Opinion Magazine
Number of visits: 9584787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂખના પ્રયોગો: ઝુંકા-ભાકર અને ઈડલી-સાંભર

વિશાલ શાહ|Opinion - Opinion|9 January 2017

જયલલિતાનું પાંચમી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ અવસાન થયું એ પછીના ત્રણ દિવસ તમિલનાડુમાં જડબેસલાક બંધ પળાયો. સ્કૂલો-કોલેજો, સરકારી કચેરીઓ અને કોર્પોરેટ હાઉસની જેમ દારૂની આશરે છ હજાર દુકાનો અને બાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યા. જો કે, આ બંધ વચ્ચે આશરે ૩૦૦ ‘અમ્મા ઉનાવગમ’ એટલે કે ‘અમ્મા કેન્ટિન’ ધમધમતી રહી.

અયૈયો… અમ્મા કેન્ટિન

બંધ તો ઠીક છે, કોઈ અપવાદને બાદ કરતાં વર્ષના ૩૬૫ દિવસ અમ્મા કેન્ટિન ચાલુ રહે છે. અમ્મા કેન્ટિનની સફળતા જોઈને કોઈ પણ રાજકીય પક્ષ આ ‘સેવાનો ધંધો’ કરવા લલચાય અને એવું થયું પણ ખરું! અત્યાર સુધી અનેક રાજ્યોમાં ‘ભૂખના પ્રયોગો’ થઈ ચૂક્યા છે, પરંતુ એકેયને અમ્મા કેન્ટિન જેવી ઝળહળતી સફળતા મળી નથી.

તમિલનાડુમાં હીટ, બીજે ફ્લોપ

અરવિંદ કેજરીવાલે જૂન ૨૦૧૫માં જાહેરાત કરી હતી કે, તમિલનાડુના અમ્મા કેન્ટિનની જેમ આમ આદમી પાર્ટી પણ બે જ મહિનામાં આખા દિલ્હીમાં ‘આમ આદમી કેન્ટિન’ શરૂ કરશે. આ કેન્ટિનમાં રૂ. પાંચમાં નાની અને રૂ. દસમાં મોટી થાળી પીરસાશે … આમ આદમી કેન્ટિનનો મુખ્ય હેતુ ગરીબ તરફી રાજકારણ(એમાં કશો વાંધો પણ નથી)ની સાથે કોંગ્રેસના નેતા શીલા દીક્ષિતની ‘જન આહાર’ યોજના વિરુદ્ધ આપ સરકારની એક્સક્લુસિવ સસ્તા આહાર યોજના શરૂ કરવાનો હતો. જો કે, કેજરીવાલની આ જાહેરાત ફક્ત ‘જાહેરાત’ બનીને રહી ગઈ છે.

દિલ્હીનું જનઆહાર કેન્દ્ર

દિલ્હીના જન આહાર કેન્દ્રોમાં ૧૫ રૂપિયામાં શાક, છ પૂરી કે ચાર ચપાટી અને દાળ-ભાતની એક થાળી ખરીદીને પેટ ભરી શકાય છે. શીલા દીક્ષિતે જન આહાર કેન્દ્રો ઊભા કરવા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહિલા જૂથોને જમીન ફાળવી હતી. હાલ આ સંસ્થાઓ અને જૂથો દ્વારા આવા ચાળીસેક કેન્દ્રોનું સંચાલન થઈ રહ્યું છે, પરંતુ તેમાં અમ્મા કેન્ટિન જેવું પ્રોફેશનાલિઝમ નથી.

જન આહાર કેન્દ્રો રાંધવા-જમવાના સ્થળે અસ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તાને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત જન આહાર કેન્દ્રોમાં અઠવાડિયામાં માંડ બે વાર પૂરી મળે છે, મૌસમી સબ્જીના બદલે રોજેરોજ આલૂ અપાય છે, દાળ અપાતી નથી અને રાયતું જોઈતું હોય તો વધારાના પાંચ રૂપિયા આપવા પડે છે – એવી પણ ફરિયાદો થઈ ચૂકી છે.

દક્ષિણ ભારતના બીજા રાજ્યોના પણ દિલ્હી જેવા જ હાલ છે. થોડા સમય પહેલાં છત્તીસગઢમાં ૧૪૫ અને ઝારખંડમાં ૧૦૦ દાળ-ભાત કેન્દ્ર શરૂ કરાયાં હતાં, જે અનેકવાર ચાલુ-બંધ થઈ ચૂક્યાં છે. ઓડિશાએ પણ કેટલાંક દાળ-ભાત કેન્દ્રો શરૂ કર્યાં હતાં અને તેમાં ય અનેક બંધ થઈ ગયાં છે. તેલંગાણાએ માર્ચ ૨૦૧૪માં મોટી હોસ્પિટલો, રેલવે-બસ સ્ટેશન અને મોટા ચાર રસ્તા નજીક ૨૨ દાળ-ભાત કેન્દ્ર શરૂ કર્યાં હતાં, પરંતુ વસતીના પ્રમાણમાં તેની સંખ્યા ખૂબ ઓછી છે! વળી, આ તમામ રાજ્યોના સસ્તા આહાર કેન્દ્રોમાં ફક્ત દાળ-ભાત પીરસાતા હોવાથી કુપોષણ સામે લડવામાં તેમની ભૂમિકા નહીંવત છે. ઉત્તરાખંડે ઓગસ્ટ ૨૦૧૫માં ઈન્દિરા અમ્મા ભોજનાલય યોજના હેઠળ વીસ રૂપિયામાં ‘સંપૂર્ણ થાળી’ આપતા ૧૪ કેન્દ્રો શરૂ કર્યાં હતાં. ઉત્તરાખંડ સસ્તા આહાર કેન્દ્રો અને ભોજનના વૈવિધ્યને લઈને સારું કામ કરી રહ્યું છે, પરંતુ અમ્મા કેન્ટિન જેવી સફળતાથી ઘણું દૂર છે.

અમ્મા કેન્ટિન ‘એક્સક્લુસિવ આઈડિયા’ નથી

અમ્મા કેન્ટિનની સફળતા જોઈને અનેક રાજ્યોએ તેની નકલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સસ્તા આહાર કેન્દ્રો તમિલનાડુનો એક્સક્લુસિવ આઈડિયા નથી. અમ્મા કેન્ટિન યોજનાની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી, જ્યારે મહારાષ્ટ્રમાં ભા.જ.પ.-શિવસેનાની યુતિ સરકારે ૧૯૯૫માં રૂ. એકમાં જમવાની સુવિધા આપતા છ હજાર ઝુંકા-ભાકર કેન્ટિન શરૂ કરી હતી. મહારાષ્ટ્રમાં ચણાના લોટમાંથી બનતી બેસન જેવી એક વાનગી ઝુંકા તરીકે ઓળખાય છે. ઝુંકા જવાર કે બાજરાની ભાખરી (ભાકર) સાથે ખાવામાં આવે છે.

ઝુંકા ભાકર કેન્ટિન માટે રાજ્ય સરકારે જમીનો ફાળવી હતી, જેનું સંચાલન ગરીબો-બેકારોને આપી રોજગારીનું પણ સર્જન કરાયું હતું. આ યોજનાનો હેતુ પણ શહેરી ગરીબો, દહાડિયા મજૂરોને સસ્તું અને પોષણયુક્ત ભોજન આપવાનો હતો. જો કે, ૧૯૯૯માં કોંગ્રેસ-એન.સી.પી.ની સરકાર આવતા જ ઝુંકા ભાકર કેન્ટિનના દહાડા-પાણી ભરાવાની શરૂઆત થઈ! આ યોજનામાં ગેરરીતિઓ થતી હોવાનું બહાનું કાઢીને નવી સરકારે ઝુંકા ભાકર કેન્ટિનના માલિકોને સબસિડી આપવાનું બંધ કરી દીધું. એ પછી આ કેન્ટિનોના માલિકોએ ઝુંકા ભાકરનો ભાવ વધારી દીધો, તો કેટલાકે ઝુંકા-ભાકર કેન્ટિનને ફાસ્ટ ફૂલ સ્ટૉલમાં ફેરવી દીધી. આ ઉપરાંત અનેક લોકોએ ઝુંકા ભાકર કેન્ટિનો ખાણી-પીણીના ધંધાદારીઓને ભાડે આપી આવકનો સ્રોત ઊભો કરી દીધો.

મુંબઈનું ઝુંકા-ભાકર કેન્દ્ર 

છેવટે વર્ષ ૨૦૦૦માં મહારાષ્ટ્ર સરકારે ઝુંકા ભાકર કેન્ટિનોની જમીનો પાછી મેળવવા અને ગેરકાયદે દબાણો હટાવવા ઝુંકા ભાકર યોજના સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય લેતા જ ખાણીપીણીની લારીઓ ચલાવતા જૂથોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજ કરી કે, રાજ્ય સરકાર અમારી રોજી છીનવી રહી છે. બાદમાં આ કેસ સુપ્રીમમાં ગયો અને ૨૦૦૬માં કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય માન્ય રાખ્યો. આ ચુકાદો આવતા જ ૨૦૦૭માં મહારાષ્ટ્ર સરકારે એક સાથે ઝુંકા ભાકર કેન્ટિનના લાયસન્સ રદ કરી આ યોજનાની સત્તાવાર પૂર્ણાહૂતિ કરી.

જો કે, આજે ય મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક સ્થળોએ ઝુંકા ભાકર ‘બ્રાન્ડ નેમ’ હેઠળ સસ્તા આહાર કેન્દ્રો ચાલુ છે. શિવસેનાનો દાવો છે કે, અમારા જ અનેક કાર્યકરો ઝુંકા ભાકર કેન્ટિનો ચલાવી રહ્યા છે. જો કે, આ કેન્ટિનમાં ફક્ત રૂ. એકમાં, એક થાળી વેચીને કમાણી થતી નહીં હોવાથી હવે બીજી વાનગીઓ પણ વેચવામાં આવે છે.

ભારત માટે ‘સસ્તા આહાર’ કેમ જરૂરી?

એવું નથી કે, અમ્મા કેન્ટિનમાં રસ્તે રખડતા, બેકારો, બેઘરો, નશાખોરો અને ફિઝિકલી ચેલેન્જ્ડ લોકો જ જમે છે. અમ્મા કેન્ટિને સાબિત કરી દીધું છે કે, જો ‘સરકારી કેન્ટિન’ ચોખ્ખી ચણાક હોય, રાંધવાનું કામ આરોગ્યપ્રદ વાતાવરણમાં થાય અને કેન્ટિન સંભાળતા સ્ટાફને કેપ-ગ્લવ્ઝ પહેરીને પીરસવાની તાલીમ અપાય તો એક સાથે અનેક લાભ મળે છે. નાની-મોટી મજૂરી કરતો વર્ગ, રીક્ષા ડ્રાઈવરો, સરકારી-ખાનગી કંપનીઓના નાના કર્મચારીઓ, માર્કેટિંગનું કામ કરતા નાના વેપારીઓ તેમ જ મધ્યમ વર્ગીય બાળકો પણ સવારે સ્કૂલે જતી-આવતી વખતે અમ્મા કેન્ટિનમાં પેટ પૂજા કરે છે એ અમ્મા કેન્ટિનની સૌથી મોટી સફળતા છે.

અમ્મા કેન્ટિનના ૯૦ ટકા જેટલા ગ્રાહકો પુરુષો અને સ્કૂલે જતાં બાળકો કેમ છે એ પણ સમજવા જેવું છે. તમિલનાડુના શહેરો અને નાના નગરોના અનેક ગરીબ-મજૂર પરિવારો ગામડાં અને આસપાસના રાજ્યોમાંથી આવીને વસ્યા છે. આ પરિવારોની મહિલાઓને સવારથી કામે જતા પુરુષ તેમ જ બાળકો માટે ટિફિન તૈયાર કરવું પડે છે, પરંતુ અમ્મા કેન્ટિને આવી અનેક મહિલાઓને રાંધવાની જવાબદારીમાંથી મુક્તિ અપાવી દીધી છે. હવે આ મહિલાઓ  તણાવમુક્ત છે અને નાનું-મોટું કામ કરીને પરિવારની આવક વધારવામાં મદદરૂપ થઈ રહી છે. આ પરિવારોમાં બાળકોનો ઉછેર પણ વધુ સારી રીતે થઈ રહ્યો છે. અમ્મા કેન્ટિન ‘અન્ન સુરક્ષા માટે લેવાયેલા પગલાં’થી અનેકગણી વધારે સફળતા મેળવી શકી છે.

સસ્તાં આહાર કેન્દ્રોમાં મહિલા જૂથો દ્વારા ચલાવવામાં આવે છે, જે આ યોજનાનો વધુ એક મોટો ફાયદો છે. આ ઉપરાંત શાકભાજી, ડુંગળી અને કઠોળના ભાવ વધે ત્યારે ખાણીપીણીના લારીઓ અને નાની હોટેલોના માલિકો અચાનક જ ભાવવધારો કરી દે છે, પરંતુ સસ્તા આહાર કેન્દ્રોમાં નક્કી કરેલા ઓછા ભાવે જ પેટ ભરી શકાય છે. સસ્તા આહાર કેન્દ્રોના કારણે ખાણીપીણીનો લારીઓ અને નાની હોટેલના ભાવ પણ કાબૂમાં રહે છે. દેશની અનેક હોસ્પિટલોમાં સસ્તા આહાર માટે આજે ય એકાદ કિલોમીટર જેટલી લાંબી લાઈન હોય છે. આ વાત જ સાબિત કરે છે કે, દેશના અનેક રાજ્યોમાં હજુયે વધારે સસ્તા આહાર કેન્દ્રોની જરૂર છે.

મધ્યાહ્ન ભોજન યોજનાના મૂળ પણ તમિલનાડુમાં

દેશના તમામ રાજ્યોમાં અમ્મા કેન્ટિન ઉદાહરણરૂપ બની ગયું છે એવી જ રીતે, મધ્યાહ્ન ભોજન યોજનાનાં મૂળ પણ તમિલનાડુમાં જ પડેલાં છે. દક્ષિણ ભારતના રાજકારણના ‘કિંગમેકર’ ગણાયેલા કુમારાસામી કામરાજ (જન્મ-૧૯૦૩, મૃત્યુ-૧૯૭૫) ઉર્ફે કે. કામરાજે ભૂખ અને કુપોષણ સામે લડવા વર્ષ ૧૯૬૨-૬૩માં સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી હતી. ગાંધીવાદી વિચારોથી પ્રભાવિત કામરાજ ૧૯૬૪થી ૧૯૬૭ સુધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ, ૧૯૫૪થી ૧૯૬૩ સુધી તમિલનાડુના મુખ્ય મંત્રી તેમ જ વર્ષ ૧૯૫૨-૫૪ અને ૧૯૬૭-૭૫ દરમિયાન લોકસભાના સાંસદ હતા. ૨૭મી મે, ૧૯૬૪ના રોજ નહેરુના અવસાન પછી કોંગ્રેસને ચોક્કસ દિશા આપનારા ગણ્યાગાંઠયા નેતાઓમાં પણ કામરાજની ગણના થાય છે. વર્ષ ૧૯૭૬માં કામરાજને મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.

કામરાજના શાસનમાં મધ્યાહ્ન ભોજન યોજના પૂરબહારમાં ખીલી. નવમી જૂન, ૧૯૮૦ના રોજ એમ. જી. રામચંદ્રન તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ મધ્યાહ્ન ભોજનની સફળતા જોઈને આ યોજનાને તમામ આર્થિક લાભ આપવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહીં, વર્ષ ૧૯૮૨માં તમિલનાડુમાં ૬૮ લાખ જેટલા બાળકો કુપોષણથી પીડાતા હતા. આ આંકડા જોઈને એમ.જી.આર.એ મધ્યાહ્ન ભોજન યોજનામાં સુધારો કરીને ‘પોષણયુક્ત આહાર યોજના’ શરૂ કરી.

એ પછી તો ૧૯૮૪માં ગુજરાત સરકારે પણ આ યોજના શરૂ કરી. બાદમાં કેરળ, ગોવા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, કર્ણાટક અને ઓરિસ્સાની સરકારી સ્કૂલોમાં પણ મધ્યાહ્ન ભોજન યોજના અમલી થઈ.

***

કલ્યાણકારી યોજનાઓ માટે ‘આઉટ ઓફ બોક્સ’ વિચારવાની તમિલનાડુની આવડતના નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને પણ વખાણ કર્યા હતા. સેને નોંધ્યું છે કે, તમિલનાડુમાં જાહેર સેવા ગરીબો સુધી પહોંચાડવાની ડિલિવરી સિસ્ટમ ‘એક્સલન્ટ’ નહીં, પણ ‘ગુડ’ તો છે જ.

આ રાજ્યની સામાજિક યોજનાઓમાં ‘સર્વોદયવાદ’ (યુનિવર્સલિઝમ) પાયાનો વિચાર છે. તમિલનાડુની મધ્યાહ્ન ભોજન, જાહેર વિતરણ વ્યવસ્થા અને અમ્મા કેન્ટિનમાં પણ સર્વોદયવાદ સામાન્ય બાબત છે. આ પ્રકારની યોજનાઓના કારણે જ સિસ્ટમમાં રહેલી છટકબારીઓ બંધ કરવામાં મદદ મળી છે…

તમિલનાડુની જેમ બીજા રાજ્યોમાં સસ્તા ભોજન યોજના કેમ સફળ ના થઈ, એ સવાલનો સીધોસાદો જવાબ આપવો હોય તો કહી શકાય કે, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ!

———

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.in/

Loading

મન કા ગોતાખોર ડૂબ ગયા ઉભરકર

વિશાલ શાહ|Opinion - Opinion|9 January 2017

આજે કોઈ પ્રાંતીય ભાષાની નવલકથાની પણ એકાદ લાખ નકલો નથી છપાતી અને તેનો ૧૯ ભાષામાં અનુવાદ થાય એ તો બહુ દૂરની વાત છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' નામનું પુસ્તક તળાવો જેવા 'બોરિંગ' વિષય પર લખાયેલું હોવા છતાં આ સિદ્ધિ મેળવી શક્યું છે.

વર્ષ ૧૯૯૩માં પહેલીવાર હિંદીમાં પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધી એક લાખથી પણ વધુ નકલો ખપી ગઈ છે. એન્વાયર્મેન્ટ નોન-ફિક્શન કેટેગરીમાં તો આ બહુ મોટી સિદ્ધિ છે. પાણીના મુદ્દે કામ કરતી દેશભરની સ્વૈચ્છિક સંસ્થાઓ માટે 'આજ ભી ખરે હૈ તાલાબ' 'હેન્ડબુક' સમાન છે. આ પુસ્તકનું મહત્ત્વ સમજીને નેશનલ બુક ટ્રસ્ટે તેનું ૧૩ ભાષામાં પ્રકાશન કર્યું છે અને બ્રેઈલ લિપિમાં પણ તે ઉપલબ્ધ છે. ફ્રાંસની પેરિસ યુનિવર્સિટીમાં પર્યાવરણ, પાણીની તંગી અને પાણીના સંગ્રહની પરંપરાગત રીતો જેવા અનેક વિષયોમાં તેનો અભ્યાસ કરાવાય છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' અંગ્રેજીમાં આવ્યું એ પહેલાં તેનો ફ્રેંચમાં અનુવાદ થઈ ગયો હતો. આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને મોરોક્કોના શાહે ત્યાંના રણપ્રદેશોમાં તળાવ બનાવીને પાણીનો સંગ્રહ કરવાની યોજના શરૂ કરી હતી. 'આજે પણ સાચાં છે તાલાબ' નામે ગુજરાતીમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે, જેનો અનુવાદ દિનેશ સંઘવીએ અને પ્રકાશન ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન – નવી દિલ્હીએ કર્યું છે.

ઇતિહાસ ખોટો લખાય ત્યારે કેવા પરિણામો આવે?

'લાખો મેં એક' એવા આ પુસ્તકના લેખક અનુપમ મિશ્રનું ૧૯મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ૬૮ વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ એક વર્ષથી પ્રોસ્ટેટ કેન્સરને હંફાવી રહ્યા હતા. 'આજ ભી ખરે હૈ તાલાબ' માટે તેમણે આઠ વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને તળાવો વિશે માહિતી ભેગી કરી હતી તેમ જ રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના જમાનાના ગેઝેટિયરો પણ ફેંદી નાંખ્યા હતા. મિશ્રનું માનવું હતું કે, અંગ્રેજો જે વિસ્તારોને સૂકાભઠ સમજતા હતા ત્યાં તો આપણે તળાવોની મદદથી પાણીની જરૂરિયાત સંતોષી જ લેતા હતા, પરંતુ કાળક્રમે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ આપણે ભૂલી ગયા!

આ મુદ્દો સમજાવતા મિશ્રએ 'આજ ભી ખરે હૈ તાલાબ'માં અંગ્રેજ રાજ વખતના એક ગેઝેટિયરનો ઉલ્લેખ કર્યો છે :  ''… તેમાં જેસલમેરનું વર્ણન ખૂબ જ બિહામણું છે. ગેઝેટિયરમાં લખ્યું છે કે, અહીં એક પણ બારમાસી નદી નથી. ભૂજળ ૧૨૫ ફૂટથી ૨૫૦ ફૂટ અને ક્યાંક ક્યાંક તો ૪૦૦ ફૂટ જેટલી ઊંડાઈએ છે, વરસાદ બહુ જ અલ્પ છે, માત્ર ૧૬.૪ સેન્ટીમીટર. છેલ્લાં સિત્તેર વર્ષના અધ્યયન અનુસાર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૩૫૫ દિવસો સૂકા હોય છે …''

છે. પરંતુ આ બધો હિસાબ-કિતાબ કેટલાક નવા લોકોનો છે. મરુભૂમિના સમાજે માત્ર દસ દિવસની વર્ષામાં કરોડ કરોડ બિંદુ જોયાં અને પછી એકત્ર કરવાનું કામ ઘેર ઘેર, ગામ ગામ અને પોતાના શહેરોમાં પણ કર્યું. આ તપશ્ચર્યાનું ફળ સામે દેખાય છે. જેસલમેર જિલ્લામાં આજે ૫૧૫ ગામો છે. એમાંથી ૫૩ ગામો કોઈને કોઈ કારણે ઉજ્જડ થયા છે, આબાદ છે ૪૬૨. આમાંથી કેવળ એક ગામ છોડીને એક્કએક ગામમાં પીવાના પાણીની સમૂચિત વ્યવસ્થા છે. વેરાન થઈ ગયેલા ગામોમાં પણ આ વ્યવસ્થા જોવા મળે છે. સરકારના આંકડા મુજબ જેસલમેર જિલ્લાનાં ૯૯.૭૮ ગામોમાં તળાવ, કૂવા અને અન્ય સ્રોત છે …''

આ મિશ્રનું તારણ છે. તેઓ અંગ્રેજોને સમજી-વિચારીને 'નવા લોકો' કહે છે. અંગ્રેજો અહીંની મુશ્કેલીઓ શું છે અને ભારતીયોએ તેનો શું ઉપાય શોધ્યો છે તેનાથી પૂરેપૂરા વાકેફ ન હતા. એટલે જ મિશ્ર કહે છે કે, રણપ્રદેશના સમાજે તો દસ દિવસના વરસાદમાં પણ પાણીની કરોડો બુંદ જોઈ અને તેને તળાવોમાં ભેગા કરીને પાણીનો પ્રશ્ન જ હલ કરી નાંખ્યો! ક્યા ખૂબ! મિશ્રે સાબિત કર્યું હતું કે, દેશના અનેક વિસ્તારોમાંથી પાણીની તંગી દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય તળાવો, સરોવરો, કૂઈ, કૂવા, વાવ, ટાંકા, કૂંડી અને ચાલ (પહાડી વિસ્તારોમાં જોવા મળતા ઢોળાવ ધરાવતા નાના કૂંડ) જ છે. નહેરોમાં તો નદીઓના વહેણ બદલીને પાણી લાવવામાં આવે છે, જ્યારે આ પરંપરાગત પદ્ધતિઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાય છે. એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ  આ વધુ સારી પદ્ધતિઓ છે.

જૂના જ્ઞાનનું દસ્તાવેજીકરણ ના થાય અને જે તે પ્રદેશનો ઇતિહાસ 'બહારના લોકો' પોતાની દૃષ્ટિએ લખે ત્યારે આવા પરિણામો આવે!

તળાવની ભાષા એટલે ગજધર અને અંબુ તસ્કર

પાણી સાચવવાનું પરંપરાગત જ્ઞાન ખતમ થઈ રહ્યું હોવાથી સંસ્કૃિત અને ભાષાને પણ નુકસાન થઈ રહ્યું છે! આ વાત સમજાવતા મિશ્ર લખે છે કે, ''… તળાવ સ્વયં એક મોટું શૂન્ય છે. પરંતુ તળાવ કંઈ પશુની ખરીથી બનેલો એવો કોઈ ખાડો નથી કે જેમાં વરસાદનું પાણી પોતાની મેળે ભરાઈ જાય! આ શૂન્યને બહુ સમજી-વિચારીને, ખૂબ આયોજનપૂર્વક બનાવવામાં આવે છે. નાનકડાથી માંડીને તે એક મોટા સુંદર તળાવના કેટલા ય અંગ-પ્રત્યંગ હોય છે. દરેકનું એક વિશેષ કામ હોય છે. અને દરેકનું એક વિશેષ નામ પણ. તળાવની સાથે સાથે એને બનાવનારા સમાજની ભાષા અને બોલીનો એ સમૃદ્ધ પુરાવો હતો. પણ જેમ જેમ સમાજ તળાવની બાબતમાં ગરીબ બન્યો છે, તેમ તેમ ભાષામાંથી પણ આ નામો, શબ્દો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે…''

તળાવ બનાવનારને શું કહેવાય? મિશ્ર પાસે જવાબ છે :  ‘'… ગજધર એક ખૂબ જ સુંદર શબ્દ છે, તળાવ બનાવનારાઓને આદર સહિત યાદ રાખવા માટે. રાજસ્થાનના કોઈ કોઈ ભાગમાં આ શબ્દ આજે પણ સાંભળવા મળે છે. ગજધર એટલે કે જે ગજને ધારણ કરે છે અને ગજ એ કે જે માપવાના કામમાં આવે છે. પરંતુ આમ છતાં સમાજે તેમને માત્ર ત્રણ હાથની લોઢાની છડ લઈને ફરતો માત્ર મિસ્ત્રી કે કડિયો ન માન્યો. ગજધર તો સમાજનું ઊંડાણ માપી લે – એમને એવું સ્થાન અપાયું હતું …''

રાજસ્થાનમાં તો સૂરજ 'સોળે કળા'એ તપતો હોય છે. અહીં તળાવ બનાવીએ તો સૂરજ જ બધું પાણી ખેંચી લે, પરંતુ તળાવ એવી રીતે બનાવવામાં આવે છે, જેથી સૂરજના તાપમાં પાણીનું ઓછામાં ઓછું બાષ્પીભવન થાય. મિશ્ર આ મુદ્દો પણ સમજાવે છે :  ''… તપતો સૂરજ તળાવનું એ બધું પાણી ખેંચી લેશે. કદાચ તળાવના સંદર્ભમાં જ સૂરજનું એક વિચિત્ર નામ અંબુ તસ્કર (પાણી ચોર) રાખવામાં આવ્યું છે. ચોર હોય સૂરજ જેવો અને આગર એટલે કે ખજાનો હોય ચોકીદાર વિનાનો તો પછી ચોરી થવામાં વાર શું લાગે? આ ચોરીને અટકાવવા માટે પૂરતી કોશિષ કરવામાં આવે છે…''

તળાવનું પાણી અંબુ તસ્કરથી બચાવવા સદીઓ પહેલાં લોકો શું કરતા હતા? અરે, તળાવ બનાવવું, ભરાઈ જવું, ખાલી થવું, તેનું પાણી ઊલેચવું અને ખેતરો સુધી લઈ જવું – એ બધી જ ઘટનાઓ વખતે ભવ્ય ઉત્સવો ઊજવાતા અને એ બધું જ એક મહાન સંસ્કૃિતનો નાનકડો હિસ્સો હતા. આ બધું જાણવા માટે તો આ પુસ્તક જ ઘૂંટડે ઘૂંટડે પીવું પડે. કમનસીબે આજે ઘણું બધું લુપ્ત થઈ ગયું છે, થઈ રહ્યું છે.

આઝાદ ભારતે પોતાની મુશ્કેલીઓના ઉપાય શોધતી વખતે સ્થાનિક સંસ્કૃિત અને જ્ઞાનનું મહત્ત્વ જ ના સમજ્યું. એટલું જ નહીં, દરેક મુશ્કેલીનું 'ઈનોવેટિવ સોલ્યુશન' શોધવાના બદલે 'જુગાડ' કર્યો અને પોતાની જ સમૃદ્ધ સંસ્કૃિતનો મહદ્અંશે વિનાશ કર્યો, એ પણ આ પુસ્તકમાં 'બિટ્વિન ધ લાઈન્સ' વાંચવા મળે છે.

જ્ઞાન આપવા પુસ્તકના કોપીરાઈટ ના લીધા

આમ, અનુપમ મિશ્રે અત્યંત રસાળ અને સીધીસાદી ભાષામાં, ફક્ત ૧૦૦ પાનાં અને નવ પ્રકરણમાં તળાવોનો નાનકડો એન્સાઇક્લોપીડિયા લખી નાંખ્યો છે. એટલે જ આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી હજારો ખેડૂતો તે વાંચીને પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત રીતો અને તેની પાછળનું રહસ્ય શું હતું એ સમજી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, ભારતના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી આ પુસ્તકની ફોટોકોપી પણ પહોંચી ગઈ છે! મિશ્રનો હેતુ આ જ હતો. એક લેખક માટે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે!

પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ પર કરેલા સંશોધનમાંથી મિશ્રના હસ્તે વર્ષ ૧૯૯૫માં બીજું પણ એક સીમાચિહ્નરૂપ પુસ્તક જન્મ્યું, 'રાજસ્થાન કી રજત બુંદે'. મૂળ હિન્દીમાં લખાયેલું આ પુસ્તક પણ બીજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પરંતુ આ ભૂલાયેલું જ્ઞાન ઘરે ઘરે પહોંચે એ માટે મિશ્રએ એ બંને પુસ્તકના કોપીરાઈટ નહોતા કરાવ્યા. આ પુસ્તકોનાં વખાણ સાંભળીને તેઓ સહજતાથી બોલતા કે, આપણે તો બાબુ આદમી કે ક્લાર્કનું જેવું કામ કરીએ છીએ, સમાજે જે કંઈ સારું કર્યું છે એ લખવાનું કામ કરી રહ્યા છીએ…

મિશ્ર અંગ્રેજી પણ ખૂબ સારું જાણતા હતા, પરંતુ પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં પાયાનું કામ કરવા માટે તેમણે 'હિન્દી મિજાજ' અપનાવી લીધો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેમણે પ્રતિષ્ઠિત ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ એન્ડ ડિઝાઈન) ટૉકમાં 'ધ એન્સિયન્ટ ઇનજેન્યુઇટી ઓફ વૉટર હાર્વેસ્ટિંગ' વિષય પર અંગ્રેજીમાં ભાષણ આપ્યું ત્યારે પર્યાવરણ મુદ્દે કામ કરતા વિદ્યાર્થીઓ તો ઠીક, અઠંગ પર્યાવરણવિદે પણ તેમની જ્ઞાનવાણી સાંભળીને દંગ રહી ગયા હતા. ત્યાર પછી વિશ્વમાં આઠેક લાખ લોકોએ એ ભાષણ ઓનલાઈન સાંભળ્યું હતું. મિશ્ર રાજકારણ અને નવી દિલ્હીના 'ઈકો ફ્રેન્ડ્લી ક્લાસ'થી અંતર જાળવી શક્યા હતા, એટલે 'મીડિયા હાઇપ'નો ક્યારે ય ભોગ નહોતા બન્યા.

મિશ્રને ભાષાવારસો પિતાજી તરફથી મળ્યો હતો. તેમના પિતા ભવાનીપ્રસાદ મિશ્ર (માર્ચ ૧૯૧૩-ફેબ્રુઆરી ૧૯૮૫) હિન્દીના વિખ્યાત કવિ અને લેખક હતા. ભવાનીપ્રસાદ ગાંધીવિચારોથી પ્રભાવિત હતા. તેમણે ગાંધીજી પર ૫૦૦ કવિતા લખી હતી. આ કવિતાઓનું પુસ્તક 'ગાંધી પંચશતિ' નામે પ્રકાશિત થયું છે. અનુપમ મિશ્રને ગાંધીવિચારનો વારસો પણ પિતા તરફથી જ મળ્યો હતો. કદાચ આ વારસાના કારણે જ અનુપમ મિશ્ર જીવનની અંતિમ ક્ષણ સુધી મનગમતા કામમાંથી આનંદ લેતા ગયા અને માર્ગમાં આવતા હજારો લોકોને પોતાના બનાવતા ગયા.

***

અને છેલ્લે એક વાત. વર્ષ ૨૦૧૧માં ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે અનુપમ મિશ્ર હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ‘'… નોકરીઓ કરો, પરંતુ સમાજ માટે પણ કંઈક કરો. આ ખરાબ સમયમાં થોડું આત્મનિરીક્ષણ કરીને તમારામાં રહેલી શક્તિઓને જાણો. એવી જ રીતે, સમાજના પણ સારા ગુણો જુઓ. તો જ તમને સમાજમાં દરેક સ્તરે ગાંધી હોવાનો અહેસાસ થશે…''

***

ભારતની નદીઓ અને જંગલોના પણ અઠંગ અભ્યાસુ

અનુપમ મિશ્રે તળાવો અને રાજસ્થાન પર લખેલા પુસ્તકો માઈલસ્ટોન સમાન છે એ વાત ખરી, પણ ફક્ત તેના આધારે તેમનું મૂલ્યાંકન કરવું તેમને અન્યાય કરવા બરાબર છે. અનુપમ મિશ્રનો જન્મ વર્ષ ૧૯૪૮માં મહારાષ્ટ્રના વર્ધામાં થયો હતો અને બાળપણ પણ ત્યાં જ વીત્યું. સિત્તેરના દાયકામાં તેમણે ચંડીપ્રસાદ ભટ્ટ સાથે ઉત્તરાખંડના ચિપકો આંદોલનમાં ઝંપલાવ્યું અને એ પછી તેઓ આ જ ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. વૃક્ષો કપાતાં રોકવા હજારો લોકો થડને ચીપકીને એક અનોખું આંદોલન શરૂ કરી દે એ ઘટનાથી અનુપમ મિશ્ર ઘણાં પ્રભાવિત હતા. ચિપકો આંદોલન વિશે પણ તેઓ અંગ્રેજી પુસ્તક લખી ચૂક્યા છે.

એ પછી મિશ્રે દિલ્હીથી પ્રકાશિત થતાં 'પ્રજાનીતિ' નામના હિન્દી અખબારમાં કામ કર્યું. આ દરમિયાન ઉદ્યોગપતિ રામનાથ ગોએન્કાએ 'જનસત્તા' નામનું હિન્દી અખબાર શરૂ કર્યું, જેના તંત્રીપદે જાણીતા પત્રકાર પ્રભાસ જોશી હતા. જોશીએ મિશ્રને 'જનસત્તા'માં જોડાઈ જવા બહુ મનાવ્યા, પરંતુ મનગમતું કામ કરવાની જિદના કારણે તેઓ લખતા રહ્યા પણ 'પ્રોફેશનલ જર્નાલિસ્ટ' ના બની શક્યા. ગાંધી પીસ ફાઉન્ડેશનના દ્વિમાસિક 'ગાંધી માર્ગ'ના પણ તેઓ તંત્રી હતા.

મિશ્ર પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત પદ્ધતિઓના જ નહીં, આખા ભારતની નદીઓ અને જંગલ સિસ્ટમના અઠંગ અભ્યાસુ હતા. ગંગા સહિતની નદીઓના સ્વચ્છતા અભિયાન, નહેરોના બાંધકામ, નદીકિનારા અને જંગલ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ સહિતના તમામ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ હતા. આ તમામ મુદ્દે તેઓ જીવનભર કામ કરતા રહ્યા, લખતા રહ્યા અને ભાષણો આપતા રહ્યા. આ કામ બદલ મિશ્રને અમર શહીદ ચંદ્રશેખર આઝાદ (૨૦૦૮) અને જમનાલાલ બજાજ (૨૦૧૧) પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

શીર્ષક પંક્તિ – ભવાનીપ્રસાદ મિશ્ર

—-

e.mail : vishnubharatiya@gmail.com

સૌજન્ય : http://vishnubharatiya.blogspot.in/

Loading

ભ્રષ્ટાચાર: ચાય-પાનીનું જંગલ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 January 2017

વર્ષના અંતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંદેશામાં, તેમના અગાઉના ભાષણની સરખામણીમાં, પહેલીવાર, ભ્રષ્ટાચાર ઉપર જોરશોરથી બોલવાને બદલે નોટબંધીને કારણે સર્જાયેલા અવ્યવસ્થામાંથી કંઇક રસ્તો કાઢવા ઉપર જોર રાખ્યું. નોટબંધીનો હેતુ પણ ભ્રષ્ટાચારની નાબૂદીનો જ હતો, કારણ કે આ સરકાર એ જ મુદ્દા ઉપર ચૂંટાઈને આવી હતી. નોટબંધી પછી એ ઉદ્દેશ પાર પડ્યો ખરો? આનો જવાબ અઘરો છે તે પ્રધાનમંત્રીને હવે ખબર પડશે, કારણ કે દેશ ભ્રષ્ટાચારમુક્ત છે એ કેવી રીતે પુરવાર થાય?

હકીકતમાં, ભ્રષ્ટાચાર એક એવો ડ્રામા છે, જેના ઉપર ક્યારે ય પરદો પડ્યો નથી. મંચ ઉપર ભજવાતા ડ્રામામાં તો ઇન્તિકામ કે ઇન્સાફની મદદથી ડ્રામાનો અંત આવતો હોય છે, પરંતુ ભારતમાં ભ્રષ્ટાચારને લઈને જ શુદ્ધિની વાતો થઈ છે તે અંતત: કોરી વાતો જ રહી છે. ભ્રષ્ટાચાર દરિયાના ભરતીના પાણી જેવો છે. એ ધસમસતો આવે છે, અને કિનારે અથડાઈને પાછો પાણીમાં જાય છે. એને રોકવાના કે ખતમ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહે છે, અને ઇન્તિકામ કે ઇન્સાફની હર કોશિશ અંતત: એક નવી ભરતીને જોર બક્ષે છે.

એવું નથી કે સરકારની (કે મોદીની) દાનત નથી. ભારતમાં દરેક સરકાર અને દરેક પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર દૂર કરવાની કસમ ખાધેલી છે, અને નેક પ્રયાસો કર્યા છે. છેક 1930માં મહાત્મા ગાંધીએ કૉંગ્રેસમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર માટે પીડા વ્યક્ત કરી હતી, અને સંગઠનની સમગ્ર વ્યવસ્થા બદલી નાખવાનું સૂચન કર્યંુ હતું. રાજકારણ જ નહીં, રાજા-રજવાડાઓમાં પણ ભરપૂર ભ્રષ્ટાચાર હતો. ભારતમાં સ્થિર થવા અંગ્રેજીઓએ અનેક રજવાડામાં અનેક કૌભાંડ કર્યાં હતાં. ત્રણ યુદ્ધો પછી ટીપુ સુલતાન સાથેનું ચોથું યુદ્ધ અંગ્રેજો જીત્યા તેની પાછળ ટીપુના સરદાર મીર સાદીકની ગદ્દારી હતી, જેણે અંગ્રેજીને ‘ફેવર’ કરવા મૈસુરના સૈનિકોને પગાર લેવાના બહાને લડાઈના મેદાનની બહાર મોકલ્યા હતા.

એનાથી ય આગળના ભૂતકાળમાં જઇએ તો છેક વેદમાં ભ્રષ્ટાચારની વાતો થઈ છે. સામવેદ ભ્રષ્ટાચારને નવ માથાવાળા રાક્ષસ તરીકે ઓળખાવે છે અને કહે છે કે માણસની પાંચ ઇન્દ્રિયો મારફતે નવેનવ પ્રકારના ભ્રષ્ટાચાર અંદર આવે છે. રામાયણમાં આ જ નવ માથાના રાક્ષસ ઉપરથી રાવણનું ચરિત્ર લખાયું હતું. મહાભારતમાં અંધ રાજા ધૃતરાષ્ટ્રના 99 પુત્રોના માધ્યમથી 99 પ્રકારના ભ્રષ્ટાચારની વાત છે. ઋગ્વેદમાં 99 પ્રકારના વૃત(દુષ્ટ આત્મા)નો ઉલ્લેખ છે. યજુર્વેદમાં એવું સૂચન છે કે ભ્રષ્ટ વ્યક્તિને રાજાએ ચતુર્વર્ણમાં ભેગો થવા ન દેવો જોઇએ. મહાભારત અને રામાયણની કથા જ ભ્રષ્ટાચાર અને એનાં પરિણામો અંગેની છે.

મુદ્દો એ છે કે માનવ સમાજની બે વાસ્તવિકતા, લાલચ અને જરૂરિયાત, ભ્રષ્ટ આચારના મૂળમાં છે. લાલસા એ માનવવૃત્તિ છે અને કેટલાક લોકો લાલસાને નિયંત્રણમાં રાખી શકે છે તો કેટલાક લોકો માટે લાલસાની પરિપૂર્તિ ક્યારે ય થતી નથી. પુરાણથી લઈને આધુનિક સમયમાં પણ ભ્રષ્ટાચારનો ડ્રામા અનંત ચાલતો રહે છે, તેનું કારણ એ છે કે, આપણે જે હોહા કરીએ છીએ તેનાથી વિપરીત, ભ્રષ્ટાચાર બહુ જ સાધારણ અને સહજ વ્યવહાર છે.

આમ જનતા ભ્રષ્ટાચારને જિંદગીનો એક ભાગ માને છે. ભ્રષ્ટાચાર સામર્થ્ય અને પ્રતિભા પણ ગણાય છે. આ લખનારને બીજા પત્રકાર-તંત્રીઓનાં ઉદાહરણ આપીને કહેવાયું હતું કે, ‘તને કંઈ આવડતું નથી.’ ભારતમાં ભ્રષ્ટાચાર કરીને આગળ વધેલા ઉદ્યોગપતિઓ સફળતા અને ક્ષમતાના ઉદાહરણ બન્યા છે. ‘દીવાર’ ફિલ્મ જે મુખ્યત્વે નૈતિકતા અને ન્યાયોચિતતાની વકાલાત કરે છે, તેમાં સૌથી વધુ પ્રશંસા અને સહાનુભૂતિ અચ્છા બેટાને નહીં, પણ બગડેલા બેટાને મળે છે. અમિતાભના રિયલ લાઇફ બેટા અભિષેકની ‘ગુરુ’ ફિલ્મ જ સરકારી નિયમો તોડીને કેવી રીતે સફળ થવાય તેવી ‘શિખામણ’ આપતી હતી, અને લોકોએ તેને વધાવી પણ હતી.

ભ્રષ્ટાચારને લઈને જે ઉમદા હેતુઓની અભિવ્યક્તિ થાય છે તેમાં લાગણીઓ ભડકાવ્યા સિવાય કશું થતું નથી. કોઈ ભાગ્યે જ એ હકીકતનો એકરાર કરે છે કે આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા અને વિકાસનું મૉડલ જ ભ્રષ્ટાચાર માટેની ફળદ્રુપ જમીનનું કામ કરે છે. ઉદાહરણ તરીકે ગામનો એક યુવાન નોકરી કે વ્યવસાયની તલાશમાં શહેરમાં આવે છે. એને પહેલા જ દિવસથી ‘ચાય-પાની’ સમજમાં આવી જાય છે. શહેર આવવા માટે ટ્રેનમાં બેસવા-સૂવાની જગ્યા માટે એજન્ટને કમિશન આપવું પડે છે. શહેરમાં એક રાત બગીચામાં કે પ્લેટફોર્મ ઉપર સૂવા માટે કોન્સ્ટેબલ કે લોકલ દાદાના હાથ ‘ગરમ’ કરવા પડે છે. ઑફિસમાં ઘૂસવા માટે વચેટિયાને રાજી રાખવો પડે છે.

વયસ્ક થયેલા દરેક યુવાનને ખબર છે કે રોજગારીની પહેલી સફળતામાં ક્લાર્ક કે બાબુની, પોલીસની કે એજન્ટની ભૂમિકા કેટલી મોટી હોય છે. સરકારમાં નોકરી લેનાર દરેક કર્મચારીને ખબર છે કે ગમતી જગ્યા કે શહેરમાં પોસ્ટિંગ લેવા માટે ઉપરી અધિકારીને કેવી રીતે ‘ખુશ’ રાખવા પડે છે. પોલીસમાં ભરતી થનાર દરેક જવાન પાસે એ ટાઇમટેબલ નક્કી જ હોય છે, જેની અંદર એણે નોકરી માટે ખર્ચેલા રૂપિયા ‘રિકવર’ કરવાના હોય છે. દરેક નવા ઉત્તીર્ણ ડૉક્ટરને ખબર છે કે એણે ભણવા માટે જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ કેવી રીતે દર્દીઓ પાસેથી વસૂલવા.

તરક્કીના આપણા મૉડલમાં આગળ વધવું એ ચમત્કારથી કમ નથી અને દરેકને ચમત્કાર કરતા આવડી પણ જાય છે. અહીં બધા જ નિયમોનો અર્થ ઊલટો થાય છે. અમિતાભની ‘અગ્નિપથ’ ફિલ્મમાં વિજય કહે છે, ‘કહને કો યેહ શહેર હૈ, સિર્ફ કહને કો, પર ઇધર જંગલ કા કાનૂન ચલતા હૈ માલૂમ … ચીંટી કો બિસ્તુિરયા ખા જાતા હૈ, બિસ્તુિરયા કો મેઢક, મેઢક કો સાંપ નિગલ જાતા હૈ, નેવલા સાંપ કો મારતા હૈ, ભેડિયા નેવલે કા ખૂન ચૂસ લેતા હૈ, શેર ભેડિયે કો ચબા જાતા હૈ … ઇધર હર તાકાતવર અપને સે કમ કો મારકર જીતા હૈ.’ આવા શહેરમાં રહેવા અને તરક્કી કરવા એના આંતરિક ‘કાયદા-કાનૂન’ સમજવા પડે છે.

અચ્છે દિન એટલે શું? અચ્છે દિન એટલે આધુનિકતા, તરક્કી અને શહેરીકરણ. આ ત્રણેયમાં રમત કેમ રમાય તેના નિયમો છે. જે તમને આવડવા જોઇએ. આ ત્રણેયમાં દ્વિવિધતા પણ છે: નિયમ છે અને નિયમ વગરનું પણ છે. બ્લેક છે અને વ્હાઇટ પણ છે. સત્તાવાર છે અને બિનસત્તાવાર પણ છે. સીધી રીત છે અને આડી રીત પણ છે. શહેરની આ દ્વિવિધતા એ જ્ઞાનની અર્થવ્યવસ્થા છે. કોની પાસે કેટલું જ્ઞાન છે તેના પર એની સફળતાનો આધાર છે. જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ એ આ જંગલ કા કાનૂન છે. તમને સત્તાવાર અને બિનસત્તાવાર, વૈધ અને અવૈધ વચ્ચેના સામાજિક સંબંધની ખબર પડે તો તરક્કી આસાન થઈ જાય છે. નોટબંધી પાછળ જે બ્લેક ઇકોનોમીને ખતમ કરવાનો ઇરાદો છે, તે બ્લેક ઇકોનોમી શહેરની આ દ્વિવિધતામાંથી આવી છે.

આ દ્વિવિધતા અથવા આ બેઇમાની, ચોરી ક્યાંથી આવી? એ ઇમાનદારીમાંથી, નૈતિકતામાંથી આવી છે. દરેક કાનૂન કે નિયમનો જન્મ જે કમજોર છે, પછાત છે અથવા અક્ષમ છે, તેને સશક્ત થવાની, તરક્કી કરવાની તક મળે તે માટે થયો છે. થયું છે ઊલટું દરેક ઇમાનદારીમાંથી બેઇમાની અને દરેક કાનૂનમાંથી ગેરકાનૂન પેદા થયાં છે. ભ્રષ્ટાચાર દૂર કરવા દરેક સરકારે શપથ લીધા છે અને એ પૂરા થયા નથી કારણ કે દરેકને એવું લાગે છે કે કાનૂન બનાવવાથી, નિયમ બનાવાથી, સજા કરવાથી આ દ્વિવિધતા ખતમ થઈ જશે. પ્રશ્ન કાનૂનનો કે નિયમનો છે જ નહીં. પ્રશ્ન શુદ્ધતા અને સચ્ચાઈનો છે. અને કોઈ પણ સરકાર વ્યક્તિની શુદ્ધતા પર આંગળી મૂકીને એને પારખી શકતી નથી એટલે એ નિયમ બનાવીને સંતોષ માને છે. આપણે ભલે જંગલમાંથી નીકળીને રહેવાનું શરૂ કર્યું હોય, આપણી અંદરથી જંગલ હજુ નીકળ્યું નથી, અને એ જંગલ જ કોઈ પણ સરકાર કે પ્રધાનમંત્રીની ખરી ચેલેન્જ હશે. સવાલ એ છે કે એ અસલી ચેલેન્જ ઉપાડવામાં રસ કોને છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 08 જાન્યુઆરી 2017

Loading

...102030...3,4743,4753,4763,477...3,4803,4903,500...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved