Opinion Magazine
Number of visits: 9768184
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિંભર રાજકારણીઓ અને તેમની આજ્ઞાધારી પોલીસ નલિયા અને માંડવીનાં દુષ્કર્મો અંગે ન્યાય ક્યારે કરશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 April 2017

મહિલાઓ પરના અત્યાચારો અંગે તંત્ર લગભગ નિષ્ક્રિય જણાય છે…. 

કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક હિંમતવાળી યુવા સર્વાઈવર ન્યાય માટે લડી રહી છે. ત્યાં તાજેતરમાં એક વ્યાપક સેક્સકાંડ ચાલી ચૂક્યું છે. એ બંને બાબતો હવે સાવ અજાણી નથી. ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ’ નામનું જૂથ યુવતીને ન્યાય મળે અને સેક્સકાંડના દુષ્કર્મીઓને સજા થાય તે માટે લડત ચલાવી રહ્યું છે. મંચને હમણાં બીજાં એક દુષ્કર્મની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો આવ્યો છે. એ ઘટના તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામની. લોકોને ઓછી જાણકારી હોય તેવા આ બનાવ અંગે મંચની એક ટુકડીએ તાજેતરમાં માંડવીની મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં ગયા શનિવારે અમદાવાદમાં જાણીતી મહિલા સંસ્થા ‘અવાજ’ના સંકુલમાં સંમેલન યોજ્યું હતું. તેમાં માંડવીના મૃત પીડિતાનાં પરિવારજનો, રાજ્યભરની પંદરેક સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ અગ્રણી નાગરિકો જોડાયાં હતાં.

ભાવનગરથી આશરે સો કિલોમીટર પરના આઠ-દસ હજારની વસ્તીવાળા માંડવી ગામના પચાસેક વર્ષનાં ભાવનાબહેન ભગવાનભાઈ ખેનીનો, માથામાં ઇજા સાથેનો મૃતદેહ પહેલી ડિસેમ્બરે ગામની સીમમાંથી મળ્યો. તેમની પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પણ નોંધાયું. પંદરેક દિવસ સુધી કોઈ ધરપકડ ન થતાં લોકો તેમ જ પાટીદાર, દલિત, ઓ.બી.સી. અને અન્ય સંગઠનો ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ મૃત પીડિતાનાં પરિવારને મળ્યા બાદ પોતપોતાની રીતે ઉગ્ર વિરોધની શરૂઆત કરી. તેને પગલે શાસક પક્ષના અગ્રણીઓએ આ બનાવ અંગે નાર્કો ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી. એટલું જ નહીં તેમણે સહુ વિરોધીઓને પરિવાર વતી નિવેદનો આપવાં કે ઉપવાસ પર ન ઊતરવાની હાકલ પણ કરી ! દરમિયાન વિરોધીઓએ ત્રણ કથિત આરોપીનાં નામ પત્રકાર પરિષદમાં જાહેર કરીને સી.બી.આઈ.ને તપાસ સોંપવાની માંગણી કરી. સરકારે કેસની તપાસ ભાવનગર રેઇન્જ ઇન્સ્પેક્ટર જનરલને સોંપી અને એક શકમંદની ધરપકડ કરવામાં આવી.

ત્રણ મહિના પછી 28 માર્ચે આ બનાવના સાક્ષી પિસ્તાળીસ વર્ષના ધીરુભાઈ ગુજરાતીએ આપઘાત કર્યો. તેમના પત્નીએ કરેલી ફરિયાદ અનુસાર ધીરુભાઈને પોલીસ તપાસ માટે વારંવાર બોલાવતી અને ખૂબ મારતી. આ શારિરીક અને માનસિક ત્રાસથી તેમણે આપઘાત કર્યો. ભાવનગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટના કહેવા મુજબ દુષ્કર્મ અને હત્યાના સાક્ષી ધીરુભાઈએ તેમનાં નિવેદન વારંવાર બદલ્યાં હતાં. તે માટે દબાણ આવતું હોવાની શક્યતા પણ તેમણે જણાવી. ધીરુભાઈના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પોલીસની ધરપકડ અને તપાસની બીજી એજન્સીને સોંપણી એવી માગણીઓ અંગે કલેક્ટરે ખાતરી આપ્યા પછી છ દિવસ બાદ પરિવારે નમતું જોખ્યું. દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરતના વરાછા રોડ પરનું હીરા બજાર ચોથી એપ્રિલે બંધ રહ્યું. એ જ દિવસે ધીરુભાઈના આપઘાત માટે જવાબદાર ગણીને એક પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી.

માંડવી બનાવની તપાસ માટે છેક એકત્રીમી માર્ચ અને સોળમી એપ્રિલે જવા માટે અંગે મંચના આગેવાન અને સંમેલનના સંચાલક મીનાક્ષીબહેન જોષીએ દિલગીરી વ્યક્ત કરી. અલબત્ત, સોળમી ફેબ્રુઆરીએ રચાયેલો આ મંચ એ નિસબત ધરાવતાં લોકોનું કદાચ એકમાત્ર જૂથ છે કે જે ઇન્સાની  સરોકારથી યૌન અત્યાચારની તપાસને ધક્કો મારતું રહ્યું હોય. મંચ સર્વાઈવર્સની મુલાકાતો, પોલીસ અને સરકાર સામે રજૂઆતો, દેખાવો, સભાઓ કરતો રહે છે. કોઈ રાજકીય પક્ષ, વગદાર જૂથ, ઉદ્યોગ સમૂહ, સમૃદ્ધ એન.જી.ઓ.નો ટેકો ન લેનાર મંચના સંસાધનો અને પહોંચ ઓછાં છે. સમય આપનાર કાર્યકર્તાઓ તેમ જ વકીલોની જરૂર સતત રહે છે. સભાઓ માટેની મંજૂરી, સ્થળ ,વક્તાઓ, દસ્તાવેજોની નકલો, પત્રિકાઓની છપામણી, તપાસ મુલાકાતો માટેનાં વાહનો સુધીની અનેક બાબતોમાં ઘણી મુશ્કેલી પડે છે. પોલીસ અને સરકારી અધિકારીઓનું વર્તન એકંદરે જડ, તોછડું અને ચૂપકીદીભર્યું હોય છે.

આવા અવરોધો વચ્ચે પણ મંચે માંડવી ઘટનાની તપાસ કરી. તેમાં જોડાયેલાં ‘ગણતર’ના નિરુપમાબહેને જણાવ્યું કે પોલીસે ગામને પાદર બનાવેલી ચોકીમાં અત્યાર સુધી 170 લોકોની પૂછપરછ કરી છે. પણ ભાવનાબહેન અને ધીરુભાઈ બંનેના અપમૃત્યુની એફ.આર.આઈ.માં જે કુલ સાત નામ છે તેમાંથી કોઈ પૂછપરછ કરી નથી. જે એકમાત્ર વ્યક્તિની ધરપકડ કરી છે તે નિર્દોષ હોવાની સંભાવના છે. ભાવનાબહેન પરનાં દુષ્કૃત્ય પહેલાં અહીં આઠ-દસ કિસ્સા બની ચૂક્યા છે. ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનના રિમ્મીએ જણાવ્યું કે નલિયાની જેમ અહીં પણ પોલીસ અમારા વાહનોનો પીછો કરતી રહી હતી. ભાવનાબહેનાનાં પરિવારના તુલસીભાઈએ જણાવ્યું કે પોલીસ પાસે તપાસ અંગે માહિતી પૂછવા જઈએ ત્યારે તે કહે છે કે ‘તમને આ ઉઘરાણી સિવાય કશું આવડતું નથી’. ધીરુભાઈના ભાઈ વલ્લભભાઈએ કહ્યું, ‘મારા ભાઈને પોલીસ અવારનવાર લઈ જતી અને મારપીટ કરતી. કોઈ આરોપી પકડાય નહીં, આખા ઘરને ખોટા ખોટા હેરાન કરે. ભાઈને દિવસે પોલીસવાળા લઈ જાય અને રાતે ગામવાળા લઈ જાય, બંને બોલવા માટે દબાણ કરે.’

ભાવનગરના નીતિન ઘેલાણીએ માંડવીમાં કેટલાંક આસામાજિક તત્વોના ત્રાસથી અનેક સાધનસંપન્ન કુટુંબોએ પણ સૂરત હિજરત કરી હોવાનું જણાવ્યું. ભાવનગરના વરિષ્ઠ નાગરિક અને પૂર્વ અધ્યાપક દમયંતીબહેન મોદીએ જણાવ્યું કે જેલમાં પૂરવામાં આવેલ આરોપી, કથિત આરોપીના પરિવાર, ગામ લોકોની મુલાકાતમાંથી કશું જાણવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. વળી તેમણે શહેરના કેટલાક વિસ્તારમાં મહિલાઓની વારંવાર થતી જાતીય સતામણીના અત્યારના તેમ જ ભૂતકાળના કિસ્સાની વાત કરી. કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં મીનાક્ષીબહેને તેમની સંસ્થાએ નલિયા અંગે જે તપાસ કરી તેની ટૂંકી માહિતી આપી. એ દુષ્કર્મ સામે મંચે ચલાવેલી ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિલપરના ગ્રામ સ્વરાજ સંઘના પ્રતિનિધી દિનેશભાઈ સંઘવીએ ‘રાજ્યના વેચાઈ ગયેલા તપાસ તંત્ર’ પર પસ્તાળ પાડી અને નલિયાની સર્વાઇવર તેમ જ તેના જીવનસાથીને  બિરદાવ્યાં. તદુપરાંત નલિયાકાંડ અંગે લાખો રૂપિયાની અખબારી જાહેરખબરો આપી તપાસ અને ન્યાય પ્રક્રિયાને અસર પાડવાની કોશિશ કરતાં ‘કચ્છ લડાયક મંચ’ સામે  તેમણે પણ મીનાક્ષીબહેનની જેમ લાલબત્તી ધરી.  

નલિયા અંગે જાગેલ લોકમતને કારણે સોળમી માર્ચે રાજ્ય સરકારે વિધાનસભામાં તપાસપંચની જાહેરાત કરી હતી. મંચના જણાવ્યા મુજબ આ પંચનું જાહેરનામું ક્યાં ય ઉપલ્બ્ધ નથી. સરકારે એની વ્યાપક પ્રસિદ્ધિ કરી નથી, તેની કોઈ કાર્યવાહી નજરે પડી નથી. એટલે સરકારે એમાં કાર્યાન્વિત થવું જોઈએ, અથવા ‘આ પંચનું – ન્યાયનું ફારસ બંધ કરી દેવું જોઈએ’ એવું મંચ માને છે. નલિયાની એક ફરિયાદી પીડિતા ઉપરાંત પાંત્રીસ બહેનોનાં પાંસઠ પુરુષોએ કરેલા જાતીય શોષણના પુરાવા તરીકે વિપક્ષના નેતા તથા નાયબ મુખ્યમંત્રી પાસેથી સી.ડી. તાત્કાલિક ધોરણે મગાવી લેવામાં આવે એવી માગણી પણ મંચે કરી છે. 

એમ પણ માનવામાં આવે છે કે નલિયા અને માંડવી બંનેમાં થયેલા મહિલાઓ પરના અત્યાચારની તપાસ પ્રક્રિયા કોમો અને પક્ષોનાં બહુ નિંભર રાજકારણમાં અટવાઈ છે. તાજેતરમાં ગુજરાતના સર્વોચ્ચ પોલીસ અધિકારી એક મહિલા બન્યાં છે ત્યારે પૂછવાનું થાય : ‘હર બાર કિસી ભી હાલાત મેં / ઔરત હી બેઇજ્જત ક્યું ?’  

+++++++

27 એપ્રિલ 2017

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 અૅપ્રિલ 2017] 

Loading

વિચારધારાકીય આદર્શવાદની ક્ષ-તપાસ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 April 2017

જે રાષ્ટૃ-રાજ્યનો ખયાલ સંઘે લગભગ ઈશ્વરને સ્થાને મૂક્યો છે, તે ભારતીય નહીં, યુરોપીય પરંપરાની ભેટ છે

લાલકૃષ્ણ અડવાણી વગેરેને ક્રિમિનલ કૉન્સિપરસીના ધોરણે આરોપીના પિંજરમાં ઊભા કરવા પાછળના રાજકીય આટાપાટાની કે આ પ્રકારના ગંભીર આરોપ છતાં કલ્યાણસિંહ રાજ્યપાલપદે અને ઉમા ભારતી કેન્દ્રીય મંત્રી તરીકે ચાલુ રહેવા ઇચ્છે એમાં સમાયેલ નૈતિક પ્રશ્નોની ચર્ચામાં નહીં જતાં વસ્તુત: જે એક મુદ્દો વિશેષરૂપે ચર્ચવા જોગ છે એ માટેનો ધક્કો ઉમા ભારતીની એ પ્રતિક્રિયા પરથી લાગેલો છે કે અમે જે કર્યું તું તે ખુલ્લંખુલ્લા કર્યું હતું. એને માટે ફાંસીએ ચડવું પડે તો પણ શું, એવો વાગ્મિતાએ રસ્યો ભાવોદ્ગાર પણ એમણે આપ્યો છે. મતલબ, બાબરીધ્વંસમાં એમની સંડોવણી તે કોઈ કાયદો અને વ્યવસ્થાના અગર તો જાહેર જીવનમાં શું કરાય અને શું ન કરાય એવી રાજકીય સભ્યતાના દાયરામાં સીમિત નહોતી તે નહોતી. વિચારધારાકીય આદર્શવાદને વશ વર્તીને એમણે જે પણ કર્યું તે કર્યું. કહો કે ધર્મ્ય લાગ્યાથી કર્યું.

લાગે છે, આ વિચારધારાકીય આદર્શવાદના સળેસળ તપાસવામાં ને સમજવામાં હવે ઢીલું ન મૂકવું જોઈએ. અયોધ્યા ઘટનાનાં પચીસ વરસ છતાં જે વૈચારિક સફાઈ પૂરતી થઈ નથી તે હવે તો થઈ જ જવી જોઈએ. સંધ સ્કૂલને માટે, અચ્છા કોપી લેખક અડવાણીના ખાસા વ્યાયામ પછી અને છતાં, બાબરીધ્વંસ એ વિચારધારાકીય વિજય ઘટના છે. વિકાસવેશ અને ડિપ્લોમેટિક મૌનવશ નમો ન બોલે તો પણ એમની ‘મન કી બાત’ આથી જુદી નથી. આપણે ત્યાં એક સદ્ભાવ ચેષ્ટા લેખે કોઈક તબક્કે યાસીન દલાલ વગેરેએ હિંદુઓની તરફેણમાં વિવાદગ્રસ્ત ઢાંચો છોડી દેવાની હિમાયત કરી હતી. જો કે હાર્ડલાઇન હિંદુત્વના માહોલમાં જે વળતી મુસ્લિમ ઉદ્યુક્તિ ગઠિત થતી આવતી હતી એને એ ભાગ્યે જ સ્વીકાર્ય હોય. આવાં શક્ય સમાધાનોનું બહુ ભૂંડું અને અમાનવીય ઉદાહરણ 2002માં હિંદુબહુલ ગામો જે નાકલીટી તણાવીને મુસ્લિમોને પુન:પ્રવેશ આપવાની વાત કરતાં હતાં એમાંયે જોવા મળ્યું હતું. પણ જિકર આપણે વિવાદગ્રસ્ત ઢાંચો હિંદુઓને સોંપી દેવાના સદ્ભાવસૂચનની કરતા હતા. આવી સોંપણીને હિંદુત્વ રાજનીતિ ભાગ્યે જ કોઈ સદ્‌ભાવ ચેષ્ટારૂપે જોઈ શકે. એના ઝંડાબરદારો આવી સોંપણીમાં પોતાની વિજયધ્વજા જ લહેરાતી જુએ. આનું કારણ અલબત્ત ઉગ્ર વિચારધારાવાદમાં રહેલું છે.

વાત એમ છે કે હિંદુત્વ રાજનીતિ જ્યારે અયોધ્યાનો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે આખો પ્રશ્ન પૂજાસ્થાનોની પવિત્રતા, શાસકીય સભ્યતા અને સહજીવનના શીલના મર્યાદિત વર્તુળની બહાર નીકળીને એક રાષ્ટ્ર તરીકેના વિજયપ્રસ્થાપનનો બની રહે છે. ઇસ્લામ અને ખ્રિસ્ત મત સહિતના સંગઠિત ધર્મો આક્રમકતાને મુદ્દે દૂચે દોહેલ છે એમ કોણ કહી શકશે? જેને વ્યાપક હિંદુ ધર્મપરિવાર (રાધાકૃષ્ણન્‌ના શબ્દોમાં કૉમનવેલ્થ ઑફ રિલિજિયન્સ) કહેવાય છે. તેમાં જૈન અને બૌદ્ધ ધર્મ સ્થાનકોને ક્યારેક હિંદુ પરચો મળ્યાની ય ઇતિહાસ નોંધ છે. જૈનો અને બૌદ્ધોએ પણ વળતી હાજરી દર્જ નહીં જ કરી હોય તેમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. પણ સંપ્રદાય-સંપ્રદાય કે ધર્મ-ધર્મ વચ્ચેના ઝઘડાને રાષ્ટ્રવાદીઓ વિ. ઇતરનું રૂપ અપાય એ તો પેલા વિચારધારાવાદની જ કમાલ કહેવાશે.

અડવાણીની રથયાત્રા સાથે દેશમાં જે વિમર્શપળટો થયો કહેવાય છે એની આ રીતની ક્ષ-તપાસ ખાસી કરવા પણું છે. કૉંગ્રેસ કે ડાબેરીઓના સિન્સ ઑફ ઓમિશન્સ ઍન્ડ કમિશન્સ બાબતે ચર્ચાથી ચોક્કસ જ પરહેજ ના કરીએ પણ કોમવાદને પૂરા કદના રાજકીય વિચારધારાનું રૂપ આપનાર અને પડકારવાના વિકલ્પે તેમ ના કરીએ, ભાઈ! હમણાં કે. કે. મોહમ્મદ નામના પુરાતત્ત્વવિદની એ અનુભવનોંધ માધ્યમોમાં રમતી મૂકાઈ છે કે અયોધ્યાના ઉત્ખનનમાં મંદિર પર મસ્જિદ થયાની પૂરતી સાબિતી મળી છે. મોહમ્મદની અનુભવનોંધમાં રહેલી નૈતિકતા અને પ્રામાણિકતાની કદર કરીએ અને ધરમમજહબને નામે તોડફોડ બાબતે અસંદિગ્ધ ભૂમિકા લઈએ; પણ તે પછી અને છતાં એક વસ્તુ તો સમજવી જ પડે કે સંગઠિત ધર્મોની (ખાસ કરીને સેમિટિક વલણોની) આ ટીકાપાત્ર મર્યાદા રહી છે. માત્ર, એને આ કે તે પક્ષે રાષ્ટ્રવાદના વાઘા પહેરાવવાનો ઉદ્યમ એ નવા જમાનાને લાયક વાનું નથી. ઉમા ભારતીના ભાવોદ્રેકી ઉદ્ગારો કથિત ક્રુઝેડ્સની ઉધારબાજુ જેવા છે અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા ખુદ હિંદુ ધર્મને એના ઉજ્જવળ એશોથી વિપરીત સેમેટિક્રૂપ આપી શકે એની ગવાહી પૂરે છે.

ખરું જોતાં હિંદુત્વ રાજનીતિએ જે વાસ્તવ સાથે કામ પાડવાનું છે તે એ છે કે ઇતિહાસની એની સમજ કોઈક ખોટે છેડે ગંઠાઈ ગયેલી છે. હમણાં અમદાવાદમાં સંઘ સમર્થિત ભારતીય વિચાર મંચે સરસંઘચાલક મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતમાં ‘ભારતને સંસ્થાનવાદી માનસિકતાથી મુક્ત કરવા વિશે’ બે દિવસ જે બધી ચર્ચાવિચારણા કરી એની વિગતો મળશે ત્યારે વિગતે વિચારવાનું બનશે. પણ એક પાયાની વાત સંઘ શ્રેષ્ઠીઓએ અને સંઘચાહકોએ તેમ એના રાષ્ટ્રવાદના સમર્થકોએ લક્ષમાં લેવાની જરૂર છે, અને તે એ કે જે રાષ્ટ્ર-રાજ્ય (નેશન-સ્ટેટ)નો ખયાલ એમણે લગભગ ઈશ્વરના સ્થાને મૂક્યો છે તે યુરોપીય પરંપરાની ભેટ છે. યુરોપીય પરંપરાના સંપર્કે, અંગ્રેજ રાજવટ હસ્તક આપણે ત્યાં જે સાંસ્થાનિક માનસ વિકસ્યું એણે રાષ્ટ્ર-રાજ્યને એવો ને એટલો ઘોર ઉપાસ્ય બનાવી મૂકેલ છે જેવો ને જેટલો ભારતીય પરંપરામાં તે કદાપિ નહોતો.

સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થવાના સંદર્ભમાં અમદાવાદની વિચારગોષ્ઠિ અંગેની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણેનો દિશાબોધ મહાત્મા ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ના સપનાને સાકાર કરવાની રીતે સાર્વજનિક જીવનના એકાએક અંગના ભારતીયકરણનો છે. સંઘની થિંક ટૈક જરી બારીકાઈથી વિચારશે તો તેને જણાશે કે ‘હિંદ સ્વરાજ’ વસ્તુત: રાષ્ટ્રરાજ્યવાદી પરંપરાને સમાંતરપણે યુરોપ અમેરિકામાં જે વૈકલ્પિક વિચાર વિકસ્યો એની ધારામાં ગાંધીની સત્યાગ્રહી ગતિમતિથી બની આવેલ અભિગમપત્ર છે. જે રાષ્ટ્રરાજ્યવાદને સંઘ પરિવાર કુલદૈવત પેઠે ઉપાસે છે. એની સામે ટોલ્સટોય – રસ્કિન – થોરોની સમાંતર ધારામાં ગાંધી અને ‘હિંદ સ્વરાજ’ આવે છે.

દક્ષિણ આફ્રિકાથી પ્રસંગવશ લંડન ગયેલા ગાંધી અને ઇન્ડિયા હાઉસના સુપ્રતિષ્ઠ ક્રાંતિકારી સાવરકર બેઉ એકમંચ પર આવ્યા ત્યારે સાવરકરનું વક્તવ્યવસ્તુ ‘દુર્ગા દશપ્રહરણધારિણી’ની વિજીગીષુ તરજ પર હતું. જ્યારે ગાંધીનું વક્તવ્યવસ્તુ ‘મર્યાદા પુરુષોત્તમ રામ’ની મુમક્ષુ તરજ પર હતું. સૈકા ઉપર એક દાયકા જેટલી થવા જતી આ સહોપરિસ્થિતિ ‘હિંદુત્વ’ના ભાવિ વ્યાખ્યાકાર અને ‘હિંદ સ્વરાજ’ના દૃષ્ટાની હતી એમ પાછળ નજર કરતાં સમજાય છે.

આ સહોપસ્થિતિ અહીં સાભિપ્રાય સાંભરી છે; કેમ કે ગોળવેલકર કૃત ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ (મરાઠીમાં ‘આમ્હી કોણ’) એ સાવરકરની હિંદુત્વ થીસિસની ફ્રિકવન્સી પર છે અને હિટલર પરત્વે રાષ્ટ્રનિર્માતા લેખે અહોભાવથી ગ્રસ્ત છે. ‘અમેરિકા ફર્સ્ટ’ અને ‘નેશન ફર્સ્ટ’ પોતપોતાની ગતિમતિએ આવી જ ધારાઓમાંથી આવેલાં સૂત્રો છે એટલે ભારતીય વિચારમંચને જો સહસા ‘હિંદ સ્વરાજ’નો મહિમા વસ્યો હોય તો તેણે ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ બાબતે પ્રગટ પુનર્વિચારની રાહે કામ લેવાનું નૈતિક સાહસ દાખવવું રહે છે. પાકા ઘડે કાંઠા ચડશે? થોભો અને રાહ જુઓ, એમ કહી શકાય પણ હમણાં સુધીનો અનુભવ તો સરવાળે કોસ્મેટિક કુંડાળાની બહાર નીકળી નહીં શકવાનો રહ્યો છે. આજે વિકાસનો વરખ, કાલે ‘હિંદ સ્વરાજ’નો હરખ .. ને એય હિંદુત્વ હેલાળા લે!

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : ‘ઐતિહાસિક તથ્ય’, “દિવ્ય ભાસ્કર”, 22 અૅપ્રિલ 2017

Loading

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2017

વરસોનાં વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે, તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઇન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે

મુંબઈની વડી અદાલતે માલેગાંવ બૉમ્બ-બ્લાસ્ટ કેસનાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન પર છોડવાનો હુકમ આપ્યો છે. ૨૦૦૮ની ૨૯ સપ્ટેમ્બરે માલેગાંવમાં બૉમ્બ-વિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સો જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ કબ્રસ્તાનની બહાર થયા હતા અને માર્યા ગયેલાઓ અને ઘાયલ થયેલાઓ બધા જ મુસલમાન હતા. શરૂઆતની તપાસ પછી પોલીસને હિન્દુ ઉગ્રવાદી જૂથનો હાથ હોવાની શંકા ગઈ હતી. એ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં પ્રજ્ઞા સિંહ ઠાકુર, સ્વામી અસીમાનંદ, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, શિવનારાયણ કલસાગરા વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. એ પહેલાં શંકાના આધારે કેટલાક મુસલમાન શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી જેમનો નિર્દોષ છુટકારો હજી હમણાં વરસ પહેલા થયો હતો.

પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા આરોપીઓ આઠ વરસથી જેલમાં હતા. આઠ વરસે હજી એ ઠરાવવાનું બાકી છે કે તેમની સામે પ્રથમદર્શી પુરાવાઓ છે કે નહીં. આરોપનામું તો હજી બહુ દૂરની વાત છે. ૨૦૦૮માં ATSએ આરોપીઓ સામે મોકા અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. ૨૦૦૮ની ૨૦ જાન્યુઆરીએ ATSએ આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. ૨૦૧૧ના એપ્રિલ મહિનામાં આ કેસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને સોંપવામાં આવ્યો હતો. ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન ATSએ ગોકળગાયની ઝડપે તપાસ આગળ વધારી હતી. ૨૦૧૧થી ૨૦૧૬ સુધી NIAએ એ જ ઝડપે તપાસ આગળ વધારી હતી.

૨૦૧૪માં કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ હતી અને ૨૦૧૬માં NIAએ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ આરોપીઓ સામેના મોકા ધારા અંતર્ગત મૂકવામાં આવેલા આરોપો પડતા મૂક્યા હતા. આરોપ જ પડતા મૂકવામાં આવ્યા ત્યાં બીજું કે અંતિમ આરોપનામું દાખલ થવાનો તો સવાલ જ નથી. ગઈ ૧૧ નવેમ્બરે NIAએ અદાલતને જણાવ્યું હતું કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને જામીન આપવામાં આવે એની સામે એજન્સીને વાંધો નથી. ૨૫ એપ્રિલે વડી અદાલતે જામીન આપ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતને જામીન આપવામાં નથી આવ્યા, કારણ કે NIAએ એની સામે વાંધો લીધો છે. પુરોહિત લશ્કરમાં હતો અને લશ્કરમાં શીખવાડવામાં આવતી ટેક્નૉલૉજીનો તેણે દુરુપયોગ કર્યો હતો એ જામીનનો વિરોધ કરવાનો અને જામીન નહીં આપવાનું મુખ્ય કારણ છે. દરમ્યાન ૮ માર્ચે જયપુરની NIAએ અદાલતે ગુજરાતમાં ડાંગમાં આશ્રમ ધરાવતા સ્વામી અસીમાનંદને તમામ આરોપોમાંથી મુક્તિ આપી હતી.

આમ બનવાનું જ હતું અને એના આસાર કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ એ સાથે જ મળવા લાગ્યા હતા. સવાલ એ નથી. સવાલ એ છે કે ૨૦૦૮થી ૨૦૧૪ સુધી કેન્દ્ર અને રાજ્યમાંની કૉન્ગ્રેસની સરકાર શું કરતી હતી? શા માટે ઝડપથી તપાસ આગળ નહોતી વધતી અને શા માટે અંતિમ આરોપનામાં નહોતાં ઘડાયાં? આનો અર્થ એવો નથી કે કૉન્ગ્રેસની સરકાર પણ આરોપીઓને છાવરતી હતી. આનો અર્થ એ થાય છે કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પડી ભાંગી છે. સરકાર દખલગીરી ન કરે તો પણ એક-એક દાયકા સુધી તપાસ પૂરી નથી થતી, આરોપનામું અને ખટલો તો બહુ દૂરની વાત છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર અને બીજા પાંચ જણ સામે કોઈ આરોપ નથી તો શા માટે તેમને આઠ વરસથી વધુ સમય માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યાં? ૨૦૧૩થી આસારામ જેલમાં છે. આવતા સપ્ટેમ્બરમાં ચાર વરસ પૂરાં થશે, પરંતુ તેની સામેની તપાસ પૂરી થશે એની કોઈ ખાતરી નથી. તે જો નિર્દોષ સાબિત થશે તો તેનાં વેડફાયેલાં વર્ષો અને બદનામી માટે જવાબદાર કોણ?

આરોપી જો ગુનેગાર છે તો તેને કાયદેસર સજા નથી થતી અને આરોપી જો નિર્દોષ છે તો તેનો સમયસર છુટકારો નથી થતો. વરસોના વરસ આ રીતે વીતે છે. નિર્દોષ સબડે છે, ગુનેગાર છટકી જાય છે અને શાસકોના પેટનું પાણી પણ નથી હલતું. કારણ બહુ સ્પષ્ટ છે. તૂટી પડેલી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમને અનુકૂળ આવે છે. ન્યુ ઇન્ડિયાની વાતો કરનારાઓને કહેવું જોઈએ કે ન્યુ ઈન્ડિયાનો માર્ગ અહીંથી શરૂ થાય છે. જે દેશમાં કાયદો વાંઝિયો હોય અથવા પસંદગીના ધોરણે કાયદો સક્ષમ કે વાંઝિયો હોય તેમ જ જે દેશમાં ન્યાયતંત્ર ન્યાય ન આપી શકતું હોય એ દેશ નૂતન અવતાર ધારણ ન કરી શકે. ન્યુ ઇન્ડિયાનાં સપનાં જોઈને રાચનારાઓને આ સત્ય જણાવવું જોઈએ.

સ્વામી અસીમાનંદને જયપુરની અદાલતે મુક્તિ આપી એના અાગલા દિવસે મહારાષ્ટ્રની ગડચિરોલીની સેશન્સ કોર્ટે દિલ્હી યુનિવર્સિટીના પ્રાધ્યાપક જી. એન. સાઈબાબાને ૧૦ વરસની આકરી કેદની સજા કરી હતી. તેમનો ગુનો એ હતો કે તેમના ઘરમાંથી નક્સલવાદી સાહિત્ય મળી આવ્યું હતું અને પોલીસે એનો અર્થ એવો કર્યો હતો કે તે નક્સલવાદી છે. આ સિવાયનો એક પણ સંગીન આરોપ અને સંગીન પુરાવો પોલીસ પાસે નહોતો. એક બાજુ સંગીન ગુનાનો આરોપ ધરાવનારાઓનો છુટકારો થાય અને બીજી બાજુ હાસ્યાસ્પદ આરોપ ધરાવનારાઓને થોડીઘણી નહીં, દસ વરસની સજા થાય એવી આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે. સાઈબાબાની ધરપકડ ૨૦૧૪ના એપ્રિલ મહિનામાં કરવામાં આવી હતી જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હતી અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની સરકાર હતી. આશ્ચર્ય થશે, માત્ર ત્રણ વરસમાં સાઈબાબાનો ખટલો ચાલીને સજા પણ થઈ ગઈ છે. કારણ બહુ સ્પષ્ટ છે. એક બાજુ રાજકીય દરમ્યાનગીરી નહોતી અને બીજી બાજુ જજસાહેબે દિમાગ વાપરવાનું નહોતું કે ઘરમાં કોઈ વિચારધારાનું સાહિત્ય રાખવું કે વાંચવું એ ગુનો નથી. મારી પાસે નક્સલવાદી સાહિત્ય છે.

પ્રજ્ઞા સિંહો છટકી જાય એનો વાંધો નથી, ન્યાયવ્યવસ્થા ડૂબી રહી છે એની ચિંતા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૅપ્રિલ 2017

Loading

...102030...3,4623,4633,4643,465...3,4703,4803,490...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved