Opinion Magazine
Number of visits: 9969266
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન કઈ બાની સુન બાબા મન કી બાની સુન. ભગવાને મૂલ્યવાન દિમાગ પણ આપ્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 December 2018

૧૯૮૫ પછી, ભારતનાં રાજકીય વિમર્શમાં એક શબ્દ સંભળાવા લાગ્યો, સ્યુડો સેક્યુલરિઝમ. સ્યુડો સેક્યુલરિઝમ એટલે છદ્મ સેક્યુલરિઝમ, નકલી સેક્યુલરિઝમ અથવા સ્પષ્ટ ભાષામાં કહીએ  તો પક્ષપાતી સેક્યુલરિઝમ. પક્ષપાત કોનો? તો કહે લઘુમતી કોમોનો. લઘુમતી કોમના મત હાંસલ કરવા માટે કૉન્ગ્રેસ અને બીજા પક્ષો તેમને છૂટછાટ આપે છે, લાડ લડાવે છે અને તેમને ઇશારે કાયદાઓ પણ બદલે છે. કહેવાતા સેક્યુલર પક્ષો લઘુમતી કોમના કોમવાદ સામે આંખ આડા કાન કરે છે. હિન્દુ બહુમતી દેશમાં જન્મે હિન્દુ શાસકો હિન્દુઓની ઉપેક્ષા કરે છે, હિન્દુઓના મત તો મળવાના જ છે, એમ સમજીને હિન્દુઓને ખિસ્સામાં રાખીને ફરે છે, તેમની ધાર્મિક માન્યતાઓ અને રિવાજોની નિંદા કરે છે અને ઇસ્લામ વિષે ચૂપ રહે છે, વગેરે વગેરે. 

આવો આરોપ કરનારાઓએ આ લખનાર જેવા સેક્યુલર-લિબરલો(ઉદારમતવાદીઓ)ને પણ છોડ્યા નહોતા. સેક્યુલર-લિબરલો લઘુમતી કોમની ભેર તાણીને તેમના પક્ષે ઊભા રહે છે, પરંતુ તેમણે હિન્દુઓની લાગણીની ક્યારે ય પરવા કરી નથી. ટૂંકમાં ગેર-બી.જે.પી. સેક્યુલર પક્ષો અને સેક્યુલર લિબરલો પક્ષપાતી છે એટલે તેઓ સ્યુડો સેક્યુલર છે અને માટે હિન્દુ વિરોધી છે એવી દલીલો ત્યારે કરવામાં આવતી હતી.

તેમની દલીલો સાવ ખોટી નહોતી. એ વાત જુદી છે કે સેક્યુલર પક્ષો લઘુમતી કોમનાં થાબડભાણાં નહોતા કરતા, પરંતુ તેમના નેતાઓના અને મૌલવીઓના કરતા હતા. પાંચ દાયકાના એકચક્રી કૉન્ગ્રેસ રાજમાં આમ મુસલમાનોને ફાયદો કરાવી આપવામાં આવ્યો હોય એવું ભાગ્યે જ જોવા મળ્યું હતું. રહી વાત સેક્યુલર લિબરલોની તો તેઓ એમ માનતા હતા કે લઘુમતી કોમ લઘુમતીમાં હોવાનાં કારણે સ્વાભાવિકપણે અસલામતી અનુભવે છે એટલે તેઓ ધર્મની ઓળખનો આશ્રય લઈને કેટલીક માગણીઓ કરતા રહે છે અને આગ્રહો સેવતા રહે છે. તેમનો આગ્રહ ઓળખ ગુમાવી નહીં દેવા માટેનો હોય છે. આ કારણે લઘુમતી કોમમાં જોવા મળતો કોમવાદ કોમવાદ હોવા છતાં ક્ષમ્ય છે, પરંતુ બહુમતી કોમવાદ સામે આંખ આડા કાન ન કરી શકાય, કારણ કે તે સમાજને ફાસીવાદ તરફ દોરી જાય છે. ટૂંકમાં બહુમતી કોમવાદ બહુમતી કોમને જ નુકસાન પહોંચાડનારો હોય છે.

એ સમયે સેક્યુલર-લિબરલોની દલીલ કાને ધરવામાં આવી નહોતી. તેમને ખોટો બચાવકર્તા ઍપોલોજિસ્ટ) તરીકે ઓળખાવવામાં આવતા હતા. સરેરાશ હિન્દુને એમ લાગવા માંડ્યું હતું કે સંઘપરિવારવાળાઓ જે કહે છે એમાં દમ છે. હિન્દુ બહુમતી દેશમાં હિન્દુઓ સાથે ખિસ્સામાં રાખવામાં આવેલા પરચૂરણ જેવો વહેવાર કરવામાં આવે છે. સંઘપરિવારવાળાઓ આટલેથી અટક્યા નહોતા. તેઓ કહેતા હતા કે દેશને સાચા સેક્યુલરિઝમની જરૂર છે. સાચું સેક્યુલરિઝમ એટલે એવું સેકયુલરિઝમ જે કોઈનો પણ પક્ષપાત ન કરતું હોય. ન લઘુમતી કોમનું કે ન બહુમતી કોમનું. ‘અપીઝમેન્ટ (તુષ્ટિકરણ) ટુ નન’ એવો શબ્દપ્રયોગ ત્યારે વાપરવામાં આવતો હતો.

તમારાંમાંના કેટલાક વાચક એ સમયે (૧૯૮૫-૨૦૧૪નાં વર્ષોમાં) બી.જે.પી.ના તરફદાર બન્યા હશે. જ્યારે બન્યા, ત્યારે તમે તમારી જાતને કહ્યું હશે કે તમે સાચા સેક્યુલરિસ્ટ છો અને તમને પક્ષપાતી સ્યુડો સેકયુલરિઝમ માટે નફરત છે. તમને તમારાં સેક્યુલર હોવા વિષે રજમાત્ર શંકા નહીં ગઈ હોય; પરંતુ કૉન્ગ્રેસ, બીજા રાજકીય પક્ષો અને સેક્યુલર-લિબરલોની સેક્યુલરિઝમ પરની નિષ્ઠાને શંકાથી જોઈ હશે. તમે તમારી જાતને ટકોરાબંધ સેક્યુલર તરીકે જોઈ હશે અને બીજાને બોદા સેક્યુલર તરીકે.

આગળ વાંચતાં પહેલાં પોતાની જાતને પૂછી જુઓ કે તમે આવા વિચારમંથનમાંથી પસાર થયા હતાં કે નહીં? હવે આગળ વાચો:

અત્યારે બી.જે.પી. લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવે છે. આજે બી.જે.પી. ભારતનાં ૨૯ રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ૨૧માં રાજ કરે છે. ભારતની ૭૦ ટકા પ્રજા બી.જે.પી. શાસિત છે. આજે બી.જે.પી. બાવીસ કરોડની વસતી ધરાવતા ઉત્તર પ્રદેશમાં બે-તૃતીયાંશ બહુમતી ધરાવે છે અને લોકસભામાં ૮૦માંથી ૭૧ બેઠકો ધરાવે છે. લોકસભા, ઉત્તર પ્રદેશની વિધાનસભામાં, અન્ય બી.જે.પી. શાસિત રાજ્યોની વિધાનસભાઓમાં મુસ્લિમ સભ્યોની સંખ્યા ઇતિહાસમાં ક્યારે ય જોવા મળી નથી એટલી ઓછી છે. કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રધાનો નામનાં છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું સૌથી શક્તિશાળી અને મોટું સંગઠન હોવાનો દાવો કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫૬ ઈંચની છાતી ધરાવે છે અને કોઈની સાડીબારી રાખતા નથી એવી ઈમેજ ધરાવે છે. આર્થિક રીતે સૌથી વધુ સાધન-સંપન્ન પક્ષ બી.જે.પી. છે અને મીડિયા અને પત્રકારો અનુકૂળ બનીને રહે છે.

આટઆટલી અનુકૂળતા છે અને આત્મવિશ્વાસ આસમાને છે ત્યારે સ્વાભાવિકપણે સાચા સેક્યુલરિઝમની ખોજમાં નીકળેલા ભારતના નાગરિકે પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે દેશમાં અત્યારે જે બની રહ્યું છે, એ પક્ષપાત વિનાનું સાચું સેક્યુલરિઝમ છે? ઢંઢોળી જુઓ પોતાની જાતને અને પૂછો; કે દસ, વીસ કે ત્રીસ વરસ પહેલાં તમારી કૉન્ગ્રેસી સેક્યુલરિઝમ પરની શ્રદ્ધા ઊઠી ગઈ હતી અને તમે જ્યારે વટલાયા હતા એ અત્યારે જેવું રાજ્ય જોવા મળે છે એને માટે? અત્યારે જે દેશમાં બની રહ્યું છે એની સામે તમારે કાંઈ પણ કહેવાનું ન હોય તો એનો અર્થ એ થાય કે તમે સાચા સેક્યુલરિસ્ટ નહોતા, કોમવાદી હતા. તમે તમારી જાતને છેતરતા હતા, એટલે સંઘપરિવારની વાતમાં આવી ગયા હતા. તમે જ્યારે સેક્યુલર-લિબરલો સામે સ્યુડો સેક્યુલરિઝમનો આરોપ કરતા હતા, ત્યારે તમે તમારાં કોમવાદી ચહેરાને છુપાવતા હતા. જો તમે હિન્દુ કોમવાદી નથી અને સાચા સેક્યુલરિસ્ટ છો અને છતાં મૂંગાં છો અથવા જે બની રહ્યું છે તેનો બચાવ કરતા હો તો તમે મૂર્ખ અને કાયર છો. શક્યતા માત્ર બે જ છે; કાં તમે હિન્દુ કોમવાદી હતા એટલે સમય વર્તીને વટલાયા હતા, અથવા સત્યના પક્ષે ઊભા રહેવાની હિંમતનો અભાવ છે.

ઉત્તર પ્રદેશના બુલંશહરમાં હિન્દુ પોલીસ ઓફિસર સુબોધ કુમાર સિંહની હત્યાની ઘટના નિર્દોષ ઘટના નથી. સુબોધ કુમાર દાદરીમાં ગૌરક્ષકોએ મહમ્મદ અખલકની હત્યા કરી તેની તપાસ કરતા હતા. અખલકના ઘરના ફ્રીજમાંથી ગાયનું માંસ હતું તેવો આરોપ કરીને ગૌરક્ષકોએ કાયદો હાથમાં લીધો હતો. એ ઘટનાની તપાસ કરનારા સુબોધ કુમાર એવાં તારણ પર આવ્યા હતા કે અખલકના ઘરમાં ગોમાંસ નહોતું અને ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈને ગુનો કર્યો હતો. સુબોધ કુમારની હત્યાનું કારણ આ હતું. અમે જ્યારે સાચા હિન્દુઓ કહીએ કે અખલકના ઘરમાં ગોમાંસ હતું એટલે હતું, નહોતું એવું કહેનાર પોલીસ ઇન્સ્પેકટર કોણ?

આનો અર્થ એ થયો કે તમારી કલ્પનાના સાચા સેક્યુલર રાજ્યમાં મુસલમાન નિર્દોષ હોય તો પણ તરફદારી કરવાની નહીં. જો કોઈ સત્યનો પક્ષ લેશે તો તેના હાલ સુબોધ કુમાર જેવા કરવામાં આવશે એવો આમાં સંકેત છે. આ કાયદો અને વ્યવસ્થા જોનારાઓને આપવામાં આવેલો સંદેશો છે. હવે પછી આવો સંદેશો અદાલતના કોઈ જજને, સત્યનો પક્ષ લેનારા પત્રકારને અને કર્મશીલને આપવામાં આવશે અને એ સાથે ભયનું વર્તુળ પૂરું થઈ જશે. શું તમે આવા સાચા સેક્યુલરિઝમની તલાશમાં વટલાયા હતા? મુસ્લિમ વિશ્વમાં રોજ સોએક જેટલી હત્યાઓ થાય છે. ૯૯.૯૯ ટકા કેસમાં મારનાર પણ મુસ્લિમ અને મરનાર પણ મુસ્લિમ. બુલંદશહેરમાં મરનાર અને મારનાર બન્ને હિન્દુ છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 ડિસેમ્બર 2018

Loading

મારી નિખાલસતા અને માસુમિયત

નવ્યાદર્શ|Poetry|7 December 2018

સંધ્યાના ખિલતા રંગોને જોઇને હું ખિલી જતી હતી
ચાંદની રાતમાં
મારા વાળને ખુલ્લા રાખીને હું હીંચકામાં કેટલી ય રાતો ગાળી દેતી
તૈયાર થતાં થતાં હું મને ખુદને જ નિહાળી લેતી
એ ગાલ પર પડતાં ખંજનને જોયાં જ કરતી
અને હસતી રહેતી
હું મને જ પ્રેમ કરતી અને મને ખુદને જ માનતી.
મારી વાતો શરૂ થતી પણ તેનો અંત જ ન હોય
મારી દુનિયા હું જ હતી.
સૂરજના રાજમાં એની વાતોએ મારી ઊંઘ ઉડાડી
મારા ખુદના પ્રેમમાં એણે ભાગ પડાવ્યો
એના શબ્દોમાં હું જીવવા લાગી હતી
એની આંખોમાં સમાવા લાગી હતી
મારા હૃદયના ધબકાર એના અવાજ સાથે હિલ્લોળાતા
એના આગમનમાં અરીસો નાચી ઊઠતો
મારા ગાલ પરના ખંજનમાં શરમના શેરડા પડતાં.
પણ આદત કોને કહેવાય?
એ ન હોય ત્યારે એની ડાયરીનાં પાનાંઓ ફરી ફરી વાંચી જતી
હું મને એના અહેસાસમાં શોધવા લાગી હતી.
આ સમાજ પણ બહુ ખૂબ છે
જેટલું પ્રેમમાં માને છે
એટલો પ્રેમથી નથી માનતો,
જેમ સમય વિતતો ગયો
તેમ સમજમાં સમાજ વધતો ગયો
તેની અને મારી નજર હવે એક નહોતી
જ્યારે મળતાં
ત્યારે ખુશી કરતાં વિદાય અને વ્યથા વધુ હતાં
હવે દર્પણ પણ મને ભૂલી ગયો હતો મને હસાવતાં
મન હવે મારું માનતું નહોતું
એટલે બોલવા બોલાવવાના સંબંધો પણ વધી ગયા હતાં.
હું શું કહેવાં માંગુ છું
કદાચ તમે સમજતાં હશો
ખરું ને?
હું મને ખુદને જ ભૂલી ગઈ હતી
મારી માસુમિયત અને નિખાલસતા
મારાથી બહુ દૂર ચાલી ગઈ હતી
પેલે ક્ષિતિજને પાર.
જીવનના એવા સબક મળતાં રહ્યાં
લોકો મળતાં રહ્યાં
સમય બદલાતો રહ્યો
મૌસમ પલટાતો રહ્યો
મારા વાળ ક્યારેક બંધાતા તો ક્યારેક ખુલતાં લહેરાતા
મારી આંખો ફરી જોવા લાગી હતી આ દુનિયાને
બસ, નજરમાં ફેર એ હતો કે
પહેલાં જોતી હતી દુનિયાને નાદાન સમજી
આજે મને ખુદને જ નાદાન સમજું છું
આજે હળું છું, મળું છું અને સ્મિત પણ કરું છું
પણ દુનિયા માટે
ગલી ગલી, રસ્તા રસ્તા, હરું છું ફરું છું
મને ખુદને શોધતા
હું ખુદ જ ખોવાઈ છું.
દુનિયા કહે છે
‘હું બદલાઈ છું.’
મારું મન જાણે છે કે,
આ દુનિયા વચ્ચે
હું જ ખોવાઈ છું.
કોઈ મને ખુદ ને શોધી આપશે
અને હું ઊભું છું અરીસા સામે
મને ખુદને જોઈ હસું છું
પેલાં ગાલ પર પડતાં ખંજન વિલાઈ ગયાં છે
આંખો સુંદર છે, પણ શૂન્ય છે
હું મને ખુદને જ શોધું છું
મારા પ્રતિબિંબમાં ….

Email : nayvadarsh67@gmail.com

Loading

ગૃહોદ્યોગ, સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધોનું વર્તુળ તૂટી રહ્યું છે

આશા બૂચ|Opinion - Opinion|7 December 2018

આજકાલ વ્યક્તિગત અને સામૂહિક સ્વાસ્થ્ય વિષે વિવિધ પ્રકારનાં સંશોધનો થાય છે, તેના વિષે પુષ્કળ માહિતીનું વિતરણ થાય છે, એ મુદ્દે પ્રસારણ માધ્યમોમાં ચર્ચાઓ થાય છે અને ખાદ્ય પદાર્થો બનાવનારાં તેમ જ દવાઓ બનાવનારી કંપનીઓ જાણે પોતાને કમાણી કરવાનો અમૂલ્ય અવસર મળ્યો તે જવા ન દેવા કમર કસીને જાત જાતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણમાં મશગૂલ થયેલાં જણાય છે.

મેડિકલ ક્ષેત્રમાં સંશોધન કરનારાં સંગઠનો સરકારના આરોગ્ય ખાતાને તૈયાર ખાદ્ય પદાર્થો બનાવનાર અને વેંચનાર કંપનીઓને ખાંડ અને નમક ઓછું નાખવા ફરજ પાડવા આગ્રહ રાખી રહ્યા છે, કેમ કે ઘણાં રોગ અને માંદગીઓ માત્ર વૃદ્ધોને જ નહીં, યુવાનો અને નાનાં બાળકોને પણ ગ્રસી રહેલી છે. તો સામેથી આરોગ્ય ખાતું અને સુપર માર્કેટના અધિકારીઓ માતાપિતાને પોતાનાં બાળકો માટે વિવેકપૂર્વક ખોરાકની પસંદગી કરવા માટે જવાબદારી લેવા કહી રહ્યાં છે. વધુ પડતા મેદસ્વી હોવાનો પ્રશ્ન હોય કે ડાયાબિટીસ, હૃદયરોગની સંભાવના હોય કે કેન્સરની શક્યતાઓની વાત હોય, વ્યક્તિની જીવન પદ્ધતિની પસંદગીથી માંડીને ઉદ્યોગોની પ્રામાણિકતા, વેપારીઓની નૈતિકતા અને સરકારના ઉત્તરદાયિત્વ વિષે આંગળી ચીંધવાની પ્રણાલી જોર પકડતી જાય છે.

બીજી બાજુ કુટુંબ વ્યવસ્થા છિન્ન ભિન્ન થતી જાય છે, પડોશ સાથેના સંબંધો નહીંવત્‌ રહ્યા છે અને પરિણામે લોકોનાં માનસિક સ્વાસ્થ્ય અને સમાજની સલામતી વગેરે પર વિપરીત અસરો જણાવા લાગી છે તેની ય ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

બીજી બધી સમસ્યાઓની માફક ઉપર ઉલ્લેખ કર્યો એ તમામ પરિબળો સરખે નહીં તો વધતે ઓછે અંશે આપણાં શરીર અને મનનાં સ્વાસ્થ્ય માટે જવાબદાર છે, એવું અનુભવે કહી શકું. ચાર વર્ષના બાળકને રમતાં રમતાં ભૂખ લાગે તો જાતે વોકર્સની ક્રિસ્પસનું પેકેટ ઉપાડીને લઇ લેતાં જોઉં ત્યારે, મહિલાઓને મસાલાના પેકેટ ખરીદતાં જોઉં ત્યારે, દુકાનોમાં જાતજાતનાં અથાણાંઓની નાની-મોટી બરણીઓ હારબંધ ઊભેલી અને પછી ખરીદનારની ઝોળીમાં પડતી અને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતી જોઉં ત્યારે અને ફળોને ટીનના ડબ્બાઓમાં પેક થઈને બહાર નીકળવાની રાહ જોતાં જોઉં ત્યારે મને મારું બાળપણ યાદ આવે.

અમે રહ્યા મધ્યમ વર્ગના. વધુમાં માતા-પિતાએ હસ્તોદ્યોગ અને ગ્રામોદ્યોગથી પેદા થતી વસ્તુઓ વાપરવાનું વ્રત લીધેલું, એટલે ‘અપના હાથ જગન્નાથ’ એ મંત્રના જાપ જપીને મોટાં થયાં. કાતરી કરવા યોગ્ય બટેટા મળવા લાગે તેની જાણ અમારો શાકવાળો કરે. મારી મા શિક્ષિકા. શનિવારે અર્ધા દિવસની શાળા. બપોરે બટેટા લાવી કાતરી કરવા માટેનાં તમામ સાધનો એકઠાં કરી રાખીએ. બીજે દિવસે વહેલી સવારે બટેટા છોલી, કાતરી પાડીને મીઠાવાળાં ઉકળતાં પાણીમાં ઝબોળી તરત જૂની થયેલી સાડી પર તડકામાં સુકવી નાખવાની. બપોર થયે એક તરફ સુકાઈ ગયેલ કાતરીને ફેરવી લેવાની. સાવ કોરી થઇ જાય ત્યારે મોટા ડબ્બાઓમાં ભરી લેવાની. એ બધાં કામ સતત ધ્યાન માંગી લેતાં. ઘેર બનાવેલ કાતરીમાં મીઠું તો નામનું નાખીએ અને તે સિવાય બીજાં કોઈ સ્વાદ-રંગનાં મેળવણની જરૂર નહીં. તળીએ ત્યારે તેલ બહુ ઓછી માત્રામાં વપરાય તે મોટા થતાં સમજાયું. એટલું જ નહીં, ડબ્બો ભરીને કાતરી તળી હોય તો જેને જેટલી જોઈએ તેટલી જ લે, દરેક વ્યક્તિ 100 ગ્રામ કાતરી ખાય એ જરૂરી નહોતું/ તેની સરખામણીમાં આજે crispsના તૈયાર પડીકામાં અનેક સ્વાદ અને રંગના છંટકાવ કરેલા હોય છે. ઉંમર હોય પાંચ, પંચાવન કે પંચાશી, દરેક એ પેકેટમાંની બધી ક્રીસપ્સ ખાય તે તેમના શરીરને અનુકૂળ નથી હોતું.

કાતરી બનાવીને હાથ નવરા થાય ત્યાં મસાલા બનાવવાની ઋતુ આવી પહોંચે. મોટાં ભાગનાં લોકો મસાલા ઘેર બનાવતાં. હળદરના ગાંગડા ધોઈને સુકવી દેવાના. ત્યાર બાદ તેને ખાંડી અને દળવાની. એ જ રીતે સૂકા ધાણા શેકી, જીરા સાથે ભેળવીને ધાણા-જીરું તૈયાર કરવામાં આવતું. મારી આગલી પેઢીએ તો હાથ ઘંટી પર મસાલા દળેલાં, કોઈ ઘરમાં વીજળી સંચાલિત ઘંટી પર દળે તો બીજા નજીકની મિલમાં દળાવે, પણ સરવાળે એ તમામ મસાલા જાતે તૈયાર થતા. તેમાં જાત મહેનત અને શ્રમ ઉમેરાતા.

નવું અનાજ દાણાપીઠમાં આવે. બજારમાં ઘઉં આવે ત્યારે અમારા ઘરમાં પાંચ મણના બે કે ત્રણ કોથળા આવતા અને ઘરની દસ વર્ષની કુમારિકાથી માંડીને નેવું વર્ષની વડદાદી ઘઉં ચાળવા, વીણવા અને દિવેલ દઈને ભરવાના કામમાં જોડાઇ જતાં. ક્યારેક પાડોશીઓ પણ મદદમાં આવી જાય. ઘરના દરેક સભ્ય અને પાડોશીઓ આમ એકબીજાંની સાથે હસતાં વાતો કરતાં કામ કરતાં. પહેલાં હાથ ઘંટી અને ત્યાર બાદ વીજળીથી ચાલતી ઘંટી પર તાજા દળેલ લોટની રોટલી અને રોટલાની મીઠાશ ચાખી હોય તેવા લોકો આજે દુર્લભ હોવાના. આજે દુકાનમાંથી તૈયાર લોટ લઈને રોટલી કરતી ગૃહિણીઓ પણ ઓછી થતી જાય છે કેમ કે સુપર માર્કેટ તૈયાર રોટલી પણ વેંચે. આજે હવે પાડોશીઓ તો શું, ઘરના સભ્યોને પણ આવાં કામ સાથે મળીને કરવાની આવશ્યકતા નથી, આપણે  કેવા  નસીબદાર?

ઘરના બનાવેલ મસાલાને કેરી-ગુંદા આવે તેની રાહ રહેતી. દરેક પરિવારની જરૂરિયાત મુજબ કાચી કેરી અને ગુંદા લાવી. તેના બે-ચાર પ્રકારનાં અથાણાં બનાવવાં એ દરેક ગૃહિણીનો મન પસંદ ઉદ્યમ હતો. આથી જ દરેકને ઘેર જુદા જુદા સ્વાદનાં અથાણાં ચાખવાની લહેજત આવતી. કુટુંબ કે પાડોશમાંથી કોઈને એક પ્રકારનાં અથાણાં બનાવવાની ફાવટ હોય તો કોઈને બીજામાં. એક બીજાને બોલાવી તેમની પાસે શીખવા-શીખવવાની રસમ રહેતી.

આ રીતે મોટા ભાગની વસ્તુઓ ઘેર બનાવવાનો ચાલ હતો એથી કેટકેટલા ફાયદા થતા. એક તો તેનાથી કરકસર થતી. બીજું, ગૃહિણીઓની કાર્યકુશળતા વિકસતી અને જળવાઈ રહેતી અને પેઢી દર પેઢી વારસામાં મળતી રહેતી. આજે તો ગૃહિણીની આવડતનું મૂલ્યાંકન તેને ઘેર પાઠકનાં અથાણાં છે કે અહમદનાં તેના ઉપર આધાર રાખે. બીજો ફાયદો એ થતો કે દરેક વસ્તુઓમાં મીઠું, ખાંડ, તેલ, અન્ય મસાલાઓ પ્રમાણસર નાખવાનો નિયમ અનુસરે તેઓને સ્વાસ્થ્ય જાળવવાનો પણ ફાયદો થતો. એક વર્ષથી વધુ સમય પોતાનો માલ ટકાવવો હોય અને દૂર સુદૂરના દેશોમાં મોકલવો હોય, તેથી કંપનીઓએ બનાવેલ ખાદ્ય પદાર્થોમાં અનેક જાતના રંગ અને રસાયણોનાં મિશ્રણ આપણાં સ્વાસ્થ્યને હાનિકર્તા સાબિત થતાં જણાયાં છે. ત્રીજો અને કદાચ સીધી રીતે આવી બાબતોને સ્પર્શતો ન લાગે તેવો ફાયદો પારિવારિક અને સામાજિક સંબંધોની જાળવણીનો હતો. અગાઉ કહ્યું તેમ ઘરના નાના મોટા બધા સભ્યો પોતાનાથી શક્ય તે તમામ કામ કરે. સહકાર વધે. વડીલોના અનુભવ અને યુવાનોની શક્તિનો એકબીજાને લાભ મળે. પાડોશીઓ અને કુટુંબીઓ એકબીજાને મદદ કરવા હાજર થાય એટલે પરસ્પરનો પરિચય વધે અને મેલ-જોલ જળવાઈ રહે. આજે બૃહદ્દ સમાજ તો શું, એક જ શેરીમાં કે સોસાયટીમાં રહેતાં લોકો એકબીજાંને ભાગ્યે જ ઓળખતાં જોવાં મળે છે; એટલું જ નહીં, એક જ પરિવારના સભ્યોને પણ એકબીજાંની કુશળતા કે આવડતનું ભાન નથી હોતું. સાથે મળીને કામ કરવાથી વાતો કરતાં હસતાં હસાવતાં જે આનંદ થાય, તેનાથી આપણાં માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર થાય એ પુરવાર કરવાની જરૂર ઊભી થઇ છે. શેરી કે ગામમાં રહેતાં લોકો પરિચિત ન હોય તો તેમને હાનિ પહોંચાડવામાં હતાશ થયેલો કે ક્રોધે ભરાયેલ આદમી ખચકાય નહીં તેમાં નવાઈ શી?

સંભવ છે કે વધતી જતી શારીરિક અને માનસિક બીમારી અને સામાજિક સમસ્યાઓના કારણો શોધવા જતાં સાવ સામાન્ય લાગે તેવા જૂની ગણાતી જીવન પદ્ધતિના ખ્યાલોને ફરી મંચ પર લાવીને વિચાર કરવાની ફરજ પડે.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,0333,0343,0353,036...3,0403,0503,060...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved