Opinion Magazine
Number of visits: 9689330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થીઓ અને યુવાનોની રાજકારણમાં સક્રિય ભાગીદારીનું સ્પષ્ટતાપૂર્વક સમર્થન કરનાર ભગતસિંહ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|18 March 2017

આવતા ગુરુવારે [23 માર્ચ 2017] ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતનો દિવસ છે

શહીદે આઝમ ભગતસિંહે જૂન 1928માં એક લેખમાં લખ્યું છે : ‘આજે રાષ્ટ્રીય કૉલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ સત્યાગ્રહમાં બારડોલીના લોકોને મદદ કરે છે તેઓ શું મૂર્ખ છે ?…. કોઈપણ દેશને આઝાદી અપાવનારા એ દેશના યુવાનો જ હોય છે.’ ‘કિરતી’ માસિકના ઉપર્યુક્ત લેખનો વિષય છે ‘વિદ્યાર્થી અને રાજકારણ’. પહેલા જ વાક્યમાં ભગતસિંહ કહે છે : ‘આજકાલ આ વાતની ખૂબ ચર્ચા થાય છે કે વિદ્યાર્થીઓએ રાજકારણ કે રાજનૈતિક કામોમાં ભાગ લેવો જોઈએ કે નહીં.’ ચર્ચાનું નિમિત્ત પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓને રાજકારણમાં જોડાવા પર પ્રતિબંધ મૂકતો નિયમ હતો . એ અંગે ભગતસિંહે જે નોંધ્યું છે તે આપણે ત્યાં હંમેશ માટે પ્રસ્તુત છે : ‘આજે પંજાબ કાઉન્સિલની કાર્યવાહી વાંચીને એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારું શિક્ષણ તદ્દન નિરર્થક છે. દુનિયાની વાત તો બાજુ પર રહી, પણ વિદ્યાર્થીઓ પોતાના દેશની સમસ્યાઓમાં પણ ભાગ લેતા નથી. તેમને આ બાબતમાં કશું જ જ્ઞાન હોતું નથી … તેમને આજે બુદ્ધિહીન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’

સામ્રાજ્યવાદી અંગ્રેજોના સમયની આ વાત ઉદારીકરણના નવસામ્રાજ્યવાદના યુગમાં પણ લાગુ પડે છે. નવમા દાયકામાં ઉદારીકરણનો ફેલાવો થતો ગયો તેની સાથે વિદ્યાર્થીઓની જાહેર જીવન અને રાજકારણમાંની સામેલગીરીનું પ્રમાણ ઘટતું ગયું. તે પૂર્વે, એટલે કે સાતમા અને આઠમા દાયકાના આંદોલનો દરમિયાન રાજકીય રીતે સક્રિય વિદ્યાર્થીઓનો ફાલ ઊતર્યો. તેમાંથી કેટલાક આગેવાનો મળ્યા. જેમ કે, ગુજરાતના નવનિર્માણ આંદોલનના અરધો ડઝન યુવા નેતાઓમાંથી મનીષી જાની, જે આજે ય લોકચળવળોમાં સક્રિય છે. જયપ્રકાશની સંપૂર્ણ ક્રાન્તિની ચળવળમાંથી  લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર આવ્યા. અરુણ જેટલી દિલ્હી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા ત્યારે કટોકટી સામેની લડતમાં જેલ ગયા હતા. પ્રકાશ કરાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)માં સામ્યવાદી પક્ષના સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ  ઇન્ડિયાના એક સ્થાપક હતા. સીતારામ યેચુરી એ સંગઠનના સભ્ય હતા. બ્રિન્દા કરાત અને વેંકૈયા નાયડુ અનુક્રમે કોલકાતા અને આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હતા.

કમનસીબે ઉદારીકરણ અને તેની સાથે ખાનગીકરણ તેમ જ વૈશ્વિકરણે શિક્ષણનો ઉદ્દેશ જ બદલી નાખ્યો. શિક્ષણમાં ઉત્પાદન, નફો, વ્યવસ્થાપન, વ્યક્તિગત સફળતા, મોટા પગારવાળી કૉર્પોરેટ જૉબ્સ  માટેની તાલીમ મહત્ત્વની બનતી ગઈ. જિજ્ઞાસા, પ્રશ્નવૃત્તિ અને જ્ઞાનલક્ષી મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપતી કેળવણી ગૌણ બની ગઈ. શિક્ષણનો અને જાહેર જીવનનો સંબંધ ઘટતો ગયો. રાજકારણમાં સાર્વજનિક હિતનું સ્થાન હવે રાજકારણી તરીકેની વ્યક્તિગત સિદ્ધિએ લીધું. કૉલેજો-યુનિવર્સિટીઓની ચૂંટણીઓ યૌવનસહજ બળવાખોર વિચારોને બદલે પૈસા અને ગુંડાગર્દીથી લડાવા લાગી. કૅમ્પસ પૉલિટિક્સની છબિ જનમાનસમાં ખરડાતી ચાલી. સત્તાવાળાઓને દોડવું’તું ને ઢાળ મળ્યો. કેટલી ય યુનિવર્સિટીઓમાંથી કૉલેજમાંની ચૂંટણીઓને જાકારો મળ્યો. તેની પાછળ ચૂંટણીઓ દૂષણ છે અને તે વિદ્યાર્થીઓને રાજકારણમાં ઘસડી જાય છે એ મતલબનાં કારણો આગળ ધરવામાં આવ્યાં. એ બંને કારણો કેવાં ગેરવાજબી છે તે લોકશાહી દેશની તમામ સ્તરની ચૂંટણીઓના સંદર્ભે વિચારતાં સમજાઈ જાય. વળી જે દેશમાં લોકપ્રતિનિધિઓની પસંદગી માટે અઢાર વર્ષે મતાધિકાર હોય ત્યાં શિક્ષણક્ષેત્રના પ્રતિનિધિઓની ચૂંટણીઓ જ ન હોય તે ભારોભાર વિસંગત છે. ગયા વર્ષે જૂનમાં સરકારે નવી શિક્ષણ નીતિ અંગેનાં સૂચનો માટે નીમેલી સુબ્રમણ્યન સમિતિએ વિદ્યાર્થીઓની રાજકીય પ્રવૃત્તિઓ પર ઘણાં નિયંત્રણો જ સૂચવ્યાં છે. તે પહેલાંની લિંગડોહ સમિતિનાં કૉલેજ ચૂંટણીઓ વિશેનાં સૂચનો પણ વધારે પડતાં બંધકર્તા ગણાયાં હતાં. ખરેખર તો આ ચૂંટણીઓ યુવા નાગરિકો માટે સક્રિય રાજકારણ માટેની ભૂમિકા પૂરી પાડે છે.

‘કિરતી’ના લેખમાં ભગતસિંહ પૂછે છે : ‘સક્રિય રાજકારણ એટલે શું ? ગાંધી, નહેરુ અને સુભાષચન્દ્ર બોઝનું ભાષણ સાંભળવું તે સક્રિય રાજકારણ ન કહેવાય ? તો કમિશન અને વાઇરૉયનું સ્વાગત કરીએ તો એ શું કહેવાય ? દેશો અને સરકારોની વ્યવસ્થા સંબંધી કોઈપણ વાત રાજકારણના ક્ષેત્રમાં જ ગણાઈ જાય. તો પછી આ રાજકારણ થયું કે નહીં ? કહેવાય છે કે એકથી સરકાર ખુશ થાય છે, બીજાથી નારાજ. શું વિદ્યાર્થીઓને જન્મની સાથે ખુશામતના પાઠ ભણાવવામાં આવે ?’

આપણી સરકાર વિદ્યાર્થીઓથી નારાજ રહે છે. તેના દાખલા મળતા રહ્યા છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભાજપના માનીતા સાધારણ નટની વડા તરીકેની નિમણૂંકની સામે 139 દિવસ   લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે પુષ્કળ દમન કર્યું હતું જેની વાત દેશભરમાં ફેલાઈ. તે પછી તરત જ ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુજીસી’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ  શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડા વિરુદ્ધ યુજીસીની ઑફિસ સામે આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જે.એન.યુ. કૅમ્પસમાં કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે કડક કાર્યવાહી એટલા માટે થઈ કે દેશભક્તિ અને કાશ્મીર સમસ્યા સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. રોહિત વેમુલાની આત્મહત્યા માટે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી પાસે જવાબ માગતા વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. યુપીએની સરકારે લાદેલી નિરર્થક અને નુકસાનકારક સેમિસ્ટર સિસ્ટમ દૂર કરવા માટે ગુજરાત સહિત વિદ્યાર્થીઓએ અનેક જગ્યાએ ચલાવેલી ચળવળોને શાસકોએ ગણકારી નથી.

આમ પણ યુવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ આપણા દેશની ગણતરીમાં જ નથી હોતાં. કૉલેજો-યુનિવર્સિટીઓના કર્મચારીઓ, અધ્યાપકો, આચાર્યો અને વહીવટકર્તાઓના એક મોટા વર્ગ માટે વિદ્યાર્થીઓ એમની નોકરીઓ ચાલે તે માટે પૂરતી સંખ્યામાં ચોપડે ચડતાં નામોથી વિશેષ કશું હોતા નથી. કૉલેજિયનો એટલે સાવ આળસુ, ઉડાઉ અને ઉદ્ધત ટોળાં તરીકેની ગેરવાજબી છાપ સમાજે મનમાં સંઘરી છે. જુદાં જુદાં કાઉન્ટરો પરના કર્મચારીઓનું અને પોલીસનું કૉલેજિયનો સાથેનું અપમાનજનક વર્તન જોવા જેવું હોય છે. વિદ્યાર્થી એ જાણે ગમે તેમ કરીને ચૂપ બેસાડવા માટે જ જન્મેલાં છે એ વલણ આપણા સમાજ અને શાસકોમાં વ્યાપક છે.

ભગતસિંહ માટે વિદ્યાર્થી એ યુવાશક્તિનું પ્રતીક છે. તેમની હાકલ ‘કૌટુંબિક જંજાળમાં જકડાયા પહેલા’,  ‘તન-મન-ધન દેશ માટે સમર્પિત કરી દે’ તેવા ‘વિદ્યાર્થી કે યુવાન’ લોકોને છે. ભગતસિંહે ખુદની જિંદગી ‘ખિદમતે વતન કે લિએ વક્ફ’ કરીને, ઘરબારનો ત્યાગ કરીને ક્રાન્તિકાર્યમાં સોળ વર્ષની ઉંમરે જ ઝંપલાવ્યું હતું.  યૌવનના તેઓ ચાહક હતા. સત્તરમા વર્ષે  લખેલા ‘યુવક’ નામના નિબંધમાં અને સ્વનામધન્ય ‘નવજવાન ભારત સભા’ના 1928ના ઘોષણાપત્રમાં તેમણે યૌવન તેમ જ  દુનિયાના ઇતિહાસમાં તેની સરફરોશીનું બહુ જ ગૌરવ કર્યું છે. અલબત્ત, તેમના માટે યુવાનોએ માત્ર રાજકીય પરિવર્તન નહીં પણ માનવમાત્રની સમાનતા માટેની સામાજિક ક્રાન્તિ પણ લાવવાની છે. એટલા માટે પંજાબ છાત્ર સંઘના લાહોરના અધિવેશન માટે ઑક્ટોબર 1929માં  જેલમાંથી મોકલેલા સંદેશમાં તેમણે લખ્યું : ‘નૌજવાનોં કો ક્રાન્તિ કા યહ સંદેશ દેશ કે કોને-કોને પહુંચાના હૈ … જિસસે આઝાદી આયેગી ઔર તબ એક મનુષ્ય દ્વારા દૂસરે મનુષ્ય કા શોષણ અસંભવ હો જાયેગા.’   

16 માર્ચ 2017

++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 માર્ચ 2017

Loading

સિદ્ધહસ્ત માળી

જ્ઞાન ચતુર્વેદી|Opinion - Opinion|18 March 2017

હમણાં, મોટી ‘હાઈ લેવલ’ની મિટિંગ થવાની છે આ રૂમમાં. રૂમ ડરેલો છે. મોટો માણસ ક્યારે પણ આવી શકે છે. આવશે તો મિટિંગ શરૂ થશે.

રૂમમાં, જેને ‘કૉન્ફરન્સ હૉલ’ કહે છે, નાના, વચલા અને કેટલાક થોડા મોટા ટાઇપના લોકો બેઠા છે. બધા અગાઉથી આવીને બેઠેલા છે. બધા મોટા માણસની રાહ જોઈ રહ્યા છે.

મોટા માણસનો ભય છે. બધાના ચહેરા પર વાંચી શકાય છે મોટા માણસની મોટી વાતો. અને લાતો તો ભાઈ એવી છે કે જેની ચર્ચા ઑફિસે-ઑફિસે. ક્યારે કોને લગાવી દે, કહેવું મુશ્કેલ. ચેતવણી વગર જ લગાવી દે છે. મોટા માણસની મોટી ખુરશી. તે ખુરશીના પાયા ઊંચા, ટેકો મોટો, તળિયું મજબૂત. મોટા માણસનું માથું મોટું. આટલા મોટા માથા પર સાહેબગીરીના સોજા, સત્તાનું ગૂમડું અને અહમ્‌ની લાલી. માથું લાગે જાણે પાકેલો ફોલ્લો. સૂજેલો અને ગરમ-મોટા માણસની મોટી વાતો. મોટા માણસ વિશે મોટી-મોટી વાતો.

‘સાહેબે જો એક વાર નક્કી કરી લીધું તો બસ, ડગતા નથી.’ કૉન્ફરન્સ હૉલમાં પાછળ બેઠેલા એક નાના માણસે બીજા નાના માણસને એમ જ કહ્યું છે. જો કે તે એટલા નાના હતા પણ નહીં. પોતાની ઑફિસમાં મોટા છે, પણ અહીંયાં નાના જેટલું ગજું છે.

બીજો માણસ સાથે લાવેલી ફાઇલ ઉથલાવી રહ્યો છે. તેને પ્રેઝન્ટેશન આપવાનું છે. વિચારી રહ્યો છે. મોટો માણસ તેનું પ્રેઝન્ટેશન ગમાડશે કે ઠુકરાવી દેશે. મોટા માણસના મૂડની ખબર નથી પડતી. તેણે પહેલાં માણસની વાત સાંભળી લીધી, પણ પોતાની વાત એવી તોલી-જોખીને કહી કે જાણે સાહેબને સંભળાવવા માટે કહી રહ્યો હોય.

“મોટા સાહેબ ઝડપથી મૂળ મુદ્દાની વાત પકડી લે છે. પ્રેઝન્ટેશનમાં એક જ વાર, એક જ એવી મોટી વાત કહી દે છે કે …” ફાઇલમાંથી નજર હટાવીને બીજાએ કહ્યું.

તે મોટા માણસ વિશે એવી રીતે વાત કરે છે જાણે ડેંકાલીના જંગલી આદિવાસી વેતાલ વિષેની કિંવદંતીઓ સંભળાવી રહ્યા હોય. કૉન્ફરન્સ હૉલમાં એક અદૃશ્ય તાપણું સળગી રહ્યું છે. ટોળે વળીને બેઠેલા લોકો મોટા માણસની પેલી કિંવદંતીઓ સંભળાવી રહ્યા છે, જે ઑફિસોના જંગલમાં ફેલાયેલી છે.

“સાહેબ, એક ઝાટકે શર્માજીને જમીન પર લાવી દીધા. શર્માજી વિચારી રહ્યા હતા કે આપણું પ્રમોશન પાક્કું છે. સીનિયોરિટીમાં સૌની ઉપર, પણ મોટા સાહેબે એક ઝાટકે પાંખો કાપી નાંખી શર્માજીની. છેલ્લી ઘડીએ હરિદ્વારથી અગ્રવાલને લાવી શર્માજીના માથા પર બેસાડી દીધો. દંગ રહી ગયા બધા.” કોઈ કોઈકને ધીમા અવાજમાં મોટા માણસનાં કારનામાં કહી રહ્યો છે કે મોટો માણસ ઓચિંતો ઝાટકો આપવામાં એવો નિષ્ણાત છે કે એવો તો બસ તે જ આપી શકે છે.

ફરી પાછી મોટા માણસની બીજી વાતો. જ્યાં સુધી તે નહીં આવે, તેની જ વાતો થશે.

“પણ સરજી છે બહુ ધાર્મિક પ્રવૃત્તિના. જ્યાં સુધી સવારે ઊઠીને બે કલાક પૂજામાં ના બેસે, મજાલ છે ઘરની બહાર પગ મૂકે.” એકે કહ્યું.

“રોજ સવારે યોગ કરે છે. નાસ્તામાં ફક્ત ચણા-મમરા. ફિટ રહેશો તો જ લોકોને પાછળથી લાત મારવાની તાકાત આવશેને.” કોઈ વચલો કોઈ નાનાને કહી રહ્યો છે.

મોટો માણસ રેડિયો-પ્રસારણની જેમ છવાઈ ગયો છે. કૉન્ફરન્સ હૉલમાં, જો કે તે હજુ પહોંચ્યો નથી.

“જ્યારે સાહેબ વિશાખાપટ્ટનમમાં હતા, તો,” એક જણ બોલ્યો.

‘સાહેબ વિશાખાપટ્ટનમમાં પણ રહ્યા છે? એક જણ આશ્ચર્યથી પૂછે છે.

‘લો સાંભળો, આમને આટલી પણ ખબર નથી. પછી રોતા ફરશે કે પ્રમોશન ના મળ્યું. પાયાની વાતો સુધ્ધાં ખબર નથી અને …’

“ભાઈ, ત્રણ વર્ષ રહ્યા છે. એપ્રિલ ચોર્યાસીથી સત્તાસી સુધી બધા જાણે છે આ વાત. ત્યાં જ તો પેલી ઇન્ક્‌વાયરી બેસાડી હતી લોકોએ બધાના પ્રયત્નો રહ્યા કે તપાસમાં સાહેબને ઠેકાણે પાડી દઈએ, પણ કોઈ વાળ પણ વાંકો ના કરી શક્યું પઠ્ઠાનો. ભઈસાહેબનું પેપરવર્ક એટલું જોરદાર હોય છે કે આ વાતનાં વખાણ તેમના દુશ્મનો પણ કરે છે. સાહેબે એલ.વનની જગાએ સીધી એલ. ફાઇવને ઊંચી કિંમતે ખરીદવાનો ઑર્ડર આપેલો, પણ પેપર પર એવો ‘સૉલિડ’ કેસ બનાવ્યો હતો કે ઇન્ક્‌વાયરી કરવાવાળા પણ ભુલાવામાં પડી ગયા સાચ્ચે.” કોઈ વિશાખાપટ્ટનમની ‘વિશ્વવિખ્યાત’ ગણાતી કિંવદંતી સંભળાવી રહ્યું છે. સાંભળવાવાળાઓમાંથી મોટા ભાગના આ કિસ્સો ઘણી વાર સાંભળી-સંભળાવી ચૂક્યા છે. આ રીતે સ્તો કિસ્સો કિંવદંતીમાં પલટાય છે.

“ખૂબ ખાધું, છાતી ઠોકીને ખાધું – પણ મજાલ છે કોઈની કે રોકી શકે! કોઈકે વાત તથા વખાણને પોતાની મરજી મુજબ વધારીને કરી.”

“જો ભાઈ, ખાય તો બધા છે. બધા ખાવા માંગે છે. માણસ ખાશે નહીં તો મોટો કેવી રીતે બનશે? ન ખાય તો એક દિવસ પણ મોટો ન રહી શકે. મહત્ત્વની વાત એ છે કે કોઈ તમારી ગરદનને હાથ ન અડાડી શકે. આપણા મોટા સાહેબની ગરદનની આસપાસ પણ કોઈ ફરકી શકતું હોય તો બતાવો? છે કે નહીં ?” એક વધારાના જણે પ્રશંસાનો પોતાનો એક ટુકડો જોડી દીધો.

મોટો માણસ હજી સુધી નથી આવ્યો પણ કૉન્ફરન્સ હૉલના આત્મામાં સમાયેલાં છે.

તે અહીંયા નથી, છતાં છે. તે અહીં બેઠેલા બધાના ચિત્તમાં હંમેશાં છે, ત્યાંથી ક્યારે ય ગયા જ નથી. મોટા માણસની આ ઓળખ છે. તે તાબેદારોના મનમાં નિરંતર એક વલોણાની જેમ ફર્યા કરે છે. તે હાથ નીચેવાળાઓના વિચાર, વાતચીત, હાસ્ય, ટુચકાઓ, ચિંતાઓ … બધા પર કબજો કરી લે છે. મોટો માણસ જાણી બીજાઓના જીવનમાં એક હક્ક-નાબૂદી અભિયાન સમો છે.

મોટો માણસ હજી આવ્યો પણ નથી, છતાં તેનો એક મોટો ઓળો આખી રૂમ પર છે. કૉન્ફરન્સ હૉલના આંજી દેતા અજવાળા વચ્ચે ડરામણું અંધારું પણ વ્યાપેલું છે. સાહેબના આવ્યા પછી દરેક જણ પોતાની વાત કેવી રીતે મૂકશે, તેનું રિહર્સલ બધાના મનમાં ચાલી રહ્યું છે. સાહેબ પાસે વધુ સ્ટાફ માંગવો જ પડશે. હું તો કહી જ દઈશ કે આટલા ઓછા સ્ટાફથી ટાર્ગેટ અચિવ કરવાનું ઇમ્પૉસિબલ છે. આવું બોલતા જ નહીં. મોટાસાહેબ નવી ભરતીની સખત વિરુદ્ધમાં છે. ચૂપ જ રહેજો. પૂછશે કે કામને ‘ઓફલોડ’ કેમ નથી કરી શકતા ? પ્રાઇવેટ પાર્ટીની સાથે ટાઇ-અપ કેમ નથી કરતા? પૂછશે કે બે કરોડનું મશીન કેમ માંગી રહ્યા છો? આ કામનું ‘ઓફલોડ’ કેમ નહીં. મોટા માણસને ઓફલોડ શબ્દ બહુ પ્રિય છે. તે આ સરકારી વિભાગનાં દરેક કામ પ્રાઈવેટ કંપનીઓને ઓફલોડ કરી દેવા માંગે છે. તેનું ચાલે તો બધાના શ્વાસોને પણ ‘પ્રાઇવેટાઇઝ’ કરી દે. કંઈ પણ માંગશો, તો કહેશે કે તમારાથી નથી થતું તો પ્રાઇવેટ પાર્ટીની સાથે ‘જૉઇન્ટ વેન્ચર’ની પ્રપોઝલ બનાવીને લાવો. હું મંજૂરી આપીશ – પૈસા મંજૂરીમાં છે. રમત જૉઇન્ટ વેન્ચરમાં છે. આ મીટિંગ મૂળમાં આ કામ માટે જ કરશે મોટો માણસ. તેને ખબર છે કે બહુ લાંબો સમય સુધી નથી – પેલી ખુરશી. મોટો માણસ ખૂબ રૂપિયા બનાવવા માટે આવી મીટિંગો કરાવ્યા કરે છે. મીટિંગમાં બધી રજૂઆત તેના કહ્યા પ્રમાણે જ હોવી જોઈએ. ‘પ્રેઝન્ટેશન’, ‘ટુ ધ પૉઇન્ટ’ રાખજો. સાહેબને જરા પણ ‘ડેવિયેશન’ નથી ગમતું, કોઈ કહી રહ્યું છે, કોઈક નવા માણસને. વિવાદ, દલીલો ના કરતા. મોટો માણસ સાંભળતો નથી. એક વાર ઇશારો કરશે. બસ! ઇશારો સમજવાનું તમારું કામ. બધાએ ‘હાં કહેવાની છે. મોટો માણસ દરેક મિટિંગમાં બસ ‘હા’ સાંભળવા જ આવે છે. આજે પણ એની માટે આવી રહ્યો છે. તે બોલશે. બાકી બધાં ‘હા જી’, ‘યસ સર’ કહેશે.

મોટા માણસની વાત ચાલી રહી હતી કે તે આવી જ ગયા.

અચાનક જ તે ચોકીદાર દોડીને આવ્યા. અને બંને એક-એક દરવાજા પકડીને ઊભા રહી ગયા.

રૂમમાં ઉપસ્થિત બધા લોકો, દરવાજા તરફ મોઢું કરી સાદર ઊભા થઈ ગયા.

મોટો માણસ દરવાજામાંથી અંદર આવી ગયો. માણસ આટલો મોટો છે, પણ અટક્યો નહીં. ‘યસ સર’ની કળીઓ જાણે ખીલવા ઉત્સુક છે. હવે મોટો માણસ બહારની જેમ હૉલ પર છવાઈ જશે. કળીઓ ખીલશે, ફૂલો ખીલી ઊઠશે. બધી બાજુ ‘યસ સર’ની ક્યારીઓ ભરાઈ જશે.

મોટો માણસ અસંમતિ કાંટાવાળી ડાળીઓ પહેલાં જ કાપીને જુદી કરી ચૂક્યો છે. મોટો માણસ સરકારી પ્રશાસનના બગીચાનો સિદ્ધહસ્ત માળી છે.

અનુવાદ – દક્ષા પટેલ

E-mail : dakshapatel15@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 13 અને 15 

Loading

ગાંધીસાહિત્યસેવી રમણ મોદી

કેતન રૂપેરા|Gandhiana|18 March 2017

‘ગાંધીજીનું સાહિત્ય— એ વિષય સામાન્ય અભ્યાસવિષય નથી. … ભાઈ મોદી અનેક ઠેકાણે મૂળ પ્રેરણાઓ સુધી જાય છે અને વિચારસ્રોતોની વાતમાં ગૂંથાય છે. … ડૉ. રમણભાઈ મોદીનો ‘ગાંધીજીનું સાહિત્ય’ એ મહાનિબંધ ગાંધીઅધ્યયનમાં આગળ વધવા માટે એક મહત્ત્વનું સોપાન બની રહેશે.’ ઉમાશંકર જોશીએ ‘ગાંધીજીનું સાહિત્ય’ પુસ્તકને આવકાર આપતા આમ લખ્યું હતું. ને થયું પણ એવું જ.

ગાંધીજીનાં લખાણો-ભાષા અને વિષયવસ્તુ, બંને દૃષ્ટિએ સમજવા માટે ‘ગાંધીજીનું સાહિત્ય’ પુસ્તક ૧૯૭૧થી અત્યાર સુધી અભ્યાસીઓ માટે પસંદગીનું પુસ્તક બની રહ્યું છે. ગાંધી-અધ્યયનનું આવું ‘મહત્ત્વનું સોપાન’ પૂરું પાડનાર ગાંધીસાહિત્ય સેવી પ્રાધ્યાપક (ગાંધીદર્શનવિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ) રમણ મોદીની ગયા ફેબ્રુઆરીમાં કાયમી વિદાય થઈ. લગભગ પોણા બે વર્ષ પહેલાં મ. જો. પટેલના ગયા પછી, ગાંધીજીનાં શબ્દોને સીધા જ તેમના કર્મ સાથે જોડી સમજાવી શકતા વધુ એક વડીલ ગયાની ખોટ વર્તાઈ રહી છે. વર્ષ ૨૦૦૬-૦૭માં ‘પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણવિચાર (હરિજનબંધુ, ૧૯૩૩-૧૯૪૮)’ વિષયમાં પારંગત (એમ.ફિલ.)ના અભ્યાસ દરમિયાન તેમની સાથેની પહેલી મુલાકાત જ એટલી રસાળ બની રહી કે એ પછી તો એકથી વધુ વખતની રૂબરૂ મુલાકાતો અને ફોનથી માર્ગદર્શન તરફ દોરી ગઈ. લોકશિક્ષક ગાંધીજીને સુવાંગ શિક્ષક રહી સમજાવી શકતા રમણભાઈને હૃદયાંજલિ આપતા તેમની સાથેની આ મુલાકાત ….

૧. આપની દૃષ્ટિએ ગાંધીજી : પત્રકાર તરીકે …

ગાંધીજી મૂળભૂત રીતે તો શિક્ષક. આમજનતાના શિક્ષણ માટે તેઓ લખતા. લખાણ પણ બૌદ્ધિક કસરત ન કરવી પડે તેવું. કાકાસાહેબ સાથે મારે એક વખત ગાંધીજીની ભાષા વિશે વાત થઈ હતી. તેમણે ગાંધીજીને પૂછ્યું હતું : તમે ‘હિંદસ્વરાજ’ પુસ્તકમાં ‘સહુ હિંદી છૂટા થવાની ઝંખના કરતા જોવામાં આવે છે’, તેમ લખ્યું છે. અહીં છૂટા થવાને બદલે ‘સ્વતંત્રતા’ શબ્દ ના લખાય? ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું, બધા જ હિંદીઓ ‘સ્વતંત્ર’ શબ્દ નથી જાણતા. તેમને તો બસ અંગ્રેજોની ‘ગુલામીમાંથી છૂટા’ થવું છે. આમ, ગાંધીજી ખેડૂત અને શ્રમજીવીની બોલીમાં લખતા.

હિંદુસ્તાનની જનતા સાંસ્કૃિતક ઉચ્ચ વિચારથી થાકી ગઈ હતી. કોઈ પણ જાતનું જ્ઞાન જો આચરણમાં ન મૂકી શકાય, તો તેનું મૂલ્ય નથી, એવો ગાંધીજીનો મત હતો. ‘નવજીવન’ની શરૂઆતના ગાળામાં ‘પંડિતયુગ’ના લેખકોના લેખો લેવાતા પણ પછી તે બંધ કર્યા. કારણ કે ગાંધીજી માનતા કે કાર્યકર્તાઓ પોતાના અનુભવના આધારે લખશે તે છપાશે.

ર. આપના મતે પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ-વિચારની વિશેષતા શી છે?

‘ઉદ્યોગ દ્વારા સ્વાવલંબન’, ‘સ્વાવલંબી શિક્ષણ’ અને ‘અહિંસાના પાયા પરનું શિક્ષણ’ એ ગાંધીજીના શિક્ષણવિચારની વિશેષતા છે. જો ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોય, તો ઉદ્યોગ પણ થાય અને વ્યક્તિનું શિક્ષણ પણ થાય. ઉદ્યોગ દરમિયાન જે પ્રશ્નો થાય, તેના ઉત્તરો દ્વારા શિક્ષણ મળે અને ખરેખર સફળ ઉદ્યોગ તે જ કહેવાય, જે વ્યક્તિને સ્વાવલંબી બનાવે અને વ્યક્તિ સ્વાવલંબી હોય, હાથ પર કામ હોય, તો કોઈને મારવા ના જાય. આમ, અહિંસક સમાજ નિર્માણ પામે.

પ્રાથમિક શિક્ષણમાં સ્વાવલંબનને ગાંધીજીએ ‘કસોટી’ કહી હતી. ‘સ્વાવલંબન કી એક ઝલક પર ન્યોછાવર કુબેર કા કોશ’ એમ કહ્યું જ છે ને! આમ, ગાંધીજીએ શિક્ષણમાં કર્મયોગ મૂક્યો. જ્ઞાન અને કર્મનું જોડાણ કર્યું. માત્ર મગજ નહીં, હાથ અને અન્ય ઇન્દ્રિયો પણ જ્ઞાનના વાહકો છે, તે વિચાર આપ્યો. ગાંધી અને ટાગોર વચ્ચે મતભેદો રહેતા, ‘શાંતિનિકેતન’ની શિક્ષણપદ્ધતિ પણ અલગ, પરંતુ દર વર્ષે ૧૦ મેના દિવસે હજુ પણ ત્યાં ‘સ્વાવલંબન દિન’ની ઉજવણી થાય છે.

૩. હાલના પત્રકારત્વ(મુદ્રિત માધ્યમો)માં રજૂ થતી શિક્ષણવિષયક લેખ-સામગ્રી વિશે આપનું શું અવલોકન છે?

લોકો ઇચ્છે કે ના ઇચ્છે, તેના માથે ઠોકવામાં આવે છે. આજની શિક્ષણપદ્ધતિનો પાયો હિંસા છે. આર્થિક, રાજકીય, સામાજિક, બધાં જ ક્ષેત્રોમાં શોષણ વગર કશું ચાલતું નથી. ‘વૉકેશનલ ટ્રેનિંગ’ (વ્યાવસાયિક તાલીમ) અને શિક્ષણની ઊંચી ‘પદવીઓ’એ આજની ‘ટ્રેડિશન’ (પરંપરા) છે. એટલે હાલના પત્રકારત્વમાં રોમાંચ પેદા કરાવનારું, મન બહેલાવનારું અને લોકોને ભડકાવનારું વધુ આવે છે.

૪. પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં રજૂ થયેલા શિક્ષણવિચારને આપ પ્રવર્તમાન પત્રકારત્વમાં કઈ રીતે પ્રાસંગિક ગણાવો છો?

સત્યની શોધ માટે આકાશ-પાતાળ એક કરવાં, અધ્યયનશીલતા, સ્થળ પર જઈને રિપૉર્ટિંગ કરવું … વગેરે, જે મૂળભૂત રૂપે જ આદર્શ પત્રકારત્વનાં લક્ષણો છે, તે હાલના પત્રકારત્વમાં શિક્ષણ સહિતના કોઈ પણ ક્ષેત્રમાં સુસંગત છે. ગાંધીજીના શિક્ષણવિચારમાં સ્વાવલંબી શિક્ષણની વાત છે, પરંતુ તેમણે ઉચ્ચ શિક્ષણ ખાનગી સાહસો પર છોડી દેવાનું કહ્યું છે. ઉદ્યોગગૃહો એમને જરૂર હોય તેવા ઇજનેરો તૈયાર કરે, હૉસ્પિટલવાળા દાક્તરો તૈયાર કરે, એ પ્રમાણે થવું જોઈએ. પોતાનાં સાહસોને અનુરૂપ વિવિધ ગૃહો વિદ્યાર્થીઓને તૈયાર કરે અને પોતે જ કામે રાખી લે, તો ઊંચી પદવી લીધેલી કોઈ વ્યક્તિ બેકાર ન રહે.

•

ગાંધીજીના સાહિત્ય વિષે છૂટુંછવાયું અનેક પ્રકારનું લખાણ આપણને મળી આવે છે. તેમ છતાં ગાંધીજીના સમગ્ર સાહિત્યનો સળંગ અભ્યાસ જેમાં મળી આવે એવો કોઈ ગ્રંથ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ નથી. એથી આ મહાનિબંધમાં ગાંધીજીના સમગ્ર સાહિત્યનું શક્ય તેટલે અંશે સર્વાંગી દૃષ્ટિએ અધ્યયન રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન છે. વળી અપ્રગટ સાહિત્યને પણ મેળવીને અને પ્રગટ સાહિત્યની સાથે એ સાહિત્યનો પણ આધાર લઈને એને મૂલવવાનો પ્રયત્ન અહીં કર્યો છે.

– રમણ મોદી

(‘ગાંધીજીનું સાહિત્ય’ની પ્રસ્તાવનામાંથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 14

Loading

...102030...3,4623,4633,4643,465...3,4703,4803,490...

Search by

Opinion

  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved