Opinion Magazine
Number of visits: 9663125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યાં ચોરી જ સાબિત ન થાય ત્યાં ચોરને કેવી રીતે પકડો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 December 2025

રમેશ ઓઝા

પહેલાં ચોરી અને ભ્રષ્ટાચારનું સ્વરૂપ સ્થૂળ હતું, જાડું કે બરછટ હતું. ચોક્કસ નક્કી કરી આપેલા વિસ્તારની ખાણમાંથી ખનીજ સંપત્તિ કાઢવાનો ઠેકો મળ્યો હોય તો બસો-પાંચસો મીટર વધુ ખોદકામ કરે. ચોક્કસ વિસ્તારમાં જંગલ કાપવાનો ઠેકો મળ્યો હોય તો વધુ કાપે, ગણીને ઝાડ કાપવાનાં હોય તો વધુ કાપે, પચાસ ટ્રક માલ લઈ જવાનો હોય તો એક જ ગેટપાસનો ઉપયોગ કરીને પાંચ ટ્રક વધુ કાઢે, પચાસ હજાર ફૂટ બાંધવાની પરવાનગી મળી હોય તો પાંચ હજાર ફૂટ વધુ બાંધે, સ્ટીલ અને સિમેન્ટ વાપરવાં જોઈએ એનાથી ઓછા વાપરે વગેરે વગેરે. તમે આ જાણો છો. મનમાં ગુસ્સો પણ ધરાવો છો. 

હવે ભ્રષ્ટાચાર અને ચોરીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. હવે થઈ રહેલી ચોરી જાડી અને બરછટ નથી હોતી, પણ તમને ખબર પણ ન પડે એવી મુલાયમ હોય છે, પણ હોય છે ચોરી. પહેલા જે ચોરી થતી હતી એમાં અમલદારો, સ્થાનિક રાજકારણીઓ અને થોડા પ્રમાણમાં શાસકો સંડોવાયેલા જોવા મળતા. હવે જે ચોરી થાય છે એ સીધી ઉપરથી થાય છે અને એ પણ એવી ચોરી જેને તમે ચોરી કહી પણ ન શકો. જ્યાં ચોરી જ સાબિત ન થાય ત્યાં ચોરને કેવી રીતે પકડો? 

આ સિફતપૂર્વકની ચોરી સંદિગ્ધ સરકારી આદેશોમાં, વ્યાખ્યાઓમાં, અર્થઘટનોમાં, તજજ્ઞ સમિતિની ભલામણોમાં, મીડિયામાં થતી ચર્ચાઓમાં, કહેવાતા વિદ્વાનોનાં સમર્થનમાં, નીતિ આયોગના અહેવાલોમાં, અદાલતોના ચુકાદાઓમાં, જજો દ્વારા કરાતી અદાલતી નુકતેચીનીઓમાં, લવાદ અને ટ્રીબ્યુનલોમાં, સ્પેશિયલ લીવ પીટીશનોમાં છૂપાયેલી હોય છે. બધું જ કાયદેસર. યસ, કાયદેસરનો ભષ્ટાચાર. તમે ‘જોલી એલએલબી -૩’ ફિલ્મ જોઈ છે? એ ફિલ્મ પાર્ટ વન અને ટુ કરતાં નબળી છે, પણ સિફતપૂર્વકની ચોરીને સમજવા માટે ઉપયોગી છે. એમાં હરીભાઈ ખેતાન નામનો કુબેરપતિ બિકાનેર ટુ બોસ્ટનનો પ્રોજેક્ટ લઈને આવે છે જેમાં તેને બિકાનેર જિલ્લાના ખેડૂતોની હજારો એકર ખેતજમીન જોઈએ છે. તરકીબ એવી છે કે પહેલાં ‘તજજ્ઞો’ બિકાનેર જિલ્લાના વિકાસનો, વિકાસમાં નડતી મર્યાદાઓનો અને ઉપાયોનો એક અહેવાલ તૈયાર કરે છે. સ્વતંત્ર લાગતો એ અભ્યાસ હરીભાઈ માટે હરીભાઈના કહેવાથી તૈયાર કરવામાં આવ્યો છે. એ અહેવાલ ઉપર ચર્ચા થાય છે, મીડિયામાં ચર્ચાઓ થાય છે, સરકાર તેની નોંધ લે છે, પણ હરીભાઈ નેપથ્યમાં છે. અને પછી એકાએક બિકાનેરના વિકાસ માટે પ્રજાકીય હિતને ધ્યાનમાં રાખીને હરીભાઈને તેના પ્રોજેક્ટ માટે મંજૂરી મળે છે. જિલ્લા કલેકટર અને સંપૂર્ણ સરકારી મશિનરી હરીભાઈ માટે કામ કરે છે. ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવે છે. બધું જ કાયદેસર, લોકહિતમાં, નિસ્વાર્થભાવે! 

અરવલ્લીની પહાડીઓનો નિર્ણય અને સર્વોચ્ચ અદાલતની મહોર આવી એક ઘટના છે. લોકહિતમાં વિકાસ માટેની કાયદેસરની ચોરી. ૧૩મી ઓક્ટોબરે પર્યાવરણ મંત્રાલયના ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ વિભાગે સર્વોચ્ચ અદાલતને સૂચવ્યું કે જે પહાડીની ઊંચાઈ સો મીટર કરતાં ઓછી હોય તેને પહાડ ન કહેવાય અને તેને સમથળ કરવામાં કોઈ પર્યાવરણકીય જોખમ નથી. એના બીજા જ દિવસે સર્વોચ્ચ અદાલત દ્વારા સ્થાપિત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ સર્વોચ્ચ અદાલતને વિષય સમજવામાં મદદ કરનાર વ્યક્તિ(એમિકસ ક્યુરી)ને કહ્યું કે તેણે કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાના પ્રસ્તાવનો અભ્યાસ હજુ સુધી કર્યો નથી અને એટલે મંજૂર રાખ્યો નથી. ૨૦મી નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના અભિપ્રાયની રાહ પણ જોયા વિના સો મીટરની વ્યાખ્યા મંજૂર કરી દીધી. પ્રસ્તાવને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈની બનેલી ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચે મંજૂર રાખ્યો હતો અને એ પછી ત્રીજા દિવસે ન્યાયમૂર્તિ ગવઈ નિવૃત્ત થઈ ગયા હતા. છેલ્લાં દસ વર્ષમાં ચાર મુખ્ય ન્યાયમૂર્તિઓ પાર્ટિંગ કિક મારીને ગયા છે. 

અહીં એક વાત જણાવી દઉં કે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની રચના સર્વોચ્ચ અદાલતે ૨૦૦૨ની સાલમાં કરી હતી જ્યારે ચોરીની નવી તરકીબ હજુ ખાસ અસ્તિત્વમાં નહોતી આવી અને ઉપર કહ્યું એવી જૂની ઢબે દેશને લૂંટવામાં આવતો હતો. પર્યાવરણ ભૂસ્તર, ખગોળ જેવી અનેક વિજ્ઞાનશાખાઓને સ્પર્શતો ટેકનીકલ વિષય છે અને પર્યાવરણને લગતા કેસ સર્વોચ્ચ અદાલતમાં આવતા રહે છે એટલે જજોને માર્ગદર્શન આપવા સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની રચના કરવામ આવી હતી. સવાલ એ છે કે અદાલત દ્વારા જ રચવામાં આવેલી બોડીના અભિપ્રયાની રાહ કેમ ન જોઈ? આ સિવાય ઢાળની પણ રમત છે. ઢાળ પહોળો હોય તો એક સાથે ડઝનબંધ પહાડીઓને જમીનદોસ્ત કરી શકાય અને નેશનલ ફોરેસ્ટ સર્વે કહે છે કે અરવલ્લીની ૯૦ ટકા પહાડીઓ સો મીટર કરતાં ઊંચાઈમાં નાની છે અને તેના પહોળા ઢાળ છે. આ હિસાબે અરવલ્લી પછી ગીરનું જંગલ અને બરડાના ડુંગરોનો પણ વારો લાગવાનો છે. એની ઉંચાઈ પણ ગીરનાર જેવા બે-ચાર પર્વતોને છોડીને સો મીટરની અંદર જ છે. 

પણ આ રીતે ચોરીનું સ્વરૂપ બદલવાનું કારણ શું? એનો અર્થ એવો નથી કે પહેલા જે પ્રકારની ચોરી થતી હતી એ બંધ થઈ છે. એ ચાલુ છે, પણ એમાં નાના લોકો સંડોવાયેલા છે. મોટા લોકોએ હવે એવી જાડી ખરબચડી ચોરી કરવાનું બંધ કરી દીધું છે. હવે તેઓ મુંબઈમાં ધારાવીનો વિકાસ કરવા માટે ધારાવીની જમીન સરકાર પાસેથી મેળવે છે. અદાણીનો કોઈ સ્વાર્થ નથી. એફ.એસ.આઈ.ની ચોરી ચિલ્લર લોકો કરે. 

તો બે કારણ છે આની પાછળ. એક તો એ કે શેઠ લોકોની ફાંદ મોટી થઈ ગઈ છે. તેમની એટલી આર્થિક તાકાત છે કે તેઓ આખે આખા રાજ્યને ખરીદી શકે એમ છે. વિશ્વના દસ શ્રીમંતો ૧૫૦થી ૧૬૦ દેશોની જી.ડી.પી. કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. એ જમાનો ગયો જ્યારે રેલવે, સ્ટીલ જેવા ઉદ્યોગો તેમની પહોંચની બહાર હતા અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની માલિકીના કાચા માલની ખરીદી કરીને તેમના ઉદ્યોગો ચાલતા હતા. તેઓ શાસકોને ખરીદે છે અને શાસકો દ્વારા દેશની સંપત્તિ ખરીદી શકે છે. એને માટે દેશહિતનો અને વિકાસનો વરખ ચડાવવો પડે તો એ કામ શાસકો સાથે મળીને કરી શકાય એમ છે. ઈન્ડીગો એરલાઈન્સની ઘટના તાજી છે. સરકારના નિયમને એ એરલાઈન્સ દોઢ વરસથી ગાંઠથી નથી અને સરકાર કશું જ કરી શકતી નથી. ઈન્ડીગો શાસકોને નચાવે છે અને શાસકો નાચે છે. આ ભાગીદારી છે, મજબૂરી નથી. 

બીજું કારણ એ છે કે સામે શાસકો પાસે પણ પ્રજાને આપવા માટે કાંઈ જ નથી, સિવાય કે દેશપ્રેમનો કેફ અને ‘બીજા’ઓ સામે વેર વળવાનું ઝનૂન. પણ આ કામ અઘરું છે. ધોરણસરના શાસન કરતાં પણ અઘરું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે એ બહુ ખર્ચાળ પ્રોજેક્ટ છે. કાચા દિમાગના લોકો શોધીને તેને ચોવીસે કલાક મૂર્છામાં રાખવાના. ચોવીસે કલાક ઉત્તેજિત રાખવાના. સતત પ્રતિશોધ કરતા રાખવાના. દિમાગ પર કબજો કરીને વિચારતા બંધ કરવાના વગેરે વગેરે. એને માટે મીડિયા પર કબજો જમાવવો પડે જે પકડાવેલા નેરેટિવને વેચે અને દેશની કાયાપલટ કરી આપનારા શાસકોનો જયજયકાર કરે. એને માટે પ્રજા પાસેથી લોકતાંત્રિક વિકલ્પ આંચકી લેવો પડે, એને માટે લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરવી પડે, વિરોધ પક્ષોને કમજોર કરવા પડે, નેતાઓને ખરીદવા પડે, તેમાં વિભાજન કરાવવું પડે, પ્રશ્ન અને શંકા કરનારા લોકોને મોઢું ખોલવાનો મોકો ન મળે એ માટેનો બંદોબસ્ત કરવો પડે, પુષ્કળ પ્રચાર કરવો પડે અને સતત લોકપ્રિયતાના બેરોમીટર પર નજર રાખવી પડે. આમ જફા ઘણી છે અને પાછી ખર્ચાળ પણ છે. ખર્ચાળ એટલે તમે કલ્પના ન કરી શકો એટલી ખર્ચાળ. ઉદ્યોગપતિઓના દાનની રકમ પર આ બધું કરવું શક્ય નથી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ પાર્ટિંગ કિક મારીને ચાલતા થાય એવું એક વાર બને વારંવાર ન બને. અત્યારે વારંવાર બની રહ્યું છે. 

હવે જ્યારે અરવલ્લીના પ્રશ્ને પ્રચંડ વિરોધ અને લોકપ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સરકાર ડરી ગઈ છે. મેનેજ કરનારા લોકોને હાથમાંથી મેનેજમેન્ટ સરકી જવાનો ડર હંમેશ રહેતો હોય છે. રખે શ્રીલંકા, બંગલાદેશ કે નેપાળ જેવું કાંઈ ન થઈ જાય! લોકોને શાંત કરવા માટે ભુપેન્દ્ર યાદવ નામના કોઈ પર્યાવરણ પ્રધાન ખબર નહીં ક્યાંકથી બહાર આવ્યા અને કહ્યું કે પહાડીઓ તોડવામાં નહીં આવે. નિયમમાં કરવામાં આવેલા પરિવર્તન અને વ્યાખ્યા વિષે કશું જ નથી કહ્યું. પાળીતા પત્રકારોને તો પાછો વળતો પ્રશ્ન પૂછવાની પણ મનાઈ હોય ને! ન્યાયમૂર્તિ ગવઈ બચાવ કરતા કહે છે કે એ કોઈ સંપૂર્ણ ચુકાદો નથી આદેશાત્મક કથન છે. એવી શું ઉતાવળ હતી કે કોર્ટની પોતાની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના અભિપ્રાયની રાહ પણ ન જોઈ અને વચગાળાનો આદેશ આપી દીધો? સરકારી એજન્સીની વાત તરત સાંભળી અને આદેશ આપી દીધો, પોતાની એજન્સીની વાત સાંભળવા રાહ ન જોઈ.

સ્થિતિ નિરાશાજનક છે. ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને એ બધું દેશહિતના નામે થઈ રહ્યું છે. પણ અરુણ શૌરી કહે છે એમ અદાલતના અને બીજી દરેક લોકતાંત્રિક સંસ્થાઓના દરવાજા ખખડાવતા રહેવું જોઈએ. એક સમયે જવાબદારીવાળી પવિત્ર જગ્યાએ બેઠેલા લોકો કેટલી હદે નીચે ઉતર્યા હતા તે ઇતિહાસમાં નોંધાવું જોઈએ.  

*****

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ડિસેમ્બર 2025

Loading

સ્ફુલ્લિન્ગ (6) સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત વિશે 

સુમન શાહ|Opinion - Literature|27 December 2025

સુમન શાહ

સાહિત્યસર્જન પછીની ભાવિ કોઈપણ જાહેર વાત Objective હોવી જોઈએ. આ ઉલ્લેખ ૨૦૨૫ જેટલા વર્તમાન સમયમાં ય કરવો પડે છે, એ શરમજનક છે. 

objective એટલે વસ્તુલક્ષી, અને વસ્તુલક્ષી શું તે જો સમજાવવું પડે, તો એ પણ શરમજનક છે. 

એ જાહેર વાત કરનારો જો વસ્નતુલક્ષી નહીં રહ્યો હોય ને વ્હાલાંદવલાંલક્ષી રહ્યો હશે તો કૃતિની સાહિત્યિક ગુણવત્તા, કલાસૌન્દર્ય વિશે સંકેત, કૃતિ વડે સાહિત્યના ઇતિહાસમાં કશું ઉમેરાયું કે કેમ, વગેરે તત્ત્વોને પામી નહીં શકે, અને તેથી આપણને દર્શાવી નહીં શકે. આ ઉલ્લેખ કરવો પડે છે એ પણ શરમજનક છે. 

આપણે ત્યાં, અનેક સાહિત્યિક વાદ આવ્યા, કોઈ કોઈ સ્થિર થયા, મોટા ભાગના હમ્મેશને માટે ગયા, પણ એક પહેલેથી સ્થિર અને સુદૃઢ રહ્યો છે, એનું નામ છે, મારા-તારાવાદ. એથી સરજાયેલી આપણી મનોવસ્થા રુગ્ણ અને દયનીય છે. 

હવે, એમાં ઉમેરાયાં છે પુસ્તકનાં લોકાર્પણો કે વિમોચનો. એમાં objectivity નથી, બલકે પુસ્તકને જ object ગણી લેવાયું છે!

મારી દૃષ્ટિએ લોકાર્પણ સાહિત્યિક સ્વાસ્થ્યનો નાશ કરનારો અને ગંદકી ફેલાવનારો ચેપી રોગ છે. 

લોકોને એટલે કયા લોકોને પુસ્તક અર્પણ કરાય છે, એ લાજવાબ સવાલ છે. પુસ્તકમાં શું છે એ વિશે ભાગ્યે જ કશું કહેવાય છે. એથી પુસ્તકનું વિમોચન નથી થતું. એ બચારું તો રંગરંગીન ગ્લૉસી પેપરમાં બંધાયેલું ને તેથી ગૂંગળાયેલું રહે છે. પુસ્તકની વાત માંડતા એકાદ વક્તવ્યનો અભાવ હોય તો પુસ્તકના સત્ત્વનો સાક્ષાત્કાર નથી થતો.

લોકાર્પણની ભયાનક આડપેદાશ એ છે કે તે પછી એ પુસ્તકની જવલ્લે જ કશી વાત થાય છે. મોટાભાગનાં લોકાર્પણો એ અર્થમાં સાહિત્યઘાતક નીવડે છે. 

પ્રકાશકો પણ ચુમાતા રહે છે કેમ કે લોકાર્પણને જ કારણે પુસ્તકો વેચાય, એમ નથી થતું. ધંધો વિકસ્યો કે લોકાર્પણ પાછળ નર્યો ખર્ચો થયો — એ વિશે વધુ તો એઓ જાણે છે ને સાચું કહે તો આપણને ખબર પડે. 

આપણે ત્યાં આજકાલ સદ્ સમીક્ષાઓ ખાસ જોવા નથી મળતી એનું એક મહા કારણ 

લોકાર્પણો છે.

ચકમકતા નવા વાઘા સજીને પુસ્તક ધરીને ઊભેલા સાત-આઠ જણમાં મોટાભાગનાઓને સાહિત્ય સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે એમાં એક પણ સાહિત્યકાર ન દેખાય તો મને તો એ દૃશ્ય જોઈને ચીતળી ચડે છે. ચીતળી બીભત્સ રસનો સ્થાયી ભાવ છે. 

એ લોકોને શા કારણોથી જોડવામાં આવે છે, એ જાણીતું છે, તેમછતાં, કહું કે આખી ઘટના બજારુ અને બિનસાહિત્યિક છે. 

સૌ સાહિત્યકારો એથી લલચાય છે, એને સ્થાને સૌ એનો ધરાર વિરોધ કરે, એ સાહિત્યધર્મ છે.  

નહિતર, એ પ્રજ્ઞાપરાધ છે.  

= = =

(271225A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે !

રમેશ સવાણી|Opinion - Opinion|27 December 2025

રમેશ સવાણી

સુરતમાં ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગમાં મંદી આવતા લોકો પાવરલૂમ-ટેક્સટાઇલ વીવિંગ તરફ વળ્યા છે. 

સુરત ભારતનું સૌથી મોટું સિન્થેટિક કાપડ ઉત્પાદન કેન્દ્ર છે, જ્યાં મુખ્યત્વે પાવરલૂમ્સ દ્વારા કાપડનું ઉત્પાદન થાય છે. સુરતમાં આશરે 6 લાખથી 6.5 લાખ પાવરલૂમ મશીનો છે. આ મશીનો અનેક નાની-મોટી ફેક્ટરીઓ અથવા યુનિટ્સમાં વહેંચાયેલા છે. એક યુનિટમાં સરેરાશ 10-12 મશીનો હોય છે, તેથી ફેક્ટરીઓ/યુનિટ્સની સંખ્યા 50,000થી વધુ હોઈ શકે છે.

સુરતમાં રોજનું કાપડ ઉત્પાદન આશરે 4 કરોડ મીટર છે. આમાં મુખ્યત્વે સિન્થેટિક (પોલિએસ્ટર) કાપડનો સમાવેશ થાય છે, જે ભારતના કુલ સિન્થેટિક કાપડ ઉત્પાદનના 40% જેટલો હિસ્સો ધરાવે છે. સુરતનું સિન્થેટિક કાપડ દેશમાં તેમ જ 100 કરતાં વધુ દેશોમાં જાય છે. જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ / UAE-યુનાઇટેડ આરબ એમિરેટ્સ / સાઉદી અરેબિયા / UK-યુનાઇટેડ કિંગડમ / જર્મની / ફ્રાન્સ / બાંગ્લાદેશ / શ્રીલંકા / આફ્રિકન દેશો / લેટિન અમેરિકન દેશો-મધ્ય અને દક્ષિણ અમેરિકામાં નિકાસ થાય છે. સુરતનાં કાપડની વૈશ્વિક માંગ સતત વધી રહી છે, ખાસ કરીને સસ્તા અને ગુણવત્તાયુક્ત સિન્થેટિક ફેબ્રિક્સ માટે.

સાડીઓ / ડ્રેસ મટિરિયલ્સ માટેના રંગીન દોરાઓ / જરી વગેરે સુરતમાં જ બને છે. વીવિંગ મશીનો ચીનથી મંગાવે છે. આત્મનિર્ભર / સ્વદેશીનું મિથ્યાભિમાન જ માત્ર આપણું પોતાનું છે ! કાપડ માટેનું રો-મટિરિયલ સપ્લાય કરનાર માત્ર રિલાયન્સ કંપની છે, તેની ઈજારાશાહીના કારણે સૌથી વધુ આવક તે ખેંચી જાય છે. તૈયાર કાપડનાં વેચાણ / નિકાસ કરવાનું કામ સુરત સ્થિત રાજસ્થાની વણિકોના હાથ છે. આખું સેટઅપ વર્ણવ્યવસ્થા મુજબ ગોઠવાઈ ગયું છે, જેમાં શૂદ્રો / અતિ શૂદ્રોના ભાગમાં મજૂરી જ છે !

24 ડિસેમ્બર 2025ની રાત્રે એક પાવરલૂમ યુનિટની વિઝિટ કરી. અહીં સાડીઓનું વીવિંગ થતું હતું. ફેક્ટરીમાં વણાટનો અવાજ પુષ્કળ હતો. મશીનોની ધ્રૂજારી પણ અનુભવી શકાતી હતી. આ યુનિટમાં 12 કલાકની એક શિફ્ટ એમ બે શિફ્ટમાં શ્રમિકો કામ કરે છે. શ્રમિકને રોજના 800 રૂપિયા ચૂકવાય છે. માસ્ટરને મહિને 65 હજાર ચૂકવાય છે. માસ્ટર રાજસ્થાનના છે એટલે શ્રમિકો પણ રાજસ્થાનના છે. 

જે યુનિટોમાં માત્ર પ્લેન કાપડ બને છે તેમાં અવાજનું પ્રદૂષણ તીવ્ર હોય છે. આપણે પાંચ મિનિટ ઊભા ન રહી શકીએ તેટલો અવાજ થતો હોય છે, આ સ્થિતિમાં સતત 12 કલાક કામ કરનારા ઓરિસ્સા / બિહારના શ્રમિકો હોય છે. કોઈ ગુજરાતી શ્રમિકો આવી ફેક્ટરીઓમાં કામ કરતા નથી. 

મને સવાલ એ થયો કે શું આવી ફેક્ટરીઓમાં લેબર લોનો અમલ થાય છે? આ સેક્ટરમાં લેબર લોનું વ્યાપક ઉલ્લંઘન થાય છે, જેમ કે : 

[1] મોટા ભાગના યુનિટ્સ; ફેક્ટરીઝ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ નથી, પરંતુ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે. એટલે સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન્સના કડક નિયમો લાગુ પડતા નથી. 

[2] કામના કલાકો 12-14 કલાક સુધી હોય છે. કાયદા મુજબ 8-9 કલાકની મર્યાદા છે. ઓવરટાઇમની ચૂકવણી થતી નથી. 

[3] મિનિમમ વેજ, PF, ESI જેવા લાભો અનેક શ્રમિકોને મળતા નથી, ખાસ કરીને માઇગ્રન્ટ વર્કર્સને. 

[4] ખરાબ વેન્ટિલેશન, જૂના મશીનો, અકસ્માતોનું જોખમ અને ઇન્સ્પેક્શન્સની અછતને કારણે સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે. 

[5] હોમ-બેઝ્ડ વર્ક, જેમ કે થ્રેડ કટિંગમાં લેબર લો લાગુ પડતા નથી.

લેબર લોનું પાલન કરાવવા માટે લેબર ઓફિસર જોઈએ. સરકાર ભરતી કરતી નથી. નબળી એન્ફોર્સમેન્ટ અને ઇન્સ્પેક્ટર્સની અછતને કારણે શ્રમિકોનું શોષણ થાય છે. મોટા યુનિટસમાં લેબર લોનું પાલન થતું હોય છે, પરંતુ નાની-મધ્યમ પાવરલૂમ ફેક્ટરીઓમાં સામાન્ય રીતે લેબર લોનો અમલ થતો નથી. નવા લેબર કોડ્સ – 2020ના અમલ પછી પણ આ સ્થિતિમાં મોટો સુધારો થયો નથી. સત્તાપક્ષને પૈસા શ્રમિકો આપતા નથી, ફેક્ટરીના માલિકો આપે છે. એટલે સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે !

26 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...1020...30313233...405060...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved