Opinion Magazine
Number of visits: 9768407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંપારણ સત્યાગ્રહ : આઝાદી આંદોલનનો ટર્નિંગ પોઇન્ટ

સુદર્શન આયંગાર|Gandhiana|10 April 2017

રાજકુમાર શુક્લ નામની એક વ્યક્તિએ 1916ની લખનૌની કૉગ્રેસની મહાસભા વખતે ગાંધીજીનો કેડો પકડ્યો. ‘વકીલ બાબુ, આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહેતા જાય અને ગાંધીજીને ચંપારણ આવવા માટે નિમંત્રણ આપતા જાય. ચંપારણના બેતિયા તાલુકાના મુરલી ભારવાહ ગામના આ ખેડૂતે જિલ્લાના તેના જેવા જબરદસ્તીથી ગળીની ખેતી કરતા નાના ખેડૂતોને લોભિયા અંગ્રેજ માલિકોના શોષણથી મુક્ત કરાવવા સંકલ્પ કર્યો હતો અને તેના માટે યોગ્ય નેતૃત્વની શોધમાં હતો.

હિમાલયની તળેટીમાં આવેલા ઉત્તર બિહારના ચંપારણ જિલ્લા વિશે ગાંધીજી કશું જાણતા ન હતા. ગળીના ઉત્પાદન વિશે પણ તેમની સમજ નહિવત્ હતી. પણ શુક્લના ભોળા આગ્રહને વશ થઈને તેઓ ગયા અને ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીના પહેલા બિનરાજકીય પણ મહત્ત્વપૂર્ણ સત્યાગ્રહ તરીકે પંકાયો. ઓગણીસમી સદીના આરંભે ચંપારણ જિલ્લામાં ગળીનાં 70 જેટલાં કારખાનાં આવ્યાં. અંગ્રેજ માલિકોએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને બાનમાં પકડ્યા.

દરેક ખેડૂતે ત્રણ કઠિયા (તત્કાલીન વીઘે 20 કઠિયા) જમીનમાં ગળીની ખેતી કરવાની અને જે કિંમત માલિક નક્કી કરે તે કિંમતે માલિકને આપી દેવાની પ્રથા. આ ‘તીન કઠિયા’ પદ્ધતિમાં ‘ક્યાં વાવેતર કરવું’થી માંડી બધા જ નિર્ણયો અંગ્રેજ માલિકો વતી તેના કારભારીઓ લે. કોઈ ખેડૂત વિરોધ કરે તો તેના પર પારાવાર જુલમ થાય. ખેડૂતોએ કોર્ટ-કચેરી પણ કરી; પણ એમાં તો વકીલો જ ફાવ્યા. સરવાળે ચંપારણના ખેડૂતો બેહાલ થઈ ગયા હતા.

રાજકુમાર શુક્લે પણ અવાજ ઉઠાવ્યો હતો અને તેઓ પણ જુલમના ભોગ બન્યા હતા. પણ હાર ન માનતા, તેઓએ હામ ભીડી અને પ્રયત્નો ચાલુ રાખ્યા. તેની પડખે વકીલ બ્રજકિશોરબાબુ હતા જે કંગાલ ખેડૂતોના કેસ નીચી અને કોઈવાર નહિવત્ ફી સાથે લડતા. જે વકીલબાબુ વિશે શુક્લ ગાંધીજીને કહેતા હતા, તે આ જ. એમણે જ લખનૌમાં ગાંધીજીને પ્રાથમિક માહિતી આપી હતી.  ગાંધીજી 9 એપ્રિલ 1917ના રોજ કોલકાતાથી ચંપારણ જવા શુક્લ સાથે નીકળ્યા અને પટણા પહોંચ્યા. પહેલા ઉતારે યોગ્ય પ્રતિભાવ ન મળ્યો. પોતે ઇંગ્લેન્ડ ભણતા ત્યારના સહપાઠી મૌલાના મજહરુલ હક્ક યાદ આવ્યા.

ચંપારણ સત્યાગ્રહની કેટલીક સગડ કુમાર શુક્લની ડાયરીમાંથી જડે

શુક્લને ચિઠ્ઠી લખી એમની પાસે રવાના કર્યા, તેઓ તરત મોટર લઈને આવ્યા અને ઘરે લઈ ગયા અને વીતક જાણી. પોતે જમીની હકીકતથી સુપેરે વાકેફ નથી – તેવી નિખાલસ કબૂલાત કરી. જમીન કાયદાની જે સમજ અને માહિતી હતી તે આપીને કહ્યું કે, અસલ કામ તો સ્થળે પહોંચીને સમજાય અને થાય. મુઝફ્ફરપુર જવાનું સૂચવ્યું. રાતની જ ગાડીમાં રવાના થતા પહેલાં ગાંધીજીને યાદ આવ્યું કે કૃપાલાની મુઝફ્ફરપુરની કોલેજમાં અધ્યાપક છે, તેમને તાર કર્યો. કૃપાલાની વિદ્યાર્થીઓ સહિત ઉત્સાહભેર લેવા આવ્યા.

કૉલેજ આચાર્ય અંગ્રેજ, કૃપાલાનીને કહે કે, આ તોફાની ગાંધીને પરિસરમાંથી કાઢો. કૃપાલાનીએ નોકરી છોડી દીધી અને કાયમ માટે ગાંધીજી સાથે  જોડાઈ ગયા.  ગાંધીજી સાથે જોડાયા વકીલોના આગેવાન બ્રજકિશોરબાબુ અને બાબુ રાજેન્દ્રપ્રસાદ અને મંડળી પહોંચી જિલ્લાના મુખ્ય મથક મોતીહારી. ગાંધીજીએ વકીલ ટોળકીને જણાવ્યું કે, પ્રશ્નનો ઉકેલ કાયદામાં નથી, આ તો ન્યાયની માગણી છે. ખેડૂતોના સત્યની ધરાર અવગણના થઈ છે; એટલું જ નહીં તેમની પર પારાવાર જુલમ થઈ રહ્યા છે. અંગ્રેજ માલિકો તેમને થતા આર્થિક નુકસાનનો બોજો પણ ખેડૂતો પર નાખે છે.

જમીનનાં ભાડાં વધારી સાથે જાત-જાતના લાગા (જેને અબવાબ કહેતા) નાખે છે અને ક્રૂર અને હિંસક રીતે વસૂલે છે. ગાંધીજીને સત્યાગ્રહની ભૂમિકા દેખાઇ. પણ તે માટે પરિસ્થિતિનો અભ્યાસ અને એકેએક ખેડૂતની વીતક, જમીન વગેરેના આંકડા, કરાર દસ્તાવેજ ભેગા કરવાના થાય. વકીલોને એમાં જોતર્યા. મોતીહારી પહોંચી તરત જુલમની તપાસ કરવા એક ગામે હાથી પર નીકળ્યા. પોલીસે અટકાવીને 144ની કલમ લગાડી તરત જિલ્લો છોડી દેવાનો કલેક્ટરનો સમન બજાવ્યો.

ગાંધીજી અન્યોને તપાસમાં મોકલી પોતે મોતીહારી પહોંચ્યા. કલેક્ટરને પત્ર લખી જણાવ્યું કે તેઓ તપાસ માટે આવ્યા છે અને પૂરી તપાસ કર્યા વગર જવાના નથી. વીજળી-વેગે વાત ફેલાઈ ગઈ અને મોતીહારીમાં ખેડૂતોનો માનવ-મહેરામણ. ખેડૂતોમાં પારાવાર જિજ્ઞાસા કે, આ કોણ મહાત્મા તેમના કાજે પોતે જેલ જવા અંગ્રેજો સામે પડ્યો છે? મેજિસ્ટ્રેટ અને પોલીસ ચિંતામાં, કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન થાય તો?

તેમણે ધારેલું કે ગાંધીજી કોર્ટમાં આવી બચાવ કરશે. પણ ગાંધીજીએ તો કાયદાભંગનો સ્વીકાર કર્યો. જે દિવસે તેમની પર કામ ચાલવાનું હતું, તેની આગલી રાત્રે ગાંધીજીએ તૈયારીઓ કરી. ગવર્નર જનરલને લખ્યું, કૈસરે-હિંદનો ચંદ્રક પાછો મોકલ્યો. પંડિત મદન મોહન માલવિયા, આશ્રમમાં મગનલાલ અને ભ્રમણ કરતા દીનબંધુ એન્ડ્રુઝને પરિસ્થિતિથી વાકેફ કર્યા. મેજિસ્ટ્રેટ સામે આપવાનો જવાબ તૈયાર કર્યો. સવારે એટલા શાંત કે લોકોની ભીડ પર કાબૂ કરવા પોલીસની મદદમાં આવી ગયા.

સરકારી વકીલે મુદત માગી અને મેજિસ્ટ્રેટને પણ રાહત લાગી. પણ ગાંધીજીએ કહ્યું કે તેઓ જવાબ વાંચશે. ગુનો સ્વીકારતા તેમણે કહ્યું, ‘હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોઈ, મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે – એટલે કે અંતરાત્માનો અવાજ – તેને અનુસરવાનો મારો ઉદ્દેશ છે, એ જ મારે જણાવવું હતું.’ મેજિસ્ટ્રેટે ચુકાદો ત્રણ દિવસ માટે અનામત રાખ્યો. આ બનાવની સ્થાનિક વિસ્તારો સહિત જિલ્લામાં અને આખા દેશમાં જાદુઈ અસર થઈ. ચંપારણના ખેડૂતોનો ભય ભાંગ્યો.

સરકારે ગાંધીજીને તપાસ માટે પરવાનગી આપી. જિલ્લા તંત્ર અને અંગ્રેજ માલિકોને લાગ્યું કે હવે તેઓ ખુલ્લા પડશે. પરિણામે દબાણ કર્યું. જૂનમાં બિહારના ગવર્નરે ગાંધીજીને તપાસ સમેટી અને હેવાલ આપવા જણાવ્યું. ગાંધીજીએ વચગાળાનો હેવાલ મોકલ્યો, જેમાં અન્યાય અને જુલમની વિગતો અને કાયદાભંગના વિગતે દાખલા હતા. તેમણે એક તપાસ પંચની માગણી કરી. ગવર્નરે એ વાત માન્ય રાખી અને ગાંધીજીને એક સભ્ય થવા સૂચવ્યું. ગાંધીજીએ શરત મૂકી કે તેઓ ખેડૂતોના પક્ષકાર તરીકે રજૂઆતો કરશે. શરત ગ્રાહ્ય રહી અને જૂન 1917થી ઓક્ટોબર 1917 સુધી આ પંચે સહુની જુબાનીઓ લીધી.

ગાંધીજીએ પણ 12,000 કિસ્સાઓ અને સ્થળ મુલાકાતોના આધારે રજૂઆત કરી. પંચે અંતે હેવાલ રજૂ કર્યો. જે સ્વીકૃત રહ્યો. ‘તીન કઠિયા’ પ્રથા રદ કરવામાં આવી. ખેડૂતો પાસેથી વસૂલેલા તાવાનના પચ્ચીસ ટકા નાણાં ખેડૂતોને પાછાં આપવાના હુકમ થયા. જબરજસ્તીથી ગળીની ખેતી કરનાર ખેડૂતો છૂટ્યા અને શોષણમુક્ત બન્યા.  ગાંધીજીની મોટી સિદ્ધિ જે આવનાર વર્ષોમાં પણ ખૂબ કામ લાગી તે ગામડાની ગરીબ પ્રજામાં ભયનિર્મૂલનની હતી. ચંપારણ સત્યાગ્રહના લીધે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ સમગ્ર દેશમાં નવચેતનાની લહેર દોડી ગઇ.

અહિંસાત્મક સત્યાગ્રહ અને સત્યની ટેક રાખવા ગાંધીજીએ લોકોમાં અભય કેળવ્યું. લોકો નિર્ભય બન્યા. માત્ર સંઘર્ષ જ – ગાંધીજીની ભૂમિકા ક્યારે ય રહી ન હતી. એમણે જોયું કે ચંપારણનાં ગામોમાં ખેડૂતો અને અન્ય લોકો ખૂબ જ ગરીબ પણ સાથે ગંદા અને નિરક્ષર હતા. ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી અને અન્ય સ્થળોએથી લોકોને તેડાવ્યા. મહાદેવભાઈ, દુર્ગાબહેન, કસ્તૂરબા, અને અન્ય પંદર લોકો આવ્યાં. ચંપારણના ગામમાં વસ્યાં. શિક્ષણ અને સફાઈનાં કામ મોટા પાયે ઉપાડ્યાં. ગામના લોકોને પણ જોતર્યા. ભીતિ હરવા ગામમાં આજે પણ કસ્તૂરબાના નામે નિશાળ ચાલે છે.

વકીલ મંડળીને સાથે આ કામમાં રાખી તેમને અત્યંત સાદાઈથી રહેતા શીખવાડી, તેઓ કઈ રીતે રાષ્ટ્રસેવા માટેના ઉત્તમ સેવકો બની શકે તેનું દૃષ્ટાંત દેશ સામે મૂક્યું. આ ત્રણ સિદ્ધિઓને લીધે અને સેવક-નેતૃત્વની પોતાની આગવી શૈલી અને આચરણને લીધે ગાંધીજી કોંગ્રેસ અને તેના તત્કાલીન શીર્ષ નેતાઓથી અલગ નીકળ્યા અને રાષ્ટ્રીય ફલક પર સ્થાપિત થયા.

આજે ફરી દેશના નાના ખેડૂતો બેહાલ થતા જાય છે. ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીની વેળાએ નાના ખેડૂતોનો સંપોષિત વિકાસ થાય તે માટે સમાજે કટિબદ્ધ થવાની જરૂર જણાય છે.

(લેખક મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક છે.)

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 અૅપ્રિલ 2017

Loading

મેહેર બાબા, ગાંધીજી અને એક ખોવાયેલું પુસ્તક

વિશાલ શાહ|Opinion - Opinion|10 April 2017

મેહેર બાબાએ કરેલા એક મહાન પ્રયોગને સમજવાની દરકાર સુદ્ધા ના કરાઈ. તેમણે અતિ ઉન્માદી અને પાગલોને શોધવા આખા દેશમાં રઝળપાટ કરી હતી કારણ કે, એ લોકો ઈશ્વરની સૌથી વધારે નજીક હોય છે. પાગલોને ફક્ત તેમની સમજશક્તિને ફરી એકવાર ઝકઝોરી શકે એવી વ્યક્તિની જ જરૂર હોય છે. એ પછી તેઓ પણ ગુરુ બની શકે છે …

દરેક ગુરુએ એ કક્ષાએ પહોંચતા પહેલાં પાગલ બનવું પડે છે. તેણે જબરદસ્ત પાગલપનમાંથી પસાર થવું પડે છે. જો કે, દરેક પાગલ કંઈ ગુરુ નથી હોતા. જો પાગલ એક પાગલ તરીકે જ મૃત્યુ પામે તો એ પણ ચોક્કસ ઇશ્વરને મળે છે, પરંતુ બીજા લોકોને ઇશ્વર સુધી પહોંચવામાં મદદ નથી કરી શકતો …

જો કોઈ પાગલ પ્રબુદ્ધ માણસના શરણે હોય તો તે કહેવાતા ડાહ્યા માણસ કરતા વધારે ઝડપથી આત્મજ્ઞાન ઝડપથી મેળવી શકે છે. આ પૂર્વની પરંપરા છે, જેને એક વ્યક્તિએ પુન: જીવિત કરી અને એ વ્યક્તિ એટલે મેહેર બાબા …

આ ખૂબ જ વિચિત્ર દુનિયા છે. અહીં મહાન કામની કદર ના પણ થાય! કોઈને મેહેર બાબાના કામથી હેરાની જ ના થઈ. મધર ટેરેસાને નોબેલ પુરસ્કાર મળ્યો કારણ કે તેમણે ગરીબ અને અનાથ બાળકોની સેવા કરી, પરંતુ કોઈએ મેહેર બાબાને નોબેલ પુરસ્કાર આપવાનું ના વિચાર્યું, જેમણે ખરેખર મહાન કામ કર્યું હતું. આવી વ્યક્તિઓ સદીઓમાં એક પાકતી હોય છે …

***  

મેહેર બાબા વિશે આ અભિપ્રાયો ક્રાંતિકારી વિચારક ઓશો રજનીશે આપ્યા હતા. ઓશો અનેક પ્રવચનોમાં પોતાના અનુયાયીઓને મેહેર બાબાએ કરેલા આધ્યાત્મિક પ્રયોગો કેટલા મૂલ્યવાન છે એ સમજાવતા. મેહેર બાબા આઝાદીની લડતના કાળમાં થઈ ગયેલા ગૂઢ રહસ્યવાદી પરંપરાના આધ્યાત્મિક ગુરુ હતા. ૭૪ વર્ષના આયુષ્યમાં મેહેર બાબાએ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી મૌન પાળ્યું હતું. મેહેર બાબા વિશે ભારતીયો ઘણી ઓછી જાણકારી ધરાવે છે, પરંતુ એક સમયે અમેરિકા-યુરોપની હાઈ સોસાયટી તેમ જ કંઈક અંશે પાગલપનમાં જીવન વ્યતિત કરતા પોપ સિંગર, રોક સ્ટાર, મ્યુિઝશિયન અને હોલિવૂડ સ્ટાર્સમાં તેમણે પ્રચંડ લોકપ્રિયતા મેળવી હતી. ઓશો રજનીશ જેવા અતિ વિચક્ષણ વિચારક પણ મેહેર બાબાના આધ્યાત્મિક પ્રયોગોની જાહેરમાં સરાહના કરતા. જો કે ભારતમાં મેહેર બાબાનું જીવન, તેમણે કરેલા આધ્યાત્મિક પ્રયોગો અને ગૂઢ આધ્યાત્મિક વિચારોની ઐતિહાસિક દૃષ્ટિએ પણ મૂલવણી નથી થઈ, જે આપણી ઇતિહાસ પ્રત્યેની ઘોર ઉદાસીનતા દર્શાવે છે.

૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ

આજે ય ભારતમાં ગુજરાત સહિત અમેરિકા, યુરોપના અનેક દેશો, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, જાપાન, કોરિયા, ઈઝરાયેલ અને ઈરાન જેવા દેશોમાં પણ મેહેર બાબાના અનુયાયીઓ છે. ગુજરાતી ભાષામાં પણ મેહેર બાબાની પ્રાર્થનાઓ છે. મેહેર બાબાના અનુયાયીઓ દૃઢપણે માને છે કે, મેહેર બાબાને પૃથ્વી પર પાંચ અવતારી પુરુષોએ મોકલ્યા હતા. આ પાંચ 'અવતાર' એટલે ૧. પૂણેના હજરત બાબાજાન ૨. શિરડીના સાંઇ બાબા ૩. સાકોરીના ઉપાસની મહારાજ ૪. નાગપુરના હઝરત તાજુદ્દીન બાબા અને ૫. કેડગાંવના નારાયણ મહારાજ. ગીતામાં કહેવાયું છે કે, યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્. આ કારણસર એવી માન્યતા અસ્તિત્વમાં આવી છે કે, સમયાંતરે ભારતભૂમિ પર ખુદ ઈશ્વર અવતાર ધારણ કરીને આવે છે. એ થિયરી પ્રમાણે મેહેર બાબાના અનુયાયીઓ તેમને આવા જ એક અવતારી પુરુષ ગણે છે.

મેહેર બાબા, ચાર અવતારી પુરુષ અને બાબાના અંતિમ દર્શન.

૨૫મી ફેબ્રુઆરી, ૧૮૯૪ના રોજ પૂણેના પારસી પરિવારમાં જન્મેલા મેહેર બાબાનું મૂળ નામ હતું, મેરવાન શેરિયાર ઇરાની. ૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ થતા મેરવાન સળંગ સાત વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને ઉપરોક્ત પાંચેય અવતારી પુરુષો, સંતો અને ફકીરોને મળ્યા. મેરવાનનાં એ વર્ષો 'બુદ્ધત્વ'ની પ્રાપ્તિ સાથે સરખાવાય છે. એ પછી તેમણે મેહેર બાબા નામ ધારણ કરીને ૨૭ વર્ષની ઉંમરે પોતાને અવતારી પુરુષ જાહેર કર્યા. ૧૦મી જુલાઈ, ૧૯૨૫ના રોજ મેહેર બાબાએ મૌન પાળવાનું શરૂ કર્યું, જે ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ તેમના મૃત્યુ સુધી ચાલ્યું. મૌન કાળમાં તેઓ આલ્ફાબેટ બોર્ડ અને ખાસ પ્રકારના હાવભાવથી સંવાદ કરતા.

મેહેર બાબા અને ગાંધીજીની મુલાકાત

વર્ષ ૧૯૩૧માં મેહેર બાબા એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં બેસીને પહેલીવાર પશ્ચિમી દેશોના પ્રવાસે નીકળ્યા. એ જ વહાણમાં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા. આ દરમિયાન મેહેર બાબા અને ગાંધીજીની એકથી વધુ વખત મુલાકાત થઈ. તેઓની સૌથી પહેલી મુલાકાત વિશે 'મહાદેવભાઈની ડાયરી' અને 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે. 'મહાદેવભાઈની ડાયરી'માંથી જાણવા મળે છે કે, જમશેદ મહેતાએ ગાંધીજીને તાર કરીને મેહેર બાબાને ખાસ મળવાનું સૂચન કર્યું હતું. (જમશેદ મહેતા કરાચીસ્થિત ગાંધીજીના સાથીદાર હતા. તેઓ કરાચીના પહેલા ચૂંટાયેલા મેયર હતા. અત્યારે પણ પાકિસ્તાનમાં તેઓ 'મેકર ઓફ મોડર્ન કરાચી' તરીકે જાણીતા છે.) આ સૂચનને પગલે આઠમી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ મહાદેવ દેસાઈ ગાંધીજીને મેહેર બાબાની કેબિન પર મળવા લઈ ગયા. એ વખતે પણ બાબાએ ગાંધીજી સાથે મૂળાક્ષરવાળા પાટિયા પર આંગળી મૂકીને વાતો કરી. ગાંધીજી અને મેહેર બાબા વચ્ચે શું વાત થઈ, એ વિશે વાંચો મહાદેવભાઈના જ શબ્દોમાં.

એસ.એસ. રજપૂતાના સ્ટીમરના સનડેક પર આરામની મુદ્રામાં ગાંધીજી 

''… એમણે બાપુની સત્યની ભક્તિ વિશે બહુ વખાણ કર્યા. તમે તમારી દેશસેવામાં પણ ભગવાન જોવા ઈચ્છો છો એ વિશે શંકા નથી, એમ જણાવ્યું. પણ સલાહ એ આપી કે, તમે જવાબદારી ના લો તો સારું. ગરીબના દુ:ખની પણ જવાબદારી તમારે ન લેવી.''

બાપુ : લઉં છું અને નથી લેતો. ન લઉં તો પાખંડી ગણાઉં.

બાબા : પણ તમને પાખંડનો શેનો ડર હોય?

બાપુ : પણ જગતને માટે તો, મારે, મને, પાખંડી ગણવાનો અધિકાર હોવો જ જોઈએ. બાકી મારા મન સાથે તો ભગવાન સાથે લડી લઉં છું કે, 'ભગવાન તુ જાણે, ગાળો પડે તે પણ તારા ઉપર, અને વખાણ થાય તે પણ તારા.'

બાબા : બરોબર છે. મારી ભલામણ છે કે વિલાયતથી આવીને કામ કરવાનું છોડી એકાંતમાં બેસી જાઓ. અને એકાંત લો ત્યારે મારે ત્યાં આવજો.

બાપુ : એવો સમય આવશે તો જરૂર આવીશ. એ સમય આવે ત્યારે બોલવાની જરૂર ન પડે, આવી રીતે ઈશારા કરવાની કે મૂળાક્ષરની પાટી ઊભી કરી તેના આંકડા બતાવવાની પણ જરૂર ન રહે. એકાંતમાં બેસી જવાની સ્થિતિ આપોઆપ આવી જશે. ઈશ્વર જ એ માર્ગ સુઝાડશે, જેમ હંમેશાં માર્ગ સુઝાડયા કીધો છે. તો પછી જ્યાં હોઉં ત્યાં હું નાચીશ …

ગાંધીજીને વાંચવા અપાયેલું એ પુસ્તક

મેહેર બાબા અને ગાંધીજીની પહેલી મુલાકાત દરમિયાન બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બાબાએ ગાંધીજીને એક પુસ્તક વાંચવા આપ્યું, જે તેમણે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક સ્થાપેલા આશ્રમમાં ૧૯૨૫-૨૬ દરમિયાન લખ્યું હતું. ઓક્ટોબર ૧૯૨૫માં મેહેર બાબાએ તેમના અનુયાયીઓને ચાર ફૂટ પહોળું અને સાત ફૂટ લાંબુ એક ટેબલ બનાવવાનું કહ્યું. આ ટેબલને બાબા 'ટેબલ કેબિન' કહેતા. આ ટેબલની નીચે બેસીને બાબાએ એક વર્ષ સુધી એ પુસ્તક લખ્યું હતું. વર્ષ ૧૯૨૭માં તેમણે જાહેરાત કરી કે, આ પુસ્તક ભવિષ્યમાં વેદ, અવેસ્તા, બાઇબલ અને કુરાનની જેમ વિશ્વભરમાં ઓળખાશે, જેનો દરેક ધર્મ-જાતિના લોકો સ્વીકાર કરશે. આ મહાન કામ પૂરું થઈ ગયા પછી હું લખવાનું બંધ કરી દઈશ …

મેહેરાબાદનું એ ટેબલ કેબિન, જેમાં બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું 

મેહેર બાબાની સાથે રહેતા અંગત અનુયાયીઓની ટુકડીને આ પુસ્તક વાંચવાની પરવાનગી હતી. આ ટુકડીને તેઓ 'મંડળી' કહેતા. એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જતી વખતે મેહેર બાબા કાળા રંગની પેટીમાં મૂકીને આ પુસ્તક સાથે લઇ ગયા હતા. 'મહાદેવભાઈની ડાયરી'માં નોંધ છે કે, મેહેર બાબાએ ગાંધીજીને એ પુસ્તક સાથેની પેટી આપી હતી, પરંતુ એની ચાવી ખોવાઈ ગઈ હતી. તેથી ગાંધીજીએ એ પેટી તોડાવીને પુસ્તક વાંચવાની બાબાને ખાતરી આપી. મેહેર બાબાના અનુયાયીઓનું કહેવું છે કે, બાબાએ ગાંધીજી સિવાય કોઈને એ પુસ્તક વાંચવા આપ્યું ન હતું. એ પુસ્તકમાં ગાંધીજીના વિવિધ સવાલો, શંકાઓનું સમાધાન હતું.

ઇંગ્લેન્ડમાં થોડો સમય વીતાવ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ પહેલીવાર અમેરિકા ગયા ત્યારે પણ એ પુસ્તક સાથે જ લઈ ગયા હતા. એનો અર્થ એ કે, ગાંધીજીએ એ પુસ્તક પાછું આપી દીધું હતું.

અને પુસ્તક અચાનક ગાયબ થઈ ગયું

અમેરિકાથી ભારત પરત ફર્યા પછી મેહેર બાબાએ એ પુસ્તક મુંબઈની એક બેંકના લોકરમાં મૂકાવી દીધું, જ્યાં તે સળંગ ૨૧ વર્ષ સુધી રખાયું. આ દરમિયાન બાબાએ રામજૂ અબ્દુલ્લા નામના એક અનુયાયીને એ પુસ્તક બેંકમાંથી પાછું લઈ આવવા કહ્યું. એ પછી પુસ્તક આશ્રમમાં આવ્યું ય ખરું, પણ ૧૯૫૮માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. મેહેર બાબાના મૃત્યુના છ દિવસ પહેલાં, ૨૫મી જાન્યુઆરી ૧૯૬૯ના રોજ એરચ જેસ્સાવાલાએ બાબાને એ પુસ્તક ક્યાં છે એ વિશે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં બાબાએ કહ્યું હતું કે, ''એ સારા હાથમાં છે.'' જેસ્સાવાલા નવ વર્ષની ઉંમરથી જ બાબાની મંડળીમાં જોડાઈ ગયા હતા. બાબાએ મૌન લઈને ઈશારાથી વાત કરવાનું ચાલુ કર્યા પછી જેસ્સાવાલા તેમના દુભાષિયા તરીકે કામ કરતા હતા.

ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ અને ઇન ગોડ્સ હેન્ડ પુસ્તકો

બાબાના મૃત્યુના થોડા દિવસ પછી, ૧૯૬૯માં, મેહેરાબાદ આશ્રમના એક રૂમમાંથી ૨૫૫ પાનાંનું હાથથી લખાયેલું પુસ્તક મળ્યું, પરંતુ એ બાબાના અક્ષરો ન હતા. આ ઘટનાનાં વર્ષો પછી, ૧૯૯૮માં, મેહેર બાબાના અક્ષરોમાં લખાયેલું ૩૯ પાનાનું એક નાનકડું પુસ્તક મળી આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, એ પુસ્તક અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકમાં ઘણી સમાનતા હતી. એટલે એવું પણ મનાયું કે, કોઈએ બાબાએ લખેલા પુસ્તકનું વિસ્તૃત સમજૂતી આપીને સારા અક્ષરોમાં લખવાનો પ્રયાસ કર્યો હશે! શેરિયાર પ્રેસ દ્વારા વર્ષ ૨૦૦૦માં એ ૩૯ પાનાના પુસ્તકનું 'ઈન ગોડ્સ હેન્ડ' નામે અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકનું 'ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ' નામે પ્રકાશન કરાયું હતું.

***

આજે ય કોઈ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી કે, મેહેર બાબાએ ટેબલ નીચે બેસીને લખ્યું હતું એ પુસ્તક એટલે પેલું ૩૯ પાનાનું પુસ્તક. જો એવું હોય તો કહી શકાય કે, મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપ્યું હતું એ પુસ્તક 'ઈન ગોડ્સ હેન્ડ'ની હસ્તપ્રત જ હતી. ખેર, એવા કોઈ જ પુરાવા નહીં હોવાથી આ પુસ્તક આજે ય 'ખોવાયેલું' જ ગણાય છે.

આ રહસ્યમય ઘટના સાથે સંકળાયેલા અનેક સવાલો ઇતિહાસમાં જ દફન થઈ ગયા છે. જેમ કે, મેહેર બાબાએ લખેલા ૩૯ પાનાના પુસ્તકની સમજૂતી આપવાનો પ્રયાસ કોણે કર્યો હતો? ગાંધીજીએ કાળા રંગની પેટી તોડાવીને એ પુસ્તક વાંચવાની મેહેર બાબાને ખાતરી આપી, પરંતુ એ પછી ગાંધીજીએ એવું કર્યું હતું ખરું? એસ.એસ. રજપૂતાના સ્ટીમર પર ગાંધીજી અને મેહેર બાબા એકથી વધુ વખત મળ્યા હતા, ત્યારે તેઓ બંને વચ્ચે એ પુસ્તક વિશે વાત થઈ હતી?

ગાંધી સાહિત્ય કે મેહેર બાબા વિશે લખાયેલા સાહિત્યમાં આ અંગે કોઈ જ ઠોસ જાણકારી મળતી નથી!

https://vishnubharatiya.blogspot.co.uk

e.mail : vishnubharatiya@gmail.com

Loading

પોસ્ટ ટ્રુથ, ગુજરાત સ્ટાઇલ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|8 April 2017

અહેવાલનો પાઠ આમજનતાથી ઓઝલ છે ને બે અરજદારોને પણ એની નકલ મળ્યાનાં ઓસાણ નથી

અનર્થઘટન … સાહેબો, અક્ષરશ: અનર્થઘટન. બ્લફબહાદુરી તો કોઈ એમની કને શીખે. 2013માં એમ.બી. શાહ પંચે રજૂ કરેલો હેવાલ કાયદા વિભાગને અંધારામાં રાખી પરબારો જાહેર વહીવટ વિભાગના કબજામાં ધરબી હવે સાડા ત્રણ ચાર વરસે વિધાનસભામાં (અને તે પણ સત્રના છેલ્લા દિવસે અને ગૃહ સમસ્ત જોગ એક માત્ર નકલ રૂપે) પેશ કરીને રાજ્ય સરકાર રાબેતા મુજબ બાગે બહાર સેલ્ફી શૈલીએ વિધાનગૃહ મારફત તમને અને મને એટલે કે જે વાસ્તવિક એવા રાજકીય સાર્વભૌમ છે તેવા નાગરિકને ‘વધામણી’ આપે છે કે પંચે અમને ‘ક્લીન ચિટ’ આપી છે. અહેવાલનો પાઠ આખો તો અલબત્ત આમ જનતાથી ઓઝલ છે, જો ધારાસભ્યો કને પણ એની નકલ પહોંચી નથી તો સ્થાપિત પક્ષોની આઘાપાછીની એસીતેસી કરીને ચિત્રમાં પ્રવેશેલા બે અરજદારોને પણ એની નકલ આજથી તારીખે મળ્યાનાં ઓસાણ નથી. અલબત્ત, સન્માન્ય વિધાનસભ્યોએ કે નગણ્ય નાગરિક સમાજે એ અંગે મનમાં મલાલ રાખવાને કારણ નથી, કેમ કે સરકારશ્રીએ ટૂંકો સારાંશ બહાર પાડી કથિત કલીન ચિટ બાબતે ડંકે કી ચોટ કહ્યું જ છે. હરખ હવે તું ગુજરાત.

2013માં રજૂ થયેલ હેવાલ બાબતે સરકારે અનર્થઘટને તો અનર્થઘટન પણ  છેક 2017ના ચૂંટણી વરસમાં જાહેર કર્યું! આવું કંઈ પહેલી વારકું નથી બન્યું. શાહ પંચના હેવાલનો પહેલો ભાગ સપ્ટેમ્બર 2012માં રજૂ થઈ કલીન ચિટની સત્તાવાર જાહેરાત બરાબર એ જ દિવસે પામ્યો હતો જ્યારે ચૂંટણી પૂર્વ આચારસંહિતાનો અમલ શરૂ થવામાં હશે.

ઘડિયાં લગન, પરબારી જાહેરાત અને વિધાનસભા કોરાણે, એવું આ ગુજરાત મોડેલ જરી બરાબર દર્જ થાય, દસ્તાવેજ ધોરણે દર્જ થાય તે માટે હજુ એક-બે ઓર પૂર્વરંગ ઝલક આપું? હેવાલ ક્યાં ને ક્યારે, એવું ગૃહમાં – રિપીટ, ગૃહમાં – પૂછાયું ત્યારે 2013માં રાજ્ય પ્રધાનમંડળના વરિષ્ઠ મંત્રી  આનંદીબહેને કહ્યું હતું કે પૂછો રાજભવનને. મતલબ, હેવાલ રાજ્યપાલ પાસે છે. સન્માન્ય ધારાસભ્યો, ખબર નહીં આ ઘૂંટડો કેમે કરીને ગળી ગયા હશે. પણ નિરીહ નાગરિક બચાડો શું કરે, સિવાય કે ભાંગ્યાના ભેરુ સરખી આર.ટી.આઈ.નો સહારો લે. જુલાઈ 2013માં જવાબ મળ્યો, રાજભવન તરફથી, કે મળેલ નથી. એક ઓર પૃચ્છા અને નવેમ્બર 2014માં (મુખ્યમંત્રીની મે 2014ની પ્રધાનમંત્રી પદોન્નતિ પછી) રાજભવનનો એ જ પ્રતિસાદ – હેવાલ અમને મળ્યો નથી. વળતે મહિને, તા. 18-12-2014 અને આર.ટી.આઈ. પ્રાપ્ત સ્પષ્ટ વિગત કે સરકારે રાજ્યપાલને પણ જાણ કરી નથી.

આમ તો, સન્માન્ય નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.બી. શાહની સેવાઅો માગી લેવાઈ હતી તે પણ વિલક્ષણ સંજોગો હતા. નિવૃત્ત ન્યાયમૂર્તિ આર.એ. મહેતાની હેડીના ટટ્ટાર જણ ગમે તે ક્ષણે લોકઆયુક્તપદનો હવાલો સંભાળશે એવા ભણકારા વાગતા હતા. મુખ્યમંત્રી મોદી ત્યારે જે આટાપાટા રમ્યા એ ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી મુજબ ‘મિની કૉન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’ સરજનારા હતા. પણ લોકઆયુક્તપદ અધિકારપૂર્વક કાર્યરત બને તે પૂર્વે ગાળિયો કાઢી નાખવા માટે આ પંચ એકાએક જાહેર થયું હતું એમ સાંયોગિક ધોરણે જોતાં સમજાય છે.

પુણ્યાત્માનાં અંતર તો આભ જેવાં અગાધ રહ્યાં, એનો સમગ્ર તાગ લેતી સ્પેસ-રે, તે માટેનું ગજું પણ નાચીજ નાગરિક કને ક્યાંથી હોય. પણ એક વાત છે, ચૂંટણીનું વરસ છે, અને વિધાનસભા વિસર્જનની વાતો પણ હવામાં છે. રાજ્ય વિધાનસભાને વિપળવાર પણ પોતાના વજૂદનો ખયાલ હોય તે એણે શાહ હેવાલની (ચાર વરસ તે પડી રહ્યો તે દરમ્યાનના અધિકૃત એ.ટી.આર. – ઍક્શન ટેઇકન રિપોર્ટ સહિતની) તત્કાળ ચર્ચા તો, અગ્રતાક્રમે, બલકે વિશેષ સત્રરૂપે મળવાની તૈયારી સાથે માગવી જોઈએ. નહીં તો, ‘ક્લીન ચિટ’ સરખા પોસ્ટ ટ્રુથ અનર્થઘટન સાથે એક ઓર ચૂંટણી … હરખ હવે તું ગુજરાત.

ઇચ્છીએ કે વિધાનસભા વજૂદનું વરદાન પામે. પણ, દરમ્યાન, સરકારી સારાંશના ઉજાસમાં અનર્થઘટન અને બ્લફબહાદુરીનો કંઈક ખ્યાલ જરૂર મેળવીએ. બને કે વિધાનસભ્યોને વજૂદની વાટે એથી કંઈક ભાથું વખત છે ને મળે.

પહેલો જ દાખલો ઇન્ડિગોલ્ડ રિફાઈનરીએ કચ્છમાં 36.25 એકર ખેતીલાયક જમીનની ખરીદી કર્યાનો લઈએ. પંચે કહ્યું છે કે આ બાબત સુપ્રીમ કોર્ટ સમક્ષ વિચારાધીન હોઈ અમે અભિપ્રાય આપી શકીએ નહીં. દેખીતી રીતે જ, અહીં પંચે સલામત અંતર જાળવ્યું હોય તો પણ તે કોઈ ક્લીન ચિટનો કિસ્સો નથી. દરમ્યાન, 2014માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે જેમાં રાજ્ય સરકારના નિર્ણયને રદબાતલ જાહેર કરવા સાથે તેને ‘રુલ ઑફ લૉ’ની ઉપરવટ જણાવી ધરાર ‘એરોગન્ટ’ કહ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને અને મહેસૂલ મંત્રીને અરજદારો મળ્યા તે પછી સરકારે લીધેલું આ મનસ્વી પગલું ગુનાઇત લેખાય એવું છે. મહેસૂલ મંત્રી આનંદીબહેને મુખ્યમંત્રી કાર્યાલયના સંપર્કમાં રહી આને ‘ખાસ કેસ’ ગણવાનું વલણ લીધું હતું તે લક્ષમાં લઈએ તો ગુનાઇત, જવાબદારી કયે પક્ષ નક્કી કરવાની છે તે સ્પષ્ટ થઈ જાય છે, અને સરકારે એપ્રિલ 2017 સુધી કોઈ પગલું નહીં ભરી ગુનાને કેવળ‌ અને કેવળ‌ છાવર્યો છે. (‘મિસયુઝ ઑફ પાવર હેઝ લેડ ટુ ધ કન્ક્લુઝન ધેટ ધિસ લીડ્ઝ ટુ ક્રિમિનલ ઍક્શન’)

સુજલાલ-સુફલામમાં થયેલી ગેરરીતિ ચર્ચામાં આવ્યે (અને કોઈને સજા નહીં થયે) હવે સહેજે દસકો થશે. પંચે એમાં જવાનું ટાળ્યું છે પણ પોતાની સલામતી શોધવા સાથે એટલું ઉમેર્યું છે કે કેગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડરટેઇકિંગ કમિટીએ આમાં યોગ્ય કરવાનું રહેશે. દેખીતી રીતે જ, આ દાખલો ક્લીન ચિટનો નથી પણ કેગ આદિ સંવૈધાનિક સંસ્થાઓ પરત્વે સરકાર પાસે અપેક્ષિત આજ્ઞાધીનતા અને આદરનો છે. હવે, સરકાર દ્વારા રચાયેલ વી.એસ. ગઢવી સમિતિ, મંજુલા સુબ્રમણ્યમ સમિતિ, કૅગ, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી સૌનું તારણ ‘ફોજદારી ગુના’નું છે. પ્રશ્ન તે મુજબ એફ.આઈ.આર. દાખલ કરી જવાબદારો સામે ફોજદારી પગલાં ભરવાનો વસ્તુત: છે.

આવો જ પ્રશ્ન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનો પણ છે. ઓઇલ અને ગેસના વિપુલ ભંડારો હોવાની કથિત માહિતીને ધોરણે જીઓ ગ્લોબલ કંપની સાથે જી.એસ.પી.સી.એ કરેલો કરાર (વાસ્તવમાં ગૅસ અને ઓઇલ નહીં મળતાં) શંકા અને તપાસના દાયરામાં છે. આ આક્ષેપો પંચના કહેવા પ્રમાણે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને પબ્લિક અંડર ટેઇકિંગ્ઝ કમિટી તેમ જ અંતે તો વિધાનસભાએ તપાસવાનાં રહે. પંચે આમ સૂચવી એક રીતે પોતાનું અંતર બનાવ્યું છે, તો બીજી રીતે સરકારની સંભવિત જવાબદારી ચીંધી છે. ગમે તમે પણ, એને ‘ક્લીન ચિટ’નો કિસ્સો તો નહીં જ કહી શકીએ.

રાંક બાપડા અરજદારોએ કોઈ પુરાવા રજૂ ન કર્યાનું પંચ અને સરકાર કહે છે. ભાઈ, તંત્ર અને પંચ, સુવિધાસમ્પન્ન અધિકારપ્રાપ્ત તો તમે છો. અરજદારોએ તો સ્થાપિત પક્ષોની આઘાપાછી પછી અને છતાં આક્ષેપોને તપાસવાની ફરજ પાડી. એક સવાલ-દારને નાતે સંબંધિત સૌને સાબદા કીધા. પંચને સંભવિત સ્રોતની ખબર આપી. પંચે એમને સમન્સ મોકલી હાજર કરવાની જરૂર કેમ ન જોઈ? અરજદારોએ ચીંધેલ દસ્તાવેજો સત્તાવાર મગાવી, તપાસવાની જરૂર કેમ ન જોઈ? એ તો એના અખત્યારનો ઇલાકો હતો.

રે, અનર્થઘટન!

પ્રકાશ ન. શાહ,  લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે

સૌજન્ય : ‘‘ક્લીન ચિટ’ના કાવાદાવા’, “દિવ્ય ભાસ્કર”, 08 અૅપ્રિલ 2017

Loading

...102030...3,4743,4753,4763,477...3,4803,4903,500...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved