Opinion Magazine
Number of visits: 9664047
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા.

સંજય સ્વાતિ ભાવે અને ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|24 April 2025

પ્રિય ઉર્વીશભાઈ,

ગઈ કાલથી મારા મનમાં જે પુષ્કળ ઘોળાઈ રહ્યા હતા તે તમે (અને હેમંતકુમાર શાહે પણ) ચોટદાર રીતે મૂકી આપ્યા. પહેલગામ પરના આતંકવાદી હુમલામાં a major security lapseની વાત સરકાર તો ન જ કરે, તમે નોંધ્યું છે તેમ non – critical narrative ઊભું કરે, લોકો ભરમાઈ જાય. પણ મારા નિરીક્ષણ મુજબ મોટો ફેલાવો ધરાવતા મુદ્રણ માધ્યમોએ પણ એ મુદ્દે સંપૂર્ણ ચૂપકીદી સેવી છે, જે આઘાતજનક અને લગભગ ગુનાઈત છે. 

સરકારની ભૂમિકા અને ચાલાકી પણ તમે બરાબર બતાવી છે. આતંકવાદને નાબૂદ કરવા નોટબંધી, કલમ 370, લશ્કર માટેનું બજેટ અને શાસ્ત્રો કાશ્મીર પર જબરદસ્ત જાપ્તો – આ બધાં પછી પણ આતંકવાદી હુમલા થતા રહ્યા છે. ઇસ્લામ સહિત તમામ સ્થાપિત ધર્મોની પ્રતિગામિતા અને હિંસકતા તો આપણે વખોડતા જ હોઈએ.

તમે જે કહ્યું છે તે કહેવામાં વ્યક્તિગત હિંમત, વૈચારિક સ્પષ્ટતા અને રજૂઆતની કુનેહ જોઈએ. તમને (અને હેમંતકુમાર શાને પણ)  આ મુદ્દા પરની પોસ્ટ માટે ખૂબ ધન્યવાદ. આવી પોસ્ટ બહુ લોકો સુધી પહોંચવી જોઈએ. Share કરું છું.

— સંજય સ્વાતિ ભાવે

URVISH KOTHARI ‘S FB POST

ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે. 

ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો. 

હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં  પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે. 

ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે — આવું સરળીકરણ સગવડિયું અને મહદ્દ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે. 

નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો — એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું  ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખૂલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી — હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું. 

માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી. 

ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.

Loading

હિંસાનો વિરોધ અહિંસાના સમર્થકો જ કરી શકે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 April 2025

હેમન્તકુમાર શાહ

પહેલગામની આતંકવાદી હિંસાની નિંદા કરનારા એ ભૂલી જાય છે કે હિંસાનો સંપ્રદાય દુનિયામાં બધે એકસમાન જ હોય છે. એમાં વ્યક્તિને મારવાનો અને એ થકી કોઈક વિચારને મારવાનો હેતુ હોય છે.

જરા જોઈએ આ બાબત :

(૧) નથુરામ ગોડસેએ ગાંધીને માર્યા. ગાંધી અહિંસાનો, લોકશાહીનો અને સર્વધર્મસમભાવનો વિચાર હતો. ગોડસે કટ્ટરતાથી ભરપૂર એવા હિંદુ રાષ્ટ્રનો અને એ થકી ભેદભાવપૂર્ણ રાજકીય અને સામાજિક વ્યવસ્થાનો વિચાર હતો. 

(૨) આતંકવાદ પણ એક વિચાર સાથે ચાલે છે. જે આતંકવાદીઓએ પહેલગામની દુર્ઘટનાને અંજામ આપ્યો તેમનો એક વિચાર છે. એ વિચાર ધાર્મિક કટ્ટરતા છે અને ભારતમાં ધર્મને આધારે  સામાજિક અને રાજકીય ભેદભાવ વધુ મજબૂત બને તે જ છે. 

(૩) ધર્મ એક અફીણ છે. એનો નશો બીજા કોઈ પણ નશા કરતાં વધુ ખતરનાક હોય છે. એને નામે સદીઓથી હિંસા થતી રહી છે. આજકાલ એને આતંકવાદને નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ધર્મનો છે, એના વાજબી અર્થનો છે. જે ધર્મ કટ્ટરતા, નફરત અને ઝેર ફેલાવવાનું શીખવે એ ધર્મ ચોક્કસપણે અધર્મ છે. 

(૪) એક ધર્મીઓની હિંસા બીજા ધર્મીઓને હિંસા કરવા તરફ લઈ જાય છે. સામસામી હિંસાનો કોઈ અંત આવતો નથી. અંતે અહિંસા જ સૌને જીવતા રાખી શકે. એ બધા ધર્મીઓએ શીખવું પડે. હિંસાને યાદદાસ્તમાં જાળવી રાખીને બેઠેલા ગમે ત્યારે બદલારૂપી હિંસા જન્માવે છે.

(૫) પોતાની હિંસા વાજબી છે એવું જ્યારે લાગે ત્યારે સમજવું કે એવું બીજાઓ પણ કહી શકે છે. હિંસા કોઈ પણ હિસાબે વાજબી ઠરી શકે નહીં. 

(૬) અત્યારે તો મુસીબત એ છે કે એક બહુ મોટો વર્ગ નથુરામ ગોડસેની હિંસાને યોગ્ય ઠરાવવાની તનતોડ મહેનતમાં લાગેલો છે; અને એ જ વર્ગ આતંકવાદીઓની હિંસાને જબરદસ્ત વખોડે છે. આશ્ચર્ય! જો એક હિંસક કૃત્યની તરફેણ કરો તો, બીજાઓ બીજી હિંસાની તરફેણ કરવા આવી જ જશે. હિંસા વચ્ચે તફાવત ન હોઈ શકે. એ નાની કે મોટી પણ હોતી નથી. હિંસા માત્ર ત્યાજ્ય છે. 

(૭) નથુરામ ગોડસે ગાંધીની હત્યા એટલે કરે છે કે એમનો વિચાર જુદો છે. વિચારનો મતભેદ હિંસા સુધી લઈ જાય તો બ્રહ્માંડમાં જીવ શોધનારા મનુષ્યની જિંદગીનું કોઈ જ મહત્ત્વ રહેતું નથી. મનુષ્ય જંગલી જ રહ્યો કહેવાય. વિકાસની પારાશીશી અહિંસા છે. 

(૮) યાદ રાખો, વ્યક્તિને મારવાથી એનો વિચાર મરતો નથી. ગાંધીવિચાર આજે પણ બોલ્યા જ કરે છે, દુનિયાભરમાં. ગોડસેને ફાંસી થયા પછી શું ગોડસેનો વિચાર મરી ગયો? એમ આતંકવાદીઓને મારી નાખવાથી આતંકવાદ ખતમ થઈ જાય છે એવું માનવું એ ભ્રમ છે. દુનિયાનો છેલ્લાં અનેક વર્ષોનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. આતંકવાદીઓના દિમાગમાં જે કુવિચાર છે એનો સફાયો કેવી રીતે થઈ શકે તે જ ખુલ્લા દિમાગે વિચારવું રહ્યું. 

(૯) કોઈ પણ ધર્મને નામે થતી હિંસા એ ખતરનાક હિંસા હોય છે. એમાં રાજ્ય ભળે તો દુનિયામાં ગમે ત્યાં હિટલર અને એના રાજકીય વંશજો જન્મે એ નક્કી છે. 

(૧૦) જગતમાં જે કોઈ વિકાસ દેખાય છે તે મનુષ્યની બુદ્ધિપૂર્વકની અહિંસાને આભારી છે, હિંસાને નહિ. માનવજાતનો ઇતિહાસ એની સાબિતી આપે છે. 

અને હા,

(૧૧) જેઓ પોતે હિંસા આચરે છે, અથવા હિંસાનું સમર્થન કરે છે; તેઓ હિંસાનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર ગુમાવી બેસે છે. 

अहिंसा परमो धर्म:

તા.૨૩-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઋણાનુબંધ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|24 April 2025

પરેશભાઈ અને જ્યોતિબહેનના લગ્નને પાંચ વર્ષ જેવો સમય વીતી ગયો હતો, પણ હજી તેમને ત્યાં પારણું બંધાયું નહોતું. પ્રાર્થના, માનતા, બાધા, આખડી રાખવામાં કોઈ કમી રાખી નહોતી. જ્યોતિબહેન ઘણી વખત પરેશભાઈને કહેતાં કે ‘મારી કુખે સંતાન યોગ નથી. તમે બીજા લગ્ન કરી લો.’ પરેશભાઈ સદંતર ના કહેતા કે એ વાત નહીં બને. આ બધા દીકરા, દીકરીઓ આપણા સંતાન છે. આપણે બીજું શું જોઈએ.

પરેશભાઈ, જ્યોતિબહેનને તો સમજાવી શક્યા પણ ઘરેથી મમ્મી-પપ્પા અને બીજાં કુટુંબીઓનું દબાણ આવવા માંડ્યું કે સંતાન વગર ખોટું. આ બધું કરીએ છીએ તો કોના માટે. અંતે પરેશભાઈએ કહ્યું, “હું, બીજા લગ્ન તો નહીં જ કરું. તમે લોકો સહમત થતા હો તો અનાથ આશ્રમમાંથી હું દીકરો કે દીકરી, જે નસીબમાં હોય તેને દત્તક લેવા માગું છું.”

બધાંએ સહમતી આપી એટલે પરેશભાઈએ બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું.

“જ્યોતિ, આપણે બાળકને દત્તક લેવા જઈએ છીએ, કોને દત્તક લઈશું? દીકરો કે દીકરી? તારો શું વિચાર છે?”

“તમારો વિચાર એ મારો વિચાર. તમે શું વિચાર્યું છે?”

`મેં કંઈ વિચારી રાખ્યું નથી. આપણે એમ કરીએ, આપણે અનાથ આશ્રમમાં દાખલ થઈએ ત્યારે સામે જે મળે, દીકરો મળે તો દીકરાને અને દીકરી મળે તો દીકરીને દત્તક લઈશું.”

“તમારી વાત બરોબર છે. આપણા નસીબમાં જે હશે એ પહેલાં સામે મળશે.”

પરેશભાઈ અને જ્યોતિબહેન અનાથ આશ્રમમાં દાખલ થયાં. આશરે બે વર્ષની બાળકી સામે મળી.

“બેટા, તારું નામ શું છે?”

બાળકીએ કાલીઘેલી ભાષામાં કહ્યું, “રેખા.”

“વાહ, બહુ સરસ નામ છે.”

“આપણે આ બાળકીને દત્તક લઈએ.”

પરેશભાઈ અને જ્યોતિબહેનને બે વર્ષની બાળકી પસંદ પડી ગઈ હતી.

પરેશભાઈએ કહ્યું, “જોતાં જ ગમી જાય એવી છે. આપણે આ બાળકીને દત્તક લઈએ.”

“મને પણ ગમી ગઈ છે. કેવું મધુર મધુર હાસ્ય કરે છે. તેનું નામ રેખા જ રાખીશું.”

અનાથઆશ્રમની બધી વિધિ પતાવી, રેખાને ઘરે લઈ આવ્યાં. રેખાના આગમનના અનુસંધાને ઘરમાં એક ભવ્ય સમારંભનું આયોજન પણ કર્યું હતું.

પરેશભાઈ અને જ્યોતિબહેન રેખામય બની ગયાં હતાં. તેમનો દિવસ ક્યાં પસાર થઈ જતો એ ખબર નહોતી પડતી. માનો કે સુખના સાગર ઉમટ્યા હતા. રેખા, ત્રણ વર્ષની થઈ એટલે સારી સ્કૂલમાં એડમિશન લઈ સ્કૂલમાં દાખલ કરી દીધી. જ્યોતિબહેનની તબિયત થોડા સમયથી જરા ઠીક રહેતી નહોતી.

“ચાલ આપણે, આપણા પરિચિત લેડી ડૉક્ટરને બતાવી દઈએ.”

“ના, ના કંઈ થયું નથી. મારી તબિયત સારી છે”

“ના, એમ નહીં, આજે તો ડૉક્ટર પાસે જવું જ છે.”

“સારુ, સાંજે રેખાને લઈને ડૉક્ટર પાસે જઈશું.”

“જ્યોતિબહેન, પરેશભાઈ, અભિનંદન, તમારે ત્યાં નવા મહેમાનનું આગમન થવાનું છે. જ્યોતિબહેન તમે મમ્મી બનવાનાં છો.”

“ડૉક્ટર સાહેબ તમારી ભૂલ થતી લાગે છે. આટલાં વરસ તમે દવા કરીને, કંઈ ન થયું, તો હવે શું થાય.”

“જ્યોતિબહેન, ઘણી વખત એવું બને છે. બાળકને દત્તક લેતાં, બાળકની દેખભાળથી માતૃત્વ જાગૃત થાય છે અને પછી ઘણી માતાએ બાળકને જન્મ આપ્યાના દાખલા મારી પાસે છે.”

“હવે શું કરશું?”

“કંઈ નહીં, રેખાને બહેનની કે ભાઈની ભેટ મળશે.”

“જ્યોતિબહેન, પરેશભાઈની વાત સાચી છે. બીજું ચિંતાનું કોઈ કારણ નથી. હું છું ને.”

રેખાને ભાઈની ભેટ મળી ગઈ. તેનું નામ ભાગ્ય રાખ્યું. રેખા અને ભાગ્ય મોટાં થવા લાગ્યાં. રેખા અભ્યાસમાં હોશિયાર હતી એટલે એમ.બી.એ.. ફાઇનાન્સ કર્યું પણ ભાગ્ય અભ્યાસમાં નબળો હતો. માંડ, માંડ બી.એ. સુધી પહોંચ્યો. તે વિચારતો હતો. ‘મારે ખૂબ ભણીને શું કામ છે. આખરે પપ્પાનો બિઝનેસ તો સાંભળવાનો છે.’

રેખાએ સારી કંપનીમાં જોબ લઈ લીધી. ભાગ્યએ બિઝનેસ સંભાળી લીધો. રેખાના લગ્ન સારા ઘરના ડૉક્ટર દીકરા સાથે કરી દીધા. રેખાએ જોબ ચાલુ રાખી હતી. રેખાનું સાસરું સુખી અને સંપન્ન કુટુંબ હતું. એટલે પરેશભાઈને કોઈ ચિંતા નહોતી. સરસ જીવન સંસાર ચાલતો હતો.

એક દિવસ ભાગ્યે પરેશભાઈને કહ્યું, “રેખા મારી સગી બહેન નથી. તમારી મિલકતમાં તેનો કોઈ ભાગ નથી એટલે બધી મિલકત મારા નામે કરી દો.”

પરેશભાઈએ ભાગ્યને એક થપ્પડ મારી દીધી અને કહ્યું, “હવે પછી આવી વાત કરીશ તો ઘરમાંથી કાઢી મૂકીશ.”

પરેશભાઈને આજે સમજાયું કે ભાગ્યના મનમાં તેની બહેન રેખા વિશે શું ભાવના હતી. દીકરી સુખી હતી એટલે તેના વિશે કદી વિચાર્યું નહોતું. તેનું આ પરિણામ હતું. પરેશભાઈ અને જ્યોતિબહેને ભાગ્યને ખૂબ સમજાવ્યો. પણ બધું વ્યર્થ હતું.

ભાગ્યનો મિલકતને લઈને દિવસે દિવસે ઉપદ્રવ વધતો ગયો. તેની બાજુમાં ઇર્ષ્યાળુ સગાં-સંબંધીઓ ચડી ગયાં હતાં. ‘પરેશભાઈને ચિંતા હતી કે રેખાને કે તેના સાસરિયાંને રેખા તેની દત્તક પુત્રી છે એ વાતની ખબર જ નથી. કારણ કે રેખાને ક્યારે ય એમ લાગવા કે ખબર પાડવા નહોતી દીધી કે તે દત્તક પુત્રી છે અને અનાથ આશ્રમમાંથી દત્તક લીધી છે.’

પતિ-પત્ની ચિંતામાં હતાં કે ‘જો આ વાતની રેખાના સાસરે ખબર પડે, તો દીકરીનો ઘરસંસાર બગડે.’ જ્યારે બીજી બાજુ ભાગ્યની વાત પણ ગેરવ્યાજબી હતી એટલે પરેશભાઈએ ભાગ્યને નમતું ન જોખ્યું. ભાગ્યએ હિતશત્રુના ચડાવે. તેની પત્ની અને સાસરિયાના દબાણથી કોર્ટમાં મિલકત માટેનો કેસ દાખલ કરવાની ધમકી પરેશભાઈને આપી. પરેશભાઈ અને જ્યોતિબહેન દુઃખી થઈ ગયાં.

રેખાને વાતની ખબર પડી એટલે પિયર આવી. પરેશભાઈ અને જ્યોતિબહેન પાસે બેસીને આશ્વાસન આપ્યું. રેખાએ કહ્યું,

“પપ્પા, તમે જરા પણ ચિંતા ન કરતા. મને તમારા જમાઈ અને મારા સાસરામાં બધાંને તમે મને દત્તક લીધી છે, એ ખબર છે. મને તો તમારી ઉપર ગર્વ છે જ પણ મારા સાસરામાં પણ તમારા વખાણ થાય છે કે બાળકને દત્તક લેવું અને ઉચ્ચ સંસ્કાર આપવા એ હિંમતભર્યું અને ઉમદા કામ છે. પપ્પા, મને તમારી મિલકતમાં ભાગ નથી જોઈતો પણ ભાગ્યની માગવાની રીત ખોટી છે. મને તેની સામે વાંધો છે. આપણે કોર્ટમાં લડી લઈશું.”

“રેખાબહેન, તમારી મને ખબર પડી ગઈ છે. તમારો પપ્પાની મિલકતમાં કોઈ હક નથી.”

“તારી વાત ખોટી છે. મારો કાયદેસરનો હક છે. એ હું મેળવીને રહીશ.”

“તો તમારે મમ્મી-પપ્પાને કાયમ તમારી સાથે રાખવાં પડશે. હું મમ્મી-પપ્પાને સાથે રાખવા તૈયાર નથી.”

“તો એમ વાત છે. હું આખી જિંદગી મારી સાથે મમ્મી-પપ્પાને રાખવા તૈયાર છું.”

પરેશભાઈ અને જ્યોતિબહેન, ભાગ્યની વાત સાંભળી દુઃખી દુઃખી થઈ ગયાં.

“આજે આપણે જેની સાથે લોહીની સગાઈ છે. મારી કૂખેથી જન્મ આપ્યો છે. એ દીકરો આપણને રાખવા તૈયાર નથી અને જે આપણી સાથે ઋણાનુબંધથી જોડાઈ છે એ દીકરી કોઈપણ જાતની અપેક્ષા વગર આપણને જિંદગીભર રાખવા તૈયાર છે.”

“ભાગ્ય, તું આ શું બોલે છે? તું અમને સાથે રાખવા તૈયાર નથી?”

“ના, હું, તમને સાથે રાખવા માટે તૈયાર નથી અને રેખાબહેનને મિલ્કતમાં ભાગ આપવા પણ તૈયાર નથી. ભાગ જોઈતો હોય તો મારી સામે કોર્ટમાં દાવો કરી લડીને લઈ લે. મને વાંધો નથી.”

“ભાગ્ય, મારા માટે મમ્મી-પપ્પા એ જ સૌથી મોટી મિલકત છે. તું બધી જ મિલકત સુવાંગ રાખ મારે કંઈ જોઈતું નથી. પપ્પાની આબરૂ ખાતર દાવો ન કરતો અને અત્યારે જ હું મમ્મી-પપ્પાને મારી સાથે લઈ જાઉં છું. તને સદ્દબુદ્ધિ આવે તો તું મળવા આવી શકે છે.”

પરેશભાઈએ જ્યોતિબહેન સામે જોયું, જાણે કહેતા હોય કે ‘ભાગ્ય ભૂંસાઈ ગયું છે પણ હજી ઋણાનુબંધની રેખા અકબંધ છે, જે કદી નહીં ભૂંસાય.’

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...309310311312...320330340...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved