Opinion Magazine
Number of visits: 9552641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નરેન્દ્ર દેવ: ભારતીય સમાજવાદના સિદ્ધાંતકોવિદ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 November 2025

ભારતીય સમાજવાદના પ્રણેતા અને પ્રકાંડ પંડિત આચાર્ય નરેન્દ્ર દેવ રાજકારણના ઘોંઘાટમાં ઇતિહાસના પૃષ્ઠોમાં કેમ ખોવાઈ ગયા?

જન્મ : 31-10-1889 • મૃત્યુ : 19-2-1956

તે દિવસે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતા આચાર્ય નરેન્દ્ર દેવ નગરનો નામોલ્લેખ સાંભળી કાન સહસા સરવા થઈ ગયા : નરેન્દ્ર દેવ એટલા વહેલા ગયા, 1956માં કે જેમ જે.પી. ને લોહિયા હમણેના દાયકાઓમાં સહજ સંભારાતા રહે છે એવું એમના કિસ્સામાં નથી થતું.

પ્રકાશ ન. શાહ

જો કે, જોગાનુજોગ જ, આંબાવાડી પંથકમાં જ હિંમતલાલ પાર્કમાં બ્રહ્મકુમાર ભટ્ટને ત્યાં નરેન્દ્ર દેવની સરસ તસવીર ગભારા માંહેલી દેવમૂર્તિ પેઠે જોયાનું સાંભરે છે. 1976માં વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે સહમિસાબંદી હતા ત્યારે જેમ જે.પી.-લોહિયાની તેમ નરેન્દ્ર દેવનીયે વાત બ્રહ્મકુમાર સાથે નીકળતી. એ સંભારતા કે આ પ્રકાંડ પંડિત, છતે આકરે અસ્થમે, કર્મઠ પણ શૂરાપૂરા હતા. હંમેશ કહેતા, દસ ટકા ઈન્સ્પિરેશન ને નેવું ટકા પરસ્પિરેશન … યાદ રાખો.

31મી ઓક્ટોબરે સરદાર જયંતી છે તો ઇંદિરાજીની પુણ્યસ્મૃતિનોયે એ દિવસ છે. બંનેનાં ખરાંખોટાં બેંડવાજાં હાજરાહજૂર હશે, પણ 31મી ઓક્ટોબર 1889ના દિવસે જન્મેલા નરેન્દ્ર દેવને કોણ સંભારે, ભલા.

જો કે, નવાઈ લાગે પણ મારું પહેલું સ્મરણ 1956-60નાં ગ્રેજ્યુએટ વર્ષોનું છે. પંડિત સુખલાલજી પાસે કવચિત્ કવચિત્ જવાનું બનતું. એક વાર એમનાં બનારસ વર્ષોની વાત નીકળી તો એમાં નરેન્દ્ર દેવનીયે સાંભરણ સરી આવી. એમની ને પંડિતજી વચ્ચેની વાર્તાલાપ બેઠકોમાં જૈન ને બૌદ્ધ દર્શન આસપાસના મુદ્દા પ્રમુખ રહેતા. પણ પંડિતજીની વિદ્યાપ્રીતિ અને નવી દુનિયાની ઝંખનાનો તો છેડો નહીં એટલે એમને માર્ક્સને સમજવાની ઇચ્છા જાગી. નરેન્દ્ર દેવની સલાહ માંગી તો એમણે કહ્યું કે બુખારીનના પુસ્તક ‘એ.બી.સી. ઓફ માર્ક્સિઝમ’થી શરૂ કરો. 1988-89માં નરેન્દ્ર દેવની શતાબ્દી માટે બ્રહ્મકુમાર ભટ્ટ ને રામલાલ પરીખ ઉપરાંત વડોદરાથી સનત મહેતા અને પરાડકર વગેરે વચ્ચે વાત ચાલેલી ત્યારે બે પંડિતો વચ્ચેના સંવાદનો આ ઉલ્લેખ સૌને રસપ્રદ થઈ પડ્યો હતો.

નરેન્દ્ર દેવને કાશી વિદ્યાપીઠનું દાયિત્વ સંભારવાનું આવ્યું ત્યારથી ‘આચાર્ય’ એમની ઓળખનો અભિન્ન ભાગ બની ગયો, જેમ વન્સ અપોન અ ટાઈમ વિદ્યાપીઠ સાથે કૃપાલાનીની ઓળખનુંયે ‘આચાર્ય’ અભિન્ન અંગ બની ગયું, એમ.

1934માં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું પહેલું અધિવેશન પટણામાં મળ્યું ત્યારે એના અધ્યક્ષપદે સૌએ નરેન્દ્ર દેવને બેસાડ્યા હતા. વડા સંગઠક તરીકે ઉભરેલા જયપ્રકાશના સહાયકોમાં એક મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પણ હતા. ગાંધીજીએ વિદ્યાપીઠના પહેલા દસકામાં જ જેમને વિશિષ્ટ અતિથિ તરીકે ચહીને બરક્યા હશે તેમાં નરેન્દ્ર દેવ પણ હતા. આગળ ચાલતાં જ્યારે કાઁગ્રેસ સમાજવાદી પક્ષ ઉભરી આવ્યો ત્યારે સમાજવાદી તરુણો સાથે સંવાદ પૂર્વે શું સાહિત્ય વાંચવું, એની યાદી ગાંધીજીએ નરેન્દ્ર દેવ પાસે માગી હતી તો બીજી બાજુ મહાદેવ દેસાઈને અલાહાબાદ મોકલ્યા હતા – તું ચાર-પાંચ દિવસ જવાહર સાથે રહે અને અલકમલકની વાતોમાં સમાજવાદ વિશેનું એનું મન જાણીને આવ.

બાય ધ વે, 1934માં કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું સ્થાપના અધિવેશન મળ્યું ત્યારે જવાહરલાલ જેલમાં હતા અને નરેન્દ્ર દેવે પોતાના સંબોધનમાં ‘અમે નેહરુ બહાર આવે ને ક્યારે દિલની વાતો કરીએ’ એ ભાવથી એમને સંભાર્યા હતા. તે પછી, તરતનાં વરસોમાં, કૃપાલાનીએ સંભાર્યું છે, હું ને સુચેતા મારી મોટી ઉંમરે પરણી રહ્યાં હતાં પણ જવાહરલાલ જેલમાંથી છૂટે અને સામેલ થઈ શકે તે માટે અમે વરસ-દોઢ વરસ ખમી ખાવાનું નક્કી કર્યું હતું.

‘હિંદ છોડો’ ઠરાવની વાંસોવાંશ કાઁગ્રેસ કારોબારી જેલભેગી થઈ ત્યારે નેહરુ, મૌલાના આઝાદ, કૃપાલાની, નરેન્દ્ર દેવ, સરદાર, હરેકૃષ્ણ મહેતાબ સૌ અહમદનગર જેલમાં સાથે હતા. જવાહરલાલે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ એ મહાગ્રંથ જેલમાં લખ્યો ત્યારે સંદર્ભસ્રોતોની અછત વચ્ચે મૌલાના આઝાદ ને નરેન્દ્ર દેવની સ્મૃતિસંદૂકમાં ભરેલું કેટલું બધું કામમાં આવ્યું હશે, ન જાણે. જેલમાં હતા અને ઇંદિરાને પુત્રપ્રસવ થયાની ખબર આવી ત્યારે નરેન્દ્ર દેવે બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું એક નામ ‘રાજીવલોચન’ સંભાર્યું હતું એ ‘રાજીવ’ નામનું રહસ્ય છે.

સમાજવાદના સિદ્ધાંતકોવિદ તરીકે નરેન્દ્ર દેવ ઉભર્યા, પણ એ નકરી પ્રોફેસરી તાસીરથી ઉફરા ચાલતા હતા. માર્ક્સનું અર્થઘટન, બુદ્ધની નૈતિક પ્રેરણા, ગાંધીનો સત્યાગ્રહ, એવો એક સમન્વિત અભિગમ એમણે વિકસાવ્યો હતો. પરંપરાનું ઉત્તમ કાલવી નવાં વહેણોનું સત્ત્વ આત્મસાત્ કરી આગળ ચાલવું, એમ એ કહેતા. સમાજવાદી આંદોલનમાં જેમ પંચમઢી થીસિસ તેમ એમનો ગયા થીસિસ પણ સુપ્રતિષ્ઠ છે. 

નેહરુ ને પટેલ સ્વરાજ બેસતે રાજ્યબાંધણીમાં ગયા ત્યારે કાઁગ્રેસ પ્રમુખ પદે ગાંધીજીને સૂઝેલાં નામ નરેન્દ્ર દેવ અને જયપ્રકાશનાં હતાં. સ્વરાજ પછી કાઁગ્રેસે જ્યારે પક્ષની અંદર પક્ષ નહીં એવો નિર્ણય લીધો ત્યારે સમાજવાદીઓનું અલગ પક્ષ રૂપે છૂટા પડી ગઠિત થવું સ્વાભાવિક હતું. નરેન્દ્ર દેવ અને કેટલાક સાથીઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચુંટાયેલા સભ્ય હતા. એમણે કાઁગ્રેસની ટિકિટ પર ચુંટાયા પછી નવા પક્ષ રૂપે કામ કરવાને ધોરણે ગૃહમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. જો કે, ફેરચૂંટણીમાં મતદારોએ એમને પાછા ન મોકલ્યા … એક નૈતિક નિર્ણયની આ કદર!

આ તો થોડું ઉપલક-ઉભડક. પણ નરેન્દ્ર દેવ આદિએ પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા વિશે જે રીતે આધુનિક સંદર્ભમાં વ્યાપક પણે કામ લીધું છે, એ સમજવાની ખાસ તરેહના ‘રાષ્ટ્ર’માનસને સુધબુધ હશે? ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 નવેમ્બર  2025

Loading

ઓમર યાગી : એક રૂમના ઘરથી નોબેલ પારિતોષિકના મંચ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 November 2025

રાજ ગોસ્વામી

આ વર્ષે ઘોષિત થયેલા નોબેલ પારિતોષિકમાં, પહેલીવાર એક સાઉદી વૈજ્ઞાનિક ઓમર યાગીને કેમેસ્ટ્રીમાં ક્રાંતિકારી શોધ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આરબ જગતમાં આ સીમાચિહ્નરૂપ ઘટના છે. તેમણે ધાતુ-કાર્બનિક બંધારણ પર કરેલું સંશોધન તો કમાલનું છે, જેના કારણે નોબેલ પારિતોષિકના મંચ પર પહેલી વાર આરબ વિજ્ઞાનને નામના મળી છે. 

૮ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ઓમર યાગીને જાપાનના સુસુમુ કિટાગાવા અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબસન સાથે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર આપ્યો હતો. આ શોધ રેગિસ્તાનની હવામાંથી પાણી કાઢવા સાથે જોડાયેલી છે. તેને મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક કહે છે. સાદા શબ્દોમાં કહીએ તો, આ એક એવી ટેકનિક છે વોટર હાર્વેસ્ટિંગને એક નવી જ ઊંચાઈ પર લઇ જશે. આ ટેકનિકની મદદથી હવામાં મોજુદ ભેજને શોષીને તેને પાણીમાં પરિવર્તિત કરી શકાય છે. યાગીએ સાથી વૈજ્ઞાનિકોના સહકારમાં અમેરિકાના એરિઝોના સ્થિત રેગિસ્તાનમાં આવી રીતે હાર્વેસ્ટિંગ કર્યું હતું. 

મહત્ત્વની વાત એ છે કે ઓમર યાગીની યાત્રા જોર્ડનના શહેર અમ્માન સ્થિત એક રૂમના ઘરમાંથી શરૂ થઇ હતી. 1965ની સાલમાં, અમ્માનમાં એક પેલેસ્ટિનિયન શરણાર્થી પરિવારમાં જન્મેલા યાગીની કહાની આશા અને ઉમંગની દાસ્તાન છે. યાગી, 60ના દાયકામાં હિંસામાં ગિરફત પશ્ચિમ એશિયાના જોર્ડનમાં એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. તેમના માતા-પિતા પેલેસ્ટાઇનમાંથી ભાગીને અહીં આવ્યાં હતાં. 

નોબેલ માટે તેમની પસંદગી થઇ, ત્યારે તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “અમારા ઘરમાં નળમાં પાણી પણ નહોતું આવતું, વીજળી તો દૂરની વાત હતી. મારા પિતા છઠ્ઠા ધોરણ સુધી ભણેલા હતા અને માને ન તો વાંચતાં આવડતું હતું, ન લખતાં.” પછી તેમણે ઉમેર્યું હતું, “જ્યારે મેં હવામાંથી પાણી કાઢે તેવા પદાર્થની શોધ કરી, તો તે મારા બાળપણની તરસનો જવાબ હતો.”

તેમની પાસે માત્ર એક રૂમનું ઘર હતું. એમાં કેટલાંક ઢોર હતાં અને આઠ બાળકો. તેમના પિતા કસાઈ હતા. પિતાને એટલી સમજ હતી કે ગરીબી અને હિંસાના આ માહોલમાં બાળકનું કોઈ ભવિષ્ય નથી. ભવિષ્ય હોય તો તે ભણવામાં છે. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, પિતાએ ત્યારે યાગીને કહ્યું કે તારે બહાર જઈને ભણવું જોઈએ, જેથી આપણી આગળની પેઢીનું ભવિષ્ય બદલી શકે. આજે, આખા આરબ જગતની પેઢી યાગીના સન્માનથી ગદ્દગદ અને પ્રેરિત છે.

આ માહોલમાં 10 વર્ષની ઉંમરે યાગીનો વિજ્ઞાન સાથે પ્રેમ શરૂ થયો હતો. તે એક દિવસ સ્કૂલની લાઈબ્રેરીમાં પહોંચી ગયા હતા, જે લગભગ બંધ જ રહેતી હતી. અહીં તેમણે એક પુસ્તકમાં પહેલીવાર પરમાણુ રચનાના મોડેલની તસવીર જોઈ હતી. તે જોઇને તેમને અનેક પ્રશ્નો થયા હતા. તેઓ કહે છે, “મને ખબર પડે કે આ પરમાણુ છે તે પહેલાંથી મને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો.”

પિતાના સલાહ અને મદદ પર યાગી 15 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા. પિતા ગમાર હતા પણ દીકરાની ક્ષમતા પારખવાની કોઠાસૂઝ હતી. તે જ યાગીને અમેરિકા લઇ ગઈ હતી. અમેરિકા આવ્યા પછી દુનિયા ખૂલી ગઈ. યાગીમાં વિજ્ઞાનના પ્રેમનું બીજ તો રોપાયેલું હતું, અમેરિકાની શિક્ષણની દુનિયાએ તેમાં ખાતર-પાણી સીંચીને ફૂટવા માટે મજબૂર કરી દીધું.

અમેરિકામાં તે ટ્રોય (ન્યૂયોર્ક) ગયા હતા. ત્યાં તેમણે હડસન વેલી કમ્યુનિટી કોલેજ અને પછી સની અલ્બાનીમાં અભ્યાસ કર્યો હતો. અહીં તે ફાજલ સમયમાં ગ્રોસરીની દુકાનમાં ફર્શ સાફ કરતા હતા અને ભણવાના સમયે લેબમાં અસિસ્ટન્ટ બનીને પ્રયોગશાળામાં કામ કરતા હતા. “મને ક્લાસરૂમ નહીં, લેબ ગમતી હતી, જ્યાં હું ચીજવસ્તુઓ બનાવતો હતો,” તેઓ કહે છે, “મને કેમેસ્ટ્રીમાં પહેલેથી જ રસ હતો. તે વખતે હું એક જ સમયે ત્રણ પ્રોફેસરો સાથે ત્રણ ત્રણ પ્રોજેક્ટ પર કામ કરતો હતો.”  

અહીંથી તેમણે પાછું વળીને જોયું નહોતું. આજે તેમના નામે ડઝનેક ઓનર્સ, પેપર્સ, પુસ્તકો અને એવોર્ડ્સ બોલે છે. તાજેતરમાં, નોબેલ પારિતોષિક જાહેર થયા પછી તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું સુંદર ચીજવસ્તુઓ બનાવવા માટે અને બૌદ્ધિક સમસ્યાઓ ઉકેલવા માટે સર્જાયો હતો.”

તેમની આ સફળતાનું શ્રેય યાગી પુસ્તકોને આપે છે. તેઓ યુવાન વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહે છે, “મને છોકરાઓ પૂછતા રહે છે કે કોઈ ચીજમાં કેવી રીતે પેશન આવે? તમે કેમેસ્ટ્રીના પ્રેમમાં કેવી રીતે પડ્યા? ત્યારે હું કહું છું કે તમારી આજુબાજુમાંથી કોઇપણ એક ચીજને પકડો અને તેના વિશે ઊંડું વિચારો કે આ શું છે, કેવી રીતે બન્યું હશે. તમે તેમાં જેટલા ઊંડા ઉતરશો તેમ તેમ તમને તેની રચના અંગેની સુંદર બાબતો સમજાતી જશે. મને એ રીતે કેમેસ્ટ્રીનું આકર્ષણ થયું હતું. મને ખબર નહોતી કે પરમાણુ શું હોય છે. હું તો એમ જ આકર્ષાયો હતો. પછીથી ખબર પડી કે આપણી દુનિયા તેનાથી બનેલી છે. એટલે શરૂઆતમાં કોઈ ભવ્ય યોજનાઓ કરવાની ન હોય, તમને જે કોઈ એક સમસ્યા કે ક્ષેત્રમાં રસ પડે તેમાં ઊંડા ઉતરો.”

૮મી તારીખે, યાગી સાનફ્રાન્સિસ્કોથી બ્રસેલ્સ જઈ રહ્યા હતા, અને ફ્રેન્કફર્ટમાં ફ્લાઈટ બદલવા માટે લગેજને લઈને ચાલવા જતા હતા, ત્યાં જ મોબાઇલ પર સ્વીડનની કોલ આવ્યો હતો અને સમાચાર આપ્યા હતા કે તેમને આ વર્ષનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવી રહ્યું છે. “આવી ક્ષણ માટે કોઈ તૈયાર ન હોય,” તેમણે તે ઘડીને યાદ કરીને કહ્યું હતું, “એ ફીલિંગ અવર્ણનીય પણ જબરદસ્ત ઉત્તેજનાવાળી હતી.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

 ૨૧ સદીને સ્મૃતિપત્ર

ફિલિપ ઍપલમૅન [અંગ્રેજી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|11 November 2025

અગાઉ નગરો ગામડાં સાથે જોડાયેલાં હતાં,
છીંકણી આંખોવાળા ડેઈઝીનાં ફૂલોથી
ફળની વાડીઓની કિનારીઓ શોભતી,
ઢોર ક્લોવર મજાથી આરોગતા,
માછીમારો હોડીઓમાં બેસી મૌન સેવતા
અને છોકરા-છોકરીઓ રસ્તાઓ પર ગાડી રોકતાં
ચંદ્રને અનુભવતાં અને સ્પર્શતાં,
શાંત પળોના વર્તુળ થતાં, ધ્યાન ધરતાં
તળાવો, ચંદ્ર, પુષ્પલતાઓ
આવું હતું ઇન્ડિયાના.

પરંતુ હવે અમે બહાર નીકળી ગયા છીએ,
સફરજન ઊગતાં ત્યાં વિશ્વને છોલવા લાગ્યા છીએ
સપાટ બનાવી રહ્યાં છીએ,
એના પર ગાડીઓ દોડાવવા ડામર પાથરી રહ્યાં છીએ,
વસંતમાં ક્લોવર જાંબલી થાય તે પહેલાં
ઘાસનું ખેતર સપાટ કરવા ઇચ્છીએ છીએ
અને આવતી સાલ હિકરીના વગડોનો વારો છે
અમે જોર લગાવી રહ્યાં છીએ
અમારા રાક્ષસી ડિઝલના વાહનો ઘુરકી રહ્યાં છે
અને મને તમારો વિચાર આવે છે,
૨૧મી સદીના કોંક્રીટમાં વીંટળાયેલી
તમારી અબજોની વસ્તીને
મારે સાદ દેવો છે
તમને સ્મૃતિ અપાવવી છે
કે જો તમે ઊંડું ખોદશો
વાયરો અને પાઈપો, ગટરો અને સબવેની નીચે
તો તમને માટી નામનો ભભરો પદાર્થ મળી આવશે
સાંભળોઃ ઇન્ડિયાનામાં એમાં ચીજો ઊગતી હતી.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...1020...30313233...405060...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved