ચાલે ? વ્યક્તિના પૂર્ણ વિકાસ માટે આધ્યાત્મિકતા જરૂરી હોય છે.’ એક અતિ મોટા વાનરે કહ્યું. વાનરજાતમાં એ સૌથી વધારે અક્કલવાળો.

‘ઝાડવાં-ડાળીઓ તોડવામાં આધ્યાત્મિક વિકાસ?’ એક યુવાન બૌદ્ધિક મોટા વાનરે સવાલ કર્યો.

‘તને એ નહીં સમજાય. આજની યુવા પેઢી આ બધાથી અળગી થતી જાય છે. અરેરે, શું થશે?’ પેલા ડાહ્યા વાંદરાએ નિસાસો નાખ્યો.

‘એટલે શું તમે યુવા પેઢી પર આક્ષેપ કરો છો? તેમની તમને ખરેખર ચિંતા છે ?’ બેત્રણ યુવાન વાનરો ઉશ્કેરાઈ ગયા. એકે તો એ જે ડાળી પર બેઠો હતો એ ડાળી તોડી નાંખી. અને પેલા ડાહ્યા વાનરશ્રી તરફ ધસ્યો.

‘હશે જવા દૈ ભૈલા’ ચારપાંચ વાંદરાં વચ્ચે પડ્યાં એટલે એ અટકી ગયો. નહીં તો વળી પંદરવીસ ઝાડવાંનું નિકંદન નીકળી જાત.

‘શાંતિથી વિચારો. આપણે સમગ્ર વાનરજાતની આવતી પેઢીઓને શીખવવાનું છે. કયો માર્ગ ગ્રહણ કરીશું? અતિ મોટાં ડાહ્યાં વાંદરાએ સહેજ પણ વિચલિત થયા વિના વાત આગળ વધારી.

‘માર્ગગ્રહણ એટલે શું ?’ એક યુવાન જંગલવાસી વાંદરાએ બીજાને કાનમાં પૂછ્યું.

‘સવાલ ન પુછાય. વડીલ ડાહ્યા વાનરશ્રી વાત કરે છે.’ બીજાએ પહેલાને ટપલી મારીને કહ્યું. પેલાએ સામી ટપલી મારી. એમ થોડી વાર ટપલાટપલી ચાલી. સભા ય ચાલતી રહી. વાનરોની સભાઓમાં આવું બધું તો થયા કરે.

‘આપણે શિક્ષણનો માર્ગ એટલે કે રસ્તો લઈએ.’ બીજાં બે-ચાર મોટાં વાનરશ્રીઓ બોલ્યાં.

‘અને શિક્ષણ એટલે ખાલી, અમથી, પોકળ, ફોગટ વાતો નહીં. બચ્ચાંને સામે બેસાડીને ભાષણો નહીં ઠોકવાના. વ્યવહારુ રીતે શીખવવાનું. પ્રયોગઅભિમુખ શિક્ષણ આપવાનું જરૂરી છે, ઊગતી પેઢીને.’ વળી થોડાં વાનરો બોલ્યાં.

‘ખરી વાત છે.’ બધાં મોટાં અને અતિ મોટાં વાનરો સહમત થયાં. આમાંનાં મોટાં ભાગનાં વાનરશિક્ષણ વિષે અભ્યાસો અને સંશોધનો કરી ચૂકેલાં અને હવે એ વિશે માર્ગદર્શન કરાવતાં અનુભવી વાનરો હતાં. એમને શિક્ષણ કઈ રીતે અપાય એની બહુ ખબર. કેટલી ય વાર તો શિક્ષણ આપવા વિશેની સર્વજંગલવ્યાપી ચર્ચાઓમાં એમણે વ્યાખ્યાનો આપેલાં. આખરે એ બધાં અનુભવી શિક્ષણકારો હતાં.

આમ, આ અનુભવી વાનર શિક્ષણકારોએ (મોટાં ભાગનાં શહેરનાં હતાં) વાનરોની આવતી પેઢીઓને જંગલનું નિકંદન ન કાઢવા વિશેષ શિક્ષણ આપવાનું નક્કી કર્યું. આ બધા ંતો વ્યાખ્યાનો આપનારાઓ. અમુક વર્ષ શિક્ષણ આપ્યું ને તેઓ હવે માત્ર વ્યાખ્યાનો જ આપતાં હતાં. પણ એમણે જ તૈયાર કરેલા અનુભવમૂલક, પ્રયોગઅભિમુખ શિક્ષણ આપી શકે તેવા  સિનિયર યુવાન વાનરો પણ સભામાં હાજર હતાં. એ બધા આ અભિયાનમાં જોડાવાં આગળ આવ્યાં. કારણ કે જંગલોનું નિકંદન કઈ રીતે વળી શકે એના પ્રયોગપૂર્ણ અનુભવો એમની પાસે હતા. હવે એ અટકાવવાનું હતું. જે થયું તે શું કરીએ તો કર્યું તે ન કર્યું થાય એની ય એમને ખબર હતી. જો કે બગડ્યું સુધારવાનું આમ તો વાનરીઓને સારું આવડે. (બિચારીઓ જન્મોજનમથી એ જ કરતી આવી હોય તે!) પણ એમને કોણ પૂછે? હતી, વાનરીઓ પણ સભામાં હતી. કૌતુક જોવા આવેલી. બેઠેલી એક તરફ બચ્ચાંઓ સાથે.

આમ, વાનરસભામાં નક્કી થઈ ગયું કે આવતી પેઢીને શેનું શિક્ષણ આપવું. હવે સવાલ થતો, કોને આ શિક્ષણ આપવું. ખાસ કયા વર્ગને?

‘કોને આપવું એ સવાલ થવો જ ન જોઈએ. સૌને શિક્ષણ આપવાનું. સૌ સમાન છે. એમાં વર્ગ, જાતિ, પ્રદેશ, કદ, શક્તિ, સામર્થ્ય, સંખ્યા કશાનો ભેદ ન રખાવો જોઈએ.’ જંગલનો એક યુવાન વાનર બોલ્યો. એણે સમાનતાની વિભાવના આપી.

‘બિલકુલ બરાબર.’ ઘણાં બધાં વાનરો સંમત થયાં.

‘હા, એ બરાબર. પણ મને લાગે છે કે જંગલનાં વાનરોને એની વધારે જરૂર છે.’ એક શહેરવાસી વાનરે કહ્યું. યાદ રહે, સભામાં શહેરવાસી વાનરો પણ હતાં. આમ તો એમાંના કોઈકોઈ ક્યારેક જંગલમાં આવે અને જે જુએ તે શહેરમાં જઈને બીજાઓને કહે. શહેરવાસી વાનરોને એટલી ખબર કે જંગલમાં વાનરો બહુ બધાં છે અને એમને શહેર વિશે કંઈ જ ખબર નથી. શહેરવાસીઓ પોતાને બહુ જાણકાર માને.

‘એની તમને કઈ રીતે ખબર?’ એક યુવાન વાનરે પૂછ્યું. એ જંગલવાસી હતો. એને જંગલ માટે ઘણું ગૌરવ હતું.

‘એ મારા અભ્યાસનો વિષય છે. હું એને વિશે પછી વાત કરીશ. પણ એ તો ખરું જ કે અમુક ભેદ તો રાખવો જ પડશે, શિક્ષણ આપવામાં. જેમ કે સંખ્યાબળ, શક્તિ, જાતિ અનુસાર શિક્ષણ વત્તું-ઓછું આપવું.’ શહેરી વાનરના ટેકામાં બીજા એક શહેરવાસીએ કહ્યું.

‘ના, ના, એમ ભેદભાવો ન ચાલે. સૌ સમાનનું સૂત્ર જ અપનાવવું જોઈએ.’ જંગલનાં વાંદરાંઓએ બૂમાબૂમ કરી મૂકી. એમાં નાનાં વાંદરાં વધારે હતાં. શહેરનાં નાનાં વાંદરાં પણ વિરોધમાં જોડાયાં. આમ પણ જંગલમાં નાનાં વાંદરાં વધારે. એમાં વળી શહેરનાં નાનાં વાંદરાંઓ જોડાયાં. સભાની શાંતિ જોખમાઈ. સભા તૂટુંતૂટું થઈ ગઈ. મોટાં સમજદાર વાંદરાઓએ એમના કદનો લાભ લઈને સૌને શાંત તો કર્યાં. સભામાં ચર્ચા આગળ ચાલવાની શરૂઆત થઈ.

એવામાં જરા ગરબડ થઈ ગઈ. થયું એવું કે વડીલવર્ગ જ્યારે ચર્ચા કરતો હતો ત્યારે વાનરબાળવર્ગ રમતગમત કરીને વખત પસાર કરી રહ્યો હતો. મોટાં વાંદરાઓનાં અને નાનાં વાંદરાંઓનાં બચ્ચાં ઘેઘૂર ઘટાદાર વૃક્ષો પર ચડતાંઊતરતાં વૃક્ષોનાં પાંદડાં, ડાળીઓ તોડીને એકબીજાં પર ફેંકતાં હતાં. ઘણો કોલાહલ પણ કરતાં હતાં. શહેરનાં વાંદરાંઓના વડીલો સાથે પિક્નિક કરવા આવેલાં બચ્ચાં લાલચભરી નજરે એ રમત જોઈ રહ્યાં હતાં.

‘જુઓ, જુઓ, તમારાં બાળકો કેટલી વનસમૃદ્ધિનો નાશ કરી રહ્યા છે ?’ એક શહેરી વાંદરાએ ઠપકાના સાદે કહ્યું.

‘એ તો તમારાં બચ્ચાંઓને ઝાડ પર ચડતાં આવડે નહીં એટલે, નહીંતર એ બધાં ય રમતમાં જોડાયાં હોત.’ એક યુવાન વનવાસી વાનર ધીમા સાદે બબડ્યો. પણ સાંભળવાવાળાને જે સાંભળવું હોય તે સંભળાઈ જ જતું હોય છે. શહેરવાસી વાનરોને પણ એ સંભળાયું. એમને એ ન ગમ્યું. ‘વાંક તમારાં બચ્ચાંઓનો છે. એમણે શા માટે રમત કરવી જોઈએ? શિસ્ત પણ નથી એમનામાં. માટે જ કહીએ છીએ, એમને કેળવણીની તાતી જરૂર છે.’

જંગલનાં વાંદરાંઓને કોઈ પણ મુદ્દામાં સામાવાળાનો વાંક કાઢતા ન આવડે. એ શહેરીઓનું કામ. હવે શહેરી વાનરોએ ઠરાવ કરી નાખ્યો કે શહેરનાં મોટાં વાંદરાં સૌ વાનરબાળોને કેળવણી આપશે. એમનો યુવાનવર્ગ બાળવર્ગને જંગલ નષ્ટ ન કરવા વિશે અર્થપૂર્ણ, વ્યવહારુ, સપ્રયોગ શિક્ષણ આપશે. (જુઓ, એમ હસો નહીં. શહેરનાં વાંદરાંઓને પણ જંગલ વિશે જ્ઞાન હોય. એમનાં બધાં સંશોધનો, જંગલની હાલત વિશે જ હોય. નહિતર શહેરોમાં વળી જંગલ ક્યાંથી?) જંગલનાં કેટલાક શહેરમાં જતા-આવતાં યુવાન વાનરોને પણ આ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યાં. એમને શહેરની શિક્ષણરીતોની સમજ છે. એ પછી સૂચન થયું કે આ કાર્યને મિશન કહેવું.

વળી, થોડાં જંગલવાસી વાંદરાંઓએ સવાલ કર્યો; મિશન એટલે શું?’

‘અરે આ લોકોને મિશનનો અર્થ પણ ખબર નથી?’ શહેરવાસી વાનરોને નવાઈ લાગી. છેવટે જો કે જંગલવાસી વાનરો સમજ્યાં કે પેલા લોકો જે કહે અને આપણે જે કરીએ એને મિશન કહેવાય. મિશન પર્યાવરણ.

શિક્ષણકાર્ય શરૂ થયું. શહેરની વાનરજાતનો જંગલને જાણનારો (વળી પાછા હસ્યા ? શિસ્ત રાખો અને વાત સાંભળો.) વર્ગ જંગલનાં નાનાંમોટાં વાનર બાળવર્ગને સપ્રયોગ શિખવાડે છે કે ઝાડની ડાળીઓ આમ નહીં આમ તોડવાની. વ્યવહારુ અનુભવ માટે મોટી ડાળીઓ તોડીને બતાવવામાં આવે છે. આ રીતે તોડેલી મોટી ડાળીઓ ઢસડીને શહેરમાં લઈ જવામાં આવે છે, કારણ કે શહેરનાં વાનરોએ કૂદીકૂદીને તોડી નાખેલાં મકાનોનાં છાપરાંઓ પર એ પાથરીને એ ડાળીઓનો ફેરઉપયોગ કરી શકાય. જંગલના સમજદાર મોટા વાનરોને ખબર પડે છે કે આ રીતે જંગલ વધારે નષ્ટ થઈ રહ્યું છે. પણ શું કરે? એમણે જ તો બોલાવેલાં શહેરવાસી વાનરોને સભામાં! ને શહેરમાં? ત્યાં તો વિકાસ જ વિકાસ છે. ઓહોહો! અધધધ!

જે નાનાં વાનરબાળોને મોટી ડાળીઓ તોડતાં નથી ફાવતું તે એ જ રીતે નાની ડાળીઓ તોડે છે. ડાળખાં અને પાંદડાં તોડે છે. હજી તો ઊગીને ઊભાં થતાં નાનકડાં વૃક્ષો જમીનદોસ્ત થઈ જાય છે. પ્રયોગ પછી ઉપજેલો ડાળીઓ-પાંદડાંનો જથ્થો જંગલમાં આમતેમ વેરાય છે. બીજાં પ્રાણીઓને વાગે છે, ઘણા ઘાયલ થઈ જાય છે. તૂટીને વેરાયેલાં ડાળીઓ-પાંદડાં પવનથી ઊડીને જંગલની નદીમાં પડે છે. નદીઓનાં વહેણ રૂંધાય છે. શિક્ષણપ્રયોગ નિમિત્તે કપાતાં ઝાડવાંને લીધે જમીન ખુલ્લી થઈ ગઈ છે. ડુંગરા પર ઝાડ દેખાતાં નથી. ખીણો ખાલીખમ છે. ઠંડા-ગરમ પવનો જંગલમાં ફરી વળે છે. વરસાદ આવે – ન આવે થાય છે. સૌ પશુ-પંખીઓ ત્રસ્ત છે. નાનાં જીવો તો દેખાતાં ય નથી. મોટા જીવો ભટકે છે આશ્રયની શોધમાં. તરસ્યાં છે, ભૂખ્યાં છે. બાળવાનરો હવે મોટાં થયાં છે. એ સૌ એમની શીખેલી રીતે ભાવિ પેઢી માટે જંગલને સુરક્ષિત રાખવામાં વ્યસ્ત છે. સૌ પરસ્પર બૌદ્ધિક, સામાજિક વગેરે-વગેરે પ્રકારનાં શિક્ષણ આપીને વિકાસ સાધવામાં વ્યસ્ત છે. એ વિશે સભાઓ ભરીને નવાનવા ઉકેલો શોધવા અને સૂચવવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલે છે. કાયમી, સર્વસમાવેશી ઉકેલો શોધવાના પ્રયત્નો ચાલે છે. એ મળશે જ, એવી સૌને શ્રદ્ધા છે.

શહેરનાં વાનરો આને જંગલસુરક્ષા અને વિકાસનું લાંબા ગાળાનું મિશન પર્યાવરણ કહે છે. જંગલવાસી વાનરો જંગલમાં એ ચલાવી રહ્યાં છે. મિશન પર્યાવરણ ઘણું જીવો ઘણું જીવો !

(તમે કાં બંધબેસતો ડગલો પહેરી લીધો? ન’તું કીધું આ વાનરોની વાર્તા છે? આ ટેવ ખોટી હોં.)

e.mail : swatejam@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 18-19

Loading

...102030...3,4993,5003,5013,502...3,5103,5203,530...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved