Opinion Magazine
Number of visits: 9456145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉદ્દેશ્ય એક જ : સત્તા અમર રહેવી જોઈએ !

રમેશ સવાણી|Opinion - Opinion|21 August 2025

રમેશ સવાણી

વડા પ્રધાન કે મુખ્ય મંત્રી ત્યાં સુધી સત્તામાં રહી શકે જ્યાં સુધી લોકસભા કે વિધાનસભામાં તેમની પાસે બહુમતી હોય. જો સંસદસભ્ય કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ કેદની સજા થાય તો તે સંસદ કે ધારાસભાનું સભ્યપદ ગુમાવે છે. એટલે કે વડા પ્રધાન કે મુખ્ય મંત્રી તરીકે રહી શકે નહીં. હાલ આ જોગવાઈ છે.

કેન્દ્ર સરકાર એટલે કે વડા પ્રધાન / ગૃહ મંત્રી ‘Constitution Amendment Bill’ (બંધારણમાં 130મા સુધારા બિલ, 2025) દ્વારા એવો સુધારો કરવા ઈચ્છે છે કે “વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રીને 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે, જેમાં પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે, તો તેમણે ધરપકડના 31મા દિવસ પહેલા રાજીનામું આપવું પડશે. જો તેઓ આમ નહીં કરે, તો તેમને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે.”

પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રીને 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને દૂર કરવા જ જોઈએ. તો જ રાજકારણમાં સુધારો આવશે અને મંત્રીઓ ભ્રષ્ટાચાર કરતા અટકશે.

પણ ના, આ ઉદ્દેશ નથી, છૂપો ઉદ્દેશ એ છે કે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓને સત્તામાંથી દૂરનો છે, એટલે જ વિરોધપક્ષોએ આ બિલનો સજ્જડ વિરોધ કરેલ છે.

મોદી સરકારનો ઇતિહાસ રહ્યો છે કે એમણે હંમેશાં એવા કાયદા બનાવ્યા છે જેમાં એમની સત્તા મજબૂત બને અને લોકોના અધિકારો મર્યાદિત બને. કાળ ત્રણ કૃષિ કાનૂનો તેનું ઉદાહરણ છે. 

થોડા સવાલો : 

[1] વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓ પર કેસ કોણ કરે? CBI / ED / ઈન્કમટેક્સ / ANI વગેરે કેન્દ્ર સરકારની એજન્સીઓ. આ એજન્સીઓ વડા પ્રધાન / ગૃહ મંત્રીની સૂચના મુજબ કામ કરે છે. એટલે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓ પર કેસ કરવો અને તેમને 30 દિવસ સુધી જામીન ન મળે તેવું વડા પ્રધાન/ ગૃહ મંત્રી સરળતાથી ગોઠવી શકે છે. ન્યાયતંત્રમાં પણ કરોડરજ્જુ વગરના જજ હોય છે. એટલે જો વિપક્ષના સભ્યો કાળાં નાણાંથી ખરીદી ન શકાય તો તેમને CBI / ED / ઈન્કમટેક્સ મારફતે જેલમાં પૂરી શકાય. 

[2] આ બિલ કોણ લાવી રહ્યું છે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ. જે પોતે ત્રણ હત્યાઓ અંગે જેલમાં જઈ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી તેમને તડીપાર કર્યા હતા ! 

[3] વળી આ બિલમાં વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓની ધરપકડ અંગે ચોખવટ નથી ! વિપક્ષને અસ્થિર કરવા જ આ બિલ લાવવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટ  થાય છે. શું વડા પ્રધાન / ગૃહ મંત્રી પક્ષપાત નહીં કરે? શું સત્તાપક્ષે ક્યારે ય પોતાના મુખ્ય મંત્રી સામે કેસ કર્યો છે? ચૂંટણીમાં હરાવી ન શકાય તો આ રીતે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓનો કાંટો કાઢી શકાય ! 

[4] 30 દિવસ કસ્ટડીમાં રહે તેનો અર્થ એ થયો કે વર્તમાન મુખ્ય મંત્રી / મંત્રીઓને હટાવવાની કાર્યવાહી તપાસ અને ટ્રાયલ દરમિયાન જ શરૂ થશે, દોષિત ઠેરવ્યા પછી નહીં. શું આ ખતરનાક જોગવાઈ નથી? શું સત્તાપક્ષ આ જોગવાઈનો દુરુપયોગ ન કરે? 

[5] સત્તાપક્ષમાં-ભા.જ.પ.માં જ બળાત્કારીઓ / હત્યારાઓ / તડીપાર / નફરતીઓ / ભષ્ટ્રાચારીઓ મોટી સંખ્યામાં છે. વડા પ્રધાન તેમની સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે, તેઓ વિરોધ પક્ષોને તોડીને તેમને જેલમાં મોકલવાનું કામ કરી રહ્યા છે. લોકશાહીમાં આ ઉચિત કહેવાય? શું સરમુખત્યારશાહી તરફનું આ પગલું નથી? 

[6] અટકાયત કરાયેલા મંત્રીને દૂર કરવાની બંધારણમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. તેથી, બંધારણના આર્ટિકલ-75, 164 અને 239AAમાં સુધારો કરવાની જરૂર હોઈ શકે.  આર્ટિકલ-75 વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો સાથે સંબંધિત છે. આર્ટિકલ-164 રાજ્ય પ્રધાનો સાથે સંબંધિત છે અને આર્ટિકલ-239AA દિલ્હી જેવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સાથે સંબંધિત છે. જો બિલનો મુખ્ય હેતુ આવા કિસ્સાઓમાં કાનૂની માળખું પૂરું પાડવાનો હોય અને રાજકારણમાં ગુનાહિત તત્ત્વોને રોકવાનો હોય તો વાંધો નથી. પરંતુ વડા પ્રધાન મોદીજી અને ગૃહ મંત્રી અમિત શાહ સત્તાનો દુરુપયોગ કરવાના ખેલાડી છે. એમની મથરાવટી જ એટલી મેલી છે કે કોઈ વિશ્વાસ મૂકે? 

[7] નવી જોગવાઈ મુજબ ‘જો વડા પ્રધાન પોતે 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે.’ પરંતુ વડા પ્રધાનને એરેસ્ટ કરે કોણ? શું આ જોગવાઈ ગલગલિયાં કરાવવા માટેની જ નથી? યૌન શોષણ કરનાર બ્રિજભૂષણસિંહને એરેસ્ટ કરાતો નથી ત્યાં વડા પ્રધાનને એરેસ્ટ કરવાની જોગવાઈનો કોઈ અર્થ ખરો? 

[8] આ નવી જોગવાઈથી રાજકારણનો ચહેરો બદલવાનો નથી, હા વિપક્ષનો ચહેરો જરૂર બદલી જશે ! શું આ બિલ રાજકારણને ગુનામુક્ત બનાવવા માટે એક મોટો સુધારો છે? ના બિલકુલ નહીં. સત્તામાં બેઠેલા ગુનેગારો સુધરે તોપણ દેશની મોટી સેવા થાય ! 

[9] આ બિલ ફક્ત ધરપકડના આધારે કાર્યવાહીની મંજૂરી આપશે. જે ‘સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ’ના સિદ્ધાંતનો ભંગ નથી? 

[10] દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની દારૂનીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેઓ પદ પર રહ્યા. આવી સ્થિતિ નિવારી શકાશે. જેલમાં બેઠા બેઠા મંત્રીપદ ભોગવે તે સ્થિતિ હાસ્યાસ્પદ તો છે જ; પરંતુ માત્ર વિપક્ષી મુખ્ય મંત્રીને / મંત્રીને જેલમાં કેમ પૂરવામાં આવે છે? શું સત્તાપક્ષમાં બધા દેવદૂતો જ હશે? 

[11] વિપક્ષી મુખ્ય મંત્રી / મંત્રીની ધરપકડની સમીક્ષા કરવા માટે એક ‘સ્વતંત્ર સમિતિ’ ન હોવી જોઈએ? જે કોઈપણ દબાણ વિના અને પ્રામાણિકતા સાથે તપાસ કરે. શું આ શક્ય છે? મોદીજી સત્તામાં હોય ત્યારે આ શક્ય નથી. મોદીજીના બધા મોટા નેતાઓ ગુનેગાર છે. પરંતુ ભા.જ.પ.માં રહીને તેમને ક્લીનચીટ મળી ગઈ છે. અને હવે તેઓ ગુનેગાર નથી પણ દેવદૂત  છે ! મોદીજીની નજરમાં, વિપક્ષથી મોટો ગુનેગાર કોઈ નથી, કારણ કે વિપક્ષે મોદીજીની હાલત ખરાબ કરી દીધી છે. મોદીજીની લોકપ્રિયતા ખતમ થવાના આરે છે. લોકોએ તેમની રેલીઓમાં જવાનું બંધ કરી દીધું છે. 

ટૂંકમાં, ભારતની લોકશાહીને શુદ્ધ કરવા માટે આ એક સાહસિક પગલું નથી પણ સ્વાર્થી પગલું છે. આ બિલનો ઉદ્દેશ્ય એક જ છે : સત્તા અમર રહેવી જોઈએ !

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
20 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 August 2025

વિભાજન

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ–શીખ અહીં પહોંચ્યા નહીં. 

પ્રકાશ ન. શાહ

14મી ઓગસ્ટને વિભાજનની વિભીષિકા દિવસ તરીકે મનાવવાની જાહેરાત સાથે ભા.જ.પ. નેતૃત્વ ઓર આગે વધી રહ્યું છે. એને પક્ષીય ઉજવણીથી (અને એ રીતે કાઁગ્રેસમુક્ત ભારત તેમ કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.ની કોશિશથી) ધરવ નથી. પ્રાથમિક ને માધ્યમિકનાં વરસોમાં સત્તાવાર ધોરણે તે આ બાબત અભ્યાસક્રમમાં સુનિશ્ચિત કરવા માગે છે, અને એ રીતે કશોક પક્ષીય વિચારધારાકીય હેતુ અંકે કરવા ઇચ્છે છે. 

હજુ ગયે અઠવાડિયે જ અભ્યાસકાળમાં પાર્ટિશન હોરર્સ દાખલ થઈ શકે તે દૃષ્ટિએ સરકારી સૂચનાથી એન.સી.ઈ.આર.ટી.એ તૈયાર કરેલ મોડ્યુલની વિગતો પણ પ્રકાશમાં આવી છે. અલબત્ત મોડ્યુલને છેડે એણે શાણી વાત જરૂર કરી છે કે કાઁગ્રેસ વગર મુસ્લિમ લીગ કોઇને ય સાગમટે બધો દોષ ન ખતવાય તે સારુ સમગ્ર ઇતિહાસ જાણવો સમજવો જરૂર છે. 

ભલે ભાઈ. પણ આ શાણીસોજ્જી વાત છતાં એન.સી.ઈ.આર.ટી. ગણાવે છે ત્રણ જવાબદારો – એક, ઝીણા ને લીગ, કેમ કે એમણે પાકિસ્તાનની એટલે કે ભાગલાની માગણી કરી. બે, કાઁગ્રેસ, કેમ કે એણે છેવટે ભાગલાનો નિર્ણય કબૂલ રાખ્યો. ત્રણ, લોર્ડ માઉન્ટબેટન, કેમ કે એમણે ભાગલાનો વિધિવત અમલ કીધો. 

સબૂર. આમાં ભા.જ.પ.-જનસંઘના પૂર્વસૂરિઓ ક્યાં છે? હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાં હતા. આ દિવસોમાં? અને હા, હમણાં પેટ્રોલિયમ ખાતાએ માથે સાવરકર (ને પછી ગાંધી વ.) એવું જે પોસ્ટર પ્રસારિત કર્યું છે તેના વીરનાયક એટલે કે સાવરકર ક્યાં હતા ત્યારે? ઇતિહાસમાં નોંધાયું છે કે સાવરકરનો હિંદુત્વ થિસીસ વીસમી સદીના ત્રીજા દસકાનાં પૂર્વાર્ધમાં બહાર આવી ચૂક્યો હતો. સ્વરાજની ચળવળથી સલામત અંતર રાખવાની સમજૂતી સાથે બહાર આવેલા અંગ્રેજ સરકારના પેન્શનર સાવરકરે 1937માં હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનની અધ્યક્ષીય રજૂઆતમાં સાફ સાફ કહ્યું હતું કે આપણે (હિંદ/ઇન્ડિયા) એક રાષ્ટ્ર નથી, વધુ રાષ્ટ્રો છીએ – ઓછામાં ઓછા હિંદુ અને મુસ્લિમ બે રાષ્ટ્રો તો અહીં છે જ. મુસ્લિમ લીગનો પાકિસ્તાનનો ઠરાવ તે પછી, 1940માં આવ્યો. આ ઠરાવ ફઝલૂલ હકે રજૂ કર્યો હતો, અને હકને બંગાળમાં મુખ્ય મંત્રીપદ દરમિયાન એક મંત્રી તરીકે મળી રહેલો સધિયારો હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીનો હતો. આ જ મુખર્જી પછી સંઘ નેતૃત્વ સાથેની ગોઠવણપૂર્વક જનસંઘના સ્થાપક – પ્રમુખ બનવાના હતા. 

વાસ્તવિકતા એ છે કે કાઁગ્રેસ ખેંચી શકી ત્યાં સુધી એણે ‘આપણે સૌ હિંદીઓ’ને ધોરણે વાત કરી. મુસ્લિમ લીગે ‘મુસ્લિમ’ હોવાના ધોરણે તો સંઘ-હિંદુ મહાસભાએ ‘હિંદુ’ હોવાને ધોરણે. કાઁગ્રેસની ચૂકના પ્રસંગો ગણાવી શકાય, પણ ‘આપણે એક રાષ્ટ્ર નથી’ એવી પાયાની જે ચૂક લીગ અને સંઘ-હિંદુ મહાસભાની હતી, એનીયે ભૂમિકા ખસૂસ છે જ. ભાગલા વખતે રજવાડાને ભારત/પાકિસ્તાનમાં ભળવાનો અગર સ્વતંત્ર હોવાનો જે વિકલ્પ હતો તે દરમિયાન કાશ્મીરના હરિસિંહ સ્વતંત્ર  રાજ્ય તરીકે ‘હિંદુ રાજ્ય’ની ભૂમિકા લે તે માટે એક તબક્કે હિંદુ મહાસભા ઉત્સાહી હતી જેમ એણે ત્રાવણકોર – કોચીનની સ્વતંત્ર રાજ્ય તરીકેની જાહેરાતને ય ‘હિંદુત્વ’ છેડેથી આવકારી હતી. (ચોક્કસ શકવર્તી ગાળા દરમિયાન હિંદુ મહાસભા અને સંઘનું રજવાડાં-સંધાન તપાસ ને અભ્યાસની બાબત છે.)

સંહાર અલબત્ત અમાનવીય બીના જ છે. પણ એની એકતરફી રજૂઆતમાં ઇતિહાસનો બોજ હશે, બોધ નથી. મોડ્યુલમાં જણાવ્યું છે કે આશરે દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા અને કમ સે કમ છ લાખ લોકો માર્યા ગયા. પણ જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો) ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ-શીખ અહીં પહોંચ્યા નહીં. 

તો, લમ્હોંમાં ખાયેલી ખતા સબબ સદીઓમાં કિંમત ચૂકવવાની ગાંઠ બાંધીને નીકળેલું નેતૃત્વ જરી જપ્તમાં ઝાંખે અને લગાર પોરો ખાઈ ડગલું ભરે તો શો વાંધો છે, ભાઈ? કાશ, વિભીષિકાની મૂઠ ને મૂર્છા ઉતરે અને કારુણિકાની સંજીવનીનો સ્પર્શ થાય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 ઑગસ્ટ 2025

Loading

હું મારો નિર્ણય નહી બદલું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|21 August 2025

રઘુનાથજી દવે એટલે કર્તવ્ય પરાયણ, કર્તવ્યનિષ્ઠ અને સિદ્ધાંતોના માનવી. રઘુનાથજી એક મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ. હતા. કરોડો રૂપિયાનો વહીવટ તેમની રાહબરી નીચે થતો હતો. કોઈપણ બાબતમાં તેમનો નિર્ણય આખરી નિર્ણય ગણાતો. કંપનીનાં માલિક રાજનભાઈ કોઠારી પણ તેમના નિર્ણયને ક્યારે ય ફેરવતા નહીં. આ બાબતે કંપનીમાં ઘણી વખત ચર્ચાઓ પણ થતી કે રઘુનાથજીએ માલિકને પણ વસમાં કરી લીધા છે. એ માલિક છે તેમણે પણ રઘુનાથજીનાં નિર્ણયને અનુમતિ આપતા પહેલાં આપણી સાથે ચર્ચા કરવી જોઈએ. 

રાજનભાઈ કોઠારીને એમે જ કંઈ રઘુનાથજી પર આટલો ભરોસો નહોતો. ભૂતકાળમાં કેટલી ય પરીક્ષઓમાંથી રઘુનાથજી પાસ થયેલાં હતા. એક વખત રઘુનાથજીની આકરી પરીક્ષા થાય એવો બનાવ બન્યો. રાજનભાઈ કોઠારીના એક નજીકના મિત્રએ ૧૦૦ કરોડ રૂપિયાના કામ માટે ટેન્ડર ભર્યું હતું. તેને પૂરો વિશ્વાસ હતો કે એ રાજનનો મિત્ર છે એટલે ટેન્ડર તો તેને જ મળશે, પણ તેના બદલે બીજી કંપનીનું ટેન્ડર પાસ થયું. આખો ય પ્રશ્ન રાજનભાઈ પાસે આવ્યો. રાજનભાઈએ વિચાર્યું કે વિના કારણ રઘુનાથજી મારા મિત્રનું ટેન્ડર નામંજૂર ન કરે; મારે કારણ જાણવું પડશે. રાજનભાઈએ રઘુનાથજીને ચેમ્બરમાં બોલાવ્યા અને પૂછ્યું કે `તમે મારા મિત્રનું ટેન્ડર શા માટે નામંજૂર કર્યું? મેં આજ સુધી તમારા નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો પણ આજે મારે માટે કારણ જાણવું છે.`

`રાજનભાઈ —` 

રાજનભાઈએ રઘુનાથજીને કહ્યું હતું કે `તમારે મને સાહેબ કે બોસ નહીં કહેવાનું તમારે મને રાજન કહેવાનું હું તમારાથી નાનો છું.` ત્યારે રઘુનાથજીએ કહ્યું હતું, કે “તમે નાના છો એ વાત સાચી, પણ આ કંપનીનાં માલિક છો, એ વાત પણ મારે ધ્યાનમાં રાખવી પડે; તો હું તમને રાજનભાઈ કહીશ.”

`— તમે અત્યાર સુધી મારા કોઈ નિર્ણયમાં હસ્તક્ષેપ નથી કર્યો; તો આ માટે પણ કારણ જાણવાનું રહેવા દો.`

` ના મારે કારણ જાણવું છે.`

`રાજનભાઈ તમારા મિત્રએ મને બે કરોડની ઓફર કરી હતી; મારા સિદ્ધાંતને જાણતા હોવા છતાં; જે માણસ મને પૈસાની ઓફર કરે એ બીજું શું ન કરી શકે; એમ માનીને મેં એ નામંજૂર કર્યું. મેં કંઈ ખોટું નથી કર્યું; મેં આ કંપની પ્રેત્યેની મારી નૈતિક જવાબદારી નિભાવી છે.`

પણ આજે હકીકત જુદી હતી. રઘુનાથજીની ફરજનિષ્ઠાની કસોટી થાય એવી વાત હતી. રાજનભાઈનો દીકરો દીપેન વિદેશમાં અભ્યાસ પૂરો કરીને આવ્યો હતો અને રાજનભાઈએ તેને રઘુનાથજી પછીની કંપનીમાં પોસ્ટ આપવાની સૂચના આપી હતી. રઘુનાથજી દીપેનના બધાં જ અપલખણ જાણતા હતા એટલે તો તેને વિદેશ અભ્યાસ માટે મોકલ્યો હતો. દીપેનનું કંપનીમાં જોડાવાથી કંપનીને ખૂબ નુકશાન થવાની ભીતિ રઘુનાથજીને દેખાતી હતી. એક નિર્ણય કરીને એ રાજનભાઈની ચેમ્બરમાં ગયા અને કહ્યું.

`રાજનભાઈ, હું દીપેનને કંપનીમાં તમે કહી એ પોસ્ટ પર નિમણૂંક નહીં આપી શકું.`

`રઘુનાથજી, તમે કોને અને કોના માટે ના કહો છો એ ખબર છે ને? તમારી નોકરી પણ જઈ શકે છે. તમારે એક વરસ બાકી છે, શાંતિથી નોકરી કરો ને. “હું મારો નિર્ણય નહીં બદલું.”

`તો, રાજનભાઈ, આ મારું રાજીનામું; તમે પણ દીપેનનાં અપલખણ જાણો છો; તમને આ બધી ખબર છે; છતાં આવો આગ્રહ શા માટે? પુત્રપ્રેમ અને બિઝનેસ સાથે ન રાખો તો સારું. “હું મારો નિર્ણય નહીં બદલું” એમ કહીને રઘુનાથજીએ રાજીનામું રાજનભાઈને આપ્યું. 

રાજનભાઈએ એક ક્ષણ રઘુનાથજી સામે જોઈને રાજીનામું ફાડી નાખ્યું.` રઘુનાથજી, એક વરસ પછી હું તમારી જેવો માણસ ક્યાં શોધીશ કે જે વ્યક્તિ કંપનીનાં હિત માટે માલિકને પણ સાચી હકીકત જણાવી શકે; સિદ્ધાંત માટે પોતાની નોકરી પણ છોડી શકે.`

ભાવનગર
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...34353637...405060...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved