Opinion Magazine
Number of visits: 9969811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિજય માલ્યાને નાસી જવામાં કોણે મદદ કરી હતી? વધુ એક પુરાવો; ટકોરાબંધ નકારી ન શકાય એવો

રમેશ ઓઝા|Opinion - Opinion|19 September 2018

આમ તો રાષ્ટ્રવાદીઓની સરકાર છે એટલે રાષ્ટ્રને નુકસાન પહોંચે એવું તો તેઓ કરે નહીં, પરંતુ પ્રમાણો અને પુરાવાઓ તેની વિરુદ્ધ આવે છે. આપણને વિચારતા કરી મૂકે કે જો દેશપ્રેમીઓ આવા હોય તો દેશદ્રોહી કેવા હશે! પ્રશાંત મહાસાગરમાં આવેલા પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા ટાપુના શાસકોએ નીરવ મોદી નાસી ગયો એના ત્રણ મહિના પહેલાં શોધી કાઢ્યું હતું કે આ માણસ ઠગ છે અને તેને નાગરિકત્વ ન અપાય. ભારતમાં આવીને એ લોકો સત્ય જાણી ગયા અને ભારતના શાસકોને તેની જાણ નહોતી. ઊલટું નીરવ મોદી નાસી ગયો એના થોડા દિવસો પહેલાં સ્વિત્ઝરલૅન્ડમાં દાવોસ ખાતે નીરવ મોદી વડા પ્રધાન સાથે ગ્રુપ ફોટોમાં જોવા મળે છે.

જ્યારે આ સમાચાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયા એ જ દિવસે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાએ લંડનમાં ધડાકો કર્યો હતો કે હું ક્યાં નાસી ગયો છું. ભારત છોડતા પહેલાં હું (વિજય માલ્યા) નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને તેમને બેન્કોના દેવાંનું સેટલમેન્ટ કરવાની તૈયારી બતાવી હતી અને જણાવ્યું હતું કે હું આવતીકાલે લંડન જઈ રહ્યો છું. નાણા પ્રધાન કહે છે કે એ તો સંસદભવનની લૉબીમાં વાત થઈ હતી, કોઈ સત્તાવાર મુલાકાત નહોતી યોજાઈ. સંસદની લૉબીમાં કોઈ ચાલતા-ચાલતા માહિતી આપે કે ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓ હુમલો કરવાના છે તો આપણા નાણા પ્રધાન તેને ગંભીરતાથી ન લે કારણ કે એ લૉબીમાં કહેવાયેલી વાત છે.

હવે ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ વધુ એક હકીકત ખોળી કાઢી છે. આમ તો ૯૮ ટકા મીડિયાને લીલોછમ ચારો આપીને વાડામાં પૂરી દીધાં છે, પરંતુ પાંચ-દસ બચ્યા છે જે ત્રાસ આપે છે. એ લીલું ઘાસ ખાતાં નથી અને લીલું-લીલું જોતાં નથી. કાંઈને કાંઈ શોધી કાઢે છે અને દેશભક્તિનો મૂડ બગાડી નાખે છે. જુઓ વિજય માલ્યાના નાસી જવા વિષે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ શું કહે છે. પુરાવાઓ સાથેની સ્ટોરી છે, ગળે ઊતરે તો ઠીક છે; નહીં તો ભક્તિ કરતાં ક્યાં કોઈ રોકે છે. પહેલાં ટૂંકમાં કેસ હિસ્ટરી.

વિજય માલ્યાએ ૨૦૦૩માં કિંગફિશર એરલાઇન્સની સ્થાપના કરી હતી. આવક કરતાં ખર્ચા વધુ હોવાના કારણે એરલાઇન્સ નુકસાન કરવા લાગી હતી અને ૨૦૧૨માં બંધ પડી ગઈ હતી. ભારતમાં હંમેશાં બને છે એમ જ્યારે કોઈનો કોઈ ધંધો પડી ભાંગે ત્યારે સાદી સમજ મુજબ તો એ ધંધાદારી ઊઠી જવો જોઈએ, પરંતુ આપણે ત્યાં સરકારી માલિકીની બેન્કો ઊઠી જાય છે. વિજયભાઈની એરલાઇન્સ ફડચામાં ગઈ એમાં વિજયભાઈની જગ્યાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બીજી બેન્કો સાત હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં આવી ગઈ.

આ બધું જ યુ.પી.એ. સરકારના સમયમાં બન્યું હતું. નરેન્દ્ર મોદી કહે છે એમ એક ફોન કોલ ઉપર લોન આપવામાં આવી હોય એ પણ શક્ય છે. યુ.પી.એ. સરકારના કાળાં કામોથી થાકી ગયેલી પ્રજાએ ૨૦૧૪માં તેને લાત મારીને પ્રામાણિકતા અને પારદર્શકતાનો દાવો કરનારા નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવ્યા હતા. શું અપેક્ષા હતી અને છે નરેન્દ્ર મોદી પાસેથી? એકેએક કૌભાંડીઓને જેલભેલા કરે. તેને મદદ કરનારા શાસકો અને સરકારી અધિકારીઓને પણ છોડવામાં ન આવે. તેમની સામે ઝડપથી મુકદમા ચાલે અને સજા કરવામાં આવે. સૌથી મોટી વાત; વ્યવસ્થામાં જેટલાં છીંડા છે એને વીણી-વીણીને બુરવામાં આવે.

નરેન્દ્રભાઈની મુદત પૂરી થવામાં છે, પણ આમાનું કાંઈ થયું? નથી કોઈ કૌભાંડીને પકડવામાં આવ્યો કે નથી કોઈ ભ્રષ્ટ ભૂતપૂર્વ શાસકને પકડવામાં આવ્યો. નથી કોઈ પર આરોપનામું ઘડવામાં આવ્યું કે નથી મુકદમો ચલાવવામાં આવ્યો. એક પણ છીંડુ બતાવો જે છેલ્લાં સાડા ચાર વરસમાં બુરવામાં આવ્યું હોય. ઊલટું ઊઠેલી બેન્કો વધારે મુશ્કેલીમાં આવી ગઈ છે અને ઉઠાડનારાઓમાંથી અડધો ડઝન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં નાસી ગયા છે. આમાનું કાંઈ પણ કર્યા વિના દેશમાં રામરાજ્ય આવી જવાનું છે? માત્ર વાતો કરવાથી અને કૉન્ગ્રેસને ગાળો દેવાથી દેશમાં પરિવર્તન થવાનું છે?

તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના મંગળવારના અંકમાં પ્રકાશિત થયેલી સ્ટોરી એમ કહે છે કે સી.બી.આઈ.એ ૧૬મી ઓકટોબર ૨૦૧૫ના રોજ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેમાં દેશભરના વિમાનમથકોને કહેવામાં આવ્યું હતું કે “પ્રિવેન્ટ સબજેકટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ફ્રોમ લીવિંગ ઇન્ડિયા”. એ પછી ૨૪મી નવેમ્બર ૨૦૧૫ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે અને એ જ દિવસે સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલરમાં સુધારો કરે છે. શું કહેવામાં આવ્યું હતું નવા સુધારેલા લુક આઉટ સર્ક્યુલરમાં? “ઇન્ફોર્મ અસ ડાયરેક્ટલી. ડિટેન્શન ઓફ સબજેક્ટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ઈઝ નોટ રિકવાયર્ડ.” વિજય માલ્યા દેશમાં પ્રવેશતા હોય અથવા દેશની બહાર જતા હોય તો અમને (સી.બી.આઈ.ને) જાણકારી આપવામાં આવે તેને આવતો-જતો રોકવામાં ન આવે.

૨૦૧૫ના નવેમ્બર મહિના સુધીમાં બેન્કોનું દેવું વ્યાજ સાથે નવ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું અને કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મહિનાઓથી પગાર ચુકવવામાં નહોતો આવ્યો. એ દિવસોમાં એવો એક પણ દિવસ નહોતો જતો કે અખબારોમાં વિજય માલ્યા અને તેમની એરલાઇન્સ સમાચારોમાં ન હોય. કર્મચારીઓને પગાર નહીં ચૂકવનારા વિજય માલ્યા વૈભવી જીવન જીવે છે એ વિષે દેશમાં ચર્ચા થતી હતી ત્યારે માલ્યાએ વૈભવી જીવનશૈલીનો બચાવ કરનારું બેશરમ નિવેદન કર્યું હતું. આવી સ્થિતિમાં સી.બી.આઈ.એ તેનો લુક આઉટ સર્ક્યુલર હજુ વધારે સખ્ત કરવો જોઈતો હતો કે હળવો? કોના કહેવાથી એ સર્ક્યુલર માલ્યાને ફાયદો થાય એ રીતનો હળવો કરવામાં આવ્યો હતો અને એ પણ એ જ દિવસની રાતે જ્યારે માલ્યા દિલ્હીમાં હતો.

આ બાજુ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ દેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને કાનૂની સલાહ આપવામાં આવે છે કે માલ્યાને વિદેશ નાસી જતો રોકવા માટે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવામાં આવે. ત્રણ મહિના પહેલાં સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલર હળવો કરે છે અને વિમાન મથકોને સ્પષ્ટ જણાવવામાં આવે છે કે માલ્યાને વિદેશ જતો રોકવામાં ન આવે. સવાલ એ છે કે શા માટે બેન્કે લુક આઉટ નોટિસ હળવી કરાઈ એની સામે વહેલાસર વાંધો ન લીધો? ૨૪ નવેમ્બરથી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે ૯૬ દિવસ બેન્કના અધિકારીઓ પાસે હતા. શું નવ હજાર કરોડ રૂપિયાની કોઈ કિંમત નહોતી?

પણ કલાઇમેકસ હવે આવે છે. ૨૮મી ફેબ્રુઆરીની કાનૂની સલાહ પર બેન્કના અધિકારીઓ અમલ નથી કરતા. બીજી માર્ચ ૨૦૧૬ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે. સંસદભવન જાય છે, રાજ્યસભાના સભ્ય તરીકે મસ્ટરમાં સહી કરે છે અને સેન્ટ્રલ હોલમાં બીજા સંસદસભ્યો સાથે ચા પીવે છે. એ પછી માલ્યા નાણા પ્રધાન અરુણ જેટલીને મળે છે. (જેટલીના કહેવા મુજબ લૉબીમાં) અને પોતે લંડન જઈ રહ્યો છે એમ કહીને એ જ રાતે વિમાન પકડે છે. માલ્યા લંડન પહોંચી ગયો એ પછી સ્ટેટ બેન્ક તેને મળેલી કાનૂની સલાહ પર અમલ કરે છે. પૂરા ત્રણ દિવસ પછી. સર્વોચ્ચ અદાલત સરકારી વકીલને માલ્યાને વિદેશ જતો રોકવા માટે સરકાર શું કરી શકે એમ છે એવો સવાલ પૂછે છે ત્યારે સરકારી વકીલ અદાલતને કહે છે કે અમને એવા ખબર મળ્યા છે કે માલ્યા દેશ છોડીને નાસી ગયો છે.

એ ખબર અદાલતને નહોતી અપાઈ દેશને અપાઈ હતી. કોના કહેવાથી લુક આઉટ સર્ક્યુલર હળવો કરવામાં આવ્યો હતો? એ પણ એક દિવસ બહાર આવશે. દેશદ્રોહી મીડિયા શોધી કાઢશે. ત્યાં સુધી ચાલો આપણે દેશપ્રેમી મીડિયા સાથે ભારત માતા કી જયનો નાદ કરીએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2018

Loading

ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ

દીપક મહેતા|Opinion - Literature|18 September 2018

પ્રસ્તાવના

ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીની શબ્દસૃષ્ટિનો પરિચય કરાવતા લેખોના આ સંપાદન વિષે લખતાં સૌથી પહેલાં બે અંગત વાતો યાદ આવે છે. ડૉ. શ્રીધરાણીને દૂરથી પણ કયારે ય જોયા હોય એવું યાદ નથી. પણ લેખક શ્રીધરાણીનો પહેલો પરિચય મુંબઇની ન્યૂ ઇરા સ્કૂલમાં ભણતો હતો ત્યારે થયો, અને એ પરિચય હતો નાટયકાર શ્રીધરાણીનો. અમે વિદ્યાર્થીઓએ ‘વડલો’ નાટક ભજવેલું. તેમાં આ લખનારને ભાગે ‘વડલો’નું પાત્ર ભજવવાનું આવ્યું હતું. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું હતું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઇને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું.

ડૉ. શ્રીધરાણી સાથેનો પહેલો ઋણાનુબંધ ‘વડલો’ નાટકમાંની ભજવણીમાં ભાગ લીધો તે, તો બીજો ઋણાનુંબંધ તેમના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે એક લેખ લખ્યો અને મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળના ‘રશ્મિ’ નામના વાર્ષિકમાં એ છપાયો તે. ‘રશ્મિ’માં  કૉલેજના વિદ્યાર્થીઓનાં લખાણો ઉપરાંત આપણી ભાષાના અગ્રણી લેખકોનાં લખાણો પણ છપાતાં એટલે ‘રશ્મિ’ની શાખ સારી હતી. એટલે તેમાં ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખ છપાયેલો જોઇને જે અધધધ આનંદ થયેલો તે પછી કયારે ય થયો નથી. સમીક્ષા, અનુવાદ, સંપાદન, સંશોધનનાં ક્ષેત્રે જે થોડુંઘણું કે ઘણું થોડું કામ થઇ શક્યું છે તેનો આરંભ ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખથી થયેલો એ ભૂલી શકાય એમ નથી.

ડૉ. શ્રીધરાણીની શાખ આપણે ત્યાં મુખ્યત્વે કવિ તરીકેની છે, પણ તેમનું નાટયસર્જન પણ પહેલેથી છેલ્લે સુધી કવિતા લેખનની સમાંતર રહીને ચાલતું રહ્યું છે. તેમનું પહેલું નાટક ‘વડલો’ ૧૯૩૧માં પ્રગટ થયું. ‘સંસ્કૃિત’ના ઑકટૉબર ૧૯૫૬ના અંકમાં ‘મારે થવું છે (એકાંકી ઠઠ્ઠા પ્રહસન)’ છપાયું છે. ઘણા ‘મારે થવું છે’ને બાળનાટક ગણે છે. પણ ‘સંસ્કૃિત’માં બાળસાહિત્યની કૃતિઓ છપાતી? અપવાદ રૂપે છાપી હોય તો ઉમાશંકરે તે અંગે નોંધ ન મૂકી હોત? વચમાંનાં વર્ષોમાં ડૉ. શ્રીધરાણીએ ‘પીળાં પલાશ’, ‘બાળા રાજા’, ‘સોનાપરી’, જેવાં બાળકો માટેનાં નાટક આપ્યાં. બાળકો માટે ડૉ. શ્રીધરાણીએ વધુ લખ્યું હોત તો આજે આપણું બાળસાહિત્ય થોડું ઓછું રાંક લાગતું હોત. આ ઉપરાંત ‘મોરનાં ઇંડા’ જેવું સામાજિક ત્રિઅંકી નાટક અને ‘પદ્મિની’ જેવું ઐતિહાસિક ત્રિઅંકી નાટક પણ તેમણે આપ્યું. તો ‘પિયોગોરી’ પુસ્તકમાં તેમનાં દસ એકાંકી સંગ્રહાયાં છે. બંગાળના કે મહારાષ્ટ્રના લોકોના લોહીમાં નાટક અને રંગભૂમિ જેટલાં ભળી ગયાં છે એટલાં આપણા લોહીમાં ભળ્યાં નથી, એટલે ભજવાતાં કે છપાતાં નાટકોની આપણા વિવેચને ઝાઝી દરકાર કરી નથી. પણ ચન્દ્રવદન મહેતાએ શ્રીધરાણીનાં નાટકો વિષે કહ્યું છે તે સાવ સાચું છે. “આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.”

દક્ષિણામૂર્તિની ભૂમિ એ ડૉ. શ્રીધરાણીની કવિતાની જન્મભૂમિ. સ્થૂળ અર્થમાં તો ખરી જ, પણ તેથી વધુ તો સૂક્ષ્મ અર્થમાં. જૂનાગઢની નવાબી નિશાળમાં નપાસ થઇને ભણવા આવેલો પંદર-સોળ વર્ષનો કિશોર એક સાંજે પ્રાર્થનામંદિરની અગાસી પર બેસીને શુક્રના તારા સામે તાકી રહ્યો છે. એકાએક કાવ્યપંક્તિઓ ટપકવા લાગે છે. છોકરો એ રચના ગુજરાતીના શિક્ષક ગિરીશભાઇને બતાવે છે અને શિક્ષક કહ્યા કારવ્યા વિના એ કૃતિ ‘કુમાર’ માસિકને મોકલી દે છે. છપાઇને આવે છે ત્યારે છોકરાની છાતી ગજગજ ફૂલે છે. પણ આપણે માટે થોડો ગૂંચવાડો ઊભો થાય તેમ છે: શ્રીધરાણીનું આ પહેલું કાવ્ય તે કયું ? ૧૯૩૪માં પ્રગટ થયેલી ‘કોડિયાં’ની પહેલી આવૃત્તિમાં અંતે ‘કાલક્રમિકા’ આપી છે તેમાં પહેલું કાવ્ય નોંધાયું છે તે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૭ના દિવસે લખાયેલું ‘હું જો પંખી હોત’. તેનો આરંભ “પ્રભુ પાથર્યા લીલમડા શા / ખેતર વાઢ મહીં વિચરું” એ પંક્તિઓથી થાય છે. પણ ‘કુમાર’ના જૂન ૧૯૨૭ના અંકમાં ૨૫૭મા પાના પર બાળવિભાગમાં શ્રીધરાણીના નામ વગર છપાયું છે તે કાવ્ય આ નથી, એ તો છે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે” એ પંક્તિઓથી શરૂ થતું કાવ્ય. આ કાવ્ય કોડિયાંની પહેલી આવૃત્તિમાં ૧૭૭મા પાને છપાયું છે. પણ ‘કાલક્રમિકા’માં તો તેની રચ્યા તારીખ ૨૪ એપ્રિલ ૧૯૨૮ આપી છે ! સંભવત: અહીં બે કાવ્યોની રચ્યા તારીખની અદલાબદલી થઇ ગઇ છે. જેનું શીર્ષક ‘કોડિયાં’માં ‘અભિલાષ’ છે તે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે”થી શરૂ થતું કાવ્ય ૧૯૨૭ના જૂન અંકમાં તો ‘કુમાર’માં છપાયું છે. એટલે તે ૧૯૨૮માં ન જ રચાયું હોય. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી ઑગસ્ટ ૧૯૬૦ના કુમારના અંકમાં તેમને અપાયેલી અંજલિમાં લખ્યું છે: “તેમણે લખેલું કાવ્ય ‘તારા, તારા’ ‘કુમાર’ના છેક ૪૨મા અંકમાં પ્રગટ થયું, એ તેમનું પહેલું પ્રસિદ્ધ કાવ્ય. ત્યારથી આખર સુધી ‘કુમાર’ સાથેનો તેમનો સંપર્ક અખંડ રહ્યો હતો.” (પા. ૩૪૨). એટલું જ નહીં, ૧૯૫૨ના જાન્યુઆરીના ‘સંસ્કૃિત’ના અંકમાં પ્રગટ થયેલ લેખ ‘હું અને કવિતા’માં શ્રીધરાણીએ પોતે ‘તારા, તારા’ થી શરૂ થતા કાવ્યને પોતાના પહેલા કાવ્ય તરીકે અને ‘કુમાર’માં છપાયેલા પોતાના પહેલા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. પછી કહે છે “કવિજીવનની શરૂઆત આમ અભિલાષથી જ થઇ, અને એક કુમારની પહેલી કૂંપળ પ્રગટી. સન ૧૯૨૭ની વાત છે.” એટલે ‘હું જો પંખી હોત’ એ કાવ્ય શ્રીધરાણીનું પહેલું કાવ્ય નહીં, ‘તારા, તારા, તારા જેવી …’ થી શરૂ થતું કાવ્ય તે જ તેમનું પહેલું કાવ્ય.

યોગાનુયોગ એવો થયો છે કે ગુજરાતી કવિતામાં નવા યુગની નાન્દી જેવાં બે કાવ્ય ૧૯૫૬માં થોડા સમયને અંતરે લખાયાં છે. ૧૯૫૬ના ફેબ્રુઆરીની ૬ થી ૧૯ તારીખ દરમિયાન ઉમાશંકર જોશી ‘છિન્નભિન્ન છું’ લખે છે તો એ જ વર્ષના મેની ૧૯મીએ શ્રીધરાણી ‘આઠમું દિલ્હી’ કાવ્ય લખે છે. ૧૯૫૬ પછી ઉમાશંકરને જેટલો સમય મળ્યો તેટલો સમય શ્રીધરાણીને મળ્યો હોત તો તેમની કવિતાએ કેવાં કેવાં રૂપ બતાવ્યાં હોત અને આધુનિક કવિતાના ઘડતરમાં શ્રીધરાણીએ કેવો ભાગ ભજવ્યો હોત તેનો વિચાર કે વસવસો કરવાનો હવે અર્થ નથી.

શ્રીધરાણીના જીવન અંગેની એક ભૂલ ઘણા વખતથી જુદાં જુદાં પ્રકાશનોમાં જોવા મળે છે. તેમનાં પત્ની સુંદરીબહેનને દયારામ ગિડુમલનાં પુત્રી તરીકે ઓળખાવવામાં આવે છે. પણ દયારામ ગિડુમલ તો હતા ગોવર્ધનરામ ત્રિપાઠી અને નરસિંહરાવ દિવેટિયાના સમકાલીન. દયારામ ગિડુમલનો જન્મ ૧૮૫૭માં, અવસાન ૭૦ વર્ષની વયે, ૧૯૨૭માં. કૃષ્ણલાલ  શ્રીધરાણી  અને સુંદરીબહેનનાં લગ્ન થયાં ૧૯૫૦માં. આ શકય છે ? એવો વિચાર કોઇને કેમ નહીં આવતો હોય ? હકીકતમાં સુંદરીજી દયારામ ગિડુમલનાં પુત્રી નહીં, પણ દૌહિત્રી હતાં. અગાઉ અનેક વાર જે લખાયું હતું તે વિષે શંકા જતાં દિલ્હી રહેતાં જાણીતાં લેખિકા અને મિત્ર ડો. વર્ષા દાસને સાચી વાત જાણવા વિનંતી કરી. તેમણે સુંદરીબહેન પાસેથી સાચી વિગત મેળવી આપી.

ડૉ. શ્રીધરાણીનાં ગુજરાતી પુસ્તકો વિષે આપણે ગમે તેટલા ઉત્સાહથી વાત કરીએ તો પણ એ વાત અધૂરી જ છે. અંગ્રેજીમાં તેમણે સર્જનાત્મક કશું નથી લખ્યું. ૧૪ વર્ષ પછી લખાયેલું કાવ્ય ‘ઘરજાત્રા’ ‘કુમાર’ના ડિસેમ્બર ૧૯૪૮ના અંકમાં પ્રગટ થયું ત્યારે તેની સાથેની નાનકડી નોંધમાં કવિએ લખેલું : “અંગ્રેજીમાં અખબારી લખાણો લખ્યાં, ચોપડીઓ લખી, ને એનાં વખાણ પણ થયાં. પણ અંગ્રેજીમાં કવિતા – ખરી કવિતા ન લખી શકયો. પરભાષામાં એક પછી એક એમ તમે અનેક વિજયો મેળવી શકો, પણ કવિતાનો દુર્ગ તો અજેય જ રહેવાનો.” શ્રીધરાણીનું અંગ્રેજી લેખન ભલે સર્જનાત્મક ન હોય, સંગીન ઘણું જ છે. અંગ્રેજી પુસ્તકોની બાબતમાં શ્રીધરાણી કનૈયાલાલ મુનશીના અનુગામી છે. પણ બંનેનાં અંગ્રેજી પુસ્તકો વિષે આપણે ઝાઝી વાત કરતા નથી. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી તેમને અંજલિ આપતા લેખમાં ગગનવિહારી મહેતાએ કહ્યું હતું તેમ “અમેરિકાનો લોકમત કેળવવામાં શ્રીધરાણીનો ફાળો કીમતી હતો. આપણા રાજયના નહીં, પણ સ્વતંત્ર થવા મથતા રાષ્ટ્રના એ એલચી હતા.”

વડલો તો સો વર્ષની આવરદા ભોગવ્યા પછી ધરાશાયી થયેલો. ‘વડલો’ના લેખકને તો તેનાથી માંડ અડધું જ આયુષ્ય મળ્યું. તેમની કૃતિઓ પણ ઢળી પડેલા વડના ટેટાની જેમ વિખરાયેલી, વિસરાયેલી, ક્યારેક વગોવાયેલી પણ, પડી હતી. જન્મશતાબ્દી નિમિત્તે ફરીથી એમની કૃતિઓ તરફ અભ્યાસીઓનું ધ્યાન ગયું. ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય અકાદમીએ ૨૦૧૧ના માર્ચમાં અમદાવાદમાં રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું આયોજન કર્યું. એ પરિસંવાદમાં જ ડૉ. કુમારપાળ દેસાઈએ આ પુસ્તક પ્રગટ કરવાની અને તેનું સંપાદન આ લખનારને સોંપવાની જાહેરાત કરી દીધી. તે વખતે ઇરાદો તો એવો હતો કે એ પરિસંવાદમાં રજૂ થયેલાં વક્તવ્યો પુસ્તાકાકારે મૂકી દેવાં. પણ પછી ભાવનગર અને ગુજરાતનાં બીજાં સ્થળોએ તથા મુંબઈમાં પણ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમો થયા. તેમાંનાં કેટલાંક વક્તવ્યો પણ પુસ્તકમાં સમાવવાનો લોભ જાગ્યો. એટલે પુસ્તકનું પ્રકાશન ઠેલાતું ગયું. 

પુસ્તકનું સંપાદન કરતી વખતે જે ખાંખાખોળાં કર્યાં તે દરમ્યાન સામયિકોમાં પ્રગટ થયેલાં શ્રીધરાણીનાં અને શ્રીધરાણી વિશેનાં કેટલાંક લખાણો ધ્યાનમાં આવ્યાં. અગાઉ પુસ્તકરૂપે ન સંગ્રહાયેલાં આવાં લખાણો પણ આ ગ્રંથમાં સમાવી લેવાનું યોગ્ય લાગ્યું. પરિણામે ધાર્યા કરતાં પુસ્તકનું કદ થોડું વધી ગયું અને પ્રકાશનનો વિલંબ થોડો લંબાયો. પણ આ પ્રસંગે એ લખાણો ગ્રંથસ્થ નહીં થાય તો ભવિષ્યમાં ક્યારે થશે, એવી વિમાસણને કારણે એ લખાણો અહીં સમાવ્યાં છે. અલબત્ત, બધાં અગ્રંથસ્થ રહેલાં લખાણો અહીં મૂકી દીધાં હોવાનો દાવો નથી. વધુ ખાંખાખોળાં કરતાં આવાં બીજાં લખાણો પણ મળી આવે.

અહીં સમાવેલાં લખાણોને ત્રણ વિભાગમાં ગોઠવ્યાં છે. પહેલા વિભાગમાંનાં બધાં લખાણો શ્રીધરાણીની જન્મશતાબ્દી નિમિત્તે લખાયેલાં છે. શ્રીધરાણીના જીવન, વ્યક્તિત્વ, લેખન, પત્રકારિતા, વગેરેની ચર્ચા તેમાં જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ ડૉ. ધીરુભાઈ ઠાકર અને પ્રા. તખ્તસિંહ પરમારથી માંડીને પરેશ નાયક જેવા યુવાન અભ્યાસીઓએ મુક્ત મને અને ખુલ્લા દિલે કરી છે. દિલ્હીવાસી મિત્ર અને લેખિકા ડૉ. વર્ષા દાસને સુન્દરીબહેન શ્રીધરાણીની મુલાકાત લેવાની વિનંતી કરી અને તેમણે લીધેલી મુલાકાતને આધારે લખાયેલો લેખ આ પુસ્તક માટે મળ્યો તેનો સવિશેષ સંતોષ છે, બે કારણોથી. પહેલું તો એ કે ડૉ. શ્રીધરાણીના જીવન અને વ્યક્તિત્વ અંગેની કેટલીક નવી કે ઓછી જાણીતી વિગતો તેમાં બહાર આવી છે. બીજું, મુલાકાત વખતે સુન્દરીબહેને કેટલાક મૂલ્યવાન ફોટાની નકલો પણ આપી હતી. તેમાંથી કેટલાક ફોટા અહીં સમાવ્યા છે. આ પુસ્તક માટે વર્ષાબહેને મુલાકાત લીધી તે પછી થોડા વખતમાં ૯૩ વર્ષની વયે સુન્દરીબહેનનું અવસાન થયું. જો આ મુલાકાત ન લેવાઈ હોત તો આ બધું આપણે કાયમ માટે ગુમાવ્યું હોત. બીજા વિભાગમાં શતાબ્દી પહેલાં સામયિકોમાં પ્રગટ થયેલાં શ્રીધરાણી વિશેનાં કેટલાંક લખાણો સમાવ્યાં છે, તો ત્રીજા વિભાગમાં શ્રીધરાણીનાં પોતાનાં અગ્રંથસ્થ ગદ્ય લખાણો મૂક્યાં છે.

આ પુસ્તક માટે લેખો લખી આપનાર સૌ લેખકોનો આભારી છું. શ્રીધરાણીનાં અગ્રંથસ્થ લખાણો અહીં સમાવવાની અનુમતિ આપવા માટે તથા બીજી ઘણી રીતે મદદરૂપ થવા માટે અમરભાઈ કૃષ્ણલાલ શ્રીધરાણીનો અને તેમનાં બીજાં કુટુંબીજનોનો પણ ખાસ આભાર માનવો જોઈએ. આ પુસ્તકના સંપાદનની જવાબદારી મને સોંપવા માટે ગુજરાત સાહિત્ય સભાનો અને તેના પ્રમુખ કુમારપાળભાઈનો ખાસ આભારી છું. ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક ડૉ. શ્રીધરાણીને આપવાની જાહેરાત કરી તે પછી થોડા વખતમાં જ તેમનું અણધાર્યું અવસાન થયું. એ જ ગુજરાત સાહિત્ય સભા જન્મશતાબ્દી નિમિત્તે આ પુસ્તક પ્રગટ કરે છે તે એક સુખદ યોગાનુયુગ જ ગણાય. સાહિત્યપ્રેમીઓને આ પુસ્તક થોડેઘણેઅંશે પણ સંતોષ આપી શકશે એવી આશા છે.

[૨૦૧૨માં પ્રગટ થયેલ પુસ્તક 'શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ'ની પ્રસ્તાવના]

e.mail : deepakbmehta@gmail.com

Loading

હું હિન્દુ છું

રમેશ ઓઝા|Opinion - Opinion|16 September 2018

મારું ઘર (હિન્દુ ધર્મ) ખળખળ વહેતા પાણી જેવું છે, જેમાં અવરોધો નથી અને ચાર દીવાલોની ચોકરબંધી પણ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારા ઘરને બચાવવાની છે.

જે ઝાડ સૌથી પ્રાચીન છે, જેનાં મૂળ સૌથી ઊંડાં છે, જેનો ચોતરફ વિસ્તાર થયો છે, જેની શાખાઓમાંથી પ્રશાખાઓ વિકસી છે, જે દરેક વાવાઝોડાને ખમી ચૂક્યું છે એને એના જ અનુયાયીઓ આજે કાપી રહ્યા છે તો એ કોણ છે? આ ફેલાયેલાં ઝાડની ડાળો કાપીને કોણ તેને ઊભા ખાંભા જેવું નિસ્તેજ બનાવી રહ્યું છે? ભારતની વનરાઈ ૮૦ ટકા હિન્દુ વૃક્ષોથી શોભી રહી છે, પરંતુ આજે તેના માલિકો જ તેને બોન્સાઇ બનાવી રહ્યા છે. કોણ છે એ લોકો?

અંદાજે આઠસો વરસ દરમ્યાન ધીરે-ધીરે વિકસેલા ભારતીય ઇસ્લામ(ભારતના વિભાજન પછી ભારતીય ઈસ્લામને દક્ષિણ એશિયાઈ ઇસ્લામ તરીકે ઓળખાવવામાં આવે છે, પરંતુ હું તેને ભારતીય ઇસ્લામ તરીકે જ ઓળખાવું છું. વિભાજન ગઈકાલની ઘટના છે, જ્યારે ભારતીયતા હજારો વરસ જૂની પ્રક્રિયા છે અને તેમાં ઇસ્લામ અપવાદ નથી.)ના સુંદર બગીચાને કેટલાક મુસલમાનોએ રગદોળી નાખ્યો અને એનું આજે જે પરિણામ જોવા મળી રહ્યું છે એના વિષે આ કોલમમાં હું અનેકવાર લખી ચૂક્યો છું, પરંતુ એ હિન્દુઉન્માદ શરૂ થયો એ પહેલાંની વાત છે.

કોઈ દેશમાં બહુમતી પ્રજામાં જ્યારે કોમીજ્વર પેદા થાય, ત્યારે એ ખતરનાક નીવડતો હોય છે, એમ ઇતિહાસ કહે છે અને વર્તમાન તેની સાહેદી પૂરે છે. એ માત્ર કોમીજ્વર નથી હોતો, પણ એ ફાસીવાદ તરફ દોરી જાય છે અને તેનાં પરિણામની કલ્પના કરતાં લખલખું પસાર થઈ જાય છે. હવે જ્યારે ભારતમાં હિન્દુઉન્માદ પેદા થયો છે, ત્યારે છેલ્લાં બસો વરસ દરમ્યાન કેટલાક મુસલમાનોએ કરેલી ભૂલ અને તેના પરિણામોની ચર્ચા કરતાં પહેલાં એક કવિતા અને એક લેખ તરફ ધ્યાન ખેંચવા માગું છું. કવિતા પાકિસ્તાનની કવયિત્રીની છે જે બહુમતી મુસલમાનો વચ્ચે રહે છે અને લેખ મરાઠી અભિનેતાનો છે જે બહુમતી હિંદુઓની વચ્ચે રહે છે. બન્નેનું પોતપોતાનું અનુભવવિશ્વ છે જે પોતાનું હોવા છતાં એકસમાન છે. એકે અનુભવ કરી લીધો છે અને અનુભવજન્ય પરિણામ તરફ આપણું ધ્યાન દોરે છે અને બીજો તાજોતાજો અનુભવ કરી રહ્યો છે અને ભવિષ્ય વિષે ભયભીત કરનારી લાગણીઓ તરફ ધ્યાન દોરે છે.

પાકિસ્તાની કવયિત્રી છે ફહમિદા રિયાઝ. ૧૯૪૫માં ભારતમાં મેરઠમાં જન્મેલાં ફહમિદા રિયાઝ ડર્યા વિના માનવતાના પક્ષે ઊભા રહેવાની હિંમત ધરાવે છે. આની તેમણે કિંમત પણ ચૂકવી છે અને આજે પણ ચૂકવી રહ્યાં છે. ૧૯૭૮માં પાકિસ્તાનમાં ઝીયા ઉલ હક્કની સરમુખત્યારશાહી આવી એ પછીથી પાકિસ્તાનમાં ઇસ્લામીકરણની શરૂઆત થઈ હતી. ભારતીય ઉપખંડમાં ભારતીય ઇસ્લામની જગ્યાએ ઇસ્લામનો એક ખાસ પ્રકારનો ચહેરો કંડારવાનું તો આગળ કહ્યું એમ બસો વરસ પહેલાં શરૂ થઈ ગયું હતું, હવે તેને માત્ર એક શાસકની જરૂર હતી જે તેને ૧૯૭૮માં મળી ગયો હતો. ફહમિદા રિયાઝે પાકિસ્તાનમાં પેદા કરવામાં આવી રહેલા ઇસ્લામિકજ્વરનો વિરોધ કર્યો હતો.

એ પછી તેમની સાથે એ જ થયું જે ભારતમાં થઈ રહ્યું છે. તેમને દેશદ્રોહી અને રાષ્ટ્રવિરોધી જાહેર કરવામાં આવ્યાં. તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અને ધરપકડ કરવામાં આવી. એ તો સારું થયું કે પોલીસસ્ટેશનનો થાણેદાર રિયાઝનો ફેન હતો એટલે તેણે હાથ મુચરકા પર પાકિસ્તાની શાયરનાને છોડી મુક્યાં અને દેશ છોડીને જતા રહેવાની સલાહ આપી. એ પછી ભારતથી મેહફિલનું નિમંત્રણ આવે છે અને તેઓ ભારત આવી જાય છે. જાણીતાં પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ ફહમિદા રિયાઝનાં મિત્ર હતાં અને તેમણે ઇન્દિરા ગાંધીને કહીને ફહમિદાને ભારતમાં આશરો આપ્યો હતો. ફહમિદા રિયાઝ જતાં રહ્યાં એટલે તેમના પતિની ધરપકડ કરવામાં આવી હતી. ફહમિદાએ સાત વરસ ભારતમાં દેશવટો ભોગવ્યો હતો અને તેમના પતિને જેલમાં રહેવું પડ્યું હતું. જનરલ ઝીયાના મૃત્યુ પછી તેઓ પાકિસ્તાન પાછાં ફર્યાં હતાં.

ઇસ્લામનો વિકૃત શાસકીય ચહેરો નજરે જોનારાં અને તેની કિમંત ચૂકવનારાં ફહમિદા રિયાઝ ભારતમાં હિન્દુજ્વર જોઇને ઊંડી વ્યથા સાથે ચેતવણી આપે છે. પહેલી નજરે એમાં વ્યંગ લાગશે; પણ એમાં વ્યથા છે અને એનાથી વધુ ચેતવણી છે. કવયિત્રી કહે છે :

तुम बिल्‍कुल हम जैसे निकले

अब तक कहाँ छिपे थे भाई
वो मूरखता, वो घामड़पन
जिसमें हमने सदी गंवाई
आखिर पहुँची द्वार तुम्‍हारे
अरे बधाई, बहुत बधाई।

प्रेत धर्म का नाच रहा है
कायम हिंदू राज करोगे ?
सारे उल्‍टे काज करोगे !
अपना चमन ताराज़ करोगे !

तुम भी बैठे करोगे सोचा
पूरी है वैसी तैयारी
कौन है हिंदू, कौन नहीं है
तुम भी करोगे फ़तवे जारी
होगा कठिन वहाँ भी जीना
दाँतों आ जाएगा पसीना
जैसी तैसी कटा करेगी
वहाँ भी सब की साँस घुटेगी
माथे पर सिंदूर की रेखा
कुछ भी नहीं पड़ोस से सीखा!

क्‍या हमने दुर्दशा बनाई
कुछ भी तुमको नजर न आयी?
कल दुख से सोचा करती थी
सोच के बहुत हँसी आज आयी
तुम बिल्‍कुल हम जैसे निकले
हम दो कौम नहीं थे भाई।
मश्‍क करो तुम, आ जाएगा
उल्‍टे पाँव चलते जाना
ध्‍यान न मन में दूजा आए
बस पीछे ही नजर जमाना
भाड़ में जाए शिक्षा–विक्षा
अब जाहिलपन के गुन गाना।

आगे गड्ढा है यह मत देखो
लाओ वापस, गया ज़माना
एक जाप सा करते जाओ
बारम्बार यही दोहराओ
कैसा वीर महान था भारत
कैसा आलीशान था–भारत
फिर तुम लोग पहुँच जाओगे
बस परलोक पहुँच जाओगे
हम तो हैं पहले से वहाँ पर
तुम भी समय निकालते रहना
अब जिस नरक में जाओ वहाँ से
चिट्ठी–विठ्ठी डालते रहना।

 

અને હવે મરાઠી કલાકાર અતુલ પેઠે શું કહે છે એ જોઈએ. અતુલ પેઠે ૩૫ વરસથી મરાઠી નાટકોમાં કામ કરે છે અને કેટલાંક નાટકો તેમણે દિગ્દર્શિત પણ કર્યા છે. જાણીતા મરાઠી સમાજશાસ્ત્રી ડૉ. રઘુનાથ ધોન્ડો કર્વેના જીવન પર આધારિત ‘સમાજસ્વાસ્થ્ય’ નામના તેમના અત્યારે ચાલી રહેલા નાટકે મહારાષ્ટ્રમાં સારી ચર્ચા જગાવી છે. ડૉ. કર્વે લૈંગિક શિક્ષણ અને સંતતિ નિયમનના હિમાયતી હતા અને એ જમાનામાં એના વિષે વાત કરવી એ પણ પાપ ગણાતું હતું.

 

અતુલ પેઠેએ ગયા રવિવારે મરાઠી અખબાર ‘લોકસત્તા’માં ‘મી હિંદુ આહે’ એવા શીર્ષક સાથે એક લેખ લખ્યો હતો તેમાં તેઓ કહે છે:

 

“હું હિંદુ છું. જન્મે અને વૃત્તિએ એમ બન્ને રીતે. આમ છતાં કેટલાક સમયથી આજુબાજુમાં જે ઝેરીલું વાતાવરણ નજરે પડી રહ્યું છે એ જોઇને હું બહુમતી કોમનો સભ્ય ડર અનુભવું છું. કોઈ પણ ટીવી ચેનલ શરૂ કરો કે તેમાં પોતાને હિન્દુ ધર્મરક્ષક તરીકે ઓળખાવનારાઓ જે ઝનૂની ભાષામાં ઉગ્ર ચહેરો ધારણ કરીને બોલતા જોવા મળશે. તેમની ભાષા કમાલની હિંસક હોય છે અને ચહેરાના હાવભાવ એવા હોય છે કે હમણાં જ પ્રતિવાદીને ચીરી નાખશે. મારાથી આ જોઈ શકાતું નથી. તેઓ મારા પરિચિત અને પ્રિય હિન્દુ ધર્મ વિષે બોલી રહ્યા હોય એવું મને લાગતું નથી. તેઓ હિન્દુ ધર્મના નામે અખબારોમાં, ટીવી ચેનલોમાં અને સોશ્યલ મીડિયા પર જે ઝેર ઓકે છે. તેમને જોઈ જોઇને અને સાંભળી સાંભળીને તેઓ જ જાણે કે હિન્દુ ધર્મના સાચા પ્રતિનિધિ હોય એવું આમજનતાને લાગવા માંડ્યું છે. હવે તો તેમને પણ એમ લાગવા માંડ્યું છે કે તેઓ જ હિન્દુ ધર્મના રક્ષક અને પાલક છે.

નમ્રતાપૂર્વક કહું છું તેઓ મારા વતી બોલી રહ્યા હોય એવું મને લાગતું જ નથી. ઊલટું તેમની ભાષા અને તર્ક જોઇને મારી અંદરનો હિન્દુ અસ્વસ્થ થઈ જાય છે. તેમને જેવો હિન્દુ અપેક્ષિત છે એવો હું ક્યારે ય થઈ શકું એમ નથી એટલે મને શંકા થાય છે કે કદાચ તેઓ મને એકલો પાડી દેશે. તેમને સ્વીકાર્ય ન હોય એવી ભાષામાં હું બોલીશ કે લખીશ તો કદાચ તેઓ મને ઘરમાંથી ખેંચીને મારી નાખશે એવાં ભયજનક સ્વપ્ન પડે છે. આને કારણે મારા મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને હું વિચારવા લાગુ છું. સાચું કહું તો મનમાં આવા પ્રશ્નો ઉપસ્થિત થવા અને વિચારમાં પડી જવું એ હિન્દુ ધર્મએ જ મને આપેલું શિક્ષણ છે. હું તો એમ કહીશ કે હું હિન્દુ ધર્મનો અનુયાયી છું એટલે વિચારું છું અને પ્રશ્નો કરું છું.

મને મારા મા-બાપે, દાદા-દાદીએ, પાડોશીઓએ, શિક્ષકોએ એમ બધાએ એકબીજા પ્રત્યે સહભાવ સાથે જીવતા શીખવ્યું છે. તેમણે આ શિક્ષણ મને ‘સહિષ્ણુતા’ના નામે નહોતું આપ્યું, ‘વર્તન’ના નામે આપ્યું હતું. કોઈના પર હાથ ઉગામવો નહીં, કોઈને ગાળ આપવી નહીં, કોઈનું મન દુભાવવું નહીં, ઉચ્ચ-નીચનો ભેદ કરવો નહીં, કોઈને નીચા ગણવા નહીં, પોતાને મોટા ચીતરવા નહીં, કોઈ વાતનું અભિમાન કરવું નહીં, કોઈનું બૂરું ઇચ્છવું નહીં વગેરે સંસ્કાર બાળપણમાં મને મળ્યા હતા. આને સભ્ય વર્તણૂંક કહેવામાં આવતી હતી, સહિષ્ણુતા શું કહેવાય એ તો પછી ખબર પડી.

અમારા ઘરમાં રેડિયો હતો. એનો અવાજ ઘરની બહાર ન જાય એનું ધ્યાન મારાં મા-બાપ રાખતાં હતાં. મને સાયકલ લઈ આપી ત્યારે ઘંટડી જરૂર હોય તો જ વગાડવી એમ મને કહેવામાં આવ્યું હતું. આપણે રેડિયો કે સાયકલ ધરાવીએ છીએ એનો દેખાડો કરવાનો ન હોય. સાંજે મારી મા ઘીનો દીવો કરતી અને મને કહેતી કે તે સાત્ત્વિક શાંતિ આપે છે. પ્રસાદ કે મીઠાઈ વહેંચીને ખાવાના સંસ્કાર પણ ઘરમાંથી અને પાડોશમાંથી મને મળ્યા હતા. આ મૂલ્યો મનમાં નહીં, પણ બુદ્ધિમાં ઊતારવામાં આવ્યાં હતાં.

અમારા ઘરમાં મંદિર હતું અને તેમાં ઘણાં દેવ-દેવી હતાં. મારાં મા-બાપે એ દેવોનો પરિચય મૂલ્યરક્ષક તરીકે આપ્યો હતો, કોઈ ક્રોધી વેર લેનારા દેવ તરીકે નહીં. ભાઈ ખાતર ગાદી ત્યજનારા રામ વગેરે. મારા પિતા વિઠ્ઠલમાર્ગી હતા એટલે અમારા ઘરે ભજન થતાં. આડોશી-પાડોશી સગાસંબંધીઓ આવીને અભંગ ગાય પણ એમ કરવામાં ક્યારે ય તેમને ભગવા ઝંડાની જરૂર નહોતી પડી. આના પરથી હું એવું સમજ્યો હતો કે હિન્દુ હોવા માટે કંઈ બતાવવાની જરૂર નથી.

એ જમાનામાં ધુળેટીમાં રમવા માટે પિસ્તોલના આકારની રંગની પિચકારી બજારમાં આવી હતી. હું અને મારો મિત્ર પિસ્તોલની પિચકારી લઈ આવ્યા. ઘરે આવ્યા તો મારી માએ કહ્યું કે આ નહીં ચાલે, પછી આપી આવ. તારે ગોળીથી રમવાનું નથી રંગથી રમવાનું છે. એ દિવસે મને લાગ્યું કે મારી દ્રષ્ટિ વિશાળ થઈ ગઈ. મારા મિત્રને પણ તેના ઘરે આવી જ સલાહ આપવામાં આવી અને અમે બન્ને પિસ્તોલની પિચકારી પાછી આપી આવ્યા. અમને ત્યારે એવું નહોતું લાગ્યું કે અમે પિસ્તોલથી દૂર ભાગનારા બુઝદિલ છીએ અને હિન્દુ ધર્મ માટે લાંછનરૂપ છીએ. અમને આવું ત્યારે કોઈએ કહ્યું પણ નહોતું. ઊલટું પિસ્તોલ હોવા કરતાં ન હોવામાં વધારે હિન્દુપણું છે એમ અમને લાગતું હતું.

અમે તરુણાવસ્થામાં ખૂબ ફરતા. મહારાષ્ટ્રના બધા જ કિલ્લાઓ અને મંદિરો જોયાં છે. ત્યાં સફાઈ કરી છે, દીવાલો પર લખવામાં આવેલાં નામો ભૂંસ્યા છે, ગરીબ લોકોને અનાજ વહેંચ્યું છે વગેરે. એમ કરવામાં અમને હિન્દુ ધર્મ રક્ષક સેનાનું બેનર, ભગવો ઝંડો, જય શ્રી રામ લખેલી ભગવી ટોપી કે ટી શર્ટ અને વિધર્મીઓ વિરુદ્ધ નારાબાજીની કયારે ય જરૂર નહોતી પડી.

મને ખાતરી છે કે હિન્દુ હોવાનો જે અનુભવ મને થયો છે એવો જ અનુભવ મોટાભાગના હિન્દુઓને થયો હશે. તો પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી પરિવેશમાં ભય પેદા કરનારું અને મનને વ્યથિત કરનારું પરિવર્તન કેમ થવા લાગ્યું છે? આ હિન્દુના મનમાં પેદા થયેલી લઘુતાગ્રંથિ છે કે ગુરુતાગ્રંથિ? કે પછી આ મારા હિન્દુ ધર્મને ખતમ કરવાનું કાવતરું છે? જે ઝાડ સૌથી પ્રાચીન છે, જેના મૂળ સૌથી ઊંડા છે, જેનો ચોતરફ વિસ્તાર થયો છે, જેની શાખાઓમાંથી પ્રશાખાઓ વિકસી છે, જે દરેક વાવાઝોડાને ખમી ચૂક્યું છે એને એના જ અનુયાયીઓ આજે કાપી રહ્યાં છે તો એ કોણ છે? આ ફેલાયેલાં ઝાડની ડાળો કાપીને કોણ તેને ઊભા ખાંભા જેવું નિસ્તેજ બનાવી રહ્યું છે? ભારતની વનરાઈ ૮૦ ટકા હિન્દુ વૃક્ષોથી શોભી રહી છે, પરંતુ આજે તેના માલિકો જ તેને બોન્સાઇ બનાવી રહ્યા છે. કોણ છે એ લોકો?

આ પ્રશ્નો કેટલાક સમયથી મારા મનમાં પેદા થઈ રહ્યા છે અને હું એના વિષે વિચારું છું કારણ કે હું હિન્દુ છું અથવા એમ કહીશ કે હિન્દુ છું એટલે જ વિચારી શકું છું અને પ્રશ્ન પૂછી શકું છું. હવે મહેરબાની કરીને મને એમ નહીં કહેતા કે આવા પ્રશ્નો તમે બીજા ધર્મના અનુયાયીને કેમ નથી પૂછતા? મારું ઘર (હિન્દુ ધર્મ) ખળખળ વહેતાં પાણી જેવું છે, જેમાં અવરોધો નથી અને ચાર દીવાલોની ચોકરબંધી પણ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારા ઘરને બચાવવાની છે. હું એ મોકળાશને બચાવી શકીશ તો બીજા પણ એ મોકળાશ તરફ આકર્ષવાના છે.”

અહીં બે કૃતિઓ ટાંકી છે. આગળ કહ્યું એમ બન્નેનું પોતપોતાનું અનુભવવિશ્વ છે જે પોતાનું હોવા છતાં એકસમાન છે. એકે અનુભવ કરી લીધો છે અને અનુભવજન્ય પરિણામ તરફ આપણું ધ્યાન દોરે છે અને બીજો તાજોતાજો અનુભવ કરી રહ્યો છે અને ભવિષ્ય વિષે ભયભીત કરનારી લાગણીઓ તરફ ધ્યાન દોરે છે. આપણે જ્યારે અવળી દિશામાં યાત્રા શરૂ કરી જ દીધી છે ત્યારે આપણી પહેલાં એ જ માર્ગે ચાલેલા વટેમાર્ગુઓનો અનુભવ સમજી લેવો જોઈએ. આજે જ્યારે હિન્દુ કોમીજ્વર દેશમાં પેદા થયો છે ત્યારે ભારતીય ઇસ્લામના સુંદર બગીચાને કેટલાક મુસલમાનોએ રગદોળી નાખ્યો અને એનું આજે જે પરિણામ જોવા મળી રહ્યું છે એના વિષે આ કોલમમાં લખવામાં આવશે.

સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 16 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,1113,1123,1133,114...3,1203,1303,140...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved