Opinion Magazine
Number of visits: 9581813
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Bridging the communal divides

Ram Puniyani|English Bazaar Patrika - OPED|8 May 2018

Ankit Saxena, a twenty three year old young man, was killed by the family of his fiancée, whom he intended to marry. The only son of his parents Ankit was looking at different religious communities with equal respect. His death was a shattering blow to his parents. We watched in great admiration that Yashpal Saxena, the heartbroken father, refused to communalize the issue while rightly asking for the guilty to be punished, and the blame of this sectarian insanity of the girls’ family should not be put upon the whole community. His father has now taken upon himself to commemorate the memory of his son by setting up a Trust, which will basically strive to work for ‘Aman’ [peace and harmony]. Its special focus will be to help those who want to marry out of their religion or caste.

In another touching case a grieving father refused to blame the whole community for the death of his son. Maulana Imdadul Rashidi, whose 16 year old son was killed in the violence triggered by Ram Navami processions across the state (WB), Maulana is Imam of a mosque in Asansol. While presiding over the meeting he appealed for peace and warned the assembly that he would leave the mosque and the town if there was any retaliation for his son’s death.

These are two glorious examples of the humane spirit of India. While on one side communal violence has been going on an upward spiral, the sensitive, concerned activists and citizens are at loss to plan for the future in a way which can strengthen the spirit of amity and harmony. While India’s medieval period saw the interaction for Hindus and Muslims at all the levels, from among the King’s Courts and their armies, the social interaction was marked by what we remember today as Ganga Jumni Tehjeeb, a synonym for Hindu Muslim interaction. This phrase is particularly applied for the North India, Ganges belt, where Bhakti and Sufi traditions peaked, where interaction in the arena of music, literature, architecture and food habits showed the bonding of the two communities. In the din of today’s “hate other’’ sentiments, we need to remember Gandhi, who in his book Hind Swaraj tells us about the social and political interaction between Hindus and Muslims, “The Hindus flourished under Moslem sovereigns and Moslems under the Hindu. Each party recognized that mutual fighting was suicidal, and that neither party would abandon its religion by force of arms. Both parties, therefore, decided to live in peace. With the English advent quarrels recommenced… Should we not remember that many Hindus and Mohammedans own the same ancestors and the same blood runs through their veins? Do people become enemies because they change their religion? Is the God of the Mohammedan different from the God of the Hindu? Religions are different roads converging to the same point. What does it matter that we take different roads so long as we reach the same goal? Wherein is the cause of quarreling?”

On similar lines Nehru in his “Discovery of India” outlines the thick Hindu Muslim interaction during medieval period. Incidentally, Shyam Benegal's classic serial based on this book is a brilliant depiction of Indian culture. It is true that during freedom struggle three types of nationalisms emerged, the one led by Gandhi-Nehru-Patel, Indian Nationalism Indian National Congress, INC), another led by Mohammad Ali Jinnah (Muslim Nationalism and its opposite and parallel with Savarkar and RSS in the lead, Hindu nationalism. While INC stood for people of all religions being part of the nation in the making Muslim Nationalism talked of the glories of Muslim kings and Muslims being a separate nation, Hindu Mahsabha-RSS talked that this nation is essentially a Hindu nation. This communal nationalism’s constructed their histories and laid the foundation for ‘Hate other’. It is this misconception-Hate other which became the foundation of communal violence, then polarization then rise of communal parties on electoral arena. It is due to this polarization that Muslim League started getting larger following among Muslims in the decade of 1940s. While Hindu communalism, particularly in the form of RSS, made structures, Shakhas, to spread their version of history and perceptions against minorities.

What we witnessing today is the crescendo of ‘Hate other’ ideology, ghastly violence as witnessed in Mumbai (1992-93), Gujarat (2002) Kandhmal-Orissa 2008, Muzzafarnagar 2013 in particular. Currently it seems the polarization is being achieved through low intensity violence orchestrated on emotive issues, Ram Temple, Love Jihad, Holy Cow, ‘Bharat mata ki jai’ among others. While on one side the polarization and electoral rise of communal party is going up, people like Yashpal Saxena and Maulana Rashidi stand out as the beacon lights for the nation. In Gujarat we had earlier seen Vasant Rao Hegiste and Rajab Ali as the duo that stood against the violence. In Mumbai violence in the 1992-93 there were many from localities who tried to do their bit to build the bridges of peace. One recalls the duo Waqar khan-Bhau Korde, in Dharavi area of Mumbai who through awareness programs, films tried to ensure peace in the aftermath of Mumbai violence.

It is time that society devices programs which carry forward the works of these Peaceniks, the work which reaches the ground and touches the cord between all the communities to bring back the spirit of amity and peace, to bring back the harmony which marked Indian society. We need to recall the efforts of like of Khan Abdul Gaffar Khan, Maulana Abul Kalam Azad and their role in anti colonial struggles. These are just few of the names, there are many such examples which we need to pay tribute to for a better spirit in our society.

Loading

જાહેરમાં પ્રેમની અભિવ્યક્તિ શરમજનક છે?

તરુ કજારિયા|Opinion - Opinion|8 May 2018

કડવી વાસ્તવિકતા તો એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેની આત્મીયતાને જાહેરમાં જોઈને છળી મરતા આ લોકો નજર સામે કોઈ સ્ત્રીની છેડતી થતી હોય કે કુમળી બાળકી પર અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે ઊકળી નથી ઊઠતા!

સામાન્ય રીતે બંગાળના લોકોને પોતાની બૌદ્ધિકતા અને આધુનિકતા વિશે બહુ ઊંચો ખ્યાલ છે. કલા તથા ક્રાન્તિની રાજધાનીનું બિરુદ પામેલા બંગાળના લોકોને ખાસ આવો વહેમ છે, પરંતુ ગયા અઠવાડિયે આવેલા એક સમાચારે બંગાળની એ છબીને ઊલટાવી દીધી છે. કલકત્તાના ગૌરવ જેવી મેટ્રો ટ્રેનમાં એક યંગ છોકરો અને છોકરી (જે કદાચ પ્રેમીઓ હશે) એકમેકની ખૂબ જ નિકટ ઊભાં હતાં અને આલિંગન આપતાં હતાં. એક સિનિયર પ્રવાસીને તેમની એ ‘અતિ નિકટતા’ (હા, સમાચારોમાં આવો જ ઉલ્લેખ છે કે તેઓ વધુપડતાં નજીક ઊભાં હતાં) ખૂંચી ગઈ. એ મહાશય એ બન્નેને ઠપકો આપવા માંડ્યા. સ્વાભાવિક છે કે પેલા યંગસ્ટર્સે પણ તેમને જવાબ આપ્યો હશે. એમાં તો આજુબાજુવાળા બીજા બે-ચાર જણ ગિન્નાયેલા વડીલના ટેકામાં ભળ્યા અને બધા મળીને તૂટી પડ્યા પેલા કપલ પર કે યંગસ્ટર્સને કંઈ માન-મર્યાદા કે મૅનર્સ જેવું જ નથી, જાહેરમાં કેમ વર્તવું ને કેમ નહીં એની ગતાગમ નથી ને એવું બધું. ટૂંકમાં આપણી ભવ્ય સંસ્કૃિત ને સંસ્કારને તેમના જેવાઓ આવી આછકલાઈથી ભ્રષ્ટ કરી રહ્યા છે, નષ્ટ કરી રહ્યા છે એ પ્રકારના આક્ષેપો વરસાવ્યા એટલું જ નહીં, તેમને ડમડમ સ્ટેશન પર ધકેલીને નીચે ઉતારી દીધાં અને ત્યાં ટોળે વળીને તેમની ધોલધપાટ કરી એવા પણ સમાચાર આવ્યા. 

મતલબ કે બે પ્રેમીઓ બાઝીને ઊભાં હતાં એમાં આસપાસના લોકો તેમની સાથે બાઝી પડ્યા! આજના નેટયુગમાં આવા સમાચારને ફેલાતાં વાર લાગે? સોશ્યલ મીડિયા પર પેલા અસલી બંગાળી ક્રાન્તિકારી ટ્વીટ અને પોસ્ટના ધોધ વહેવા માંડ્યા. ‘વાહ, બે માણસ પ્રેમથી એકમેકને બાઝે એમાં તમારી સંસ્કૃિત અભડાઈ જાય છે, પણ ગંદી ગાળો બોલીને બાઝવામાં તમારી સભ્યતા લાજતી નથી?’ ‘જાહેર સ્થળોની દીવાલો પર પાનની પિચકારી મારી શકાય, ખુલ્લા પાર્કમાં કે મેદાનમાં મૂત્રવિસર્જન કરી શકાય; પણ જાહેરમાં બે વ્યક્તિ એકમેક માટેના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે!’

ટેક્નૉલૉજિકલ ક્રાન્તિના પ્રતાપે દુનિયા આજે આંગળીના ટેરવે આવી ગઈ છે.

દેશ-વિદેશની સંસ્કૃિતઓ અને લાઇફ-સ્ટાઇલ એકબીજામાં ભળવા લાગી છે. મુંબઈની હાઇ-ફાઇ હોટેલ કે પાર્ટીમાં ગયા હો તો મુંબઈમાં છો કે ન્યુ યૉર્કમાં એ ખબર ભાગ્યે જ પડે. લેટેસ્ટ ફૅશન અને લાઇફ-સ્ટાઇલ હવે કોઈ એક દેશ સુધી સીમિત નથી રહ્યાં. આ સંજોગોમાં આપણી આધુનિક પેઢીના વર્તન-વ્યવહારમાં ખાસ્સું પરિવર્તન દેખાવાનું જ. અને આપણે જોઈએ છીએ કે આધુનિકતાની બાબતમાં દુનિયાની સાથે બરોબરી કરતી આપણી યુવા પેઢી અંગત લાગણીઓનું જાહેરમાં પ્રદર્શન કરવા બાબતે ખાસ્સી ઉદાર થઈ જ ગઈ છે. પણ સામાન્યત: જૂની પેઢીનો અભિગમ હજી જુનવાણી છે. જો કે સવાલ એ વડીલશાહી માનસિકતા સામે છે જે બે દોસ્તો કે પ્રેમીઓ વચ્ચેના પ્રેમને સમાજનાં દૂષણોનું કારણ ગણાવે છે! કડવી વાસ્તવિકતા તો એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેની આત્મીયતાને જાહેરમાં જોઈને છળી મરતા આ લોકો નજર સામે કોઈ સ્ત્રીની છેડતી થતી હોય કે કુમળી બાળકી પર અત્યાચાર થઈ રહ્યો હોય ત્યારે ઊકળી નથી ઊઠતા! અરે, જોવાની વાત તો દૂર, કેટલાક તો એવી હરકતો કરતાં પણ શરમાતા નથી. આ આલિંગન-આક્રોશની ઘટનાના સમાચારની બાજુમાં એક વયસ્ક શખ્સે પાડોશીની ત્રણ વર્ષની બાળકી પર જાતીય અત્યાચાર કર્યાના સમાચાર પ્રગટ થયા હતા!

વડીલોની હાજરીમાં પોતાના પ્રિયજનની સાથે આત્મીય ન થવાય એવી તાલીમ અને ઉછેર હજી પણ ઘણા પરિવારોમાં મળે છે. મને ઘણી વાર થાય કે પોતાનાં સંતાનો તેમના જીવનસાથી સાથે પ્રેમથી ભેટે કે પ્રેમભરી વર્તણૂક કરે ત્યારે મા-બાપ કે વડીલોના મનમાં તો કેવી શીતળ શાંતિ અને પ્રસન્નતાનો સ્પર્શ થવો જોઈએ, એને બદલે ‘તેમના દેખતા એવું ન કરાય’ એવો સંકોચ આપણે કેમ યંગસ્ટર્સના મનમાં રોપી દીધો છે? નાનપણથી જે બાળકના મનમાં પ્રેમ કરવો એ કંઈક શરમજનક ચેષ્ટા છે એવું વવાઈ જાય તે મોટું થઈને પ્રેમ કરતાં કોઈ ગ્રંથિ નહીં અનુભવે? એને બદલે ઝઘડવું, લડવું, કોઈને દબાવવા કે ડરાવવા એ શરમજનક બાબત છે એવું તેમના બાળમાનસમાં દૃઢ કરાતું હોય તો! મને યાદ આવે છે મારા દાદાજી લાલચંદ મેઘાણીના હાથે લખેલાં કેટલાંક પાનાં, જેને બાપુજી દાદાજીનું વિલ કહેતા. એમાં કુટુંબમાં બહેન-દીકરીઓ કે વહુઆરુઓ સાથે શાલીનતાથી અને સમાનતાથી વર્તવું એવી શીખ લખી હતી! આવા સંસ્કાર પામેલા દીકરાઓ ક્યારે ય સ્ત્રી સાથે અયોગ્ય વ્યવહાર કે વર્તન ન કરી શકે. કોઈ પણ છોકરી કે સ્ત્રી પર અત્યાચાર થતો હોય ત્યારે તે ઊભો-ઊભો તમાશો ન જોઈ શકે. તે ચોક્કસ એવી સ્થિતિમાં મુકાયેલી સ્ત્રીને મદદરૂપ થવા પ્રયાસ કરે જ કરે. કમનસીબે આજના મોટા ભાગના યુવાનોને ન તો આવી શીખ મળી છે ન આવી તાલીમ મળી છે.

દેશમાં ઉત્તરનાં અનેક રાજ્યોમાં આવી સંકુચિતતાનો લોકોને પરિચય છે, પરંતુ કહેવાતા કલ્ચર્ડ બંગાળમાં આવી સંકુચિતતા જોઈને સ્તબ્ધ થઈ જવાયું છે. જો કે બંગાળના યંગિસ્તાનીઓએ (યંગસ્ટર્સે) આ ઘટનાનો જોરદાર વિરોધ કરવા આલિંગન મોરચાનું આયોજન કર્યું અને પેલી ઘટનાના બે દિવસ બાદ તો કલકત્તાની મેટ્રો રેલવેનાં એક નહીં, અનેક સ્ટેશનો પર ‘હગિંગ પ્રોટેસ્ટ’ યોજાયો. હજારો યંગસ્ટર્સ કે સ્ત્રી-પુરુષો એકમેકને ભેટતાં નજરે ચડ્યાં. નૈતિકતાના કહેવાતા ઠેકેદારોની ખોખલી શાલીનતાને યુવા પેઢીનો એ તમતમતો તમાચો હતો. ક્રાન્તિકારી બંગાળની લાક્ષણિક અદા હતી. નવી પેઢીની ખુલ્લી અને ઉદાર માનસિકતાની મહોર હતી.

સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2018

Loading

શોષિતોના શૂળનું મૂળ શોધનાર મનીષી : કાર્લ માર્કસ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 May 2018

અવસર

પુસ્તકો, સામયિકો અને ચોપાનિયાથી છવાઈ ગયેલા અસ્તવ્યસ્ત ઓરડામાં તેલનો દીવો ઝાંખો પ્રકાશ પાથરી રહ્યો છે. એ દીવા પાસે સ્થિર ચિત્તે મેલાંઘેલાં વસ્ત્રોવાળો જુવાન,લાંબા ઝુલ્ફાંની રઝળતી લટો પર હાથ પસવારતો બેઠો બેઠો વાંચી રહ્યો છે, ક્યારેક એ હોઠ ભીંસે છે, તો ક્યારેક એના નેત્રો વિસ્ફારિત થઈ ઊઠે છે,તો વળી ક્યારેક એ આનંદની ચિચિયારી પાડી ઊઠે છે. એ ડાયરીમાં સતત નોંધો ટપકાવ્યા કરે છે. એણે ખાધું હશે કે કેમ એ તો ખબર નથી પણ હાથ અડકી શકે એટલો નજીક પડેલો કોફીનો પ્યાલો ઠરીને ઠીકરું થઈ ગયેલો દેખાય છે ….. છતાં એ જુવાન તો એકધારી નિષ્ઠાથી પોતાના અભ્યાસમાં રત છે. જર્મન તત્ત્વચિંતક હેગેલનું ચિંતન એને સતાવ્યા કરે છે, દુનિયામાં વ્યાપ્ત દમન, શોષણ અને દુ:ખ-દર્દ એને બેચેન કરી મૂકે છે.

હા, આ યુવાન તે કાર્લ હેનરીચ માર્કસ. ગત પાંચમી મે ના રોજ એમના જન્મને બસો વરસ થયાં. સોવિયેત રશિયાના વિઘટન પૂર્વે જેના વિચારોના પ્રભાવ તળે સ્થાયેલી રાજવ્યવસ્થા હેઠળ દુનિયાની અડધો અડધ માનવ વસ્તી શ્વસતી હતી, જેનો પ્રભાવ યુગ પ્રવર્તક છે તે કાર્લ માર્કસે, જિંદગીના ત્રણ દાયકા પણ પૂરા કર્યા નહોતા ત્યારે ‘મેગ્નાકાર્ટા’ કે’ અમેરિકન ડેકલેરેશન ઓફ ઈન્ડિપેન્ડેસ’ની બરોબરી કરી શકે તેવો ‘કમ્યુિનસ્ટ મેનિફેસ્ટૉ” ઘડીને ગોલીક કૂકડાનો રણકાર ગાજતો કર્યો હતો. જગતના કરોડો મહેનતકશો જેમને પોતાના મુક્તિદાતા માને છે, એ વિચાર અને કાર્યના સમન્વયધારી આ મહામાનવ માર્ક્સના વિચારો એમના જન્મનાં બસો વરસે ય પ્રસ્તુત છે.

ઈ.સ.૧૮૧૮ની પાંચમી મેના રોજ જર્મન રહાનલેન્ડમાં, રહાઈન નદીને તીરે આવેલા ટ્રીઅર નામના શહેરમાં, કાર્લ માર્ક્સનો જન્મ થયો હતો.  એમના પિતા હેનરિચ માર્કસ જાણીતા ધારાશાસ્ત્રી હતા અને માતા હેનરિએટાનું કાર્લ બીજું સંતાન હતા. શાળાકીય અભ્યાસકાળ દરમિયાન તેમને સારી સગવડો મળી રહેલી અને તેઓ અભ્યાસમાં ખૂબ તેજસ્વી પણ હતા. શાળાંત અભ્યાસના અંતે “વ્યવસાયની પસંદગી અંગેના એક યુવાનના વિચારો” એ વિશેના નિબંધમાં “માનવજાતના કલ્યાણ માટે જાતને સમર્પિત કરવાની” ઈચ્છા પ્રદર્શિત કરીને, વિદ્યાર્થી માર્ક્સે પોતાના ભાવિના એંધાણ આપ્યા હતા.

પિતાના આગ્રહથી કાનૂનવિદ્યાનો અભ્યાસ કરવા, ૧૮૩૫ના ઓકટોબરમાં કાર્લ માર્ક્સ બોન યુનિવર્સિટીમાં જોડાયા. આ સમયે તેઓ પાડોશમાં રહેતી જેનીના પ્રેમમાં હતા. એટલે અવારનવાર એને પત્રો લખતા. ૧૮૩૬માં માર્કસ, પ્રુશિયન રાજાશાહીના પાટનગર બર્લિનમાં અભ્યાસ અર્થે પહોંચ્યા, ત્યારે તેમનું સગપણ થઈ ગયું હતું. બર્લિન યુનિવર્સિટીમાં આંરભે તેઓ જે કાયદાના અભ્યાસ માટે આવેલા, તે છોડીને તત્ત્વજ્ઞાન અને ઇતિહાસનો અભ્યાસ પસંદ કર્યો. “તત્ત્વજ્ઞાન વિના આગળ વધવાનો કોઈ જ માર્ગ નથી”, એમ પિતા પરના પત્રમાં લખનાર માર્ક્સે ન્યાયશાસ્ત્ર, સાહિત્ય અને કળાઓનો પણ અભ્યાસ કર્યો. ૧૮૩૭ સુધીમાં તો તેઓ હેગેલના વિચારોથી પૂરેપૂરા આકર્ષાઈ ચૂક્યા હતા. મિત્રો પર એક સારા ચર્ચક તરીકેનો પ્રભાવ ઊભો કરી શક્યા હતા, તો નાસ્તિકવાદનો પણ પાશ લાગી ચૂક્યો હતો. હેગેલનું તત્ત્વજ્ઞાન એમને “અટકળિયા સ્વરૂપ”નું કે “વિચિત્ર બરછટ ગીત” જેવું લાગેલું. એમાંથી જ પ્રેરણા મેળવીને તત્ત્વજ્ઞાનના દરિયામાંથી સાચાં મોતી મેળવવા એ પ્રેરાયા હતા. આ સમય દરમિયાન આવેલી માંદગીમાં એમણે હેગેલિયન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો.

“પ્રિયજનના વિયોગની અંગત પીડા કરતાં સમગ્ર માનવજાતના પીડનનું મૂળ શોધવા ગમે તે સહન કરવા” તત્પર, કાર્લ માર્કસ માંદગીમાંથી બેઠા થયા, તે પછી અને તે પૂર્વે પણ હેગેલના વિચારોથી પ્રભાવિત યુવાનોની મંડળીમાં જતા હતા. એમાંથી જૂનવાણી અને યંગ હેગેલવાદીઓ એવા બે જૂથ પડ્યા. સ્વાભાવિક રીતે જ કાર્લ માર્કસ યંગ હેગિલિયનોના જૂથમાં હતા, ને તેના નેતા પણ બન્યા. “કાર્લ”માંથી “કાર્લ માર્ક્સ”નું આદરભર્યું સંબોધન પણ એ વખતે જ એમને મળ્યું હતું. ૧૮૩૮ની ૧૦મી મેના રોજ પિતાના અવસાનનો અંગત આઘાત એમને સહન કરવો પડ્યો.

બે ગ્રીક તત્ત્વ ચિંતકો ડેમોક્રિટસ અને એપિક્યુરસ પર લખાયેલા – “નેચરલ ફિલોસોફી ઓફ ડેમોક્રિટસ એન્ડ એપિક્યુરસ” એ મહાનિબંધને, ૧૮૪૧માં જેના યુનિવર્સિટીમાં રજૂ કરી માર્ક્સે ડોકટરેટ મેળવી હતી.  આ પદવી મેળવીને તેમણે અધ્યાપક  થવાનું નક્કી કરેલું, પણ પ્રુશિયન યુનિવર્સિટીઓમાં વાણી અને વિચાર સ્વાતંત્ર્ય પર એ જમાનામાં ભારે દાબ હતો. એટલે માર્કસ પત્રકારત્વ તરફ વળ્યા. કોલોનથી પ્રસિદ્ધ થતા, હીનીશ ઝાઈટુંગ (Rheinische Zeitung) અખબારમાં લખવાનું શરું કર્યું. એક બાહોશ અને અનિવાર્ય કટારચીનું સ્થાન મેળવી લીધું. ત્યાર બાદ, ૨૪ વરસની વયે, એ જ અખબારના એ તંત્રી બન્યા. એમણે સામાજિક આર્થિક પ્રશ્નોની નિર્ભીકતાથી અને ક્રાંતિકારી દ્રષ્ટિકોણથી ચર્ચાઓ કરતાં લેખો લખવા માંડ્યા. ગરીબ અને શોષિત માનવ સમુદાયનો અવાજ તેમનું અખબાર બન્યું ને અખબારના વેચાણમાં મોટો વધારો નોંધાયો. માર્કસના તેજાબી લખાણોથી દાઝેલા પ્રુશિયન સતાવાળાઓની કરડી નજર આ અખબાર પર પડી, ને કડક સેન્સરશિપ લાદવામાં આવી. માર્કસે તેનો વિરોધ કરતા લખ્યું કે, “સેન્સરની અણીદાર કલમનો ઉપયોગ અખબારોની આંખો ફોડી નાંખવા માટે થાય છે. સેન્સરશિપ રોજે રોજ ચિંતનશીલ અને વિચારશીલ લોકોનાં માંસને કાપી નાંખે છે. અને તાબેદાર આજ્ઞાંકિત પત્રકારોને જ લખવા દેવામાં આવે છે.”

ડોકટરેટ મેળવી માદરે વતન પરત આવેલા માર્કસને પોતાની પ્યારી માતૃભૂમિ છોડવી પડી. એમણે પેરિસ પર નજર ઠેરવી. એ પૂર્વે ક્રુઝનાકમાં જેની સાથે લગ્નથી જોડાઈને રાજકીય હિજરતીઓ તરીકે પેરિસ આવ્યા. માર્કસ સાથેના સહજીવન દરમિયાન અત્યંત ધનાઢ્ય કુટુંબની જેનીએ પાર વગરનાં દુ:ખો સહન કરેલાં. જેનીના મૃત્યુ વખતે એંજલ્સે કહેલું કે : “આ મહિલાનું જીવન જે સ્વપ્નદર્શી અને વિવેકયુક્ત મનની, અચૂક રાજકીય સૂઝની, ઉત્સાહભરી શક્તિની, મહાન સ્વભોગોની સાક્ષી પૂરે છે …. જો કોઈ મહિલાએ બીજાઓને સુખી કરવામાં પોતાનું સુખ માન્યું હોય તો તે જેની જ હતી.” માર્ક્સના જીવનમાં એમનું પ્રસન્ન દામ્પત્ય ખૂબ મહત્ત્વનું છે.

પેરિસમાં આવીને માર્કસે અભ્યાસમાં અને જર્મન કામદારોના સંગઠનમાં દિલ પરોવ્યું. “લીગ ઓફ જસ્ટ” નામની સંસ્થામાં જોડાયા. હેગેલની ફિલોસોફીનો ગહન અભ્યાસ કરતાં કરતાં, ઈ.સ. ૧૮૪૩માં, “જર્મન-ફ્રેન્ચ ઈયર બુક્સ’નું સંપાદન કર્યું. એ નિમિત્તે એન્જલ્સનો પરિચય થયો ને એ દોસ્તી એટલી તો ગાઢ બની કે ખુદ લેનિને લખ્યું છે કે : “યુરોપિયન કામદાર વર્ગ એમ કહી શકે કે તેનું વિજ્ઞાન એવા બે વિદ્વાનો અને લડવૈયાઓએ સર્જ્યું હતું કે જેમની વચ્ચેનો સંબંધ માનવ મૈત્રી વિશેની પ્રાચીન કાળની અત્યંત હૃદયસ્પર્શી કથાઓથી પણ આગળ જાય છે.”

માર્કસને પેરિસનિવાસ ઘણો ઉપયોગી નીવડ્યો. અહીં જ એમના મનમાં ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન અને વર્ગ સિદ્ધાંતના બીજ વવાયાં –અંકુરિત થયાં. “ઈકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રીપ્ટસ” અને એન્જલ્સ સાથે “જર્મન આઈડિયોલોજી” જેવા બે મહત્ત્વના ગ્રંથો લખ્યા. ઈયર બુક્ની નકલો પ્રુશિયન સરકારે જપ્ત કરી, માર્કસ સામે નોટિસ કાઢી ને આખરે પેરિસ છોડવું પડ્યું. રઝળપાટનું એક વધુ ચરણ શરૂ થયું ને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહિ લેવાની શરતે, બ્રસેલ્સમાં આશ્રય લીધો. પણ ત્યાં ય માર્કસ પ્રવૃત્તિ વિના શાના રહી શકે. “કમ્યુિનસ્ટ કોરસપોન્ડસ કમિટી” રચીને એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. “લીગ ઓફ જસ્ટ”ના સભ્યો સાથેનો નાતો ગાઢ બનતા, ૧૮૪૭માં, લંડનમાં એનું પ્રથમ અધિવેશન મળ્યું. જ્યાં એન્જલ્સના મંત્રીપદે “કમ્યુિનસ્ટ લીગ”ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનો મુસદ્દો ઘડવાનું કામ માર્કસ અને એન્જલ્સને સોંપવામાં આવ્યું. “કમ્યુિનસ્ટ મેનિફેસ્ટો” તરીકે જાણીતો, ૪૦ પાનાંનો આ મહાન ઐતિહાસિક દસ્તાવેજ, ઈ.સ. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં લંડનથી પ્રગટ થયો. “બધી જ સત્તાઓ હવે સામ્યવાદને ખુદને એક સત્તા તરીકે સ્વીકારે છે. તેથી, તેને વિશેના કપોળકલ્પિત ગપાટાઓને ખતમ કરવા અહીં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.” એવા શબ્દોથી શરૂ થતો આ મેનિફેસ્ટો આજે જગતની તમામ ભાષાઓમાં અનૂદિત થઈ ચૂક્યો છે. બટ્રાન્ડ રસેલે આ મેનિફેસ્ટોને, “જગતનાં પ્રચંડ પરિબળો, તેમની વચ્ચેના તુમુલ યુદ્ધ અને તેની અનિવાર્ય પરિણિતિને સંક્ષેપમાં પણ આશ્ચર્યકારક રીતે ઓજસ્વી અને વિર્યવાન શૈલીમાં રજૂ” કરનાર ગણાવ્યો હતો.

આ કમ્યુિનસ્ટ મેનિફેસ્ટોએ યુરોપભરમાં ભારે ધમાસાણ મચાવી મૂક્યું. ”સામ્યવાદી ક્રાંતિથી શાસક વર્ગો ભલે ધ્રૂજે – કામદાર વર્ગોએ તો પોતાની જંજીરો સિવાય કશું જ ગુમાવવાનું નથી અને આખું જગત જીતવાનું છે.” એવી ઘોષણા કરતાં માર્ક્સવાદના પ્રથમ કાર્યક્રમ દસ્તાવેજ જેવા આ જાહેરનામાથી ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, પોલેન્ડ, ચેક પ્રદેશો અને ઈટાલિયન રિયાસતોમાં ખળભળાટ મચી ગયો. કામદારો અને શાસકો સામસામે આવી ગયા તથા ભારે ખૂનખરાબો થયો. જો કે ગણતરીના મહિનાઓમાં જ આ ક્રાંતિ નિષ્ફળ ગઈ. માર્ક્સને પહેલાં ગિરફતારી ને પછી દેશનિકાલની સજા થઈ. ફરી માર્કસ પેરિસમાં આવ્યા. ન્યૂ રહેનિશ ગેઝેટ નામના એક સામયિકમાં કામ કર્યું. ફરી ધરપકડ થતાં ફ્રાન્સમાં આવ્યા. પછી ફ્રાન્સ પણ છોડવું પડ્યું. ૨૪ ઓગસ્ટ ૧૮૪૯ના રોજ લંડનમાં આવ્યા અને મૃત્યુ પર્યંત ત્યાં જ રહ્યા.

લંડન નિવાસ દરમિયાન માર્ક્સે ક્રાંતિની નિષ્ફળતાનાં કારણો શોધ્યા. ક્રાંતિ કોઈ વ્યક્તિની મૂર્ખતાના કારણે નહીં, પણ ઐતિહાસિક પરિબળોને કારણે નિષ્ફળ ગઈ હતી એવું સ્થાપિત કર્યું. માર્કસનો આ લંડનવાસ અત્યંત કારમી ગરીબીમાં વીત્યો. થોડાક લેખોનો પુરસ્કાર, હમદર્દોની મદદ અને એન્જલ્સનાં વર્ષાસનથી માંડમાંડ ગુજારો ચાલતો હતો. વિશ્વની સોનેરી નગરી લંડનમાં, “મૂડી” નામના મહાગ્રંથના લેખક માર્ક્સે જે યાતનાઓ વેઠી છે તે આજે ય કમકમાટી ઉપજાવે છે. જ્યારે માર્ક્સનું એક બાળક લોહીની ઊલટી કરતાં કરતાં મરણને શરણ થઈ રહ્યું હતું, એ જ વખતે ચડત ભાડાની વસૂલાત માટે એની ઘરવખરીની હરાજી થતી હતી અને તેમાંથી બાળકોનાં રમકડાં કે પારણું સુધ્ધાં બાકાત નહોતાં રહ્યાં. પોતાનો એક લેખ તંત્રીને મોકલવા માર્ક્સને બૂટ ગીરવે મૂકવા પડેલા, તો લખવાના કાગળો માટે કોટ વેચવો પડેલો. વહાલસોયી દીકરીના દફન માટે કફન ન હોય તેવી અવસ્થામાં પણ “મૂડીવાદી સમાજમાં પૈસો કમાનાર યંત્ર ન બની જવાય” એ માટે માર્ક્સ સજાગ રહ્યા. જો કે એકવાર રેલવેના ટિકિટ ક્લાર્કની નોકરી માટે માર્ક્સે પ્રયત્ન કરેલો પણ જગતના શ્રમિકોના સદનસીબે એમના ગરબડિયા અક્ષરો તેમને આ નોકરીથી વંચિત રાખવામાં નિમિત્ત બનેલા.

માર્ક્સનો જીવનકાળ એટલે મૂડીવાદનો મધ્યાન્હ. જેમાં શ્રમિકોનું બેરહેમ શોષણ થતું હતું. અને તેમનું મૂલ્ય પશુ જેવું હતું. ઔદ્યોગિક ક્રાંતિના એ આરંભકાળમાં મજૂરોનું શોષણ વધતું અને વકરતું રહ્યું. ગુલામો તથા વેઠિયાઓ વધતા રહ્યા અને અમીરોની અમીરી અને શોષણ હદ વટાવી ગયા. આ અસમાનતાના મૂળ શોધી, માર્ક્સે એનું નિદાન કર્યું હતું.

“અમારે મન ખાનગી માલિકીને બદલવાનો નહીં પણ તેને મીટાવવાનો સવાલ છે. વર્ગ વિરોધોને ઢાંકી રાખવાનો નહીં, પણ વર્ગોને નાબૂદ કરવાનો સવાલ છે. આજની સમાજરચનાને સુધારવાનો નહીં પણ નવી સમાજરચના શોધવાનો સવાલ છે.” એમ કહેનાર માર્ક્સે પોતે શું નવું શોધ્યું  છે તે વિશે કહ્યું છે, “ઉત્પાદન પ્રક્રિયાના વિકાસના અમુક ચોક્કસ તબક્કાઓ સાથે જ વર્ગવિગ્રહ અનિવાર્ય રીતે શ્રમજીવી વર્ગની રાજસત્તામાં પરિણમે છે અને આ રાજસત્તા પણ વર્ગોની નાબૂદી અને વર્ગવિહીન સમાજની રચના તરફના પ્રયાણમાં એક વચગાળાનો સંક્રાંતિકાળ જ છે, કાયમની નથી.”

મૂડીવાદને ઉથલાવી પાડવા માટે કામદાર વર્ગની  સરમુખ્ત્યારી ઝંખતા માર્કસ, બ્રિટિશ મ્યુિઝયમની લાઈબ્રેરીમાં બેસી, પોતાના મહાન ગ્રંથ “કેપિટલ” (મૂડી) માટેની સામગ્રી એકઠી કરવા લાગ્યા. મૂડીવાદી ઉત્પાદનનું આલોચનાત્મક વિષ્લેષણ કરતા મહા ગ્રંથ “મૂડી”નો પ્રથમ ભાગ ૧૮૬૭માં પ્રસિદ્ધ થયો હતો. સમાજવાદી લેખક ચિંતક હિંમત ઝવેરીએ તેને “જીવતા મનુષ્યોને સિદ્ધાંતની વાડમાં મૂકવાનો પુરુષાર્થ “ કહી બિરદાવ્યો હતો.

માર્કસ “મૂડી”નું લેખન કરતાં હતાં તે દરમિયાન “ફર્સ્ટ ઈન્ટરનેશનલ”ની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ. ૧૮૫૧ થી ૧૮૬૦ લગી, અમેરિકાના “ન્યૂયોર્ક ટ્રિબ્યુન”ના સંવાદદાતા તરીકે કામ કરી, આંતરરાષ્ટૃીય ખ્યાતિને વરેલા માર્કસને “ફર્સ્ટ ઈન્ટરનેશનલ”ના સપ્ટેમ્બર ૧૮૬૪માં લંડનમાં યોજાયેલા પહેલા અધિવેશનમાં વ્યાપક આવકાર મળ્યો હતો. જનરલ કાઉન્સિલમાં તે વરાયા. પોતાના ઉદ્દઘાટન પ્રવચનમાં એમણે ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિથી કામદારોની જે હાલત થઈ છે તેનો ચિતાર આપી, કામદારોના દિલ જીતી લીધાં અને સાથે સાથે રાજકીય સત્તા કબજે કરવાની પણ હાકલ કરી હતી. આ અધિવેશનની સફળતા અને ‘કેપિટલ”ના લેખન-પ્રકાશન બાદ માર્ક્સ આ યુનિયનને આંતરરાષ્ટૃીય કક્ષાનું બનાવવા ભારે જહેમત ઉઠાવતા હતા.

જિંદગીના અંતિમ વરસો માર્ક્સે આર્થિક સગવડો વચ્ચે અભ્યાસ-ચિંતન-મનનમાં ગાળ્યાં હતાં. પરંતુ આરંભની ગરીબીએ તેમને પાછોતરા વરસોમાં વહેલા વૃદ્ધ બનાવી મૂક્યા. પત્ની અને પુત્રીનાં અવસાન પછી, એ ઝાઝું જીવી ન શક્યા. ઈ.સ. ૧૮૮૩ની ૧૪મી માર્ચે , ચોસઠ વરસની વયે, લંડનમાં એમનું અવસાન થયું. એમને અંજલિ આપતાં પ્રિય સાથી ફેડરિક એન્જલ્સે કહ્યું હતું, “આજે જગતનો મહાન વિચારક વિચાર કરતા થંભી ગયો છે. મનુષ્ય જાતિ એક મસ્તિષ્ક જેટલી ઊણી થઈ છે. પણ એ મસ્તિષ્ક આપણા જમાનાનું સૌથી મહાન મસ્તિષ્ક હતું. સજીવ પ્રકૃતિની ઉત્ક્રાંતિનો નિયમ જેવી રીતે ડાર્વિને શોધી કાઢ્યો, તેવી રીતે માર્ક્સે માનવ ઇતિહાસનો ઉત્ક્રાંતિમૂલક સિદ્ધાંત શોધી કાઢ્યો. એક સીધી હકીકત જે અત્યાર સુધી વૈચારિક ઢગલાઓ હેઠળ દબાયેલી રહી હતી કે માણસો રાજકારણ, વિજ્ઞાન, કલા, ધર્મ કે એવી બીજી બાબત પ્રત્યે ધ્યાન આપે તે પહેલાં તેમને ખાવાને ખોરાક, પીવાને પાણી, પહેરવાંને વસ્ત્ર અને માથે છાપરું – આટલાં વાનાં તો હોવાં જ જોઈએ, એ હકીકત બહાર આણવાનું  મહત્ત્વનું કાર્ય આ ચિર નિદ્રામાં પોઢેલ મહાપુરુષે કર્યું છે. “

અનેક પ્રથિતયશ ગ્રંથોના રચયિતા કાર્લ માર્કસ જગતના કામદારોના, શોષિતોના દુ:ખદર્દનું ખરું કારણ શોધનાર પ્રથમ સમાજવિજ્ઞાની અને અર્થશાસ્ત્રી હતા. મૂડીવાદનું ફરજંદ કામદારવર્ગ મૂડીવાદનો જ ઉચ્છેદક બનશે, એવું વૈજ્ઞાનિક રીતે સ્થાપિત કરનાર માર્કસના વૈજ્ઞાનિક સમાજવાદનો આધારસ્તંભ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત છે. ઇતિહાસની ભૌતિકવાદી વ્યાખ્યા અને અધિશેષ મૂલ્ય(સરપ્લસ વેલ્યુ)નો સિદ્ધાંત સહિતના માર્કસના વિચારો માત્ર પોથી પંડિતાઈ ન રહેતા વાસ્તવની ધરાતલ પર પાર ઊતરેલાં છે. ભારતના સંદર્ભે પણ માર્ક્સે વિચાર્યું હતું. પરંતુ “બધા જ રાષ્ટ્રોમાં ક્રાંતિની પદ્ધતિ એક સરખી હોય એ જરૂરી નથી. ક્યા દેશમાં ક્રાંતિની કઈ પદ્ધતિ અનુકૂળ આવશે, તેનો નિર્ણય લેતાં અગાઉ જે તે દેશની પોતાની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ.” એવા માર્ક્સના સ્પષ્ટ કથનને ભૂલીને માત્ર વર્ગની વાત કર્યા કરતા અને વર્ણને ઝાઝું મહત્ત્વ ન આપતા ભારતીય માર્કસવાદીઓ માર્ક્સના વિચારોના આંધળા અનુયાયીઓ છે.

સોવિયેત રશિયાના વિઘટન અને નવી અર્થ વ્યવસ્થા (ગ્લોબલાઈઝેશન, લિબરાઈઝેશન અને પ્રાઈવેટાઈઝેશન) છતાં જ્યાં સુધી જગતમાં ગરીબી, અભાવો, શોષણ અને અસમાનતા રહેશે અને તેની સામેનો આમ આદમીનો સંઘર્ષ જારી રહેશે, ત્યાં સુધી માર્કસ અને તેમના વિચારો જીવંત રહેવાના જ. જિંદગીભર દુ:ખો અને યાતનાઓ વેઠીને પણ લોકોને શોષણમાંથી મુક્ત કરાવવા માંગતા ગ્રીક વીર પ્રોમીથિયસને પોતાનો આદર્શ માનનારા કાર્લ માર્કસના જન્મની દ્વિશતાબ્દીએ, માર્ક્સની આ પંક્તિઓ જ આપણો માર્ગ કંડારે છે : “કદી ય હું આરામથી જીવી નહીં શકું. સતત સંગ્રામ જ મારે તો ખેલવો રહ્યો. એટલે ચલો, સૌ સાહસ કાર્યો જ કરીએ, ન આરામ, ન થાક, નીચી મૂંડીએ કદી ન બોલીએ. આશા-આકાંક્ષા સદા સેવીએ, ખિન્ન નિરાશા નહીં, દુ:ખની ધૂંસરી નીચે દબાઈએ નહીં, ઝંખીએ અને ઝઝુમીએ, જે બાકી છે તે કાર્યો માટે.”

•

નવા યુગની શરૂઆત

“મૂડીવાદના નાશથી માણસ જાતનું ભાવિ વધુ ઉજળું બનાવી શકાશે એ વૈજ્ઞાનિક સમજ રજૂ કરીને માર્કસે માનવજાતની અપૂર્વ અને અમૂલ્ય સેવા કરી છે. માર્ક્સના વિચારોની રજૂઆતથી  માનવસમાજમાં અને વિચારસૃષ્ટિમાં  એક નવા યુગની શરૂઆત થઈ હતી.”

− દિનકર મહેતા, ચંદ્રભાઈ ભટ્ટ

•

સૌજન્ય : “દલિત અધિકાર” (પાક્ષિક), 01 મે 2018; પૃ. 01-03

Loading

...102030...3,1073,1083,1093,110...3,1203,1303,140...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved