Opinion Magazine
Number of visits: 9664747
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કળા ઊંઘેલાને ઢંઢોળે છે અને ઊંઘી નહીં શકતાને પંપાળે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 March 2025

ખોટનો સોદો …

બે મિત્રોએ ભેગા મળીને દસ-વીસ છોકરીઓમાંથી એકને પસંદ કરી અને તેને બાવીસ રૂપિયા આપીને ખરીદી લીધી. 

રાત ગુજાર્યા પછી એક મિત્રએ તેને પૂછ્યું, ‘તારું નામ શું છે?’

છોકરીએ તેનું નામ કહ્યું, તો તે અકળાઈ ગયો : ‘અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે તું બીજા ધર્મની છું.’

છોકરીએ જવાબ આપ્યો : ‘તે જૂઠું બોલ્યો હતો.’

આ સાંભળીને, તે દોડતો દોડતો તેના મિત્ર પાસે ગયો : ‘એ હરામખોરે આપણી સાથે દગો કર્યો છે … આપણા જ ધર્મની પકડાવી દીધી … ચાલ, પાછી આપી આવીએ.’

— સઆદત હસન મન્ટો

——————————————

રાજ ગોસ્વામી

ગુજરાતના જાણીતા લેખક, શિક્ષક અને પત્રકાર હેમંતકુમાર શાહે, તાજેતરમાં, અમદાવાદમાં યોજાઈ ગયેલા શાસ્ત્રીય સંગીતના જલસા ‘સપ્તક’માં હિસ્સો લેવા આવેલા વિખ્યાત સરોદવાદક અમઝદ અલી ખાંની એક વાતને ટાંકી હતી. ખાં સાહેબે ત્યાં મહાત્મા ગાંધીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન’ અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ની ધૂન વગાડ્યા પછી એક મહત્ત્વની વાત કહી હતી કે;

‘બીજા બધા દેશોની વાત છોડો, આપણા ભારત દેશમાં આ શું થઈ રહ્યું છે. રોજ સાંભળવા મળે છે કે મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમને ગટરમાં ફેંકી દેવામાં આવે છે, નદી-નાળાંમાં ફેંકી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે! જે દેશમાં કે જ્યાં સ્ત્રી દેવી તરીકે પૂજાય છે ત્યાં આ બધું થઈ રહ્યું છે, એ ખરેખર બહુ જ દુઃખદ છે. આપણે દુર્ગા દેવીને પૂજીએ છીએ અને છતાં આ બધું થઈ રહ્યું છે એનાથી દુર્ગા દેવી રડી રહી છે.’

તેમની વાતથી પ્રભવિત થયેલા હેમંતકુમાર લખે છે કે, ‘કલાને અને સાહિત્યને માત્ર મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવ્યું છે, એવા આજના જમાનામાં અમઝદ અલી ખાં સાહેબની સામાજિક નિસબતને સો સો સલામ!’ 

આ વાત અગત્યની છે. સાચા કલાકારનું કામ લોકોના દુઃખને વાચા આપવાનું છે. એક કલાકારે પોતાની કળાને બજારની પ્રોડક્ટ તરીકે નહીં, પરંતુ જનહિતનું સાધન બનાવવું પડે છે. આજે આપણે જે સમાજમાં જીવીએ છીએ તે માનવદ્રોહી અને કલાદ્રોહી છે. કલાકાર આ સમાજમાંથી આવે છે, પરંતુ તેની કલા સમાજની મૂડીવાદી, મનોરંજનવાદી વિચારધારાની વિરુદ્ધ ઊભી રહે છે.

કલાનું કામ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનાં શોષણ પર આધારિત વર્તમાન સમાજ સામેના બળવામાં સૂર પુરવાનું છે. કલાકારે તમામ સામાજિક મુદ્દાઓમાં પોતાનો પક્ષ પસંદ કરવો પડે છે, તેણે દેશના નબળા, શોષિત, દબાયેલા, અન્યાયનો ભોગ બનેલા લોકોની તરફેણમાં પોતાનો અવાજ સાર્વજનિક કરવો પડે છે.

કારણ કે આજે કલાને બજારનો માલ બનાવી દેવામાં આવી આવી છે એટલે કલાની સામાજિક ભૂમિકા વિશે વાત કરવાનું ચલણ નથી. એ સંદર્ભમાં હેમંતકુમારનો મુદ્દો પ્રાસંગિક બની જાય છે. તેમણે તેમની ટીપ્પણીમાં લખ્યું પણ હતું કે, ‘મહાન રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોએ તેમના પુસ્તક ‘કળા એટલે શું?’માં કહ્યું હતું કે કળાનો જે ઇરાદો છે તે એ રહી નથી, પણ નવરા માણસોના ખોખલા આનંદનું સાધન બની ગઈ છે.’

આકરી લાગતી આ વાત સાચી છે. કલાનું કામ શું તેને લઈને દરેક સમયમાં ચર્ચા થતી રહે છે. ‘કલા’ શબ્દ ‘કલ’ ધાતુથી બનેલો છે. તેનો શાબ્દિક અર્થ છે, જે સુંદર છે, જે આનંદ આપે છે અથવા જેના દ્વારા સુંદરતા આવે છે તે. કલા તેનાં વિવિધ સ્વરૂપોમાં માનવ વૃત્તિઓની અભિવ્યક્તિ છે. મહાત્મા ગાંધી કલાને ‘આત્માનું દિવ્ય સંગીત’ ગણાવે છે. કવિ રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે કલામાં, માણસ પોતાની જાતને વ્યક્ત કરે છે.

એકવાર એક એન્જિનિયરે તેના વ્યવસાયનો સંદર્ભ લઈને કહ્યું હતું કે એન્જિનિયરિંગમાં જ્યારે પણ કટીંગ ઓપરેશન થાય છે, ત્યારે લ્યુબ્રિકેન્ટ ઓઈલની જરૂર પડે છે જેથી ઘર્ષણ ઓછું થાય અને કામ સરળતાથી થઈ શકે. આવું જ કંઈક કદાચ સમાજ અને કલા વચ્ચે હોય છે. કલા લ્યુબ્રિકેન્ટ ઓઇલ જેવી છે, જે સમાજમાં જીવન જીવવાનું સરળ બનાવે છે. 

એક સભાન મનુષ્ય તરીકે આપણે સામાજિક સુવિધાઓ અને અસુવિધાઓ વચ્ચે રહીએ છીએ. એ બંને અંતિમો વચ્ચે સંતુલન જળવાઈ રહેવું જોઈએ. માત્ર અસુવિધાઓમાં જ જીવીએ અથવા માત્ર સુવિધાઓમાં જ રહીએ તે કોઈ રીતે ઈચ્છનીય નથી. વાસ્તવમાં, કલા બંને સ્થિતિમાંથી માણસને ખલેલ પાડે છે. એ વધુ પડતી સુવિધામાં આપણે લિપ્ત થઇ ગયા હોઈએ તો ઝાટકો આપીને જગાડે છે અને વધુ પડતી અસુવિધામાં પરેશાન થઇ ગયા હોઈએ તો લ્યુબ્રિકેન્ટ ઓઇલની જેમ આપણને પંપાળે છે. 

કલા એક સામાજિક ઘટના છે. કલાકાર સમાજનો એક ભાગ છે અને તેનું સામાજિક વાતાવરણ તેની કલાને પ્રભાવિત કરે છે. કલાકારની કલા માત્ર તેના સામાજિક વાતાવરણને જ અસર કરતી નથી, પરંતુ કલા સામાજિક પણ હોય છે. અને તે સમાજને બદલવામાં ભૂમિકા ભજવે છે. 

પીડામાંથી કળા આવે છે એવું નહીં, અંગત દુઃખોને કોઈ માધ્યમથી સાર્વજનિક કરવાં કે જીવનની ટ્રેજેડીઓને સાર્વજનિક કરવી તેનું નામ કળા છે. કળાનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે કળા અને ટ્રેજેડી હાથમાં હાથ નાખીને ચાલે છે. 

જે કળાકારો તેમના સમયની પીડાઓને લખાણમાં, સંગીતમાં, ચિત્રમાં કે અન્ય માધ્યમોમાં પકડી કરી શક્યા છે તેને ઇતિહાસ મહાન કળાકાર તરીકે યાદ રાખે છે. કળા એટલે કલ્પનાની અભિવ્યક્તિ માત્ર નથી. કળા એટલે આપણે જીવનને કેવી રીતે અનુભવીએ છીએ તેનો આંતરિક સંવાદ પણ છે. 

કોઈ પણ સમાજની પ્રગતિની સાબિતી, તે કેટલું મહાન સાહિત્ય, કળા અને સંગીત પેદા કરે છે, તેમાં છે. પ્રાચીનમાં ગ્રીક, રોમન અને સંસ્કૃત સમયમાં અને આધુનિકમાં યુરોપિયન, અમેરિકન, જર્મન અને ભારતમાં મુઘલ કાળમાં મહાન સર્જન આવ્યાં. જે સમાજ પતન તરફ હોય (જેમ કે નાઝી જર્મની અથવા આજનું મૂડીવાદી અમેરિકા અને બ્રિટન), તે કળાની ઉપેક્ષા કરે. કળાની ભૂમિકા, લોકોને તેમના અનુભવો માટે શબ્દો આપવાની છે. મનુષ્ય તરીકે આપણે કોણ છીએ અને શા માટે આપણે અહીં છીએ, તેની સમજ આપવાનું કામ સાહિત્ય, કળા અને સંગીતનું છે.

લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રીતમે એકવાર અનેક લેખકો અને કલાકારોના ઇન્ટરવ્યુ કર્યાં હતાં. પછી તેના પરથી ‘સાત સવાલ’ નામનું પુસ્તક બહાર પડ્યું હતું. તેમાં એક વાતચીત તેમના પતિ અને ચિત્રકાર ઈમરોઝ સાથે પણ હતી. તેમાં આવી કંઇક વાત થઇ હતી :

અમૃતા : જીવન અને કલાને તમે અલગ ગણો છો કે એક?

ઈમરોઝ : હું માનું છું કે વર્તમાનની માટીમાં ચિંતનનું બીજ વાવીને તેને આવતીકાલના સૂરજનો તડકો આપવો એ કળા છે. બીજા શબ્દોમાં જીવન એક બિંદુ છે અને કલા એનો વિસ્તાર છે. જીવન પાણી છે અને કલા એનો પ્રવાહ.

અમૃતા : કલા અને ક્રાફટની પરિભાષા શું?

ઈમરોઝ : અહેસાસની અમીરી એક એવું દૂધ છે, જેમાં કલ્પનાનું દહીં મેળવાય છે. એ કલ્પનાનું નામ કલા. અને એને વલોવવાનું કામ એ ક્રાફ્ટ છે. ક્રાફ્ટ બહુ ઉત્તમ હોય, પણ કલાનું દહીં ના હોય તો અર્થહીન. 

અમૃતા : કલામાં અચેત ઈચ્છા અને સચેત કોશિશનું કેટલું મહત્ત્વ?

ઈમરોઝ : અચેત ઈચ્છા એક બીજ છે. અને મનની માટીને ખોદવી, એના પર ખાતર નાખવું, બીજ વાવીને પાણી સીંચવું, તડકો આપવો, છોડને કાપવો, નિંદામણ કાઢવું – આ સચેત કોશિશ છે.  

અમૃતા : એવો કોઈ કિસ્સો, જેમાં ધર્મ અને સમાજની સ્થાપિત રીતિ સામે સવાલ ઊભો થયો હોય?

ઈમરોઝ : મારા દાદા-દાદીના પાંચ દીકરા હતા. સૌથી મોટો જ પરણેલો હતો. મારો બાપ અને બીજા કુંવારા હતા. કુંવારામાંથી મોટા કાકા હતા તે ગામની છોકરીના પ્રેમમાં પડેલા. બંને ભાગી ગયા. પાછા પકડીને લાવ્યા. છોકરીને કોક ડોહા સાથે પરણાવી દીધી. એ પછી એક દિવસ દાદા-કાકાઓ પર ભાલા-તલવારો-બરછીઓ વરસી. બે લાશો પડી ગઈ. દાદા, ત્રણ ભાઈ અને મારા બાપને બાંધીની પોલીસ લઇ ગઈ. કેસ ચાલ્યો. મારો બાપ અને બે કાકા ઘટના સ્થળે ન હતા એટલે છૂટી ગયા. દાદા અને બીજા કાકાને ફાંસી થઇ. અપીલ થઇ તો ચાચાને કાળા પાણીની સજા થઇ અને દાદા મુલતાન જેલમાં ગયા. ઘર બર્બાદ થઇ ગયું. 

અમૃતા : કલા અને વિવેચકોની ફરજ શું?

ઈમરોઝ : કલાનાં ફળ-ફૂલનો માળી માત્ર કલાકાર જ છે. વિવેચક એનો માળી ન બની શકે, પણ એ એક સરસ મોસમ જરૂર હોઈ શકે. એક ઇતિહાસ છે કે વિવેચક સારી મોસમને બદલે ચોંચ મારવાવાળો પોપટ બને છે.   

અમૃતા : જીવનમાં તમે ક્યા રેય કળિયુગ કે સતયુગની ક્ષણ જોઈ છે?

ઈમરોઝ : પોતાની મનચાહી સ્ત્રી સાથે વીસ વર્ષ જીવી લેવું, એ મારા માટે સતયુગ છે. અને ૧૯૬૦માં જ્યારે મેં મારા મનની દુવિધાના કારણે એ સ્ત્રીને સ્વીકાર કરીને પણ ન સ્વીકારી, એ મારા માટે કળિયુગની ક્ષણ હતી. 

અમૃતા : આપણે ત્યાં સાત પુરી છે : અયોધ્યા, મથુરા, માયા, કાશી, અવંતી અને દ્વારાવતી. સાતમી પુરી દ્વારાવતી સમુદ્ર કિનારે હતી, જે કૃષ્ણના દેહત્યાગ પછી સાતમા દિવસે સમુદ્રમાં અલોપ થઇ ગઈ. મારો સાતમો સવાલ તમારા મનના સમુદ્રમાં અલોપ થઇ ગયેલી પુરીનો છે, જેની ખોજ તમારે જાતે કરવાની છે, અને એનો ઇતિહાસ તમારે ખુદ શોધવાનો છે. 

ઈમરોઝ : હું અહીં કલેકટીવ મનની વાત કરીશ. આ મનના સમુદ્રમાં જે પુરી અલોપ થઇ ગઈ છે તે માણસના ધર્મની પુરી છે. એ દ્વારાવતી હવે અનેક ધર્મસ્થાનોના નામે અલગ-અલગ જગ્યાએ વસી છે, પણ કોઈ જગ્યાએ ધર્મનો આત્મા વસી શક્યો નથી. આત્મા સમુદ્રમાં અલોપ જ રહી ગઈ.

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 31 માર્ચ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મડદા મિયાં

સુરેશ જાની|Opinion - Opinion|22 March 2025

સ્વ. જીવરામ જોશીએ ‘મિયાં ફૂસકી’નું અમર પાત્ર સર્જીને ગુજરાતી કિશોર કિશોરીઓને ખુશ  ખુશાલ કરી દીધા હતા. સૌને જાણ છે તેમ, એ મિયાં હળવા સ્વભાવના, થોડાક અદકપાંસળી મિજાજના અને ડરપોક હતા.

અહીં એમની વાતો વાંચવા મળવાની છે, એમ માની ખુશ ખુશાલ ન થઈ જતા! અહીં તો મડદાં ઊંચકવાનો, એમને અવલ મંઝિલ પહેલાંના થાનકે પહોંચાડવાનો ‘શોખ’ ધરાવતા અને બહાદુર  ‘અયુબ મિયાં’ વિશે ચપટીક જાણ કરાવવાની છે !

અયુબ મિયાં

અયુબ અહમદ કર્ણાટક રાજ્યના મૈસૂર શહેરનો વતની છે. એ ત્યાં ‘બોડી મિયાં’ તરીકે જાણીતો છે. પણ આપણે શબ્દોની ભેળસેળ નહીં કરીએ, અને એને ‘મડદા મિયાં’ તરીકે ઓળખીશું. અયુબ દસ વર્ષનો હતો ત્યારે એ નિશાળમાંથી ગાવલી મારીને મસ્જિદની બહાર બેસતા ભિખારીઓ સાથે સંગત કરવા લાગ્યો. એના અબ્બા અને કાકાને આ વાતની જાણ થઈ ત્યારે એને ધોલધપાટ કરવા લાગ્યા. પણ અયુબ તો કહેતો જ રહ્યો કે, એ ગરીબ લોકોને એની જરૂર છે. થોડાક દિવસ આમ ચાલ્યું, પણ અયુબ તો એની માન્યતા પર અટલ જ રહ્યો. ત્યારે  ‘અયુબ જૂદી જ ખોપરી છે’ – એનો ખ્યાલ અબ્બાને આવી ગયો. ત્યાર પછી તેમણે અયુબને ટોકવાનું બંધ કરી દીધું. થોડોક મોટો થયો ત્યારે અબ્બાને મદદ કરવા અયુબે મજૂરી કરવાનું શરૂ કર્યું.  પણ એમાંથી થતી આવકનો મોટો ભાગ તે ગરીબો અને દલિતો માટે ખર્ચી નાંખતો.

તેણે મિત્રને વિનંતી કરી કે, લાશને નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ. તેનો મિત્ર પણ દયાભાવવાળો હતો, એટલે  તે કબૂલ થયો. સહી ન શકાય તેવી દુર્ગંધ મારતી હોવા છતાં બન્નેએ ચાદરમાં લાશને લપેટી, હોસ્પિટલના મડદાં વિભાગને સુપ્રત કરી. ત્યાં હાજર રહેલા પોલિસ ઓફિસરે આ જુવાનિયાઓને આ સત્કાર્ય માટે શાબાશી આપી અને સરકારી રાહે આવી સેવા આપનાર વ્યક્તિઓને આપવા પાત્ર થતી રકમ પણ આપી દીધી.

પણ ઘેર પહોંચતાં તો અયુબની ધોલાઈ જ થઈ ગઈ. બધાંએ એને ટોક્યો કે, લાશનો ધર્મ જાણ્યા વિના એની અંતિમ ક્રિયા વિશે અયુબને શી ખબર પડે. અને એ જવાબદારી તો મરનારનાં સગાં સંબંધી કે મિત્રોની છે. એ જમાનામાં જેને ઘેર મરણ થયું હોય, ત્યાં એક મહિના સુધી નજીકના સંબંધીઓ સિવાય કોઈ મળવા પણ જતું ન હતું. કદાચ મરનારનું ભૂત એમને વળગી જાય!

ઘરમાંથી એના સત્કાર્ય વિશે કોઈ સહકાર કે પ્રશંસા નહીં મળે, તેની અયુબને ખાતરી થતાં, તે ઘર છોડીને ભાગી ગયો અને બન્ગલરુમાં રહેવા લાગ્યો. સદ્દભાગ્યે તેને પાણી સ્વચ્છ કરવાના એક પ્લાન્ટમાં નોકરી મળી ગઈ. એના કામથી માલિક એટલો બધો ખુશ થઈ ગયો કે, તેણે શનિ– રવિ બન્ગલરુમાં ફરવા હરવા રકમ આપી. સૌ કરે તેમ અયુબ પણ બન્ગલરુના વિખ્યાત ‘લાલ બાગ’માં સૌથી પહેલાં પહોંચી ગયો. ત્યાં ફરતાં ફરતાં એક ઝાડી પાસે લોકોનું ટોળું ભેગું થયેલું તેણે જોયું. બધાંની વચ્ચે ઘુસી જઈને અયુબે નજર માંડી, તો તેના સદ્દનસીબે(!) એક મડદું ત્યાં પડેલું તેને દેખાયું. તેનો સંવેદનશીલ  આત્મા કકળી ઊઠ્યો.

‘આનાં પણ કોઈ સગાં સંબંધી હશે. કેવી મજબૂરી હશે કે, અંતિમ વેળાએ તેને કોઈનો સાથ ન મળ્યો?’

કોઈની મદદ લઈ, શબને બગીચાની બહાર લઈ ગયો, અને એક રીક્ષાવાળાને કાલાવાલા કરી પોલિસ સ્ટેશને એ લાશને પહોંચાડી દીધી. પોલિસે ફરીથી તેના સત્કાર્ય માટે તેને શાબાશી તેમ જ ઈનામ આપ્યાં.

હવે અયુબને ખાતરી થઈ ગઈ કે, તે કાંઈ ખોટું કામ કરતો ન હતો. તેને હિમ્મત આવી અને પ્લાન્ટના માલિકની રજા લઈ વતન પાછો ફર્યો.

ઘેર પહોંચ્યો ત્યારે તો તેના હરખનો પાર ન રહ્યો. છાપાંમાં ફોટા સાથે આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ઘરનાં  બધાંએ તેનું હરખથી સ્વાગત કર્યું.

હવે અયુબને એના જીવન કાર્ય વિશે કોઈ જ શંકા ન રહી. તેની પાસે બન્ગલરુમાં ભેગી કરેલી ૧૦,૦૦૦ ₹ ની માતબર રકમ પણ હતી જ ને? થોડીક લોન તેણે લીધી અને તેના મિત્રની જૂની થઈ ગયેલી એમ્બેસેડર કાર તેણે ખરીદી લીધી.

તે દિવસથી અયુબ અહમદ ‘મડદાં મિયાં’ તરીકે આખા મૈસુરમાં વિખ્યાત બની ગયો. અલ્લા મિયાંની મહેર કે, એના સત્કાર્યની સુવાસે તેને જીવન સંગિની પણ મળી ગઈ. તે પણ અયુબના ઉમદા સ્વભાવ અને કોઈને પણ મદદ કરવાની વૃત્તિનો આદર કરતી હતી. સીવણ કામની તેની આવકમાંથી તે પણ અયુબને આ કામ માટે મદદ કરવા લાગી.

આજની તારીખમાં બન્નેને બે વ્હાલસોયી દીકરીઓ પણ છે, અને આખું કુટુમ્બ આ ‘પાક’ કામ માટે ગૌરવની લાગણી ધરાવે છે. અત્યાર સુધીમાં આ ‘મડદાં મિયાં’એ એક હજારથી વધારે મડદાંઓને સદ્દગતિ આપી છે.

હવે તો ફેસબુક પર પણ અયુબ કામગરો બની ગયો છે. મળેલ મડદાંના ફોટા પાડી ફેસબુક પર મુકે છે. અમુક કિસ્સાઓમાં સગાં વહાલાંને ખબર પડતાં, લાશનો કબજો લેવા આવી જાય છે. અને સાથે સાથે આ ખુદાના ફરિશ્તાનો આભાર માની સારી એવી રકમની બક્ષિસ પણ આપી જાય છે.  પણ મોટા ભાગે તો સરકાર તરફથી મળતી ૧૦૦ ₹ ની મામૂલી બક્ષિસ જ. ઘણી વખત તો લાશને દફનાવવાનો કે અગ્નિસંસ્કાર કરવાનો ખર્ચ પણ અયુબ જાતે જ ભોગવે છે.

એક વખત એને એક જ દિવસમાં ચાર લાશ મળી હતી, અને તેમને યોગ્ય સ્થાને પહોંચાડવા બહુ જ તકલીફ પડી હતી. અયુબની ઉમેદ છે – એક એમ્બ્યુલન્સ ખરીદવાની – જેથી એવા સંજોગોને પણ પહોંચી વળાય! મૈસુરના પોલિસ કમિશ્નર સુબ્રહ્મણ્યેશ્વર રાવ કહે છે, “અમને અયુબના આ ખાનદાન કામ માટે ગર્વ છે.”

આપણે પણ ‘મડદાં મિયાં’ને સલામી બક્ષીએ.

સંદર્ભ –

http://bangaloremirror.indiatimes.com/news/india/call-him-body-miyan/articleshow/57114223.cms

http://www.thebetterindia.com/89922/ayub-ahmed-body-miyan-mysuru/

e.mail : surpad2017@gmail.com

Loading

અમી દૃષ્ટિ, પ્રેમ, કરુણા, આર્દ્રતાની પરમ મૂર્તિ સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન

વિરાગ સૂતરિયા|Gandhiana|21 March 2025

વિરાગ સૂતરિયા

1969ની પહેલી ઑક્ટોબરે દિલ્હીના પાલમ હવાઇમથક પર તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, જયપ્રકાશ નારાયણ અને બીજા આગેવાનો એક મહાનુભવનું સ્વાગત કરવા ઊભાં હતાં. ગાંધીજીના જન્મશતાબ્દી વર્ષમાં વિશેષ આમંત્રિત આ મહાનુભાવ વિશ્વની કોઇ મહાસત્તાના પ્રમુખ, યુનાઇટેડ નેશન્સના મહામંત્રી કે કોઇ કોઇ મોટા દેશના વડા પ્રધાન નહોતા. મહેમાનનું વિમાન આવે છે ત્યારે તેમાંથી સાડા છ ફૂટ ઊંચી કાયા ધરાવતી અને ગામડિયા જેવો દેખાવ ધરાવતી વ્યક્તિ હાથમાં માત્ર એક પોટલી લઇને ઊતરે છે. પોટલીમાં માત્ર એક જોડી કપડાં, શાલ અને શેતરંજી લઇને આવનાર વ્યક્તિ બીજું કોઇ નહીં, પણ સરહદના ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફારખાન હતા.

પઠાણો વિશેની આપણામાંથી મોટાભાગનાની સમજ ફિલ્મો અને મીડિયાથી સર્જાયેલી છે. “યારી હૈં ઇમાન, મેરા યાર, મેરી જિંદગી …” જેવાં ગીતો કે ફિલ્મોમાં ચોકીદાર કે અન્ય પાત્રો દ્વારા નેકદિલ, બહાદુર જેવા ગુણો ધરાવતા કે પેઢી દર પેઢી બદલો લેવા માટે ઝઝૂમતા અને બદલો લઇને જંપતા પઠાણો કે ટાગોરની ‘કાબૂલીવાલા’થી એક સંવેદનશીલ બાપ – સંવેદનશીલ વ્યક્તિ તરીકે ઉપસેલી પઠાણોની છાપ આપણા મનમાં છે. ઊંચા-વિશાળ પર્વતો અને ઊંડી ખીણો ધરાવતો આ પ્રદેશ વિશ્વમાં ભૂ-રાજનૈતીક દૃષ્ટિએ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે.

આઝાદી પહેલાં વાયવ્ય પ્રાંત તરીકે જાણીતા, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવીન્સમાં પેશાવરથી 24 માઇલ દૂર ચારસદ્દા તાલુકાના ‘ઉતમાનજઇ’ ગામના ધનવાન જાગીરદાર બહેરામખાનને ઘેર જન્મેલા બાદશાહખાન એક એવા પ્રદેશમાં અને કોમમાં જન્મ્યા હતા કે, જ્યાં અંગ્રેજોએ દરેકને માતૃભાષામાં શિક્ષણ મળે એવી શાળાઓ ચાલુ કરી હતી, પણ ‘પઠાણો’ માટે પરાઇ ભાષા અને નામમાત્રની શાળાઓ એ અંગ્રેજોની નીતિ હતી. ભૌગોલિક અને સામાજિક દૃષ્ટિએ હાંસિયામાં રહેલ આ કોમની બહાદુરી જ અંગ્રેજોને ઘણી ખટકતી હતી. એના લીધે તેઓમાં અંદરો અંદરના ઝઘડા અને શિક્ષણથી દૂર રહે તો એ અંગ્રેજોના સકંજામાં રહે એવી એમની નીતિ હતી.

અબ્દુલ ગફાર ખાન

આવા માહોલમાં બાદશાહખાને 17 વર્ષની વયે મેટ્રિકનો અભ્યાસ પૂરો કરી, અલીગઢ યુનિવર્સિટીમાં ચાર વર્ષનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ દરમિયાન તેઓ ભારતીય આઝાદી આંદોલન અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયા. 1913માં તેમણે મૌલાના હસનના આમંત્રણથી દેવબંદના આંતરરાષ્ટ્રીય મદ્રેસાની મુલાકાત લીધી. તેઓ પહેલેથી જ પોતાની જાતને રાષ્ટ્રસેવાના સંકલ્પથી બાંધી ચૂક્યા હતા. પણ માત્ર ત્રણ વર્ષના લગ્નજીવન બાદ, 1915માં, પત્નીના અવસાન પછી તેઓએ પોતાને લોકસેવામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો. તેમના આ નિર્ણયથી ખુશી પ્રગટ કરવા પઠાણોએ મસ્જિદમાં એકઠા થઇ એમનું સન્માન કર્યું અને પ્રેમથી ‘બાદશાહ’ જાહેર કર્યા, ત્યારથી તેઓ ‘બાદશાહખાન’ના આદરવાચક નામથી ઓળખાવા લાગ્યા, કોઇ પણ બાદશાહત – સલ્તનત સિવાયના લોકોના બાદશાહ.

અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલા રૉલેટ એક્ટનો વિરોધ આખા દેશમાં થઇ રહ્યો હતો. એવી જ એક વિરોધસભા બાદશાહખાનના ગામ ‘ઉતમનજઇ’માં કરવામાં આવી. આ સભામાં એક લાખ લોકો ભેગા થયા હતા. બાદશાહખાને સભાને સંબોધી. આ તેમની પ્રથમ જાહેરસભા હતી. સભા બાદ તેમની ધરપકડ થઇ, છ મહિનાની કેદની સજા થઇ. બાદશાહખાન સાડાછ ફૂટ ઊંચા કદાવરબાંધાના હતા એમને પહેરાવવામાં આવતી બેડી નાની હોવાથી એમના હાથ પગમાંથી લોહી નીકળતું, આવી યાતનાસભર જેલ સાથે સભા કરવા બદલ ગામ પર એ વખતે રૂપિયા ત્રીસ હજારનો દંડ. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રાજનીતિમાં વિધિવત પ્રવેશ કર્યો !

તેઓનું લક્ષ શિક્ષણનો વ્યાપ વધારવા શાળાઓ ચાલુ કરવાનું હતું, તેઓ સતત પ્રવાસ દ્વારા સમાજ સુધારાનાં કામો અને નવી શાળાઓ ચાલુ કરાવતા જતા હતા. તેમણે ‘અંજુમને-ઇસલાહ-અલ-અફઘાન’ નામની સંસ્થા સ્થાપી. અંગ્રેજ સરકારે એની સામે વાંધો લીધો, સમાજ ઉત્થાનનાં કામો બંધ કરવા તેઓ પર દબાણ લાવવામાં આવ્યું, પણ બાદશાહખાને મચક ન આપી એટલે ધરપકડ કરી, સારી ચાલચલગતના જામીન માગ્યા. બાદશાહખાને જામીન આપવાનો ઇન્કાર કરતાં ત્રણ વર્ષની જેલ થઇ. તેમને સામાજિક કાર્યો માટે પ્રવાસ બંધ કરવાની શરતે જેલમુક્તિની ઑફર કરવામાં આવી, પણ તેમણે ઇન્કાર કર્યો. આ જેલવાસ દરમિયાન જ એમનાં માતા સતત ‘મારો ગફારો ક્યાં છે? કેમ મને મળવા આવતો નથી? ક્યારે આવશે?’નું રટણ કરતાં દેહ છોડી ગયાં.

1928માં તેમણે પુશ્તૂ ભાષામાં રાષ્ટ્રીય સામાયિક ‘પશ્તૂન’ ચાલુ કર્યું. કૉંગ્રેસ અધિવેશન અને ખિલાફત ચળવળમાં ભાગ લેવા કલકત્તા ગયા અને ત્યાં તેઓ પ્રખ્યાત ‘અલીભાઇ’ઓને પણ મળ્યા. સરહદ વિસ્તાર ખિલાફત સમિતિ એમના અધ્યક્ષસ્થાને રચાઇ. સરહદ પ્રાંત યુવા લીગની સ્થાપના પણ કરી. એ યુવા લીગને સ્થાને આગળ જઇ તેમણે લાલડગલાવાળા ‘ખુદાઇ ખિદમતગાર’ સંગઠનની સ્થાપના કરી. આ સંગઠન દ્વારા તેમણે સરહદપ્રાંતમાં એક મોટું સામાજિક આંદોલન ઊભું કર્યું જે આપણા ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ છે.

1929માં લાહોર ખાતેના ઐતિહાસિક કૉંગ્રેસ અધિવેશનમાં તેઓ ગાંધીજી અને જવાહરલાલ નહેરુને મળ્યા. ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા કે આજીવન એમના સૈનિક બની રહ્યા. આ અધિવેશનમાં તેઓ વિધિવત કૉંગ્રેસના સભ્યા બન્યા. લોકોએ તેમને ‘સરહદના ગાંધી’ કહી નવાજ્યા. 1934માં તેમને કૉંગ્રેસ પ્રમુખ બનવા માટે વિનંતી કરવામાં આવી તો તેનો જવાબ વાળતાં તેમણે કહ્યું, “હું તો આજન્મ સિપાહી રહ્યો છું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સિપાહી રહેવા માગુ છું.”

આઝાદી આંદોલન પૂરજોશમાં ચાલુ હતું, ખાન સાહેબનું પણ જેલમાં જવાનું, છૂટવાનું ચાલુ જ હતું. આઝાદી મળી ત્યાં સુધી જીવનનાં પંદર વર્ષ તેમણે જેલમાં વિતાવ્યાં. આઝાદી નજીક આવતી હતી દેશમાં વિભાજનનું વાતાવરણ જામતું જતું હતું, હવામાં નફરતનું ઝેર ફેલાતું જતું હતું. દેશના ભાગલા સ્વીકારવાનો નિર્ણય થઇ ચૂક્યો હતો. ભાગલાથી સૌથી વધુ વેઠનાર સમૂહમાં ‘ખુદાઇ ખિદમતગાર’ પણ હતા. એમને જેની સાથે જોડાવું નહોતું એ પાકિસ્તાન સાથે એમને જવું પડે એવી પરિસ્થિતિ પેદા થઇ હતી. આઝાદીના આંદોલનમાં ગાંધીજીના પગલે ચાલનાર આ સમુદાય ક્યાંયનો પણ ના રહ્યો, એવી વિકટ પરિસ્થિતિમાં મૂકાયો હતો. ભાગલાના કારણે પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરતાં બાદશાહખાને કહ્યું કે, “Thrown to the wolves” (અમને વરુઓના હવાલે કરી દીધા.)

આઝાદી બાદ પાકિસ્સ્તાનમાં પણ બાદશાહખાનનો સંઘર્ષ ચાલુ રહ્યો. આઝાદી પછી તરત જ એમના મોટાભાઇ ડૉ. ખાનસાહેબના મુખ્ય મંત્રી પદ હેઠળ ચાલતા સરહદપ્રાંતના મંત્રીમંડળને બરતરફ કરી દેવામાં આવ્યું. સંવિધાનસભામાં એમણે પાકિસ્તાનના જ એક એકમ તરીકે ‘પખ્તુનિસ્તાન’ની માગણી કરી. ખુદાઇ ખિદમતગાર સંગઠન આખા દેશમાં વિસ્તારાશે અને એ મુસ્લિમ લીગમાં ભેળવવામાં નહીં આવે, એવા દૃઢ નિર્ણયને કારણે તેમ જ અન્ય મુદ્દાઓ પર પોતાની વાત આઝાદી આંદોલનના મિજાજથી મૂકતા રહેતા ખાનસાહેબ માટે આઝાદી માત્ર અંગ્રેજ શાસનથી જ હતી. નવા શાસકોનું તેમના પ્રત્યેનું વલણ પણ અંગ્રેજો જેવું જ હતું. નવા શાસકો તેમને પાકિસ્તાનની એકતા માટે ખતરનાક માનતા હતા અને એ જ કારણે સ્વતંત્રતા પછી પણ વારંવાર તેમની ધરપકડ થઇ અને કુલ 15 વર્ષ તેમણે પાકિસ્તાનની જેલોમાં વિતાવ્યાં. વધતી ઉંમર અને આરોગ્યના પ્રશ્નો સાથે સ્વતંત્ર દેશમાં આટલો લાંબો સમય જેલમાં વિતાવનાર તેઓ ભારતીય ઉપખંડની એક માત્ર વ્યક્તિ!!!

1969નું વર્ષ ગાંધી જન્મશતાબ્દી વર્ષ તરીકે જાણીતું છે. સાથેસાથે ગાંધીની જન્મભૂમિ એવા ગુજરાતમાં થયેલાં કોમી દંગલો માટે પણ. આ જ વર્ષે ઉજવણીમાં ભાગ લેવા આવેલા બાદશાહખાને ઠેર ઠેર ફરીને પ્રેમનો સંદેશો લોકોને આપ્યો હતો. દિલ્હી આવીને તરત જ તેઓએ 3-4-5 ઑક્ટોબરે કોમી રમખાણોની શાંતિ અર્થે ઉપવાસ કર્યા. ત્યારબાદ અમદાવાદ આવીને કોમીશાંતિના કામમાં લાગી ગયા હતા. સાબરમતી આશ્રમની મુલાકાત લઇ જૂનાં સ્મરણો તાજાં કર્યાં હતાં. ડીસા, પાલનપુરથી લઇ વડોદરા સુધી મોટરરસ્તે ફરી લોકોને શાંતિનો સંદેશો આપી જોડવાનું કામ કર્યું. તેમણે બિહારના સર્વોદય સંમેલનનો કાર્યક્રમ રદ્દ કરી ગુજરાતના શાંતિકાર્યને પ્રાથમિકતા આપી હતી. તેમણે આ પ્રવાસ દરમિયાન કહેલી વાતો, આપેલાં પ્રવચનો હ્રદયના ઊંડાણથી આવતાં હતાં એટલે લોકોના હ્રદયને સ્પર્શી જતાં હતાં. એમની અમી દૃષ્ટિ, પ્રેમ, કરુણા, આર્દ્રતામાં જાણે ગાંધીની ઝલક હતી … 1969ના કોમી હુતાશનના માહોલમાં ખાનસાહેબની હાજરી ‘ઝખ્મેરુઝ’ જેવું કામ કરી ગઇ હતી.

સતત ભાગદોડ, ઉંમરના કારણે આવતી માંદગી, આઝાદી પહેલાં અને પછી મળીને કુલ ત્રીસ વર્ષનો જેલવાસ, લોકસેવા માટેનો સતત શ્રમ વગેરેથી શરીર થાકતું જતું હતું, વારંવાર બિમારીઓમાં સપડાતું જતું હતું. 1987માં પક્ષાઘાતના હુમલા પછી સારવાર માટે તેમને ભારત લાવવામાં આવ્યા. દરમિયાન ભારતે તેના પ્યારા અને પનોતા પુત્રને ‘ભારતરત્ન’થી નવાજ્યા હતા. બે માસ સારવાર લઇ પાછા તેઓ પેશાવર ગયા. તબિયત સારી થતી નહોતી સતત કંઇને કંઇ મુશ્કેલીઓ આવતી જતી હતી. 1988ની નવમી જાન્યુઆરીએ ફરી તબિયત બગડી, તાવ આવ્યો ફેફસાંની તકલીફ ઊભી થઇ. અગિયાર દિવસના સંઘર્ષ બાદ 20મી જાન્યુઆરીએ તેમણે 98વર્ષની વયે દેહ છોડ્યો …. નશ્વર દેહ ભલે છોડ્યો. પણ તેમની પ્રેમ, કરુણા, શાંતિ, અહિંસાની ભાવનાથી સદાયે એમની સ્મૃતિ આપણને ભીંજવશે, કપરી સ્થિતિમાં માર્ગદર્શન કરશે.

e.mail : viragsutariya@gmail.com

Loading

...102030...345346347348...360370380...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved