મહિલાઓ પરના અત્યાચારો અંગે તંત્ર લગભગ નિષ્ક્રિય જણાય છે….
કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક હિંમતવાળી યુવા સર્વાઈવર ન્યાય માટે લડી રહી છે. ત્યાં તાજેતરમાં એક વ્યાપક સેક્સકાંડ ચાલી ચૂક્યું છે. એ બંને બાબતો હવે સાવ અજાણી નથી. ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ’ નામનું જૂથ યુવતીને ન્યાય મળે અને સેક્સકાંડના દુષ્કર્મીઓને સજા થાય તે માટે લડત ચલાવી રહ્યું છે. મંચને હમણાં બીજાં એક દુષ્કર્મની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો આવ્યો છે. એ ઘટના તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામની. લોકોને ઓછી જાણકારી હોય તેવા આ બનાવ અંગે મંચની એક ટુકડીએ તાજેતરમાં માંડવીની મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં ગયા શનિવારે અમદાવાદમાં જાણીતી મહિલા સંસ્થા ‘અવાજ’ના સંકુલમાં સંમેલન યોજ્યું હતું. તેમાં માંડવીના મૃત પીડિતાનાં પરિવારજનો, રાજ્યભરની પંદરેક સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ અગ્રણી નાગરિકો જોડાયાં હતાં.
ભાવનગરથી આશરે સો કિલોમીટર પરના આઠ-દસ હજારની વસ્તીવાળા માંડવી ગામના પચાસેક વર્ષનાં ભાવનાબહેન ભગવાનભાઈ ખેનીનો, માથામાં ઇજા સાથેનો મૃતદેહ પહેલી ડિસેમ્બરે ગામની સીમમાંથી મળ્યો. તેમની પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પણ નોંધાયું. પંદરેક દિવસ સુધી કોઈ ધરપકડ ન થતાં લોકો તેમ જ પાટીદાર, દલિત, ઓ.બી.સી. અને અન્ય સંગઠનો ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ મૃત પીડિતાનાં પરિવારને મળ્યા બાદ પોતપોતાની રીતે ઉગ્ર વિરોધની શરૂઆત કરી. તેને પગલે શાસક પક્ષના અગ્રણીઓએ આ બનાવ અંગે નાર્કો ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી. એટલું જ નહીં તેમણે સહુ વિરોધીઓને પરિવાર વતી નિવેદનો આપવાં કે ઉપવાસ પર ન ઊતરવાની હાકલ પણ કરી ! દરમિયાન વિરોધીઓએ ત્રણ કથિત આરોપીનાં નામ પત્રકાર પરિષદમાં જાહેર કરીને સી.બી.આઈ.ને તપાસ સોંપવાની માંગણી કરી. સરકારે કેસની તપાસ ભાવનગર રેઇન્જ ઇન્સ્પેક્ટર જનરલને સોંપી અને એક શકમંદની ધરપકડ કરવામાં આવી.
ત્રણ મહિના પછી 28 માર્ચે આ બનાવના સાક્ષી પિસ્તાળીસ વર્ષના ધીરુભાઈ ગુજરાતીએ આપઘાત કર્યો. તેમના પત્નીએ કરેલી ફરિયાદ અનુસાર ધીરુભાઈને પોલીસ તપાસ માટે વારંવાર બોલાવતી અને ખૂબ મારતી. આ શારિરીક અને માનસિક ત્રાસથી તેમણે આપઘાત કર્યો. ભાવનગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટના કહેવા મુજબ દુષ્કર્મ અને હત્યાના સાક્ષી ધીરુભાઈએ તેમનાં નિવેદન વારંવાર બદલ્યાં હતાં. તે માટે દબાણ આવતું હોવાની શક્યતા પણ તેમણે જણાવી. ધીરુભાઈના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પોલીસની ધરપકડ અને તપાસની બીજી એજન્સીને સોંપણી એવી માગણીઓ અંગે કલેક્ટરે ખાતરી આપ્યા પછી છ દિવસ બાદ પરિવારે નમતું જોખ્યું. દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરતના વરાછા રોડ પરનું હીરા બજાર ચોથી એપ્રિલે બંધ રહ્યું. એ જ દિવસે ધીરુભાઈના આપઘાત માટે જવાબદાર ગણીને એક પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી.
માંડવી બનાવની તપાસ માટે છેક એકત્રીમી માર્ચ અને સોળમી એપ્રિલે જવા માટે અંગે મંચના આગેવાન અને સંમેલનના સંચાલક મીનાક્ષીબહેન જોષીએ દિલગીરી વ્યક્ત કરી. અલબત્ત, સોળમી ફેબ્રુઆરીએ રચાયેલો આ મંચ એ નિસબત ધરાવતાં લોકોનું કદાચ એકમાત્ર જૂથ છે કે જે ઇન્સાની સરોકારથી યૌન અત્યાચારની તપાસને ધક્કો મારતું રહ્યું હોય. મંચ સર્વાઈવર્સની મુલાકાતો, પોલીસ અને સરકાર સામે રજૂઆતો, દેખાવો, સભાઓ કરતો રહે છે. કોઈ રાજકીય પક્ષ, વગદાર જૂથ, ઉદ્યોગ સમૂહ, સમૃદ્ધ એન.જી.ઓ.નો ટેકો ન લેનાર મંચના સંસાધનો અને પહોંચ ઓછાં છે. સમય આપનાર કાર્યકર્તાઓ તેમ જ વકીલોની જરૂર સતત રહે છે. સભાઓ માટેની મંજૂરી, સ્થળ ,વક્તાઓ, દસ્તાવેજોની નકલો, પત્રિકાઓની છપામણી, તપાસ મુલાકાતો માટેનાં વાહનો સુધીની અનેક બાબતોમાં ઘણી મુશ્કેલી પડે છે. પોલીસ અને સરકારી અધિકારીઓનું વર્તન એકંદરે જડ, તોછડું અને ચૂપકીદીભર્યું હોય છે.
આવા અવરોધો વચ્ચે પણ મંચે માંડવી ઘટનાની તપાસ કરી. તેમાં જોડાયેલાં ‘ગણતર’ના નિરુપમાબહેને જણાવ્યું કે પોલીસે ગામને પાદર બનાવેલી ચોકીમાં અત્યાર સુધી 170 લોકોની પૂછપરછ કરી છે. પણ ભાવનાબહેન અને ધીરુભાઈ બંનેના અપમૃત્યુની એફ.આર.આઈ.માં જે કુલ સાત નામ છે તેમાંથી કોઈ પૂછપરછ કરી નથી. જે એકમાત્ર વ્યક્તિની ધરપકડ કરી છે તે નિર્દોષ હોવાની સંભાવના છે. ભાવનાબહેન પરનાં દુષ્કૃત્ય પહેલાં અહીં આઠ-દસ કિસ્સા બની ચૂક્યા છે. ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનના રિમ્મીએ જણાવ્યું કે નલિયાની જેમ અહીં પણ પોલીસ અમારા વાહનોનો પીછો કરતી રહી હતી. ભાવનાબહેનાનાં પરિવારના તુલસીભાઈએ જણાવ્યું કે પોલીસ પાસે તપાસ અંગે માહિતી પૂછવા જઈએ ત્યારે તે કહે છે કે ‘તમને આ ઉઘરાણી સિવાય કશું આવડતું નથી’. ધીરુભાઈના ભાઈ વલ્લભભાઈએ કહ્યું, ‘મારા ભાઈને પોલીસ અવારનવાર લઈ જતી અને મારપીટ કરતી. કોઈ આરોપી પકડાય નહીં, આખા ઘરને ખોટા ખોટા હેરાન કરે. ભાઈને દિવસે પોલીસવાળા લઈ જાય અને રાતે ગામવાળા લઈ જાય, બંને બોલવા માટે દબાણ કરે.’
ભાવનગરના નીતિન ઘેલાણીએ માંડવીમાં કેટલાંક આસામાજિક તત્વોના ત્રાસથી અનેક સાધનસંપન્ન કુટુંબોએ પણ સૂરત હિજરત કરી હોવાનું જણાવ્યું. ભાવનગરના વરિષ્ઠ નાગરિક અને પૂર્વ અધ્યાપક દમયંતીબહેન મોદીએ જણાવ્યું કે જેલમાં પૂરવામાં આવેલ આરોપી, કથિત આરોપીના પરિવાર, ગામ લોકોની મુલાકાતમાંથી કશું જાણવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. વળી તેમણે શહેરના કેટલાક વિસ્તારમાં મહિલાઓની વારંવાર થતી જાતીય સતામણીના અત્યારના તેમ જ ભૂતકાળના કિસ્સાની વાત કરી. કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં મીનાક્ષીબહેને તેમની સંસ્થાએ નલિયા અંગે જે તપાસ કરી તેની ટૂંકી માહિતી આપી. એ દુષ્કર્મ સામે મંચે ચલાવેલી ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિલપરના ગ્રામ સ્વરાજ સંઘના પ્રતિનિધી દિનેશભાઈ સંઘવીએ ‘રાજ્યના વેચાઈ ગયેલા તપાસ તંત્ર’ પર પસ્તાળ પાડી અને નલિયાની સર્વાઇવર તેમ જ તેના જીવનસાથીને બિરદાવ્યાં. તદુપરાંત નલિયાકાંડ અંગે લાખો રૂપિયાની અખબારી જાહેરખબરો આપી તપાસ અને ન્યાય પ્રક્રિયાને અસર પાડવાની કોશિશ કરતાં ‘કચ્છ લડાયક મંચ’ સામે તેમણે પણ મીનાક્ષીબહેનની જેમ લાલબત્તી ધરી.
નલિયા અંગે જાગેલ લોકમતને કારણે સોળમી માર્ચે રાજ્ય સરકારે વિધાનસભામાં તપાસપંચની જાહેરાત કરી હતી. મંચના જણાવ્યા મુજબ આ પંચનું જાહેરનામું ક્યાં ય ઉપલ્બ્ધ નથી. સરકારે એની વ્યાપક પ્રસિદ્ધિ કરી નથી, તેની કોઈ કાર્યવાહી નજરે પડી નથી. એટલે સરકારે એમાં કાર્યાન્વિત થવું જોઈએ, અથવા ‘આ પંચનું – ન્યાયનું ફારસ બંધ કરી દેવું જોઈએ’ એવું મંચ માને છે. નલિયાની એક ફરિયાદી પીડિતા ઉપરાંત પાંત્રીસ બહેનોનાં પાંસઠ પુરુષોએ કરેલા જાતીય શોષણના પુરાવા તરીકે વિપક્ષના નેતા તથા નાયબ મુખ્યમંત્રી પાસેથી સી.ડી. તાત્કાલિક ધોરણે મગાવી લેવામાં આવે એવી માગણી પણ મંચે કરી છે.
એમ પણ માનવામાં આવે છે કે નલિયા અને માંડવી બંનેમાં થયેલા મહિલાઓ પરના અત્યાચારની તપાસ પ્રક્રિયા કોમો અને પક્ષોનાં બહુ નિંભર રાજકારણમાં અટવાઈ છે. તાજેતરમાં ગુજરાતના સર્વોચ્ચ પોલીસ અધિકારી એક મહિલા બન્યાં છે ત્યારે પૂછવાનું થાય : ‘હર બાર કિસી ભી હાલાત મેં / ઔરત હી બેઇજ્જત ક્યું ?’
+++++++
27 એપ્રિલ 2017
[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 અૅપ્રિલ 2017]