જરા વિચારી જુઓ !
તમે અમેરિકામાં કે યુરોપમાં કોઈ માનસિક રોગીએ હાથમાં રિવોલ્વર લઈને દસ-વીસ જણાની સામૂહિક હત્યા કરી હોય એવા સમાચાર વાંચ્યા હશે, પરંતુ વાવાઝોડામાં, પૂરમાં કે ધરતીકંપમાં કે માનવભૂલના કારણે થતા અકસ્માતોમાં પચાસ માણસો માર્યા ગયા હોય, એવા સમાચાર વાંચ્યા છે? વળી સામૂહિક હત્યાઓની ઘટનાઓ વિશેષ કરીને માત્ર અમેરિકામાં જ બને છે, યુરોપના દેશોમાં બનતી નથી, એનું કારણ એ છે કે અમેરિકામાં શસ્ત્રો ધરાવવાનો પરવાનો આસાનીથી આપવામાં આવે છે. આપણે ત્યાં ડ્રાઈવીંગ લાયસન્સ મેળવતા જેટલો સમય લાગે એના કરતાં અડધા સમયમાં અમેરિકામાં શસ્ત્રો ધરાવવાનો પરવાનો મળે છે. આને કારણે મોટા ભાગે અમેરિકમાં જ સામૂહિક હત્યાઓની ઘટના બને છે. હવે અમેરિકામાં પણ શસ્ત્રો ધરાવવાનો પરવાનો આસાનીથી આપવામાં આવે છે, એની સામે ઊહાપોહ શરૂ થયો છે. પોતાની જિંદગી જેટલી જ બીજાની જિંદગીની કિંમત છે.
આપણી એવી ધારણા છે કે મનોરુગ્ણ માણસ વિફરે અને જે નુકસાન પહોંચાડે એનાં કરતાં કુદરત વિફરે ત્યારે અનેકગણું નુકસાન પહોંચાડી શકે. આ ધારણા ખોટી નથી. કુદરતની તાકાત સામે માનવી કોઈ વિસાતમાં નથી. તો પછી કુદરતી હોનારતોમાં થતાં મૃત્યુના અંક્ડામાં આટલો ફરક કેમ છે? આપણે ત્યાં સેંકડો કે હજારો માણસો મરે એ સ્વાભાવિક ઘટના કહેવાય અને અમેરિકા કે યુરોપમાં પચાસનો આંકડો તો અધધ કહેવાય. આનું પહેલું કારણ એ છે કે આપણા માટે માનવીની જિંદગીની કોઈ ખાસ કિંમત નથી. બીજું એનાથી પણ વધારે મહત્ત્વનું કારણ એ છે કે માનવી ક્યારે વિફરે એ કહેવું મુશ્કેલ છે, પણ કુદરત સંકેત આપ્યા વિના ભાગ્યે જ વિફરે છે. સંકેત મળતાની સાથે જ વહીવટીતંત્ર સાબદું થઈ જાય છે. જવાબ આપવો પડે એવી આધુનિક રાજ્યવ્યવસ્થા હોય, સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો હોય અને માણસો મૃત્યુ પામે? ત્યાં ડિઝેસ્ટર મેનેજમેન્ટ ડિઝેસ્ટર થાય એ પહેલાં કામે લાગી જાય છે અને એ પછી તો હોનારતને હંફાવે છે.
આપણે ત્યાં વરસે દહાડે દસેક હજાર માણસો અતિશય ઠંડીને કારણે, અસહ્ય ગરમીને કારણે, ખૂબ વરસાદ અને પૂરને કારણે મરે છે. દર વરસનો અનુભવ છે, પણ વહીવટીતંત્રને કોઈ ફરક પડતો નથી. ગરમી અને ઠંડીમાં વધારો એકાએક થતો નથી. શહેરમાં કેટલાં લોકો આશ્રય વિનાના છે અને રસ્તા પર સૂવે છે, કેટલાં નિરાધાર લોકો બીમાર છે, કેટલાં લોકો નદીને કિનારે વસે છે, કેટલાં મકાનો જર્જરિત છે, કેટલાં લોકો ભૂસ્ખલન થઈ શકે એવા પહાડો કે ટેકરાઓની તળેટીમાં વસે છે, એની શાસકોને જાણ નથી હોતી? બધી જ જાણ હોય છે, પરંતુ માનવીની કિંમત હોય તો ને? આ બધી દુર્ઘટનાઓને જ્યાં સુધી અકસ્માત તરીકે ખપાવવામાં આવે છે અને ખપાવવામાં આવશે ત્યાં સુધી આમ જ ચાલશે. અકસ્માત એટલે અકસ્માત. જેમાં ઘટના માટે અને તેના પરિણામ માટે કોઈ જવાબદાર ન હોય એનું નામ અકસ્માત.
આ અકસ્માતની ભારતીય વ્યાખ્યા છે, પ્રગતિશીલ દેશોમાં અકસ્માતની આવી વ્યાખ્યા કરવામાં આવતી નથી. કોઈ ગાંડો માણસ વિફરે અને અનર્થ કરી બેસે એ અકસ્માત. બાકીની બધી જ દુર્ઘટનાઓ (કુદરતી સહિત) રોકી શકાય છે અને રોકી શકાય એમ ન હોય તો જાનહાનિ નિવારી શકાય છે. ટૂંકમાં પાશ્ચાત્ય રાજ્યવ્યવસ્થાના ધોરણો મુજબ કમોતે થતું માનવમૃત્યુ એ નિષ્ફળ રાજ્યનાં અને ફૂહડ શાસકોનાં લક્ષણો છે.
મુંબઈની લોકલ ટ્રેનમાં વરસે દહાડે ૧,૫૦૦ જેટલાં લોકો ભીડને કારણે ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ પામે છે. આ અકસ્માત છે? વરસે દહાડે હજારેક બાળમજૂરો ફટાકડાનાં કારખાનાંઓમાં કે અન્ય મજૂરીનાં સ્થળે મૃત્યુ પામે છે એ અકસ્માત છે? દર વરસે હજારેક લોકો જ્યાં ત્યાં ઉત્સવ કે મેળાઓમાં થતા અકસ્માતો કે ભાગદોડમાં માર્યાં જાય છે એ અકસ્માત છે? શાસકોને ખબર નથી હોતી કે દર વરસે કેટલાં માણસો આવે છે અને કેટલી વ્યવસ્થાની જરૂર છે? વરસોવરસ લોકોની હાજરીમાં કેટલાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે? દર વરસે જે તે રોગના ઉપદ્રવને કારણે હજારેક લોકો મરે છે એ અકસ્માત છે? ભારતનાં જુદાજુદા શહેરોમાં સોએક જેટલાં સફાઈ કામદારો ગટરમાં ઊતરીને મરણ પામે છે, એ અકસ્માત છે? મુંબઈ અને મહારાષ્ટ્રમાં દર વરસે દસ-વીસ ગોવિંદાઓ મટકી ફોડતા પડીને મૃત્યુ પામે છે એ અકસ્માત કહેવાય? કોઈ ફરક નથી પડતો, કારણ કે ભારતીય વ્યાખ્યા મુજબ જે મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં ન આવે એ અકસ્માત. હાથ ખંખેરી નાખવાનું નામ અકસ્માત.
શુક્રવારે અમૃતસર નજીક ટ્રેન નીચે કચડાઈ જવાથી ૬૦ જેટલાં લોકો માર્યાં ગયાં એ ઘટનાને અકસ્માત કહેવાય? ભારતીય ધોરણો મુજબ કહેવાય, કારણ કે કોઈએ કોઈને ઇરાદાપૂર્વક માર્યાં નથી; પરંતુ પાશ્ચાત્ય ધોરણો મુજબ એને રાજ્યની નિષ્ફળતા અને શાસકોની ફૂહડતા કહેવાય. ઉઘાડા રેલવે ટ્રેકની બાજુમાં રાવણદહનનું આયોજન કરવામાં આવે, તેને મંજુરી આપવામાં આવે, રેલવે સત્તાવાળાઓની મંજુરી લેવામાં ન આવે અને જો મંજુરી લેવામાં આવી હોય તો રેલવેના સત્તાવાળાઓ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન કરે, ટ્રેનની વ્હીસલ કે ઈમરજન્સીમાં આપવામાં આવતાં સૂચનો કાને પણ ન પડે એવો પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવામાં આવે, નેતા પોતે કેટલો લોકપ્રિય છે અને પોતાની પાછળ કેટલી ભીડ છે એ બતાવવા માટે તહેવારોનો ઉપયોગ કરે, લાલચો આપીને નાની જગ્યામાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવે, નેતાગીરીનો દુરુપયોગ કરીને સુરક્ષાને લગતાં સૂચનોની ઐસીતૈસી કરે અને પરિણામે જે દુર્ઘટના ઘટે એને અકસ્માત કહેવાય? સામૂહિક ખૂન શા માટે ન કહેવાય?
રાજ્ય નાદાર હોય, શાસકો ફૂહડ હોય, કોઈનું રૂંવાડું ફરકતું ન હોય, અનુભવમાંથી કોઈ કાંઈ શીખતું ન હોય એવો આપણો દેશ છે. આ દેશના શાસકો વ્યવસ્થામાં સુધારો કરીને પ્રગતિશીલ દેશોની બરોબરી કરવાની ત્રેવડ નથી ધરાવતા, એટલા માટે બુલેટ ટ્રેનનો આશરો લે છે. બુલેટ ટ્રેન વિકાસનું પ્રતીક નથી, નાદારીનું પ્રતીક છે. જાતને અને પ્રજાને છેતરવાનું પ્રતીક છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 અૉક્ટોબર 2018