Opinion Magazine
Number of visits: 9685793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમૃતસરની ઘટના સામૂહિક હત્યા ન કહેવાય?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 October 2018

જરા વિચારી જુઓ !

તમે અમેરિકામાં કે યુરોપમાં કોઈ માનસિક રોગીએ હાથમાં રિવોલ્વર લઈને દસ-વીસ જણાની સામૂહિક હત્યા કરી હોય એવા સમાચાર વાંચ્યા હશે, પરંતુ વાવાઝોડામાં, પૂરમાં કે ધરતીકંપમાં કે માનવભૂલના કારણે થતા અકસ્માતોમાં પચાસ માણસો માર્યા ગયા હોય, એવા સમાચાર વાંચ્યા છે? વળી સામૂહિક હત્યાઓની ઘટનાઓ વિશેષ કરીને માત્ર અમેરિકામાં જ બને છે, યુરોપના દેશોમાં બનતી નથી, એનું કારણ એ છે કે અમેરિકામાં શસ્ત્રો ધરાવવાનો પરવાનો આસાનીથી આપવામાં આવે છે. આપણે ત્યાં ડ્રાઈવીંગ લાયસન્સ મેળવતા જેટલો સમય લાગે એના કરતાં અડધા સમયમાં અમેરિકામાં શસ્ત્રો ધરાવવાનો પરવાનો મળે છે. આને કારણે મોટા ભાગે અમેરિકમાં જ સામૂહિક હત્યાઓની ઘટના બને છે. હવે અમેરિકામાં પણ શસ્ત્રો ધરાવવાનો પરવાનો આસાનીથી આપવામાં આવે છે, એની સામે ઊહાપોહ શરૂ થયો છે. પોતાની જિંદગી જેટલી જ બીજાની જિંદગીની કિંમત છે.

આપણી એવી ધારણા છે કે મનોરુગ્ણ માણસ વિફરે અને જે નુકસાન પહોંચાડે એનાં કરતાં કુદરત વિફરે ત્યારે અનેકગણું નુકસાન પહોંચાડી શકે. આ ધારણા ખોટી નથી. કુદરતની તાકાત સામે માનવી કોઈ વિસાતમાં નથી. તો પછી કુદરતી હોનારતોમાં થતાં મૃત્યુના અંક્ડામાં આટલો ફરક કેમ છે? આપણે ત્યાં સેંકડો કે હજારો માણસો મરે એ સ્વાભાવિક ઘટના કહેવાય અને અમેરિકા કે યુરોપમાં પચાસનો આંકડો તો અધધ કહેવાય. આનું પહેલું કારણ એ છે કે આપણા માટે માનવીની જિંદગીની કોઈ ખાસ કિંમત નથી. બીજું એનાથી પણ વધારે મહત્ત્વનું કારણ એ છે કે માનવી ક્યારે વિફરે એ કહેવું મુશ્કેલ છે, પણ કુદરત સંકેત આપ્યા વિના ભાગ્યે જ વિફરે છે. સંકેત મળતાની સાથે જ વહીવટીતંત્ર સાબદું થઈ જાય છે. જવાબ આપવો પડે એવી આધુનિક રાજ્યવ્યવસ્થા હોય, સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો હોય અને માણસો મૃત્યુ પામે? ત્યાં ડિઝેસ્ટર મેનેજમેન્ટ ડિઝેસ્ટર થાય એ પહેલાં કામે લાગી જાય છે અને એ પછી તો હોનારતને હંફાવે છે.

આપણે ત્યાં વરસે દહાડે દસેક હજાર માણસો અતિશય ઠંડીને કારણે, અસહ્ય ગરમીને કારણે, ખૂબ વરસાદ અને પૂરને કારણે મરે છે. દર વરસનો અનુભવ છે, પણ વહીવટીતંત્રને કોઈ ફરક પડતો નથી. ગરમી અને ઠંડીમાં વધારો એકાએક થતો નથી. શહેરમાં કેટલાં લોકો આશ્રય વિનાના છે અને રસ્તા પર સૂવે છે, કેટલાં નિરાધાર લોકો બીમાર છે, કેટલાં લોકો નદીને કિનારે વસે છે, કેટલાં મકાનો જર્જરિત છે, કેટલાં લોકો ભૂસ્ખલન થઈ શકે એવા પહાડો કે ટેકરાઓની તળેટીમાં વસે છે, એની શાસકોને જાણ નથી હોતી? બધી જ જાણ હોય છે, પરંતુ માનવીની કિંમત હોય તો ને? આ બધી દુર્ઘટનાઓને જ્યાં સુધી અકસ્માત તરીકે ખપાવવામાં આવે છે અને ખપાવવામાં આવશે ત્યાં સુધી આમ જ ચાલશે. અકસ્માત એટલે અકસ્માત. જેમાં ઘટના માટે અને તેના પરિણામ માટે કોઈ જવાબદાર ન હોય એનું નામ અકસ્માત.

આ અકસ્માતની ભારતીય વ્યાખ્યા છે, પ્રગતિશીલ દેશોમાં અકસ્માતની આવી વ્યાખ્યા કરવામાં આવતી નથી. કોઈ ગાંડો માણસ વિફરે અને અનર્થ કરી બેસે એ અકસ્માત. બાકીની બધી જ દુર્ઘટનાઓ (કુદરતી સહિત) રોકી શકાય છે અને રોકી શકાય એમ ન હોય તો જાનહાનિ નિવારી શકાય છે. ટૂંકમાં પાશ્ચાત્ય રાજ્યવ્યવસ્થાના ધોરણો મુજબ કમોતે થતું માનવમૃત્યુ એ નિષ્ફળ રાજ્યનાં અને ફૂહડ શાસકોનાં લક્ષણો છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં વરસે દહાડે ૧,૫૦૦ જેટલાં લોકો ભીડને કારણે ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ પામે છે. આ અકસ્માત છે? વરસે દહાડે હજારેક બાળમજૂરો ફટાકડાનાં કારખાનાંઓમાં કે અન્ય મજૂરીનાં સ્થળે મૃત્યુ પામે છે એ અકસ્માત છે? દર વરસે હજારેક લોકો જ્યાં ત્યાં ઉત્સવ કે મેળાઓમાં થતા અકસ્માતો કે ભાગદોડમાં માર્યાં જાય છે એ અકસ્માત છે? શાસકોને ખબર નથી હોતી કે દર વરસે કેટલાં માણસો આવે છે અને કેટલી વ્યવસ્થાની જરૂર છે? વરસોવરસ લોકોની હાજરીમાં કેટલાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે? દર વરસે જે તે રોગના ઉપદ્રવને કારણે હજારેક લોકો મરે છે એ અકસ્માત છે? ભારતનાં જુદાજુદા શહેરોમાં સોએક જેટલાં સફાઈ કામદારો ગટરમાં ઊતરીને મરણ પામે છે, એ અકસ્માત છે? મુંબઈ અને મહારાષ્ટ્રમાં દર વરસે દસ-વીસ ગોવિંદાઓ મટકી ફોડતા પડીને મૃત્યુ પામે છે એ અકસ્માત કહેવાય? કોઈ ફરક નથી પડતો, કારણ કે ભારતીય વ્યાખ્યા મુજબ જે મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં ન આવે એ અકસ્માત. હાથ ખંખેરી નાખવાનું નામ અકસ્માત.

શુક્રવારે અમૃતસર નજીક ટ્રેન નીચે કચડાઈ જવાથી ૬૦ જેટલાં લોકો માર્યાં ગયાં એ ઘટનાને અકસ્માત કહેવાય? ભારતીય ધોરણો મુજબ કહેવાય, કારણ કે કોઈએ કોઈને ઇરાદાપૂર્વક માર્યાં નથી; પરંતુ પાશ્ચાત્ય ધોરણો મુજબ એને રાજ્યની નિષ્ફળતા અને શાસકોની ફૂહડતા કહેવાય. ઉઘાડા રેલવે ટ્રેકની બાજુમાં રાવણદહનનું આયોજન કરવામાં આવે, તેને મંજુરી આપવામાં આવે, રેલવે સત્તાવાળાઓની મંજુરી લેવામાં ન આવે અને જો મંજુરી લેવામાં આવી હોય તો રેલવેના સત્તાવાળાઓ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન કરે, ટ્રેનની વ્હીસલ કે ઈમરજન્સીમાં આપવામાં આવતાં સૂચનો કાને પણ ન પડે એવો પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવામાં આવે, નેતા પોતે કેટલો લોકપ્રિય છે અને પોતાની પાછળ કેટલી ભીડ છે એ બતાવવા માટે તહેવારોનો ઉપયોગ કરે, લાલચો આપીને નાની જગ્યામાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવે, નેતાગીરીનો દુરુપયોગ કરીને સુરક્ષાને લગતાં સૂચનોની ઐસીતૈસી કરે અને પરિણામે જે દુર્ઘટના ઘટે એને અકસ્માત કહેવાય? સામૂહિક ખૂન શા માટે ન કહેવાય?

રાજ્ય નાદાર હોય, શાસકો ફૂહડ હોય, કોઈનું રૂંવાડું ફરકતું ન હોય, અનુભવમાંથી કોઈ કાંઈ શીખતું ન હોય એવો આપણો દેશ છે. આ દેશના શાસકો વ્યવસ્થામાં સુધારો કરીને પ્રગતિશીલ દેશોની બરોબરી કરવાની ત્રેવડ નથી ધરાવતા, એટલા માટે બુલેટ ટ્રેનનો આશરો લે છે. બુલેટ ટ્રેન વિકાસનું પ્રતીક નથી, નાદારીનું પ્રતીક છે. જાતને અને પ્રજાને છેતરવાનું પ્રતીક છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 અૉક્ટોબર 2018

Loading

પ્રિયતમ સખે ચંદુભાઈ મટાણી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|21 October 2018

જાણે કે શબ્દ ને સૂર થીજી ગયા હોય, તેવો માહોલ અહીં વર્તાય છે. ગુજરાતી આલમે ચોમેર સોપો પડી ગયો છે. શનિવાર, 28 જુલાઈ 2018ના  રાતે નવેકને સુમારે ચંદુભાઈ મટાણીએ લેસ્ટર નગરે વિદાય લીધી, તેની જોડાજોડ વિલાયતની ભૂમિ પર વાદળ છવાઈ ગયાં હોય તેવો અનુભવ છે. ગઈ સાલ, કુમુદબહેન મોટા ગામતરે સિધાવ્યાં હતાં, અને હવે ચંદુભાઈ એમનો સધિયારો મેળવવા જાતરાએ નીકળી ગયા. હવે તો સ્મરણની કેડીએ … …

ખેર ! 

ચંદુભાઈ જોડેના સખાભાવને જોત જોતામાં અાશરે ચારેક દાયકાઅો થવામાં છે. ’ગુજરાતી સાહિત્ય અકાદમી’ની બીજી ભાષા-સાહિત્ય પરિષદની, લેસ્ટર ખાતે, વ્યવસ્થાના તે દિવસો હતા. ઝામ્બિયાથી અા મુલકે તેવાકમાં જ સ્થાયી થવા અાવેલા ચંદુભાઈ મટાણી તેમ જ લેસ્ટરના જાણીતા શહેરી માધુભાઈ સોનીના વડપણમાં, સ્થાનિક સ્તરે, સ્વાગત સમિતિની રચના કરવામાં અાવી હતી. લેસ્ટરના બેલગ્રેવ રોડ અને મેલ્ટન રોડના લગભગ ચોખંભે ત્યારે ચંદુભાઈની દુકાન હતી, તેવું સાંભરણ છે. તેમની દુકાને, તેમના ઘરે પણ, અા અંગેની નિયિમત બેઠકો થતી અને તે દરેકમાં ભાગ લેવા લંડનથી અાવરોજાવરો રહેતો. તેવા તેવા દિવસોથી જ જાણે કે એમનું વ્યક્તિત્વ સતત અાકર્ષતું રહ્યું; અને સમયની કેડીએ તે સંબંધ વિસ્તરીને અંગત મૈત્રીમાં ય ફેરવાઈ ગયો. ‘પૂર્વાલાપ’ના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, સખા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને ઉદ્દેશીને, ગાય છે તેમ, ચંદુભાઈને ય ઉદ્દેશવાનું, અાથીસ્તો, મન છે :

ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે  સૌમ્ય વયનાં
સવારોને  જોતો  વિકસિત  થતાં  શૈલશિખરે;
અને  કુંજે  કુંજે  શ્રવણ  કરતો  ઘાસ  પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !

….. અને અાટઅાટલાં વરસોની અા સહિયારી યાત્રાના દરેક પડાવે જોતો રહ્યો છું : સંગીત પ્રત્યેની એમની લગની; સાહિત્ય માટેની રસિક અભિરુચિ; પારાવાર વાંચન; જાહેર જીવન માટેના કેટલાક અાદર્શો; સંસ્થાસંચાલનની મથામણ; પ્રકૃતિએ વિવેક બૃહસ્પતિ; મધમીઠી પરોણાગત; મૈત્રીમાં સતત કૃષ્ણનો ભાવ; − અને અામ, અાવી અાવી અા યાદી પણ ક્ષિતિજે વિસ્તરી શકે છે.

ચંદુભાઈએ વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સાથેનો સંપર્ક જેમ જીવંત રાખ્યો હતો, તેમ, અા પાસ, ગીતસંગીતના પ્રસારણ માટે દાયકાઅોથી અગ્રગામી સંસ્થા તરીકે જેની નામના બંધાઈ છે તે તેમની ‘શ્રુિત અાર્ટ્સ’ સાથેની ઘનિષ્ટતા મેં સ્વાભાવિક કેળવી જાણી છે. વળી, અારંભથી એમણે “અોપિનિયન” સંગાથે ફક્ત તંતુ જોડી જ નહોતો રાખ્યો, અનેકોના તાર પણ સાંધી અાપ્યા હતા. અાજ સુધીનો અનુભવ કહે છે કે તે સરેરાશ એક ઉમદા વાચક નીવડ્યા છે.

અામ જોઈએ તો ચંદ્રસિંહ ગોરધનદાસ મટાણી માંડવી(કચ્છ)નું સંતાન. અને માંડવીને ય પોતીકો પોરસાવતો ઇતિહાસ છે. રુકમાવતી નદીને કાંઠે, દરિયા િકનારે, વિસ્તરેલા અા માંડવી નગરને અાશરે ચારસો સાલનો ધબકતો ઇતિહાસ વીંટળાયો પડ્યો છે. વળી, લગભગ ૧૮મી સદીથી અહીંનું બંદર દેશાવરી વહાણવટા ક્ષેત્રે ધબકતું અાવ્યું છે. હિંદી મહાસાગરને અારેઅોવારે પલોંઠ લગાવી જામેલા, દૂરસુદૂરના અનેક દેશો સાથે, તેને અાથી નિજી સંબંધ બંધાયો હતો. અાવા કોઈક તબક્કે, અાપણા ચંદુભાઈ મટાણીએ અાફ્રિકાની વાટ લીધી. કહે છે કે પહેલાં તે મોઝામ્બિક ગયા. તે દિવસોમાં ત્યાં તેમના મોટાભાઈ હતા. તેમની પાસે બેરા બંદરી નગરમાં ચંદુભાઈએ બે’ક મહિનાઅો અાનંદમોજમાં વિતાવ્યા હશે. અને પછી, તત્કાલીન ન્યાસલૅન્ડના પાટનગર બ્લાન્ટાયરમાં, નસીબને પલોટવા રહ્યા. મલાવી તરીકે અોળખાતા અા મુલકમાં, ચંદુભાઈએ બે’ક વરસ નોકરી કરી હશે. અને પછી, તેમની યુવાનીનો ઘોડો થનગનવા માંડયો; અને તેમણે, કોઈક ભાતીગળ પળે, ઘોડાને પલાણી, ત્યારના ઉત્તર રહોડેશિયાની (હાલના ઝામ્બિયાની) વાટ પકડી. અા સાહસ હતું અને તેમાં એ કામયાબ રહ્યા.

ત્યાં ચંદુભાઈની ક્ષિતિજ ધીમે ધીમે વિસ્તરતી ચાલી. મુફલીરા ગામે જમાવટ કરી. વેપારવણજનો જેમ પથારો જામ્યો તેમ તેમની ખુદની પાકટતા ય નીખરતી ચાલી. પોતાના અંતરમનમાં પડેલા સંસ્કારને કારણે, ફોટો કસબ પણ ખીલવ્યો. ગળું અને કંઠ પણ સોજ્જા. સંગીતમાં ઊંડો રસ. ખૂબ સાંભળે. સમજે. હિન્દી ફિલ્મજગતના ગાયક મૂકેશના ભારે ચાહક. પરિણામે, ચંદુભાઈ મજલિસ જમાવે અને મૂકેશે ગાયેલાં એકમેકથી ચડિયાતાં ગીતોની હૂબહૂ જમાવટ કરે. બીજી પા, સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીની આવનજાવન અને એમનો ઊંડો પાસ લાગ્યો; તેમ આપણા શિરમોર ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રવાસનો ય રંગ લાગ્યો. આ બધું સ્વાભાવિકપણે એમના પાયામાં ધરબાયું છે. સુગમ સંગીતને ક્ષેત્રે, જેમનાં એકમેકથી ચડિયાતાં કામોના ચોમેર આજે સિક્કા પડે છે, તેવા આ ચંદુભાઈ મટાણીની ભેરુબંધી, ગોવિંદભાઈ પટેલ સંગાથે સન ૧૯૫૫થી બંધાઈ. એક પેટી વગાડે, બીજા તબલાં પર સંગત કરે અને છતાં, પાછા, બંને ગાય – ગીતો, રાસ, ભજનો, અને ઘણુંબધું. સંગીત સંગે, ઝામ્બિયામાં અને વિલાયતમાં, આ બેલડાએ એક વાતાવરણ ઊભું કર્યું, સમાજ ઊભો કર્યો. બીજી પાસ, વિલાયતમાં લેસ્ટરથી, ‘શ્રુતિ આર્ટ્સ’ની રચના વાટે ચંદુભાઈ મટાણીએ તો કમાલ કરી જાણી છે.

િવલાયતમાંના અા ચારેક દાયકાઅો દરમિયાન, ‘શ્રુિત અાર્ટ્સ’ સંસ્થાનો વિકાસ, ચંદુભાઈની રાહબારીમાં, કૂદકે અને ભૂસકે જામ્યો છે. દર વર્ષ થતી રહેલી તેની વિવિધ પ્રવૃત્તિઅો દ્વારા જ અા વ્યાપ સહજ દેખાઈ અાવે છે. વળી, ‘સોના રૂપા’ વાટે, ગીત-સંગીતની ક્ષિતિજ હવે ખંડખંડે વિસ્તરી છે. ‘સોના રૂપા’ હેઠળ વિધવિધ પ્રકારનાં સંગીતની અૉડિયો કસેટ, ડિ.વી.ડી. તેમ જ સી.ડી.નું િનર્માણ થયું છે. અા અાખી યાદી નજરે પડે ત્યારે જ તેની સભરતા સમજાય. જોનારને અા કામમાં સમજણ અને દૂરંદેશી અારોપાયેલી જોવા સાંપડે. અા સમૂળા પ્રકલ્પમાં, હવે, પુત્ર હેમન્ત મટાણીની અાગેવાની ભળી છે. તેમણે પૂરી નિષ્ઠા સાથે સંગીતનું સરસ અને સફળ પ્રસારણ તથા વિસ્તરણ કર્યું છે. અા અાખી ઝુંબેશે, ચંદુભાઈની લાંબા ગાળાની કામગીરીને બડું ગૌરવ બક્ષ્યું છે. મુંબઈના ‘ટાઈમ્સ’ જૂથે, મહાનગરી મુંબઈમાં તથા ભારતમાં ય ‘સોના રૂપા’ વાટે તૈયાર કરેલી અાવી અાવી સંગીત સામગ્રીઅો મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી છે. તે ખુદ એક મોટી હરણફાળ છે. વળી, સુરેશ દલાલ, અાિસત દેસાઈ, હેમાંગિની દેસાઈ શાં મિત્રોની ય હૂંફ તેમને નિરંતર રહી છે.  

આટઆટલાં વરસોનું એમનું આ તપ, હવે, ડાયસ્પોરિક ગુજરાતી જનજીવનના ઇતિહાસનું એક સોનેરી પૃષ્ઠ બની બેઠું છે. ચંદુભાઈ મટાણીનું અાદિમ સ્વરૂપ ખીલતું રહ્યું હોવાનું અનુભવાતું જોયુંજાણ્યું છે. દીકરો હેમન્ત તબલાં પરે સરસ સંગતિ અાપે. દીકરી સાધનાનો કંઠ યુગલગીતોમાં સામેલ રહે. પુત્ર હેમન્તભાઈની બંને દીકરીઅો – શેફાલી તથા નેહાલીને પલોટવામાં ચંદુભાઈએ કમાલ કરી. કેટલી ય મજલિસોમાં, અા બંને પૌત્રીઅોને દાદાજીને ગાયકીમાં સક્રિય સંગતિ અાપતાં ભાળી છે. પોતાનાં ત્રીજા સંતાન, સાધનાબહેનના ચિરંજીવ રોહનને પણ ચંદુભાઈએ ગીતસંગીતની મજલિસમાં ક્યારેક સામેલ કરવાનું રાખ્યું. અાવી ઘટનામાં કોઈને પોત્રીઅો – દોહિત્ર માટેનો મમત કદાચ લાગે; પણ ના, એ એમ નથી. હકીકતે, ગુજરાતી સંગીતની જીવાદોરી, એમણે એમના પછીની, પહેલી શું, બીજી પેઢી સુધી, ખેંચી આપી. આ સ્પષ્ટપણે વર્તાય છે. આ મટાણી ઘરાણાની બરકત છે.

પત્ની કુમુદબહેને, પુત્ર હેમન્ત અને પુત્રવધૂ પ્રીતિએ, પુત્રીઅો – દીના અને સાધનાએ પણ ચંદુભાઈના ગોવર્ધનને ઊંચકવામાં ડાંગનો સતત અને સજ્જડ હૂંફટેકો દીધા કર્યો. માંડવીના અા નબીરાએ બેરા, બ્લાન્ટાયર, મુફલીરા અને લેસ્ટર મુકામે થાણા જમાવ્યા, અને અા દરેક થાણે, એમનો ગઢ મજબૂત બનતો જ ચાલ્યો.

ચંદુભાઈના મતે, અા આઠ દાયકા ઉપરાંતની મજલમાં, તેમને ત્રેવડો સંતોષ રહ્યો. ત્રણ ત્રણ પેઢી વિસ્તરેલો તેમનો પરિવાર સુદૃઢપણે સંયુક્ત રહ્યો છે. છેલ્લાં દશ વર્ષ દરમિયાન, કુમુદબહેનની માંદગી વેળા હેમન્ત, પ્રીતિ તથા પરિવારનાં અપાર હૂંફ અને સાથ મળ્યાં. સંયુક્ત કુટુંબની અા દેણગીને તે પરમકૃપાળુની પ્રસાદી લેખતા. વળી, પોતાને તંદુરસ્ત અાયખું મળી શક્યું છે તેનો ય તેમને પારાવાર અાનંદ રહ્યો. 2017-18ના સંદી સમય લગી ભરપૂરપણે ગાઈ શકાયું છે, તેથી સંતોષ રહેતો, તેમ પણ ચંદુભાઈ સતત કહેતા રહ્યા. અાટલું કમ હોય તેમ, વિલાયતમાં, અાફ્રિકામાં તેમ જ ભારતમાં બહોળું મિત્રવર્તુળ ઊભું થઈ શક્યું, તેને ચંદુભાઈ જીવનની મોટી કમાણી ગણતા. અાથીસ્તો, કુદરત પ્રત્યે તે અોશિંગણભાવ વ્યક્ત કરી જ લેતા.

ગુજરાતી ગીતસંગીતના જ ફક્ત નહીં, ભારતીય ગીતસંગીતના પણ એ પરચમધારી. અા ક્ષેત્રે એ કર્મશીલ પુરવાર થયા છે અને એમનામાં અાપણા એક અગ્રસૂરિ તરીકેના ય અનેક લક્ષણો ફૂટ્યા છે. અાવા એક ‘પાંજો માળુ’નો, અંગત અંગત, મધમીઠો પરિચય રહ્યો. તેનું સદા ય ગૌરવ છે.

અાવા ચંદુભાઈની વિદાયને ખમવી અઘરી બની છે .. એમનું સતત અદકેરું સ્મરણ રહેજો.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[પ્રગટ : "નિરિક્ષક", 01 અૉક્ટોબર 2018]

Loading

એક વિશિષ્ટ અનુભવ

નવીન બેન્કર|Opinion - Opinion|20 October 2018

અમારા શહેર હ્યુસ્ટનમાં, કોઇ સંસ્થાએ થોડાં વર્ષો પહેલાં, રઈસ મનીઆર નામના એક ગઝલકાર-કવિનો કાર્યક્રમ યોજેલો. હું જુવાન હતો, ત્યારે મને ય કવિ થવાની ચળ ઉપડેલી. અને મેં નિરંજન ભગતની કવિતાઓ વાંચેલી. બરકત વિરાણી (બેફામ), આસિમ રાંદેરી જેવાની રચનાઓ મને બેહદ પ્રિય.

હું કાંઇ કવિ તો હતો નહીં, પણ હું કવિતા લખી શકું છું એમ બતાવીને મારી ક્લાસની અમુક છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનું મને ગમતું. એટલે આસિમ રાંદેરીની ‘લીલા’ને આધારે, મેં એમાં થોડા ઘણા સુધારા-વધારા કરીને, અમુક છોકરીને એમ લાગે કે મેં એના પર જ આ કવિતા લખી છે એ રીતે રજૂઆત કરતો અને પાછો કહેતો કે ‘ના .. ના .. આ મેં નથી લખી આ તો NB એટલે કે નિરંજન ભગતે લખેલી છે. પેલી છોકરી તો NB એટલે નવીન બેન્કર જ સમજે ને ! અને .. પછી શરમાઇ જતી અને મને અહોભાવથી જોતી.

આ બધી ફેબ્રિકેટેડ કવિતાઓની ડાયરી મેં આજે મારી ૭૮ વર્ષની ઉમ્મરે પણ સાચવી રાખી છે અને અમારી સાહિત્યની મંડળીના મારા જેવા રસિક સમવયસ્ક મિત્રો (પ્રવીણકાંત શાસ્ત્રી જેવા) સાથે શેર કરીને, ખૂબ હસીએ છીએ. મારી જૂની રોમેન્ટિક પોકેટ બુકો કે જે એ જમાનામાં ( ૧૯૬૪ થી ૧૯૬૮) બબ્બે રૂપિયાની કિંમતે ફૂટપાથ પર આકર્ષક મુખપ્રુષ્ઠમાં વેચાતી એની પણ વાતો કરીએ.

 ખેર ! હું જરા આડી વાતે ઊતરી ગયો. આપણે વાત રઈસ મનીઆરના કાર્યક્રમની કરવાની છે.

હું ત્રીસેક વર્ષથી આ શહેરમાં બનતી ગતિવિધિઓ અંગે અહેવાલો લખું અને ‘નયા પડકાર’, ‘ગુજરાત ટાઇમ્સ’, ‘ગુજરાત સમાચાર’ અને બીજા લોકલ ફરફરિયાઓમાં છપાવું. ક્યારેક નાટકોનાં અવલોકનો લખું અને સિનિયર સિટીઝન્સ મંડળમાં મીમિક્રી કરીને લોકોને હસાવું એટલે લોકો મને ઓળખે. ઉંમરને કારણે પણ લોકો રિસ્પેક્ટ આપે એટલે મને સિનિયર્સ મંડળમાં ટિકિટો વેચવા આપેલી. સિનિયર્સ માટે માત્ર સાત ડોલરનો ભાવ હતો.

પહેલાં તો મેં, રઈસભાઇ કેટલા મોટા ગજાના ગઝલકાર અને કવિ છે, તેમણે કેવી મહાન વ્યક્તિઓ વિશે પુસ્તકો લખ્યાં છે, કેટલા રૂપાળા છે, કેવું મીઠું મીઠું બોલે છે એની વાતો કરીને મારું જ્ઞાન પ્રદર્શિત કર્યું હતું. અને અંતમાં કહ્યું હતું કે ત્રણ કલાકના કાર્યક્રમને અંતે સ્વાદિષ્ટ ભોજન અપાશે.

હવે  શ્રોતાજનોમાંથી થયેલા પ્રશ્નો –

૭૦+ ઉમ્મરનાં એક ડોશીમા ઊભા થયાં – માફ કરજો. અમેરિકામાં ‘ડોશી’ને ડોશી નથી કહેતા. યંગ લેડી કહે છે. પણ આ લેખમાં તો મારે એ વ્યક્તિ માટે ‘ડોશી’ જ લખવું છે. કે..મ ? એ તમે જ નક્કી કરજો.

‘તે હેં, નવીનભાઈ, એ ભઈ શેની કવિતાઓ કરે છે ?’ આ મણિયાર એટલે પેલા અમદાવાદમાં બાલાહનુમાન પાસે ચૂડા વેચતા’તા એ પ્રિયકાંત મણિયારના દીકરા થાય ?'

મેં કહ્યું – ‘ના .. આ મણિયાર નથી, મનીઆર છે. સુરતના ડેન્ટિસ્ટ છે.’

‘તે … દાંત પણ તપાસશે ?’   (ઓ તારું ભલું થાય …)

‘ભોજનમાં શી શી વાનગીઓ આપવાના છો?’ 

મેં કહ્યું – ‘દાળભાત, પૂરી, શાક, કઠોળ, શીખંડ,પાપડ, અથાણું વગેરે …'

‘તે આ બધું માત્ર સાત જ ડોલરમાં ?’

‘હા .. અને ઉપરથી હસાવવાના ટુચકા, કવિતાઓ, ગઝલો -’

‘એ તો જોણેં હમજ્યા, પણ ખાવાનું પહેલાં દેવાનું કે કવિતાઓ હંભળાવ્યા પસે ?’

મેં કહ્યું – ‘કાર્યક્રમને અંતે.’

‘ભલે … તો અમારી તૈણ ટિકિટો આલો.'

બીજાં કેટલાંકે પણ ટિકિટો લીધી.

કાર્યક્રમ અડધો પત્યો, પછી એ ડોશીનો ફોન આવ્યો – ‘નવીનભાઈ, મારી દીકરીને સ્થળ પર આવવા માટે ડાયરેક્શન લખાવો ને ! એ વોલમાર્ટમાંથી હમણાં જ આવી, અમે તૈયાર થઈને નીકળીએ જ છીએ.’

મને કેટલો ગુસ્સો આવ્યો હશે એની તમને કલ્પના પણ નહીં આવે. આમે ય હું તામસી પ્રકૃતિનો અને અપશબ્દોનો છૂટથી ઉપયોગ કરવાની ટેવ ધરાવું છું. 

મેં કહ્યું – ‘શું કહ્યું ? મોટેથી બોલો .. સંભળાતું નથી .. અહીં વાઈ-ફાઈ કનેક્શન નથી .. સંભળાતું નથી.’  અને પછી ફોન કાપી નાંખ્યો અને ભોજન પત્યું ત્યાં સુધી ફોન બંધ જ રાખ્યો.

સાચા સાહિત્યરસિકોને તો રસના ઘુંટડા ગળાવે એવો સરસ કાર્યક્રમ હતો અને ગુજ્જુઓએ માણ્યો પણ હતો. હું ‘ગુજ્જુ’ શબ્દપ્રયોગ કરું છું એ ઘણાંને ગમતું નથી. પણ જે લોકો સમયપાલન અને શિસ્તને સમજતા નથી અને વિવિધ મંદિરોમાં મફતિયું ખાવાં માટે લાઇનો લગાવે છે, એવાં લોકો માટે જ હું આ શબ્દપ્રયોગ કરું છું. તમને આસ્થા હોય એવા એકાદ મંદિરમાં પ્રસંગોપાત, ક્યારેક મહાપ્રસાદ લેવા માટે લાઇનમાં ઊભા રહો એ ક્ષમ્ય છે. અથવા પત્નીની બીકે, એના ડ્રાઇવર તરીકે જવું પડ્યું હોય એવા  – મારા જેવા – લોકો માટે આ શબ્દપ્રયોગ લાગુ પડતો નથી.

******************

e.mail : navinbanker@yahoo.com

6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 U.S.A.

Blog : navinbanker.gujaratisahityasarita.org

Loading

...102030...3,0013,0023,0033,004...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved