Opinion Magazine
Number of visits: 9969413
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામચન્દ્ર ગુહા, ટી.એમ. કૃષ્ણા, કાન્ચા ઇલૈયા : વ્યક્તિ ત્રણ અવરોધ એક – સાંપ્રદાયિકતાનું રાજકારણ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 November 2018

ચાર દિવસ પહેલાં ભારતીય જનતા પક્ષ અને કૉન્ગ્રેસ સાથે જોડાણ ધરાવતાં બે વિદ્યાર્થી આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રોફેસર પર તેમના કાર્યાલયમાં હુમલો કર્યો. આ પહેલાં જૂનની આખરમાં ભા.જ.પ.ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ભૂજમાં ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરનું મોં તેમના વર્ગમાં ઘૂસીને કાળું કર્યું હતું. કાયદો અને વ્યવસ્થાનો બેબાક ભંગ કરતાં આ બંને ગુનાઈત કૃત્યો છે. તેની વચ્ચે ઓગણીસમી ઑક્ટોબરે પરિષદે એક વિદ્યાકીય પરાક્રમ કર્યું. તેમાં તેણે અમદાવાદ યુનિવર્સિટીમાં એક અભ્યાસક્રમ ભણાવવા માટે નિમંત્રિત જાણીતા ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાની વિરુદ્ધમાં રજૂઆત કરી. ભા.જ.પ.ના પ્રખર ટીકાકાર, પર્યાવરણ અને ક્રિકેટના અભ્યાસી, બે બહુ દળદાર ગ્રંથોમાં ગાંધીનું જીવન આલેખનાર ગુહા વિશ્વવિખ્યાત વિદ્વાન છે. પણ તેમણે આ સેલ્ફ-ફાઇનાન્સ્ડ યુનિવર્સિટીમાં આવવાનો ઇન્કાર કર્યો તે પરિષદના વિરોધની સફળતા. ગુહાએ પહેલી નવેમ્બરે રહસ્ય અને સ્નેહમિશ્રિત ટ્વિટ કર્યું કે તેમણે તેમના ‘કાબૂ બહારના સંજોગોને કારણે’ આ ઇન્કાર કર્યો છે. એ સંજોગોની જાણ તેમણે હમણાં ગયા શનિવારે તેમના એક લેખમાં આડ વાત તરીકે કરી. એમાં એમણે એમના અટકાવ માટે ‘હિન્દુત્વવાદીઓને’, ‘સ્થાનિક ગુંડાઓને’ અને ‘દિલ્હીના શક્તિશાળી રાજકારણીઓને’ જવાબદાર ગણાવ્યા.

પરિષદે ગુહા વિરુદ્ધ આપેલાં આવેદનપત્રમાં એમ જણાવ્યું છે કે ગુહાનાં ‘પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિન્દુ સંસ્કૃિતનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયાં છે’. આવેદનપત્રમાં જે લખાણોનાં અંશો મૂકવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના  ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ ગ્રંથનાં છે. આવેદનપત્રમાં અવતરણોની બહુ સગવડિયા અને સંકુચિત પસંદગી કરવામાં આવી છે. આ ગ્રંથ યુવાનને છાજે તેવા વધુ ખુલ્લા મનથી, હિન્દુ ધર્મ અને સંસ્કૃિતની સંકુચિત સમજથી બહાર નીકળી વંચાવો જોઈએ. સાડા પાંચસો પાનાંના આ સંપાદન-સંકલનમાં, અત્યારનાં લોકશાહી ભારતનું ઘડતર જેમના થકી થયું છે, તેવા જાહેર જીવનના ઓગણીસ પ્રબુદ્ધજનોનાં જીવનકાર્ય અંગેની સરસ નોંધ અને તેમનાં લખાણોનાં મહત્ત્વનાં અંશો વાંચવા મળે. તેમાં દેશના જાણીતા ઘડવૈયાઓ ઉપરાંત, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી જિન્હા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાદેવ સદાશિવ ગોળવલકર પણ છે. તારાબાઈ શિંદે અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય છે, સૈયદ અહમદ ખાન, વેરિયર એલ્વિન અને હમીદ દલવાઈ જેવાં ઓછાં જાણીતાં નામ છે. આ મહાનુભવોને કારણે દેશને સમાનતાવાદી બંધારણ, સ્ત્રી-દલિત-આદિવાસી-લઘુમતીના અધિકાર, સાર્વત્રિક શિક્ષણ અને લોકશાહી વિમર્શ મળ્યાં છે. જો કે શાસક ભા.જ.પ.ને આધુનિક ભારતનું આ જ સંવિત્ત જોઈતું નથી, અને એટલે તેને છિનવવા તે જે અનેક હથિયારોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક વિદ્યાર્થી સંગઠન છે. તેની સામે બૌદ્ધિક, આર્થિક અને વિદ્યાકીય બળ ધરાવતી અમદાવાદ યુનિવર્સિટીએ સીધી જ શરણાગતિ સ્વીકારી. સંગઠને પત્રની નકલ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મોકલી હોવા છતાં, આખા ય પ્રકરણમાં રાજ્યના પેટનું પાણી ય ન હલ્યું.

બીજી બાજુ, દિલ્હીની આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર સંગીતકાર ટી.એમ. કૃષ્ણાના ટેકામાં ઊભી રહી. વાત એમ હતી કે ભા.જ.પ.ના કડક આલોચક અને રૅડિકલ કર્ણાટક સંગીતકાર કૃષ્ણાનો એક કાર્યક્રમ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ, સ્પિક-મૅકે નામની સંગીત પ્રસાર સંસ્થાના ઉપક્રમે, ગયા શનિવારે યોજ્યો હતો. તેને ઑથોરિટીએ ગુરુવારે એકાએક ‘સમ એક્સિજન્સી’ એટલે કે કોઈક તાકીદની જરૂરિયાત એવું અસ્પષ્ટ કારણ આપીને પડતો મૂક્યો. ખરું કારણ એ હતું કે આ મહેફિલની જાહેરાત થતાં સોશ્યલ મીડિયામાં કટ્ટર હિન્દુત્વવાદી ટ્રોલસેના મેદાને ચડી. તેણે કૃષ્ણા ‘જિસસ અને અલ્લા’નાં ગીતો ગાય છે, એ ‘ઍન્ટિ-નૅશનલ’, ‘કન્વર્ટેડ બાયગૉટ’ એટલે કે વટલાયેલો ધર્મઝનૂની અને ‘અર્બન નક્સલ’ છે એવી બૂમરાણથી જે દબાણ ઊભું કર્યું તેની સામે ઑથોરિટી ઝૂકી ગઈ. પણ દિલ્હીની સરકારે એ જ મહેફિલનું નિયત દિવસે વિના મૂલ્ય સફળ આયોજન કર્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  જાહેર કર્યું કે ‘બધા ધર્મ અને બધા વર્ણને સમાવતા વૈવિધ્યસભર સમાવેશક દેશ’ને ટકાવી રાખવા માટે તેમની સરકારે આ પહેલ કરી છે.

પાટનગરનાં ગાર્ડન ઑફ ફાઇવ સેન્સેસમાં અર્ધચન્દ્રના ઉજાસમાં કૃષ્ણાએ બેઠકની શરૂઆત આશ્રમ ભજનાવલીના ‘ઓમ તત્સત્‌શ્રી નારાયણ તું’થી કરી. પછી તેમણે તુકારામની મરાઠી રચના અને આભડછેટનો ભોગ બનેલા કવિ કનક દાસની કન્નડ રચના ગાઈ. ઇસુ પરના એક મલયાલમ ગીત પછી કટ્ટરવાદીઓથી પીડિત લેખક પેરુમલ મુરુગનની તમિળ રચના સંભળાવી. નગુર સિદ્દિકીના સૂફી ગીત બાદ તેણે ‘વૈષ્ણવ જન’ ગાયું જેમાં પ્રક્ષકો જોડાયા. તમિળ ભાષામાં અદના આદમીના ગીત અને બંગાળી અમર જન્મભૂમિ ગીતો બાદ પછી ‘રઘુપતિ રાઘવ રાજા રામ’થી મહેફિલ પૂરી થઈ. યુ-ટ્યૂબ પર જોવા મળતી આ મહેફિલમાં સમન્વયવાદી કલાકાર કૃષ્ણા મળે છે. તે કર્મશીલ પણ છે. સંગીતમાં કહેવાતા ઉજળિયાત વર્ગની સદીઓ જૂની ઇજારાશાહી તોડીને તેમાં દલિત તેમ જ લઘુમતી વર્ગોને સ્થાન આપવાની તેમની મથામણ છે. પશ્ચિમ ઘાટ બચાવવાની કે આધાર કાર્ડ હઠાવવાની ઝુંબેશમાં કૃષ્ણાએ તેની કલાને જોડી છે. શ્રીલંકાના આંતરવિગ્રહથી પરેશાન લોકોને દિલાસો આપવા તેમણે જાફનામાં દિવસો સુધી મહેફિલો કરી છે. અલબત્ત, ધર્મઝનૂનીઓ દ્વારા તેમની મહેફિલો રદ્દ કરાવવામાં આવી  હોય અને ચાહકોના ટેકે તે ફરીથી થઈ હોય એવું પણ બન્યું છે. 

વિચાર સ્વાતંત્ર્યના દમનનો તાજેતરમાં બનેલો ત્રીજો કિસ્સો ઓછો જાણીતો કિસ્સો તે દિલ્હી યુનિવર્સિટીમાં કાન્ચા ઇલૈયાનાં પુસ્તકો પરનાં પ્રતિબંધના પ્રયત્નનો છે. ઇલૈયા રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સબૉલ્ટરન સ્ટડીઝ એટલે કચડાયેલા વર્ગોના અભ્યાસ જેવાં ક્ષેત્રોના વિદ્વાન અધ્યાપક છે, તેમ જ તમિળ અને અંગ્રેજી લેખક છે. તેમનાં ત્રણ પુસ્તકો દિલ્હી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક સ્તરે ઘણાં વર્ષોથી અભ્યાસક્રમમાં છે. તેમનાં નામ છે : ‘ગૉડ ઍઝ અ પૉલિટિકલ ફિલૉસૉફર : બુદ્ધાઝ ચૅલેન્જ ટુ બ્ર્રાહ્મિનિઝમ’, ‘વ્હાય આઇ ઍમ નૉટ અ હિન્દુ: અ શૂદ્ર ક્રિટિક ઑફ હિન્દુત્વ ફિલૉસૉફી’, અને ‘પોસ્ટ-હિન્દુ ઇન્ડિયા : અ ડિસ્કોર્સ ઑન દલિત બહુજન સોશિયો-સ્પિરિચ્યુઅલ ઍન્ડ સાયન્ટિફિક રેવોલ્યૂશન’. આ પુસ્તકોનાં નામ અને પેટાનામ પણ ઇલૈયાના અભિગમનો અંદાજ આપે છે. યુનિવર્સિટીની સ્ટૅંડિન્ગ કમિટીએ આ પુસ્તકોની ‘વિવાદાસ્પદ સામગ્રી’ને લઈને તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમાં ‘હિન્દુ ધર્મનું અપમાન છે’ એમ પણ કહેવાયું. જો કે રાજ્યશાસ્ત્ર વિભાગે પોતે સ્ટૅન્ડિન્ગ કમિટીના નિર્ણયનો અસ્વીકાર કરીને પુસ્તકો અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું છે. જો કે અંતિમ નિર્ણયની સત્તા ઍકેડેમિક કાઉન્સિલ પાસે રહે છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ઇલૈયાના એક પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટેની અરજી ફગાવી દીધી હતી.

ઉપર્યુક્ત ત્રણેય કિસ્સા જેવા બનાવો ભા.જ.પ.ના શાસન દરમિયાન સતત બનતા રહ્યા છે. આ પહેલાંની સરકારો દૂધે ધોયેલી હતી એમ કહેવાનું નથી. પણ તટસ્થ કે મોદી તરફી અભ્યાસીઓ પણ એ સ્વીકારશે એ દમનનું પ્રમાણ ચોક્કસ ઓછું હતું. હિન્દુત્વવાદીઓમાંના સંકુચિત લોકોને પણ લોકશાહીમાં પોતાનો મત ધરાવવાનો, અભિવ્યક્ત કરવાનો, તેના વિશે ચર્ચા-વિમર્શ કરવાનો અધિકાર હોય જ. પણ તેનો અમલ ટોળાંશાહી દ્વારા ન હોય અને શાસનવ્યવસ્થાના સીધા કે આડકતરા ટેકે તો  નહીં જ . 

*******

22 નવેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 23 નવેમ્બર 2018 

Loading

સિક્કાની બીજી બાજુ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|23 November 2018

વસુન્ધરા હજી પંદરેક દિવસ પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવી હતી. લગ્ન નહોતાં કર્યાં અને માતા–પિતા ગામમાં રહેતાં હતાં એટલે તદ્દન એકલી. સવારથી નોકરી પર જવા નીકળી જાય તે છેક રાતે પાછી આવે. એટલે હજી સુધી આડોશપાડોશમાં કોઈને ઓળખતી નહોતી. લિફ્ટમાં ઉપર ચડતી વખતે સાથે થઈ ગયેલી નાનકડી છોકરીને એણે ધ્યાનથી જોઈ. દૂબળું–પાતળું શરીર, એના માપ કરતાં થોડું મોટું ફ્રોક અને હાથમાં પકડેલી થેલીમાં થોડાં શાકભાજી.

‘શું નામ તારું?

‘મંગા’ છોકરીએ કંઈક સંકોચ સાથે જવાબ આપ્યો.

‘ઘરકામ કરે છે?’ માત્ર ડોકું ધુણાવી તેણે હા પાડી.

‘કોના ઘરે?’

‘૪૦૨માં દાદા રહે છે એમના ઘરે. ત્યાં જ રહું છું, દિવસ–રાત.’

વસુન્ધરાના મગજ પર બાળમજૂરી નાબૂદીની ધૂન બરાબર સવાર હતી. કોઈ છોકરાને ચાની લારી પર કપ–રકાબી ધોતાં જૂએ કે હૉટલમાં ટેબલ સાફ કરતાં જૂએ તો, એની આંતરડી કકળી ઊઠતી. હસવા–રમવાની ઉમ્મરે અને ભણવાની ઉમ્મરે  ફૂલ જેવાં બાળકોએ આવાં કામ શા માટે કરવાં પડે? એમને આમાંથી મુક્ત કરાવવાં જ જોઈએ. અત્યાર સુધીમાં કેટલાયે માલિકોની વિરુદ્ધ ફરિયાદ કરીને એણે આવાં બાળકોનાં કામ છોડાવેલાં. આ નવા ઘરમાં આવીને ય મંગાની નોકરી છોડાવીને એણે પોતાના મિશનનાં શ્રીગણેશ કરી દીધાં.

રવિવારની સવારે આરામથી દસેક વાગ્યે નહાવા જવાનો વિચાર કરતી હતી ત્યાં દરવાજાની ઘંટડી વાગી.

‘તમે જ મિસ વસુન્ધરા?’ સફેદ કફની–પાયજામામાં પ્રભાવશાળી દેખાતા વયસ્ક પુરુષે પૂછ્યું.

‘જી, આવોને અન્દર …’

‘ના, ઊભા ઊભા જ બે વાત કરીને રજા લઈશ.’ બોલવાની ઢબ પરથી તેઓ શાલિન હોવાની છાપ પડતી હતી. ‘હું ૪૦૨ નંબરમાં એકલો રહું છું. મારું નામ વિનાયક રાવ. ૮૪ વરસની ઉમ્મર થઈ છે અને સાવ એકલો રહું છું. હાથપગ ચાલે છે અને એકલો હરીફરી શકું છું; પણ હવે થાકી જાઉં છું. મારે તમને પૂછવું છે કે આ ઉમ્મરની વ્યક્તિને કોઈના સહારાની જરૂર હોય કે નહીં?’

શો જવાબ આપવો તે વસુન્ધરાને સમજાયું નહીં. એ કંઈક મૂંઝાયેલી હતી ત્યાં મિ. રાવે આગળ ચલાવ્યું :

‘હું મંગાનું શોષણ કરું છું એવી ફરિયાદ કરીને તમે એની નોકરી છોડાવી એથી તમને આનન્દ થયો હશે, ખરું ને? હું માનું છું કે આપણામાંના દરેકે, એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જ જોઈએ; પણ એક વડીલ તરીકે શિખામણના બે શબ્દો તમને કહી શકું?’

‘જી, જરૂર.’ વસુન્ધરાએ કંઈક થોથવાતાં કહ્યું.

‘જુઓ બહેન, સિક્કાની હમ્મેશાં બે બાજુ હોય છે. ફક્ત એક જ બાજુ જોઈને કોઈ નિર્ણય કરીએ, કોઈ પગલું ભરીએ, તો ક્યારેક પસ્તાવાનો વખત આવે. બસ, આથી વધુ મારે કંઈ નથી કહેવું અને વધારે બોલતાં થાકી પણ જાઉં છું.’

એમના ગયા પછી વસુન્ધરાનો જીવ બળવા લાગ્યો. શું પોતાનાથી કંઈ ખોટું થઈ ગયું હતું? ઉતાવળિયું પગલું ભરાઈ ગયું હતું? નોકરીની ભાગદોડમાં પછી તો વાત લગભગ ભુલાવા આવી હતી. કૉલેજમાં ભણતી મીરાં અને છઠ્ઠે માળે રહેતાં સંધ્યાબહેન સાથે ‘કેમ છો?’ પૂછવા જેટલો સમ્બન્ધ પણ બંધાયો હતો.

એક સાંજે હજી તો ઓફિસથી આવી જ હતી ત્યાં સંધ્યાબહેન ઉતાવળે આવ્યાં.

‘વસુન્ધરા, ખબર પડી? ૪૦૨ નંબરવાળાં રાવ અંકલ બપોરે ખુરસીમાં બેઠાં બેઠાં ચા પિતા હતા, જોરમાં ઉધરસ આવી ને ખલાસ ! કેવું સુન્દર મોત !’ સંધ્યાબહેન અને વસુન્ધરા દર્શન કરવા ગયાં ત્યારે એમના મિત્રો અને સોસાયટીના લોકોથી ઘર ભરેલું હતું. જુદા જુદા લોકો પાસેથી કેટલીયે અજાણી વાતો કાને પડતી હતી.

‘એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારી હતા. પર્યાવરણ માટે, પાણીની સમસ્યા માટે, દેશના અર્થતંત્ર માટે – કેટકેટલા વિષયો પર કામ કર્યું ! કાયમ ગરીબ–યુવા, જરૂરિયાતમન્દોને પડખે ઊભા રહ્યા. અમેરિકા રહેતા બન્ને પુત્રોના આગ્રહ છતાં પત્નીના મૃત્યુ પછી સ્વદેશમાં રહેવું જ પસંદ કર્યું.’

બીજે દિવસે સવારે એમનો મૃતદેહ નીચે લાવવામાં આવ્યો. વસુન્ધરાની જાણ બહાર જ એની આંખોમાંથી નીકળેલાં એનાં આંસુ ગાલ પર રેલાતાં હતાં. ત્યાં જ એક બાઈ હાથમાં હાર લઈને આવી. એ રડતી જતી હતી અને બોલતી જતી હતી :

‘મારે માટે તો દાદા દેવતા સમાન હતા. મારો વર તો એક્સિડન્ટમાં મરી ગયો. આજે હું ને મારાં છોકરાંઓ જીવતાં છીએ તે દાદાને લીધે.’ થીંગડાંવાળા સાડલાથી આંખો લૂંછતાં એણે કહ્યું, ‘મારી મોટી મંગાને એમની પાસે રાખીને દાદાએ મોટી મહેરબાની કરી. એનું ખાવા–પીવાનું, કપડાં–લત્તા, સારા સંસ્કાર આપવાનું બધું દાદાએ કર્યું. કોઈ બાઈએ આવા સન્ત જેવા માણસ સામે ફરિયાદ કરી મંગાની નોકરી છોડાવી; તો ય ઘરે બેઠા એ આખો પગાર આપી જતા. હવે કોણ અમારો હાથ પકડશે ?’

વસુન્ધરાને ખ્યાલ આવ્યો, ઓહ! આ તો મંગાની મા! એની પાછળ ઊભી રહીને મંગા પણ હીબકાં ભરતી હતી. એણે નજીક જઈને સ્ત્રીને ખભે હાથ મૂકી કહ્યું :

‘કાલથી મંગાને મારા ઘરે મોકલજે. જે રીતે દાદા રાખતા હતા એમ જ હું એને રાખીશ, ભણાવીશ પણ ખરી. ના ન કહીશ, બહેન. આ ગુનેગારને એની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવાનો મોકો આપજે.’ મંગાને હાથે માથ ફેરવતાં એણે પૂછ્યું, ‘આ દીદીને ઘરે આવીશ ને, મંગા?

મંગાએ આંસુ લૂછતાં ‘હા’ પાડી.

[શ્રી. આદુરી સીતારામ મૂર્તિ’ની ‘તેલુગુ’ વાર્તાને આધારે.]

તા. 16 માર્ચ, 2018ના ‘ભુમિપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર.

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

♦●♦

સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ ચૌદમું – અંકઃ 414 –November 25, 2018

Loading

તમે રે તિલક રાજા રામના

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 November 2018

હૈયાને દરબાર

સાલ ૧૯૭૯. ગુજરાતી સાહિત્ય-સંગીતની એક અદ્દભુત કેસેટ બહાર પડે છે. (હા, એ જમાનો હતો કેસેટનો. સી.ડી. ત્યાર પછી આવી. કેસેટ તો હવે નામશેષ થઇ ગઈ છે.) નામ એનું ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’. સામાન્ય રીતે સાહિત્ય અને પુસ્તકોમાં જ રચ્યાપચ્યા રહેતા મારા પપ્પા સંગીતની આ કેસેટ્સ લઈને ઘરે આવે છે. રેકોર્ડ પ્લેયરમાં ઉત્સુકતાથી અમે એને ગોઠવીએ છીએ. કેસેટના આરંભમાં એક ગેબી અવાજ સંભળાય છે, એ અવાજ છે અવાજના જાદુગર હરીશ ભીમાણીનો. અમે એમના અવાજના જાદુમાં ખેંચાતા જઈએ છીએ અને સંગીત એમાં પ્રાણ પૂરી રહ્યું છે. એ વખતે ચડેલો આ કેસેટનાં ગીતોનો નશો આજે ય બરકરાર છે. શું ગીતો હતાં એ! કાવ્યત્વ, સંગીતત્વ અને સાહિત્યને સમાન સ્તરે અને પ્રથમ ક્રમાંકે જ મુકવા પડે એવી આ અદ્દભુત કેસેટ ગુજરાતી સંગીત પ્રેમીઓના ઘરનું મોંઘેરું ઘરેણું બની ચૂકી હતી.

ગુજરાતી થઈને આ કેસેટ વિશે તમે કંઈ જાણતા ન હો તો અમારે કશું કહેવું જ નથી તમારી સાહિત્યિક કે સાંગીતિક સજ્જતા વિશે. આ લેખ વાંચી લો એટલું બસ. ચાર ઉત્તમ કવિઓ જગદીશ જોશી, મણિલાલ દેસાઈ, પ્રિયકાંત મણિયાર તથા રાવજી પટેલ જેઓ તેમની કારકિર્દીનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો, ત્યારે નાની વયે જ ગુજરી ગયા એમની કવિતાઓનું આ આલબમ છે. આ કવિઓની સુંદર કવિતાઓને સંગીતકાર સ્વ. અજિત શેઠે શ્રેષ્ઠ ગાયકો પાસે ગવડાવી ખૂબ લોકપ્રિય બનાવી હતી.

સાહિત્ય અને સંગીતને સહજ રીતે એક સાથે મૂકનારી જૂજ વ્યક્તિઓમાં નિરૂપમા શેઠ અને અજિત શેઠનો સમાવેશ થાય છે. અજિત શેઠના કાર્યક્રમો એટલે પુસ્તક સિવાય સાહિત્યને પામવાનો એક મધુર વિકલ્પ. આ યુગલની કેટલીક મહત્ત્વની સિદ્ધિઓમાં એક સિદ્ધિ તેમના દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમોનું આયોજન. સાહિત્યને લોકભોગ્ય બનાવવા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમનો કલાત્મક વિનિયોગ કરવાની તેમની આગવી સૂઝને કારણે આ કાર્યક્રમોને ખૂબ સરસ પ્રતિસાદ મળતો હતો. આ દંપતીની સાંસ્કૃિતક પ્રવૃત્તિઓની પાછળ એક ચોક્કસ દ્રષ્ટિ રહેલી હતી. કેવળ મનોરંજન દ્વારા પૈસા કમાવાની વૃત્તિ તેમનામાં નહોતી. શિષ્ટ સાહિત્ય અને સુમધુર સંગીત લોકો સુધી પહોંચાડવાની નેમ ધરાવતા આ યુગલે એટલે જ ક્યારે ય ધંધાદારી કાર્યક્રમો કર્યા નહોતા.

‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં બિનગુજરાતીઓએ ગુજરાતી ગીતો ગાયાં છે. અજિત ભાઈ સાથે થોડાંક વર્ષો પહેલાં થયેલી પ્રત્યક્ષ વાતચીતમાં એકવાર મેં પૂછયું હતું કે, "તમે ગુજરાતીઓ પાસે કેમ નથી ગવડાવ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં અજિતભાઈએ જણાવ્યું હતું કે, "ગીતો ભલે બિનગુજરાતીઓએ ગાયાં છે પણ એનું પરિણામ તમે જોયું ને? કેટલું સુંદર ગાયું છે! ગુજરાતીઓને સંગીતના ઊંડાણમાં જવાની, મહેનત કરવાની આદત નથી. હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ વગેરે સામેથી ફોન કરીને મારી પાસે પ્રેક્ટિસ માટે આવે. એમને કોઈ હેન્ગ અપ્સ નહીં. કોઈ નહીં ગીત બરાબર ન ગવાતું હોય તો નમ્રતાથી એ કહે કે અમને ગીતની બારીક મૂરકીઓ બતાવો. આવી નિષ્ઠા આપણા ગુજરાતી કલાકારોમાં ઓછી જોવા મળે છે.”

અજિતભાઈનાં દીકરી ફાલ્ગુની શેઠ આ ગીતના સંદર્ભમાં કહે છે કે, "મને બરાબર યાદ છે કે પપ્પા આ બિનગુજરાતી કલાકારોને સખત મહેનત કરાવતા હતા. હરિહરનજી પાસે પહેલાં તો શબ્દોના ઉચ્ચાર યોગ્ય – સ્પષ્ટ આવે એ માટે સો વખત તો કાવ્ય પઠન કરાવ્યું હશે. એ વખતે હું બહુ નાની હતી પણ સ્કૂલેથી આવું ત્યારે ઘરમાં હરિહરનજી, ભૂપીજીનાં મ્યુિઝક લેસન ચાલતાં હોય. શબ્દો સમજીને પછી જ ગાવાનું એવો પપ્પાનો આગ્રહ. એટલે ગીત ઉત્તમ બને જ ને! પદ પરંપરા સાથે અનુસંધાન ધરાવતી આ વિશિષ્ટ રચનામાં ગ્રામબાનીની મીઠાશ અને અભિવ્યક્તિનું નવું પરિમાણ છે. આખા ય ગીતમાં તળપદી ભાષાનો ટહુકો અને રવરવતો લય ગુર્જરગીત સૃષ્ટિમાં લહેરાય છે.

અજિત શેઠે સાહિત્યિક મૂલ્ય ધરાવતાં કેટલાંક સરસ આલબમ્સ સંગીતપ્રેમીઓને આપ્યાં. જેમાંથી ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’ની લોકપ્રિયતા સર્વોચ્ચ સ્થાને રહી. આ આલબમનાં એકે એક ગીતો આ કોલમમાં સ્થાન પામી શકે એવાં છે. આજે ૧૯મી નવેમ્બરે આ લેખ લખાઈ રહ્યો છે એ મારા સાહિત્યકાર પિતા જયંત પંડ્યાનો જન્મદિવસ છે. એમને ખૂબ ગમતી આ રચના વિશે એટલે વાત કરવી છે કારણ કે યોગાનુયોગે ૧૫મી નવેમ્બરે આ ગીત તમે રે તિલક…ના રચયિતા રાવજી પટેલનો પણ જન્મદિન ગયો. હજુ ગયા અઠવાડિયે જ રાવજીની ૮૦મી જન્મજયંતી ઉજવાઈ તેથી એ રીતે પણ રાવજીને યાદ કરવા એટલા જ જરૂરી.

જે સંજોગો કવિતાને જન્મ આપે છે તે જાણીએ તો તે રચનાને વધુ સારી રીતે માણી શકીએ. એવી જ રીતે રચના કરનાર કવિની પાર્શ્ર્વભૂમિકા હોય તો તેને યથાર્થ રૂપે સમજવામાં મદદ મળે છે. માત્ર અઠ્ઠાવીસ વરસની યુવાન વયમાં સ્વર્ગસ્થ થનાર કવિ રાવજી પટેલ વિશે વાંચીએ તો એમના દર્દનો અહેસાસ થયા વિના રહે નહીં. બે પાત્રો વચ્ચેના વૈષમ્યની ધાર કાઢતી તળપદી ભાષામાં રચાયેલી અને ગ્રામીણ પરિવેશમાં ગૂંથાયેલી તમે રે તિલક રાજા રામના … રચના વારંવાર સાંભળવી ગમે એવી છે.

કવિ રાવજી પટેલ ખેડૂત પુત્ર હતા. અભાવોમાં જન્મ્યા. ઘર-ગામ સાવ ગરીબડું. ડાકોર પાસેનું વલ્લવપુરા ગામ એ ચરોતરનો છેવાડાનો ભાગ. રાવજીનો જન્મ અને ઉછેર અહીં જ થયો હતો. ત્યાર બાદ કોલેજ ભણવા માટે તેઓ અમદાવાદ ગયા. ત્યાં ભણે ને સાથે નોકરી કરે, પરંતુ ૨૮ વર્ષની સાવ નાની વયે ટી.બી.નો રોગ થયો જેમાંથી એ ઊભા ન થઈ શક્યા. ક્ષય રોગમાં સાવ યુવાન વયે અવસાન પામ્યા. રાવજીનાં કાવ્યોમાં કૃષિ જીવન અને નગર જીવન બન્ને ધબકે છે. ગામડું, ખેતર, સીમ, શેઢો, વગડો ઇત્યાદિનાં તાજગીભર્યાં કલ્પનો દ્વારા કવિતામાં એ ગ્રામ્ય જીવનનો અહેસાસ કરાવે છે. એમનાં કાવ્યોમાં ગામડું છૂટ્યાની વેદના અને નગરમાં ગોઠવાઈ ન શક્યાની પીડા વ્યક્ત થઈ છે. નગરની વેદના અને ગામડાંનો ઝુરાપો એમનાં ઘણાં કાવ્યોમાં વ્યક્ત થયો છે.

ગુજરાતી કવિતામાં તમે અને અમે ના સંદર્ભ ઘણાં છે. આ ગીતમાં નાયિકાની પોતાના પ્રિયપાત્ર પ્રત્યેની અગાધ પ્રીતિ અને આદર વ્યક્ત થયાં છે. પ્રિયજનને નાયિકા અહીં ઉચ્ચ સ્થાને બેસાડે છે. એ કહે છે કે તમે રે તિલક રાજા રામના, અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે, તમારી મશે ના અમે સોહિયાં, કેવાં કેવાં દખ સાજણ તમે રે સહ્યાં …! પ્રિયપાત્ર પ્રત્યે ખૂબ માન ધરાવતી નાયિકા કહે છે કે તમે રાજા રામના ચંદનના તિલક સમાન છો. તમારું મહત્ત્વ કેટલું વધારે જ્યારે અમે તો ચંદનનું ફક્ત લાકડું જ છીએ. તમે ભાલના તિલક પર બિરાજીને સુગંધ પ્રસરાવી શકો છો જ્યારે અમે તો પાછલી રવેશ જેવાં. રવેશ એટલે પાછલી પરસાળ અથવા તો ભંડકિયું જેમાં આપણે તૂટેલી સાયકલ કે તૂટેલાં રમકડાં કે ભંગારનો સામાન જ મૂકતા હોઈએ એવું સ્થાન. છતાં સ્ત્રીને એનો રંજ નથી.

સ્ત્રી ગમે તેટલી ભણેલી-ગણેલી કે હોશિયાર હોય, એના પ્રિયજનને તો એ પોતાના કરતાં ઊંચા પદ પર જ જોવા ઇચ્છતી હોય છે. એટલે જ કવિની નાયિકા અહીં પ્રિયજનને સંબોધીને કહે છે કે તમે તો ઊંચેરા ઘરના ટોડલા સમાન એટલે તમારા પર તો દીવા મુકાય અને તોરણ બંધાય. જ્યારે અમારું તો જીવવું જ વ્યર્થ છે. તમારું જીવવું ધન્ય છે. લગ્નના તથા લોકગીતના ઢાળમાં આ ગીત ગવાયું છે. કાવ્યમાં પ્રાસ-અનુપ્રાસ ખૂબ સહજ છે. તળપદા શબ્દોને લીધે ગ્રામજીવનની મીઠી સોડમ ગીતમાં અનુભવી શકાય છે અને ગીત હૃદય સોંસરવું ઊતરી જાય છે. નાયિકા કહે છે કે તમારી મશે (તમારી જેમ) અમે ન શોભ્યા પણ તમે ય ઓછાં દુ:ખ નથી વેઠ્યા. સાજણને એ કહે છે કે આ ઉચ્ચ સ્થાને પહોંચવા તમે ય ચંદનના લાકડાની જેમ ઓરસિયા પર ઘસાયા હશો, ટિપાઈને ઘડાયા હશો. તમે પણ કેટલાં ય દુ:ખ ભોગવ્યાં હશે અને સંઘર્ષ કર્યો હશે ત્યારે આ શિખરે પહોંચ્યા છો. કવિ કદાચ અહીં એ જ કહેવા માંગે છે કે વેઠવું કે ઘસાવું એમાં જ જીવનની ધન્યતા છે. સંઘર્ષ પછી જ સફળતા મળે છે, પછી એ પ્રેમ હોય કે પદ. આગળ કવિની નાયિકા કહે છે કે તમે રે અક્ષર થઈને ઊકલ્યા, અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના. તમે તો અક્ષર થઈને ઉકેલાય એવા સ્પષ્ટ છો પણ અમે તો છીપમાં બંધ પડી રહેલા મૂંઝારા સમાન છીએ. આ છીપ બહુ ઝીણી છે, બંધ છે, જેમાંથી મોતી નથી નીકળવાનું, એટલે એ બંધ છીપમાં પડી રહેલો મૂંઝારો કેટલો અકળાવનારો હોઈ શકે એ અકલ્પનીય છે. છતાં મારે માટે તો તમે સર્વોચ્ચ સ્થાને છો અને હું એમાં જ ધન્યતા અનુભવું છું.

વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતી ભાષાના અનુસ્નાતક વિભાગના અધ્યાપક, સાહિત્યકાર મણિલાલ હ. પટેલે ગયા વર્ષે મે મહિનામાં રાવજી પટેલનું જીવન ચરિત્ર ‘મોલ ભરેલું ખેતર’ લખ્યું જેને અમદાવાદના વિશ્વકોશ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. મણિલાલ પટેલ આ વિશે કહે છે કે કુમારપાળ દેસાઈ અને ધીરુભાઈ ઠાકરે મારી પાસે આ કામ કરાવ્યું જેનો મને ખૂબ આનંદ છે. પુસ્તકની લગભગ બધી જ નકલો વેચાઈ ગઈ અને હમણાં ૧૫મી નવેમ્બરે રાવજીના જન્મદિવસે અમે આ પુસ્તક ગુજરાતની શાળાઓમાં વહેંચ્યું પણ ખરું.

હવે ઝડપથી બીજી આવૃત્તિ કરવી પડશે એવું લાગે છે. તેઓ કહે છે, "રાવજીનો પ્રત્યક્ષ પરિચય તો મને થયો નથી પણ એમનો વિલક્ષણ પરિચય હું એફ.વાય. બી.એ માં ભણતો હતો ત્યારે થયો હતો. ૧૯૬૮માં મારા કોલેજકાળ દરમિયાન ૧૦મી ઑગસ્ટે હું લાઈબ્રેરીમાંથી રાવજીનું પુસ્તક ‘અશ્રુઘર’ વાંચવા લઈ આવ્યો હતો. ૧૧મી ઑગસ્ટે લાઈબ્રેરીમાં એ પરત કરવા ગયો ત્યારે ત્યાં સ્ટેન્ડ પર મુકેલા એક છાપામાં રાવજીના અવસાનના સમાચાર સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો હતો. એ પછી તો મેં એમનાં બધાં જ પુસ્તકો વાંચી લીધાં. એમના જન્મસ્થળ ડાકોરમાં અમે સાહિત્ય વર્તુળ અને રાવજી ટ્રસ્ટ શરૂ કર્યું. બે વર્ષ પહેલાં જ અમે ડાકોર-વલ્લવપુરાના ત્રિભેટે રાવજીની અર્ધ પ્રતિમા પણ મૂકી છે. ગુજરાતમાં રાવજી આજે પણ લોકપ્રિય છે.

શાળા-કોલેજ કક્ષાએ એમની કવિતાઓ ભણાવાય છે. આ ૧૫ નવેમ્બરે રાવજીની ૮૦મી જન્મજયંતી અમે ડાકોરમાં નવા કવિઓને નિમંત્રીને ઉજવી હતી જેમાં અનિલ ચાવડા તથા ચંદ્રેશ મકવાણાએ રાવજીનાં કાવ્ય વાંચી એમને ઉચિત તર્પણ આપ્યું હતું. વિદેશોમાં સાહિત્યકારોનાં સ્મારકો જોવા લોકો ઊમટતા હોય છે. જોવાલાયક સ્થળોમાં એની ગણના થાય છે. રાવજીની પ્રતિમાને પણ લોકપ્રિય બનાવી ત્યાં કવિ સંમેલનો યોજાય તો એ રાવજીને આપેલી સાચી અંજલિ ગણાશે.

રાવજી જેવા ઉત્તમ કવિ, અજિત શેઠ જેવા પ્રતિબદ્ધ સંગીતકાર અને હરિહરન જેવા ગાયકનો ઘૂંટાયેલો કંઠ હોય પછી ગીત પણ લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચે એમાં નવાઈ શી? નારી સંવેદનાને અભિવ્યક્ત કરતું આ ગીત સાંભળવાનું ચુકતા નહીં.

—————————–

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં?’
તમે રે અખશર થઈને ઊકલ્યા!
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપનાં,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને સાજણ દ:ખ કેવાં પડ્યાં?

• કવિ : રાવજી પટેલ • સંગીત : અજિત શેઠ • સ્વર : હરિહરન

https://www.youtube.com/watch?v=qRvVLQhuz5w

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 નવેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=443519

Loading

...102030...3,0473,0483,0493,050...3,0603,0703,080...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved