Opinion Magazine
Number of visits: 9584790
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજ ભી ખરેં હૈં તાલાબ : જળવ્યવસ્થાપનના અચ્છે કામ માટે પ્રજાને હવે કોણ ઢંઢોળશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 December 2016

ભારતીય તળાવોના તત્ત્વજ્ઞાનના ભાષ્યકાર ગાંધીવાદી પર્યાવરણવિદ્દ્ અનુપમ મિશ્રની ચિરવિદાય

ભારતના તળાવોના તત્ત્વજ્ઞાનને સામાન્ય માણસ સુધી પહોંચાડનારા ગાંધીવાદી પર્યાવરણવિદ અનુપમ મિશ્રનું ઓગણીસ ડિસેમ્બરના સોમવારે અડસઠ વર્ષની ઉંમરે કૅન્સરની બીમારીથી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સેસમાં અવસાન થયું.

પર્યાવરણવાદી અનુપમજીએ ભારતની પરંપરાગત જળ સંવર્ધન અને જળવ્યવસ્થાપન પદ્ધતિઓનો સેંકડો ગામડાં ખૂંદીને અભ્યાસ કર્યો હતો. ‘આજ ભી ખરે હૈં તાલાબ’ નામનું તેમનું પુસ્તક  જળવ્યવસ્થાપનની હાથપોથી સમું છે. લોકજીવનની કોઠાસૂઝ પર આધારિત પાણીની સાચવણીની વ્યવસ્થાનું વર્ણન અને માટીની મહેક ધરાવતી ભાષા વાચકના મનને ભરી દે છે. તેના એકેક વાક્યમાં ભારતીય સમાજમાં તળાવ નામની ઘટના વિશેનાં જ્ઞાન, આદર અને લાગણી સમાયેલાં છે. હમણાં વીતેલાં વર્ષોમાં દેશના અનેક વિસ્તારના લોકોએ આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને પાંચ હજાર જેટલા તળાવ-કૂવા ફરીથી જીવતાં કર્યાં છે. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાને બહાર પાડેલાં આ પુસ્તકની અઢી લાખ નકલો લોકોએ વસાવી છે. તે ફ્રી ડાઉનલોડ થાય છે. તેનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં, તેમ જ અંગ્રેજી અને  ફ્રેન્ચમાં અનુવાદ થયો છે. તે પ્રજ્ઞચક્ષુઓ માટેની  બ્રેઇલમાં પણ છપાયું છે. તેના પર કોઈ કૉપીરાઇટ નથી એટલે અનેક વ્યક્તિઓએ અને સંસ્થાઓએ તે છપાવી છે. આવા સીમાચિહ્નસમા પુસ્તકમાં લેખકે પોતનું નામ બહુ ઝીણા અક્ષરે, ભાગ્યે જ ધ્યાન પડે તેવી જગ્યાએ મૂક્યું છે. કામ કરીને નામનિરાળા રહેવાની અનુપમજીની આ લાક્ષણિકતા તેમના વિશે બહુ ભાવથી લખનાર પત્રકાર પ્રભાષ જોશી અને રવીશ કુમાર બંનેએ નોંધી છે. પુસ્તકનું છેલ્લું વાક્ય છે : ‘અચ્છે અચ્છે કામ કરતે જાના’ .

અનુપમ મિશ્રના અચ્છા કામમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાંની કર્મશીલતાનો સમાવેશ થાય છે. અનુપમજીનો જન્મ વર્ધામાં. તેમના પિતા ભવાની પ્રસાદ મિશ્ર ગાંધીજી પર પાંચસો કરતાં વધુ કવિતા લખનારા કવિ. દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ. કર્યા પછી અનુપમ  સમાજવાદી યુવાજન સભામાં અને પછી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં જોડાયા. ચંબલમાં ડાકુઓએ 1972 ના મે મહિનામાં  છત્તરપુરમાં કરેલા આત્મસમર્પણ વખતે અનુપમજી જયપ્રકાશ નારાયણની સાથે હતા. તેમણે આ બનાવ પર પુસ્તક પણ લખ્યું. સર્વોદય સાહિત્યના લેખન-પ્રચાર-પ્રસારનું કામ અનુપમ રસથી કરતા રહ્યા. તેના માટે તેમને ઉત્તરાખંડમાં પણ જવાનું થતું. ત્યાં તેઓ ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવીએ વૃક્ષો અને જંગલ બચાવવા માટે ચલાવેલા ચિપકો લોક આંદોલન સાથે જોડાયા અને તેના વિશે પહેલવહેલા અહેવાલો લખ્યા. આ ઉપરાંત તેમની પાસેથી આ ચળવળ વિશેનું એક મહત્ત્વનું પુસ્તક ‘ચિપકો મૂવમેન્ટ : ઉત્તરાખંડ વિમેન્સ બીડ ટુ સેવ ફૉરેસ્ટ વેલ્થ’(1978) મળ્યું. અનુપમ કેટલોક સમય ‘ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર પણ હતા. પછી તેમણે ફ્રિલાન્સ લેખન અને ફોટોગ્રાફી કર્યાં. કટોકટી વિરુદ્ધ સક્રિય હતા તે દરમિયાન પણ મુખ્ય પ્રવૃત્તિ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની રહી. સાથે પર્યાવરણ પણ તેમની નિસ્બતનો વિષય હતો. ‘દેશ કા પર્યાવરણ’ નામનું સંપાદન તેમણે બહાર પાડ્યું. તેના આગોતરા ગ્રાહક નોંધીને અનુપમે બે લાખ રૂપિયાનો નફો પ્રતિષ્ઠાનને આપી દીધો. મૌલિક પુસ્તક ‘હમારા પર્યાવરણ’ લખ્યું, છાપ્યું, વેચ્યું અને પ્રતિષ્ઠાનને નવ લાખ કમાઈ આપ્યા. આ હકીકતો નોંધીને પ્રભાષ લખે  છે : ‘આ પુસ્તકો હવે મળતાં નથી, પણ ગયા દસ વર્ષમાં હિંદીમાં પર્યાવરણ પર આવાં પુસ્તકો આખા દેશમાં લખાયાં નથી.’ 
અનુપમજી 1980ના દાયકાથી જળસંવર્ધન વિષયના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાણીની આપણા દેશમાં થઈ રહેલી અવહેલનાથી તે ખૂબ વ્યથિત હતા. તે જાણતા હતા કે પાણીનો બગાડ, તેની અસમાન વહેંચણી અને અછત-અભાવ અટકાવવાનો રસ્તો આ દેશની પાણી સાચવણીની પદ્ધતિ અને તેના માટેનાં જુદા જુદાં પ્રકારનાં બાંધકામોમાં રહેલો છે. એમને એ ખબર હતી કે તે પદ્ધતિઓ સ્થાનિક પરિવેશની પાકી સમજ અને લોકોની સામેલગીરીથી રચાઈ છે. એમણે એ સિસ્ટમ્સ વિશે લખવાની, તેમનું દસ્તાવેજીકરણ કરવાની શરૂઆત કરી. સહુથી અસરકારક  નમૂના તો અલબત્ત શુષ્ક અને વરસાદ વિનાના રાજસ્થાનમાં હતા. છતાં તેમણે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ પોતાના અભ્યાસમાં સમાવ્યાં. આ રાજ્યોનાં સેંકડો ગામડાં ખૂંદીને તેમણે ત્યાંનાં અનેક જળસંગ્રહોનો અભ્યાસ કર્યો.  તેના પરિણામે બે પુસ્તકો મળ્યાં : ‘રાજસ્થાન કી રજત બુંદે’ (1993) અને ‘આજ ભી ખરે હૈ તાલાબ’ (1995). આ ઉપરાંત અનુપમજીએ પત્રિકાઓ અને લેખો પણ લખ્યાં છે. તેનો સંચય ‘સાફ માથે કા સમાજ’ નામે બહાર પડ્યો છે. એમનું લગભગ બધું લખાણ હિંદીમાં છે. તેનું કારણ એ કે લેખક તેમના પિતાનો ભાષા વારસો જાળવી રાખવા માગતા હતા. વળી તેઓ જે વિસ્તૃત જનપદમાં ફર્યા તેમાં હિન્દી ભાષાની અનેક બોલીઓ હતી.  હિન્દીમાં લખવાનું શરૂ કર્યા પછી તે એના જ આનંદમાં રમમાણ થઈ ગયા. જો કે  અંગ્રેજી ભાષાના નહીંવત ઉપયોગને કારણે તેઓ પર્યાવરણના અભ્યાસીઓમાં પણ થોડા ઓછા જાણીતા રહ્યા. 

વિકેન્દ્રિત જળવ્યવસ્થાપનના અગ્રણી સમર્થક એવા અનુપમજી ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશના કેન-બેટવા પ્રકલ્પ સહિત રિવર લિન્કિન્ગ પ્રોજેક્ટના વિરોધી હતા. તેઓ કહેતા કે આવા પ્રોજેક્ટો માટેના  સરકારનાં લગાવ અને તેની લાગતનો એક અંશ પણ બુંદેલખંડ માટે ફાળવવામાં આવે તો તેનો દુષ્કાળનો પ્રશ્ન હલ થઈ જાય. તેમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન અઠ્ઠ્યાવીસ નવેમ્બરે  ‘સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ અ‍ૅન્ડ પીપલ’ સંગઠને યોજેલા સરિતા સપ્તાહના ઉદ્દ્ઘાટને થયું હતું. થાક અને અશક્તિ છતાં તેમણે પૂરા સરોકારથી વાત કરી. તેમણે કહ્યું, ‘સરકાર ગંગાને નવજીવન આપવાનું કામ તેના ઘાટ પરના પથ્થર કે વીજળીના થાંભલા બદલીને નહીં કરી શકે. શુદ્ધ પાણી ક્યાંથી આવે છે અને પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે એ આપણે સમજીશું નહીં ત્યાં સુધી બધું નિરર્થક છે.’

અનુપમજીને કેન્દ્ર સરકારનો ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર (1996) અને મધ્ય પ્રદેશ સરકારનો અમર શહીદ ચન્દ્રશેખર આઝાદ રાષ્ટ્રીય પુરસ્કાર (2006) મળ્યા હતા. તદુપરાંત તેમને જમનાલાલ બજાજ સન્માન (2011) પણ આપવામાં આવ્યું હતું. જો કે અનુપમ મિશ્રાજીનું સહુથી મોટું સન્માન એ તેમના પુસ્તક ‘અભી ભી ખરે હૈં તાલાબ’ને મળેલો આવકાર છે. રોમાંચિત કરી દેનારા નવ પ્રકરણોનું આ ધન્ય પુસ્તક આમ તો શબ્દશ: વાંચવાં જેવું છે. તેમાં લેખકે આસ્થાભરી શૈલીમાં આવરી લીધેલી કેટલીક બાબતો આ મુજબ છે : તળાવોનો ઇતિહાસ, તેમના બાંધકામ, તેમને બનાવનાર ભારતભરના લોકસમૂહો, તળાવોનાં અંગ-પ્રત્યંગ, તેમની જાળવણી, તેમનાં ‘સહસ્રનામ’, પાણી પૂરી પાડવાની તેમની ક્ષમતા, તળાવ અનુસાર ‘લોક ધરમ સુભાવ’ અને તળાવોની આજની સ્થિતિ તેમ જ પ્રસ્તુતતા. પુસ્તકમાં એક દોહો છે :

‘સિમટ સિમટ જલ ભરહિં તલાવા

જિમી સદગુણ સજ્જન પહિં આવા.’

ભારતીય માણસ પાસેથી અનુપમજીએ રાખેલી  આ આશા ફળશે  ખરી?

22 ડિસેમ્બર 2016

++++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

અમેરિકી રાજકીય પક્ષો : પડકારો

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|22 December 2016

આ વારની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી-પ્રક્રિયા શરૂ થઈ ત્યારે, ઑગસ્ટ ૨૦૧૫માં રિપબ્લિકન પાર્ટીની પ્રથમ સત્તાવાર ડિબેટમાં મંચ પર ૧૦ ઉમેદવારો હતા. મૂળ ઉમેદવાર તો સોળ હતા, પણ તેમાંના છ જણ પાસે ચર્ચામાં ભાગ લેવા જેટલો લોકમતનો ટેકો નહોતો. છ માંહેલા એક ઉમેદવાર એવા હતા જેને ૨૦૧૨ની રિપબ્લિકન પાર્ટીની પ્રાઇમરીમાં ૧૧ રાજ્યોમાં વિજય મળેલો, એક સેનેટર હતા જેની પાસે વીસ વર્ષનો સેનેટનો અનુભવ હતો, અને એક ગવર્નર હતા જેના રાજ્યમાં જ આ ડિબેટ યોજાયેલી. મંચ પર જે હતાં તેમાં એક રિયાલિટી ટીવીનો અનુભવ ધરાવતાં લક્ષાધિપતિ હતા. એક કોઈ પણ જાતના વહીવટી અનુભવ વગરના ન્યૂરો સર્જન હતા અને એક કમ્પૂટર કંપની ચલાવવાનો અનુભવ ધરાવતાં મહિલા હતાં. બાકીના ઉમેદવારોમાં ગવર્નર, સેનેટર કે નીચલા ગૃહના સભ્યો હતા. જેમજેમ ચૂંટણી-પ્રક્રિયા આગળ ચાલી તેમતેમ એક પછી એક ઉમેદવાર ખરતા ગયા અને છેલ્લે જે ઉમેદવાર રહ્યા તે એવા હતા કે જેને કોઈ રીતે રિપબ્લિકન ના લેખી શકાય. તે હતા ડોનાલ્ડ ટ્રમ્પ. તે ૧૯૮૭માં રિપબ્લિકન પાર્ટીમાં જોડાયા. પછી નિર્દલીય બન્યા, પછી ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા, પછી બંને પક્ષોના ઉમેદવારોને ચૂંટણીભંડોળમાં નાણાં આપતા રહ્યા અને છેલ્લે રિપબ્લિકન બન્યા. તે બધે આંટા મારી આવેલા. ટ્રમ્પ સામે પ્રાઈમરીમાં જે છેલ્લા હરીફ હતા તે રિપબ્લિકન સેનેટર ખરા, પણ પક્ષમાં તે હંમેશાં બહારના – આઉટસાઇડર ગણાતા. બંનેમાંથી કોઈને રિપબ્લિકન પાર્ટીની વરિષ્ઠ નેતાગીરીનો કે પૂરા પક્ષનો સાથ નહીં.

ડેમોક્રેટિક પાર્ટીમાં ઉમેદવારોની યાદી રિપબ્લિક પાર્ટી જેટલી લાંબી નહોતી, પણ હિલેરી ક્લિન્ટન સામે ઠેઠ કન્વેન્શન સુધી લડનાર બર્ની સેન્ડર્સને પણ લગીરે ‘ડેમોક્રેટ’ ના ગણી શકાય. સેન્ડર્સ ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર થયા તેના એક દિવસ પહેલાં જ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય બનેલા. છેલ્લાં વીસ વર્ષથી તે વર્મોન્ટથી અપક્ષ તરીકે ચૂંટાતા અને સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીને સહયોગ આપતા. ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરીમાં સેન્ડર્સને કુલ ૧૩૦ લાખ મળ્યા અને હિલેરીના ૨૮૧૧ સામે ૧૮૭૯ ઇલેક્ટોરલ ડેલિગેટ્‌સ સાથે પોતાને ફેબિયન સોશિયાલિસ્ટ તરીકે ઓળખાવતા સેન્ડર્સને અપક્ષ અને યુવાવર્ગનો ભારે મોટો ટેકો મળ્યો.

ટ્રમ્પ, ક્રુઝ અને સેન્ડર્સની ઉમેદવારીની આંખે ઊડીને વળગે વાત તેવી એ છે કે અમેરિકી રાજકીય પક્ષો પરથી પક્ષના એસ્ટાબ્લિશમૅન્ટની પકડ પણ સાવ ઢીલી પડી ગઈ છે. આપણે જેને રાજકીય પક્ષ માનીએ છીએ, તે સંસ્થા છે પણ તેની અસર ક્રમશઃ સાવ ઘટી ગઈ છે. એક રાજકીય સંસ્થા તરીકે પક્ષની અસરકારકતા ઘણી ઓછી થઈ ગઈ છે.

આપણે ત્યાં અવિભક્ત કૉંગ્રેસને રજની કોઠારીએ ‘પ્લૅટફૉર્મ પાર્ટી’ કહેલી જેમાં બધા વાડાના, ચીલાના, ફિરકાના લોકો આવી શકતા. પણ આ બધું છતાં પક્ષ પર વરિષ્ઠ નેતાઓની પકડ હતી. આ નેતાઓ ચૂંટણીની ટિકિટ વહેંચતા. કોણ મુખ્યમંત્રી બને તે પણ નક્કી કરતા. અમેરિકાના પક્ષો પ્લૅટફૉર્મ પાર્ટીઝ છે, પણ પક્ષના વરિષ્ઠ નેતાઓની તેના પરની પકડ નબળી છે. આપણે ત્યાં એવું બને કે ક્યારેક કોઈ યુવા નેતા કોઈ વરિષ્ઠ નેતાએ ટપીને આગળ નીકળી જાય, પણ તે પક્ષકારણની અંદર રહીને, પક્ષને બાજુએ મૂકી દઈને નહીં.

ગઈ ચૂંટણી દરમિયાન રિપબ્લિકન પાર્ટીમાં જો પાર્ટી બૉસીસનું ચાલ્યું હોત, તો જેબ બુશ ક્યારના ઉમેદવાર ઘોષિત થઈ ગયા હોત અને ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું ચાલ્યું હોત તો હિલેરીને લાંબી પ્રાઇમરીમાંથી પસાર તો થવું ના પડ્યું હોત, રિપબ્લિકન પાર્ટીમાં મુખપત્ર જેવા ગણાતાં વૉલ સ્ટ્રીટ જર્નલમાં ત્રણેક વર્ષ પહેલાં બે પાનાં ભરીને લેખ હતો કે ઓબામા પછીના અમેરિકી પ્રમુખ જેબ બુશ બનશે અને તેમાં વિગતે બુશના કન્ઝર્વેટિવ મુસદ્દાની ચર્ચા હતી. નોંધવું જોઈએ કે જેબ બુશને સમ ખાવા એકેય ઇલેક્ટોરલ ડેલિગેટ ના મળ્યો અને બહુ વહેલી ઉમેદવારી સમેટી લીધી.

પાર્ટી ઍસ્ટાબ્લિશમૅન્ટનું વિઘટન અને પક્ષની ઓછી અસરકારકતા કેવળ પ્રમુખપદની ચૂંટણી પૂરતી નથી, કૉંગ્રેસમાં આ જ દશા છે. દેડકાની પાંચ શેરીથી કંટાળેલા ગૃહના અધ્યક્ષ જોન બેનરે રાજીનામું આપ્યું. ત્યારે તે પહેલાં એવાં અધ્યક્ષ હતા જેણે કોઈ પણ જાતના ભ્રષ્ટાચારના આરોપ વગર, કેવળ હારીથાકીને પદત્યાગ કર્યો હોય. રિપબ્લિકન પાર્ટીમાં એક દબાવજૂથ, પ્રેસરગ્રૂપ, તરીકે કામ કરતી ટી-પાર્ટીના સભ્યોની આત્યંતિકતા અને અસામાધાનકારી વલણોને કારણે બીજું કોઈ સ્પીકર બનવા તૈયાર નહોતું. વર્તમાન સ્પીકર પોલ રાયે અનેક વિનવણીઓ પછી પદ સંભાળેલું તે પણ અનેક બાંયધરીઓ મેળવીને. એક સમય એવો હતો કે ઓબામા સાથે મળીને, સમાધાનકારી ફૉર્મ્યુલા ઘડીને બૅનર ગૃહ સમક્ષ આવે ત્યારે ટીપાર્ટી એ વિષય પર ચર્ચા કરવા જ તૈયાર ના થાય. નવા સ્પીકરનું પણ આવું નહિ થાય તેવું માનવાને કોઈ કારણ નથી. હવે તો દશા એવી છે કે પ્રમુખ તરીકે રિપબ્લિકન છે જેનો એજન્ડા પોતાનો છે. સેનેટમાં રિપબ્લિકન બહુમતી છે અને નીચલા ગૃહમાં પણ રિપબ્લિકન બહુમતી છે. પ્રમુખની જેમ સેનેટના સભ્યોનો અને ગૃહનો પોતપોતાનો એજન્ડા છે.

‘પક્ષની વરિષ્ઠ નેતાગીરી’ એ એક કાલભ્રમ છે. હવે કેવળ વ્યક્તિગત રાજકીય અદાકારો-ઇન્ડિવિજ્યુઅલ પોલિટિકલ ઍક્ટર્સ છે, જે પોતપોતાનાં અંગત રાજકીય હિતો અને વિચારસરણીઓ પાછળ દોડ્યા કરે છે.

બ્રિટિશ સંસદીય અને અમેરિકાના પ્રમુખીય લોકતંત્ર વચ્ચે એક નોંધપાત્ર ફેર છે. પક્ષીય નિયમોથી આડા ચાલતા સાંસદને બ્રિટન કે ભારતમાં પક્ષ કાઢી મૂકી શકે. અમેરિકી સાંસદને તેમ ના કરી શકાય. તેવી જ રીતે અવિશ્વાસની દરખાસ્તથી પ્રધાનમંત્રીને કાઢી શકાય, અમેરિકી પ્રમુખને પક્ષ કાઢી શકતો નથી. અમેરિકી બંધારણમાં એવી કોઈ જોગવાઈ જ નથી. અમેરિકી બંધારણમાં ક્યાં ય રાજકીય પક્ષનો ઉલ્લેખ નથી.

સેનેટ અને ગૃહની બિનઅસરકારકતા એ અમેરિકી રાજકારણની મોટી દુર્બળતા છે. વિવિધ મોજણીઓ પ્રમાણે અમેરિકાના ૬૦થી ૭૦ ટકા લોકો માને છે કે કૉંગ્રેસની કામગીરી કંગાળ છે. છોંતેર ટકા રિપબ્લિકન મતદારો માને છે કે કૉંગ્રેસને પ્રજાની પડી નથી. અસરકારક પક્ષો અને પક્ષીય નેતાગીરીના અભાવને કારણે એક મોટો રાજકીય શૂન્યાવકાશ ઊભો થયો છે. એક શિસ્તવિહીન, દિશાવિહીન ‘અરાજક’ સ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રમ્પની ઉમેદવારી અને વિજય આ અરાજક સ્થિતિનું સર્જન છે. આ કોઈ અલ્પકાલીન સ્થિતિ નથી; એક ‘અરાજક સંલક્ષણ (સિન્ડ્રોમ)’ છે. આ સિન્ડ્રોમને કારણે કૉંગ્રેસમાં એક ગ્રીડલોક ઊભો થયો છે. આ કારણસર જ અમેરિકાની ૬૦ ટકા પ્રજા માને છે કે કૉંગ્રેસની કામગીરી કંગાળ છે. બ્રૅનરે રાજીનામું આપ્યું ત્યારે તો ૭૦ ટકા લોકો માનતા હતા કે કૉંગ્રેસ પોતાનું કામ નથી કરતી. રિપબ્લિકન પાર્ટીના ૭૬ ટકા મતદારો ચૂંટણીપૂર્વે માનતા હતા કે પોતાના પક્ષના સાંસદોને પ્રજા સાથે કોઈ સંપર્ક નથી રહ્યો. ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચારમાં આ અરાજક સ્થિતિનો પૂરતો લાભ લીધો. તેમના પ્રચારની મુખ્ય વાત એ હતી કે હું વૉશિંગ્ટન બહારનો – ‘આઉટસાઇડર’ છું. મારું કામ રિપબ્લિકન ઍસ્ટાબ્લિશમૅન્ટ અને અન્ય સ્થાપિત હિતો સામે લડવાનું છે. હું વૉશિંગ્ટનનો ગંદવાડ દૂર કરીશ. અને ‘આઈ વિલ ડ્રેઇન ધ સ્વામ્પ.’ (અત્યાર સુધી ટ્રમ્પે પોતાની કૅબિનેટની જે જાહેરાત કરી છે, તેમાં સ્થાપિત હિતો જ છે, તે ચર્ચા ફરી ક્યારેક !)

થોડા સમય પહેલાં જાણીતા રાજકીય વિશ્લેષક, જોનાથન રોશે ‘એટલાન્ટિક’ સામયિકમાં ‘હાઉ અમેરિકન પોલિટિક્સ વેન્ટ ઇન્સેઇન’ના મથાળા હેઠળના એક નિબંધમાં આ અરાજક સિન્ડ્રોમનાં કારણોનું વિગતે નિરૂપણ કર્યું છે.

કોઈ પણ લોકતંત્રમાં રાજકીય પક્ષો, રાજકીય આગેવાન, સંસદીય નેતાગણ, સંસદીય સમિતિઓ વગેરે સત્તાધીશો પર અંકુશ રાખતા હોય છે. પક્ષના સભ્યોને સખણાં રાખે. લાઇનમાં રાખે. કોઈ આડુંઅવળું થાય તો તેને સીધું કરે. શિસ્તમાં રાખે. માર્ગદર્શન આપે. આ બધી સંસ્થાઓ લોકતાંત્રિક વ્યવસ્થામાં ‘વચેટ-માધ્યમો’ (ઇન્ટરમિડિયરીઝ) જ ગણાય. અમેરિકામાં આ વચેટ માધ્યમોની અસરકારકતા ઘટતી ગઈ અને તેને પરિણામે ચૂંટાયેલા સાંસદો, રાજકીય નેતાઓ અને મતદારો સૌ વ્યક્તિવાદી બની ગયા. સૌ પોતપોતાના મનના રાજા. સૌનો પોતપોતાનો એજન્ડા. ‘અરાજક સિન્ડ્રોમ’નું આ મુખ્ય લક્ષણ છે.’

કોઈ પણ લોકતંત્રમાં આવાં વચેટ માધ્યમો, માળખાઓ ઊભાં કરતાં લાંબો સમય લાગે છે. અમેરિકાની ‘પરિપક્વ લોકશાહી’ને આ માળખાં ઘડતાં બસ્સો વર્ષ લાગ્યાં. અમેરિકામાં પક્ષીય પ્રથા ૧૭૯૦થી શરૂ થઈ, પણ જેને આપણે આજના સંદર્ભમાં રાજકીય પક્ષ ગણી શકીએ, તે પ્રથા તો ૧૮૩૦થી આરંભાઈ. ધીમે ધીમે રાજકીય પક્ષપ્રથા મજબૂત બનતી ગઈ. મુખ્યત્વે બે પક્ષો ઊભરતા ગયા. રાજકીય વિચારધારાઓ વિકસતી ગઈ. પોલિટિકલ મશિનરી ઊભી થઈ. મતાધિકારના વ્યાપ સાથે રાજકીય પક્ષોનું સ્વરૂપ પણ બદલાતું ગયું. આર્થિક, સામાજિક, ભૌગોલિક, રાજકીય માંગો સાથે અનેક હિતજૂથો, દબાવજૂથો પક્ષો સાથે જોડાયાં, પણ આ બધાંની સાથે નવી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને પડકારો પણ આવ્યા.

છેલ્લાં ત્રીસેક વર્ષથી એક એવી છાપ પ્રબળ બનતી ગઈ કે આ વચેટ માધ્યમો જ ભ્રષ્ટ, બિનલોકતાંત્રિક અને બિનજરૂરી છે. ધીરેધીરે આ માધ્યમોની વિશ્વસનીયતા એટલી હદે નીચે ગઈ કે તે અસરકારકતા જ ગુમાવી બેઠાં. આ માધ્યમોની અવિશ્વસનીયતાને કારણે પ્રજામાં રાજકારણ પ્રત્યે ઉદાસીનતા વધી. બધા રાજકારણીઓ સરખા ભ્રષ્ટ છે એવી વ્યાપક લાગણીને પરિણામે મતદાનની ટકાવારી ઘટતી ગઈ. એક દાખલો લો. ગઈ પ્રમુખપદની ચૂંટણીમાં શરૂઆતમાં ૧૨ રિપબ્લિકન પ્રાઇમરીમાં કેવળ ૧૭ ટકા રિપબ્લિકન મતદારોએ મતદાન કર્યું. એનો અર્થ એમ થયો કે ટ્રમ્પને રિપબ્લિકન મતદારોના એક બહુ જ નાના જૂથે સમર્થન આપેલું. (આ જૂથ કેવું અને કયું હતું તેની ચર્ચામાં મેં ગયા અંકમાં કરી છે.)

અરાજકતા સિન્ડ્રોમ પાછળનું અન્ય મહત્ત્વનું પરિબળ વિચારધારાકીય ધ્રુવીકરણ આઇડિયોલૉજિકલ પોલરાઇઝેશન છે. બંને પક્ષે, વિશેષ કરીને રિપબ્લિકન પાર્ટીમાં ૧૯૯૦ના ગિંગરીચ રેવોલ્યુશન પછી જે ‘ટી-પાર્ટી’ નામનું દબાવજૂથ ઊભુ થયું છે, તેની આત્યંતિકતાએ રાજકીય નેતાગીરીની પકડને હલબલાવી મૂકી છે. આગળ આપણે સ્પીકર બ્રેનરની બિનઅસરકારકતાનો ઉલ્લેખ કર્યો છે. આ જૂથ માને છે કે નેતાગીરી સમાધાનને નામે આપણાં હિતો અને વિચારસરણી(કન્ઝર્વેટિવ વિચારધારા)ને નુકસાન પહોંચાડે છે. માટે રાષ્ટ્રને નુકસાન થાય, તો વાંધો નહીં, પરંતુ વિચારધારા બચવી જોઈએ. રાષ્ટ્ર પછી, વિચારધારા પહેલાં. પરિણામે બજેટ મંજૂર ના કરવું. ઓબામાની રાજકીય નિમણૂકોને મંજૂરી ના આપવી, સરકારી કામગીરી ઠપ્પ કરી દેવી, આવા વિકારો જન્મ્યા.

આ વિકારની એક સીધી અસર એ થઈ કે જો તમે અમારી સાથે નહીં તો અમારી સામે. પરિણામે રિપબ્લિકન પાર્ટીમાં મૉડરેટ હોવું એક ગેરલાયકાત જેવું બની ગયું. પરિણામ એ આવ્યું કે કાં તો મૉડેરેટ વિચારધારાઓએ ધીમે-ધીમે નિવૃત્તિ લઈ લીધી યા તો મૌન સેવી લીધું. જે રહ્યાં તેમને ઘરઆંગણે પોતાનાં જ મતક્ષેત્રોમાં જિતવું મુશ્કેલ બની ગયું. રિપબ્લિકન પાર્ટીના વર્તમાન સેનેટ-અધ્યક્ષ મિચ મેક્કોલેનને કન્ટકીની પોતાની સેનેટસીટ બચાવવી મુશ્કેલ પડેલ. કેન્ટર નામના ગૃહના બહુમતી નેતા તો પ્રાઇમરીમાં ટી-પાર્ટીમાં એક ઉમેદવાર સામે હારી ગયા. હવે ચાલુ સભ્યોને ભય છે કે સંસદમાં તે કોઈ એવું મતદાન ના કરે કે જેથી પોતાને ફરીથી ચૂંટાવું મુશ્કેલ બની જાય. ટ્રમ્પના વિજયથી આ સ્થિતિ વધુ ભયાનક બનશે.

વ્યક્તિવાદી રાજકારણનું અન્ય આકર્ષતું પાસું ચૂંટણીભંડોળ છે. અમેરિકી લોકતંત્ર પર ધનતંત્રનું વર્ચસ્વ સર્વવિદિત છે. હિલેરી ક્લિન્ટને આ ચૂંટણીમાં ૧.૨ બિલિયન ડોલર્સ વાપર્યાં. ૨૦૧૨ની ચૂંટણીમાં ઓબામા અને રોમની બંનેએ મળી બે બિલિયન ડોલર્સ ખર્ચેલા. જેબ બુશે બ્યુરો પ્રાયમરીમાં ૧૫૦ મિલિયન ડોલર્સ વાપર્યા અને એક પણ રાજ્યમાં ના જીત્યા. ૧૯૭૦થી ચૂંટણીમાં ધનતંત્રનો પ્રભાવ નાથવા કાયદાઓ કરવાની માંગ વધી. કાયદાઓ થયા પણ ખરાં. પરંતુ છટકબારીઓ એટલી નીકળી કે ધનતંત્રનો પ્રભાવ ઘટવાને બદલે કાંઈ ગણો વધ્યો. સહિત જૂથો, દબાવ જૂથો અને સ્થાપિત હિતોએ ઉમેદવારો સાથે મળી સુપર પોલિટિકલ એક્શન કમિટીઓ ઊભી કરી જે ‘સુપરપેક’ના નામે ઓળખાય છે. ઉપર જે આંકડાઓ આપ્યા છે તેમાં આ સુપરપેકની રકમના અહમ ભાગ છે. આ સુપરપેક પર પક્ષોનો કોઈ અંકુશ નથી. પક્ષો પોતાનું ભંડોળ ઊભું કરે છે. પરંતુ મુખ્યત્વે સુપરપેક ઉમેદવાર સાથે સીધો વ્યવહાર કરે છે. સુપરપેકને કારણે પક્ષો મજબૂત થવાના બદલે નબળા બન્યા છે. બંને પક્ષના કેટલાક નેતોઓએ જાહેરમાં કહ્યું છે કે સુપરપેકને કારણે તેમની કામગીરી વધુ મુશ્કેલ બની છે. સુપરપેક પ્રાયમરીમાં જ પોતાના ઉમેદવારને જીતાડવા લાખો કરોડો ખર્ચે છે. જેબ બુશના ૧૫૦ મિલિયન ડૉલર્સ ને હિલેરીના ૬૦૦ મિલિયન તેનાં ઉદાહરણ છે.

એક સમયે રાજકીય પક્ષો સંસદીય કામગીરીમાં અસરકારી ભાગ ભજવતાં સિનિયર નેતાઓને સમિતિઓના અધ્યક્ષ બનાવતા. મહત્ત્વની સમિતિઓમાં નિમાતા. સાંસદો સાથે બેસીને અરસ-પરસ કામો પતાવી લેતા. અમેરિકામાં આ પ્રથાથી જે દૂષણ પેદા થયું તે ‘પોર્ક બેરેલ’ નામે જાણીતું છે. તેમાં તારુંમારું સહિયારું ચાલતું. સાંસદો પોતપોતાના મતક્ષેત્રમાં રસ્તાઓ બનાવવા ઉદ્યોગો બનાવવા વિધેયકોમાં પોર્ક બેરેલને સામેલ કરી દેતા. અલાસ્કામાં બનેલો ‘રોડ્‌સ ટુ નો વ્હેર’ તેનું ઉદાહરણ છે. ગિંગરીચ રેવોલ્યૂશન પછી આ પોર્ક બેરેલને નાથવાના આશયથી સુધારાઓ થયા પરંતુ આ સુધારાઓએ પક્ષોને કૉંગ્રેસમાં વધુ નબળા બનાવ્યા એક સમયે સાથે મળીને કામ કરતાં જૂથોમાં મધ્યસ્થહીનતા આવી ગઈ.

આમ પક્ષોની અને પક્ષીય નેતાગીરીની ઘટેલી અસરકારકતાને કારણે લોકરંજક ઉમેદવારો ઊભા થવા માંડ્યા. વ્યક્તિવાદી લઘુકેન્દ્રી રાજકારણ ઊભું થયું. હવે પ્રજા અને ઉમેદવારની વચ્ચે કોઈ અસરકારી પરિબળ નથી.

અમેરિકાના રાજકીય પક્ષોના ભવિષ્ય વિશેની આગળની ચર્ચા હવે પછી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 03, 04 અને 15 

Loading

કાળાં નાણાંથી ‘કૅશલેસ ઇકોનૉમી’

રમેશ બી. શાહ|Opinion - Opinion|22 December 2016

દેશમાં કાળાં નાણાંની નાબૂદી માટે નોટબંધી એક માત્ર ઉપાય છે અને કાળું નાણું દેશ માટે આપત્તિજનક અને દેશના વિકાસ માટે અવરોધક છે, એમ નાગરિકોની વિશાળ બહુમતીએ માની લીધું છે. દેશમાં કાળાં નાણાંની ચર્ચા દસકાઓથી ચાલે છે અને તેના મોટા-મોટા આંકડા રજૂ થતા રહે છે. તેથી દેશમાં કાળાં નાણાંને લોકો ભસ્માસુર રૂપે જોતાં થયાં છે. નોટબંધી કરીને મોદી આ ભસ્માસુરનો વધ કરવા નીકળ્યા છે એવી માન્યતાથી પ્રેરાઈને લોકો હાડમારી વેઠીને પણ નોટબંધીને ટેકો આપી રહ્યા છે. કાળું નાણું શું છે, એ કેવી રીતે સર્જાય છે, એની અર્થતંત્ર પર શું અસર પડે છે, એની નાબૂદી માટે કરવામાં આવેલી નોટબંધીથી અર્થતંત્રને લાંબે ગાળે શું લાભ થશે, એ વિશે કશી જાણકારી નહીં ધરાવતા નાગરિકો કેવળ વર્ષોથી ચાલી આવતી કાળાં નાણાં અંગેની માન્યતાથી પ્રેરાઈને નોટબંધીનું સમર્થન કરી રહ્યાં છે. આ લેખમાં કાળાં નાણાંનાં આ બધાં પાસાંની ચર્ચા કરી છે.

એ ચર્ચા કરીએ એ પહેલાં કાળાં નાણાં અંગેના એક તુલનાત્મક ચિત્રથી વાકેફ થઈએ. જેને આપણા દેશમાં કાળા કે સમાંતર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેને વૈશ્વિક ચર્ચામાં છાયા-અર્થતંત્ર (shadow economy) તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વબૅંકના ત્રણ અર્થશાસ્ત્રીઓએ દુનિયાના ૧૬૨ દેશોમાં ૧૯૯૯થી ૨૦૦૭માં કેટલા પ્રમાણમાં છાયા-અર્થતંત્ર પ્રવર્તતું હતું, તેનો અભ્યાસ કરીને એક અભ્યાસલેખ ૨૦૧૦માં પ્રકાશિત કર્યો હતો. આ તુલનાત્મક અભ્યાસમાંથી સાંપડેલી કેટલીક વિગતો નીચે નોંધી છે :

૧. દુનિયાના ૧૫૧ દેશોને છાયા-અર્થતંત્રના કદના આધારે આપવામાં આવેલા ક્રમમાં ભારત ૩૯મા ક્રમે હતું. ભારતમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૯૯૯માં સત્તાવાર જી.ડી.પી.ના ૨૩.૨ ટકા હતું, જે ઘટીને ૨૦૦૭માં ૨૦.૭ ટકા થયું હતું.

૨. છાયા-અર્થતંત્રનું સહુથી નાનું કદ સ્વિટ્‌ઝર્લૅન્ડમાં હતું, જે ૨૦૦૭માં ૮.૧ ટકા હતું. ભારતની તુલનામાં નાના કદનું છાયા-અર્થતંત્ર ધરાવતા અન્ય ૩૮ દેશોમાં અમેરિકા (૮.૪ ટકા), જાપાન (૧૦.૩ ટકા), ચીન (૧૧.૯ ટકા), સ્વીડન (૧૭.૯ ટકા) વગેરેનો સમાવેશ થતો હતો.

૩. ભારતની તુલનામાં મોટું છાયા-અર્થતંત્ર ધરાવતા ૧૧૨ દેશો પૈકી કેટલાક ભારત કરતાં વધુ વિકસિત દેશોનાં ઉદાહરણ આ પ્રમાણે છે : કોરિયા (૨૫.૬ ટકા), ઈટાલી (૨૬.૮ ટકા), મૅક્સિકો (૨૮.૮ ટકા), મલેશિયા (૨૯.૬ ટકા), બ્રાઝિલ (૩૬.૬ ટકા) અને રશિયા (૪૦.૬ ટકા).

૪. અભ્યાસ નીચેના ૧૫૧ દેશોમાં છાયા-અર્થતંત્રનું સરેરાશ કદ ૧૯૯૯માં ૩૩.૩ ટકા હતું, જે ઘટીને ૨૦૦૭માં ૩૧.૩ ટકા થયું હતું. આમ-વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતમાં છાયા અર્થતંત્રનું કદ ગણનાપાત્ર ગણાય એટલું ઓછું છે. જે દેશના લોકો એમની દેશભક્તિ માટે વિખ્યાત છે, તે ઇઝરાયેલમાં છાયા-અર્થતંત્રનું કદ ભારત જેટલું જ માલૂમ પડ્યું છે. બેલ્જિયમ અત્યંત વિકસિત અને ‘કૅશલેસ’ અર્થતંત્ર ધરાવતો દેશ છે, છતાં બેલ્જિયમમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૦૦૭માં ભારત કરતાં થોડું મોટું હતું. (૨૧.૩ ટકા).  દેશના અર્થતંત્રને ‘કૅશલેસ’ બનાવવાની જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં બેલ્જિયમનું ઉદાહરણ ધ્યાનપાત્ર છે.

દુનિયાના ૧૦૦થી અધિક દેશોમાં છાયા-અર્થતંત્રનું કદ ભારતની તુલનામાં મોટું હોવા છતાં ભાગ્યે જ એમાંના કોઈ દેશમાં આ વહીવટી અને આર્થિક પ્રશ્નને ભારતમાં અપાયું છે, તેવું રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. આના સંદર્ભમાં વિષયાન્તરનો દોષ વહોરીને ફ્રાન્સનો એક દાખલો ટાંકું છું. ૨૦૦૫ના વર્ષમાં ફ્રાન્સના પ્લમરોને એવું સમજાવવામાં આવ્યું હતું કે પૉલૅન્ડમાંથી પ્લમરો મોટી સંખ્યામાં આવશે અને ફ્રાન્સના પ્લમરોની રોજી છીનવી લેશે. એ વખતે ફ્રાન્સમાં બેકારી વધારે હતી, તેથી પ્લમરોએ એ વાત માની લીધી. વાસ્તવમાં પોલૅન્ડના પ્લમરને કોઈએ જોયો નહોતો. ફ્રાન્સના પ્લમરોના મંડળે આપેલા આંકડા પ્રમાણે પોલૅન્ડના ૬૫૦ પ્લમરો ટૂંકી મુદતના કરાર પર આવેલા. હકીકતમાં ફ્રાન્સમાં ૬,૦૦૦ પ્લમરોની અછત હતી. આમ છતાં, પ્લમરોમાં બેકારીનો હાઉ ઊભો કરીને તેમનામાં આક્રોશ પેદા કરી શકાયો હતો. આમ, અસરકારક પ્રચાર દ્વારા અર્ધસત્યો કે તદ્દન જુઠાણાંના પાયા પર મોટા જનસમૂહને ગેરમાર્ગે લઈ જઈ શકાય છે.

આ ભૂમિકા સાથે હવે કાળાં નાણાંના પ્રશ્નનાં વિવિધ પાસાં તપાસીએ :

દેશમાં કાળું નાણું (બ્લૅકમની) શબ્દ ખોટી રીતે રૂઢ થયો છે. કાળું નાણું એ ખરેખર કાળી કે સત્તાવાળાઓથી છુપાવવામાં આવેલી આવક છે. આવક છુપાવવાનો ઉદ્દેશ કરચોરી કરવાનો છે. કાનૂની માર્ગે મેળવવામાં આવેલી આવકનો કેટલોક ભાગ કર-અધિકારીઓથી કરચોરીના ઉદ્દેશથી છુપાવવામાં આવે છે. કેટલીક આવક  જ ગેરકાનૂની માર્ગે મેળવવામાં આવી હોય છે, તેથી તે જાહેર કરાતી નથી. લાંચરુશવત અને દાણચોરી દ્વારા મેળવવામાં આવેલી આવક આ પ્રકારની છે. ઉત્પાદકો અને વેપારીઓએ આબકારી જકાત, વેટ, જેવા વેરા અંશતઃ ટાળીને જે આવક મેળવી હોય, તે પણ ગેરકાનૂની છે. આમ, કાળી આવક કરચોરી અને ભ્રષ્ટાચાર દ્વારા મેળવવામાં આવે છે.

કાળી આવકનો ઉપયોગ, ધોળી આવકની જેમ વિવિધ માર્ગોએ થાય છે. કેટલીક આવક વૈભવી વપરાશ માટે ખર્ચાય છે. એ આવકનો મોટો ભાગ જમીન, મકાનો, સોનું, ઝવેરાત જેવી સંપત્તિ ખરીદવામાં ખર્ચાય છે, જેમની પહોંચ છે, એવા લોકો તેમની કાળી આવકનો મોટો ભાગ વિદેશોમાં રાખે છે. એ આવકનો કેટલોક ભાગ સગવડ ધરાવતા લોકો બીજાઓનાં નામે વેપારધંધામાં રોકે છે અને શેષ ભાગ ચલણી નોટોમાં રાખે છે. આમ કાળી આવકનો એક નાનો ભાગ ચલણી નોટોના રૂપમાં હોય છે. લોકોમાં પ્રચલિત ખ્યાલ પ્રમાણે એ જ કાળું નાણું છે.

કાળાં નાણાં વિશે એક મોટી ગેરસમજ પ્રવર્તે છે. આ માન્યતા પ્રમાણે કાળું નાણું ધરાવતા લોકો તેમની પાસે રહેલાં કાળાં નાણામાં દર વર્ષે ઉમેરો કરતા રહે છે. સરકાર વતી ઍટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતમાં કરેલી રજૂઆતમાં લોકોની આ ગેરસમજ પોષાય એ મતલબનાં વિધાનો કરવામાં આવેલાં. વાસ્તવમાં કાળી આવક મેળવતા લોકો વધુ પ્રમાણમાં ચલણી નોટો હાથ પર રાખતા નથી. ચલણી નોટોના રૂપમાં સંપત્તિ વધી જાય તો ઉપર દર્શાવી છે, એવી અન્ય સંપત્તિમાં તેનું રૂપાંતર કરી નાખવામાં આવે છે. જો દર વર્ષે હાથ પર રાખવામાં આવતાં કાળાં નાણાંમાં વધારો થતો હોત, તો મોદી સરકારને રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ચલણમાંથી રદ કરવાનો મોકો જ ન મળ્યો હોત. ધારો કે દર વર્ષે ત્રણ લાખ કરોડ જેટલી કાળી આવકને ચલણી નોટોના રૂપમાં રાખવામાં આવે છે. ૨૦૧૧થી આપણે શરૂઆત કરીએ, તો ૨૦૧૫ સુધીનાં પાંચ વર્ષમાં કરચોરો પાસે રૂ. ૧૫ લાખ કરોડની રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનો સંચય થાય. આની સામે માર્ચ ૨૦૧૬માં ચલણમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની કુલ નોટો રૂ. ૧૪,૧૭,૯૪૩ કરોડની હતી. બીજી એક હકીકતના આધારે તપાસીએ. સાતમી ડિસેમ્બર સુધી બૅંકોમાં રૂ. ૧૧.૫ લાખ કરોડની નોટો જમા થઈ ગઈ હતી અને હજી (સરકાર બીજી અનેક બાબતોમાં ફરી ગઈ છે, તેમ આ બાબતમાં પણ ફરી ન જાય તો) નોટો જમા કરાવવા માટે ૨૩ દિવસ બાકી હતા. આમ, કાળાં નાણાં વિશે મોટો હાઉ અને અપેક્ષાઓ જગવીને નોટબંધી કર્યા પછી ‘કોથળામાંથી બિલાડી’ નીકળવાની પાકી સંભાવના હોવાથી, ‘રોકડ નાણું જ ભ્રષ્ટાચારના મૂળમાં છે’, એવી દલીલ કરીને હવે વડાપ્રધાનને ‘કૅશલેસ ઇકોનૉમી’ માટે ઝુંબેશ શરૂ કરી છે. એ મુદ્દાની ચર્ચા લેખના ઉત્તરાર્ધમાં કરી છે.

કાળી આવક સર્જાવાના બે સ્રોત છે : કરચોરી અને ભ્રષ્ટાચાર. કરચોરી માટે લોકોની અને કરવેરાના વહીવટીતંત્રની અપ્રામાણિકતાની સાથે બીજાં પણ કેટલાંક કારણો છે : વેરાનો ઊંચો દર, વેરાના કાયદાની જટિલતા અને સંદિગ્ધતા, કર ઉઘરાવતા અધિકારીઓની કનડગત, ખેતીની આવક પર આવકવેરાનો અભાવ (જે આવકવેરાની ચોરી કરવાની સગવડ પૂરી પાડે છે), અર્થતંત્રમાં મોટો અસંગઠિત વિભાગ (જેમાં મોટા ભાગમાં વ્યવહારો રોકડ નાણાંથી થાય છે), વકીલો, ડૉક્ટરો, વેપારીઓ વગેરેને રોકડ નાણાં રૂપે મળતી આવક (જે કરચોરી માટે પોષક નીવડે છે). આમ કરચોરી રોકવા માટે અનેક મોરચે લડવાનું છે.

કાળી આવકનો બીજો સ્રોત ભ્રષ્ટાચાર છે. સરકારી વહીવટીતંત્રમાં તળિયાથી ટોચ સુધી ચાલતા ભ્રષ્ટાચારના મૂળમાં રાજ્યના અંકુશોની જટિલતા અને અધિકારીઓને મળતી વિવેકાધીન સત્તા (discretionary power) રહેલાં છે. લોકશાહી ધરાવતા ભારતમાં રાજકીય પક્ષો દ્વારા લડાતી ચૂંટણી ભ્રષ્ટાચારનો મોટો સ્રોત બને છે. આ રાજકીય પક્ષો ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ, બિલ્ડરો વગેરે પાસેથી મોટી રકમો ‘દાન’ રૂપે મેળવે છે, જેની વિગતો ક્યારે ય પ્રગટ કરવામાં આવતી નથી. આ દાન બિનહિસાબી નાણાંરૂપે મેળવવામાં આવતું હોઈ દાતાઓને એ નાણાં કાળી આવકના રૂપમાં રાખવાની ફરજ પડે છે. આમ, સરકારી તંત્રમાં ટોચ ઉપર લેવાતી મોટી રકમની લાંચ અને રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવતાં ‘દાન’ દાતાઓને કાળી આવક સર્જવાની ફરજ પાડે છે. જ્યાં સુધી સરકારી તંત્ર અને રાજકીય પક્ષોનો આ ભ્રષ્ટાચાર મહદંશે નાબૂદ નહીં થાય, ત્યાં સુધી ‘કૅશલેસ’ અર્થતંત્ર પણ કાળી આવકના સર્જનને રોકી નહીં શકે.

અર્થતંત્રમાં કાળી આવક સર્જાવાના સ્રોત અને તેનાં કારણો જાણ્યાં પછી કાળી આવકની અસરોની ચર્ચા કરીએ. કાળી આવક પર વેરો ભરવામાં આવતો નથી તેનાં ત્રણ પરિણામો આવે છે : કરચોરી આવક અને સંપત્તિની અસમાનતા સર્જવામાં સહાયક બને છે; કરચોરી સાપેક્ષ રીતે અન્યાયની સ્થિતિ સર્જે છે. વર્ષે રૂ. પંદર લાખનો પગાર મેળવતા સંગઠિત ક્ષેત્રના કર્મચારીને આવકવેરો ભરવો પડે છે, જ્યારે એટલી જ આવક રળતો વેપારી આવક પ્રગટ નહીં કરીને આવકવેરો ટાળે છે. કરચોરીને કારણે સરકારને વેરામાંથી ઓછી આવક મળે છે. તેથી એમ કહી શકાય કે પ્રજાકીય કામો કરવાની સરકારની વિત્તીય ગુંજાશ ઘટે છે, પણ અર્થતંત્રમાં સર્જાતી કાળી આવકથી દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે, એમ કહી શકાશે નહીં. પ્રથમ આપણા દેશનો દાખલો લઈએ. ૧૯૫૦થી ’૮૦ના ત્રણ દસકા દરમિયાન રાજ્ય વિકાસ માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરતું હતું પણ જી.ડી.પી.નો વાર્ષિક વૃદ્ધિદર એ વર્ષોમાં સાડા ત્રણ ટકાનો હતો. એ પછીનાં વર્ષોમાં રાજ્યની ભૂમિકા ઘટતી ગઈ છે અને વૃદ્ધિદર વધતો રહ્યો છે : ૧૯૮૦થી ’૯૦ના દસકામાં તે પ.૬ ટકા હતો; ૧૯૯૦થી ૨૦૦૦ના દસકામાં તે ૫.૮ ટકા હતો; ૨૦૦૦થી ૨૦૧૦ના દસકામાં તે વધીને ૭.૨ ટકા થયો હતો. આજે ભારતનું અર્થતંત્ર દુનિયામાં સહુથી ઊંચો વૃદ્ધિદર ધરાવે છે. બીજી બાજુ, છેલ્લા ત્રણ-ચાર દસકાઓ દરમિયાન કાળી આવકમાં મોટો વધારો થયો હોવાની છાપ છે.

આંતરરાષ્ટ્રીય તુલના કરીએ, તો દેશમાં છાયા-અર્થતંત્રના કદ અને દેશની માથા દીઠ આવક વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ચીનમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૨ ટકા જેટલું છે અને તેની માથા દીઠ આવક ૮,૨૬૧ ડૉલર છે. મૅક્સિકોમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૯ ટકા છે, પણ એની માથા દીઠ આવક ૮,૬૯૯ ડૉલર છે. ભારતમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૧ ટકા જેટલું છે અને તેની માથા દીઠ આવક ૧,૭૧૯ ડૉલર છે. બીજી બાજુ બ્રાઝિલમાં છાયા-અર્થતંત્રનું કદ ૩૭ ટકા જેટલું છે. પણ તેની માથા દીઠ આવક ૮,૫૮૭ ડૉલર છે અને મલેશિયામાં છાયા-અર્થતંત્રનું કદ ૩૦ ટકા જેટલું છે, જ્યારે એની માથા દીઠ આવક ૯,૫૪૬ ડૉલર છે.

કાળી આવક કે કાળાં નાણાં દેશમાં ફુગાવો સર્જે છે, એ માન્યતામાં પણ તથ્ય નથી. દેશમાં કાળાં નાણાંની હાજરી વચ્ચે ફુગાવાના દરમાં મોટી વધઘટ જોવા મળી છે, તે દર્શાવે છે કે ફુગાવાનો સંબંધ દેશમાં નાણાંના કુલ પુરવઠાના વૃદ્ધિદર સાથે છે, કાળાં નાણાં સાથે નથી. ઊલટું, લોકો માને છે તેમ જો કાળું નાણું નિષ્ક્રિય પડી રહેતું હોય, એટલે કે ન ખર્ચાતું હોય, તો તે ફુગાવાને ઘટાડવામાં સહાયભૂત થાય!

આનો અર્થ એવો નથી કે કાળી આવક અનિષ્ટ નથી. એ નિર્વિવાદ રીતે એક અનિષ્ટ છે, કારણ કે તેના મૂળમાં કરચોરી અને ભ્રષ્ટાચાર છે. પણ નોટબંધી તેનો ઇલાજ નથી. પેટમાં ઍપેન્ડિક્‌સનો દુખાવો હોય એવા દરદીને દુખાવો મટાડવા માટે પેટ ઉપર ડામ દેવામાં આવે તેનો જેવો આ ઇલાજ છે. એનો હેતુ તો સારો જ છે. પણ સાધ્યના આધારે આ દાખલામાં જેમ સાધનને યોગ્ય ન ગણી શકાય, તેમ કાળા નાણાંનાં અનિષ્ટોને નાબૂદ કરવા માટે નોટબંધી યોગ્ય માર્ગ નથી.

નોટબંધીથી ટૂંકા ગાળામાં લોકોને હાડમારી પડશે, કેટલાક લોકોને રોજગારી ગુમાવવી પડશે, વેપારઉદ્યોગના વેચાણ અને ઉત્પાદનમાં ઘડાટો થશે, એ રીતે દેશના લોકોએ તેની કિંમત ચુકવવી પડશે, પણ લાંબે ગાળે તેનાથી દેશને લાભ થશે, એવી દલીલ પ્રધાનમંત્રી સહિત અનેક લોકોએ કરી છે. પણ તેઓ બે બાબતો વિશે ફોડ પાડીને કહેતા નથીઃ એક ટૂંકો ગાળો કેટલો ટૂંકો છે અને લાંબો ગાળો કેટલો લાંબો છે, તે તેઓ કહેતા નથી. બીજું, નોટબંધીથી લાંબે ગાળે શું લાભ થશે અને તે કેવી રીતે થશે, તે સ્પષ્ટ કરતા નથી. વડાપ્રધાને નોટબંધી જાહેર કરી, ત્યારે તેને કાળાં નાણાં, આતંકવાદીઓ પાસે રહેલાં અને તેમને મળતાં નાણાં તથા ચલણમાં ઘુસાડવામાં આવેલી ચલણી નોટો પરની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે વધાવી લેવામાં આવી હતી. પણ આ ત્રણે ઉદ્દેશોની બાબતમાં ભોંઠા પડવાનું થયું છે. આપણે જોઈ ગયા તેમ અપેક્ષા રાખવામાં આવી હતી, તેવા મોટા જથ્થામાં કાળું નાણું સાંપડવાની સંભાવના રહી નથી, દેશની પશ્ચિમ સરહદે અને પૂર્વનાં રાજ્યોમાં આતંકવાદીઓના હુમલા થયા છે તથા નવી નોટો બધા લોકો પાસે પહોંચે તે પહેલાં નકલી નોટો ફરતી થઈ. બીજી બાજુ નોટોની અછતને કારણે બૅંકો અને એ.ટી.એમ. પર લાઇનો લાગે છે અને ઘણા લોકોને નિરાશ થઈને ઘેર જવું પડે છે. લાઇનમાં ઊભેલા લોકોને નવી નોટો મળે નહીં અને વગદારોને ઘેરબેઠાં નવી નોટો મળી જાય, એ નોટોના વિતરણમાં ચાલતા ભ્રષ્ટાચારને જે સરકાર રોકી શકી નથી, તે કાળી આવક સર્જતા સરકારી વહીવટીતંત્રના ભ્રષ્ટાચારને કેવી રીતે દૂર કરી શકશે. એવો પ્રશ્ન સહજ રીતે થાય.

નોટબંધીથી સર્જાયેલી આ અરાજકતા અને તેના કથિત ઉદ્દેશો પાર પાડવામાં અપેક્ષિત સફળતા સાંપડવાની સંભાવના નથી, તે પામી જઈને વડાપ્રધાને રાજકીય ચતુરાઈ વાપરીને એક સાવ નોખો ઉદ્દેશ રજૂ કરી દીધો. નોટબંધી દ્વારા નોટોની અછત સર્જીને તેઓ દેશના અર્થતંત્રને ‘કૅશલેસ’ બનાવવા માગે છે. નોટબંધી જાહેર કરવામાં આવી, ત્યારે કૅશલેસ અર્થતંત્રના જે ઉદ્દેશનો ઉલ્લેખ સરખો કરવામાં આવ્યો નહોતો. તે આજે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે અને મૂળ ઉદ્દેશો ભુલાઈ ગયા છે. વડાપ્રધાનની આ રાજકીય ચતુરાઈ દાદ માંગી લે તેવી છે. અફસોસ એટલો જ કે એ ચતુરાઈનો ઉપયોગ નોટબંધીના કુશળ આયોજન માટે થયો હોત, તો કરચોરીની બાબતમાં સાવ નિર્દોષ એવા ૯૦ ટકાથી અધિક લોકોને હાડમારી ન ભોગવવી પડત તેમજ છૂટક મજૂરી કરતા મજૂરોને રોજગારી ગુમાવવી ન પડત.

કૅશલેસ અર્થતંત્રનો અર્થ એવો નથી કે અર્થતંત્રમાં ચલણી નાણાંનો ઉપયોગ કર્યા વિના, ક્રૅડિટ કાર્ડ, ડૅબિટ કાર્ડ, મોબાઇલ જેવાં સાધનોનો ઉપયોગ કરીને બૅંકના માધ્યમથી જ બધી ચુકવણીઓ થતી હોય. કૅશલેસ ગણાતાં વિવિધ અર્થતંત્રોમાં રોકડ નાણાંના ઉપયોગ વિના થતા વિનિમયનું પ્રમાણ વિભિન્ન માલૂમ પડે છે. દા.ત. ફ્રાન્સના મૂલ્યની રીતે ૭૮ ટકા વિનિમય રોકડ નાણાંની મદદ વિના થાય છે; જર્મની અને અમેરિકામાં એ પ્રમાણ ૭૬ ટકા છે, જ્યારે ઓછા વિકસિત ચીનમાં એ પ્રમાણ ૫૩ ટકા અને તૂર્કસ્થાનમાં ૪૦ ટકા છે. ભારતમાં એ પ્રમાણ આજે ૨૨ ટકા છે, પણ ૨૦૨૫ સુધીમાં તે ૫૯ ટકા થશે એવો અંદાજ નોટબંધીપૂર્વે મૂકવામાં આવ્યો હતો. આમ, અર્થતંત્રના વિકાસ સાથે અર્થતંત્ર આપમેળે વધુ ને વધુ કૅશલેસ થતું જ જાય છે.

અર્થતંત્ર આ રીતે કૅશલેસ થાય તેને પરિણામે અર્થતંત્રમાં જી.ડી.પી.ના ટકા રૂપે ચલણી નાણાંનું પ્રમાણ ઘટે છે. ભારતમાં ચલણી નાણાંનું પ્રમાણ જી.ડી.પી.ના ૧૨ ટકા જેટલું છે. ચીનમાં તે ૨૦૦૦માં ૧૪.૬ ટકા હતું. તે ઘટીને ૨૦૧૫માં ૯.૧ ટકા થયું હતું. આ બે દેશોની સરખામણીમાં વધુ વિકસિત એવા મૅક્સિકોમાં ચલણનું પ્રમાણ ૫.૩૨ ટકા, બ્રાઝિલમાં ૩.૯૩ ટકા અને દક્ષિણ આફ્રિકામાં ૩.૭૨ ટકા છે. ભારતમાં નોટબંધી દ્વારા ચલણની તીવ્ર અછત સર્જીને લોકોને કૅશલેસ વ્યવહારો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેને પરિણામે દેશમાં જી.ડી.પી.ના ટકા રૂપે ચલણી નાણું કેટલું ઘટવા પામે છે, તે જોવાનું રસપ્રદ થશે. બહુ આશાવાદી થઈને આપણે એમ ધારીએ કે બે વર્ષમાં, એટલે કે ૨૦૧૮ના અંતે દેશમાં ચલણનું પ્રમાણ ઘટીને સાત ટકા થઈ જાય છે, અને જી.ડી.પી.માં ચાલુ ભાવે આજના દરે વધારો થયા કરે છે, તો ૨૦૧૮ના અંતે દેશમાં લગભગ ૧૨ લાખ કરોડનું ચલણ હોય. નોટબંધી પહેલાં દેશમાં ૧૬ લાખ કરોડનું ચલણ હતું. આમ, કૅશલેસ અર્થતંત્ર શબ્દશઃ કૅશલેસ થતું નથી, તેથી પ્રધાનમંત્રીના નિદાન પ્રમાણે જો ભ્રષ્ટાચારના મૂળમાં રોકડ નાણું હોય, તો એ તો અર્થતંત્રને કૅશલેસ કર્યા પછીયે રહેવાનું જ છે.

અર્થતંત્ર કૅશલેસ થાય, એટલે ઘણા બધા વ્યવહારો બૅંકોમાં નોંધાઈ જાય. તેથી લોકોને આવક છુપાવવાનો અવકાશ રહેતો નથી, એમ માનવામાં આવે છે, નોટબંધીનો જે લાંબા ગાળાનો લાભ ગણાવવામાં આવે છે તે આમાંથી નીપજે છે : કરચોરી ઘટે, તો સરકારની કરની આવક વધે. સરકારની કરની આવક વધતાં વિકાસલક્ષી તેમ જ સામાજિક સેવાલક્ષી ખર્ચ કરવાની સરકારની વિત્તીય ગુંજાશ વધે. પણ સરકારની વધતી વિત્તીય ગુંજાશનો ક્યાં કેવો ઉપયોગ થશે, તે એક અનિશ્ચિત બાબત છે.

પણ અર્થતંત્ર કૅશલેસ થવાથી ભ્રષ્ટાચાર અને કરચોરી ઘટી જશે એવું નિશ્ચિત રૂપે કહી શકાય તેમ નથી. ઉપર આપણે જે આંકડા ટાંક્યા છે તેમાંથી આ મુદ્દો ફલિત થાય છે. ચીનમાં રોકડ નાણાંનું પ્રમાણ નવ ટકા જેટલું વધારે હોવા છતાં તે દેશમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૨ ટકા જેટલું ઓછું છે. એની તુલનામાં મૅક્સિકોમાં ચલણનું પ્રમાણ ૫.૩૨ ટકા જેટલું ઓછું હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૨૯ ટકા જેટલું છે. ભારતમાં ચલણનું પ્રમાણ ૧૨ ટકા જેટલું વધારે હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૨૧ ટકા છે. એની તુલનામાં બ્રાઝિલમાં ચલણનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૩૭ ટકા જેટલું મોટું છે. મુદ્દો એ છે કે દેશના અર્થતંત્રમાં ચલણનું પ્રમાણ ઘટાડીને તેને કૅશલેસ કરવા માત્રથી દેશમાં ભ્રષ્ટાચાર અને કરચોરી નામશેષ થઈ જતાં નથી. એ માટે વિવિધ વહીવટી સુધારા અસરકારક રીતે કરવા પડે છે. અલબત્ત, એ સુધારામાં નોટબંધી જેવી નાટ્યાત્મકતા ન હોવાથી તેનાથી પ્રસિદ્ધિ અને રાજકીય લાભ મળતા નથી.

લખ્યા તા. ૯-૧૨-’૧૬

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 05-07 

Loading

...102030...3,4853,4863,4873,488...3,5003,5103,520...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved