દિલ્હીમાં સત્તાવાળાઓ હજારો વૃક્ષો કાપી નાખીને રિડેવલપમેન્ટનો કમાઉ કારસો રચી રહ્યા છે ત્યારે નાગરિકો હિમાલયની પહાડીઓમાં ઝાડ બચાવવા માટે થયેલી ‘ચિપકો’ ચળવળનો રસ્તો અપનાવી રહ્યા છે
કાળજાં અને ભેજાં વિનાના સત્તાવાળાઓએ દક્ષિણ દિલ્હીમાં ચૌદ હજાર વૃક્ષો કાપવાનો કારસો રચ્યો છે. તેનો હેતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓની વસાહતોને રિડેવલપ કરીને બમણી કરવાનો, સિત્તેર હજાર વાહનો માટે પાર્કિન્ગ અને બાર ટાવર ધરાવતું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઊભું કરવાનો છે. સત્તાવાળાઓની કમાણીખોરીની આ ક્રૂર ચેષ્ટા, ઘરના વડીલને ફૅશન મૉડેલ બનાવવા માટે તેમનાં ફેફસાં કાઢીને તેમને જિમ અને બ્યુટીપાર્લરમાં મોકલવા જેવી છે ! અલબત્ત દિલ્હીની વડી અદાલતે ઝાડ કાપવા પર ચોથી જુલાઈ સુધી સ્ટે આપ્યો છે. પ્રાણવાયુ માટે વલખાં મારતાં આ શહેરના નાગરિકો વિરોધ કરી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસેન અને કેટલાક હોદ્દેદારો પણ જોડાયા છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અપેક્ષિત પક્ષીય કીચડઊછાળ તો ચાલુ જ છે.
બીજી બાજુ, લોકો સોશ્યલ મીડિયા અને દેખાવો થકી સક્રિય બન્યા છે. કેટલાંક નાગરિકો વૃક્ષોને વળગીને કે બાથ ભીડીને ઊભાં રહે છે. ઝાડ કાપવાની સામે પડવા માટે દુનિયાભરમાં વિખ્યાત એવી આ રીત છે. તેને ‘ચિપકો’ કહેવામાં આવે છે. કેટલાંકને ચિપકો એ ઇફકો, હિણ્દાલકો, સિડકો કે ક્રિભકો જેવાં કોઈ એકમનું નામ લાગે. પણ ‘ચિપકો’ એ વૃક્ષોને, અને વ્યાપક રીતે સમગ્ર પર્યાવરણને બચાવવા માટે સિત્તેરના દાયકામાં હિમાલયની પહાડીઓનાં ગામડાંના લોકોએ કરેલું લાંબા ગાળાનું વિશ્વવિખ્યાત લોકઆંદોલન છે. તેણે પછીનાં વર્ષોમાં જંગલ-જમીન-જળ બચાવવા માટેની અનેક ચળવળો માટે પ્રેરણા અને પ્રારૂપ પૂરાં પાડ્યાં છે.
ચિપકો આંદોલનમાં પેડ-કટાઈ સામેની ટક્કરનો સહુથી જાણીતો બનાવ બન્યો તે 26 માર્ચ 1974ના દિવસે ઉત્તર પ્રદેશ(અત્યારે ઉત્તરાખંડ)નાં ચમોલી જિલ્લામાં ડુંગરોમાં વસેલાં નાનકડાં રેણી ગામમાં. ગામની આસપાસ આવેલાં જંગલનાં અઢી હજાર જેટલાં ઝાડ સરકારે હરાજી કરીને એક ઠેકેદારને પોણા પાંચ લાખ રૂપિયામાં વેચી દીધાં હતાં. એમાંથી મોટાભાગનાં હિન્દીમાં અંગૂ પેડ (અંગ્રેજીમાં ઍશ ટ્રી) કહેવાતાં ઝાડ હતાં. તેનાં લાકડામાંથી સ્થાનિક લોકો ઓજારો અને કોતરકામની વસ્તુઓ બનાવતા. પણ શહેરી બજારમાં અંગૂપેડના ઊંચા દામ હતા કારણ કે તેમાંથી વિદેશી રમતોનાં મોંઘાં સાધનો બનતાં. અંગૂ સિવાયનું દરેક ઝાડ પણ ગિરીજનો માટે પોતાની રીતે અમૂલ્ય હતું જ. વળી આ વિસ્તાર અલકનંદા નદીમાં 1970માં આવેલાં પૂરથી થયેલાં ધોવાણ અને ભેખડો પડવાને કારણે વધુ નાજુક બન્યો હતો. રેણીનાં જંગલમાં કૉન્ટ્રાક્ટરના માણસો ઝાડ કાપવાનાં હથિયારો સાથે ચોરીછૂપી પ્રવેશી રહ્યા હતા, ત્યારે ઊંચાણ પરથી એક બાળકી તેમને જોઈ ગઈ. તેણે દોડીને ગામમાં જઈને જાણ કરી. પુરુષો બહારગામ એક સરકારી કામે ગયા હતા. પણ ગામનાં ‘મહિલા મંગલ દલ’ જૂથનાં પ્રમુખ ગૌરાદેવીએ ઘરઘરમાંથી બહેનોને ભેગી કરી. એકવીસ બહેનો અને સાત બાળકીઓ જંગલમાં પહોંચી. ત્યાં ઝાડ કાપવા લાગવા માટેની તૈયારી થઈ ચૂકી હતી. મજૂરો, ઠેકેદારના માણસો અને સરકારી અધિકારીઓ હતા. એ બધાને ગૌરાદેવીએ કહ્યું : ‘ભુલા (ભૈયા), યહ જંગલ હમારા માયકા હૈ. ઇસીસે હમેં જડીબૂટી મિલતી હૈ, સબ્જી મિલતી હૈ. ઇસ જંગલ કો મત કાટો. જંગલ કાટોગે તો યહ પહાડ હમારે ગાંવ પર ગિર પડેગા, બાઢ આયેગી, બગડ (નદી કિનારા પરનાં મોસમી ખેતરો) જાયેંગે. ભુલા, હમારે માયકે કો મત બરબાદ કરો …’ સરકારી માણસોએ ધાકધમકી કરી, એકે વળી બંદૂક બતાવી. પણ બહેનો ડગી નહીં. ઝાડને બાથ ભીડીને , ચિપકીને ઊભી રહી.
ઝાડને ચિપકી જઈને બચાવી લેવાના અહિંસક શસ્ત્ર વિશે બહેનોએ સભાઓમાં સાંભળ્યું હતું. ચિપકો શબ્દ ચમૌલીની પહાડીઓમાં બે વર્ષથી પડઘાઈ રહ્યો હતો. તે ચંડીપ્રસાદ ભટ્ટ નામના યુવા સર્વોદય કાર્યકર્તાએ આપેલો હતો. તેમણે આ પંથકમાં દશૌલી ગ્રામસ્વરાજ્ય સંઘ સ્થાપીને રસ્તા બાંધવા, વ્યસનમુક્તિ, સાક્ષરતા, જંગલપેદાશો આધારિત ગ્રામકેન્દ્રી કુટિર ઉદ્યોગો જેવાં કામ બારેક વર્ષથી હાથ ધર્યાં હતાં. સંગઠને આ નિર્મળ પ્રદેશમાં ભારે ઉદ્યોગોનાં દૂષણોને ખાળવા કોશિષ કરી હતી. યુવા કાર્યકરોએ 1973માં ગોપેશ્વર, મંડલ અને ફાટા રામપુર ગામોનાં જંગલોમાંથી ચિપકોના માર્ગે ઝાડ બચાવ્યાં હતાં. લોકોની સમજપૂર્વકની સામલેગીરીથી ચિપકોને મળેલી સફળતા, દશૌલીએ પહાડીઓમાં ફેલાવેલી જાગૃતિ, તેણે જંગલનાશની સામે કેન્દ્ર સરકારથી લઈને અનેક સ્તરે કરેલી રજૂઆતો, નિષ્ણાતોના સહયોગ અને માધ્યમોના ટેકાને પરિણામે એક મોટી સિદ્ધિ એ થઈ કે ઇન્દિરા ગાંધી હેઠળની કેન્દ્ર સરકારે 1981માં અલકનંદાના ઉપરવાસના બારસો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ધંધાદારી જંગલ-કટાઈ પર પંદર વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો, જે પછી એક લંબાવવામાં પણ આવ્યો.
ચમૌલીને પગલે ઉત્તરાકાશીનાં વ્યાલી જંગલો, નૈનીતાલના રામનગર અને કોટદ્વાર જેવી જગ્યાએ પણ ચિપકો માર્ગે લડતો ચાલી. તેહરી-ગઢવાલમાં સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં 1977માં હેંવલ ખીણના અડવાની અને સાલેટના જંગલો બચાવવાનો જંગ જામ્યો. 1985 સુધી ચાલેલી નાની-મોટી લડતો માટે ચિપકો મૉડેલ હતું. ત્યાર બાદ,અનેક યથાર્થ સન્માનો મેળવી ચૂકેલા તેના બંને આગેવાનો, ચંડીપ્રસાદ અને બહુગુણા, વનીકરણ તરફ વળ્યા. આખા વિસ્તારના તથાકથિત ઔદ્યોગિક વિકાસ અટકવા અંગે સવાલો અને વિવાદો પણ થયા. એ પણ નોંધાયું કે ચિપકો પહેલાં છેક 1730માં રાજસ્થાનના ખેજલડી ગામમાં જોધપુરના અવિચારી રાજા અભયસિંહના હુકમથી તેના માણસો ખિજડાનાં ઝાડ કાપવા લાગ્યા. ત્યારે બિશ્નોઇ કોમની વીરાંગના અમૃતાદેવીએ ઝાડને વળગીને કુહાડીનો ઘા ઝીલ્યો. તેમનાં પછી તેમની બે નાનકડી દીકરીઓ અને 363 બિશ્નોઇઓએ ઝાડ ખાતર શહાદત વહોરી. આપણે ત્યાં સાણંદ તાલુકાના ચરલ ગામને પાદરે આવેલાં લીમડા કાપનારને યુવા ચારણ દંપતી વીરા અને મેઘરાજ પોતાનું લોહી રેડીને હઠાવી દે છે તેવી 1807ની ઘટના નોંધાઈ છે.
જો કે વીસમી સદીમાં ચિપકો સીમાચિહ્ન છે. તેને કારણે પર્યાવરણ કાયદા અને મંત્રાલયો આવ્યાં. ચિપકોમાંથી વત્તીઓછી પ્રેરણા મેળવીને ઉત્તર ભારત ઉપરાંત પણ આખા દેશમાં જાગૃતિ આવી. કેરળમાં સાયલન્ટ વૅલી, બિહારમાં સિંગભૂમનાં કર્ણાટકમાં શિમોગાનાં જંગલો અને દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટ કે હમણાં ગયાં વર્ષે પશ્ચિમ બંગાળમાં ચોવીસ પરગણાં પંથકમાં ચારસો ઝાડ બચાવવાં માટેની ચળવળો ચાલી. મહત્ત્વની વાત કે જાનપદની સ્ત્રીઓ તેમની જિંદગીના અવિભાજ્ય હિસ્સા એવા પર્યાવરણના રક્ષણમાંજોડાઈ. એ અર્થમાં ઇકો-ફેમિનિઝમ એટલે કે પર્યાવરણકેન્દ્રી નારીવાદની શરૂઆત આપણે ત્યાં ચિપકોથી થઈ હતી, એમ તેના એક સમયનાં સ્વયંસેવક અને વિશ્વવિખ્યાત કર્મશીલ વંદના શિવાએ નોંધ્યું છે. લડતના પહેલવહેલા વિસ્તૃત અહેવાલો અનિલ અગરવાલ અને અનુપમ મિશ્રાએ લખ્યા હતા. પછી માધવ ગાડગીળ, રામચન્દ્ર ગુહા, સુનિતા નારાયણ જેવાં મોટા અભ્યાસીઓએ ચિપકોનું વૈશ્વિક મહત્ત્વ બતાવી આપ્યું.
દેશની અંદર ચિપકો ગરીબો માટે કુદરતી સંપત્તિના રક્ષણ માટેનું અસાધારણ આંદોલન હતું. પહેલાં અંગ્રેજ અને ત્યારબાદ તરત જ દેશના જ સત્તાધારીઓએ છિનવી લીધેલો તળપદના લોકોનો કુદરતી સંપત્તિ પરનો અધિકાર ફરીથી મેળવી આપનાર આ આંદોલન હતું. વિકાસ માટેની કહેવાતી મોટી યોજનાઓ સામે દુનિયાભરમાં જાગૃતિ લાવવામાં જે સ્થાન નર્મદા બચાઓ આંદોલનનું છે, તે વૃક્ષસંરક્ષણમાં ચિપકોનું છે. કુદરતના ભોગે ઐયાષી ભોગવતા દેશની ગલીએ ગલીએ ચિપકોની જરૂર છે, શરૂઆત પાટનગરથી થઈ છે.
+++++
28 જૂન 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 29 જૂન 2018