Opinion Magazine
Number of visits: 9768646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોસ્ટ ટ્રુથ, ગુજરાત સ્ટાઇલ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|8 April 2017

અહેવાલનો પાઠ આમજનતાથી ઓઝલ છે ને બે અરજદારોને પણ એની નકલ મળ્યાનાં ઓસાણ નથી

અનર્થઘટન … સાહેબો, અક્ષરશ: અનર્થઘટન. બ્લફબહાદુરી તો કોઈ એમની કને શીખે. 2013માં એમ.બી. શાહ પંચે રજૂ કરેલો હેવાલ કાયદા વિભાગને અંધારામાં રાખી પરબારો જાહેર વહીવટ વિભાગના કબજામાં ધરબી હવે સાડા ત્રણ ચાર વરસે વિધાનસભામાં (અને તે પણ સત્રના છેલ્લા દિવસે અને ગૃહ સમસ્ત જોગ એક માત્ર નકલ રૂપે) પેશ કરીને રાજ્ય સરકાર રાબેતા મુજબ બાગે બહાર સેલ્ફી શૈલીએ વિધાનગૃહ મારફત તમને અને મને એટલે કે જે વાસ્તવિક એવા રાજકીય સાર્વભૌમ છે તેવા નાગરિકને ‘વધામણી’ આપે છે કે પંચે અમને ‘ક્લીન ચિટ’ આપી છે. અહેવાલનો પાઠ આખો તો અલબત્ત આમ જનતાથી ઓઝલ છે, જો ધારાસભ્યો કને પણ એની નકલ પહોંચી નથી તો સ્થાપિત પક્ષોની આઘાપાછીની એસીતેસી કરીને ચિત્રમાં પ્રવેશેલા બે અરજદારોને પણ એની નકલ આજથી તારીખે મળ્યાનાં ઓસાણ નથી. અલબત્ત, સન્માન્ય વિધાનસભ્યોએ કે નગણ્ય નાગરિક સમાજે એ અંગે મનમાં મલાલ રાખવાને કારણ નથી, કેમ કે સરકારશ્રીએ ટૂંકો સારાંશ બહાર પાડી કથિત કલીન ચિટ બાબતે ડંકે કી ચોટ કહ્યું જ છે. હરખ હવે તું ગુજરાત.

2013માં રજૂ થયેલ હેવાલ બાબતે સરકારે અનર્થઘટને તો અનર્થઘટન પણ  છેક 2017ના ચૂંટણી વરસમાં જાહેર કર્યું! આવું કંઈ પહેલી વારકું નથી બન્યું. શાહ પંચના હેવાલનો પહેલો ભાગ સપ્ટેમ્બર 2012માં રજૂ થઈ કલીન ચિટની સત્તાવાર જાહેરાત બરાબર એ જ દિવસે પામ્યો હતો જ્યારે ચૂંટણી પૂર્વ આચારસંહિતાનો અમલ શરૂ થવામાં હશે.

ઘડિયાં લગન, પરબારી જાહેરાત અને વિધાનસભા કોરાણે, એવું આ ગુજરાત મોડેલ જરી બરાબર દર્જ થાય, દસ્તાવેજ ધોરણે દર્જ થાય તે માટે હજુ એક-બે ઓર પૂર્વરંગ ઝલક આપું? હેવાલ ક્યાં ને ક્યારે, એવું ગૃહમાં – રિપીટ, ગૃહમાં – પૂછાયું ત્યારે 2013માં રાજ્ય પ્રધાનમંડળના વરિષ્ઠ મંત્રી  આનંદીબહેને કહ્યું હતું કે પૂછો રાજભવનને. મતલબ, હેવાલ રાજ્યપાલ પાસે છે. સન્માન્ય ધારાસભ્યો, ખબર નહીં આ ઘૂંટડો કેમે કરીને ગળી ગયા હશે. પણ નિરીહ નાગરિક બચાડો શું કરે, સિવાય કે ભાંગ્યાના ભેરુ સરખી આર.ટી.આઈ.નો સહારો લે. જુલાઈ 2013માં જવાબ મળ્યો, રાજભવન તરફથી, કે મળેલ નથી. એક ઓર પૃચ્છા અને નવેમ્બર 2014માં (મુખ્યમંત્રીની મે 2014ની પ્રધાનમંત્રી પદોન્નતિ પછી) રાજભવનનો એ જ પ્રતિસાદ – હેવાલ અમને મળ્યો નથી. વળતે મહિને, તા. 18-12-2014 અને આર.ટી.આઈ. પ્રાપ્ત સ્પષ્ટ વિગત કે સરકારે રાજ્યપાલને પણ જાણ કરી નથી.

આમ તો, સન્માન્ય નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.બી. શાહની સેવાઅો માગી લેવાઈ હતી તે પણ વિલક્ષણ સંજોગો હતા. નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.એ. મહેતાની હેડીના ટટ્ટાર જણ ગમે તે ક્ષણે લોકઆયુક્તપદનો હવાલો સંભાળશે એવા ભણકારા વાગતા હતા. મુખ્યમંત્રી મોદી ત્યારે જે આટાપાટા રમ્યા એ ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી મુજબ ‘મિની કૉન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’ સરજનારા હતા. પણ લોકઆયુક્તપદ અધિકારપૂર્વક કાર્યરત બને તે પૂર્વે ગાળિયો કાઢી નાખવા માટે આ પંચ એકાએક જાહેર થયું હતું એમ સાંયોગિક ધોરણે જોતાં સમજાય છે.

પુણ્યાત્માનાં અંતર તો આભ જેવાં અગાધ રહ્યાં, એનો સમગ્ર તાગ લેતી સ્પેસ-રે, તે માટેનું ગજું પણ નાચીજ નાગરિક કને ક્યાંથી હોય. પણ એક વાત છે, ચૂંટણીનું વરસ છે, અને વિધાનસભા વિસર્જનની વાતો પણ હવામાં છે. રાજ્ય વિધાનસભાને વિપળવાર પણ પોતાના વજૂદનો ખયાલ હોય તે એણે શાહ હેવાલની (ચાર વરસ તે પડી રહ્યો તે દરમ્યાનના અધિકૃત એ.ટી.આર. – ઍક્શન ટેઇકન રિપોર્ટ સહિતની) તત્કાળ ચર્ચા તો, અગ્રતાક્રમે, બલકે વિશેષ સત્રરૂપે મળવાની તૈયારી સાથે માગવી જોઈએ. નહીં તો, ‘ક્લીન ચિટ’ સરખા પોસ્ટ ટ્રુથ અનર્થઘટન સાથે એક ઓર ચૂંટણી … હરખ હવે તું ગુજરાત.

ઇચ્છીએ કે વિધાનસભા વજૂદનું વરદાન પામે. પણ, દરમ્યાન, સરકારી સારાંશના ઉજાસમાં અનર્થઘટન અને બ્લફબહાદુરીનો કંઈક ખ્યાલ જરૂર મેળવીએ. બને કે વિધાનસભ્યોને વજૂદની વાટે એથી કંઈક ભાથું વખત છે ને મળે.

પહેલો જ દાખલો ઇન્ડિગોલ્ડ રિફાઈનરીએ કચ્છમાં 36.25 એકર ખેતીલાયક જમીનની ખરીદી કર્યાનો લઈએ. પંચે કહ્યું છે કે આ બાબત સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન હોઈ અમે અભિપ્રાય આપી શકીએ નહીં. દેખીતી રીતે જ, અહીં પંચે સલામત અંતર જાળવ્યું હોય તો પણ તે કોઈ ક્લીન ચિટનો કિસ્સો નથી. દરમ્યાન, 2014માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે જેમાં રાજ્ય સરકારના નિર્ણયને રદબાતલ જાહેર કરવા સાથે તેને ‘રુલ ઑફ લૉ’ની ઉપરવટ જણાવી ધરાર ‘એરોગન્ટ’ કહ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને અને મહેસૂલ મંત્રીને અરજદારો મળ્યા તે પછી સરકારે લીધેલું આ મનસ્વી પગલું ગુનાઇત લેખાય એવું છે. મહેસૂલ મંત્રી આનંદીબહેને મુખ્યમંત્રી કાર્યાલયના સંપર્કમાં રહી આને ‘ખાસ કેસ’ ગણવાનું વલણ લીધું હતું તે લક્ષમાં લઈએ તો ગુનાઇત, જવાબદારી કયે પક્ષ નક્કી કરવાની છે તે સ્પષ્ટ થઈ જાય છે, અને સરકારે એપ્રિલ 2017 સુધી કોઈ પગલું નહીં ભરી ગુનાને કેવળ‌ અને કેવળ‌ છાવર્યો છે. (‘મિસયુઝ ઑફ પાવર હેઝ લેડ ટુ ધ કન્ક્લુઝન ધેટ ધિસ લીડ્ઝ ટુ ક્રિમિનલ ઍક્શન’)

સુજલાલ-સુફલામમાં થયેલી ગેરરીતિ ચર્ચામાં આવ્યે (અને કોઈને સજા નહીં થયે) હવે સહેજે દસકો થશે. પંચે એમાં જવાનું ટાળ્યું છે પણ પોતાની સલામતી શોધવા સાથે એટલું ઉમેર્યું છે કે કેગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડરટેઇકિંગ કમિટીએ આમાં યોગ્ય કરવાનું રહેશે. દેખીતી રીતે જ, આ દાખલો ક્લીન ચિટનો નથી પણ કેગ આદિ સંવૈધાનિક સંસ્થાઓ પરત્વે સરકાર પાસે અપેક્ષિત આજ્ઞાધીનતા અને આદરનો છે. હવે, સરકાર દ્વારા રચાયેલ વી.એસ. ગઢવી સમિતિ, મંજુલા સુબ્રમણ્યમ સમિતિ, કૅગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી સૌનું તારણ ‘ફોજદારી ગુના’નું છે. પ્રશ્ન તે મુજબ એફ.આઈ.આર. દાખલ કરી જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવાનો વસ્તુત: છે.

આવો જ પ્રશ્ન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો પણ છે. ઓઇલ અને ગેસના વિપુલ ભંડારો હોવાની કથિત માહિતીને ધોરણે જીઓ ગ્લોબલ કંપની સાથે જી.એસ.પી.સી.એ કરેલો કરાર (વાસ્તવમાં ગૅસ અને ઓઇલ નહીં મળતાં) શંકા અને તપાસના દાયરામાં છે. આ આક્ષેપો પંચના કહેવા પ્રમાણે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડર ટેઇકિંગ્ઝ કમિટી તેમ જ અંતે તો વિધાનસભાએ તપાસવાનાં રહે. પંચે આમ સૂચવી એક રીતે પોતાનું અંતર બનાવ્યું છે, તો બીજી રીતે સરકારની સંભવિત જવાબદારી ચીંધી છે. ગમે તમે પણ, એને ‘ક્લીન ચિટ’નો કિસ્સો તો નહીં જ કહી શકીએ.

રાંક બાપડા અરજદારોએ કોઈ પુરાવા રજૂ ન કર્યાનું પંચ અને સરકાર કહે છે. ભાઈ, તંત્ર અને પંચ, સુવિધાસમ્પન્ન અધિકારપ્રાપ્ત તો તમે છો. અરજદારોએ તો સ્થાપિત પક્ષોની આઘાપાછી પછી અને છતાં આક્ષેપોને તપાસવાની ફરજ પાડી. એક સવાલ-દારને નાતે સંબંધિત સૌને સાબદા કીધા. પંચને સંભવિત સ્રોતની ખબર આપી. પંચે એમને સમન્સ મોકલી હાજર કરવાની જરૂર કેમ ન જોઈ? અરજદારોએ ચીંધેલ દસ્તાવેજો સત્તાવાર મગાવી, તપાસવાની જરૂર કેમ ન જોઈ? એ તો એના અખત્યારનો ઇલાકો હતો.

રે, અનર્થઘટન!

પ્રકાશ ન. શાહ,  લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : ‘‘ક્લીન ચિટ’ના કાવાદાવા’, “દિવ્ય ભાસ્કર”, 08 અૅપ્રિલ 2017

Loading

એક જ માણસ છે આ ધરતી પર જે ઝાકળ જેટલો જ પવિત્ર તેમ જ પારદર્શક છે અને પાછો ગાંધીજીની માફક જાહેર જીવનમાં છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 April 2017

તિબેટે ચીન પર ભરોસો કરવો જોઈએ કે નહીં એવી મૂંઝવણની સ્થિતિમાં એક દિવસ સગીર વયના દલાઈ લામાએ નિર્ણય લઈ લીધો કે તેઓ હવે રાજકીય નિર્ણય ખુદ લેશે. રીજન્ટને હટાવી દીધા અને શાસનની ધુરા સંભાળી લીધી. અત્યંત મુશ્કેલ સ્થિતિમાં અને જગતના અત્યંત મુશ્કેલ પ્રદેશમાં ૧૫ વરસના તરુણે આવડું મોટું સાહસ કર્યું હતું એ જોઈને ચીનના સામ્યવાદી પક્ષના ચૅરમૅન માઓ પણ હેબતાઈ ગયા હતા

૧૯૯૨માં કોઈ નબળી ક્ષણે મેં લખ્યું હતું કે ભારતે હવે તિબેટનો બોજો ફગાવી દેવો જોઈએ. એ યુગનો પ્રચલિત જર્મન શબ્દ વાપરીએ તો એ રિયલપૉલિટિકનો જમાનો હતો જેને કારણે બર્લિનની દીવાલ તૂટી હતી અને એ પછી સોવિયેટ સંઘનો અંત આવ્યો હતો. ભારતમાં વડા પ્રધાન પી. વી. નરસિહ રાવે ચીન સાથેના સંબંધોને નવે પાટે ચડાવ્યા હતા જેમાં સરહદી ઝઘડાને આર્થિક અને અન્ય સહયોગમાં વચ્ચે ન લાવવાનો કરાર થયો હતો. બહુ મોટી પહેલ હતી અને એમાં તિબેટ એ જોડાનો ડંખ લાગતો હતો. ભારતે હવે સિદ્ધાંતપરસ્ત બનવાની જગ્યાએ વ્યવહારપરસ્ત બનવું જોઈએ એમ ત્યારે મેં લખ્યું હતું.

દલાઈ લામા વિશે મેં ત્યારે લખ્યું હતું કે દલાઈ લામા ગાંધી અને અહિંસાની વાત તો કરે છે, પરતું તેમનામાં ગાંધીજી જેટલી નિર્ભયતા અને તત્પરતા નથી. તેઓ વિદેશમાં ફરે છે, ભાષણો આપે છે; પરંતુ તિબેટિયન પ્રજા આંદોલિત થઈને અહિંસક સત્યાગ્રહ કરે એ દિશામાં તેમણે કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી. આવી ભાવના કેટલાક તિબેટી યુવકો પણ ધરાવતા હતા અને હજી આજે પણ ધરાવે છે. તેમને એમ લાગે છે કે ભારતમાં રહીને જિંદગી વિતાવવાથી કંઈ હાથમાં આવવાનું નથી એટલે તેઓ જોઈએ તો હિંસાનો માર્ગ પણ અપનાવવા આતુર છે. દલાઈ લામા તેમને રોકે છે. તેઓ કહે છે કે આવા પ્રતિકૂળ સમયખંડોથી વિચલિત થવાની જરૂર નથી, અંતિમ વિજય સત્યનો થવાનો છે.

મેં મારાં લખાણોમાં વ્યક્તિ અને પરિસ્થિતિના આકલનમાં અનેક વાર ભૂલો કરી છે જેમાં આ સૌથી ગંભીર ભૂલ છે. દલાઈ લામા કેટલા નિર્ભય છે, પરિસ્થિતિનું કેટલી હદે વસ્તુિનષ્ઠ આકલન કરી શકે છે, કેટલી હદે બીજાને ચાહી શકે છે અને એકલા પડીને પણ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે એની જાણ મને તેમની આત્મકથા ‘ફ્રીડમ ઇન એક્ઝાઇલ’ વાંચીને થઈ. ૧૯૫૦માં ચીને તિબેટ પર આક્રમણ કર્યું અને ૧૭ મુદ્દાની સમજૂતી તિબેટ પર ધરાર લાદી ત્યારે દલાઈ લામાની ઉંમર માત્ર ૧૫ વરસની હતી. દલાઈ લામા સગીર વયના હોવાથી તેમના વતી તિબેટ પર રીજન્ટ શાસન કરતા હતા. તિબેટીઓ નિર્ણય નહોતા લઈ શકતા કે ચીન પર ભરોસો કરવો જોઈએ કે નહીં અને માથે મારી હોવા છતાં સમજૂતીને એક તક આપવી જોઈએ કે નહીં. ૧૫ વરસના દલાઈ લામા એ સમયે તિબેટ પરના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘સેવન યર્સ ઇન તિબેટ’ના લેખક હેન્રિક હેરર પાસે ફોટોગ્રાફી શીખતા હતા, મોટરકારની ટેક્નૉલૉજી સમજતા હતા અને બાકીનો સમય તિબેટમાં શું બની રહ્યું છે એ જોતા રહેતા હતા.

એ મૂંઝવણની સ્થિતિમાં એક દિવસ દલાઈ લામાએ નિર્ણય લઈ લીધો કે તેઓ હવે રાજકીય નિર્ણય ખુદ લેશે. રીજન્ટને હટાવી દીધા અને શાસનની ધુરા સંભાળી લીધી. અત્યંત મુશ્કેલ સ્થિતિમાં અને જગતના અત્યંત મુશ્કેલ પ્રદેશમાં ૧૫ વરસના તરુણે આવડું મોટું સાહસ કર્યું હતું એ જોઈને ચીનના સામ્યવાદી પક્ષના ચૅરમૅન માઓ પણ હેબતાઈ ગયા હતા. દલાઈ લામાએ ૧૭ મુદ્દાની સમજૂતીને એક ચાન્સ આપવાનો નિર્ણય લીધો અને વધુ સ્પષ્ટતા કરવા માટે બીજિંગ (ત્યારે પેકિંગ) જવાનો નિર્ણય લીધો હતો. એ જમાનામાં લ્હાસાથી ચીન જવા માટે ખચ્ચર સિવાય બીજું કોઈ સાધન નહોતું. મહિના-બે મહિનાનો લાંબો પ્રવાસ હતો અને ઉપરથી સંદેશવ્યવહાર માટે સંદેશવાહક સિવાય કોઈ સાધનો નહોતાં. તિબેટિયનો દલાઈ લામાના આવા નિર્ણયથી ડઘાઈ ગયા હતા. દલાઈ લામાને મારી નાખશે તો? જેલમાં પૂરી દેશે તો? બીજિંગમાં તેમનું શું થયું એ જાણવા માટે પણ કોઈ માર્ગ નથી. કોઈ સંદેશવાહક બીજિંગથી સંદેશ લઈને આવવાનો નથી.

તેમના મિત્ર હેન્રિક હેરર, તિબેટમાં જે કોઈ બુદ્ધિશાળીઓ હતા એ, તિબેટનો શાસકવર્ગ અને પ્રજાની ચીન ન જવાની ગુહારને અવગણીને દલાઈ લામાએ ચીનનો પક્ષ સાંભળવા અને રસ્તો શોધવા બીજિંગ જવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તેમની વય ૧૮ વરસની હતી. દલાઈ લામાના આશ્ચર્ય વચ્ચે ચીનમાં માઓ ઝેદોન્ગે તેમનું ઉમળકા સાથે સ્વાગત કર્યું હતું અને તેમને પુત્રવત પ્રેમ કરતા હતા. દલાઈ લામાને સમજાતું નહોતું કે આટલો કોમળ અને પ્રેમથી છલકાતો માણસ આખેઆખી પ્રજાને અન્યાય કરી કેમ શકે? આ બાજુ ચર્ચામાં માઓ તિબેટને કોઈ રાહત આપતા નહોતા. એક બાજુ જેમના ખોળામાં માથું મૂકીને નિશ્ચિંત થઈને સૂઈ જવાનું મન થાય એવો બાપ જેવો વર્તાવ અને બીજી બાજુ ચર્ચાના ટેબલ પર દરેક માગણીના પ્રતિસાદમાં એ જ જવાબ; આપણે વિચારીશું, રસ્તો કાઢીશું. જો વિદેશી મહેમાનો આવ્યા હોય તો દલાઈ લામાનું સ્થાન માઓની બાજુમાં હોય. તેમનો પરિચય તિબેટી ધર્મગુરુ તરીકે અને સ્વાયત્ત તિબેટના સ્વતંત્ર શાસક તરીકે કરાવે.

મહિનાઓ સુધી આ રમત ચાલતી રહી. નહોતી માઓના પ્રેમમાં ઓટ આવતી કે નહોતું દલાઈ લામાને કંઈ હાથ લાગતું. દલાઈ લામા તેમની આત્મકથામાં લખે છે કે બીજિંગ છોડીને લ્હાસા પાછા ફર્યા પછી પણ તેઓ નક્કી નહોતા કરી શકતા કે તેમણે માઓ પર ભરોસો રાખીને તેમના ખોળામાં માથું મૂકી દેવું જોઈતું હતું કે નહીં? ૨૦૦૭માં દલાઈ લામાને મળવાની તક મળી ત્યારે મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે હવે આટલાં વર્ષે માઓ વિશેની તમારી વિમાસણનો અંત આવ્યો છે ખરો? તેમણે બાળકની જેમ ખડખડાટ હસીને કહ્યું હતું કે ના, માઓનો અફાટ પ્રેમ હજી પણ કોયડા સમાન છે. એક જ સમયે એક માણસની અંદર બે માણસ કેવી રીતે હોઈ શકે? માઓઝ સ્માઇલ. એ જમાનામાં ભારતના બીજિંગ ખાતેના રાજદૂત સરદાર પણ્ણીકર સહિત અનેક લોકોને માઓના સ્મિતે ભ્રમમાં નાખ્યા હતા.

તેમની મહાનતાની ત્રીજી ઘટના ૧૯૫૬ની સાલની છે. તેઓ ભગવાન બુદ્ધની ૨૫૦૦મી જન્મજયંતીના ઉત્સવમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. તેમની ઇચ્છા ભારતમાં રહી જવાની હતી, પરંતુ જવાહરલાલ નેહરુએ તેમને વતન પાછા ફરીને વાટાઘાટ દ્વારા રસ્તો શોધવાનો વધુ એક પ્રયાસ કરી જોવાની સલાહ આપી હતી. તિબેટ પાછા ફરવું એટલે મોતના મોઢામાં સામે ચાલીને જવા જેવું લાગતું હતું, પરંતુ દલાઈ લામાએ સાચા ગાંધીજન તરીકે વતન પાછા ફરવાની હિંમત બતાવી હતી. પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો અને આખરે ૧૯૫૯ની ૩૧ માર્ચે તેઓ નાસીને ભારત આવી ગયા હતા. બરાબર આજની તારીખે તેઓ ૫૮ વરસ પહેલાં અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગના મઠમાં પહોંચ્યા હતા, જ્યાં અત્યારે તેઓ ગયા છે અને ચીન તેમની મુલાકાતનો વિરોધ કરી રહ્યું છે.

માઓથી ઊલટું દલાઈ લામાની અંદર એક જ માણસ છે. નિરુપાધિક સહજાવસ્થા કેવી હોય એ દલાઈ લામામાં જોવા મળે. કોઈ પણ સંજોગોમાં ભારત સરકારે દલાઈ લામા અને તિબેટનો હાથ ન છોડવો જોઈએ, ચીન ગમે એટલાં ઉધામા કરે. એકમાત્ર માણસ છે આ ધરતી પર જે ઝાકળ જેટલો પવિત્ર અને પારદર્શક છે અને પાછો ગાંધીજીની માફક જાહેર જીવનમાં છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 અૅપ્રિલ 2017

Loading

જીવતું પુસ્તકાલય – એક અનોખો પ્રકલ્પ

આશા બૂચ|Opinion - Opinion|7 April 2017

માન્ચેસ્ટરમાંનાં મારાં 35 વર્ષનાં રહેઠાણ દરમ્યાન અનેક પ્રકલ્પો અને પ્રવૃત્તિઓમાં હિસ્સેદાર બનવાનું સદ્ભાગ્ય મળ્યું જેણે મારી અનુભવ સમૃદ્ધિમાં ઉમેરો કર્યો છે. એવી અનેક તકોમાંની એક હતી ‘જીવતું પુસ્તકાલય’માં એક પુસ્તક બનવાની.

Living Library એક એવો પ્રકલ્પ છે જે બ્રિટનનાં ઘણાં શહેરોમાં અમલમાં મુકાયેલો છે. અલબત્ત તેનાં સ્વરૂપ અને ‘વાચકો’ પર થયેલ અસર દરેક સ્થળે અલગ અલગ જોવા મળી છે.

આ ‘જીવતું પુસ્તકાલય’ ચીજ કઈ છે? માન્ચેસ્ટરના કેન્દ્રીય પુસ્તકાલયે બૃહદ્દ માન્ચેસ્ટરમાં વસતા જુદા જુદા ક્ષેત્રમાં સક્રિય હોય તેવાં પુરુષો અને મહિલાઓને સ્વેચ્છાએ પોતાનો સમય એક ‘પુસ્તક’ બનવા માટે નિમન્ત્ર્યાં. દરેક વ્યક્તિ પાસેથી પોતાના વિચારો કે કાર્યની ઝાંખી કરાવતા વિધાનો એકઠા કરવામાં આવ્યા, જેને એક બનાવટી પુસ્તકના પાછલા પૃષ્ઠ પર છાપીને એક પુસ્તકોના ઘોડા પર મુકવામાં આવેલ. લગભગ વીસેક જેટલાં સજ્જન-સન્નારીઓએ ભાગ લીધેલો.

પોતાના જીવનની કિતાબ લોક સમક્ષ ખુલ્લી મુકનારાઓમાં એક બહેન પોતાને ડાયાબિટીસનું નિદાન થયા પછી રહેણી-કરણી અને ખાણી-પીણીમાં કરવા પડેલ ફેરફારને કારણે જે રસપ્રદ અનુભવો થયા તે કહેવા આવેલ. તો વળી, એક સજ્જન સ્પેશ્યલ સ્કૂલમાં ભણેલા, વિકલાંગ હોવાને કારણે લાંબા સમય સુધી વ્યવસાય મેળવી ન શકવાને પરિણામે, જે જીવન ભાથું બાંધવા મળ્યું તેની કથા કહેવા તત્પર હતા. અલબત્ત લેસ્બિયન, ગે, બધિર, અંધ અને જીવનને મર્યાદિત કરતી અન્ય ક્ષતિઓ વાળી હસ્તીઓનો પણ સહજ સમાવેશ કરાયેલો. એક મહિલાએ છેલ્લા છ દાયકામાં આ દેશના લોકો કેટલા બદલાયા છે, અહીંનું સામાજિક માળખું તૂટતું જાય છે, જેના પરિણામે પૂર્વગ્રહો અને વિભાજન વધતું જાય છે, તેનો સ્વાનુભવ કહેવા અભિયાન આદરેલું. એક રસપ્રદ છતાં ખેદજનક કિસ્સો જાણ્યો, એક યુવાન સ્ત્રી ત્રણ બાળકોની માતા, પતિથી છુટા પડવું પડ્યું, પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, પણ આવકમાં પૂર્તિ કરવા સરકારી બેનિફીટનો આશરો લેવો પડ્યો જેથી કરીને સ્નાતક થયેલી, સ્વમાનથી ત્રણ બાળકોના ઉછેર અને શિક્ષણની જવબદારી ઊઠાવતી હોવા છતાં ‘સરકારની દયા પર નભનારી’ એવું લેબલ લગાવી લોકો તેને કેવી ઊતરતી ગણે છે, તેની દર્દ ભરી દાસ્તાન કહેતી સાંભળી. ઝિમ્બાબ્વેમાં પેદા થયેલ એક યુવતી, 2006માં શરણાર્થી તરીકે માન્ચેસ્ટર આવી, ત્યારથી સરકારી મદદ ઉપર નભવાને બદલે જુદા જુદા સ્વૈછિક સંગઠનોમાં કામ કરે છે અને અન્ય દેશોમાંથી આવેલાને આવાસ અને વ્યવસાય શોધવામાં સહાય કરે છે. કેવી ઉમદા નારી!

અહીં મારી દાસ્તાનની રૂપરેખા પણ શામેલ કરું:

પુસ્તકાલયમાં આવનારાઓ કોઈ પણ એક પુસ્તક પાછળ લખેલ પૂર્વભૂમિકા વાંચે, પોતાને રસ પડે તેવું લાગે તો બહાર ઊભેલા મદદનીશને જણાવે, જે તેના લેખક/લેખિકા સુધી એ ‘વાચક’ને દોરી જાય અને ત્યાર બાદ એ ‘વાચક’ પેલા ‘પુસ્તક’ને સવાલો પૂછીને તેમના જીવનનાં પાનાં જાણે વાંચતાં જાય. મારે ભાગે છ કલાક દરમ્યાન દસેક ‘વાચકો’ સાથે ગોષ્ઠી કરવાનું આવ્યું જેમાં યુરોપ, રશિયા, મિડલ ઇસ્ટથી આવેલ યુવાન સ્ત્રી-પુરુષો, જુઇશ યુથ વર્કર, યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ, શિક્ષિકાઓ, શરણાર્થીઓ અને સંગીત રસિયાઓનો સમાવેશ હતો.

મેં નોંધ્યું કે કોઈની જીવન કથા ટેબ્લેટ પર ‘ડાઉન લોડ’ કરીને વાંચી શકાય કે પુસ્તક ખરીદીને વાંચી પણ શકાય. પણ એ લખનારાઓ યા તો કઇંક સિદ્ધિ મેળવી ચૂકેલા પ્રખ્યાત લોકો હોય અથવા કોઈ ક્ષેત્રના નિષ્ણાત હોય છે. જ્યારે સમાજમાં આપણી આસપાસ રહેનારા ‘સામાન્ય જન’ના જીવનમાં ડોકિયું કરવાની તક મળે, તો તેમની કથા રસ પડે તેવી, પ્રેરણાદાયી, પોતાના જીવનને માર્ગદર્શક બને તેવી, કરુણા ઉપજાવે તેવી અને ઘણા કિસ્સાઓમાં આંખ ઉઘાડનારી સાબિત થતી હોય છે. એવું એ ‘વાચકો’ના અભિપ્રાય પરથી લાગ્યું. આ ‘ડિજિટલ’ જગતમાં માણસ માણસ વચ્ચેનો પારસ્પરિક બોલચાલનું તંતુ તૂટતો જાય છે જે હવે કેટલાકને અવસાદમાં ડુબાડી દેવા લાગે છે અને સહુએ એકી અવાજે કહ્યું કે તેમની પસંદગીના ‘પુસ્તક’ સાથે વાત કરીને તેમનું જીવન વાંચવાની મજા કઇં ઓર આવી. વિવિધ ચામડીના રંગ ધરાવતા, વિવિધ શારીરિક-માનસિક શક્તિઓ ધરાવતાં લોકોની સન્મુખ થવાથી કેટલાક પૂર્વગ્રહો ભાંગ્યા, તો કેટલાકને આઘાત લાગ્યો, ક્ષોભ થયો.

આવા પ્રકલ્પો સમાજને નિકટ લાવે, સંવાદી બનાવે અને એકબીજા માટે સહિષ્ણુ બનાવે તેમાં શંકા નથી.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,4753,4763,4773,478...3,4903,5003,510...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved