Opinion Magazine
Number of visits: 9686176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીએ ખોંખારો ખાઈને કહેવું જોઈએ કે હા, હું સેક્યુલર ભારતીય છું અને મારો ધર્મ મારી અંગત બાબત છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2018

‘હમ ભી ડીચ’ કહેવત સાંભળી હશે. અવદીચ બ્રાહ્મણોની નાતનું જમણ હતું. દરેક અવદીચ જમવા માટે વાડીમાં પ્રવેશતી વખતે પોતાની ઓળખ આપતા કહેતો હતો; ‘અવદીચ’. ત્યાં ઊભેલો એક ભૂખ્યો માણસ આ જોતો હતો અને તેને સમજાયું કે કોઈ એક શબ્દ બોલવાથી વાડીમાં પ્રવેશ મળે છે. તેણે બને એટલા ધ્યાનથી એ શબ્દ સમજી લીધો અને લાઈનમાં ઊભો રહી ગયો. તેનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું : ‘હમ ભી ડીચ’. કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજકાલ આવું કરતા નજરે પડી રહ્યા છે. દરેક જગ્યાએ હમ ભી હિન્દુ કહીને તેઓ હિન્દુ મતદારના દિલમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરે છે.

ગયા વરસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે તેમના માર્ગમાં આવતું એક પણ મંદિર નહોતું છોડ્યું. દરેક જગ્યાએ માથું ટેકવતા હતા, પરંતુ ભૂલમાં પણ કોઈ દરગાહમાં નહોતા જતા. દરગાહ કે મંદિરમાં જવાથી હિન્દુ નારાજ થઈ જશે એવો તેમને ભય લાગતો હતો. મને યાદ છે ત્યાં સુધી તેમણે કોઈ જગ્યાએ કહ્યું પણ હતું કે તેઓ શિવભક્ત છે. એ પછી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને ત્યાં પણ એ જ સિલસિલો. કર્ણાટકમાં જેટલાં મંદિરો છે એટલા મઠો છે જેમ પંજાબમાં ડેરાઓ છે. રાહુલ ગાંધીએ મઠોમાં જઇને મઠાધીશોના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું. ભારત એવો દેશ છે જ્યાં કોઈ દુશ્મન સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદ મેળવી લે તો ચિંતા નહીં, પણ મઠાધીશના આશીર્વાદ લઈ જાય એ ન ચાલે. આ દેશમાં ભગવાનની વોટબેંક કરતાં ભગવાનના એજન્ટોની વોટબેંક મોટી છે. રાહુલ ગાંધીને જ્યારે મઠાધીશોના આશીર્વાદ મળવા લાગ્યા, ત્યારે પોતાને હિન્દુઓના બેતાજ બાદશાહ સમજનારા નરેન્દ્ર મોદી અને હિન્દુઓના ઈજારદાર આડતિયા અમિત શાહ ડરી ગયા અને તેઓ પણ મઠાધીશો પાસે જવા લાગ્યા હતા. ‘હમ ભી ડીચ’નો પ્રભાવ હતો.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીના વિમાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. વિમાન એક બાજુએ નમી ગયું હતું એટલે તેને ઉતારવું કેમ એની સમસ્યા પેદા થઈ હતી.  શિવભકત રાહુલ ગાંધીએ કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની માનતા માની અને વિમાન હેમખેમ ઊતરી ગયું. રાહુલ ગાંધી હમણાં માનસરોવર જઈ આવ્યા, અને ત્યાંથી સરોવરનું પાણી પણ લેતા આવ્યા હતા. એ પાણી તેમણે દિલ્હીમાં ગાંધીજીની સમાધિ પર ચડાવ્યું હતું. તેમણે માનસરોવરનાં પાણીના અર્ધ્ય વિષે ખુલાસો કરતા માનસરોવરનાં પાણીની અને ગાંધીજીની નિર્મળતાની સરખામણી કરી હતી. હવે તેમણે મધ્ય પ્રદેશમાં મંદિરમાં જઇને ભગવાનના આશીર્વાદ મેળવીને ચૂંટણીપ્રચાર શરૂ કર્યો છે.

આ બાજુ નરેન્દ્ર મોદી મુસલમાનની દરેક ઓળખના પ્રતિકોથી દૂર ભાગતા હતા. ટોપી, કુરાન, માળા, ચાદર એમ કોઈ ચીજને હાથ નહોતા લગાડતા. આપણા હિંદુહૃદયસમ્રાટનો મુસલમાન સાથે સીધો તો છોડો, બાદરાયણ સંબંધ પણ નથી, એની ખાતરી દરેક હિન્દુ ભક્તને થવી જોઈએ. જ્યારે હિન્દુઓના આંબાવાડિયાની શીતળ છાયા માથે હોય, ત્યારે મુસલમાનની બોરડી(બાદરાયણનો એક અર્થ બોરડી પણ થાય છે અને કહેવત પાછળ એક કથા છે.)ની જરૂર શું છે? દેશભક્ત હિન્દુને ખાતરી થવી જોઈએ કે સાહેબ મુસલમાનને તો ભાવ નથી આપતા, પણ તેના પ્રતીકોને પણ ભાવ નથી આપતા. સાહેબે મુસલમાની ટોપી પહેરવાની ના પાડી દીધી હોય એવી વીડિયો ક્લીપ તમે જોઈ હશે. ન જોઈ હોય તો યુ ટ્યુબ પર જોવા મળશે.

હવે રાહુલ ગાંધીએ હિંન્દુ ચહેરો ધારણ કર્યો છે અને દેશમાં રાજકીય મૂડ બદલાઈ રહ્યો છે, ત્યારે હિન્દુઓના બેતાજ બાદશાહ અને ઈજારદાર આડતિયાને પણ લાગવા માંડ્યું છે કે મુસલમાનો સુધી પહોંચવું જોઈએ. આંબાવાડિયું એટલું શીતળ નથી રહ્યું એટલે બોરડીનો થોડો છાંયો મળી જતો હોય તો પ્રયાસ કરવો જોઈએ. એમાં વળી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બી.જે.પી.ની હાલત ખરાબ છે. વ્હોરા મુસલમાનો અન્ય મુસલમાનોથી દૂર રહે છે. એમાં તેમનો સ્વાર્થ છે, પણ એ વાત જવા દઈએ. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વ્હોરાઓની વસ્તી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન વ્હોરાઓના ધર્મગુરુના આશીર્વાદ લેવા ઇન્દોરમાં મસ્જિદમાં ગયા. ત્યાં શું બન્યું ખબર છે? ઉચ્ચાસને બેઠેલા ધર્મગુરએ નીચાસને બેઠેલા વડા પ્રધાનને ચાદર, માળા અને કુરાન આપ્યા હતા અને વડા પ્રધાને તેનો સ્વીકાર કર્યો હતો એટલું જ નહીં; સૈયદના સાથે વાઅજ (વોહરાઓની ધાર્મિક પ્રાર્થના) પણ પઢી હતી. સોશ્યલ મીડિયા પર મજાક થઈ રહી છે કે જો રાહુલ ગાંધી વધુને વધુ હિન્દુ બનતા જશે તો એક દિવસ નરેન્દ્ર મોદીએ હજ કરવા મક્કા જવું પડશે.

ખેર, બે મુદ્દા અહીં ઉપસ્થિત થાય છે. એક તો એ કે ગાંધીજીને આવી સંકુચિત ધાર્મિકતાથી દૂર રાખવામાં આવે. તેમણે પોતે જિંદગીમાં ક્યારે ય કર્મકાંડી સાંકડી ધાર્મિકતાને સ્વીકારી નહોતી. તેઓ હિન્દુ હોવા માટે ગર્વ લેનારા હિન્દુ હતા, પરંતુ આધ્યાત્મિક હિન્દુ હતા. ધાર્મિક હોવામાં અને આધ્યાત્મિક હોવામાં જમીન-આસમાનનો ફરક છે. ધાર્મિક માણસ ધર્મઝનૂની હોઈ શકે છે. અધાર્મિક-નાસ્તિક કોમવાદી હોઈ શકે છે. મહમ્મદઅલી જિન્નાહ અને વી.ડી. સાવરકર આના ઉદાહરણ છે. હિન્દુત્વવાદી હોવા માટે ઈશ્વર પરાયણ હોવાની જરૂર નથી.

બીજી બાજુ આધ્યાત્મિક માણસ કયારે ય ધર્મનું ટૂંકું તરભાણું હાથમાં લેતો નથી. એને એવા અવલંબનોની જરૂર જ નથી પડતી. ગાંધીજી પ્રાર્થના કરતા હોય એવી સેંકડો તસ્વીરો તમે જોઈ હશે, પરંતુ પ્રાર્થનાસ્થળે તમે કોઈ ભગવાનની તસ્વીર કે ધર્મગ્રન્થ નહીં જોયા હોય. કોઈ પ્રકારના ધાર્મિક કર્મકાંડ ગાંધીજીએ ક્યારે ય કર્યા નથી. કોઈ મંદિરમાં કે મસ્જિદમાં ગાંધીજી ગયા નથી. કોમીશાંતિ માટે મસ્જિદમાં જઇને ભાષણ કર્યા છે, પરંતુ કોઈ મૌલવીના આશીર્વાદ નથી લીધા. શંકરાચાર્યના કે કોઈ બીજા કોઈ ધર્મગુરુના આશીર્વાદ ગાંધીજીએ નથી લીધા. એક પ્રસંગ જાણીતો છે. પુરીમાં જગન્નાથના મંદિરમાં દલિતોને પ્રવેશ આપવામાં નહોતો આવતો. એકવાર ગાંધીજી કસ્તૂરબા સાથે જગન્નાથપુરીમાં હતા. કસ્તૂરબાની દર્શને જવાની ઈચ્છા હતી. તેમણે મહાદેવભાઈને કહ્યું અને મહાદેવભાઈ તેમને દર્શન કરાવવા મંદિર લઈ ગયા. ગાંધીજીને એ અપરાધ અક્ષમ્ય લાગ્યો હતો.

ગાંધીજી આધ્યાત્મિક હિન્દુ હતા, આપણા જેવા ‘અમે અને તમે’ કરનારા હિન્દુ નહોતા એ વાતનો તો વાંધો છે. એટલે તો તેમની હત્યા કરવામાં આવી અને એટલે તો તેમને ગાળો આપવામાં આવે છે. માટે, પ્લીઝ, ગાંધીજીને ધર્મના રાજકારણથી દૂર રાખવામાં આવે. માનસરોવરનાં પવિત્ર જળની ગાંધીજીને જરૂર નથી. તેમને સમજવાની કોશિશ કરો, તેમનું મૂલ્યાંકન કરો, જ્યાં તેઓ ખોટા હોય ત્યાં આકરી આલોચના કરો, સમયાનુસાર પુનર્મૂલ્યાંકન કરો, એ ગાંધીજીને આપવું જોઈતું અર્ધ્ય છે. ગાંધીજી એક માણસ હતા અને માનવી ધારે તો કેટલી ઉંચાઈ પ્રાપ્ત કરી શકે એની ગાંધીજી દીવાદાંડી છે. એટલે તો ગાંધીજીએ કહ્યું છે: મારું જીવન મારો સંદેશ છે. એક માનવી અદકેરું જીવન જીવી ગયો. પરવડતો હોય તો સ્વીકારો અને ન પરવડતો હોય તો ભૂલી જાઓ. 

તો રાહુલ ગાંધીને અને બીજાઓને બે હાથ જોડીને વિનંતી કે ગાંધીજીને ધર્મના રાજકારણથી દૂર રાખવામાં આવે. હિન્દુત્વવાદીઓ ગાંધીજીને કુપ્રચાર કરીને બદનામ કરી રહ્યા છે અને  ધર્મનું રાજકારણ કરે છે તો એનો ઉત્તર માનસરોવરનું પવિત્ર જળ નથી. કોમવાદી રાજકારણનો ઉત્તર ગાંધીજી પોતાની જિંદગીની કિમંત ચૂકવીને આપતા ગયા છે, જો રાહુલ ગાંધીમાં એ રસ્તે ચાલવાની હિંમત હોય તો. એ રસ્તો છે; સેક્યુલર ભારતીય હોવાનો. ખોંખારો ખાઈને કહેવું જોઈએ : હા, હું સેક્યુલર ભારતીય છું. મારો ધર્મ મારી અંગત બાબત છે. કોન્ગ્રેસ સેક્યુલર ભારતીયતામાં માને છે અને એમાં કોઈ સમાધાનો કરવામાં નહીં આવે. ભૂતકાળમાં અમે જે સમાધાનો કર્યાં એ અમારી ભૂલ હતી અને એ ભૂલની ગંભીરતા અમને સમજાઈ છે. આવો શુદ્ધ સેક્યુલર ભારતના નિર્માણમાં કોંગ્રેસને સાથ આપો.

હિન્દુરાષ્ટ્ર સામે ભારતીય રાષ્ટ્રના નિર્માણનો આ નેરેટિવ (વિચારદર્શન) છે જે ગાંધીજી આપતા ગયા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2018

Loading

હરિ ના ય પાડતાં શીખો!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 September 2018

હૈયાને દરબાર

માણસની ઈચ્છાઓનો કોઈ અંત નથી એટલે જ કવિએ આ ગીતમાં અદ્દભુત વાત કરી છે કે હે ઈશ્વર, અમને તો આદત પડી ગઈ છે માગવાની, એમાં ય તારા જેવો ઉદાર મળી ગયો છે પછી પૂછવું જ શું ? એટલે હરિ, તું જરા થોભ અને આ માગણિયા માનવને ના પાડતાં શીખ

યુવાન કપલ સાગરમાં સહેલગાહ કરી રહ્યું હતું. અચાનક દરિયાઈ વાવાઝોડું ફૂંકાયું. બધાં ડરી ગયાં. પેલો યુવાન ફૂટડો છોકરો પણ ગભરાઈને બૂમ પાડવા માંડ્યો : "હે ભગવાન, મને બચાવો, હું સિગારેટ છોડી દઈશ, દારૂ છોડી દઈશ, જુગાર છોડી દઈશ …! સાથે આવેલી જુવાન પત્નીએ એને રોકતા કહ્યું કે, "રહેવા દે, હવે બીજું વધારે કંઈ છોડવાની જરૂર નથી. વાવાઝોડું શમી ગયું છે. “હેં ..! હાશ! એવા ઉદ્દગાર યુવાનના મુખેથી સરી પડ્યા. હાશકારો થતાં એણે સિગારેટ પેટાવી. ભગવાન બીજી જ ક્ષણે ભુલાઇ ગયા હતા!

આ વાત એટલા માટે યાદ આવી કે આપણને કંઇ તકલીફ આવે ત્યારે જ ભગવાનને યાદ કરીએ. બાકી, મિત્રો સાથે જલસા પાર્ટી કરતી વખતે, પત્તાં ટીચતી વખતે, મોજ-મજા કે પછી લગ્ન-મેળાવડાઓમાં ભાવતાં ૩૨ પકવાન જમતી વખતે ભગવાન આપણને યાદ આવે છે? ના. પરંતુ, પ્રેમમાં નિષ્ફળતા, ભણવામાં અસફળતા, ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ, લગ્નજીવન ડામાડોળ, નોકરી જાય, સમસ્યાઓ વધી જાય અથવા અચાનક ટપકી પડે, એ વખતે આપણે ભગવાન પાસે દોડી જઈએ છે, બાધા-આખડીઓ રાખીએ છીએ અને યાત્રાધામો પર ચપ્પલ ઘસીએ છીએ. આપવાવાળો તો ઉપર બેઠો જ છેને? એટલે જેટલા મસ્કા મરાય એટલા એને મારી લેવાના.

છેલ્લા એકાદ મહિનાથી આપણે સૌ ભગવાનની ભક્તિ કરી રહ્યાં છીએ. શ્રાવણ મહિનો આવ્યો, પર્યુષણ પર્વ આવ્યું, ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. એમ ઈશ્વરની આરાધનાના દિવસો વીતી રહ્યા છે. ઈશ્વરની આરાધના આપણે કરીએ છીએ કેમ? કશુંક પામવા, કશુંક મેળવવા, કશુંક ઈચ્છવા, કશુંક પ્રાપ્ત કરવા. સહમત છો કે નહીં? ભગવાને માનવને કોઈ અધૂરપ આપી ન હોત તો કદાચ આપણે એને સાવ ભૂલી ગયાં હોત અથવા તો એના અસ્તિત્વને જ નકાર્યું હોત. ભગવાનનાં દર્શન કરવાં, પગપાળા યાત્રાએ જવું, વ્રત-તહેવારો કરવાં, યજ્ઞ અને હોમ-હવન કરવાં પાછળનું કારણ શું છે? ભગવાનને રીઝવવાનું.

આજના ગીતમાં કવિ તુષાર શુક્લ એટલે જ કહે છે કે હરિ ના ય પાડતા શીખો. એમને ખબર છે કે માણસની વૃત્તિ એવી છે કે એને ભગવાન ગમે તેટલું આપશે તો ય ઓછું જ પડવાનું છે. ઈશ્વરે માગ્યા વિના જ આપણને કેટલું બધું આપી દીધું છે! પ્રકાશ માટે આકાશ, સૂર્ય-ચંદ્ર-તારા, જીવતદાન આપતી મીઠાં જળની નદીઓ, વિશાળતા અને ગહનતાસૂચક ઘૂઘવતો સાગર, રક્ષણ કરવા અડીખમ ઊભેલા પર્વતો, જીવવા માટે અનિવાર્ય હવા, પાણી, પૂરતાં ખાદ્યાન્ન. તો ય મનુષ્યને આ બધું ઓછું પડે છે. અરે, મન પણ આપણું કેવું ચંચળ છે કે આજે ભગવાન પાસે માગ્યું ને એણે ઉદાર થઈને આપ્યું તો બીજા દિવસે આપેલી વસ્તુ અણગમતી થઈ જશે અને વળી પાછું બીજું કંઈક માગવાની વૃત્તિ પ્રબળ બનશે. કવિ કહે છે કે ભોજનમાં પણ જાતજાતની વાનગીઓ જોઈએ! એક કોળિયે તીખું તો બીજા કોળિયે મીઠું ખાવાની ઈચ્છા થાય. પરિવારજનોની સગવડ સચવાય એવી સાદી મારુતિ સુઝુકી હોય તો ય હોન્ડા સિટી લેવાનું મન થાય અને હોન્ડા હોય તો એમાં સ્ટેટ્સ ના લાગે! મર્સિડીઝ તો જોઈએ જ. ખપપૂરતું ભગવાને બધું જ આપ્યું હોવા છતાં બેસ્ટ બ્રાન્ડનાં કપડાં, ઇટાલિયન ફર્નિચર, છાકો પડી જાય એવાં અદ્યતન ઘરમાં રહેવાની લાલસા દરેકને હોય છે.

માણસની ઈચ્છાઓનો કોઈ અંત જ નથી એટલે જ કવિએ આ ગીતમાં બહુ સરસ વાત કરી છે કે હે ઈશ્વર, અમને તો આદત પડી ગઈ છે માગવાની, એમાં ય તારા જેવો ઉદાર અમને મળી ગયો છે. એટલે હરિ, તું જરા થોભ અને આ માગણિયા માનવને ના પાડતા શીખ. છેલ્લા અંતરામાં તો એમણે ખૂબ સરસ પંક્તિઓ આપી છે કે માંગવું હોય તો કેવળ શું માંગવું એનો વિવેક આપ. નીર-ક્ષીરનો ભેદ સમજાવ અને તીવ્ર ગતિએ દોડતાં મારા મનને બ્રેક લગાવ. હે ઈશ્વર, જે માંગીએ તે બધું આપી ન દે કારણ કે આ પામર મનુષ્યને શું માગવું એનુંય ભાન નથી. ઊલટું, ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાને બદલે અહંકારી અને મિથ્યાભિમાની થઈ સમાજમાં રોફ જમાવે છે. કેવી અનન્ય વાત કરી છે કવિએ આ કવિતામાં!

તુષાર શુક્લના વ્યક્તિત્વ જેવી જ સંવેદનશીલતા એમનાં કાવ્યોમાં પ્રગટે છે. કવિતાનો જાણે મધુર ગુંજારવ. આ જ સૌમ્યભાષી, મિતભાષી કવિ જ્યાં બોલવું અનિવાર્ય થઈ પડે ત્યાં બિન્દાસ થઈને કહી દે છે કે, હરિ હવે ના પાડતાં શીખો. ભાષાનું સૌંદર્ય તેમના સંચાલનમાં જેટલું નિખરે છે એનાથી કંઈકેટલું ય એમનાં કાવ્યોમાં સ્ફૂરે છે. તુષાર શુક્લ આકાશવાણી-અમદાવાદ રેડિયો પર ઉચ્ચ પદે કામ કરી ચૂક્યા છે. સુગમ સંગીતના કાર્યક્રમોનું અદ્દભુત સંચાલન કરે છે.

આ ગીતની સર્જનકથા વિશે કવિ તુષાર શુક્લ કહે છે, "આ ગીત પૂ. મોરારિબાપુની માનસકથાનું સંતાન છે. પૂ. બાપુની કથા હું ઘેર બેઠાં ટેલિવિઝન પર સાંભળું. એમાંથી જે વાત ગમી જાય એના પર તરત જ પદ લખીને બાપુને મોકલી દઉં. મારા આશ્ચર્ય વચ્ચે બીજે દિવસે બાપુ કથામાં એ મારું તાજું પદ રજૂ કરે. આ પ્રક્રિયામાં મને એવી મજા આવવા માંડી કે દરેક કથા દરમ્યાન બાપુએ રજૂ કરેલા વિચારોમાંથી કોઈ એક વિષય કે મુદ્દાને લઈને મેં કવિતા રચી છે. હવે ટેકનોલોજીને લીધે મોકલવાનું ય સરળ થઈ ગયું છે. કવિતા લખાય કે તરત આયોજકોમાંથી કોઈ એકને વોટ્સએપ પર મોકલી દઉં એટલે તરત એ બાપુ પાસે પહોંચી જાય. બાપુ બીજા દિવસે કથામાં એ રજૂ કરે અને મૂડ હોય તો ગાય પણ ખરા. આ ગીત પણ એ જ રીતે રચાયું હતું. આશિતભાઈને ગમ્યું હતું એ મને ખ્યાલ છે. પણ કમ્પોઝ થઈને કાર્યક્રમમાં રજૂ થયું એ મારે માટે ય સુખદ આશ્ચર્ય છે. બાપુનું વ્યક્તિત્વ બહુપરિમાણીય છે. એ પોતે હંમેશાં કવિ રાજેન્દ્ર શુક્લની કવિતાની પંક્તિઓ ટાંકીને કહેતા હોય છે કે "નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. પૂ. બાપુનું જ્ઞાન, એમની શ્રદ્ધા એમની રજૂઆતકળા એ બધાં વિશે આપણે વધારે શું કહી શકીએ? આશ્ચર્ય તો ત્યારે થાય કે દેશ-વિદેશના ભણેલા-ગણેલા, યંગ છોકરાઓ બાપુની કથામાં આવી બાપુ જે દિશામાં બેઠા હોય એ દિશાને દંડવત્ પ્રણામ કરતા હોય! બાપુ સાહિત્ય-સંગીતના ચાહક અને ભાવક છે, એટલે જ કવિ-લેખકો અને સંગીતકારોને સાથે રાખીને ચાલે છે. પૂ. બાપુનું કથાતત્ત્વ એટલું સબળ છે કે હવે તો કથા ઉપરથી થયેલાં ગીતોનો આખો સંગ્રહ થઈ શકે એટલી સામગ્રી મારી પાસે ભેગી થઇ છે. શીર્ષક અને ડિઝાઇન પણ તૈયાર છે. જો કે, આ ગીત તમારી કોલમ ‘હૈયાને દરબાર’માં રજૂ થશે તો ઘણાને નવાઇ લાગશે, કારણ કે અગાઉ એ ક્યાં ય ગવાયું તો છે જ નહીં, હજુ છપાયું પણ નથી કોઈ જગ્યાએ. એટલે મને આનંદ છે કે આ ગીત આજે ‘મુંબઈ સમાચાર’ના અસંખ્ય વાચકો સુધી પહોંચશે. કવિ તરીકે મારી જવાબદારી અહીં પૂરી થઈ જાય છે, પછી સંગીતકારને એ ગીત જે રીતે બનાવવું હોય એ રીતે બનાવી શકે. પણ તમે કહો છો એ મુજબ ગીત સુંદર જ બન્યું હશે. હેમાબહેનના માર્ગદર્શન હેઠળ સ્વર સખીઓએ આ ગાયું છે એટલે હું પણ આ ગીત સાંભળવા ઉત્સુક છું.”

પાંચ-છ મહિના પહેલાં સુગમ સંગીતનાં જાણીતાં કલાકાર હેમાંગિની દેસાઇ પાસે સંગીત શીખતી ‘સ્વર સખી’ઓનાં વૃંદ પાસેથી આ ગીત એક કાર્યક્રમમાં સાંભળ્યું ત્યારથી મનમાં વસી ગયું હતું. હેમાબહેન આ ગીત વિશે કહે છે કે, "છએક મહિના પહેલાં આ ગીત મારા એક વોટ્સએપ ગ્રુપ દ્વારા મળ્યું હતું. એ વખતે જ મને એ ખૂબ ગમી ગયું. કંઇક નવી વાત હતી એટલે તરત મેં આશિતને આ ગીત સ્વરબદ્ધ કરવા સૂચન કર્યું. દેવાવાળો તો એટલો ઉદાર છે કે ચપટી માગીએ તો દરિયો દઈ દે, પણ માગવાનું વિવેકભાન હોવું જોઈએ. આપણે તો ભગવાનને ‘થેન્ક યુ’ કહેવાં ય ઊભાં નથી રહેતાં. આ અનોખું ગીત તથા સુંદર-સરળ સ્વરાંકન અમારી ‘સ્વર સખી’ઓ દ્વારા ગવડાવવાનું નક્કી કર્યું, કારણ કે, ગીતનું હાર્દ કોરસમાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે. ઘણી બહેનો હવે ગુજરાતી સુગમ સંગીત શીખવા પ્રેરાય છે એ આનંદપ્રદ બાબત છે."

અગ્રગણ્ય સંગીતકારો પાસે ગુજરાતી ગીતો શીખનારની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા બહુ વર્ષો પહેલાં કિન્નરી વૃંદની સ્થાપના થઇ હતી. હેમા દેસાઈનું ‘સ્વર સખી’ વૃંદ સુંદર ગુજરાતી ગીતો શીખી રહ્યું છે. સંગીતકાર સુરેશ જોશી સુગમ સંગીતનાં નાદબ્રહ્મ, સ્વર કોકિલા, સ્વર સપ્તક, સ્વર સંગત જેવાં ચાર ગ્રુપ મુંબઈમાં ચલાવે છે. ગુજરાતી સંગીતના પ્રસારનું કામ કશી હોહા વિના પૌરવી દેસાઈ, હંસા દવે પણ કરી રહ્યાં છે. આ કોલમ વાંચીને જુહુની ૧૬ બહેનોએ માત્ર ગુજરાતી ગીતો ગાવાનું જ ગ્રુપ શરૂ કર્યું છે. દક્ષા પટેલ અને વિપુલા ચોક્સીની આગેવાની હેઠળ આ બહેનો બે મહિને એક વાર ભેગાં થઈ ફક્ત માતૃભાષાનાં ગીતો ગાય છે અને સાંભળે છે. ગુજરાતમાં રાસબિહારી દેસાઈએ સૌપ્રથમ શ્રુતિ વૃંદની સ્થાપના કરી વૃંદગાન અથવા તો કોરસના મહાત્મ્યને પ્રસ્થાપિત કર્યું હતું. વૃંદ ગાન સંગીતનું અગત્યનું પાસું છે. પશ્ચિમના દેશોમાં કોરસ અથવા ક્વોયર મ્યુિઝક કે સમૂહગાન એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોરસમાં ગાવું એ અઘરી કલા છે, કારણ કે એકસાથે અનેક સ્વરોનો સંયમ જળવાય તો જ એ સુરીલું લાગે. અવાજની રેન્જ જાણવા, અવાજ સુધારવા અને પર્ફોર્મન્સ કૌશલ્ય પ્રાપ્ત કરવા સમૂહગાન ગાવું એ સંતર્પક અનુભવ બની રહે છે. કોરસમાં એકસરખી બ્રીધિંગ પેટર્નને લીધે એ સ્વાસ્થ્યપ્રદ છે. સમૂહમાં ગાતી વખતે યોગ્ય રીતે ઊભા રહેવું કે બેસવું અને યોગ્ય શ્વસનક્રિયા દ્વારા ગીતને સમાન સ્તર ઉપર ગાવું એ નિતાંત આનંદદાયક અનુભૂતિ છે. ગુજરાતીઓનું પ્રાધાન્ય ધરાવતાં દરેક પરાંમાં આવાં ગ્રુપ શરૂ થાય તો સંભવ છે ગુજરાતી ગીતોનો સુવર્ણકાળ પાછો આવી શકે.

ફરી આ ગીત તરફ વળીને ફક્ત એટલું જ કહેવું છે કે કુદરતના કણ-કણમાં ઈશ્વરનો વાસ છે. બસ એટલું જ ધ્યાનમાં રાખી, હે મનુષ્ય! મંદિર-મસ્જિદ, ગુરુદ્વારા અને દેવળમાં અથડાવાને બદલે તું તારા દિલમાં દીવો કર અને ઈશ્વર પાસેથી જે મળ્યું છે એ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કર. છેલ્લે, નરસિંહ મહેતાની અદ્દભુત પંક્તિઓથી સમાપન કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી, પ્રગટ થાશે ..!

આજનું ગીત 

હરિ તમે ના ય પાડતાં શીખો !
માંગ્યા વિના ય કેટલું દીધું
સૂરજ ચંદર તારા 
મીઠા જળની સરિતા દીધી
ઘૂઘવે સાગર ખારા 
કદી કહ્યું નહીં અમને તમે તો
થોડું માંગો – ભીખો !
        હવે ના ય પાડતાં શીખો.

અમે માંગીએ મનનું ગમતું
તમે કહો કે તથાસ્તુ
આજ ગમે તે કાલ ગમે નહીં 
ગમતું રહે બદલાતું
એક કોળિયે ગળ્યો સ્વાદ ને
બીજે જોઇએ તીખો !
             હવે ના ય પાડતાં શીખો.
 
અાદત પડી ગઇ અમને એવી 
સાંભળ ઓ હરિ, મારા 
માગણ થઇને આંગણ જાવું 
મંદિર કે ગુરુદ્વારા 
ટેવ પડી ગઇ, દેવાવાળો 
મળ્યો છે તારા સરીખો.
          હવે ના ય પાડતાં શીખો.
 
તમે હવે ના કૃપા કરીને 
કષ્ટ અમારાં કાપો 
આપવું હો તો માંગવું શું નો 
વિવેક કેવળ આપો 
દોડવા માંગતા મનને કહો કે 
થોડું પહેલાં રીખો !
હરિ ના ય પાડતાં શીખો.     

**********                                          

• કવિ : તુષાર શુક્લ   • સંગીતકાર : આશિત દેસાઇ  • ગાયક કલાકારો: સ્વર સખી વૃંદ                                         

***********

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=439109

Loading

વિજય માલ્યાને નાસી જવામાં કોણે મદદ કરી હતી? વધુ એક પુરાવો; ટકોરાબંધ નકારી ન શકાય એવો

રમેશ ઓઝા|Opinion - Opinion|19 September 2018

આમ તો રાષ્ટ્રવાદીઓની સરકાર છે એટલે રાષ્ટ્રને નુકસાન પહોંચે એવું તો તેઓ કરે નહીં, પરંતુ પ્રમાણો અને પુરાવાઓ તેની વિરુદ્ધ આવે છે. આપણને વિચારતા કરી મૂકે કે જો દેશપ્રેમીઓ આવા હોય તો દેશદ્રોહી કેવા હશે! પ્રશાંત મહાસાગરમાં આવેલા પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા ટાપુના શાસકોએ નીરવ મોદી નાસી ગયો એના ત્રણ મહિના પહેલાં શોધી કાઢ્યું હતું કે આ માણસ ઠગ છે અને તેને નાગરિકત્વ ન અપાય. ભારતમાં આવીને એ લોકો સત્ય જાણી ગયા અને ભારતના શાસકોને તેની જાણ નહોતી. ઊલટું નીરવ મોદી નાસી ગયો એના થોડા દિવસો પહેલાં સ્વિત્ઝરલૅન્ડમાં દાવોસ ખાતે નીરવ મોદી વડા પ્રધાન સાથે ગ્રુપ ફોટોમાં જોવા મળે છે.

જ્યારે આ સમાચાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયા એ જ દિવસે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાએ લંડનમાં ધડાકો કર્યો હતો કે હું ક્યાં નાસી ગયો છું. ભારત છોડતા પહેલાં હું (વિજય માલ્યા) નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને તેમને બેન્કોના દેવાંનું સેટલમેન્ટ કરવાની તૈયારી બતાવી હતી અને જણાવ્યું હતું કે હું આવતીકાલે લંડન જઈ રહ્યો છું. નાણા પ્રધાન કહે છે કે એ તો સંસદભવનની લૉબીમાં વાત થઈ હતી, કોઈ સત્તાવાર મુલાકાત નહોતી યોજાઈ. સંસદની લૉબીમાં કોઈ ચાલતા-ચાલતા માહિતી આપે કે ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓ હુમલો કરવાના છે તો આપણા નાણા પ્રધાન તેને ગંભીરતાથી ન લે કારણ કે એ લૉબીમાં કહેવાયેલી વાત છે.

હવે ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ વધુ એક હકીકત ખોળી કાઢી છે. આમ તો ૯૮ ટકા મીડિયાને લીલોછમ ચારો આપીને વાડામાં પૂરી દીધાં છે, પરંતુ પાંચ-દસ બચ્યા છે જે ત્રાસ આપે છે. એ લીલું ઘાસ ખાતાં નથી અને લીલું-લીલું જોતાં નથી. કાંઈને કાંઈ શોધી કાઢે છે અને દેશભક્તિનો મૂડ બગાડી નાખે છે. જુઓ વિજય માલ્યાના નાસી જવા વિષે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ શું કહે છે. પુરાવાઓ સાથેની સ્ટોરી છે, ગળે ઊતરે તો ઠીક છે; નહીં તો ભક્તિ કરતાં ક્યાં કોઈ રોકે છે. પહેલાં ટૂંકમાં કેસ હિસ્ટરી.

વિજય માલ્યાએ ૨૦૦૩માં કિંગફિશર એરલાઇન્સની સ્થાપના કરી હતી. આવક કરતાં ખર્ચા વધુ હોવાના કારણે એરલાઇન્સ નુકસાન કરવા લાગી હતી અને ૨૦૧૨માં બંધ પડી ગઈ હતી. ભારતમાં હંમેશાં બને છે એમ જ્યારે કોઈનો કોઈ ધંધો પડી ભાંગે ત્યારે સાદી સમજ મુજબ તો એ ધંધાદારી ઊઠી જવો જોઈએ, પરંતુ આપણે ત્યાં સરકારી માલિકીની બેન્કો ઊઠી જાય છે. વિજયભાઈની એરલાઇન્સ ફડચામાં ગઈ એમાં વિજયભાઈની જગ્યાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બીજી બેન્કો સાત હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં આવી ગઈ.

આ બધું જ યુ.પી.એ. સરકારના સમયમાં બન્યું હતું. નરેન્દ્ર મોદી કહે છે એમ એક ફોન કોલ ઉપર લોન આપવામાં આવી હોય એ પણ શક્ય છે. યુ.પી.એ. સરકારના કાળાં કામોથી થાકી ગયેલી પ્રજાએ ૨૦૧૪માં તેને લાત મારીને પ્રામાણિકતા અને પારદર્શકતાનો દાવો કરનારા નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવ્યા હતા. શું અપેક્ષા હતી અને છે નરેન્દ્ર મોદી પાસેથી? એકેએક કૌભાંડીઓને જેલભેલા કરે. તેને મદદ કરનારા શાસકો અને સરકારી અધિકારીઓને પણ છોડવામાં ન આવે. તેમની સામે ઝડપથી મુકદમા ચાલે અને સજા કરવામાં આવે. સૌથી મોટી વાત; વ્યવસ્થામાં જેટલાં છીંડા છે એને વીણી-વીણીને બુરવામાં આવે.

નરેન્દ્રભાઈની મુદત પૂરી થવામાં છે, પણ આમાનું કાંઈ થયું? નથી કોઈ કૌભાંડીને પકડવામાં આવ્યો કે નથી કોઈ ભ્રષ્ટ ભૂતપૂર્વ શાસકને પકડવામાં આવ્યો. નથી કોઈ પર આરોપનામું ઘડવામાં આવ્યું કે નથી મુકદમો ચલાવવામાં આવ્યો. એક પણ છીંડુ બતાવો જે છેલ્લાં સાડા ચાર વરસમાં બુરવામાં આવ્યું હોય. ઊલટું ઊઠેલી બેન્કો વધારે મુશ્કેલીમાં આવી ગઈ છે અને ઉઠાડનારાઓમાંથી અડધો ડઝન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં નાસી ગયા છે. આમાનું કાંઈ પણ કર્યા વિના દેશમાં રામરાજ્ય આવી જવાનું છે? માત્ર વાતો કરવાથી અને કૉન્ગ્રેસને ગાળો દેવાથી દેશમાં પરિવર્તન થવાનું છે?

તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના મંગળવારના અંકમાં પ્રકાશિત થયેલી સ્ટોરી એમ કહે છે કે સી.બી.આઈ.એ ૧૬મી ઓકટોબર ૨૦૧૫ના રોજ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેમાં દેશભરના વિમાનમથકોને કહેવામાં આવ્યું હતું કે “પ્રિવેન્ટ સબજેકટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ફ્રોમ લીવિંગ ઇન્ડિયા”. એ પછી ૨૪મી નવેમ્બર ૨૦૧૫ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે અને એ જ દિવસે સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલરમાં સુધારો કરે છે. શું કહેવામાં આવ્યું હતું નવા સુધારેલા લુક આઉટ સર્ક્યુલરમાં? “ઇન્ફોર્મ અસ ડાયરેક્ટલી. ડિટેન્શન ઓફ સબજેક્ટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ઈઝ નોટ રિકવાયર્ડ.” વિજય માલ્યા દેશમાં પ્રવેશતા હોય અથવા દેશની બહાર જતા હોય તો અમને (સી.બી.આઈ.ને) જાણકારી આપવામાં આવે તેને આવતો-જતો રોકવામાં ન આવે.

૨૦૧૫ના નવેમ્બર મહિના સુધીમાં બેન્કોનું દેવું વ્યાજ સાથે નવ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું અને કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મહિનાઓથી પગાર ચુકવવામાં નહોતો આવ્યો. એ દિવસોમાં એવો એક પણ દિવસ નહોતો જતો કે અખબારોમાં વિજય માલ્યા અને તેમની એરલાઇન્સ સમાચારોમાં ન હોય. કર્મચારીઓને પગાર નહીં ચૂકવનારા વિજય માલ્યા વૈભવી જીવન જીવે છે એ વિષે દેશમાં ચર્ચા થતી હતી ત્યારે માલ્યાએ વૈભવી જીવનશૈલીનો બચાવ કરનારું બેશરમ નિવેદન કર્યું હતું. આવી સ્થિતિમાં સી.બી.આઈ.એ તેનો લુક આઉટ સર્ક્યુલર હજુ વધારે સખ્ત કરવો જોઈતો હતો કે હળવો? કોના કહેવાથી એ સર્ક્યુલર માલ્યાને ફાયદો થાય એ રીતનો હળવો કરવામાં આવ્યો હતો અને એ પણ એ જ દિવસની રાતે જ્યારે માલ્યા દિલ્હીમાં હતો.

આ બાજુ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ દેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને કાનૂની સલાહ આપવામાં આવે છે કે માલ્યાને વિદેશ નાસી જતો રોકવા માટે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવામાં આવે. ત્રણ મહિના પહેલાં સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલર હળવો કરે છે અને વિમાન મથકોને સ્પષ્ટ જણાવવામાં આવે છે કે માલ્યાને વિદેશ જતો રોકવામાં ન આવે. સવાલ એ છે કે શા માટે બેન્કે લુક આઉટ નોટિસ હળવી કરાઈ એની સામે વહેલાસર વાંધો ન લીધો? ૨૪ નવેમ્બરથી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે ૯૬ દિવસ બેન્કના અધિકારીઓ પાસે હતા. શું નવ હજાર કરોડ રૂપિયાની કોઈ કિંમત નહોતી?

પણ કલાઇમેકસ હવે આવે છે. ૨૮મી ફેબ્રુઆરીની કાનૂની સલાહ પર બેન્કના અધિકારીઓ અમલ નથી કરતા. બીજી માર્ચ ૨૦૧૬ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે. સંસદભવન જાય છે, રાજ્યસભાના સભ્ય તરીકે મસ્ટરમાં સહી કરે છે અને સેન્ટ્રલ હોલમાં બીજા સંસદસભ્યો સાથે ચા પીવે છે. એ પછી માલ્યા નાણા પ્રધાન અરુણ જેટલીને મળે છે. (જેટલીના કહેવા મુજબ લૉબીમાં) અને પોતે લંડન જઈ રહ્યો છે એમ કહીને એ જ રાતે વિમાન પકડે છે. માલ્યા લંડન પહોંચી ગયો એ પછી સ્ટેટ બેન્ક તેને મળેલી કાનૂની સલાહ પર અમલ કરે છે. પૂરા ત્રણ દિવસ પછી. સર્વોચ્ચ અદાલત સરકારી વકીલને માલ્યાને વિદેશ જતો રોકવા માટે સરકાર શું કરી શકે એમ છે એવો સવાલ પૂછે છે ત્યારે સરકારી વકીલ અદાલતને કહે છે કે અમને એવા ખબર મળ્યા છે કે માલ્યા દેશ છોડીને નાસી ગયો છે.

એ ખબર અદાલતને નહોતી અપાઈ દેશને અપાઈ હતી. કોના કહેવાથી લુક આઉટ સર્ક્યુલર હળવો કરવામાં આવ્યો હતો? એ પણ એક દિવસ બહાર આવશે. દેશદ્રોહી મીડિયા શોધી કાઢશે. ત્યાં સુધી ચાલો આપણે દેશપ્રેમી મીડિયા સાથે ભારત માતા કી જયનો નાદ કરીએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,0343,0353,0363,037...3,0403,0503,060...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved