Opinion Magazine
Number of visits: 9969007
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉન્ગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે અને નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહ્નેથી ખસી ચૂક્યો છે. આનો શ્રેય મુખ્યત્વે નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને જાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 January 2019

૨૦૧૩માં ૧૬મી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થયો ત્યારે એક વાતની શંકા હતી અને ત્રણ વાતની ખાતરી હતી.

શંકા એ હતી કે નરેન્દ્ર મોદી પૂરી તાકાત લગાવ્યા પછી પણ કદાચ ભારતીય જનતા પક્ષને બહુમતી નહીં અપાવી શકે. શંકા હોવાનું પહેલું કારણ એ હતું કે બી.જે.પી. હિન્દુત્વવાદી પક્ષ છે એટલે તેને ઉદારમતવાદી હિંદુઓના અને લઘુમતી કોમના મત નહીં મળે. બીજું કારણ એ હતું કે દેશનાં કેટલાંક રાજ્યોમાં બી.જે.પી. અને કૉન્ગ્રેસ સિવાયના બીજા પ્રાદેશિક પક્ષો મજબૂત છે એટલે બી.જે.પી.ને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાંક રાજ્યોમાં જોઈએ એટલી બેઠકો નહીં મળે. શંકા પાછળનું ત્રીજું કારણ એ હતું કે દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં બી.જે.પી. ખાસ કોઈ પ્રભાવ નથી ધરાવતી એટલે બી.જે.પી.એ ઉત્તર અને પશ્ચિમ ભારતની અંદાજે સવા ત્રણસો બેઠકોમાંથી ૨૭૨ બેઠકો મેળવવાની છે અને એ ભગીરથ કામ છે. બી.જે.પી.ના વિરોધીઓ અને રાજકીય સમીક્ષકોની વાત છોડો, ખુદ બી.જે.પી.ના સિનિયર મોસ્ટ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ બી.જે.પી.એ બિહારમાં નીતીશ કુમાર સાથેનું ગઠબંધન તોડી નાખ્યું ત્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લેખ લખીને આવો મત વ્યક્ત કર્યો હતો.

જે ત્રણ ખાતરી હતી એમાંની પહેલી ખાતરી એ કે લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો કારમો પરાજય થવાનો છે. સોની આસપાસ બેઠકો મળશે એમ ત્યારે ધારવામાં આવતું હતું. બીજી ખાતરી એ વાતની હતી કે રાહુલ ગાંધીમાં રાજકીય નેતૃત્વ કરવા જેટલી પરિપક્વતા નથી, આવડત પણ નથી અને તેનાથી પણ વધારે તેઓ સાતત્યપૂર્વક રાજકારણ કરી શકતા નથી. ભારતીય રાજકારણમાં પાર્ટ ટાઈમ રાજકારણ થતું નથી. પક્ષનો નેતા ચોવીસ કલાકનો રાજકારણી હોય છે અને ચોવીસ કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. ચિંતન-મનન કરવા માટેની છૂટી (સેબેટિકલ લીવ) ભારતીય રાજકારણીના નસીબમાં નથી હોતી. ટૂંકમાં રાહુલ ગાંધી નથી ભારતીય સમાજના સ્વરૂપને ઓળખતા કે નથી ભારતીય રાજકારણના સ્વભાવને ઓળખતા. આ સ્થિતિમાં રાહુલ ગાંધી કૉન્ગ્રેસ માટે બોજારૂપ છે.

ત્રીજી ખાતરી એ વાતની હતી કે જો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે (અને તેઓ બને એમ લાગતું જ હતું) તો તેઓ ઓછામાં ઓછી બે મુદ્દત માટે અને કદાચ ત્રણ મુદ્દત માટે સત્તા ભોગવશે. કોઈ તેમને ઊખેડી નહીં શકે. બી.જે.પી. પહેલી મુદ્દત કરતાં બીજી મુદ્દત માટે વધુ બેઠકો મેળવશે એની પણ ખાતરી હતી. આ વરસો કૉન્ગ્રેસ માટે વસમાં નીવડવાનાં છે અને એમાં કદાચ કૉન્ગ્રેસ વિભાજિત થઈને ખતમ પણ થઈ જાય એવું પણ લાગતું હતું. આવી ખાતરી હોવાનું કારણ એ હતું કે નરેન્દ્ર મોદી પાસે વિરોધના વાવાઝોડા સામે બચી નીકળતા અને સત્તાને પોતાના હાથમાં મજબૂતપણે કેન્દ્રિત કરતા આવડે છે. આ આવડત અસાધારણ છે.

આજે પાંચ વરસ પછી ત્રણે ત્રણ ખાતરીઓ ઉપરતળે થઈ ગઈ છે. કૉન્ગ્રેસ ત્રણ વરસની જગ્યાએ પાંચ વરસમાં બેઠી થતી નજરે પડી રહી છે. રાહુલ ગાંધીમાં કમાલનું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને નરેન્દ્ર મોદીના હાથમાંથી પરિસ્થતિ સરકી રહી છે. તેઓ બીજીવાર વડા પ્રધાન બનશે કે નહીં એ વિષે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની બધી તરકીબો નિષ્ફળ નીવડી રહી છે. આને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્લાન બી અમલમાં મૂકી દીધો છે અને નીતિન ગડકરીને આગળ કરવામાં આવી રહ્યા છે.

આવું કેમ બન્યું? કોણે આવી સ્થિતિ પેદા કરી? પરિસ્થિતિએ, રાહુલ ગાંધીએ કે ખુદ નરેન્દ્ર મોદીએ? થોડા ગમા-અણગમાને બાજુએ રાખીને આ વિષે વિચારવું જોઈએ. આમ પણ આપણી ઈચ્છા મુજબ બધું થતું નથી.

મારી સમજ મુજબ પહેલી ભૂલ નરેન્દ્ર મોદીએ કરી છે. એ ભૂલ ભારતને વિસ્તારિત ગુજરાત સમજી બેસવાની હતી. ગુજરાત મોડેલ આબેહૂબ ભારતમાં નહીં ચાલ્યું. શું હતું ગુજરાત મોડલ? શું એનાં લક્ષણો હતાં? ઇવેન્ટોને વિકાસના પર્યાય તરીકે રજૂ કરવાનું. રોજ નીતનવા ખેલ પાડતા રહેશું તો લોકોને એમ લાગશે કે દેશમાં અત્યાર સુધી જોવા નથી મળ્યું એવું કાંઈક નવું થઈ રહ્યું છે. એની સાથે વિરોધ પક્ષોને કચડી નાખવાના, સંસદનો ઓછામાં ઓછો સામનો કરવાનો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, સી.બી.આઈ. અને બીજી બંધારણીય સંસ્થાઓને મુઠ્ઠીમાં રાખવાની, સાચી-ખોટી સિદ્ધિઓની ખૂબ પ્રસિદ્ધિ કરવાની, મીડિયાને કબજામાં રાખવાના, પ્રજાને આંચકો આપે એવા નિર્ણયો લેવાના, વિરોધ પક્ષના નેતાઓનું મોરલ તૂટી જાય એટલી હદે નીચે ઊતરીને ટીકા કરવાની વગેરે. ગુજરાત મોડલ વિકાસશીલ શાસનનું મોડલ નહોતું, તરકીબી શાસનનું મોડલ હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહે એમ માની લીધું હતું કે ગુજરાતનું તરકીબી મોડલ રાષ્ટૃીય મોડલ બનાવી શકાશે અને ગાડું ગબડશે.

નરેન્દ્ર મોદીએ બીજી ભૂલ ભારતીય પ્રજામાં જે પ્રચંડ હતાશા વ્યાપ્ત હતી એની ઉપેક્ષા કરવાની કરી હતી. તેમની ગણતરી એવી હતી કે તેઓ હતાશાની અંદર આશા જગાડવાની ક્ષમતા ધરાવે છે, એટલું જ નહીં એ આશા ટકાવી રાખવાની પણ ક્ષમતા ધરાવે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ૨૦૧૩-૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતની પ્રજામાં આશા જન્માવી શક્યા હતા. હકીકતમાં એને કારણે તો તેમણે આ લખનાર જેવા રાજકીય સમીક્ષકોને અને ખુદ લાલ કૃષ્ણ અડવાણીને ખોટા સાબિત કર્યા હતા. હતાશાની વચ્ચે આશા પેદા કરવી એ બહુ મોટી સિદ્ધિ છે. આવું ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજી કરી શક્યા હતા. એ સમયે મેં આશા જન્માવવાની ક્ષમતાની બાબતે નરેન્દ્ર મોદીની તુલના ગાંધીજી સાથે કરી ત્યારે મારા એક વડીલ મિત્રે ટકોર પણ કરી હતી કે ગાંધીજી અને નરેન્દ્ર મોદી એક ત્રાજવે?

નરેન્દ્ર મોદીએ ત્યારે આશા તો પેદા કરી, પરંતુ હતાશાનું સ્વરૂપ અને તેનાં મૂળિયાં ક્યાં સુધી ફેલાયેલાં છે અને કેટલાં ઊંડાં છે એ સમજવાની તસ્દી નહોતી લીધી. કોઈ સમાજશાસ્ત્રીની મદદ લીધી હોત તો તે નરેન્દ્રભાઈને સમજાવત કે હતાશા એ રોકડી વાસ્તવિકતા છે અને આશા એ પોસ્ટ ડેટેડ ચેક છે. દિવસ ઊગે અને કવરાવનારી રોકડી વાસ્તવિકતાથી બચી શકાતું નથી. આશાની વાટ માણસ ક્યાં સુધી જુએ? બીજું, ૨૦૧૧ પછી ભારતીય સમાજમાં જે હતાશા પેદા થઈ હતી એ સાધારણ નહોતી. અણ્ણા હજારે જેવા નાસમજ અને બાબા રામદેવ કે શ્રી શ્રી રવિશંકર જેવા અંગત એજન્ડા ધરાવનારાઓની પ્રજાએ આંગળી પકડી હતી. માણસ જ્યારે તણખલાનો સહારો લે ત્યારે સમજી જવું જોઈએ કે સંકટ કેવું મોટું છે. ડૉ. મનમોહન સિંહનો વિરોધી પણ તેમની બુદ્ધિપ્રતિભા, તેમની આવડત, તેમની પ્રામાણિકતા અને તેમનાં સરોકાર વિષે શંકા નહીં કરે. આવો માણસ જ્યારે હતપ્રભ થઈ ગયો હોય અને બીજી બાજુ ઉપાયના અભાવમાં પ્રજા અણ્ણા હજારે અને બાવાઓની આંગળી પણ પકડી લેતી હોય ત્યારે એ હતાશાને ગંભીરતાથી લેવાની જરૂર હતી. 

પ્રજાને હતાશાનો ઉપાય જોઈતો હતો અને નરેન્દ્ર મોદી આશા, વધુ આશા અને હજુ વધુ આશા પેદા કરતા જતા હતા. ક્યાં સુધી આ ચાલે? ઉજળી કાલ ક્યારે ય આવે જ નહીં અને દરેક દિવસ આશાના નવા પડીકા સાથે ઊગે તો પ્રજા ક્યાં સુધી ધીરજ જાળવે? માત્ર ભારતીય પ્રજા સામે નહીં, સંકટ જાગતિક છે. તે જટિલ છે અને વિકટ પણ છે. તે વ્યાપક છે અને તેનાં મૂળિયાં ઊંડાં છે. ૨૦૧૭ પછી નરેન્દ્ર મોદીના સમર્થકોને પણ સમજાઈ ગયું હતું કે પ્રજાને સંકટ સામે ઝઝૂમનારા વડા પ્રધાન જોઈએ છે; ઇવેન્ટ બહાદુર, રોજ આશાના નવા નવા જુમલા ફેંકનારા, કાંઈક અનોખું કરવાનો દેખાડો કરતા વડા પ્રધાન નહીં જે નોટબંધી જેવો તઘલખી નિર્ણય પણ લે. ટૂંકમાં નરેન્દ્ર મોદીએ સંકટને ગંભીરતાથી સમજવાની કોશિશ કરી હોત તો આજે જે તેમની સામે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયાં છે એ ન ઘેરાયાં હોત. તેમણે ગુજરાતના તરકીબી મોડેલ પર ભરોસો રાખ્યો, સંકટ તેમ જ સંકટજન્ય હતાશાની ઉપેક્ષા કરી અને ઉપરથી રોજ નવી આશાના ફુગ્ગા ચગાવતા રહ્યા એ તેમની આજની અવસ્થાનું કારણ છે. આને કારણે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની બીજી અને કદાચ ત્રીજી મુદ્દત પણ નિશ્ચિત લાગતી હતી એ આજે અનિશ્ચિત બની ગઈ છે.

રાહુલ ગાંધી શેને કારણે ઊભા થયા? ૨૦૧૪ના રાહુલ ગાંધીમાં અને આજના રાહુલ ગાંધીમાં જમીન-આસમાનનો ફરક છે. માણસ આટલી હદે બદલાઈ શકે? ૨૦૧૪ના કૉન્ગ્રેસના કારમા પરાજય પછી અને એ પછી રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં થયેલા કૉન્ગ્રેસના ઉપરાઉપરના પરાજય પછી એક નેતા તરીકે રાહુલ ગાંધીના નામનું નાહી નાખવામાં આવ્યું હતું. ખાસ કરીને ૨૦૧૭ના માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને બે-તૃતીયાંશ બહુમતી મળી અને કૉન્ગ્રેસને તેમ જ કૉન્ગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી કરનાર સમાજવાદી પક્ષને અનુક્રમે સાત અને ૪૭ બેઠકો મળી ત્યારે કહેવામાં આવતું હતું કે પપ્પુ સાથે હાથ મેળવવાને કારણે અખિલેશ યાદવના બારે વહાણ ડૂબી ગયાં છે.

આ રાહુલ ગાંધી ગજબના આત્મવિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીની સામે ઊભા રહી ગયા છે. ‘ઇન્ડિયા ટુડે’ નામના પ્રતિષ્ટિત સામયિકે ‘ધ ઈવોલ્યુશન ઓફ રાહુલ ગાંધી’ નામની કવર સ્ટોરી કરી છે જેમાં રાહુલના ઉદય અને વિકાસની કારણમીંમાસા આપી છે. રાહુલ ગાંધીનો ઉદય મુખ્યત્વે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બી.જે.પી.એ કરી આપ્યો છે. તેમને એટલી હદે કચડી નાખવામાં આવ્યા હતા અને એટલી હદે તેમનું મોરલ તોડવામાં આવ્યું હતું કે રાહુલ માટે બે જ વિકલ્પ બચ્યા હતા. કાં તો રાજકારણને રામરામ કરવા અથવા વળતો હુમલો કરવો. રાહુલે હાર કબૂલી નહીં. કૉન્ગ્રેસમાં અસંતોષ પેદા થયો નહીં કે વિભાજન થયું નહીં. આ બાજુ નરેન્દ્ર મોદી નક્કર કાંઈ આપી શક્યા નહીં અને ઉપરથી નોટબંધી તેમ જ ઉતાવળા જી.એસ.ટી.ને કારણે અસંતોષ વધ્યો. એ સમયે નરેન્દ્ર મોદી અને બી.જે.પી.એ રાહુલ વિશેનો અભિગમ બદલવો જોઈતો હતો. કૂણા પડવું જોઈતું હતું.

એની જગ્યાએ તેઓ રાહુલ પરનું આક્રમણ હજુ નીચલા સ્તરે લઈ ગયા હતા. મહાભારતના અભિમન્યુ અને કૌરવો જેવો સીન નજરે પડવા લાગ્યો. રાહુલ ગાંધીએ આમ છતાં રાજકારણને રામરામ કર્યા નહીં, લડતા રહ્યા, ખૂબ પ્રવાસ કરતા રહ્યા અને અકળાયા વિના કે વિવેક ગુમાવ્યા વિના વિઘ્નોનો સામનો કરતા રહ્યા ત્યારે લોકોને લાગવા માંડ્યું કે રાહુલ ગાંધી સાથે જે થઈ રહ્યું છે એ અસભ્ય અન્યાય છે; પણ આ છોકરો સભ્યતા છોડતો નથી. આજ સુધી એક પણ એલફેલ શબ્દ તેમણે ઉચાર્યો નથી. આનો અર્થ એવો નથી કે લોકોએ રાહુલ ગાંધીને મોટા ગજાના નેતા તરીકે સ્વીકારી લીધા છે કે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જોવા માંડ્યા છે; આનો અર્થ એટલો જ લોકો નરેન્દ્ર મોદીને ઓળખી ગયા છે. નરેન્દ્ર મોદી વિકાસના મોરચે વિરાટ નથી અને માણસાઈના મોરચે વામન છે. આ બાજુ રાહુલ ગાંધી પાસે ધીરજ જાળવીને ટકી રહેવા સિવાય કોઈ માર્ગ નહોતો. એ ટકી રહ્યા અને નરેન્દ્ર મોદી તેમ જ બી.જે.પી.ના અન્ય નેતાઓના પ્રતાપે ઊભા થઈ ગયા. એટલું તો રાહુલ ગાંધીના દુ:શ્મનો પણ સ્વીકારશે કે જે સંજોગોમાંથી રાહુલ પસાર થયા છે એ અસાધારણ હતા. ભલભલો માણસ તૂટી જાય. એ તૂટ્યા નહીં અને ઊભા થયા એ કોઈ કરિશ્મા છે.

તો ૨૦૧૪માં ત્રણ ખાતરી હતી; કૉન્ગ્રેસ ખતમ થઈ જશે, રાહુલ ગાંધી કૉન્ગ્રેસ પર બોજ છે અને ક્યારે ય ઊભા નહીં થઈ શકે અને નરેન્દ્ર મોદીને કોઈ બે અને કદાચ ત્રણ મુદ્દત સુધી કોઈ હલાવી નહીં શકે. એ ત્રણે ય ખાતરી ખતમ થઈ ગઈ છે. કૉન્ગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે અને નરેન્દ્ર મોદીને સૂર્ય મધ્યાહ્નેથી ખસી ચૂક્યો છે. મુખ્યત્વે આનો શ્રેય નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને જાય છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 જાન્યુઆરી 2019

Loading

પ્રવાસ લેખનનો પ્રવાસ: I walk all day, I walk all night …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 January 2019

"એક પરિક્રમાવાસીએ મને કહ્યું કે જો કોઈને ડૉક્ટર બનવું હોય તો એના માટે મેડિકલ કોલેજ છે, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયરિંગ કોલેજ છે, પણ જો કોઈને સારા માણસ બનવું હોય તો એના માટે કોઈ કૉલેજ ખરી? નર્મદા-પરિક્રમા સારા માણસ બનાવવાની કોલેજ છે. 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ સુધી એક જ નદીનું ધ્યાન કરતાં ચાલવું, ભીક્ષા માગીને ખાવું, અપરિગ્રહનું પાલન કરવું – આ કંઈ નાનું તપ નથી. એક વૃદ્ધે મને કહેલું, ‘પરિક્રમા દરમિયાન ધારો કે તમે કોઈક પાસે કશું માગ્યું ને એણે ના પાડી. કદાચ અપમાન પણ કરી બેસે. તો એને પણ પ્રેમથી લેજો. આમ કરવાથી અહંકાર નષ્ટ થાય છે. પરિક્રમા અહંનો નાશ કરવા માટે જ તો છે !’

"નર્મદા-પરિક્રમાએ મારામાં શ્રદ્ધા અને વિનમ્રતાના ભાવ ભર્યા. મને ભીતરથી સમૃદ્ધ કર્યો. ત્યાંના લોકો પાસેથી હું શીખ્યો કે જીવન સાદું અને સરળ હોવું જોઈએ. નર્મદા પદયાત્રાઓ થકી મને પ્રકૃતિ સાથે ધાર્મિક પ્રેમ થયો. મને લાગ્યું છે કે નદીકાંઠે બેસવું કે હરિયાળાં મેદાનોને નિહાળવાં એ ઉત્તમ કોટિનો સત્સંગ છે. વળી પ્રકૃતિપ્રેમ દેશપ્રેમનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી આ વિશાળ દેશને આપણે એની સમસ્ત ખૂબીઓ સાથે નજરે નહીં જોઈએ, ત્યાં સુધી એના પ્રત્યેનો આપણો પ્રેમ શાબ્દિક જ રહેવાનો. આપણે માત્ર જડ નથી. ચેતન પણ છીએ. આ ચેતનને એનો ખોરાક નિસર્ગ પાસેથી જ મળશે. નર્મદા પદયાત્રાઓનો આરંભ મેં 1977માં કરેલો અને 1999માં પૂરી પરિક્રમા કરી લીધી."

ઉપરના આ શબ્દો નર્મદાના પદયાત્રી અમૃતલાલ વેગડના છે. મુંબઈમાં કોફીમેટ્સ, વિકલ્પ અને ભવન્સ કલ્ચરલ સેન્ટર(અંધેરી)ના ઉપક્રમે 4થી ડિસેમ્બર 2011માં યોજાયેલા વ્યાખ્યાન 'જો આ હોય મારું અંતિમ પ્રવચન'માં એ બોલાયા હતા. વેગડના એ પ્રવાસમાંથી બે પુસ્તકો આવ્યાં; 'પરિક્રમા નર્મદા મૈયાં' અને 'સૌંદર્યની નદી નર્મદા.' વેગડ એને નર્મદાનું સંમોહન કહે છે. ૨૦૦૨માં ૭૫ વર્ષની ઉંમરે એમણે ત્રીજીવાર નર્મદાની પદયાત્રા કરી. આ વખતે તો સંગાથે પત્ની કાન્તાબહેન પણ સવાબે હજાર કિલોમીટર ચાલ્યાં. એમાંથી આવ્યું 'તીરે તીરે નર્મદા.'

માણસ હંમેશાંથી યાત્રા કરતો રહ્યો છે. પગેથી ચાલીને, ઘોડા પર બેસીને, સાઈકલ ચલાવીને, જહાજમાં સવાર થઇને, ટ્રેનમાં ચઢીને અથવા પ્લેનમાં ઊડીને. માણસનો પૂરો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ યાત્રા આધારિત છે. સભ્યતાઓના આદાન-પ્રદાન અને જેનેટિક રૂપથી બ્રીડ્સના મિલનમાં યાત્રાનો યોગ છે. ગ્રીક લોકો એક શબ્દનો પ્રયોગ કરતા હતા : યુડેમોનિયા, એટલે કે માનવ સમૃદ્ધિ. પૂરી માનવ જાતના સફળ વિકાસ પાછળ માણસની યાત્રાનો ફાળો છે.

ચાલવું એ માણસની બુનિયાદી વૃત્તિ છે. તમે અમુક કલાક સુધી સ્થિર બેસી રહો, તો હાડકાં જકડાઈ જાય છે, તમને ઊંઘ આવી જાય છે. માણસનું અસ્થિપંજર અને માંસપેશીઓનું સ્ટ્રક્ચર આહારની શોધ માટે ભટકવા, રાની પશુઓથી નાસવા અને પાશવિક જિજ્ઞાસા સંતોષવા માટે બનેલું છે.

હિ‌ન્દીમાં ૧પ૦ ગ્રંથોની રચના કરનાર રાહુલ સાંકૃત્યાનને પૂરી દુનિયા ઘુમક્કડ તરીકે ઓળખે છે. ભારત ઉપરાંત તિબેટ, સોવિયત સંઘ, યુરોપ અને શ્રીલંકાની ખાનાબદોશી બાદ રાહુલે એના અનુભવ પરથી 'ઘુમક્કડ શાસ્ત્ર’ની રચના કરી છે. તેમાં એ લખે છે, 'મારા મતે દુનિયામાં સર્વશ્રેષ્ઠ વસ્તુ ઘુમક્કડી છે. રખડપટ્ટી કિતાબોથી પણ આગળ જાય છે. ઘુમક્કડ દુનિયાની સર્વશ્રેષ્ઠ વિભૂતિ છે કારણ કે એમણે જ દુનિયા બનાવી છે. દુનિયાના અધિકાંશ ધર્મનાયક ઘુમક્કડ રહ્યા છે. ભગવાન બુદ્ધ ઘુમક્કડ-રાજા હતા. એક વ્યક્તિ માટે ઘુમક્કડીથી વધીને બીજો કોઇ ધર્મ નથી.’

રાહુલે પૂરા હિન્દુસ્તાન જ નહીં, યુરોપ, સોવિયેત રશિયા, તિબેટ, લંકા, જાપાન, ચીન અને ઈરાનની પણ યાત્રા કરી હતી. એના માટે એ અંગ્રેજી, પાલી, પ્રાકૃત, અપભ્રંશ, તિબેટી, ભોજપુરી, ચાઇનીઝ અને જાપાની સહિત ૨૫ ભાષા પણ શીખ્યા. બૌદ્ધ ધર્મના પ્રભાવમાં જ એ કેદારનાથમાંથી રાહુલ બન્યા, જે બુદ્ધનું જ એક નામ છે.

એમની પ્રખ્યાત રચના 'અતથો ઘુમક્કડ જિજ્ઞાસા'માં રાહુલ લખે છે, "જેવી રીતે ફોટો જોઇને તમે હિમાલયના દેવદારના ગહન જંગલો અને શ્વેત હિમ-મુકુટિત શિખરોના સૌદર્ય, એના રૂપ અને એની ગંધનો અનુભવ ના કરી શકો, એવી જ રીતે યાત્રા-કથાઓમાંથી તમને એ બુંદનો ભેટો ના થાય, જે એક ઘુમક્કડને મળે છે. માણસ માટે ઘુમક્કડી વધીને કોઈ નગદ ધર્મ નથી. માનવ જાતિનું ભવિષ્ય ઘુમક્કડો પર નિર્ભર છે. એટલે હું કહું છું કે, દરેક કિશોર અને કિશોરીએ ઘુમક્કડ-વ્રત લેવું જોઈએ, એની વિરુદ્ધ જે પણ પ્રમાણ આપવામાં આવે, તેને વ્યર્થ અને જૂઠ સાબિત કરવાં જોઈએ. ઘુમક્કડની ગતિને રોકવાવાળા દુનિયામાં પેદા નથી થયા. સખત પહેરાવાળી રાજ્ય-સીમાઓની આંખમાં ધૂળ નાખીને ઘુમક્કડોએ પાર કરી લીધી છે. મેં ખુદ આવું ઘણીવાર કર્યું છે. પહેલી તિબેટ યાત્રામાં અંગ્રેજો, નેપાળ-રાજ્ય અને તિબેટના સીમા-રક્ષકોને હાથતાળી આપીને ગયો હતો."

રાહુલ કહે છે કે, કોલંબસ અને વાસ્કો-ડી-ગામા બે એવા યાત્રી હતા, જેમણે પશ્ચિમી દેશોના વિકાસને રસ્તો બતાવ્યો. અમેરિકા મોટાભાગે નિર્જન પ્રદેશ હતો. એશિયાના કૂપમંડુકો ઘુમક્કડ-ધર્મનો મહિમા ભૂલી ગયા એટલે એ અમેરિકા પર ઝંડો લહેરાવી ના શક્યા, એમ રાહુલ માને છે. એમાં એક ફર્ક આવ્યો, પણ સદીઓ પછી.

તમે 'ન્યૂર્યોક ટાઇમ્સ’ના પત્રકાર થોમસ ફ્રાઇડમેનનું નામ સાંભળ્યું છે? કોલંબસે એની યાત્રામાં અકસ્માતે અમેરિકાની શોધ કરી, તેના ૫૦૦ વર્ષ પછી, ૨૦૦૫માં આ અમેરિકન પત્રકારે ભારત આવીને ગ્લોબલાઇઝેશન પરનું પહેલું અદ્દભુત પુસ્તક, 'ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ: અ બ્રિફ હિસ્ટરી ઓફ ધ ટ્વેંટીએથ સેન્ચુરી' લખ્યું હતું. ફ્રાઇડમેન એના પ્રથમ પ્રકરણનો આ રીતે આરંભ કરે છે:

"હું કોલંબસની જેમ, સાહસ કરીને ભારતની સિલીકોન વેલી, બેંગલોર આવ્યો હતો. ભારત પહોંચવાની ઉતાવળમાં કોલંબસે અંતર માપવામાં ગડબડ કરી, અને ‘અમેરિકા’ પહોંચી ગયો. વતન પાછા ફરીને એણે એને રાજા-રાણીને રિપોર્ટ આપતાં એક મહત્ત્વની વાત કરી કે, દુનિયા ખરેખર ગોળ છે. હું લુફથાન્સાના બિઝનેસ ક્લાસમાં હતો અને જી.પી.એસ. મેપ આચ્છાદિત સ્ક્રીન પરથી દિશાની ખબર પડતી હતી. કોલંબની જેમ મને ય ભારતીયો ભટકાયા. કોલંબસને હાર્ડવેર (મરી મસાલા)ની ખોજ હતી, હું સોફ્ટવેરની શોધમાં હતો. કોલંબસની સાથે ત્રણ જહાજમાં ૧૦૦ લોકો હતા. મારી સાથે બે વાનમાં ડિસ્કવરી ચેનલના કર્મચારીઓ હતા. મને ય એમ હતું કે દુનિયા ગોળ છે, પણ હું બેંગલોર આવ્યો, ત્યારે મારી માન્યતા ડગુંમગું થવા લાગી. કોલંબસે ‘ભારત’ પહોંચવાનું માની લઈ અકસ્માતે અમેરિકા શોધ્યું હતું. મેં ખરેખર ભારત જોયું અને જેને મળ્યો એમાં ય ઘણાં અમેરિકન હતા. એ રાત્રે મેં પાછા જઈને મારી પત્નીના કાનમાં કહ્યું, ‘હની, આઈ થિંક, વર્લ્ડ ઈઝ ફ્લેટ’ (મને લાગે છે, કે દુનિયા સપાટ છે)."

કેવી રીતે? ફ્રાઇડમેન લખે છે, "ઈન્ફોસિસના સી.ઈ.ઓ. નંદન નીલેકની મને ઈન્ફોસિસના બોર્ડરૂમમાં લઈ ગયા. ત્યાં દીવાલ ઉપર દુનિયાભરનાં પાટનગરનાં ઘડિયાળ હતાં. નીચે આખી દીવાલ ભરાઈ જાય એવડો સ્ક્રીન હતો. નંદને કહ્યું, ‘‘અમે આ વીડિયો સ્ક્રીન મારફતે વિદેશમાં ઈન્ફોસિસની ઓફિસોમાં, અહીં બેંગલોરમાં બેઠાં બેઠાં, મીટિંગ કરીએ છીએ. નંદને કહ્યું, ‘અમે અહીં બેસીએ, કોઈક ન્યૂ યોર્ક, લંડન, બોસ્ટન, સાન ફ્રાન્સીસકોમાં હોય … ઓલ લાઈવ. કામ સિંગાપોરમાં કરવાનું હોય, તો સિંગાપોરનો ઓફિસર પણ લાઈવ હોય. આને ગ્લોબલાઈઝેશન કહેવાય.’’

ટેકનોલોજીએ સીમાઓ તોડીને ગોળ દુનિયાને સપાટ કરી નાખી હતી. નંદને ફ્રાઈડમેનને કહ્યું, ‘‘ટોમ, ધ લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઇઝ બીઈંગ લેવલ્ડ – બિઝનેસનું જે મેદાન ઉબડખાબડ અને અવરોધવાળું હતું, એ સપાટ થઈ રહ્યું છે અને તમે અમેરિકનો હજુ આ વાત સમજ્યા નથી." ફ્રાઈડમેન લખે છે, ‘‘નંદનના શબ્દો મારા મનમાં ગુંજતા હતા. સપાટ મેદાન? અને અચાનક મને થયું માય ગોડ, દુનિયા સપાટ છે. મેં મારી પત્નીને ફોન કરીને કહ્યું, 'હની, હું એક પુસ્તક લખું છું અને એનું નામ છે, ‘ધ વર્લ્ડ ઈઝ ફ્લેટ.’ મેં મારા એડિટરને કહ્યું, મને જલદી રજા આપ. દુનિયા ગોળ છે અને મારે કિતાબ લખવી છે. મેં દસ મહિનામાં ઝનૂનથી આ કિતાબ લખી નાખી.’’

ઈંગ્લિશ લેખક-વિચારક આલ્ડસ હક્સ્લેએ કહ્યું હતું કે, "યાત્રાથી એટલી ખબર પડે કે લોકો બીજા દેશ માટે જે જાણો છો, એ જૂઠ છે." ૧૩મી સદીના વેનિસનો સોદાગર માર્કો પોલો ચીન, પર્સિયા અને ઇન્ડોનેશિયામાં બે દાયકા સુધી ભટકીને વતન પાછો ગયો, અને સમૃદ્ધિની કહાનીઓ સંભળાવી, તો લોકોએ એને ગપગોળા કહીને ખારીજ કરી નાખી. વાર્તા એવી છે કે, માર્કો અને એના બે ભાઈઓએ એમનાં કપડાંનાં સાંધા ખોલીને ધરી દીધા અને એમાંથી હજારો રત્નો જમીન પર વરસાદની જેમ વરસી ગયાં.

માર્કોનાં આ સાહસ દુનિયાથી ગુમનામ રહ્યાં હોત, જો એક અકસ્માત ના ઘટ્યો હોત. ૧૨૯૮માં જીનોઆ દેશ સાથેના નૌસેના જંગમાં માર્કો પોલોને કેદ કરવામાં આવ્યો. નવરા પડેલા માર્કોએ જેલમાં એના સાથી, પ્રેમ-કહાનીઓના લેખક, રષ્ટીકેલો દા પીસાને એની કથા કહી. એમાંથી 'ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો' નામની ખૂબસૂરત આત્મકથા આવી. એમાં ૧૨૭૧થી ૧૨૯૫ સુધી એશિયામાં માર્કોની ઘુમક્કડી અને કુબ્લાઈ ખાન(પાંચમો મોંગોલ રાજા)ના દરબારમાં એના અનુભવોની કહાની હતી. પશ્ચિમના સંસારમાં પૂર્વ વિષે જે ભ્રમો હતા, તે પોલોની આ આત્મકથાથી તૂટ્યા. એમાં ચીનની સમૃદ્ધિના જે ગુણગાન હતાં, તેનાથી જ માર્કોનો સાથી દેશવાસી ક્રિસ્ટોફર કોલંબસને પૂર્વનો નવો, ટૂંકો, ઝડપી રસ્તો શોધવાની ચાનક ચડેલી.

ઇસ્લામિક પંડિતો દાવો કરે છે કે, ૧૪મી સદીનો ઘુમક્કડ ઈબ્ન બત્તુતા આફ્રિકા, એશિયા અને ચીનની આસપાસ પોલો કરતાં ત્રણ ગણો વધારે (૩૦ વર્ષ, ૪૪ દેશો અને ૭૫,૦૦૦ માઈલ) ફર્યો હતો, જેમાંથી એનું સુંદર પુસ્તક 'રિહલા' (પ્રવાસ) આવ્યું હતું, જે ૧૯મી સદી સુધી પશ્ચિમની આંખોમાં આવ્યું ન હતું. બત્તુતાએ ભારતમાં એણે સગી આંખે એક સ્ત્રીને સતી થતી જોઈ હતી. પુસ્તકમાં એ લખે છે, "હું આ હૃદયવિદારક દ્રશ્ય જોઇને બેભાન થઇ ઘોડા પરથી પાડવાનો જ હતો કે મારા દોસ્તોએ મને સાંભળી લીધો અને મારું મોઢું પાણીથી ધોવડાવ્યું. એ હિંદુ સ્ત્રીને મેં સજી-ધજીને ઘોડા પર જતી જોઈ હતી. હિંદુ અને મુસલમાન એની પાછળ ચાલતા હતા. આગળ નોબત વાગતી અને સાથે બ્રાહ્મણ હતો. ઘટના સ્થળ સમ્રાટના રાજ્યની સીમામાં આવતું હોવાથી એમની આજ્ઞા વગર સ્ત્રીને સળગાવાય તેમ ન હતી. રાજાની આજ્ઞા મળી પછી જ એને સળગાવી."

ઇસ્લામિક સંસારમાંથી જ બીજો એક ધુમક્કડ આવ્યો ઈરાની અલ-બીરુની. ૧૦૧૭માં એ દક્ષિણ એશિયા આવ્યો. એમાંથી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પરંપરા પર 'તહકીક મા લી-લ-હિંદ' પુસ્તક આવ્યું. એમાંથી અલ-બીરુનીને ઇન્ડોલોજીના શોધકનું બિરુદ મળ્યું. ૧૧મી સદીના ભારતનો તે વખતનો આ અગત્યનો ગ્રંથ છે.

ખાનાબદોશી માણસનો સ્વભાવ છે. માનવ અને દાનવ સંસ્કૃતિનો મેળ કરાવનારી ભગવાન રામની ઉત્તરથી દક્ષિણની યાત્રાને શાંતિયાત્રા કહે છે. પૂરા દેશમાં પાંડવોની યાત્રાના સ્મારક ઉપલબ્ધ છે. ભારતને તીર્થયાત્રાના એક સૂત્રમાં પરોવનારા શંકરાચાર્ય કદાચિત ઇતિહાસના સૌથી યુવાન યાત્રી હતા. આધુનિક વિશ્વના દમદાર ચિંતક જીદ્દુ કૃષ્ણમૂર્તિ‌ ૬૩ વર્ષ સુધી ફરતા રહ્યા. એ જગતના તમામ દેશોમાં ત્રણ-ચાર મહિ‌ના રોકાતા હતા. વિવેકાનંદની શિકાગો યાત્રા જ એમને સાધુમાંથી સ્વામીના શિખર પર લઇ ગઇ હતી. બેરિસ્ટર ગાંધી ભારત આવ્યા ત્યારે તેમણે ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં પૂરા ભારતની યાત્રા કરી હતી. બેરિસ્ટરનું 'ગાંધીપણું’ આ યાત્રામાંથી આવ્યું હતું. કાકાસાહેબ કાલેલકરે એમની આજીવન રખડપટ્ટીમાંથી ગુજરાતી ભાષાને સાત પ્રવાસ ગ્રંથો આપ્યા છે.

૪૦ હાજર વર્ષ અગાઉ પહેલાં હોમો સેપિયન્સે પગ પર ઊભા થઈને આફ્રિકામાંથી માઈગ્રેશન કર્યું, અને સંસારના તમામ ખૂણે છવાઈ ગયો છે. તમે હોમો સેપિયન્સનાં એ પગલાં સુંઘીને પાછી ઊંધી યાત્રા કરી શકો? મેક્સિકન પત્રકાર પોલ સલોપેક ૧૦ વર્ષની આવી યાત્રા પર નીકળ્યો છે. નેશનલ જીઓગ્રાફી ચેનલની ટીમ સાથે પોલ ૨૦૧૩માં ઈથોપિયામાંથી પગે ચાલીને નીકળ્યો છે, અને ૨,૫૫૭ દિવસમાં મધ્ય પૂર્વ, એશિયા, અલાસ્કા, પશ્ચિમ અમેરિકા અને ચીલીના દક્ષિણ છેડા સુધી ૨૦,૦૦૦ માઈલ્સ કવર કરશે. આ એ જ રૂટ છે, જે પૌરાણિક માનવનો હતો. એ કહે છે, "૨૦ વર્ષથી હું એરોપ્લેન, કાર અને બીજાં વાહનો મારફતે પત્રકારત્વ કરતો હતો. એમાં મને લાગ્યું કે, બહુ અગત્યની સ્ટોરીઓ રહી ગઈ હતી, જે ધીમે-ધીમે પગે ચાલીને જ સમજી શકાય તેવી હતી."

પોલ તુર્કીના અનાતોલિયા પ્રદેશમાં હતો, જે ઉત્તરમાં કાળા સમુદ્ર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પશ્ચિમમાં એજિન સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં પોલની હોટેલમાં આગ લાગી. આગના ધુમાડા વચ્ચે એ બહાર સળગતા તાપમાં અફાટ મેદાનમાં ચાલવા લાગી ગયો. ત્યાં એણે અનાતોલિયાના લોકકવિ અસિક વયસેલ સત્રોગ્લુની કવિતા યાદ કરી :

I’m on a long and narrow road,

I walk all day,

I walk all night,

I cannot tell what is my plight,

I walk all day,

I walk all night.

અમૃતલાલ વેગડ પણ એટલે જ ચાલ્યા હતા. પેલા 'છેલ્લા' પ્રવચનમાં એમણે કહ્યું હતું, "પાછલાં 33 વર્ષથી હું નર્મદા-સૌંદર્યની છડી મુબારક લઈને ઘૂમી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આ જ કરતો રહીશ. કેલેન્ડરમાં ભલે મરી જાઉં પણ મારાં પરિક્રમા પુસ્તકોમાં જીવતો રહીશ. કમસે કમ થોડાં વર્ષ તો રહીશ જ. અથવા એમ પણ બની શકે છે કે જ્યાં સુધી નર્મદા રહે, ત્યાં સુધી હું પણ રહું ! 84નો છું. મસાણે જવાના દિવસો આવી ગયા. પરંતુ એ નર્મદા કાંઠેનું હોવું જોઈએ. બીજી જગ્યાનું મસાણ મને નહીં ફાવે!"

(પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર ૨૦18; પૃ. 27-33)

Loading

A Heart to Heart Interview

Raj Thackeray|Opinion - Cartoon|6 January 2019

Loading

...102030...2,9982,9993,0003,001...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved